“ઉકરડી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 44

ઉત્તર ગુજરાત અને લગભગ આખા ય ગુજરાતમાં લગ્ન પ્રસંગે ઉકરડી બેસાડવાની વિધિ થાય છે. ઉકરડી રાતના સમય બેસાડવામાં આવે છે પ્રગટાવેલ રામણદીવો અને પાણી ભરેલ તાંબાનો લોટો હાથમાં લઈ કુટુંબની સ્ત્રીઓ ગીતો ગાતી ગાતી શેરીના નાકે પરંપરાગત રીતે જે સ્થળે ઉકરડી બેસાડાતી હોય તે સ્થળે સ્ત્રીઓ ગોળ કુંડાળું કરી બેસે છે પોખનારી સ્ત્રી તે જગ્યાને લીપે છે અને ચુંદડીના છેડે બાંધી લાવેલ સોપારી અને પૈસો દાટે છે તેની પર છાણ મુકી દેવામાં આવે છે.

આ પ્રસંગે ઉકરડી બેસાડનાર સ્ત્રીનો દિયર તેના વાંસામાં જોરથી ધુબ્બો મારે છે અને એક હાસ્યનું વાતાવરણ સર્જાય છે. આ આખાય પ્રસંગમાં કોઈ પુરુષ હાજર હોતા નથી લોકમાન્યતા એવી છે કે પુરુષ હાજર રહે તો તેને આ ઉકરડી ખૂબ હેરાન કરે છે બીજી પ્રથા એવી પણ હતી કે ઉકરડી બેસાડી પાછા વળતાં એક શબ્દ પણ ન બોલવું.

બીજી એક પ્રથા એવી પણ છે કે જ્યાં સુધી લગ્ન પતે પછી ઉકરડી ઉઠાડાય નહિ ત્યાં સુધી ઘરનો તમામ કચરો જ્યાં ઉકરડી બેસાડી હોય ત્યાં નાખવામાં આવે છે. લગ્ન પૂરા થાય પછી ઉકરડી ની જગ્યાએ મૂકેલી સોપારી ને પૈસો છોકરાઓને આપી દેવામાં આવે છે અને ત્યાં પડેલો કચરો ચકાસવામાં આવે છે કે ઘરનુ કઈ કામનું તો નથી આવી ગયું??

આમ આ પ્રથા પણ આપણા લગ્ન પ્રસંગો સમય સુતર પાર પડશે એવી શ્રદ્ધા અને વિશ્વાસ ઉભો કરે છે જેથી કુટુંબીજનો નિરાંતે લગ્ન પ્રસંગ મજા નિશ્ચિત થઇ માણે છે કેટલીક પ્રથાઓને આપણે કદાચ અંધશ્રદ્ધા લડતા હોય એ ગણતા હોઈએ પણ સાથે સાથે મનોવૈજ્ઞાનિક પદ્ધતિનો એક ભાગ કેમ ન ગણાય??

આપણા તમામ તહેવારો કે પરંપરા પાછળ કોઈને કોઈ કથા કે દંતકથા જોડાયેલી હોય છે આ ઉકરડી બેસાડવા પાછળ પણ એક દંત કથા છે હા કથા એવી છે કે…..

વર્ષો પૂર્વે એક સંસ્કારી બ્રાહ્મણનો દીકરો કાશીથી વિદ્યા મેળવી પોતાના ગામે પરત આવતો હતો તે જમાનામાં આજના જેવી વાહન વ્યવસ્થા નહોતી જ્યાં પણ જેવું હોય ત્યાં ઘોડા બળદગાડી નો વપરાશ થતો પણ મોટેભાગે બ્રાહ્મણ ગરીબ ગણાતા માટે આ બ્રાહ્મણ દીકરો પગે ચાલતો કાશીથી આવતો હતો રસ્તામાં તરસ્યો થયો તેણે જોયું કે સામે કોઈ ગામ છે તે ઝડપથી પાણી મેળવવા માટે ગામને પાદર આવેલા કુવા પર આવ્યો તે ખૂબ જ તરસ્યો હતો કુવા પર એક યુવતી દોરડાથી પાણી ખેચતી હતી. બ્રાહ્મણ યુવકે આ યુવતીને એવું કહ્યું કે બ્રાહ્મણ છું મને પાણી પીવડાવો.. યુવતીએ તેને પાણી પીવડાવ્યું… ખોબે ખોબે પાણી પીતાં પીતાં બેઉની નજર મળી..જાણે એક જાદુ થયો..વિજાતીય આકર્ષણે જોર પકડ્યું… બેઉની ઉમર મુગ્ધાવસ્થાવાળી ગણાય તેવી.. બ્રાહ્મણ પુત્રને યુવતીના મન કોણ જાણે કેમ મન મળી ગયા?? બ્રાહ્મણપુ્ત્રે અને આ યુવતીએ નક્કી કરી લીધુ કે પરણીશું તો આપણે બેઉ..બાકી કુંવારી રહીશુ…

પાછળ જતા તપાસ કરતા તે બ્રાહ્મણ પુત્રે જાણ્યું કે આ કન્યા હરીજન બ્રાહ્મણની પુત્રી છે. એ જમાનામાં આવા આંતરજ્ઞાતિય લગ્ન અંગે વિચાર કરવો પણ દોહ્યલો હતો. બંનેના વડીલો આ લગ્ન માટે ક્યારેય તૈયાર થાય તે સમયના રૂઢિઓ મુજબ અશક્ય હતું…

આમ બધી જાતનો વિચાર કરી તેઓને એમ લાગ્યું કે આપણા લગ્ન શક્ય નથી આ નિરાશ યુગલે તેજ કૂવામાં પડી ને મોતને વહાલું કર્યું. હવે વાત બની હિન્દી ફિલ્મ જાની દુશ્મન જેવી બની કમોતે મરવાથી બંને પ્રેત યોનિમાં ગયા હોવાથી જ્યારે જ્યારે કુવા પાસેથી કોઈની જાન નીકળે ત્યારે તે વરઘોડિયા ને હેરાન કરતા.

ભૂવાઓને જાણકારોને પૂછતાં કહ્યુ કે આ બેઉ પ્રેતયોનિમા ગયા હોઈ આ પ્રેત આત્માઓ એ જણાવ્યું અમારે તમારા લગ્ન જોવા છે અને માણવા પણ છે. બધા બ્રાહ્મણ ભેગા થયા પણ લગ્ન જોવા ને માણવા પહેલી હરીજન કન્યાને માંડવે કેમ લઈ જવી?
છેવટે બધાએ નક્કી કર્યું કે બ્રાહ્મણ દીકરાને ક્ષેત્રપાળ તરીકે અણઘડ પથ્થર રૂપે લગ્નમંડપ મૂકવો તેણે ખોટું કર્યું હોવાથી પૂજવાને બદલે વરઘોડિયાઓએ પગના અંગૂઠાની ઠેસ મારવી.

જ્યારે કન્યા ઉતરતી વર્ણની હોવાથી તેને લગ્નમંડપમાં ન લાવતા શેરીના ના કે તેનો લગ્ન સમયે સ્થાપન કરું કરવું તેવું નક્કી થયું. કહેવાય છે કે ત્યારથી આ ઉકરડી સ્થાપવાની પ્રથા શરૂ થઈ છે આ વાર્તાને કોઈ આધાર મળતા નથી પણ દંતકથા છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આ પોસ્ટનો હેતુ ગ્રામ્યજીવનની પરંપરા ઉજાગર કરવાનો છે. ગમે તો લાઈક કરો.. વધારે ગમે તો શેર પણ કરો…
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!