“વીંછી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 15

વરસો પહેલાંની વાત છે. મારા ગામમાં ઠાકોરની એક બાઈને વીંછી કરડ્યો હતો. તેને એક ઝોળીમાં નાખી અમારા ગીધાભાઈ પાસે લાવ્યા હતા. મારેને ગીધાભાઈ વચ્ચે ઉંમરનો તફાવત ધણો પણ તો ય અમે ભાઈ કરતાં દોસ્ત વધારે.

અમારા ગીધાભાઈ વીંછીનુ ઝેર ઉતારે છે તે મને ખબર હતી પણ ઝેર ઉતારતાં કદી જોયા નહોતા. આજે તો હુ તેમને ઘેર જ બેઠો હતો.

પેલી બાઈ પીડાથી ચીસો પાડતી હતી. પૂછતાં ખબર પડી કે છાણાં થાપતી વેળાએ છાણનો વીંછી કરડ્યો છે.

બાઈને ઓસરીની કોરે થાંભલીને અડી બેસાડી.. ગીધાભાઈ ઉભા થઈ ચુલાની રાખ લઈ આવ્યા.. એક સાવરણીનુ તણખુ તોડી લાવ્યા. બાઈ ભાઈથી નાની માથે ઓઢી રાખે, વીંછી ઉતારવાની વિધી શરૂ થઈ.. ગીધાભાઈ બાઈની સામે આવી બેઠા.

હાથ પર જ્યાં વીંછી કરડેલો ત્યાં ધીમે હાથે રાખને ખસતાં ખસતાં કંઇક મંત્ર મનમાં બોલતા હતા. પછી સાવરણના તણખલાથી ઉપરથી નીચે તરફ કોઈ વસ્તુ ઉતારતા હોય તેવું લાગતુ.

દસથી બાર વાર આમ કરી બાઈને પુછ્યુ હવે દર્દ કેવું છે?

બાઈએ દર્દ ઓછુ થયાનુ કબુલ્યુ.

પછી પુછ્યુ કેટલે સુધી દર્દ થાય છે? દર્દ નીચે ઉતર્યુ છે?

બાઈએ આંગળી મુકી બતાવ્યુ..

મને પણ લાગ્યુ કે દર્દ એટલે વીંછી ઉતરી રહયો છે.

ગીધાભાઈએ તેમની કામગીરી ચાલુ રાખી થોડીવારમાં વીંછીનુ ઝેર ઉતરી ગયુ. દર્દમાં પણ રાહત વરતાઈ..

જે બાઈ પીડાથી રાડારાડ કરતી હતીતે શાંત વરતાઈ… પછી ઘરમાંથી પાણીનો લોટો મંગાવી તેને હાથમાં પકડી કંઈક મંત્ર બોલી બાઈને પીવડાવ્યુ…ને થોડુક ડંખ પર ઘસ્યુ. આમ હાથની કળતરમાં રાહત હતી.

તે બાઈને બે ત્રણ રોટલા કુતરાને નાખવા, ગાયને જુવારના પાંચ દશ પુળા કે સવા મણ જેટલો લીલો રજકો નીરજો… એમ કહી રવાના કરી. કહ્યુ કે રહી ગયેલી થોડી ઘણી પીડા ધીમે ધીમે મટી જશે.

મારી વરસો જુની વીંછી ઉતારને જોવાની ઈચ્છાની તૃપ્તિ થઈ.

પણ વીંછી વિષે વિશેષ જાણવા માટેની ઈચ્છાને રોકી ન શક્યો.

મેં તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા..

તમે વીંછી ઉતારતાં કોની પાસેથી શીખેલા?

એક સાધુ મહારાજ જુનાગઢથી અવાર નવાર આવતા હતા. તેમની સાથે મનમેળ થઇ ગયેલો જ્યારે પણ આ બાજુ આવતા મારે ઘેર ઉતરતા હતા. પછી એકવાર ખુશ થઇ મને આ વિદ્યા શીખવી હતી.

મેં પુછ્યુ: તમે પૈસા કેમ લેતા નથી?

