શ્રી આવડ માતા (તનોટ માતા) – રાજસ્થાન 

રાજસ્થાન એ કૂળદેવીઓ અને માતાઓના સ્થાનકો અને શિલ્પ સ્થાપત્યનું રાજ્ય છે. દરેક માતાઓને તેનો આગવો ઈતિહાસ અને અમુક વિશિષ્ટ લાક્ષણિકતાઓ હોય છે. એમની કહાની પણ બહુજ દિલચશ્પ હોય છે. લોકકથાઓમાં માંના ભરપેટ વખાણ થયાં છે અને કેટલાંક તો લોકજીભે લોકગીતો દ્વારા સામાન્યજન સુધી પહોંચ્યાં છે. જે કામમાં આપણા શુરવીર રાજપૂતો અમુક જગ્યાએ જ્યાં પાછા પડયાં હતાં. ત્યાં માતાએ એમને એટલેકે આક્રાંતાઓને એમનો પરચો બતાવીને પાછાં કાઢ્યાં છે એનાં પણ ઉદાહરણો મળે છે. એટલું જ નહિ અત્યારના યુગમાં આપણું જુનું અને જાણીતું દુશ્મન પાકિસ્તાનને પણ એક માતાએ પોતાનો પરચો બતાવ્યો હતો

આ કિવદંતી નથી પણ હકીકત છે. આવું એક અદ્ભુત શક્તિ ધરાવતી માતાનું મંદિર રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં પાકિસ્તાન બોર્ડર પાસે તનોટમાં આવેલું છે. જે આવડ માતાનાં મંદિર તરીકે ઓળખાય છે !!!

જૈસલમેરથી લગભગ ૧૩૦ કિલોમીટર દૂર સ્થિત માતા તનોટ રાય આવડ માતાનું મંદિર છે. તનોટ માતાને દેવી હિંગળાજ માતાનું જ એક રૂપ માનવામાં આવે છે. હિંગળાજ માતા શક્તિપીઠ વર્તમાનમાં પાકિસ્તાનનાં બલુચિસ્તાન પ્રાંતમાં લાસવેલા જિલ્લામાં સ્થિત છે.

ભાટી રાજપૂત નરેસ તણુરાવે તનોટને પોતાની રાજધાની બનાવી હતી. એમણે વિક્રમસંવત ૮૨૮માં માતા તનોટ રાયનું મંદિર બનાવીને મૂર્તિને સ્થાપિત કરી હતી. ભાટી રાજવંશી અને જૈસલમેરની આસપાસનાં ઈલાકાના લોકો પેઢી દર પેઢી તનોટ માતાની અગાધ શ્રદ્ધા સાથે ઉપાસના કરતાં રહ્યાં.

કાલાંતરમાં ભાટી રાજપૂતોએ પોતાની રાજધાની તનોટથી ખસેડીને જૈસલમેર ગયાં પરંતુ મંદિર તો તનોટમાં જ રહ્યું !!! તનોટ માતાનું આ મંદિર અહીંના સ્થાનીય નિવાસીઓનું એક પૂજનીય સ્થાન હંમેશાથી રહ્યું છે !!!

પરંતુ ૧૯૬૫માં ભારત- પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જે ચમત્કાર દેવીએ બતાવ્યો એનાં પછી તો ભારતીય સૈનિકો અને સીમા સુરક્ષા બળનાં જવાનોની શ્રદ્ધાનું વિશેષ કેન્દ્ર બની ગયું !!! સપ્ટેમ્બર ૧૯૬૫માં ભારત પાકિસ્તાન યુદ્ધ શરુ થયું હતું. તનોટ પર આક્રમણથી પહેલાં શત્રુ (પાકિસ્તાન) પૂર્વમાં કિશનગઢથી ૭૪ કિલોમીટર દૂર બુઈલી સુધી પશ્ચિમમાં સાધેવાલાથી શાહગઢ અને ઉત્તરમાં અછરી ટીબાથી ૬ કિલોમીટર દૂર સુધી કબ્જા કરી ચુક્યા હતાં. તનોટ ત્રણ દિશાઓમાંથી ઘેરાયેલું હતું !!!

જો શત્રુ તનોટ પર કબ્જા કરીલે તો એ રામગઢથી લઈને શાહગઢ સુધીનાં ઇલાકા પર પોતાનો દાવો કરી શકતું હતું !!! અત: તનોટ પર અધિકાર જમાવવો એ બંને સેનાઓ માટે મહત્વપૂર્ણ બની ગયું હતું. ૭ થી ૧૯ નવેમ્બર ૧૯૬૫નાં રોજ શત્રુસેનાએ ત્રણ અલગ-અલગ દિશાઓમાંથી તનોટ પર ભારે આક્રમણ કર્યું. દુશ્મનના તોપખાના જબરજસ્ત આગ ઉગલતા રહ્યાં !!!

