એક અબળાને કારણે – સૌરાષ્ટ્રની રસધાર

સિંધમાં તે સમયે એક સૂમરો રાજા રાજ કરતો હતો. સૂમરાના દરબારમાં હેબતખાન નામના એક જતની નોકરી કરતો હતો. સૂમરાના કાનમાં કોઈએ મોહિની રેડી કે હેબતખાનના ઘરમાં સૂમરી નામની પદ્મણી કન્યા છે. કામદેવના ભૂવા સરખા સૂમરાએ હેબતખાનની કન્યાનું માગું મોકલી પરણવાની વાત કરી.

હેબતખાને સૂમરાને ના પાડી; જવાબ વાળ્યો : “ રાજાના હીરામોતીના હારની બેડીઓ કરતાં તો મારી સૂમરીને હું કોઈ મારા જેવા ગરીબના ઘરની ઘરવાળી બનાવીશ.”

સૂમરાએ નકાર સાંભળીને હુકમ કર્યો : “નાસવા માંડ, છ મહિને જબરજસ્તીથી તારી છોકરી ઝૂંટવી લઈશ.”

હેબતખાન પોતાની દિકરી અને કબીલા સાથે ભાગવા માંડયો. હેબતખાન સૌ પ્રથમ ભૂજમાં આવીને એણે રાવનું શરણું માગ્યું. રાવે તો પોરસમાં આવી જઈ આશરો દીધો, પણ રાવના અમીર-ઉમરાવો એ રાવને સિંધ તરફ આંગળી ચીંધીને બતાવ્યું :

“સૂમરાનાં ભાલાં આવીને હમણાં ભૂજને રોળી નાખશે”

રાવે હેબતખાનને કહ્યું : “ચાલ્યો જા.”

ભરકચેરીમાં હેબતખાને રાવને પૂછયું : “ આ હુકમ આપનો છે ?”

રાવની આંખો ધરતીમાં ખૂંતી ગઈ.

રાવે માથું ઊંચું કર્યું પણ નહિ. ‘યા અલ્લાહ !’ કહીને હેબતખાન પોતાના બાળબચ્ચાં લઈ ચાલતો થયો, આશરો માગતાં માગતાં જામનગરમાં પહોચ્યો રોકાઈને આશરો માગવા ગયો.

જામનગર રાજે સંભળાવ્યું કે : ભૂજે ન સંઘર્યો, તો મારું શું ગજું?

જામનગરનાં બારણાં બંધ થયા જોઈને હેબતખાન ચાલતો બન્યો અને કુટુંબ કબીલા સાથે ધ્રોળ રાજમાં પહોંચ્યો ધ્રોળથી પણ જાકારો મળ્યો, જાકારો સાંભળીને આખો કબીલો મોતની તૈયારી કરી ચાલી નીકળ્યો.

ek-abalane-karane

મારગમા મૂળી ગામનો ટીંબો આવ્યો. મૂળી પાદરમાં જુવાન સોઢાઓ રમતા-ખેલતા હતા. રમત ખેલતા સોઢા જુવાનો પાદર પાસેથી રોતા કકડતા જઈ રહેલી જતાણી અને તેમના બાળકો સાથેના કબીલાને જોતા, સોઢાઓ પુછે છે, ભા… આ મૂળીના પાદરથી કોઈ એક વટેમાર્ગુ પણ પોરો ખાધા વગર જાય નહિ, અને તમે લીંબુની ફાડ જેવી આંખો માથી બોર બોર જેવડાં પાણી પાડતી જતાણીઓ સાથે આ દોઢ હજાર મુસાફરો કાં સીધવા ચાલ્યા, અરે ભા.., કહો તો ખરા ક્યાં જવું ?

“જાવું તો દરિયામાં.”

“ કેમ, ભાઈ એમ બોલો છો ? આ પાદરે મરવાની વાત ના હોય અમને વાત તો કરો…,

દરબાર, “ આ ધરતી અમને બધેયથી જાકારો દે છે, હવે ધરતીને અમારો ભાર આકરો થઈ પડયો છે.”

“ આમ આડું કેમ બોલો છો, ભા ?”