સાધુ મહારાજે સેવા કરવા જ આ વિદ્યા શીખવી છે. જો સ્વાર્થ કરૂ તો આ વિદ્યા ખસી જાય..

મેં પુછ્યુ વીંછીની કેટલી જાતો હોય?

વીંછી ૯ મી.મી. થી ૨૩ સે.મી. લંબાઈના હોય છે. તેને છ પગને વાંકી પુંછડી હોય છે. તે તેની પુંછડી ચારે દિશામાં ફેરવી શકે છે. આગળના બે પગ અંકોડા જેવા હોય છે તે શિકારને પકડવાનું કામ કરે છે. જગતભરમાં વીંછીની ૧૭૦૦ જેટલી જાતો છે.

તમને નવાઈ તો એ લાગશે ..કે…. #વીંછીને_માથું_હોતું_નથી

તેમાંથી માત્ર ૨૫ પ્રકારના જ ઝેરી છે. ઝેર વગરના વીંછીનો ડંખ મધમાખીના ડંખ કરતાંય ઓછો કષ્ટદાયક છે.

ઝેરી વીંછીની અનેક જાતો છે. તેમાં ભુરાને કાળા રંગના વીંછી ખુબ ઝેરી છે. આ વીંછી સાપને કરડે તો તે પણ મરી જાય.

આપણા વીંછી તો ઓછા ઝેરી હોય છે. બીજા એક પહાડી વીંછી છે. તે પત્થર કે પહાડી વિસ્તારમાં રહે છે. તે બહુ ઝેરી હોય છે. તે માણસ કે જાનવરને કરડે તો પાણી ય માગી શકતો નથી.

વીંછી કેમ અને કેવી રીતે ડંખે છે?

વીંછી છ પગને વાંકી પુંછડી પર ઝીણી રૂવાટી હોય છે. તે રૂવાટી સેન્સરનુ કામ કરે છે. તેના વાળને કંઈપણ સ્પર્શે તો તરત જ ડંખ મારે છે.

વીંછી તેની પુંછડીયે આવેલ નાનકડા દાંત કે પોલી અણીદાર સોયથી ડંખે છે. તે દાંતની સાથે એક નાની કોથળી જોડાયેલી હોય છે તેમાં ઝેર ભરેલુ હોય છે.

વીંછી ક્યારે ય મોંઢાથી ડંખતો નથી તેના મોંઢામાં કીટકો ભરેલાં હોય છે.

વિશેષ વાત એ છે કે તેને માંથું હોતુ નથી.

બીજુ પુછ્યુ વીંછી શું ખાય?

તે નાની જીવાત ખાય છે. ઘણા વીંછી નાના સાપોલીયા ય ખાઈ જાય છે.

વીંછી એક વરસ સુધી પાણી વગર જીવી શકે છે.

એકવાર ભરપેટ ખાઈ લીધા પછી મહિનાઓ સુધી ખોરાક વગર ચલાવી શકે છે.

તેને ઉજાસને તડકો ઓછો ગમે છે. તે પણ સાપની જેમ ઠંડકવાળી જગામાં જ રહે છે.

વીંછી સિંહ કે આખલાની જેમ લડે ખરા?

બે વીંછી સામસામે ભેટાય તો તે બેઉ લડે છે. જે જીતે તે હારેલાને ખાઈ જાય છે.

વીંછીનાં બચ્ચાને જન્મ પછી કેવી રીતે સાચવે કે પછી સાપની જેમ ખાઈ જાય?

વીંછણ બચ્ચાંને જન્મ આપી ખાઈ જાય તે ખોટી વાત છે. તે બચ્ચાને સારી રીતે સાચવે છે. તેની કમર પર કોથળી હોય છે તેમાં બચ્ચાં રાખીને મોટાં કરે છે. તે બચ્ચાને ધવરાવે પણ છે. અઠવાડિયા પંદર દિવસ પછી તે બચ્ચાં જાતે ખોરાક મેળવતાં થઈ જાય છે.

વીંછણના બચ્ચાં મોટાં થાય ત્યારે તેની ખાલ ઉતરે છે તે જોઈ લોક માન્યતા છે કે વીંછણ તેનાં બચ્ચાંને ખાઈ જાય છે.

