કાત્રૌડીના કારડીયા રાજપુત અને કાંટોડિયા ભરવાડ

કુંતલપુર મોટા ગામની બે અલગ અલગ શેરીમાં વસતા કારડીયા રાજપૂત કુટુંબો વચ્ચ વેવાઇયા – વળોટના સબંધ જોડાયા. શિવુભા બાપુના દીકરા લધુભાના નાના ત્રીજા દીકરા રાયસંગજી અને ગામના ઊગમણા ઝાંપા પાસે રહેતા રાજપૂતના લાડવણ દિકરી બઇરાજબાના સગપણ થયા. ફાગણ માસની પૂનમના બીજે દિવસ-ધૂળેટીના શુભદિને લગન નિરધાર થયાં.

સૂરજનારાયણ એકાદ રાશવા અધર ચડયા છે. ગામની ગાયો અને ભરવાડની ગાયોનું ગૌધણ લઇ ત્રણ ભરવાડો ગામ તળાવે ગાયોને પાણી પાઇ સીમના મારગે ચરવા લઇ જાય છે. વરરાજા એવા રાયસંગજી અને કન્યા બઇરાજબાના ઘરે ગણેશ સ્થાપના અને મંડપ રોપણની શુભવિધિ શરૂ થઇ છે.

પીઠીના રંગ પીળા રે રાયસંગજી વીરા
આમ રિંસાવમા રે રાયસંગજી વીરા
નજરૂ નો લાગે રે રાયસંગજી વીરા
લાડી લાવશુ રે રાયસંગજી વીરા
થાવ મા અધીરા રે રાયસંગજી વીરા

સામે પક્ષે દીકરી વાળાના ઘેર પણ .. ઢોલ – શરણાઇ વાતવરણ ગજાવતા હતા. પંદરેક વરસના દીકરી બરાજઇબાને પણ બ્રાહ્મણ દેવતા શ્લોક મંત્રોચ્ચાર સાથે ગણપતિની પૂજા કરાવી. જમણા હાથે મીંઢળ બાંધી વિધિ કરાવતા હતા.

શરણાઇયુંના સૂર વિરમ્યા… ઢોલીડાના વધાઇના ઢોલ હવે તાલ બદલી બૂંગીયા નાદે ગાજવા લાગ્યા. દેકારો સાંભળી લધુભાની રોઝી ઘોડીના કાન ચમક્યા. હણ હણાંટ કરતી ઘોડી ડાબા પછાડવા લાગી. પાટલે બેસી પીઠી ચોળાવતો નવ યુવાન રાયસંગજી એકદમ ઉભો થયો.

બે હાથ પહોળા કરી બહેનો- ભાભીઓને દૂર ખસેડી. ફળિયામાંથી ઓસરી તરફ દોટ મૂકી અને પગથીયેથી ચડવાને બદલે, છાતી સમાણી ઊંચી ઓસરી પર ચિત્તાની છલાંગે ચડી. ભીંતે લટકાતી તલવાર હાથ લીધી…. ફળિયામાં ઉતરી હણહણતી ઘોડીને ચોકડું ચડાવ્યું. સવાર થયો.

ગામની શેરીઓમાં જેનાં જેનાં ઘેર આધેડ કે વૃધ્ધ જે કોઇ આદમી હતા… એ સહુ પણ હાથ પડયું હથિયાર લઇ ગાયુની વહારે દોડયાં…ત્યાં તો ઘોડેસવાર રાયસંગજી સીમાડા નજીક પહોંચવા આવ્યો હતો. ગાયુને મારતા..મારતા.. ધણને દોડવી જતા લૂંટારા પાસે પહોંચતા એમણે તલવારનું મ્યાન દૂર કર્યું.

