મુનિશ્રેષ્ઠ નારદ મુનિ 

અન્ય નામ – દેવર્ષિ નારદ

વંશ -ગોત્ર – હિંદુ શાસ્ત્રો અનુસાર, બ્રહ્માનાં સાત માનસ પુત્રોમાંના એક

ધર્મ – સંપ્રદાય  એ સ્વયં વૈષ્ણવ છે અને વૈષ્ણવોનાં પરમાચાર્ય તથા માર્ગદર્શક છે

રચનાઓ – નારદ પાંચરાત્ર, નારદ ભક્તિ સૂત્ર, નારદ પુરાણ, નારદ સ્મૃતિ

સંદર્ભ ગ્રંથ  – વૈદિક સાહિત્ય, રામાયણ, મહાભારત, પુરાણ, સ્મૃતિઓ, અથર્વવેદ.

જયંતિ  – જ્યેષ્ઠ કૃષ્ણ પક્ષની દ્વિતીયા

વ્યક્તિત્વ-  નારદજી આત્મજ્ઞાની, નૈષ્ઠિક બ્રહ્મચારી, ત્રિકાલ જ્ઞાની, વીણા દ્વારા નિરંતર પ્રભુ ભક્તિના પ્રચારક

દક્ષ, મેઘાવી, નિર્ભય, વિનયશીલ, જિતેન્દ્રીય, સત્યવાદી, સ્થિતપ્રજ્ઞ, તપસ્વી, ચારેય પુરુષાર્થનાં જ્ઞાતા, પરમ યોગી, સૂર્યની સમાન, ત્રિલોકી પર્યટક, વાયુ સમાન બધાં યુગો, સમાજો અને લોકોમાં વિચરણ કરવાંવાળાં, વશમાં કરેલાં મનવાળાં, નીતિજ્ઞ, અપ્રમાદી, આનંદરત, કવિ, પ્રાણીઓ પર નિ:સ્વાર્થ પ્રીતિ રાખવાંવાળાં, દેવ, મનુષ્ય, રાક્ષસ બધાં લોકોમાં સન્માન પ્રાપ્ત કરવાંવાળાં દેવતા તથાપિ ઋષિત્વ પ્રાપ્ત કરવાંવાળાં દેવર્ષિ હતાં
નારદ મુનિ હિંદુ શાસ્ત્રો અનુસાર, બ્રહ્માનાં સાત માનસપુત્રો માંથી એક માનવામાં આવે છે. એ ભગવાન વિષ્ણુનાં અનન્ય ભક્તોમાંથી એક મનાય છે. એ સ્વયં વૈષ્ણવ છે અને વૈષ્ણવોના પરમાચાર્ય તથા માર્ગદર્શક છે. એ પ્રત્યેક યુગમાં ભગવાનની ભક્તિ અને એમનો મહિમાનો વિસ્તાર કરતાં કરતાં લોક-કલ્યાણ માટે સર્વદા સર્વત્ર વિવરણ કર્યા જ કરે છે. ભક્તિ તથા સંકીર્તનનાં એ આદ્ય-આચાર્ય છે. એમની વીણા ભગવન જપ “મહતી”નામે વિખ્યાત છે. શ્રીમુખથી ” નારાયણ ……… નારાયણ…….ની ધ્વનિ સદાય  નીકળતી જ હોય છે !!! એમની ગતિ અવ્યાહત છે !!!

એ બ્રહ્મમુહુર્તમાં બધાં જીવોની ગતિ જોતાં રહે છે અને અજર-અમર છે !!! ભગવદ ભક્તિની સ્થાપના તથા પ્રચારમાટે એમનો અવિર્ભાવ થયો છે ….. એમણે કઠીન તપશ્ચર્યા દ્વારા બ્રહ્મર્ષિ પદ પ્રાપ્ત કર્યું છે ……. દેવર્ષિ નારદ ધર્મનાં પ્રચાર તથા લોક કલ્યાણ હેતુ સદૈવ પ્રયત્નશીલ રહે છે. આ જ કારણે બધાં યુગોમાં, બધાં લોકોમાં, સમસ્ત વિદ્યાઓમાં, સમાજના બધાં જ વર્ગોમાં નારદજી સદા પ્રવેશ કરતાં જ રહેતાં હોય છે. માત્ર દેવતાઓ એ જ નહીં , પણ દાનવોએ પણ એમનો સદાય આદર જ કર્યો છે. સમય સમય પર બધાં એ એમનો પરામર્શ લીધો છે !!!

