રાજા કર્ણદેવ વાઘેલા ભાગ 1

(ઇસવીસન ૧૨૯૬થી ઇસવીસન ૧૩૦૪)
——– ભાગ – ૧ ——-

ઈતિહાસને ખામોશ થતાં આવડે ખરું ? કેટલીક વખત આપણે પણ શત્રુઘ્ન સિંહાની જેમ કહેવું પડે કે “ખામોશ” ઈતિહાસને આવું કહેવું પડે તેમ છે. પણ એક વાત તો છે ને કે ઈતિહાસ ક્યારેય ખામોશ થઇ જતો નથી નહીં તો એ ઈતિહાસ રહે જ નહીં ને ! ઈતિહાસને જીવંત રાખવા માટે ઘટનાઓ હોવી જરૂરી છે. ઘટનાઓ હશે તો જ એમાં વળાંકપણ આવશે. પણ આ વળાંકને કઈ તરફ વળવા એ કામ તો ઈતિહાસકારો -સાહિત્યકારોનું જ છે. આ બધાં છે તો આખરે માનવીઓ જ ને ! કોઇપણ માનવી સર્વગુણ સંપન્ન તો હોતો જ નથી એનામાં કોઈકને કોઈક તો ખામી રહેવાની જ. એ ખામીઓને કારણે જ ઇતિહાસમાં ઘણાં વળાંકો આવતાં હોય છે જે જે તે રાજાઓ અને જે તે રાજ્ય માટે હાનિકર્તા હોય છે.

ઈતિહાસ એક એવો ગાડરિયો પ્રવાહ છે કે જેમાં એકે આવું લખ્યું એટલે બધાં જ એને સાચું માની લઈને એ જ વાતને આગળ કરતાં હોય છે. બહાનું કાઢે છે કે તેઓ સમકાલીન સાહિત્યકાર હોવાથી એ જ સાચું છે કારણકે તેઓ ક્યાં તો એ રાજાના સમયમાં થયાં હોય છે અથવા તો એના પછી તરત હોય છે. આ સાહિત્યકારોને એમનાં ધર્મ સિવાય એમને હિંદુ ધર્મ અને એનાં રીતરીવાજોની કશી ગતાગમ હોતી જ નથી. આપણે જેટલું મુસ્લિમ ધર્મના સાહિત્યકારોને વખોડીએ છીએ તો પરધર્મી ભારતીયો પણ ઓછાં નથી જ. એમણે જ ભારતીય સંસ્કૃતિની ઘોર ખોદી છે પોતે એક સારાં સમકાલીન સાહિત્યકાર છે -ઇતિહાસકાર છે એ બતાવવા માટે. ઈતિહામાં તથ્ય વગરની વાતો કરી એને ઇતિહાસમાં ખપાવવા માટેની આ એક ચાલ માત્ર છે એમની. એમાં મળતી પ્રશસ્તિઓને તો તેઓ ભૂલી જ ગયાં છે સદંતર અને એમ કહીને છટકી ગયાં છે કે આવું બન્યું હશે એ મયે આવું જ કૈંક બન્યું હોવું જોઈએ. પણ ખરેખર શું બન્યું હશે એની તો એમને ખબર જ નથી હોતી. અલ્યા ભાઈ તમે તો એ સમયમાં થયાં હતાં તો તમારી પાસે તો એ અપેક્ષિત જ હોય ને કે ખરેખર શું બન્યું હશે . આટલી આશા તો અમે તમારી પાસે રાખી જ શકીએ ને ! પણ ના એમને તો વાતમાં વળાંક આવે એવું કૈંક કરવું હોય છે ભાષા અને શબ્દ પ્રયોગથી ! જે હકીકતથી તો વેગળું જ હોય છે સદંતર . ઇતિહાસમાં શું આવશ્યક છે એની એમને ખબર સુદ્ધાં પણ નથી હોતી. તમે એ કાળમાં કે એ રાજાના રાજદરબારમાં હતાં છતાં તમને એ રાજાની સાલવારી નથી ખબર ? નથી ખબર એમની પત્ની કે પત્નીઓ વિષે ? નથી ખબર એમનાં પુત્રો વિષે ? નથી ખબર કે એ રાજાનું મૃત્યુ કેવી રીતે થયું ? નથી ખબર કે એમનાં પછી કોણ રાજા થવાનું છે તે ? એમના મંત્રીઓમાં પણ તમે જ મતમતાંતર ઊભાં કર્યા છે. આવી ગંભીર ભૂલ આજ વખતે અને આ જ રાજા કર્ણદેવ વખતે નડવાની હતી !