“ આડું નથી બોલતા, ભાઈ ! સાચું કહીએ, પરશુરામે રાજપૂત કયાં રહેવા દીધા છે કે અમને સંઘરે ?”

પણ, ભાઈ આખી વાત, બોલો તો ખરા, શી આફત છે ?

હેબતખાને બધી વાત કહી સંભળાવી પરમારોમાં વાત પ્રસરી ગઈ, મૂળીને ટીંબે મોટા લખધીરજી ચોથી પેઢીએ લખધીરજી બીજાનો સૂર્ય તપતો હતો, હેબતખાનની વાત સાંભળી, તમે પોરો ખાવ હું હમણા આવું કહી લખધીરજીએ દોટ દીધી, પોતાના વૃદ્ધ માતા પાસે જઈને લખધીરજીએ કહે…,

માડી પાદરથી આશરા માટે રખડતો જતોનો કબીલો નિકળ્યો છે, બચારા રો-કકડ કરતા બચ્ચા અને જતાણીઓ બધેયથી જાકારો ખાધેલા છે, તમે દિઠો તો બાલ બચ્ચાની દયા આવી જાય, પાદરે પોરો ખાવા બેસાડી તમને પુછવા આવ્યો કે, આશરો આપું?

હાથમા માળા ફેરવતા ફેરવતા માતા બોલ્યા : દિકરા, આજે મને એક વાત સાંભરી આવી, સાંભળ જ્યારે તું નાનો અને હું બેઠી હતી નાહવા ત્યારે તું એક સામટો રોવા લાગ્યો હતો, હજુ તો હું આવું અને જોઉ કે, તને વડારણ ધવરાવતી નજરે ચડી.., મને ધ્રાસકો પડયો. પહેલા તો તને વડારણ પાસેથી ઝુંટવી ઊંધે માથે લટકાવ્યો અને તારા પેટમા ગયેલું વડારણનું ધાવણ ઓકાવી નાખેલું પરંતુ આજ તારા વેણ સાંભળીને મને લાગે છે કે, તે દી એકાદ ટીપુ વડારણના ધાવણનું તારા પેટમા રહી ગયું હશે, “નહિ તો પરમારનો દીકરો નિરાધારને આશરો આપવા ટાણે રજા લેવા ના આવ્યો હોય, એટલું બોલતા માડીની મોટી મોટી આંખોમાંથી આંસુડા ચાલ્યા ગયા.

માડી..!! “ તમારા એક એક આંસુડે, મારો એક એક ભવ ઓળઘોળ કરું.” એટલું કહી માં ને પાયે માથું અડાડી જુવાન લખધીરજી ઊપડતા પગે ચા૯યા, સામટો ડાયરો લઈને લખધીરજી જતોના કબીલા આડે ફર્યા :

” જવાય નહિ., મૂળી ગામે જેટલી જગા હશે તેટલી તમને કાઢી આપીશું અને અમારાથી રક્ષણ નહિ કરી શકાય તો છેવટ મરશું તો ખરા..!! ” હવે આ પાદર છોડી જવાઈ નહી.

હેબતખાન કહે : “ હું પારકાને રક્ષણે જીવવાના લોભે નથી આવ્યો, પરમારો ! હું તો ફક્ત આટલી જ શાંતિથી મરવા માંગતો હતો, આખરે અમને સંઘરનાર રજપૂત મળ્યા ખરા. ”

પરમારોએ જતો માટે પોતાના ઓરડાં ખોલી આપ્યા, જતોના કબીલા ઉપર રાતદિવસ પરમારો નો પહેરો બેસી ગયો, જે આવે… તેને વધાવી લેવાની વાત…, ત્યાં તો સૂમરાની ફોજના પડઘા બોલવા લાગ્યા.