” અહો આ દેવર્ષિ નારદ છે , જે વીણા વગાડે છે , હરિગુણ ગાય છે, મસ્ત દશામાં ત્રણે લોકોમાં ફરીને દુખી સંસારને આનંદિત કરે છે !!!

ભાગવત અનુસાર નારદજી અગાઢ બોધ, સફળ રહસ્યોનાં વેત્તા, વાયુક્ત બધાની અંદર વિવરણ કરવાંવાળાં અને આત્મસાક્ષી છે. નારદ પુરાણમાં એમણે વિષ્ણુ ભક્તિની મહિમાની સાથે સાથે મોક્ષ, ધર્મ, સંગીત, બ્રહ્મજ્ઞાન, પ્રાયશ્ચિત આદિ અનેક વિષયોની મીમાંસા પ્રસ્તુત કરી છે. “નારદ સંહિતા” સંગીતનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ છે !!! દેવર્ષિ નારદ દ્વારા રચિત નારદ ભક્તિસૂત્રનાં ૮૪ સૂત્રોમાં ભક્તિ વિષયક વિચાર આપવામાં આવેલાં છે

નાર” શબ્દનો અર્થ થાય છે જળ. એ બધાંને જલદાન , જ્ઞાનદાન કરાવવામાં અને એમનું તર્પણ કરાવવામાં નિપુણ હોવાનાં કારણે એ નારદ કહેવયા. સનકાદિક ઋષિઓની સાથે પણ નારદજીનો ઉલ્લેખ મળે છે. ભગવાન સત્યનારાયણની કથામાં પણ એમનો ઉલ્લેખ હોય છે.  નારદજી અનેક કલાઓમાં નિપુણ માનવામાં આવે છે. એ વેદાંતપ્રિય, યોગનિષ્ઠ, સંગીતશાસ્ત્રી, ઔષધિ જ્ઞાતા, શાસ્ત્રોનાં આચાર્ય અને બહકતી રસનાં પ્રમુખ ગણાય છે. ૨૫,૦૦૦ હજાર શ્લોકો વાળાં પ્રસિદ્ધ નારદ પુરાણ પણ એમનાં જ દ્વારા રચાયું છે !!!!!

પુરાણોમાં દેવર્ષિ નારદને ભગવાનનાં ગુણગાવામાં સર્વોત્તમ અને અત્યાચારી દાનવો દ્વારા જનતાનાં ઉત્પીડનણો વૃત્તાંત ભગવાન સુધી પહોંચાડવા વાળાં ત્રૈલોક્ય પર્યટક માનવામાં આવે છે !!! ઘણાં શાસ્ત્રોમાં એમને ભગવાન વિષ્ણુનાં અવતાર પણ ગણાવાયા છે અને એ નાતે નારદજી ત્રિકાલદર્શી છે. બ્રહ્મવૈવર્તપુરાણ અનુસાર એ બ્રહ્માજીના કંઠમાંથી ઉત્પન્ન થયાં હતાં અને એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે છે કે બ્રહ્માજી પાસેથી એમણે સંગીતની શિક્ષા પ્રાપ્ત કરી હતી !!!