સોલંકીયુગ પછી ખરેખર સાહિત્યકારો અને ઈતિહાસકારોમાં એક શૂન્યાવકાશ પેદા થઇ ગયો હતો. માન્યું કે હેમચંદ્રાચાર્ય નહોતાં રહ્યાં પણ મેરુતુંગ તો વાઘેલાવંશનાં અંત પછી પણ હયાત જ હતાં ને તો પછી આવી અને એટલી ચુપકીદી શા માટે ! અત્યાર સુધીના દરેક વાઘેલા રાજાઓમાં આ મેરુતુંગ ક્યાંય ઝળક્યા જ નથી. જે નવાં હતાં તેઓએ સાહિત્યકૃતિ સારી બને એનાં પર જ ધ્યાન આપ્યું ઈતિહાસકી તો ઐસી કી તૈસી ! આવું થોડું ચાલે હેં ભાઈ હેં !!! સાહિત્યકૃતિમાં પણ ઈતિહાસ વણી જ લેવાય છે એની આમને કશી ગતાગમ નહોતી !

જો ભારતમાં ઇતિહાસનો સૌ પ્રથમ ગ્રંથ કાશ્મીરના ઈતિહાસને વણી લઈને કલ્હણે “રાજતરંગીણી” લખ્યો હોય એ પણ ઇસવીસનની ૧૨મી સદીની મધ્યમાં તે પણ ૧૧ જેટલાં ગ્રંથોનું અધ્યન કર્યા પછી અને એ પણ પાછું કાવ્યાત્મક રીતે તો આપણા ગુજરાતી સમકાલીન સાહિત્યકારો કેમ નહીં ! કારણકે તેઓ ને તો માત્ર અનુમાન જ કરતાં આવડે છે કંઈ ઈતિહાસ લખતાં થોડો આવડે છે. ચલો ઈતિહાસ લખતાં ના આવડે તો ના સહી પણ એ સમયના ગુજરાતનું તો સાચું વર્ણન કરવું હતું.

જો બુદ્ધિપ્રકાશ નામનું મેગેઝીન ના હોત ને તો આજે પણ અપને સાચાં ઇતિહાસથી તો દૂર જ હોત. જેટલી પણ પ્રશસ્તિઓ આપણને વાઘેલાયુગની જાણવા મળી છે એ આ બુદ્ધિપ્રકાશ મેગેઝીનનેલીધે જ. જેનાં પ્રદાનને આજે આપણા કહેવાતા સોશિયલ મીડિયા અને ન્યુઝ ચેનલોવાળાએ ઉવેખ્યું છે, હું તો આ બુદ્ધિપ્રકાશ મેગેઝીનનો અભાર માનું છું હોં ! તમે પણ માનજો હોં ! એ મેગેઝીન જયારે આવી વાતો છાપતું હતું ત્યારે લોકોને એમ લાગતું હતું કે આવું શું છાપવાનું વળી આમાં કોને રસ પડે વળી. આવું માનવાવાળો હું પણ એક હતો મિત્રો પણ મને નહોતી ખબર કે આજે ૩૫ વરસ પછી મને એ જ બુદ્ધિપ્રકાશની મહિતીઓ કામે લાગવાની હતી તે ! ખુબ ખુબ આભારી છું આ બુદ્ધિપ્રકાશ મેગેઝીનનો હું !

ઇતિહાસમાં જેટલું મહત્વ માહિતીનું છે એટલું જ મહત્વ એનાં નિરૂપણનું પણ છે. ગુજરાતનો એક રાજા આજે એટલે જ ન્યાય માંગી રહ્યો છે કે — “હે ઈતિહાસ તે મને જેટલો ખોટો ચીતર્યો છે એટલો હું ખોટો કે લંપટ છું જ નહીં. આજે એ જવાબદારી ઈતિહાસ રસિકોની અને જે લોકો ઈતિહાસ લેખો લખી રહ્યાં છે તેમની છે કે મને સાચો ઠેરવો અને મને ન્યાય અપાવો. હું ખરેખર લંપટ નથી અને શું હું વહાલસોયી પુત્રી કે પ્રાણપ્યારી પત્નીને આ જાલિમ હવસખોર મલેચ્છોને સોંપું ખરો. બળજબરીથી તેઓ મારી પત્ની અને પુત્રીને લઇ જાય તો હું અને એ ;લોકો જાતે જ મરી જાય અને શું હું જીવતો રહી શકું ખરો ! અરે હું રાજપૂત છું તો મારી પત્ની અને મારી પુત્રી પણ રાજપુતાણી જ હતી. શું તમને રાજપૂતોના રીતરીવાજો ખબર નથી કે શું ? તે તમે આવી વાતોને આગળ ધરો છો ? માધવ દેશદ્રોહી કે રાજદ્રોહી નહોતો એને આ ઈતિહાસકારોએ અને કમબખ્ત મુસ્લિમોએ જ એને ખરાબ ચીતર્યો છે. જો કે મુસ્લિમો એ તો એક કાવ્યનો સહારો જ લીધો છે મૂળ આ એક કાવ્ય છે જેને લીધે મને,મારી પત્નીને અને માધવને ખરાબ ચીતર્યા છે. હકીકત શું છે એક ભાઈ શ્રી જન્મેજયભાઈ મારાં પર એક લેખ લખી રહ્યાં છે એમાં જ તમને મારા વિશેની સાચી હકીકતની અને સચ્ચાઈ શું શું હતી અને શું છે તેની તમને ખબર ખબર પડશે તો એમની કલમ દ્વારા જ તમે મારી હકીકત અરે નર્મદની નહિ ભાઈ મારી એટલે કે કર્ણદેવ વાઘેલાની સાચી હકીકત જાણી શકશો. હું તો ત્યારે એક ભટકતો આત્મા છું એટલે તમારે એ ભાઈની કલમમાં જ વિશ્વાસ રાખવો પડશે હું તો રજા લઉં છું તમારી હવે એ ભાઈ જાણે અને એમની કલમ જાણે ! આશા છે કે મને એ ન્યાય અપાવી શકશે અને મારાં માથા પર લાગેલું કલંક ધોઈ શકશે …..” ——– એક ન્યાય માંગતો રાજા કર્ણદેવ વાઘેલા !

