“ગોસ્વામી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 33

દેવોના દિવસ દેવ મહાદેવ… મહાદેવના મંદિરને શિવાલય..કહે.. મોટાભાગે ગામની બહાર નદી કે તળાવને કાઠે બન્યાં હોય…

આજથી સાઈઠેક વરસ પહેલાં ગામડાઓમાં આવેલાં બધા જ વહેવારો રોકડને બદલે અનાજથી જ થતા હતા.. રામજીમંદિર ગામમાં ને શિવજી ભાગોળે.. શિવાલયમાં મહાદેવની પુજા અર્ચનાનો અધિકાર ગોસ્વામી અટકધારી બાવાસાધુને જ હોય તેમ કહેવાય છે લિંગનુ સવારનુ પ્રક્ષાલન અને તેનો અધિકાર આ ગોસ્વામી ને જ હોય… હિન્દુ ધર્મમાં ધર્મનાં કાર્યો મોટેભાગે બ્રાહ્મણ જ કરે તેવી પ્રથા છે પરંતુ મહાદેવની પુજા તો ગોસ્વામી ની જ…

સવારની આરતી, સંધ્યા આરતી, શિવરાત્રી એ મહાપુજાનો ગોસ્વામી જ કરતા હતા. શ્રાવણ માસમાં બિલ્લીપત્રનુ કામ જ બ્રાહ્મણ કરે… અમારા ગામમાં તે સમયે મહાદેવના પુજારી મોતીપુરી ગોસાઇ.. ગામમાં તેમનુ ભારે માન, નિયમીત પુજા આરતી કરે. સવારે વસ્તીમાં નીકળે, ભારેખમ અવાજે અલેખ પોકારે… આખા ફળિયામાં ખબર પડી જાય કોઈપણ ઘરની સામે લોટ કે દીવાના ઘી માટે ઝાઝું ઉભા ન રહે તે તેમની ખાસિયત.

તેમનેે ચપટી કરે દીવો આપવામાં વાર લગાડે નહીં.. સંજોગવસાત વાર લાગી જાય તો ય તેમની પાછળ જઈ આપી જાય..

કોઈ છોકરાને નજર લાગી હોય, બી ગયું હોય તો તેનો દોરો પણ ફ્રીમાં કરી દે..

શિવરાત્રી એ પંજરીની પ્રસાદીના સ્પેશ્યાલીસ્ટ.. આટલી ઉમર ગયા પછી પણ તેમની બનાવેલ પંજરીની પ્રસાદ જેવી સ્વાદિષ્ટ પંજરી મને મળી નથી.. બચરવાળ જણ, સપરિવાર મહાદેવના મોટા વરંડામાં જ રહે.. દેવસ્થાનને દાનમાં મળેલી જમીનોમાં ખુબ ખેતી પણ કરે.. એક દીકરો કોઈ બીજા ગામના શિવાલય ની સેવા કરે… શિવરાત્રી હોય, દિવાળી, બેસતું વરસ હોય તે દિવસે તેમને વધારાની આવક પણ થતી. વરસે સાતી દીઠ દોઢ મણ ધાન તો ખરૂ જ…

ગોસ્વામી અટક એ ગામમાં કોઈને ય ત્યાં કોઈપણ સારો પ્રસંગ હોય તો તેમને આમંત્રણ હોય જ.. ગોસાઇ જીને ત્યાં કોઈ લગ્નપ્રસંગ હોય કે સારો ભુડો પ્રસંગે આખું ગામ હાજર જ હોય.. તન, મનને ધનથી ય સહકાર કરે..

તેમને.. ગામઠી ભાષાએ ગોસાઇ કહે… અમારા ગામે આ એક જ ગોસાઇ ખોરડુ… તેમની પાસેથી ગોસાઇ માટે ઘણી જ વિગતો મને મળી તે મુજબ..

અમે દશનામી ગોસ્વામી કહેવાઈએ.

અમારી ઉત્પતિ:

શુન્યમાંથી, મહાશુન્ય તેનાથી, ઉદયશુન્ય, તેનાથી અલેલશુન્ય તેનાથી, અવગત તેનાથી, વાયુ, તેનાથી તેજ તેનાથી,જલને તેમાંથી કમળ અને કમળમાંથી ચારભૂજધારી બ્રહ્માજી પ્રગટ થયા.

બ્રહ્માજીથી માર્કન્ડેય તેમનાથી રૂમાચલ તેમનાથી અગ્નિરૂત્ષિ અને તેમનાં અનસુયા માતા, તેમની પરીક્ષા બ્રહ્મા, વિષ્ણુ મહેશ ત્રણે દેવો આવ્યા હતા. લોખંડના ચોખા લાવ્યા. તે ચોખામાં થી અનસુયા માતાએ બત્રીસ ભાતના ભોજન બનાવ્યાં હતાં. આ સમયે ત્રણે દેવોએ કહ્યું કે અમને નગ્નવસ્થામા રહીને જમાડો.. માતા અનસુયાએ આ ત્રણે દેવોને નાના બાળકો બનાવીને સ્તનપાન કરાવ્યું… આમ માતા અનસુયાએ પરીક્ષામાં આ દેવોને મહાત કર્યાને જતાં જતાં દેવોએ અનસુયા માતાને આશીર્વાદ આપ્યા કે અમારી શક્તિથી આપને પુત્રરત્ન પ્રાપ્ત થશે. આ આશીર્વાદથી ગુરૂ દત્તાત્રેય મા અનસુયા ના જમણા હાથની હથેળીમાં થયેલ ફોલ્લામાથી પુત્રરૂપે પ્રગટ થયા.