મૂળીની ભો થાળી જેવી સપાટ અને થોડા માણસે એ ભોં ઉપર આપણો બચાવ થઈ શકે નહિ, તેથી જતો અને પરમારો માંડવના વંકા ડુંગર ઉપર આશરો લે છે, સૂમરાની ફોજ નજીક આવી વંકા ડુંગરાની કોતરમા ફોજે ઓડા લગાવી ઉપર જવા માટે તૈયારી કરી પરંતુ ઉપર જવાનો લાગ આવે નહી, વંકા ઉપર ચડવા એક મારગ કેડી એ પણ વિકટ હતી, અગર શત્રુ ઉપર ચડવામા ભુલ કરે…. તો શત્રુ કા પલભરમાં ઉપરની ગોળીએ વિંધાય કાં નીચેનાં ઊંડાં કોતરામાં ઉપરથી પડીને મરે. આથી દિવસ પસાર થતા ગયા એમ છ મહિના જેટલો સમય વીત્યો, એક દિવસ પરમારોના મુકામમાં કુંવર હાલાજીએ વેલા નામના હજામને કાંઈક આકરાં વેણ કહી નાખ્યા હશે અને હજામથી તે વેણ સહન થયા નહી હોય, અટલે હજામ તે ન સંખાવાથી વેલો ભાગીને સૂમરા બાદશાહની છાવણીમાં આવ્યો.

આવીને કહ્યું : “શું કામ મરો છો ? તમને એક દિવસમાં જિતાડું.”

બાદશાહ કહે : “ શાબાશ ! હું તને ગામગરાસ અાપીશ ”

વેલાએ વંકા ઉપર જવાનો ઈલાજ બતાવ્યો, ડુંગરની પાછળના ભાગમાં એક બહુ જ વંકી છૂપી જગ્યાએ પરમારો માટે પાણી પીવાને એક કૂવો છે હાલો દેખાડું.. આ રહ્યું જળાશય અને તેની પડખે આ રહ્યો તે કુવો જેનું પાણી પરમારો પીએ છે,

વેલા હજામે સૂમરાઓને હાથે બે ગાયો કપાવી પાણીમા નખાવી દિધી.

આ બાજુ સાંજ પડતા પરમારોના પખાલીઓ આવી જુએ તો કુવો અને પાણી ભ્રષ્ટ થયેલા જોયા, પરમારોએ પોતાનું મોત સામે ઊભેલું દીઠું અને જતોને જણાવી દીધું : “ ભાઈ ઓ.., સવારે ઊઠીને અમે તો ઝાડીમાંથી નીકળી કેસરિયાં કરશું પણ તમે મુસલમાન કોમ છો, તમને એ પાણી પીવામાં વાંધો નથી, તમ તારે સુખેથી જિવાય ત્યાં લગી જીવજો બાપ, અમારા છેલ્લા રામરામ છે !”

હેબતખાને જવાબ વાળ્યો : “ શું એકલા પરમારો જ મરી જાણે કે શું ? આજે જુઓ તો ખરા.. જતોના લોહીમાં પરમારના લોહી જેટલી જ ક્ષાત્રવટ ભરી છે કે નહિ ?

રાજપુત પરમારો બોલી ઉઠ્યા ઘણી ખમ્મા..ધન્ય છે તારી જનેતા ને..

રાત પડી ત્યાં તો જતાણીએામાં કાળો કકળાટ થઈ પડ્યો : “ અરેરે ! દૂધિયા દાંતવાળા પરમારોને આવતી કાલે તો જારનાં ડૂંડાંની જેમ વાઢી નાખશે… હજી તો માની ગોદમાંથી ચાલી આવતી રંભા જેવી રજપૂતાણી કાલે પ્રભાતે ચિતા ઉપર ચડશે. હાય રે પાપણ, સૂમરી ! હાય ડાકણી ! તું કેટલાને ભરખી લઈશ !”

સૂમરીએ એક ખૂણામાં બેઠાં બેઠાં આ મે’ણાં સાંભળ્યાં અધરાત ભાંગી અને સહુ જતાણી ઓની આંખ મીચાઈ ગઈ સૂમરી કિલ્લાના ચોગાનમાં આવીને ઊભી આકાશમાં ટમટમ ઝબૂકતાં ચાંદરડાં સામે જોઈ રહી, સૂમરીના હૈયામાંથી નિસાસો નીકળી ગયો :

“રે ખુદા ! મારો શો ગુનો ? મને આવડું બધું રૂપ કાં દીધું ?”