“હે રાજા કર્ણદેવ વાઘેલા હું બીડું ઝડપું છું અને કસમ ખાઉં છું કે હું તમને ન્યાય અપાવવામાં સફળ રહીશ !” ——— જનમેજય અધ્વર્યુ

ઈતિહાસ લેખન એટલે શું ? જે લખાય છે તે જ ઈતિહાસ છે ખરેખર . જવાબ તો “ના”માં જ આપવો આપવો પડે તેમ છે. જો એમ જ હોય તો તો પછી જે રીતેઆ લોકકથાઓ અને શૌર્યગાથાઓ ઓ ફૂટી નીકળી છે તે જોતાં તો મુસ્લિમો કોઈ યુદ્ધ જીત્યાં જ નહોતાં અને દરેક વખતે એમનો સામનો રજપૂતોએ કરેલો છે તેમ છતાં ઇતિહાસમાં તો કૈંક જુદું જ બન્યું છે જેને અંખ આડા કાન કરી જવા દેવામાં આવે છે . જે ગુજરાતમાં રાજા કર્ણદેવ અને ત્યાર પછીનાં રાજાઓ માટે પણ આવું જ બન્યું છે. આવું કેમ કરતાં બન્યું એ જ તો ઈતિહાસ છે અને ઇતિહાસનું એ જ કર્તવ્ય છે કે એ કેમ બન્યું તેનું સાચું વર્ણન અને નિરૂપણ કરે ! ઈતિહાસ એ કાર્ય આપણી પાસે જ કરાવે છે. થોડીક જાણકારી આ ઈતિહાસ લેખન – આલેખન વિષે આપી જ દઉં.

ભૂતકાળના અવશેષો તથા દસ્તાવેજોનું તલસ્પર્શી પરીક્ષણ તથા પૃથ્થકરણ કરવાની પ્રક્રિયાને ઐતિહાસિક પદ્ધતિ કહી શકાય. ઇતિહાસનું આલેખન સતત દરેક કાળમાં વિવિધ રીતે થતું જ રહ્યું છે.ક્યારેક રાજકીય પાસાં ઉપર તો ક્યારેક સામાજિક પાસાં ઉપર ભાર મુકાયેલો જોવાં મળે છે. ક્યારેક કેટલાંક ગ્રંથોમાં વર્ણનો પ્રાપ્ત થાય છે, તો કેટલાંકમાં કેવળ સાલવારીનાં ચોકઠામાં પુરાયેલી વિગતો જોવાં મળે છે.એથી જ ઇતિહાસની બદલાયેલી વિભાવના તપસ્વી જરૂરી છે. ઈતિહાસ એટલે માત્ર રાજકીય એવો માર્યાદિત અને એકાંગી ખ્યાલ હવે અસ્તિત્વ ધરાવતો નથી. આગાઉ રાજા – મહારાજાની વંશાવલીઓ, તેમણે કરેલાં યુધ્ધો, પ્રાપ્ત થયેલાં કે મારીમચડીને વિજયી ઘોષિત કરાતાં વિજય વર્ણનો, એમનાં રાજમહેલો અને પોષાક રસપ્રદ વર્ણનો, રાણીઓની વીરતા અને તેમનું નજાકત ભરેલું સૌન્દર્ય , રાજાઓના પરાક્રમ અને એમની પ્રેમ ગ્રાથા અને એમના ઝાકઝમાળ ભર્યા સ્વયંવરો, મંત્રીઓની વિચક્ષણ બુદ્ધિ પ્રજાની જાગરૂકતા, શિલ્પ સ્થાપત્ય અને કિલ્લાઓનું બાંધકામ અને તેનાં વર્ણનો એટલે ઈતિહાસ એવો ખ્યાલ પ્રવર્તતો હતો. પરંતુ ઈતિહાસ વિશેનો આ દ્રષ્ટિકોણ સમૂળગો બદલાઈ ગયો છે. સાલવારીનું કેવળ શુષ્ક નિરૂપણ હવે ઇતિહાસનો પ્રાણ રહ્યો નથી.જો કે એનો ઈજારો તુટ્યો છે પરંતુ એનાં મહત્વ કે ઉપયોગીતા બિલકુલ ઘટ્યાં નથી. હવે તો ….. ઈતિહાસલેખનની બદલાયેલી વિભાવનામાં માનવી કેન્દ્રસ્થાને મુકાયો છે.આમ તો રાજા -મહારાજા -રાણીઓ – મંત્રીઓ -સૈનિકો અને પ્રજા પણ માનવીઓ જ છે છે ને! ઈતિહાસ એક અર્થઘટન છે જેમાં ભાષા શબ્દોનું બહુજ મહત્વ છે સાલવારી ખોટી હોય તોય શું ભાવ ના બદલાવવો જોઈએ ક્યારેય પણ ! પણ ઇતિહાસના કેન્દ્રવર્તુળમાં સ્થિત આ માનવી સમાજની જ એક સાધારણ વ્યક્તિ છે. અર્થાત … આવાં માનવીઓની અભિપ્સાઓ, જે સમાજમાં તે રહે છે તે સમાજની વિવીવિધ સંસ્થાઓ, કલા, ધર્મ, સાહિત્ય,વિજ્ઞાન વગેરે ક્ષેત્રમાં થયેલા વિકાસ આ બધું હવે ઇતિહાસનો વિષય બનીને આવે છે.આથી જ માનવીના સઘળાં કાર્યો એ ઈતિહાસનું “વસ્તુ” બની શકે છે.
રવીન્દ્રનાથ ટાગોર કહે છે તેમ — “There is Only One History — The History Of Man.”