આમ દત્તાત્રેયના, પારાસરના, સારાસરના ભારદ્વાજના, ગૌતમઋષિના, ગર્ગઋષિના, વૈદિકજનકજીના, વેદ વ્યાસજીના, શુકદેવજીના, સેતરૂત્ષિના, કેતરૂત્ષિના, દુર્વાસાજીના, રોહન્યારૂત્ષિના, જડભરતના, બામદેવના, કામદેવના, કપિલદેવના, કપિલમુનિના, વૃષભમુનિના, દેવમુનિના, શતમુનિના, સન્મુખાચાર્યજીના, ગોડચાર્યજીના, ભદ્રાચાર્યજીના, બાલગોવિદાચાર્યજી અને તેમના શ્રીમદ ગુરૂ શંકરાચાર્યજી… તેઓશ્રી શિવમાર્ગે ચાલનારા હતા.

તેમના ચાર શિષ્યો પૃથ્વીધરાચાર્યજી, નીરતોટકાચાર્યજી, ચરૂપાચાર્યજીને બલભદ્રાચાર્યજી હતા. અમારા દશ નામો એટલે.. અમારા નામની તરત પાછળ વપરાતું નામ…આ દસ નામો

  • ૧.ગિરી
  • ર.પર્વત
  • ૩.પૂરી
  • ૪.સાગર
  • ૫.સરસ્વતી
  • ૬.ભારતી
  • ૭.વન
  • ૮.અરણ્ય
  • ૯.તીર્થ
  • ૧૦.આશ્રમ

ગોત્ર: આમ દસનામીના કુલ ગોત્ર પર છે. એક ગોત્ર લામ ગુરૂઓનુ છે. બાકીના ગિરી, પર્વતને સાગરનાં કુલ ૨૭, પુરીના ૧૬ ગોત્ર ભારથીના ૪ અને વનના ૪ ગોત્ર છે.

દસનામીના મઠ ચાર ગણાય છે.

  1. જોષીમઠ ઉત્તરે
  2. શૃંગેરી..દક્ષિણે
  3. શારદા..પશ્વિમે
  4. ગોવર્ધન..પુર્વે

દસનામીના ચાર ધૂણા

  1. ગોપલ ધૂણો
  2. અજયમેઘ ધૂણો
  3. તત્વીસમી ધૂણો
  4. સૂર્યમુખી ધૂણો

દસનામીના ચાર સંન્યાસ

  1. હંસ
  2. પરમહંસ
  3. બોધક
  4. કુટીયર

દસનામીના અખાડા સાત છે.

  • ૧.નિરવાણી અખાડા
  • ર.અટલ અખાડા
  • ૩.અગ્નિ અખાડા
  • ૪.નિરંજની અખાડા
  • પ.શ્રી પંચ અખાડા
  • ૬.આહવાન અખાડા

નવનાથનાં નવ નામ.

  • ૧.ગોરખનાથ
  • ર.જાલંધરનાથ
  • ૩.ભરથરિનાથ
  • ૪.નાગેશનાથ
  • ૫.મછંદરનાથ
  • ૬.કાનીફનાથ
  • ૭.ચરપદીનાથ
  • ૮.ગહિનીનાથ
  • ૯.રેવણીનાથ

ગિરીઓની મઢી:

દરિયાનાથી, પહાડનાથી, મનનાથી, પર્વતનાથી, મેઘનાથી, અજરનાથી, મંહશનાથી, ઈન્દ્રનાથી, યોગદનાથી, રત્નાનાથી, અમરનાથી, જગજીવનનાથી, બ્રહ્મનાથી, દુર્ગનાથી, પરવરનાથી, સજનાથી, જ્ઞાનનાથી, અઘોરનાથી, ભાવનાથી, સાગરનાથી, ભદ્રનાથી, ચંદ્રનાથની બોદલા, ઓન્કરી, રાયદત્તી, સિધ્ધનાથી, ચાદનાથી બોદલા, કુસુમનાથી, અપરનાથી, પહાડનાથી.

ભારતીની મઢી:

બાલવિશ્વાસ, મનમુકુન્દ, નરસીગ, પદનાથ ભારતી..

વનનોની મઢી:

ગંગાસતિવન, ક્ષીવન, સીગાસીવન, બલવન, કુડલીનીક્ષીવન..

પુરીઓની મઢી:

ભગવંતપુરી, ભંડારી હનુમંતપુરી, લેદર દરિયાપુરી, નિલકંઠપુરી, નિરંજનપુરી, તમકાલીયાપુરી, સૌદરિયાવપુરી, સંગદરિયાવપુરી, જડભરતપુરી, પુરણપુરી, રોજપુરી, ત્રિલોકપુરી, કેશવપુરી…

સંપ્રદાયો:

ચંદ્રભાર, દશનામના ભાર, લીગીપાસના, ભોપા, હારબેરીહા, સહયોગીની, મચ્છાદિ, ઓગડયોગી, કાનફાડાયોગી, શીકરનાથ, સૌભદંડી, ત્યાગસંયાસી, આતુર સંયાસી, બ્રહ્મચારી મહાપુરૂષ યોગી, ફરાળી,દૂધહારી, અલુણા, ઓઘડ,ગોદડ, રૂખડ, ભુખડ,ઉખડ, અવધૂતાની, ઘરબારી સંયાસીની, દંગલી, અઘોરી, ઉદર્વમુખી, અલખીયા, નાગાસંયાસી, સંયાસી, સંયાસી અવધૂત, શિવસંપ્રદાય, દસનામી, દંડી, ઘરબારી દંડી..

આ લેખ સ્વ.મોતીપુરીજીને સાદર અર્પણ..

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!