આ ઉપરાંત વીંછી જીવનમાં આઠ વખત કવચ બદલે છે. તે જોઈને આવી ધારણા બંધાય છે.

મેં તરત જ પુછ્યુ મેં આવુ સાંભળેલ તે ખોટુંને?

તેમણે કહ્યુ: હા ખોટુ..વીંછણ તેના બચ્ચાને ખાઈ જતી નથી પણ આ વાતે તને નવાઈ લાગશે કે વીંછી અને વીંછણ મેટીંગ (મિલન) કરે છે ત્યારે તરત જ વીંછણ વીંછી પર હુમલો કરી દે છે. જો કે વીંછી તરત જ ભાગી જાય છે પણ કોકવાર વીંછી વીંછણનો શીકાર પણ બની જતો હોય છે.

વીંછી કેવી રીતે પેદા થતા હશે?

ઉકરડામાંથી ખાતર ભરીએ ત્યારે વીંછી હોતા નથી. પણ ખાતર ફોરવા જઈએ ત્યારે વીંછી ક્યાથી આવે છે?

તેમણે જણાવ્યુ કે ખાતર ભરવાની સીઝન ગરમીની હોય છે. ઉકરડાનુ ખાતર ભીનુ અને ગરમ હોય છે ખેતર તેના ઢગલા થતાં તે રાતની ઠંડકને લીધે વગડાના વીંછી તેમાં ભરાઈ જાય છે.

અમુક વિસ્તારોમાં આવું જ તાજી વાઢેલી જુવાર બાજરીમાં થાય છે. મોલ કપાઈ જતાં તે ઠંડક શોધતા તેના ઘાસમાં ભરાઈ જતા પણ હોય છે. પુળા વાળતી વેળાએ ડંખ્યાના દાખલા પણ છે.

ગરમીના સમયમાં વીંછી કોઈના પણ તૈયાર દરમાં ભરાઈ જતા હોય છે. અમે નાના હતા ત્યારે એક લાંબી પાતળી સળી જેના છેડે એક નાનું ફુલ હોય તે ડાળી લઈ તે દરમાં નાખી હલાવીને વીંછી બહાર પણ કાઢતા. કેટલાક વીંછી નાના હોય તેને દિવાસળીના ખોખામાં ભરતાને કેટલાકને દોરાથી બાંધી પજવતા પણ ખરા…દોરાથી બાંધેલા વીંછી ઉનાળામાં નાળિયાની ગરમ રેતીમા ઢાકીને ભારે પજવતા પણ ખરા…

છેલ્લો પ્રશ્ન પુછ્યો.. વીંછી ઉતારવાનો ઉપાય કોઈ દવાથી થાય?

જવાબ: મારા ગુરુ મહારાજ એક જાતનુ તેલ રાખતા હતા. વીંછી જ્યાં કરડ્યો હોય તેના પર માલીસ કરવાથી વીંછીનુ ઝેર ઉતરી જતું હતુ. તે મેં જોયેલું છે. આ અંગે તેથી વધારે જાણકારી નથી.

તેમણે એક સરસ જાણકારી આપી…

જ્યારે કોઈપણ માણસને વીંછી કરડે તેને ચીપીયા કે સલામત રીતે પકડી સ્પીરીટ ભરેલી બોટલમાં તે ડુબે તેટલુ સ્પીરીટ ભરી ડુબાડી દેવો. થોડીવારમાં તે મરી જશે.

ત્યાર પછી તે વીછીને કાઢી લેવો. વધેલા સ્પીરીટની બોટલ ભરી લેવી.

જ્યારે બીજી વખત કોઈને પણ વીંછી કરડે ત્યારે તે સ્પીરીટમાં ભીનુ કરેલુ રૂનું પુમડુ જ્યાં તે કરડ્યો હોય ત્યાં લગાવી દેવું. ગણત્રીની મીનીટોમાં જ વીંછીનુ ઝેર ઉતરી જશે.

આ સ્પીરીટ સાચવી રાખો ભવિષ્યમાં પણ કામ લાગશે.

આ પોસ્ટનો હેતુ જુની પુરાણી જીવનશૈલી રજુ કરવાનો છે.

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!