પૌરાણિક ઉલ્લેખ  ——-

ઉભી શિખા, હાથમાં વીણા, મુખમાંથી ‘નારાયણ ….. નારાયણ …..”શબ્દણો જાપ , પવન પાદુકા પર મનફાવે ત્યાં વિચરણ કરવાંવાળાં નારદજીથી બધાં જ પરીચીત છે. ભગવન શ્રીકૃષ્ણ દેવર્ષિઓમાં નારદજીને પોતાની વિભૂતિ બતાવે છે !!! વૈદિક સાહિત્ય, રામાયણ, મહાભારત, પુરાણ, સ્મૃતિઓ એ બધાં જ શાસ્ત્રોમાં ક્યાંક કયાંક તો નારદજીનો નિર્દેશ નિશ્ચિત રૂપે થતો જ હોય છે. ઋગ્વેદ મંડલમાં ૮-૯નાં ઘણાં સુક્તોનાં દ્રષ્ટા નારદ છે .. અથર્વવેદ, એતરેય બ્રાહ્મણ, મિત્રાયણી સંહિતા આદિમાં નારદજીનો ઉલ્લેખ છે !!!

જન્મ કથા ——-

પૂર્વકલ્પમાં નારદ “ઉપ બર્હણ”નામનાં ગંધર્વ હતાં. એમણે પોતાનાં રૂપ પર અભિમાન હતું. એક વાર જ્યારે બ્રહ્માજીની સેવામાં અપ્સરાઓ અને ગંધર્વ ગીત અને નૃત્યથી જગતસ્રષ્ટાની આરાધના કરી રહ્યાં હતાં. ઉપબર્હણ સ્ત્રીઓ સાથે શ્રુંગારભાવથી ત્યાં આવ્યાં. ઉપબર્હણનું આ અશિષ્ટ આચરણ જોઇને બ્રહ્માજી કુપિત થઇ ગયાં અને એમણે એને શુદ્ર યોનિમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો. શ્રાપનાં ફલસ્વરૂપ એ `શુદ્રા દાસી`નાં પુત્ર થયાં …. માતા -પુત્ર સાધુ સંતોની નિષ્ઠાપૂર્વક સેવા કરતાં હતાં. પાંચ વર્ષનો બાળક સંતોનાં પાત્રમાં વધેલું જુઠું અન્ન ખાતો હતો, જેનાથી એનાં હૃદયનાં બધાં પાપ ધોવાઇ ગયાં.

બાળકની સેવાથી પ્રસન્ન થઈને સાધુઓએ એને નામ, જાપ અને ધ્યાનનો ઉપદેશ આપ્યો. શુદ્ર દાસીનું સર્પદંશથી મૃત્યુ થઇ ગયું. હવે નારદજી આ સંસારમાં એકલાં પડી ગયાં. એસમયે એમની ઉંમર માત્ર ૫ જ વર્ષની હતી. માતાનાં વિયોગને પણ ભગવાનનો પરમ અનુગ્રહ માનીને એ અનાથોનાં નાથ દીનાનાથ ભજન કરવાં માટે ચાલી નીકળ્યાં. એક દિવસ આ બાળક એક પીપળાનાં વૃક્ષની નીચે ધ્યાન લગાવીને બેઠો હતો કે એનાં હૃદયમાં ભગવાનની એક ઝલક વિદ્યુત રેખાની જેમ દેખાઈ પડી અને તત્કાલ અદ્રશ્ય થઇ ગઈ !!! એના મનમાં ભગવાનનાં દર્શનની વ્યાકુળતા વધી ગઈ, જેને જોઇને આકાશવાણી થઇ  —-
“હે દાસીપુત્ર ….. હેવે આ જન્મમાં ફરીથી તને મારાં દર્શન નહીં થાય, પછીનાં જન્મમાં તું મને પાર્ષદ રૂપમાં પુન:પ્રાપ્ત કરી શકીશ!!! સમય વીતતાં બાળકનું શરીર છૂટી ગયું અને કલ્પના અંતમાં એ બ્રહ્મમાં લીન થઇ ગયાં. સમય આવવાં પર નારદજીનું પંચભૌતિક શરીર પણ છૂટી ગયું અને કલ્પનાં અંતમાં બ્રહ્માજીનાં માનસ પુત્રનાં રૂપમાં અવતીર્ણ થયાં !!!