ઈતિહાસ સંશોધન – આલેખન – લેખનમાં ચાર બાબતો પાયાની ગણાય છે.જેને ઇતિહાસના આયામો તરીકે ઓળખાવી શકાય છે. આ ચાર બાબતોના સંયોજનમાંથી ઈતિહાસતત્વનું નિર્માણ થાય છે
ક્યાં છે આ ચાર આયામો ? તો લો આ રહ્યાં એ ચાર આયામો —

  • (૧) સમય
  • (૨) સ્થળ
  • (૩) સમાજ અથવા વ્યક્તિ
  • (૪) ઘટના

આમ તો આ ચારેય ભિન્ન છે છતાંય પરસ્પરના સબંધોની વિના આ ચારેય અધૂરાં છે.આ ચારેયમાંથી એકની પણ અનુપસ્થિતિથી ઈતિહાસલેખન સંભવી શકતું નથી. મતલબ કે સમય સ્થળ અને સમાજ/વ્યક્તિ કે સમયની ચોકડી ઉપર ઈતિહાસલેખન આકાર ધારણ કરે છે. એટલે કે ઈતિહાસલેખનમાં કોઈપણ પાસાંને, બનાવને કે પ્રસંગને આલેખતી વખતે આ ચાર લક્ષણોને ધ્યાનમાં રાખવા આવશ્યક છે. ઈતિહાસલેખન એટલે ભૂતકાળના માનવજીવનનું સંપૂર્ણ ચિત્ર એમ કહી શકાશે, નહીં, પરંતુ તેનું શક્ય તેટલું મર્યાદા સાથેનું વિવરણ એમ કહેવું ઉચિત ગણાય અને એમ કહીએ તો તે જરાય ખોટું પણ નથી કે ઈતિહાસલેખન એ સર્જન નથી પરંતુ દસ્તાવેજો મારફત થયેલ હકીકતોના સર્જન પરનું સર્જન છે અને એટલે જ એ કાલ્પનિક વાર્તા, કવિતા, નાટક, નવલકથા વગેરેના સર્જનોથી અલગ પડે છે.

ઇતિહાસમાં કલ્પના કે ચિંતન વ્યક્ત કરવાં માટેનાં કોઈ ચોક્કસ નિયમો નથી. જેવી ઘટના તથા તેના પરિબળો તે પ્રમાણે તેનાં પરનું ઈતિહાસ્કારનું ચિંતન રજૂ થાય છે. પરંતુ એટલું તો નિશ્ચિત છે કે વાસ્તવિક ચિંતન – લેખન કે કલ્પના માટે ઇતિહાસકારણે વર્તમાન સમયની કે વિષયને લગતાં પૂરાવાઓની પૂરી જાણકારી હોવી જરૂરી છે. ઈતિહાસ લેખન માટે હકીકતની શુદ્ધતાની સાથે તેની યોગ્ય ગોઠવણી કે તેનું સંકલન પણ તદ્દન આવશ્યક છે. વિષયવસ્તુ પુરતી અને યોગ્ય હોય પણ જો તેનું સંકલન કે ગોઠવણી બરોબર ન હોય તો તે વાચકને ગ્રાહ્ય બનતી નથી. આ માટે મુદ્દાની ઉપયોગીતા અને હકીકતના ક્રમ પ્રમાણે તેનું યોગ્ય સંકલન થવું જોઈએ અને આવા સંકલન થકી આલેખન સરળ અને ગ્રાહ્ય બનતું હોય છે. કોઇપણ ઘટના કે સંસ્થા, વ્યક્તિ, સ્થળ કે કોઈપણ સમયનો લખવાં માટે નીચેની બાબતો અનિવાર્ય ગણાવી શકાય.

