મહારાજા રણજીતસિંહ : વન મેન આર્મી

“જો મહારાજા રણજીતસિંહનો જન્મ એકાદ સદી પૂર્વે થયો હોત તો આખું હિંદુસ્તાન તેના સામ્રાજ્યની એડી નીચે હોત.”
ઉપરનું વાક્ય છે પ્રસિધ્ધ અંગ્રેજ ઇતિહાસકાર જે.ટી.વ્હીલરનુ અને રણજીતસિંહ વિશે તે એકદમ સાચું પડે છે ! કારણ રણજીતસિંહ એક એવી રણકુશળ વ્યક્તિ હતી જે ગમે તેવા ખુંખાર દુશ્મન સૈન્યને ધુળ ચટાવી શકે !

મહારાજા રણજીતસિંહ ઉર્ફે “શેર-એ-પંજાબ” ! જેના નામ માત્રથી અફઘાનો થરથરવા લાગતાં અને અંગ્રેજો તો જેનાથી દુર રહેવામાં જ ભલાઇ માનતા ! આખા પંજાબને એકજુથ કરી ચારેબાજુ દુશ્મનોની ખુની નજર હોવા છતાં એકચક્રી રાજ્ય કરનાર આ મહાવીર એમ જ થોડો “પંજાબનો ડાલામથ્થો” કહેવાતો !

રણજીતસિંહનો જન્મ પશ્વિમ પંજાબમાં ગુંજરાવાલા નજીક સુકરચકિયા જાગીરના ગિરાસદાર મહાનસિંહને ત્યાં ૧૩ નવેમ્બર, ૧૭૮૦ના રોજ થયો હતો. માતાનું નામ – રાજકૌર. રણજીતસિંહના જન્મ વખતે પંજાબ નાના-મોટાં રજવાડારૂપી જાગીરોમાં વહેંચાયેલું હતું. પિતા મહાનસિંહ પણ એવી જ એક જાગીરના રાજા હતાં. એ વખતે અફઘાન મુસ્લીમો પશ્ચિમ બાજુથી પંજાબને ફોલી ખાતા હતાં તો અંગ્રેજોની ખુંધી નજર પણ આ પ્રાંત પર ચોંટી હતી. પંજાબના શિખોએ પોતાની જાગીરો સાચવીને બેસી રહેવામાં લાભ માન્યો હતો.

રણજીતસિંહને બાળપણમાં શિતળાનો ભયંકર રોગ થયો હતો જેમાં તેમણે પોતાની એક આંખની રોશની ગુમાવી દીધી હતી ! એવું કહેવાય છે કે છેક સુધી તેમના મુખ પર શિતળાના દાગ રહ્યાં હતાં, છતાં તેમનું વ્યક્તિત્વ આકર્ષક હતું. માત્ર ૧૨ વર્ષની વયે સને ૧૭૯૨માં રણજીતસિંહે પિતાની છત્રછાયા ગુમાવી દીધી ! રાજનો બધો કારભાર રણજીતસિંહ પર આવી પડ્યો.

અને વળી, આટલું ઓછું હોય તેમ એક વર્ષ પછી રણજીતસિંહ પર જાનલેવા હમલો થયો ! જો કે હમલાવર હસમત ખાંને બાળ રણજીતસિંહે પોતાને હાથે મારી નાખ્યો. આ બધાં બનાવે રણજીતસિંહને એક અડીખમ વ્યક્તિ બનાવી દીધા. તેમણે બખુબી રીતે રાજ ચલાવવાનું શરૂ કર્યું. ૧૭૯૮માં તેમના લશ્કરે લાહોર પર જ્વલંત ફતેહ મેળવી અને એ રીતે રણજીતસિંહના શીખ સામ્રાજ્યનો પાયો નંખાયો. લાહોર તેમની રાજધાની બની.

Maharaja Ranjitsingh

૧૨ એપ્રિલ, ૧૮૦૧ના દિવસે એકવીસ વર્ષની આયુમાં રણજીતસિંહે લાહોર દરબારમાં વિધિવત રીતે “મહારાજ”ની ઉપાધિ ધારણ કરી અને ગુરૂ નાનકના વંશજ દ્વારા તેમનો રાજ્યાભિષેક થયો.