કાર્ય ———

નારદજીનાં અગણિત કાર્યો છે .…….

ભૃગુ કન્યા લક્ષ્મીનો વિવાહ ભગવાન વિષ્ણુ સાથે કરાવ્યો. ઇન્દ્રને સમજાવી-બમજાવીને ઉર્વશીનો પુરૂરવા સાથે પરિણય સૂત્ર કરાવ્યું. મહાદેવ દ્વારા જલંધરનો વિનાશ કરાવ્યો, કંસને આકાશવાણીનો અર્થ સમજાવ્યો, વાલ્મીકિજીને રામાયણ લખવાની પ્રેરણા આપી. વ્યાસજી પાસે ભાગવતની રચના કરાવી. પ્રહલાદ અને ધ્રુવને ઉપદેશ આપીને મહાન ભક્ત બનાવ્યાં. બૃહસ્પતિ અને શુકદેવ જેવાંઓને ઉપદેશ આપ્યો અને એમની શંકાઓનું સમાધાન કર્યું. ઇન્દ્ર, ચંદ્ર, વિષ્ણુ, શંકર, યુધિષ્ઠિર, રામ, કૃષ્ણ આદિને ઉપદેશ આપીને કર્તવ્યાભિમુખ કર્યા. ભક્તિનો પ્રસાર કરતાં એ અપ્રત્યક્ષ રૂપે ભક્તોનો સહયોગ કરતાં રહ્યાં !!!

એ ભગવાનનાં વિશેષ કૃપાપાત્ર અને લીલા-સહચર છે. જયારે જયારે ભગવાનનો આવિર્ભાવ થાય છે, એ એમની લીલાઓ માટે ભૂમિકા તૈયાર કરે છે. લીલાપયોગી ઉપકરણોનો સંગ્રહ કરે છે અને અન્ય પ્રકારની સહાયતા કરે છે. એમનું જીવન મંગલ માટે જ છે !!!

દેવર્ષિ નારદ ———

દેવર્ષિ નારદ વ્યાસ, વાલ્મીકિ તથા મહાજ્ઞાની શુકદેવ આદિનાં ગુરુ હતાં. શ્રીમદ ભાગવત — જે ભક્તિ જ્ઞાન એવં વૈરાગ્યનો પરમોપ્દેષ્ક ગ્રંથ રતન છે, તથા રામાયણ —-જે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનાં પાવન, આદર્શ ચરિત્રથી પરિપૂર્ણ છે. એ દેવર્ષિ નારદજીની પરમ કૃપાથી જ આપણને પ્રાપ્ત થઇ શક્યાં છે !!!! એમણે જ પ્રહલાદ, ધ્રુવ, રાજા અંબરીશ આદિ મહાન ભક્તોને ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત કાર્ય હતાં. એ ભાગવત ધર્મનાં પરમ ગુઢ રહસ્યને જાણવાંવાળાં –
બ્રહ્મા, શંકર, સનતકુમાર, મહર્ષિ કપિલ, સ્વયંભુવ મનુ આદિ આદિ ૧૨ આચાર્યોમાં અન્યતમ છે. દેવર્ષિ નારદ દ્વારા વિરચિત ભક્તિસૂત્ર બહુજ મહત્વપૂર્ણ છે !!! નારદજીને પોતાની વિભૂતિ બતાવતાં યોગેશ્વર શ્રીકૃષ્ણ શ્રીમદ ભાગવત ગીતાનાં દશમાં અધ્યાયમાં કહે છે  —–
અશ્વત્થ: સર્વવુક્ષાણાં દેવર્ષિણાં ચ નારદ: ।”

મહાભારત સહ્ન્તી પર્વ અધ્યાય ૮૨
કૃષ્ણ : – “હે દેવર્ષિ નારદ……. જેમ પુરુષ અગ્નિની ઈચ્છાથી અરણી કાષ્ઠ મથે છે…… બસ એમ જ એ જાતિ-લોકો દ્વારા કહેવામાં આવેલાં કઠોર વચનોથી મારું હૃદય સદા મથતું અને બળતું રહે છે. હે નારદ …… મોટાં ભાઈ બલરામ સદા બળથી, ગદ સુકુમારતાથી અને પ્રદ્યુમ્ન રૂપથી મતવાલા થાય છે ; એનાથી એ સહાયકોના હોવાંછતાં પણ હું અસહાય છું !!!”