  • [૧] હકીકતનું પુરાવા સહિત અર્થપૂર્ણ આયોજન અને લેખન
  • [૨] વિષયને અનુરૂપ હોય અને હકીકતનું પુરાવા સહિત સમર્થન કરે તેવાં સાધનોમાંથી પ્રસ્તુત ફકરા ટાંકવા જેથી વિધાન સ્પષ્ટ બને અને પુરતું શ્રદ્ધેય બને. હકીકતની પુરેપુરી વાસ્તવિકતા તથા આધારભૂતતાનાં નિરૂપણ માટે આ મહત્વની બાબત ગણાય છે.
  • [૩] અસ્તિત્વ ધરાવતાં અસલ કે સમકાલીન અવશેષો, પદાર્થો, દસ્તાવેજો છાપેલી કે હસ્તપ્રતોની સાહિત્યિક સામગ્રી તેમજ સાહિત્ય વગેરે…
  • [૪] આધારભૂત ન હોય તેવી અશ્રદ્ધેય સામગ્રીનેધ્યાનમાં ન લેવી.

આમ, ઉપરોક્ત ચારેય મુદ્દાઓને પરસ્પર એવી રીતે સાંકળવા જોઈએ કે ઈતિહાસલેખન પદ્ધતિનું એક ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત સ્થાપિત થાય. એમ પણ કહી શકાય કે સંશોધન એટલે કુદરતના રહસ્યો ખોલવા – પ્રકૃતિના કાલસુષુપ્ત પરીક્રમોને સમુદ્યોતિત કરવા અર્થાત નહિ શોધાયેલું વ્યક્તિ અને સમષ્ટિના જીવનનાં ઉદ્વિકરણમાં કેવી રીતે સહાયભૂત થઇ શકે એ જોવાની વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને દરેક પળે પરિષ્કૃત કરવાની તત્પરતા. મહાકવિ ન્હાનાલાલનો ઈતિહાસલેખન વિશેનો વિચાર જોવાં જેવો છે તે જોઈ લઈએ આપણે — ભૂતકાળ સાચો વાંચવો અઘરો છે. ઘડાતાં ઈતિહાસ સાચા પારખવા અને સાચા ભાખવા એ ઓછું કપરું નથી. કોઈ એને Extrism કહી ભાંડશે તો કોઈ એને Loyalty કહેશે. જો ઘડાતાં ઈતિહાસ પારખનાર વિશાળ હૃદયના અને સત્યવક્તા હશે, તો યુગ સ્મૃતિકર નીવડશે

ઈતિહાસ લેખન કેવું અને કેવી રીતે થયું તે તો આપણે જોયું, નથી જોયું તો એનું વરવું વાસ્તવિક રૂપ જે આપણે અહીં જોવાનાં છીએ. જે લખાય છે તે તો ઈતિહાસ જ નથી એવું તમને લાગશે એટલાં માટે જ તો આ ઈતિહાસ આલેખનની કથા તમારી આગળ કરી છે. ટૂંકમાં ….. ઈતિહાસ એ ઈતિહાસ ત્યારે જ કહેવાય જયારે એનું નિરૂપણ સાચું અને તટસ્થ રીતે થયું હોય. જે આ રાજમાં તો નથી જ બન્યું. કેટલાક ઈતિહાસકારોના મત પર બીજાં ઈતિહાસકારો ચડી બેઠાં છે જે સાવ ખોટું તો નથી જ પણ એમાય જયારે કેટલાક ઈતિહાસકારો ખોટાં નીરુપાયેલા ઇતિહાસનો બચાવ કરે છે ત્યારે દુખ અવશ્ય થાય છે. જો કોઈ સમકાલીન સાહિત્યકારે કે ઇતિહાસકારે વાઘેલાવંશના છેલ્લા રાજા કર્ણદેવ વાઘેલા પર લખ્યું હોત તો વધારે સારું થાત ! જે બે સાહિત્ય “કાન્હડદે પ્રબંધ ” અને “હમીર રાસો” માં કર્ણદેવની ઘટનાનું નિરૂપણ બિલકુલ વરવી રીતે જ થયેલું છે. જૈન સાહિત્યકારોએ આ ઘટનાનો આછડતો ઉલ્લેખ આપવાનો એક પ્રયાસ જરૂર કર્યો છે પણ એ માત્ર પ્રયાસ જ બનીને રહી ગયો છે. આ બધા ગ્રંથો અને ખાસ તો મુસ્લિમ સાહિત્યકારોએ જે ખોટાં નિરૂપણો કર્યા છે અને હકીકત અને આબરુને નેવે મૂકી દીધી છે તેની વિગતે વાત આગળ જતાં કરવાની જ છે. આ તો માત્ર ઈતિહાસ એટલે શું અને તે કેવો હોવો જોઈએ અને કેવી રીતે લખાવો જોઈતો હતો એની તરફ જ આંગળી ચીંધી છે હજી રીતસરના માછલાં ધોવાનાં તો બાકી જ છે !

