સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -5)

જેરમશા-નુરશાની જગ્યામાં પધરામણી

ને અમરબાઈના દેહ પરથી દાગીના ઊતરી પડ્યા, તેમ જ દિલના ભીતરથી જોબનના મનોરથો દડી ગયા. તે બનાવને આ ગ્રામ્યબાલા પોતાના નર્યા વૈરાગ્યનું જ ફળ નહોતી માનતી. એ માનતી હતી કે સંત દેવીદાસની કોઈગુપ્ત સિદ્ધિએ જ પોતાનામાં આવું પરિવર્તન આણ્યું હતું. એ માનતી હતી કે રક્તપિત્તના રોગની જોડે ખેલ કરનાર આ જોગીને કોઈ ચમત્કારની શક્તિ વરેલી છે. એ તો રાહ જોતી હતી કે જૂનાગઢ રાજનું બંદીખાનું ભેદી હમણાં જ બાપુ આવી પહોંચશે. દેવીદાસનું રૂંવાડું પણ ખાંડું નથી થવાનું તે વાતની એને આંધળી શ્રદ્ધા હતી.

પણ જેમ જેમ મોડું થતું ગયું તેમ તેમ એની ધીરજ ઓછી થવા લાગી. એ ચોમેર ખબર આપવા દોડી.

એને ખ્યાલ નહોતો રહ્યો કે પોતાની આગળ એક બીજું માનવી પણ ગયું છે. એ હતો બગેશ્વરનો કાઠીરાજ. એ દિવસે પ્રભાતે પલાયન કરીને રસ્તેનાં ગામડામાં તેમજ ખેતરો- વાડીઓમાં એને વાત ફેલાવી દીધી હતી કે જગ્યામાં પારકી વહુ દીકરીને રાખવાના અપરાધ કારન સંતને રાજે પકડી મંગાવ્યો છે.

એ વાતની લોકવાયકા બંધાઈ ગઈ. અને લોકવાયકાને તો પવનની પાંખો હોય છે. એટલે અમરબકઈ જ્યાં જઈ ઊભાં રહ્યાં ત્યાં ત્યાં એમણે હસાહસ દીઠી. લોકોએ કહ્યું, ‘અમર મા! આ ખટપટમાં શીદ પડ્યાં ? આવા ભેખથીતો સંસાર શું ખોટો?’

અનેકોએ કહ્યું કે ‘રબારો જોગની સિદ્ધિઓ તો દેખાડો જ કરતો’તો ને આજ સુધી? પકડવા આવનારને ત્યાં નેત્યાં પથરા કેમ ન બનાવી દીધાં?’

ગામડાંને ચોરે અને પાદરે ધૂણી ધખાવી બેઠેલા બાવાઓએ ત્રાડ મારી કે ‘આ જાવે તો સહી કોઈ હમકો પકડનેકો! ભસ્મ કર ડાલેં! માલૂમ?’

અમરબાઈને ન સતાવ્યાં ફક્ત નાનાં બાળકોએ. ચણીબોર અને આંબલીના કાતરાની ખોઈ ભરી ભરીગોવાળના કિશોર બાળકો વગડાને માર્ગે ‘અમરમા’ની વાટ જોતાં ઊભાં. તેઓએ આ જંગલી મેવો જોગણને હોંશ હોંશ વહોરાવ્યો. તેઓએ નિત્યનાં અમરબાઈને કશા જ ભેદ વગર ભાવમાં નવડાવ્યાં. છોકરાંએ પૂછ્યું : ‘હેં અમરમાં! દેવીદાસ બાપુને સપારડાં લઈ ગયાં એ સાચું?’

‘સાચું; ભાઈ!’

‘તયેં હાલોની, અમે સંધાય લાકડિયું લઈ લઈને તમારી ભેરે આવીએ. આપણે એ સપરડાં માથે એક મોટું કટક જાયેં.’

‘હા, હા, હાલો સરવે.’ બધાં જ ગ્રામ બાળકો કિકિયારી કરી ઊઠ્યાં.

‘તમને દેવીદાસ બાપુ આટલા બધા કેમ વહાલા લાગે છે, હેં બચ્ચા?’

અમરબાઈ રસ્તે ચાલતી ચાલતી પોતાની પછવાડે દોડ્યાં આવનાર બાળકોને પૂછતી, ‘કેમ વા’લા લાગે છે? કહું? ઊભાં રો’, કહું! દેવીદાસ બાપુએ ઠેકઠેકાણે ઝાંડવા વાવેલ છે ને એટલે અમને છાંયો મળે છે. અમારે ઓળકોળાંબો રમવાની મજા પડશે કે નહીં? એટલે વા’લા લાગે છે.’