વ્યક્તિત્વ  ———-

નારદ શ્રુતિ -સ્મૃતિ, ઈતિહાસ, પુરાણ, વ્યાકરણ, વેદાંગ, સંગીત, ખગોળ-ભૂગોળ, જ્યોતિષ,યોગ આદિ અનેક શાસ્ત્રોમાં પારંગત હતાં !!! નારદ આત્મજ્ઞાની, નૈષ્ઠિક બ્રહ્મચારી, ત્રિકાલ જ્ઞાની, વીણા દ્વારા નિરંતર પ્રભુ ભક્તિનાં પ્રચારક, દક્ષ, મેઘાવી, નિર્ભય, વિનયશીલ, જિતેન્દ્રિય, સત્યવાદી, સ્થિતપ્રજ્ઞ, તપસ્વી, ચારેય પુરુષાર્થનાં જ્ઞાતા,પરમયોગી, સૂર્યની સમાન, ત્રિલોકી પર્યટક, વાયુસમાન બધાં યુગો,સમજો અને લોકોમાં વિચરણ કરવાંવાળાં ,
વશમાં કરેલાં મનવાળાં નીતિજ્ઞ, અપ્રમાદી, આનંદરત, કવિ, પ્રાણીઓ પર નિ;સ્વાર્થ પ્રીતિ રાખવાંવાળાં દેવ, મનુષ્ય,રાક્ષસ એ બધાં લોકોમાં સન્માન પ્રાપ્ત કરવાંવાળાં દેવતા તથાપિ ઋષિત્વ પ્રાપ્ત દેવર્ષિ હતાં.

એક વાર નારદે કામદેવ પર વિજય પ્રાપ્ત કરીને ગર્વ કર્યો. એમનાં આ ગર્વને ખંડન કરવાં માટે ભગવાને એમનું મો વાંદરા જેવું બનાવી દીધું ….નારદજીનો સ્વભાવ “કલહપ્રિય” કહેવામાં આવ્યો છે…… વ્યવહારમાં ખટપટી વ્યક્તિને, એક બીજાં વચ્ચે ઝઘડો કરાવવાંવાળાં વ્યક્તિને આપણે નારદ કહીએ છીએ અને આવાં કાર્યને આપણે નારદવેડા કહીએ છીએ ….. પરંતુ નારદ કલહપ્રિય નહિ પણ વૃત્તાંતોને બયાન કરવાંવાળાં એક વિચારક હતાં !!!

નારદજીના ગ્રંથો  ——–

[૧] નારદ પાંચરાત્ર
[૨] નારદનું ભક્તિસૂત્ર
[૩] નારદ મહાપુરાણ
[૪] બૃહન્ન નારદીય ઉપપુરાણ-સંહિતા -(સ્મૃતિગ્રંથ)
[૫] નારદ – પરિવ્રાજ કોપનિષદ
[૬] નારદીય શિક્ષા સાથે અનેક સ્તોત્ર પણ ઉપલબ્ધ છે

દેવર્ષિ નારદ બધાં ઉપદેશોનો નીચોડ છે  —–

સર્વદા સર્વભાવેનની નિશ્ચિન્તિતૈ: ભગવાનેવ ભજનીય:।
અર્થાત સર્વદા સર્વભાવથી નિશ્ચિત થઈને માત્ર ભગવાનનું જ ધ્યાન ધરવું જોઈએ !!!!