રાજા કર્ણદેવ વાઘેલા ઉપર આવતાં પહેલાં આપણે વિશ્વમાં તે સમયે કે તે સદીમાં બનેલી સાંપ્રત ઘટનાઓ જોઈ લઈએ……. ઇસવીસન ૧૨૨૧માં વેનીસે મંગોલ સાથે વેપારના કરાર કર્યા હતાં. ઇસવીસન ૧૨૩૭ થી ઇસવીસન ૧૨૪૦ દરમિયાન મંગોલ રાજ્યને કીયેવન રશ સાથે યુદ્ધ થયું હતું. ઇસવીસન ૧૨૫૮માં બગદાદણે મંગોલોએ કબજે કર્યું અને તેનો નાશ કર્યો હતો. ઇસવીસન ૧૨૭૯માં યેમેનનીની લડાઈમાં મંગોલોને હાથે સોંગ રાજવંશનો અંત આવ્યો હતો. ઈસ્વીસન ૧૨૮૫માં મંગોલોએ નોગાઈ ખાનના નેતૃત્વ હેઠળ હંગેરી પર હુમલો કર્યો હતો. ઇસવીસન ૧૨૯૩ની ૧૦મી નવેમ્બરે જવામાં હિંદુ સામ્રાજ્યની સ્થાપના થઇ હતી. ઇસવીસન ૧૩૦૦માં ઇન્ડોનેશિયાનાં Aceh પ્રદેશમાં ઇસ્લામ ધર્મની સ્થાપના થઇ હતી. આ જ સદીમાં શ્રી ઈન્દ્રાદિત્યે પ્રથમ સીયામીઝ રાજવંશની સ્થાપના કરી હતી. આજ સદીમાં ચીને ઇસ્લામિક પવનચક્કી પોતાનાં દેશમાં પ્રચલિત કરી હતી. ભારતનાં મંદિરોની વાત કરીએ તો એક લક્ષ્મી નરસિંહ મંદિર જે હોય્સલ સ્થાપત્યનો ઉત્તમ નમુનો છે તે નુગ્ગેહાલીમાં બંધાયું હતું.તો ગુજરાતના દાહોદ પાસે બાવકામાં એક અતિસુંદર શિવ મંદિર પણ આ જ સદીમાં બન્યું હતું. બીજી વાતો પછી કયારેક ……..

રાજા કર્ણદેવ વાઘેલાની શરૂઆત શરૂઆત કરીએ એ પહેલાં થોડીક પૂર્વભૂમિકા બાંધી અલીએ એ અલાઉદ્દીન ખિલજીનાં આક્રમણ પહેલાં એ જાણવી બહુ જ જરૂરી છે. ઇસવીસન ૧૨૦૬માં બખ્તાવર ખિલજીએ બંગાળમાંથી બૌદ્ધ ધર્મને સમાપ્ત કરી દીધો હતો. આનું પરણામ એ આવ્યુ કે બંગાળએ ભારતમાં ઘૂસવાનો એક આસાન રસ્તો હતો તેનો ઉપયોગ મંગોલ આક્રમણકારોએ ભરપુર પ્રમાણમાં કર્યો છે અને તે પણ આ જ ૧૩મી સદીમાં, મંગોલ ભાર તમાં આસામ અને બંગાળમાં થઈને જ ઘુસવા માંગતા હતાં. આ બંગાળ પર જયારે બખ્તાવર ખીલજીએ મુસ્લિમ ધર્મની બોલબાલા વધારી ત્યરે એની અસર મ્યાનમાર પર પણ પડી હતી. તે સમયે ત્યાંની પ્રજા અને અને બહાર થી આવેલાં મુસ્લિમોનો વસવાટ બંગાળ, આસામ, મણીપુર, નાગાલેન્ડ , મિઝોરમ, ત્રિપુરા અરુણાચલ પ્રદેશ એટલે કે પૂર્વના રાજ્યોમાં અને મ્યાનમારમાં થઇ જ ચુક્યો હતો. અધૂરામાં પૂરું જયારે ભારતમાં જલાલુદ્દીન ખિલજીનું રાજ્ય હતું ત્યારે મંગોલ આક્રમણો થયાં જ કરતાં હતાં તે વખતે જલાલુદ્દીન ખિલજી દ્વારા તાજેતરમાં જ નીમાયેલા એક કમાન્ડર ગુરુશાસ્પ ખાને આ આક્રમણો ખાળ્યા હતાં. આક્રમણની નાસ- ભાગથી થાકી જઈને ઘણાં બધાં મંગોલ લોકો એટલે કે સૈનિકોને ભારતમાં રહેવાં માંગતા હતાં. કારણ કે મંગોલીયા તો એક અતિપછાત દેશો હતો અને તેમની કીર્તિ જે ચંગેઝ ખાંએ ઉભી કરી હતી તેવી નહોતી રહી. એનું એક કારણ એ પણ છે કે જે દુષ્કૃત્ય ચંગે ઝ ખાંએ અચરવાનું શરુ કર્યું હતું અનેકોને પત્ની બનવી તેમને સગર્ભા બનવવાનું તે તેનાં પુત્રો અને પૌત્રોમાં વારસાગત ઉતરી આવે એ સ્વાભાવિક જ છે. કારણકે તેમનો જન્મ પણ એ જ રીતે થયો હતો. હવે આમાં સાચો વારસદાર કોણ એ તો નક્કી કરવું અતિમુશ્કેલ કાર્ય જ હતું . તેમ છતાં તેઓ પોતાનાં બાહુબળ વડે મંગોલ સેનાનું નેતૃત્વ કરતાં રહ્યાં. પણ સામનાઓ વધુ થવાં લાગ્યાં ખાસ કરીને એશિયામાં અને એમાં પણ ભારતમાં.

