સાદુળપીર પ્રત્યે સત્ દેવીદાસ બાપુનો અપાર સ્નેહ

સુર્યાસ્ત થવાને હજી સારી વાર હતી, ગોવાળો હાથોહાથ સ્થાનકમાં વેરાયેલા કચરાને વાળવા લાગ્યા હતા. મહારાજ પ્રત્યે તેઓને ભારે શ્રાદ્ધ પગટી હતી. સ્થાનકની નજીક એક બળદગાડી આવીને ઊભી રહી હતી, તેમાં ઉજળિયાત વર્ણની બે બાઈઓ, એક બાળકની સાથે બેઠી હતી. બાઈઓ તોરી ગામેથી રાણપુર જવા નીકળી હતી અને બળદોને પાણી પીવડાવવા માટે ગાડા-ખેડએ ગાડું છોડ્યું હતું.

અતિથિઓ આવ્યાનું જાણીને મહારાજ પાણીનો ઘડો ભરીને ત્યાં ગયા. બધાને પાણી પીવડાવ્યું, નાના બાળકને જઇને સવારે ગોવાળો દૂધનો કળશિયો ભરી આવ્યા હતા તે દુધ પણ લાવી દીધુ. આવા અંતરિયાળ સ્થળે બાળક માટે દૂધની સગવડ મળી જવાથી બાઈઓ રાજી થઈ ગઈ. થોડીવારે ખેડુએ જવાની તૈયારી કરી, મોટી વયની બાઈને થયું કે: “બાવાજીએ લાલચના માર્યા આટલી સેવા કરે છે. એટલે એને કોઈક દેવું જોઇએ”. આમ વિચારીને સાડલાના છેડે બાંધેલી થોડી કોરીઓમાંથી એક કોરી લઈને મહારાજને આપવા માટે હાથ લાંબો કર્યો.

તેના હાથમાં રહેલી કોરી જોઇને મહારાજ બે ડગલાં પાછળ હટી ગયા: માફ કરો મા, “હું સેવા કરવા આવ્યો છું, વેચવા નથી આવ્યો.” શાંત સ્વરે બોલીને વળતાં પાછા આવવાનો વિવેક કરીને મહારાજ આસને પધાર્યા. આવા નિર્લોભી સાધુને પ્રથમ વાર જ જોયાનું અચરજ અનુભવતી બાઇઓ મહારાજની પ્રશંસા કરી રહી.

સ્થાનક હવે સ્વચ્છ થઇ ગયું હતું, મહરાજ ગોવાળોની જોડે જ્ઞાન-વાર્તા કહી રહ્યા હતા. ત્યાં જ ઘોડના ડાબલાઓનો અવાજ સંભળાયો અને થોડીક વારમાં જ સાદુળ ખુમાણ દ્રષ્ટિગોચર થયો.

મહારાજને જોઇને ઘોડા ઉપરથી ઉતરી જઇને એક ઝાડના થડે તેને બાંધીને મહારાજની સમીપમાં જઇને બે હાથ જોડીને મસ્તક નમાવ્યું.

‘બઉ દાખડો કર્યો. બાપ હવે નિરાંતે બેસ.’ તેના મસ્તક ઉપર હાથ ફેરવીને મહારાજે સાંત્વન આપ્યું. સાદુળ સ્વસ્થ થઈને બેઠો.

મહારાજે સાદુળને સંભળાવવા ખાતર એક ભજન ગાયું. તેનો ભાવાર્થ સમજી જઈને સાદુળ પ્રસન્નતા અનુભવી રહ્યો.

સૂર્યાસ્તની વેળા થવા આવી લેવાથી ગોવાળો જવાની તૈયારી લાગ્યા. સાદુળે પણ મહારાજને પ્રણામ કર્યા અને ઊભો થયો.

સત દેવીદાસ મહરાજ આસનથી ઊઠીને સહુની જોડે મારગ સુધી આવ્યા. ગોવાળો ઢોરોને ભેળાં કરવા ગયા અને સાદુળ ઘોડાની સરક પકડીને ઊભો રહ્યો.

‘બાપ સાદુળ, તું જે માર્ગે જઇ રહ્યો છો, તે બરાબર છે. મનમાં જરાય મુંજાયા વગર આગળ વધતો રેજે. બાકી તો સમય આવ્યે બધુંય સારું થઈ જાશે.’ મહરાજે તેના સામે જોઈને કહ્યું.

‘આપની દયા બાપુ, મને તો બીજી કાંઈ ગતાગમ નથી.’ બે હથ જોડીને સાદુળ બોલ્યો. મહારાજે તેના મસ્તક ઉપર હાથ મૂક્યો. ઘોડેસવાર થઈને સાદુળ વિદાય થયો.

‘અસલ હીરો છે, થોડીક રજ લાગી ગઈ છે, એને ખંખેરીને, પાસા પાડવાની જ વાર છે.’ સ્વગત બોલીને મહારાજ પાછા વળ્યા.

ભાગ-૭,ક્રમશઃ પોસ્ટ…

સંદર્ભ-ગ્રંથોઃ અલખ જ્યોત – સત દેવીદાસ બાપુના વંશજો
અમર સંત દેવીદાસ-હરસુર ગઢવી
સોરઠી સંતો-ઝવેરચંદ મેઘાણી

લેખક-પ્રકાશક: શ્રી માંડણપીર બાપુની જગ્યા
સતદેવીદાસ બાપુની જન્મ ભૂમિ માંડણપીર ધામ, મોટા મુંજીયાસર તાલુકો. બગસરા જીલ્લો.અમરેલી. મો.9408899968

પ્રેષિત-સંકલન: મયુર. સિધ્ધપુરા – જામનગર
મો.97256 30698

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!