નારદ જયંતિ ——–

પુરાણો અનુસાર દર વર્ષે જ્યેષ્ઠ મહિનાની કૃષ્ણ પક્ષની દ્વિતીયાએ નારદ જયંતિ માનવવામાં આવે છે. નારદજીને બ્રહ્મદેવનાં માનસ પુત્ર માનવામાં આવે છે. એમનો જન્મ બ્રહ્માજીની ગળામાંથી થયો હતો. બ્રહ્માજીએ નારદને સૃષ્ટિકાર્યનો આદેશ આપ્યો હતો, પરંતુ નારદે બ્રહ્માજીનો આદેશ માનવાનો ઇનકાર કરી દીધો હતો. નારદ દેવતાઓના ઋષિ છે , આજ કારણે તેમને દેવર્ષિ નામથી પણ પોકારવામાં આવે છે. કહેવાય છે કે કઠીન તપસ્યા પછી જ નારદજીને બ્રહ્મર્ષિ પદ પ્રાપ્ત થયું હતું. નારદ બહુજ જ્ઞાની હતાં , આ જ કારણે એ દૈત્ય હોય કે દેવી-દેવતાઓ હોય એ બધાં જ વર્ગોમાં બેહદ આદર અને સત્કારને પાત્ર હતાં.

કહેવાય છે કે નારદ મુનિનાં શ્રાપના કારણેજ ભગવાન શ્રીરામને દેવી સીતાથી વિયોગ શાવો પડ્યો હતો. પુરાણોમાં એવું લખવામાં આવ્યું છે કે રાજા પ્રજાપતિ દક્ષે નારદજી ને શ્રાપ આપ્યો હતો કે એ બે મિનીટ થી વધારે એક જગ્યાએ કયાંય પણ રોકાઈ નહિ શકે !!! આ જ કારણ છે કે નારદજી વારંવાર યાત્રા કરતાં રહેતાં હતાં. ક્યારેક આ દેવી -દેવતા તો ક્યારેકબીજાં દેવી દેવતા પાસે !!! ભ્રમણ- પરિભ્રમણ ઝીંદાબાદ !!!!

ભારત અવનવી માન્યતાઓ પર આધારિત દેશ છે, એમાંની એક માન્યતા નારદજી સાથે પણ સંકળાયેલી છે ………

તલ્લાક કરાવી દે છે નારદ ઘાટ પર સ્નાન  ——-

વારાણસીના ગંગા તટ પર લગભગ ૮૪ ઘાટ છે.  દરેક ઘાટની પોતાની એક અલગ જ કહાની અને માન્યતા છે. એમાંથી એક ઘાટ એવો છે કે — જ્યાં શાદીશુદા લોકો સ્નાન નથી કરતાં કાંરણકે અહીંયા સ્નાન કરવું એટલે પોતાને માટે એક મુસીબત ઉભી કરવી. બનારસના આ ઘાટનું નિર્માણ દત્તાત્રેય સ્વામીએ કરાવ્યું હતું. આ ઘાટ પરમ વિષ્ણુભક્ત નારદ મુનિનાં નામથી એટલેકે નારદ ઘાટનાં નામથી પણ ઓળખવામાં આવે છે!!!

આ ઘાટની માન્યતા એ છે કે અહીં જે પણ લગ્ન કરેલાં જોડા આવીને સ્નાન કરે છે એમની વચ્ચે મતભેદ અને તનાવ વધે છે. એમનાં પારિવારિક જીવનમાં અંદરોઅંદર તાલમેલ ઓછો થઇ જાય છે અને અલગાવ થઇ જાય છે. નારદ ઘાટ થી પહેલાં એ કુવાઈ ઘાટનાં નામે ઓળખાતો હતો. ૧૯મી શતાબ્દીની મધ્યમાં ઘાટ પર નારદેશ્વર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને એનાં પછી આ ઘાટનું નામ નારદ ઘાટ પડયું છે. માન્યતા છે કે નારદેશ્વર શિવની સ્થાપના દેવર્ષિ નારદે કરી હતી !!!!