ધીમે-ધીમે રણજીતસિંહે બધી શીખ જાગીરોને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધી. રાવી અને ચિનાબ નદીઓની વચ્ચેથી શરૂ થયેલા તેમના સામ્રાજ્યનો વિસ્તાર હવે સિંધુ અને સતલજ સુધી વિસ્તર્યો. કોઇ અફઘાન કે અંગ્રેજની હિંમત નહોતી કે તે સિંધુ અને સતલજને વટી શકે ! માત્ર આટલું જ નહિ, જે પ્રદેશ પર વર્ષોના વર્ષો થયે અફઘાન મુસ્લીમોનું શાસન હતું એ પેશાવર પણ રણજીતસિંહજી એ કબજે કર્યું. આ પખ્તુનવા પ્રાંત કબજે કરનાર તે સદીઓ પછીના પહેલાં શીખ-હિંદુ રાજવી હતાં ! અફઘાનોને તેમણે હાંકી કાઢ્યાં.

આ ઉપરાંત ભારતનો મહત્વનો રાજકીય ઉથલપાથલો વાળો મુલતાન પ્રાંત પણ કબજે કર્યો. અને ૧૮૦૫માં તો શીખ સામ્રાજ્ય ખરા અર્થમાં “સામ્રાજ્ય” બન્યું. અમૃતસર અને જમ્મુ કાશ્મીર પર રણજીતસિંહની આણ ફરકી !

૧૮૦૯માં અંગ્રેજ ગવર્નર મિંટો સાથે તેમણે “અમૃતસરની સંધિ” કરી એ પ્રમાણે સતલજ નદીની પૂર્વમાં તેમણે પોતાનું સામ્રાજ્ય વિસ્તારવાનું ન હતું. આ સંધિથી શીખો નારાજ થયા ખરા પણ રણજીતસિંહનો એ એક કુટનિતી વ્યુહ હતો. જે મુજબ તેમણે અંગ્રેજોની પ્રશિક્ષિત અને આધુનિક સેના સામે મુઠભેડ ટાળી હતી. વળી,ઇસ્ટ ઇન્ડિયા કંપનીને પણ સતલજ નદીની પશ્ચિમ બાજુ આવવાની “પરમિશન” ન હતી !

૧૮૧૨ના વર્ષમાં એક દિવસ લાહોર દરબારમાં અફઘાનિસ્તાનની શાસક વફા બેગમે આવીને ધા નાખી કહ્યું કે, કાશ્મીરના શાસક આતામોહમ્મદની જેલમાંથી મારા પતિ શાહશૂજાને આઝાદ કરાવો. બદલામાં અમારી પાસે રહેલો “કોહિનુર” તમને આપીશું ! કોહિનુર !! ભારતની શાન ગણાતું એક અણમોલ રત્ન ! કે જે કંઇ કેટલાય શાસકો પાછેથી અહમદશાહ અબ્દાલી પાસે અને હવે શાહશૂજા પાસે આવ્યું હતું ! શેર-એ-પંજાબની સેના વછૂટી. આતામોહમ્મદને રોળી નાખ્યો અને શાહશૂજાને આઝાદ કર્યો. રણજીતસિંહના કુંવર ખડગસિંહ તેને વફા બેગમ પાસે લાહોર લાવ્યો. અને બંનેને એક મહેલમાં આશરો આપ્યો. હવે આ “દંપતિ”એ કોહિનુર આપવામાં ગોટા વાળવા માંડ્યાં. ઘડીક કહે એ અમારી પાસે નથી ને ફલાણું ને ઢીકણું !! પછી એક આબેહુબ કોહિનુર જેવો ખોટો હિરો રણજીતસિંહને આપીને કહ્યું કે આ કોહિનુર છે ! રણજીતસિંહે પરખ કરાવી તો ખબર પડી કે આ નકલી છે.