‘અને બચ્ચાંઓ!’ અમરબાઈ હસીને સમજાવતાં, ‘આ ઝાડ મોટાં થશે તે દી તમેય મોટાં થઈ નહીં ગયાં હો? પછી મોટપણે ઓળકોળાંબે કેમ કરી રમશો?’

‘હા એ સાચું,’ છોકરાં જાણે નવીન સત્ય સમજી ગયાં. ‘ત્યારે તો પછેં દેવીદાસ બાપુ આપણને શા સાટું વા’લાહોવા જોવે?’

‘પણ ભાઈ,’ અમરબાઈએ છોકરાઓને ખુલાસો કરતાં કહ્યું: ‘તમારાં છોકરાં તો તે દી રમવા જેવાં થશે ને?’

‘હા, એ પણ સાચું,’ છોકરાં નવું સત્ય સમજતાં.

એ નિર્દોષો નિ-સ્વાર્થી ભાવે જોગણને ચાહતાં. એમની આસ્થા કોઈ ચમત્કારની માન્યાતા ઉપર નહોતી મંડાયેલી.

એમાંથી અમરબાઈને પણ શીખવાનું મળ્યું. દેવીદાસમાં ચમત્કાર – સિદ્ધિઓનો જે અભાવ થોડીવાર પહેલાં ખૂંચ્યો હતો, તે ખૂંચતો મટી ગયો. અમરબાઈએ આ વનબાળો જેવી સાદી સ્નેહલાગણીનો આશરો લીધો. એકવિભૂતિહીન માનવી તરીકે દેવીદાસ વધુ વહાલા લાગ્યા.

ત્રીજા દિવસની મધરાતના સુમારે અમરબાઈની આંખ મળી ગઈ હતી. તેમાંથી એ ઝબકીને જાગ્યાં. સામેની ગમાણમાં બાંધેલી ધેનુ ભાંભરડા દેતી હતી. આશ્રમની કૂતરી પરસાળમાં આંટા મારતી આકાશ સામે જોઈ રડતી હતી.

અંધારામાં બે માણસો દેખાયા. બેઉના ખભા ઉપર બે મોટી ડાંગોમાં લટકાવેલી લાંબી ઝોળી હતી. ઝોળીનું કપડું લોહી લોહી થયું હતું.

‘જય દત્તાત્રેય!’ કહીને તેઓએ ઝોળી પરસાળ પર ઉતારી.

‘માઈ!’ બેમાંથી એક પુરુષે અમરબાઈને કહ્યું: ‘દેવલોકો સમાલ લો!’ બોલનારનો અવાજ બત્રીસેય દાંતના અભાવની સાક્ષી દેતો હતો.

‘ઔર માઈ! અમરબાઈ!’ બીજા પુરુષે અવાજ દીધો, ‘તેરા દેવલાકો ઔર કુછ નહીં કરના! દત્તાત્રેય કે ધૂણેમેંસે ખાક લાકર દેવલાકા બદન પર માલિસ કરના ઔર પાની પિલાના.’

એ શબ્દધ્વનિ પણ એક બોખા જ મોંમાથી નીકળતા હતા. બંનેના સ્વરોમાં જાણે કે યુગાન્તર જેટલી જૂની પિછાનના પડઘા હતા. અમરબાઈ સમજી ગયા કે સત દેવીદાસને શરીરે ઈજા થઈ છે ને એ આજારી શરીરને કોઈ બે ઓળખીતા બુઢ્ઢાઓ આંહી ઊંચકી લાવેલા છે. એણે પુછ્યું: ‘તમે કોણ છો? ઊભા રહો. હું દિવો લાવું.’

‘અમર! બેટી!’ એક વૃદ્ધે પોતાની આંખો પર છાજલી કરીને યુવાન જોગણ સામે જોયું; ‘ઊભા હમ નહીં રહેંગે, પિછાન કી કોઈ જરૂરત હી નહીં હૈ.’

‘ઔર સબ સે બડી પિછાન તો યહ હૈ કિ તૂ ભી વોહી મહાપંથ પર ચલનેવાલી હૈ, જીસ પર ગુરુદત્ત ચલે ગયે, ભક્ત નરસૈયા ગયે. અબ ઇસમેં જ્યાદા ક્યા પિછાન દે સકતે હમ, બીટિયા?’ એ સ્વર બીજા બુઢ્ઢાનો હતો. એમ કહીને બંને જણ પાછા વળ્યા. વળતાં વળતાં બેઉએ અમરબાઈને નીચા વળી માન દીધું. અમરબાઈને ફક્ત આટલુંજ યાદ રહ્યું કે બેમાંના એક બુઝુર્ગે હાથ જોડી વંદન કર્યા હતાં; ને બીજાએ લલાટ પર જમણા હાથની સલામ કરી હતી. એકના દેહ પર કાળી કફની હતી ને બીજાના શરીર પરનો અંચળો અંધારે સફેદ દેખાતો હતો. બેઉની આંખો જંગલના વાઘસાવજની આંખોનાં રત્નો-શી ચળકતી હતી. બુઝુર્ગો ડગુમગુ ચાલે, લાકડીઓના ટેકા દેતા રવાના થયા અને તેઓના ઊંચા ડંડાઓના પછડાટ થોડી વાર પછી રાત્રીના હદયમાં સમાઈ ગયા.