‘ગાવતરીયુંના મારતલ ઊભા રેજો.. થાજો માટી અને તલવાર વિંઝવા માંડી.’ કાળનુંરૂપ થઇ આવેલા આ મરદને જોતાં જ અડધા તો ગાયોને મૂકીને ભાગવા લાગ્યા. બાકીનાં બચવા માટે ગોળ કુંડાળે રાયસંગજીને ઘેરી વળ્યા. ભાલ, લાકડી અને તલવારનાં રાયસંગજી પર ઘા કરવા લાગ્યાં.
ત્યાં તો પાતો ભરવાડ પણ આવી પહોંચ્યો અને ડાંગ વીંઝતો, દુશ્મનોને ઢાળવા માંડયો.

‘રાયસંગ રાખ્યો તે રંગ, રિપુ રોળ્યા દશ સાત,
પાતેય પણ નિભાવિયું, જીવતર વાલાનો સાથ’

‘પીઠી ચોળેલા પંડયને તે રક્તથી રંગ્યો રાય,
ધેનું ધણ ઉગારીયું કૂળની વધારી લાજ’

વાયુ વેગે વાત ગામમાં પુગી રાયસંગજીએ કઇકને કાપ્યાં, પોતે કામ આવી ગયા છે. કન્યા બઇરાજબાને ઘરે પણ આ સમાચાર પહોંચ્યા. બઇરાજબાના માતાને આ સમાચાર સાંભળતા કાળજુ કંપી ગયું. સાંભળતાજ બઇરાજબાની આંખો પહોળી થઇ શરીર અક્કડ થયું. કંપતા દેહ બોલ્યાં ‘માંડી સમાચાર મેય સાંભળ્યા છે હો ! હવે મને ત્રાંબાની લોટીમાં પાણી આપો. ‘મારે હવે આ ઓરડામાં ન અવાય. મારે જાવું છે. પાણી પાવા કાલે ચોરીયે ચડવાનું હતું. આજ ચિંતાએ ચડશું.

મીંઢળ તો એમના નામે બંધાણું છે. માં ક્ષત્રિયાણીને જીવતા ઇ, તો મર્યા પછીએ ઇ જ હોયને ? માં, મને જવાદો મારે બહુ છેટુ પડે છે.

બઇરાજબા મસ્તક પાસે નીચે નમ્યા… પાણીની અંજલિ ધરી.. મુખમાં તુલસીના પાંદ મૂકી પછી એજ વેગથી ઉભા થયા અને ઝઝૂમતા ધડ સામે ચાલ્યા. જમણા હાથમાં પાણીની અંજલિ ભરી ધડ પર પાણી છાંટતા બોલ્યા.

‘મનથી વરેલ હોય, ને કર્યા હોય સત ઉપવાસ,
તો કંથડા થાજો શાંત, કરવો સંગાથ સરગ લગ.’

રાયસંગજીનું મસ્તક ખોળામાં લઇ ચિતાપર પદ્માસન વાળી બેસી ગયા. બાઇરાજબાનો દેહ નિશ્ચેતન થઇ એમનાં પગનાં તળિયા પાસે ઢળી પડયો. સાંજે મીંઢળ બાંધ્યું જોડલું અગન જવાળાએ લપટાયું.

એક તરફ ભરવાડ ભેરૂ પાતા કાત્રોડીયાની ચેહ બળતી હતી. પછી તો એ મોરી કારડીયા રાજપૂતોએ અને કાંટોડિયા ભરવાડોએ કાયમને માટે એ ગામ ત્યજી દીધું. પરંતુ એ બલિદાનોનાં ઉજળા ઇતિહાસને સાચવતા એ ત્રણેયના પાળિયા આજે પણ કુંતલપુરના આથમણા ભાગે ઉભા છે..  એ સિવાય બીજા ઘણા સંખ્યાબંધ પાળીયા કુંતલપુર માં ઊભાં છે.

આજદિન સુધી એમનાં વંશ-વારસો એ વીરો અને વીરાંગના એવા કુંવારા સતિમાતાના પાળિયે દરવરસે છાપા, સીંધૂર ચડાવી, શ્રીફળ વધેરી ધૂપ – દીપ પ્રગટાવી.. કસૂંબો પાઇ.. નમણૂં કરે છે. એ બલિદાનની યાદ તાજી કરી. હૈયું ભારે કરે છે.

લેખક:- દોલત ભટ્ટ

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!