હવે મહારાજાના ગુસ્સાનો પાર ન રહ્યો….પંજાબ સમ્રાટ સાથે ગદ્દારી !! મહેલની આસપાસ ફોજ ખડી કરી દીધી. બે દિવસ સુધી બંનેમાંથી એકેયને ખાવાનું ન આપ્યું ! પછી રણજીતસિંહ મહેલમાં ગયા. તેમને ખબર પડી ગઇ હતી કે, હિરો શાહશૂજાની પાઘડીમાં છે ! શાહશૂઝા કાવાદાવા કરતો રહ્યો. અંતે રણજીતસિંહે શીખોની ભાઇ-ભાઇ તરીકેની પાઘડી બદલવાની રસમ તરીકે પોતાની પાઘડી શાહશૂઝાને પહેરાવી, એની પાઘડી પોતે પહેરી લીધી ! પડદા પાછળ બેઠેલી વફા બેગમ હાથ ઘસી રહી, રણજીતસિંહની ચતુરાઇ આગળ એમનું કાંઇ ના ચાલ્યું ! અને આમ કોહિનુર સમ્રાટ રણજીતસિંહના લાહોર દરબારની અનન્ય શોભા બની રહ્યો ! રણજીતસિંહની ઇચ્છા કોહિનુરને પોતાની પાસે રાખવાની નહિ પણ ઓરિસ્સાના ભગવાન જગન્નાથપુરીના મંદિરમાં પ્રભુને ચરણે અર્પણ કરવાની હતી. પણ કમનસીબ કે પોતાના ધૃષ્ટ ખજાનચીને પરિણામે તેમની આ ઇચ્છા પુરી ના થઇ !

રણજીતસિંહની આ વિજયકુચમાં તેમના મહાન સેનાપતિનો ફાળો પણ અનન્ય હતો. એ હતાં – હરિસિંહ નાલવા. જેને ભારતના સર્વશ્રેષ્ઠ સેનાપતિ પૈકી એક માનવામાં આવે છે. તેમની રણકુશળતાએ અફઘાનોને રોળી નાખ્યા હતાં. ખરેખર હરિસિંહ નાલવા એ વિરતા અને કુશળતાનું જીવતું જાગતું ઉદાહરણ હતાં.

કાશ્મીર વિજય વખતે શીખ સેનાની કમાન મિશ્ર દિવાનચંદના હાથમાં હતી. કાશ્મીર વિજય બાદ રણજીતસિંહે ત્યાંના રાજા તરીકે ગુલાબસિંહ ડોગરા નામના અત્યંત બાહોશ ડોગરા રાજપુતને નીમ્યાં. છેક અહમદશાહ અબ્દાલીથી શરૂ કરીને કશ્મીર કૃર મુસ્લીમ શાસકોનું ભોગ બન્યું હતું. કાશ્મીરી બ્રાહ્મણો પર અમાનુષી અત્યાચારો કરીને તેમનું ધર્મ પરીવર્તન કરવામાં આવતું. ઔરંગઝેબે પણ આ અત્યાચાર કરવામાં કમી નહોતી રાખી. ગુલાબસિંહ ડોગરાએ કાશ્મીર પર પોતાનું પૂર્ણ પ્રભુત્વ જમાવ્યું એટલે હવે આવા મુસ્લીમ શાસકો માટે કોઇ અવકાશ ના રહ્યો. એક વાત બહુ ઓછા લોકો જાણે છે કે,આ જ ગુલાબસિંહે ચીનની સેનાને ધુળ ચાંટતી કરી હતી ! હાં,આ એક માત્ર એવો રાજવી હતો જેણે ચીન અને તિબેટની સંયુક્ત સેનાને ભૂંડી રીતે હાર આપી હતી.