તાનોતની રક્ષા માટે મેજર જયસિંહનાં કમાન્ડમાં ૧૩ ગ્રેનેડિયરની એક કંપની અને સુરક્ષા દળની બે કંપનીઓ દુશ્મનની આખી બ્રિગેડનો સામનો કરી રહી હતી. શત્રુઓએ જૈસલમેરથી તનોટ જવાંવાળાં માર્ગને ઘંટાલી દેવીનાં મંદિર સમીપ એન્ટી પર્સનલ અને એન્ટી ટેંક માઈન્સ લગાવીને સપ્લાય ચેનને કાપી નાંખી.  દુશ્મનોએ તનોટ માતાનાં મંદિરની આસપાસનાં ક્ષેત્રમાં લગભગ ૩૦૦૦ ગોલ્લા વરસાવ્યા પરંતુ અધિકાંશ ગોળાઓ પોતાનું લક્ષ્ય ચુકી ગયાં !!! એકલા મંદિરને નિશાના બનાવીને લગભગ ૪૫૦ ગોળાઓ ફેંક્યા પણ ચમત્કારી રૂપે એક પણ ગોળો પોતાનાં નિશાન પર લાગ્યો જ નહીં !!! અને મંદિર પરિસરમાં પડેલાં ગોળાઓમાંથી એક પણ ફૂટ્યો જ નહીં અને મંદિરને જરા સરખી પણ ખરોચ ના આવી !!!

સૈનિકોએ એ પણ એ માની લીધું કે માતા પોતાની સાથે છે એટલી કમ સંખ્યામાં હોવાં છતાં પૂરતાં આત્મવિશ્વાસ સાથે દુશ્મનનાં હુમલાઓનો કરારો જવાબ આપ્યો અને એમનાં સેંકડો સૈનિકોને મારી નાંખ્યા !!! દુશ્મન સેના ભાગવા માટે મજબુર થઇ ગઈ!!! એમ કહેવાય છે કે માતાએ સૈનિકોના સ્વપ્નમાં આવીને કહ્યું હતું કે જ્યાં સુધી તમે મારા મંદિર પરિસરમાં છો ત્યાં સુધી હું તમારી રક્ષા કરીશ !!!

સૈનિકોની તનોટની આ શાનદાર વિજયને દેશના તમામ અખબારોએ પોતાની હેડલાઈન બનાવી. એક વાર ફરીથી ૪ ડીસેમ્બર ૧૯૭૧ની રાતમાં પંજાબ રેજીમેન્ટની એક કંપની અને સીસુબની એક કંપનીએ માંનાં આશીર્વાદથી લોંગેવાલામાં વિશ્વની મહાનતમ લડાઈઓમાંની એકમાં પાકિસ્તાનની પૂરી ટેંક રેજીમેન્ટને ધૂળ ચટાડી દીધી !!! લોંગેવાલાને પાકિસ્તાન ટેન્કોનું કબ્રસ્તાન બનાવી દીધું !!!

૧૯૬૫નાં યુધ્ધ પછી સીમા સુરક્ષા બળે આહી પોતાની ચોકી સ્થાપિત કરી અને આ મંદિરની પૂજા – અર્ચના અને વ્યવસ્થાનો કાર્યભાર સંભાળ્યો તથા વર્તમાનમાં મંદિરનું પ્રબંધન અને સંચાલન સીમા સુરક્ષા બળનાં એક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે !!! મંદિરમાં એક નાનકડું સંગ્રહાલય પણ છે જ્યાં પાકિસ્તાન સેના દ્વારા મંદિર પરિસરમાં ફેંકવામાં આવેલાં બોમ્બ રાખવામાં આવેલાં છે જે ફૂટ્યાંજ નહોતાં. સી. સુ. બળ પુરાણા મંદિરના સ્થાને હવે એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવી રહી છે. લોંગેવાળાં વિજય પછી માતા તનોટ રાયના પરિસરમાં એક વિજયસ્તંભનું નિર્માણ કર્યું. જ્યાં દર વર્ષે ૧૬મી ડિસેમ્બરે મહાન સૈનિકોની યાદમાં ઉત્સવ માનવવામાં આવે છે !!! દરવર્ષે અશ્વિન અને ચૈત્ર નવરાત્રીમાં અહીંયા વિશાળમેળાનું આયોજન કરવામાં આવે છે. પોતાની દિવસોદિવસ વધતી પ્રસિદ્ધિને કારણે તનોટ એક પર્યટન સ્થળના રૂપમાં પણ પ્રસિદ્ધ થતું જ રહ્યું છે !!!