સવારને પહોર સૂર્ય મહારાજ જ્યાં ઉદયાચળને માથે કોર કાઢી, ત્યાં તો કેસરિયા વાઘા સજીને પરમારો નીકળ્યા આ બાજુ જતો પણ સાથે જ નીકળ્યા સૂમરા સાથેના સંગ્રામમાં હેબતખાનનો એક નો એક જુવાન જોધ દીકરો કામ આવ્યા., રાંડેલ ભાભીએ સૂમરીને સંભળાવ્યું :

“ ચુડેલ ! તારા સગા ભાઈને પણ આજ ભરખી ગઈ ?”

સૂમરીને કાળજે જાણે છેલ્લું તીર ભોંકાવાનું હતું તે ભોંકાઈ ગયું હતું રાત થઈ અટલે સોપો પડી ગયો સૂમરી તે વખતે છાનીમાની બહાર નીકળી, એક ગોવાળિયાના છોકરાને સાથે લઈ સૂમરી સાંઢય ઉપર ચડી અને ખુદા બતાવેલા મારગે પંથ કાપવા માંડ્યો, સૂમરી સાંઢયે ભાગી વાતની ખબર પડતાં પાછળ સૂમરાઓ ચડયા, બરાબર બગબગું થયું તે ટાણે સૂમરી વણોદ ગામને પાદર પહોંચી પાછું વાળીને જુએ ત્યાં તે સૂમરાના ઘેાડા આડા ફરી વળેલ જોયા !

“ હે અમ્મા, મારગ દેજે !” એટલું કહીને સૂમરીએ. સાંઢય ઉપરથી પડતું મેલ્યું. ધરતી ફાટી, અને મા જેમ રાતા બાળકને પોતાને થાનેલે વળગાડીને ઉપર પાલવ ઢાંકે, તેમ ધરતીએ પણ સૂમરીને અંદર લઈ પોતાનું પડ ઢાંકી દીધું. સૂમરી જે ઠેકાણે સમાઈ ગઈ ત્યાં એની ચૂંદડીનો એક છેડો બહાર રહી ગયો હતો. અત્યારે ત્યાં “ સૂમરી બીબીનું તળાવ” છે, ને કબર છે, એ કબરની લોકો માનતા પણ રાખે છે.

અહીં માંડવના ડુંગર ઉપર જુવાનડાઓ હોળી ખેલતા હોય તેમ લાહીની શેડો છૂટી ઈસાજી નામનો એક જત દુશ્મનની કારમી ગોળી ખાઈ કંડોળાની ટેકરી ઉપર પડયો એનાથી થોડે આઘે લખધીરનો કાકો આસોજી પણ ઘાયલ થઈ સૂતો હતો, બેયનાં અંગમાંથી ખળળ ખળળ લોહીની રેલ ચાલતી હતી. ઈસોજી પડ્યો પડ્યો પોતાના લોહીના રેલા આડે માટીની પાળ બાંધતો હતો. મોતની પીડામાં કષ્ટાતો આસોજી પૂછવા મંડ્યો :

“ભાઈ ઈસા ! મરતી વખતે શું તને ચાળો ઊપડ્યો ? માટી શીદ ફેંકી રહ્યો છે ?”

ઈસો જવાબ આપે છે : “ હે ભાઈ, આ ચાળો નથી…,

આ મારું મુસલમાનનું લોહી છેલ્લી ઘડીએ તારા લોહીમાં ભેળાઈ ને તને ભ્રષ્ટ ન કરે.., ને તારું મોત ન બગાડે…, માટે હું આડી પાળ બાંધું છું !!

“એ ઈસા ! એમ ન બોલ..એમ ન બોલ… મોત બગડતું નથી બાપ સુધરે છે

આજ છેલ્લી પથારીએ સૂતાં સૂતાં આભડ છેટ ના હોય

ન અટકાવ, ન અટકાવ. આપણાં લેાહીને ભેળાવા દે.”

ઇસા સુણ, અાસો કહે, મરતો પાળ મ બાંધ,
જત પરમારાં એક જો, રાંધ્યો ફરી મ રાંધ.