ભારતની ભૌગોલિક સ્થિતિથી તેઓ અજ્ઞાત જ હતાં તેમાં વળી શરુઆતમાં ઈલ્તુમીશ અને પછીથી ખિલજી સામે એમને રીતસરની નાલેશી જ વહોરવી પડી હતી . ઈલ્તુમીશ સમયે તો બહુ નાના પાયે આક્રમણો થયાં હતાં પણ ગુરુશાસ્પ ખાને તો એમને એમના જ પદેશમાં એમને હરાવ્યાં હતાં એટલે તેઓ હવે આ આક્રમણોથી એવા કંટાળ્યા હતાં અને ભારતની સમૃદ્ધિ જોઇને એવાં તો ચકાચોંધ થઇ ગયાં હતાં કે તેઓ ભારતમાં કાયમ માટે રહી જવાં માંગતા હતાં. તે સમયે ભારતમાં ખિલજી વંશના સ્થાપક જલાલુદ્દીન ખીલજીનું શાસન હતું . જલ્લાલુદ્દીન ખિલજી ચુસ્ત મુસ્લિમ શાસક હતો. તેણે આ મોકાનો ફાયદાનો ઉઠાવ્યો તેણે એ અસંખ્ય લોકોને એમ કહ્યું કે ” જો તમે ઇસ્લામ ધર્મ સ્વીકારતા હોવ તો તમને ભારતમાં રહેવાની કાયમી છૂટ આપવામાં આવે છે.” આ વાત મંગોલોએ રાજીખુશીથી સ્વીકારી લીધી અને ભારતમાં ઇસ્લામીકરણનો પાયો નંખાઈ ગયો. આ લોકોને તો ભાવતું’તુંને વૈદે કીધું એવું થયું. ભારતમાં ઘર મળ્યું અને પોતે લડાયક કોમ હોવાથી સૈન્યમાં નોકરી પણ. બાકીના સમયમાં તેઓએ વંશવૃદ્ધિ વધારવાનું જ કાર્ય કર્યું . જેને આજે આપણે રોહીન્યા મુસ્લિમો કહીએ છીએ અને જે આજે ભારત માટે એક નાસૂર બનેલો પ્રશ્ન છે તેનાં મૂળમાં આ લોકો જ છે તેઓએ કાળક્રમે પોતાનો વસવાટ અને વસ્તીવધારો આ મ્યાનમારમાં પણ કર્યો અને મંગોલિયામાં પણ. ભારત પણ આમાંથી બાકાત નહોતું રહ્યું. આ કમ્બખત મોગલો એ એમનાં જ ફરજંદો છે. જો કે મંગોલ આક્રમણો ત્યાર પછી અટકવાના તો નહોતાં જ પણ એમને કારમી શિકસ્ત જરૂર મળવાની હતી અલાઉદ્દીન ખિલજી દ્વારા પણ તેમાં પણ આ ભારતમાં રહેલાં મંગોલોનો બહુ મોટો હાથ છે. જોકે આ લડાયક પ્રજાને નેતૃત્વ પૂરું પાડનાર એક સેનાપતિ કે જેનું નામ છે ઉલુગખાન જેને લાવનાર હતો આ અલાઉદ્દીન ખિલજી કારણકે એ એનો ભાઈ હતો તેનો સિંહફાળો હતો એમાં. આ જ ઉલુગ ખાનની મદદથી જ અલાઉદ્દીન ખિલજીએ ઈસવીસન ૧૨૯૬માં કાકા જલાલુદ્દીન ખિલજીની હત્યા કરી દિલ્હીની ગાદી મેળવી હતી અને જલાલુદ્દીનની પુત્રી સાથે લગ્ન પણ કર્યા હતાં. આ ઉલુગ ખાનનું મૂળ નામ અલ્મસ બેગ હતું .

આ ઇસ્લામીકરણ, આ જ અલાઉદ્દીન ખિલજીની મહત્વાકાંક્ષા અને એનું ધર્મઝનુન અને આજ ઉલુગખાનની લડાયકતા એ માત્ર ગુજરાતને જ નહીં પણ સમગ્ર ભારતને નડવાનું હતું તેનાથી તો આપણે સૌ અજાણ જ હતાં ! અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આકરણ કેમ કર્યું ? એની વાત એ આક્રમણ વખતે કરીશું હવે તો રાજા કર્ણદેવ વાઘેલા પર આવી જ જઉં
ઘટે.