તનોટ માતાના મંદિરનો ઈતિહાસ

બહુજ પહેલાં મામડિયા નામનાં એક ચારણ હતાં એમણે કોઈ સંતાન નહોતું. સંતાન પ્રાપ્ત કરવાની લાલસામાં એમણે હિંગળાજ શક્તિપીઠની સાત વાર પગપાળા યાત્રા કરી !!! એકવાર માતાએ સ્વપ્નમાં આવીને એમની ઈચ્છા પૂછી તો ચારણે કહ્યું કે આપ મારે ત્યાં જન્મ લો ….. માતાની કૃપાથી ચારણને ત્યાં ૭ પુત્રીઓ અને ૧ પુત્રે જન્મ લીધો !!! એ સાત પુત્રીઓમાંથી એક આવડે વિક્રમ સંવત ૮૦૮માં ચારણને ત્યાં જન્મ લીધો અને પોતાનો ચમત્કાર બતાવવાનો શરુ કર્યો. સાતેય પુત્રીઓ દેવીય ચમત્કારોથી યુક્ત હતી !!! એમણે હુણોનાં આક્રમણથી ભાડ પ્રદેશની રક્ષા કરી. પુજારીજીના જણાવ્યા પ્રમાણે માતા બહુજ શક્તિશાળી છે અને દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. આમારાં માથાં પર હંમેશા માતાની કૃપા બની જ રહેતી છે !!! દુશ્મનો આમરો વાળ પણ વાંકો કરી શકતાં નથી !!!

માડ પ્રદેશમાં આવડ માતાની કૃપાથી ભાટી રાજપૂતોનું એક સુદ્રઢ રાજ્ય સ્થાપિત થઇ ગયું. રાજા તણુરાવ ભાટીએ આસ્થાનને પોતાની રાજધાની બનાવી અને આવડ માતાને સુવર્ણ સિંહાસન ભેટ કર્યું. વિક્રમ સંવત ૮૨૮ ઇસવીસનમાં આવડ માતાએ પોતાનાં ભૌતિક શરીરનાં રહેતાં અહીં પોતાની સ્થાપના કરી. વિક્રમ સંવત ૯૯૯માં સાતે બહેનોએ તણુરાવનાં પૌત્ર સિદ્ધ દેવરાજ, ભક્તો, બ્રાહ્મણો, ચારણો, રાજપૂતો આને માડ પ્રદેશનાં અન્ય લોકોને બોલાવીને કહ્યું કે આપ બધાં લોકો સુખ શાંતિથી આનંદપૂર્વક પોતાનું જીવન વિતાવી રહ્યાં છો. અત: અમારો અવતાર લેવાનો ઉદ્દેશ પૂર્ણ થયો!!! આટલું કહીને બધી બહેનોએ પશ્ચિમમાં હિંગળાજ માતા તરફ જોઇને અદ્રશ્ય થઇ ગઈ !!!

થોડુંક વધારે  ———

એક લોકગાથા અનુસાર દેવીપુત્ર તરીકે જાણીતા ચારણોની પ્રથમ કુલદેવી હિંગળાજ માતા હતાં. જેમનું નિવાસ સ્થાન પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હતું. હિંગળાજ નામ ઉપરાંત હિંગળાજ દેવીનું ચરિત્ર અથવા એમના વિશેનો ઇતિહાસ અત્યાર સુધી અપ્રાપ્ય રહ્યો છે. હિંગળાજ દેવી સાથે સંબંધિત છંદ, ગીત, સ્તુતિ અવશ્ય મળી આવે છે. અનુયાયીઓ માં માન્યતા છે કે સાતેય દ્વીપોમાં સહુ શક્તિઓનો રાત્રીના સમયમાં રાસ રચાય છે અને પ્રાત:કાળે સૌ શક્તિઓ ભગવતી હિંગળાજના સાનિધ્યમાં માં આવી જાય છે

સાતો દ્વીપ શક્તિ સબ રાત કો રચાત રાસ।
પ્રાત:આપ તિહુ માત હિંગલાજ ગિર મેં। ।

હિંગળાજ દેવી સૂર્યથી પણ અધિક તેજસ્વી છે, અને સ્વેચ્છાથી અવતાર ધારણ કરે છે. આ આદ્ય શક્તિએ ૮મી શતાબ્દીમાં સિંધ પ્રાન્તમાં મામડના ઘરમાં આવડ દેવીના રૂપમાં દ્વિતીય અવતાર ધારણ કર્યો હતો. તેઓ સાત બહેનો હતી. જેમનાં નામો  ——- આવડ, ગુલો, હુલી, રેપ્યલી, આછો, ચંચિક અને લધ્વી હતાં.