એ સાંભળીને ઈસાજીએ પોતાના લોહીને વહેવા દીધું. બેયનાં લેાહી ભેળાં રેલ્યાં. ત્યારથી જત અને પરમાર પરસ્પર પરણે છે. એ લોહીનાં આલિંગન અમર રહી ગયાં છે.

ત્યાં તો વણોદથી વળી આવેલા સવારો એ ખબર આપ્યા કે જેને માટે વેર મડાયું હતું તે તો ધરતીમાં સમાઈ ગઈ. પોતાની દીકરી જીવતી દુશ્મનોના હાથમાં ન ગઈ, અને મોત વહાલું ગણ્યું, તે જોઈને જતો પ્રસન્ન થઈ ગયા પણ પરમારો ને તો એ સ્ત્રીની આત્મહત્યા સ્ત્રીહત્યા જેટલી જ વસમી લાગી પરમારો હતાશ હતા, આ બાજુ સૂમરા તો પરમારોની કતલ કરતા અને તે ઉપરાંત એણે હાલાજીને કેદ કરીને લખધીરજીને કહ્યું :

“મારા લશ્કરને સિંધમાંથી આવવાનું ખર્ચ નહિ આ૫ તો હાલાજીને ઉપાડી જઈ મુસલમાન કરીશ.”

લખધીરજીએ અમદાવાદના બાદશાહ મહમદ બેગડાની સહાય માગી. બેગડાએ વચ્ચે પડી લશ્કરનું ખર્ચ લખધીરજી ચૂકવશે એવી બાંયધરી દીધી, અને ખર્ચા પરમારે ન ભરે ત્યાં સુધી હાલાજીને પોતાના કબજામાં રાખવાનું ઠરાવ્યું.

હાલોજી પરમાર મહમદ બેગડા સાથે અમદાવાદ જઈ રહ્યા, બાદશાહ મહમદ બેગડાને ઉમેદ હાલાજીને મુસલમાન બનાવવાની હતી અને

જોરજુલમ કરીને નહિ પરંતુ ઈસ્લામનું સાચું નૂર બતાવી મુસલમાન બનાવા હતા, આજ કારણે બેગડાએ ચાર મરજાદી બ્રાહ્મણો બોલાવીને હાલાજીના રસોડા ઉપર મૂક્યા, હાલાજી જરાય ન દુભાય તેવી રીતે બાદશાહે બંદોબસ્ત કરાવ્યો બીજી તરફ એને ઈસ્લામ ધર્મનાં રહસ્યો સમજાવવા મૌલવીઓ રાખ્યા બેગડાએ બધુ કરી જોઈ લીધું પણ હાલાજીનું મન પલળ્યું નહિ સૂમરાની ખંડણી પૂરી થયે હાલાજી પોતાના ભાઈની પાસે મૂળી ચાલ્યા ગયા.

પાંચમે જ દિવસે મારતે ઘોડે.., હાલેાજી પાછા અમદાવાદ આવ્યા..
ભરકચેરીમાં હાંફતી છાતીએ આવીને હાલોજી બોલી ઉઠ્યા :

બાદશાહ સલામત !
મને મુસલમાન બનાવો…. જલદી.., મને મુસલમાન બનાવો

બાદશાહને તાજુબ થઈ પડ્યું એમણે બધી હકીકત પૂછી હાલાજીએ હકીકત કહી.

“ હાલાજી કહે હું મારે ઘેર ગયો, બાદશાહ આપે અાંહી મને કેવી રીતે પવિત્ર રાખ્યા તેની વાત મેં મારાં ભાઈ-ભાભીને કહી સંભળાવી હતી. ત્યાર પછી મને તરસ લાગવાથી હું પાણિયારે જવા ઊઠ્યો ત્યાં તો મારી ભાભી આડી ફરીને ઊભી રહી..,

ભાભીએ કહ્યું : “ હાલાજી તમે પાણીને ગોળે અડશો મા.”