૧૮૩૬માં તેમના રણકુશળ સેનાપતિ જોરાવરસિંહે લેહ-લદ્દાખ પર કબજો જમાવ્યો હતો. આખું લેહ-લદ્દાખ ગુલાબસિંહની એડી નીચે આવ્યું હતું ! હાં,આ સત્ય છે જેનાથી આજની પેઢી અજાણ છે. આજે કહીએ તો હાસ્યાસ્પદ લાગે કે ચીન તે કદી હારતું હશે !! પણ હાં એ ચીન હાર્યું હતું ! અરે,હાર્યું માનસરોવરની ગીચ પહાડીઓમાં ખેલાયેલા યુધ્ધમાં ચીનનો એક સૈનિક જીવતો નહોતો બચ્યો ! [ ફરીવાર વાંચજો – એક પણ જીવતો નહોતો બચ્યો,એક પણ નહિ. આ અતિશ્યોક્તિ નથી, સનાતન સત્ય છે ! ] ગુલાબસિંહનો હુકમ છુટેલો – ” એક પણ ચીની સૈનિક જીવતો ના રહેવો જોઇએ. જાવ ! કચરી નાખો ! પુરેપુરા રોળી નાખજો, રોળી !!” અને એમ જ થયેલું. હરામ બરાબર એક પણ ચીનો જીવતો નહોતો રહ્યો ! ખરેખર એ યુધ્ધની આજે અભ્યાસક્રમમાં નોંધ જ નથી લેવાઇ બાકી એકએક ભારતીય બચ્ચાની છાતી ગજગજ ફુલતી હોત ! આનું પરિણામ શું છે ખબર ? હમણાં ડોકાલામ વિવાદ મુદ્દે ચીને ધમકી આપેલી કે,”૧૯૬૨નું યુધ્ધ ભારતે ભુલવું ન જોઇએ.” અને ભારતીયો પાસે એનો કોઇ જવાબ નહોતો ! જવાબ તો હતો, જડબાતોડ હતો પણ કોઇના ધ્યાનમાં નહોતો. બાકી ભારતીયો છાતી ઠોકીને કહી શકત કે “૧૮૩૬નું યુધ્ધ ચીને ભુલવું ન જોઇએ. જેમાં સમ ખાવા પુરતો તમારો એકપણ સૈનિક જીવતો નહોતો રહ્યો. બધાંને રીતસરના કચરી નાખ્યાં હતાં….કચરી !!” પણ કમનસીબ કે પોતાના ગર્વીલા પરાક્રમોથી આજની પેઢી સાવ એટલે સાવ અજાણ છે. બાકી માનસરોવર નજીક ખેલાયેલ એ યુધ્ધ અત્યંત ભયાનક હતું. જેમ ભુખ્યા વાઘો આથડે એમ સેનાઓ લડી હતી. એ બાહોશવીર જોરાવર સિંહની ખાંભી આજે પણ તિબેટમાં છે ! અત્યારે તો તિબેટ ચીનના કબજામાં હોવા છતાં તે ખાંભીની સ્થાનિક તિબેટવાસીઓ સારી રીતે સંભાળ રાખે છે અને પોતાના દેવતાની જેમ પુંજે છે ! આ વખતે એક ભારતીય તરીકે આપણું માથું શરમથી ઝુકી જાય છે કે આપણને એનું નામ સુધ્ધાં ખબર નથી !

? બાય ધ વે,મુળ વાત પર આવીએ. રણજીતસિંહ પોતે અભણ હતાં ! છતાં પોતાના રાજ્યમાં તેમણે શિક્ષાનો પુરો બંદોબસ્ત કર્યો હતો. વળી,તેઓ ધર્મનિરપેક્ષ હતાં. કદી એવો જાતિવાદ તેમણે કર્યો નહોતો. એક વિશાળ સામ્રાજ્યના મહારાજ હોવા છતાં તેઓ કદી સિંહાસન પર બેઠા નહોતા ! પોતાના દરબારીઓની સાથે તેઓ જમીન પર જ બેસતા. વળી,તેમણે કદી પોતાના નામ પર સામ્રાજ્યનો વ્યાપ કર્યો નહોતો. “ખાલસા-પંથ“ના નામ પર જ તેઓ સામ્રાજ્ય ચલાવતા.

રણજીતસિંહની સેનાના જ્વલંત વિજયોનું પરિણામ એની સુસજ્જતા અને આધુનિકતા હતી. “ખાલસા શીખ સેના” તરીકે ઓળખાતા પોતાના સૈન્ય ૩૯ જુદાં-જુદાં દેશોના અફસરો હતાં ! જેમાં યુનાની,જર્મન, ફ્રેંચ, અમેરીકન અને અંગ્રેજ વગેરેનો સમાવેશ થાય છે. અલાર્ડ અને વંતૂરા નામના બે ફ્રેંચો તેમની સેનાના મુખ્યાધિકારીઓ હતાં. રણજીતસિંહ સદાય એવો આગ્રહ રાખતા કે પોતાની સેના વૈશ્વિક સેનાઢબે રણકુશળ અને આધુનિક હોવી જોઇએ. પોતે સેનાની પરેડો પણ યોજતા ! વળી,તેમની સેનામાં ગોળા, બારૂદ અને તોપોની કમી ન હતી.