[આ માહિતી રાજસ્થાનમા આવેલ તનોટ માતા મંદિરના ઇતિહાસ પ્રમાણે છે. જ્યારે ગુજરાતના ઇતિહાસ પ્રમાણે એમનુ જન્મ સ્થાન રોહીશાળા છે. માતાજીના નામ પણ અલગ અલગ છે જેનુ કારણ અલગ અલગ પ્રદેશમા તેમને જુદા જુદા નામથી ઓડખતા. પણ ગુજરાત ના ઇતિહાસ મા ખોડિયાર માં શીવાય બીજા બહેનોનો ખાસ ઇતિહાસ જાણવા મળતો નથી, જ્યારે રાજસ્થાનમા આવડ માતાના ધણા બધા મંદિરો આવેલા છે અને અહીં તે ધણા બધા નામોથી પણ ઓડખાય છે. એટલે આવડ માતાની વિસ્તૃત માહિતી રાજસ્થાનના ઇતિહાસમા જોવા મળે છે જેથી અહીં એ રજૂ કરવામાં આવ્યો છે.]

તેઓ બહુજ સ્વરૂપવાન હતી. કહેવાય છે કે એમની સુંદરતા પર સિંધ પ્રાંતનો યવન બાદશાહ હમીર સુમરા મુગ્ધ થયો હતો. આ કારણે બાદશાહે પોતાના વિવાહનો પ્રસ્તાવ મોકલ્યો, પણ એમના પિતાએ ના પાડી. આમ કરવાને કારણે બાદશાહે એમના પિતાને કેદ કરી દીધા. આ જોઇને છ દેવીઓ સિંધથી તેમડા પર્વત પર આવી ગઈ. એક બહેન કાઠિયાવાડના દક્ષિણ પર્વતીય પ્રદેશમાં ‘તાંતણિયા ધરો’ નામના નદીમાંના સ્થળ ઊપર પોતાનું સ્થાન બનાવી રહેવા લાગ્યા. આ માતાજીને ભાવનગર રાજ્યનાં કુળદેવી તરીકે માનવામાં આવે છે અને સમસ્ત કાઠિયાવાડ પ્રદેશમાં ભક્તિ ભાવપૂર્વક એમની પૂજા કરવામાં આવે છે.

જ્યારે આવડ દેવીએ તેમડા પર્વતને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું ત્યારે એમના દર્શનાર્થે અનેક ચારણોનું આવાગમન એમના સ્થાન તરફ નિરંતર થવા લાગ્યું અને એમના દર્શનના હેતુથી લોકો સમય જતાં અહીં રાજસ્થાન ખાતે જ વસવાટ કરવા લાગ્યા. આવડ માતાએ તેમડા નામના રાક્ષસને માર્યો હતો, અત: એમને તેમડેજી તરીકે પણ સંબોધવામાં આવે છે

આવડ માતાનું મુખ્ય સ્થાન જેસલમેરથી વીસ માઇલ દૂર એક પહાડી પર આવેલું છે. ૧૫મી શતાબ્દીના સમયમાં રાજસ્થાન અનેક નાના-નાના રાજ્યોમાં વહેંચાયેલું હતું. જાગીરદારોમાં પરસ્પર ખુબ જ ખેંચતાણ રહેતી હતી અને એક બીજાની રિયાસતોમાં લૂંટફાટ કરતા હતા. આને કારણે જનતામાં ત્રાહિમામ ત્રાહિમામ મચી ગયો હતો. આ કષ્ટના નિવારણ અર્થે જ મહાશક્તિ હિંગલાજ માતાએ સુઆપ ગામના ચારણ મેહાજીના ધર્મપત્ની દેવલદેવીના ગર્ભમાંથી શ્રી કરણીજીના રૂપમાં અવતાર ગ્રહણ કર્યો !!!

પહેલાં માતાની પૂજા સાકલ દીપી બ્રાહ્મણ કરતાં હતાં. ઇસવીસન ૧૯૬૫માં માતાની પૂજા સીસુબ(BSF) દ્વારા નિયુક્ત પુજારીઓ કરે છે !!!

ટૂંકમાં ચમત્કાર અને આસ્થાનો સુભગ સમન્વય એટલે આવડ માતા તનોટ. જયારે પણ જૈસલમેર જાઓ તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો જ !!!

!! જય આવડ માતા !!

——— જનમેજય અધ્વર્યુ

આ માહિતીમાં કાઈ ભૂલ-ચુક હોય અથવા આ શીવાયની વધારાની કોઈ માહિતી તમારી પાસે હોય તો તમે અમને મેસેજ દ્વારા મોકલી આપશો જેને અમે અહીં રજુ કરશી..

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –

– શ્રી હર્ષત માતા મંદિર- રાજસ્થાન

– શ્રી વિરૂપાક્ષ મંદિર– હમ્પી(કર્ણાટક)

– દધિમતિ માતા – મંદિરનો ઇતિહાસ 

– બૃહદેશ્વર મંદિર – તાંજોર

– શ્રી પદ્મનાભસ્વામી મંદિર – તિરુવનંતપુરમ

– શ્રી ચેન્નાકેશવ મંદિર – બેલુર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!