નારદજીની તપસ્યાનો સાક્ષી વ્રજ ચૌરાસીણો નારદ ઘાટ 

વ્રજ ચૌરાસી કોસ પરિક્રમા માર્ગનું પ્રમુખ ધાર્મિક સ્થળ છે નારદ કુંડ. માંટ તહસીલની નજીક લગભગ ૨૫ કિલોમીટર દુર ડડીસરી સ્થિત કુંડ દેવર્ષિ નારદજીની તપસ્યાનો સાક્ષી રહ્યો છે. અહીંયા પ્રકટ થયેલા ભગવાન ભોલેબાબાની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. પૂર્વમાં આ કુંડ પાક્કો બનેલો છે જેનાં અવશેષો આજે પણ જોઈ શકાય છે. માન્યતા અનુસાર એક વાર ભગવાન શ્રીકૃષ્ણ ભાંડરીવનમાં ગાયો ચરાવી રહ્યા હતાં
જોયું તો સામેથી નારદજી આવી રહ્યાં હતાં !!!

પ્રણામ પછી શ્રીકૃષ્ણે દેવર્ષિ નારદને આવવાનું કારણ પૂછ્યું તો નારદજીએ ખેલનો પ્રસ્તાવ મુક્યો. એકવાર તો નાં પડી દીધી પછી તેઓ ખેલ ખેલવાં તૈયાર થઇ ગયાં.
ખેલનું નામ હતું  —— “અંખ મિચૌલી” !!!
નારદજી છુપાવવા માટે યમુના કિનારે ચાલતાં ભદ્રવન પહોંચ્યા અને ત્યાંથી આગળ નીકળીને આ કુંડ પર પહોંચ્યા. એમણે જોયું કે અનેક ગાયો કુંડમાં સ્નાન કરી રહી છે તો એ પણ ધૂળ-ધુસરિત થઈને ગાયોની મળ્યમાં સુઈ ગયાં !!!

શ્રીકૃષ્ણ એ જયારે પોતાની આંખો ખોલી તો ધ્યાનથી જોયું અને એ કુંડ પર પહોંચી ગયાં. દેવર્ષિ નારદને શોધી કાઢ્યાં, થોડાં સમય માટે ભગવાન શ્રીકૃષ્ણ અને નારદજીએ આ કુંડ પર નિવાસ કર્યો. માન્યતા છે કે આ કુંડમાં જે સ્નાન કરે છે એની મનોકામના પૂર્ણ થાય છે. બદ્રીનાથ તીર્થમાં અલકનંદા નદીનાં તટ પર નારદ કુંડ છે જેમાં સ્નાન કરવાંથી મનુષ્ય માત્ર પવિત્ર જીવનની તરફ અગ્રેસર થાય છે અને માન્યતાઓ અનુસાર મૃત્યુ પશ્ચાત મોક્ષ ગ્રહણ કરે છે !!!!

નારદ મુનિ વિષે એક વાત બહુ ઓછાં જાણે છે છે અને એ છે —– એમણે પતંજલિની પહેલાં યોગસુત્ર લખ્યું હતું. પ્રકાંડ વિદ્વાન અને પરમ વિષ્ણુ ભક્ત એવાં મુનિ શ્રેષ્ઠ નારદજીને
કોટિ કોટિ વંદન !!!!

——- જનમેજય અધ્વર્યુ

જો તમે ભારતના મહાન ઋષીઓની કથા વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

મહર્ષિ અષ્ટાવક્ર

મહાન ઋષિઓ સપ્તર્ષિ

– મહર્ષિ માર્કંડેય

– મહર્ષિ અગસ્ત્ય

– મહર્ષિ ગૌતમ

– મહર્ષિ દુર્વાસા

– મહર્ષિ વસિષ્ઠ

– મહર્ષિ વિશ્વામિત્ર

મહર્ષિ જમદગ્નિ

error: Content is protected !!