રણજીતસિંહે અમૃસરના હરિમંદિર સાહિબા ગુરૂદ્વારામાં સંગેમરમર લગાવ્યું અને પછી તેને સોને મઢ્યું. બાદમાં તે “સુવર્ણમંદિર” તરીકે ઓળખાયું. જે આજે પણ શીખધર્મની રોનકને પ્રકાશતું ઊભું છે. વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર માટે રણજીતસિંહજીએ ૨૨ મણ સોનું દાન કરીને સુવર્ણછત્ર બનાવેલું, જે આજે પણ ભગવાન શિવની શોભા વધારી રહ્યું છે.

આખરે જુન ૨૭, ૧૮૩૯ના દિવસે લકવાના હુમલા પછી ભારતવર્ષનો આ મહાન સમ્રાટ અવસાન પામ્યો. ઘણાં અંગ્રેજ ડોક્ટરોની સારવાર છતાં તબિયત બગડતી જ રહી અને છેલ્લે ૫૮ વર્ષની વયે ભારતવર્ષમાં ઊગેલો આ સદાબહાર સુરજ અસ્ત પામ્યો. કમનસીબ કે તેના પછીના શાસકો તેના વિશાળ સામ્રાજ્યને સંભાળી ના શક્યા. માત્ર એક-બે જ વર્ષમાં તેમના બે-ત્રણ પુત્રો અત્યંત ટુંકી મુદત ભોગવી અવસાન પામ્યાં. શીખોમાં માંહોમાંહ ઝગડા શરૂ થયા અને અંગ્રેજોને હવે છૂટો દોર મળ્યો. જે સિંહથી તેઓ દબાયેલા હતાં એનું અવસાન થતાં તેઓ મેદાનમાં આવ્યા. અને પરિણામે એંગ્લો-શીખ યુધ્ધ લડાયું. તેમાં શીખ સેનાપતિ લાલસિંહના વિશ્વાસઘાતથી અંગ્રેજો વિજય પામ્યાં અને રણજીતસિંહના મૃત્યુના માત્ર દસ વર્ષ પછી સન ૧૮૪૯માં પંજાબ અંગ્રેજોની હકુમતમાં આવ્યું. રણજીતસિંહના પુત્ર અને છેલ્લા શીખસમ્રાટ દિલીપસિંહજીને લંડન તેડાવ્યા અને ત્યાં રાણી વિક્ટોરીયાએ ક્રુર કુટનીતિ રમીને દિલીપસિંહ પાસે રહેલો બેશકિંમતી હિરો “કોહિનુર” પડાવી લીધો ! ત્યાં દિલીપસિંહનું હોય પણ કોણ ? અને વિક્ટોરીયાના કાવાદાવા અને એની જ રાજસત્તામાં દિલીપસિંહનું ચાલે પણ શું ? આખરે જે જગન્નાથપુરીની શોભા વધારવા માટે જવાનો હતો એ હિરો લંડનમાં વેંતરાયો. એને ઠીકઠાક કરવા અને યોગ્ય ઢાળ આપવા તેને કાપવામાં આવ્યો. પરિણામે તેના મુળ કદ કરતાં હિરો સાવ નાનો બન્યો. અંતે,તે અંગ્રેજ મહારાણીના તાજમાં જડાયો. આજે પણ લંડનના મ્યુઝીયમમાં અંગ્રેજ તાજમાં કોહિનુર જડાયેલો છે.

રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી રણવીર બનીને રહ્યાં. અફઘાન અને અંગ્રેજોને તેણે ફરકવા ન દીધા અને એક વિશાળ સામ્રાજ્યની રચના કરી. આ દેશદિપક ક્યારેય ભુલાવાનો નથી. એણે સળગાવેલી ક્રાંતિ અને દેશપ્રેમની જ્યોત ક્યારેય બુજાવાની નથી. એક બાહોશ, ઉદાર, દાની, રણકુશળ અને ધર્મનિરપેક્ષ રાજવી તરીકે રણજીતસિંહજી સદાય યાદ રહેશે.

શત્ શત્ વંદન એ ધર્મ કિરપાણની ધાર પર રાખનાર નરબંકાને !!

– Kaushal Barad.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– વીર માંગડાવાળો – ભૂત રૂવે ભેંકાર…

– વિર રાણા હમિરસિંહ સોઢા

– સોરઠ નો સિંહ વીર રામવાળો

– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

– ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્‍પનની છાતીનું પરાક્રમ

– રાખડી નુ ઋણ – ભાણ પટગીર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!