“મેં કહ્યું : ‘ભાભી, હાંસી કરો છો કે શું ? અને ભાભી બોલ્યાં : ‘ના’ હાંસી નથી કરતી, ખરું કહું છું.., તોય હું હાંસી સમજ્યો અને ચૂલા પાસે જવા ચાલ્યો, પણ ભાભીએ ક્રોધ કરીને કહ્યું :

“હાલોજી હવે ડગલું ના માડસો.. તમે તો મુસલમાન ભેળા રહી આવ્યા છો હવે તમે ચોખા ન ગણાઓ.!! ”

જહાંપનાહ, જો હિન્દુ ધર્મ આવો સાંકડો હોય તો મુસલમાન જ કાં ન થઈ જવું ? મને મુસલમાન જ બનાવો… મારે મુસલમાન બનવું છે બાદશાહ મહમદ બેગડાએ હાલોજી ને મુસલમાન બનાવ્યા.

બાદશાહે લખધીરજીને મૂળીથી અમદાવાદ બોલાવ્યા અને હુકમ દીધો કે રાણપુરની ચોવીસી હાલાને આપો બાદશાહે પોતે બીજા ચાર ગામ પણ હાલાજીને મસાલમાં આપ્યાં એ રીતે હાલાજીને રાણપુરની ગાદી પર મોકલ્યા. સાથે મેાગલ, શેખ, સિપાઈ, લેાદી અને બલમલા રાઠોડ એમ ચાર અમીરો આપ્યા; એક મસાલ આપી.

એક દિવસ હાલોજી પરમાર રાણપુરથી જમાબંધી ભરવા માટે ધંધુકા ગયા તે જ દિવસે કાઠીઓએ ધંધુકાની ગાયો વાળી ગામમાં વસ્તીનાં કલ્પાંત સાંભળીને હાલાજીનું હૃદય હલમલી ઊઠયું મનમાંથી અંતર્યામી દેવ બેાલ્યા :

“હાલા…, તારી કાયા ભલે વટલાણી પણ રુદિયે તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનો રહ્યો છે ને !! આજ તું બેઠાં કાઠીઓ ગાયે વાળી જશે ? હે અગ્નિપુત્ર ! બાપદાદાના બિરુદ સંભાર !”

દેવના શબ્દો પડતા હાલોજી રૂવાંડે રૂવાંડે બેઠા થઈ ગયા.. આભ સામે જોય હાલોજી બોલ્યા… હવે આ હાલાની લાજ તારા હાથે ખમ્મકારા આપજે એકલ પંડ હાલોજી ગાયોની વહારે ચડયા, ધંધુકાની દક્ષિણે એક ગાઉ ઉપર કાઠીઓની સાથે હાલાજીનો ભેટો થયો બંને વચ્ચે ધીંગાણામા હાલોજી કામ આવ્યા, આજે પણ સરવરશા પીરની જગ્યામાં એમની પાંચેક હાથ લાંબી કબર મોજૂદ છે.

હાલાજીનાં રાણી પોતાના દીકરા હાંસુજીને તેડી બાદશાહની પાસે ગયાં. રાણીની અરજથી, જે જગ્યાએ ગાયોને કારણે હાલોજી કામ આવ્યા તે આખી જગ્યા બાદશાહે ગૌચરમાં આપી દીધી.

હાલાજીના માથામાં બાદશાહે હાંસુજીને ભૂતિયા, ભહરિયા, દાંતિયા ને જાંબુડિયા નામનાં ચાર ગામડાં પણ આપ્યા તે ગામ આજે ઉજજડ થઈ ધંધુકાની સીમમાં ભળી ગયાં છે. હજુયે એના ઢોરા એંધાણીઓ તરીકે મોજૂદ છે, અને એ ગામો ઉપરથી મારગોનાં નામ પણ પડેલાં છે.

લેખક – ઝવેરચંદ મેઘાણી
સૌરાષ્ટ્રની રસધાર

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– વીર માંગડાવાળો – ભૂત રૂવે ભેંકાર…

– મેપા મોભની ઉદારતા ની વાત

– સોરઠ નો સિંહ વીર રામવાળો

– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

– ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્‍પનની છાતીનું પરાક્રમ

– રાખડી નુ ઋણ – ભાણ પટગીર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!