રાજા કર્ણદેવ વાઘેલા

રાજા કર્ણદેવ વાઘેલા એ રાજા રામદેવનો પુત્ર અને રાજા સારંગદેવનો ભત્રીજો થાય. રાજા રામદેવને આ કર્ણદેવ સિવાય કોઈ બીજાં પુત્ર કે પુત્રી ન્હોતાં. રાજા કર્ણદેવ વાઘેલાની માતા કોણ હતી તેની માહિતી કોઈ પણ સમકાલીન ગ્રંથોમાંથી ઉપલબ્ધ નથી થતી એટલે એ ખબર નથી જ પડતી આપણને કે એમની માતાનું નામ શું હતું તે ! રાજા કર્ણદેવ પિતાની હયાતીમાં કદાચ યુવરાજ પદે નહોતાં પણ રાજા સારંગદેવના સમયમાં તેઓ જરૂર યુવરાજ પદે હતાં કારણકે રાજા સારંગદેવ તો અપુત્ર હતાં. રાજા સારંગદેવે જે વિજયો મેળવ્યા હતાં અને જે લોકોપયોગી અને પરોપકારી કાર્ય કર્યા હતાં તે યુવરાજ કર્ણદેવે જ કર્યા હતાં. તેમના સમયના મંત્રીઓનો પણ રાજા કર્ણદેવના સમયમાં ચાલુ જ રહેલાં હતાં જેમકે મહામાત્ય માધવ. આ માધવ એ રાજા સારંગદેવના સમયમાં પણ મહામાત્ય હતાં. રાજા સારંગદેવના અવસાન પછી રાજા કર્ણદેવ વાઘેલા રાજા બન્યાં ઇસવીસન ૧૨૯૬માં. આ જ વર્ષમાં દિલ્હીની ગાદી સુલતાન અલાઉદ્દીન ખિલજીએ પ્રાપ્ત કરી હતી. રાજા સારંગદેવ ૨૧ વરસનું સુદ્રઢ શાસન કરી અવસાન પામ્યા હતાં. રાજા કર્ણદેવ વાઘેલા જયારે રાજા બન્યાં ત્યારે એમને એ તો નહોતી ખબર કે તેઓ ગુજરાતના છેલ્લા રાજપૂત શાસક બનવાના છે તે ! પણ મળી આવતાં સર્વ સાધનો પરથી જણાય છે કે રાજા કર્ણદેવ વાઘેલા ગુજરાતમાં પાટણની ગાદીએ આવનારા ચૌલુક્ય વંશની વાઘેલા શકાહનો છેલ્લો રાજવી હતો.

રાજ્યારંભ ——

આગળ રાજા સારંગદેવમાં જોયું કે — રાજા સારંગદેવના રાજ્યનો અંત સંવત ૧૩૫૩માં આવ્યો હોય એમ જણાય છે. રાજા કર્ણદેવના સમયના મળી આવેલા લેખોમાં માંગરોળના લેખનું સંવત અસ્પષ્ટ છે જયારે ઇડરની મુરલીધર મંદિરના લેખની સંવત ૧૩૫૪ન કાર્તિક સુદ અગિયારસણે રવિવાર સ્પષ્ટ છે. જ્યોતિષની ગણતરીએ માંગરોળના લેખની સંવત ૧૩૫૩ હોવાનું જણાય છે. વિચારશ્રેણીમાં રાજા કર્ણદેવ વાઘેલા રાજગાદી પર બેઠાંનું વર્ષ વિક્રમ સંવત ૧૩૫૩ આપેલું છે. આ સર્વ પ્રમાણો જોતાં રાજા કર્ણદેવનાં રાજ્યનો આરંભ સંવત ૧૩૫૩માં થયો હોવાનું સંભવે છે.

રાજ્યવિસ્તાર ——–

રાજા સારંગદેવનું રાજ્ય આબુ, સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી તેમ જ દક્ષિણમાં લાત સુધી વિસ્તાર પામ્યું હતું. કર્ણદેવના સમયમાં પણ એ જ વિસ્તાર કાયમ રહ્યો હોય તેમ જણાય છે. સૌરાષ્ટ્રના માંગરોલમાંથી તેમના સમયનો લેખ મળી આવ્યો છે. તેમ જ સંવત ૧૩૫૪ની ઇડરની મુરલીધર મંદિરની પ્રશસ્તિમાં છેક આનાકથી રાજા કર્ણદેવ સુધીની વંશાવલી આપી છે.

હવે જ શરુ થશે જેનાથી આપણે દૂર ભાગીએ છીએ તે ખિલજીના આક્રમણ અને તેના કથિત ખોટાં નિરૂપણથી. હવે જ મતમતાંતરો શરુ થવાનાં છે અનેકો વિરોધાભાસો છે એમાં અને એમાં જ ઈતિહાસ ખોટો ચીતરાયેલો છે. એની વિગતવાર ચર્ચા અને મારાં ચાબખાં માટે તૈયાર રહેજો. આ ખાલી એક પૂર્વભૂમિકા રૂપ લેખ જ છે પણ તે જરૂરી છે વાંચજો સૌ. બાકીનું બધું ભાગ -૨માં આવશે.

ભાગ – ૧ સમાપ્ત. ભાગ – ૨ હવે પછીના લેખમાં !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!

——– જનમેજય અધ્વર્યુ.

આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!