અમરબાઈએ દેવીદાસને ઓરડામાં લીધા. હજુ એનું શરીર અવાચક અવસ્થામાં પડ્યું હતું. આખા શરીરે ડાંગોના માર પડ્યા હોય તેવી ફૂટ થઈ હતી. એક હાથનું કાંડું કોઈએ આગમાં શેક્યું લાગ્યું. એ બધી અવસ્થા જોઈ અમરબાઈના મુખેથી ફક્ત એક જ ઉદગાર નીકળતો હતો: ‘સત દેવીદાસ!’ ઉદગારે અમરબાઈને રોઈ પડતી બચાવી. ધૈર્યના ઝરા એ ઉદગારમાંથી ઝરતા થયા. અંધારી રાતે પોતે નજીકમાં જ દતાત્રેયનો ધૂણો હતો ત્યાં ભસ્મ લેવા ચાલી.

એ ચાલતી હતી તે વેળા કોઈ એક પક્ષીની કાળી મોટી પાંખો જેવો પડછાયો એની આગળ ને આજુબાજુ પડતો હતો. કોઈક અવાજ થતો હતો. અવાજમાં જાણે કે શબ્દનો આકાર રચાતો હતો: ‘અમર! અમર! અમર!’

કોણ સાદ કરતું હશે? જૂની કોઈ ઓળખાણ જાણે ગાજે છે. ધૂણાને કાંઠે અમરબાઈ ઘડીક થંભ્યાં. કાજળવરણી રાતમાં એનો આહીર-દેહ આભે માંડ્યા થંભ જેવો દીસ્યો.

કોને દીસ્યો?

‘અમર!’

કોણે પાછું નામ લીધું?

‘અરેરે જીવ ! આ તો બધાં પુરાતન થાનકો છે. કાળજૂનાં કંઈક માનવીઓ આંહી ગારદ થયાં હશે, અનેકવાસનાઓ અણતૃપ્ત રહી ગયેલી હશે. કંઈક જોગંદરોનાંય કલેજાં હજુ ઝૂરતાં ને તલસતાં હશે. કોણ મને ભૂતકાળની સોડ્યમાં સૂતું સૂતું સાદ કરતું હશે?’

એ પાછી ચાલી. ફરી પાછો ‘અમર! અમર!’ એવો નાદ ગુંજ્યો. ને એ સ્વરોમાંથી નવા શબ્દો આકાર ધારણ કરતા ગયા.

‘ચાલી આવ! પાછી ચાલી આવ! પાછી, પાછી, પાછી વળી આવ!’

આ અવાજ પુરાતન ન હોય. આ તો નજીકનો તાજો, લાગણી ભર્યો સાદ છે. અમરબાઈને એ શબ્દોમાં મીઠાશલાધી, અને અંતરમાં પ્રશ્નાર્થ ચિન્હ ખેંચાયું: શા માટે આ બધું? શા માટે સંકટો? આ રોજે રોજ નવનવી ઊઠતી આફતો: આ ભોંમાંથી જાગતાં ભાલાં? હું સેવા કરવા બેઠી. કોઈનું કશું બગાડતી નથી. દુનિયાને કશોય ભાર, કશીયભીડ નથી કરતી. જગતની એઠ જમીને પેટગુજારો કરી રહી છું. છતાં શા માટે આ પરિહાસ!

‘ચાલી આવ!’

મને કોણે બોલાવી! ક્યાં ચાલી આવું?

થોડાંક – થોડાંક જ વર્ષો જગતને માણ્યું હોત તો કદાચિત આજે લાગેલ છે તેટલો થાક ન લાગત. ‘આ મારીકાયા’ – એણે ચાંદરણાંના તેજમાં પોતાના હાથની કોણી ઉપરવટ ભુજાઓ પર્યંત ખુલ્લા કરીને નીહાળ્યા. ‘આ શરીર શેકાઈને શ્યામ પડી ગયું. કેવું ગોરું ગોરું હતું! આમ કેમ થઈ ગયું? પહેલા દિવસે આ લીમડાની ઘટામાં શીતળ શીતળ લહેરો આવતી હતી. તેથી તો નહોતી લોભાઈ હું?’

અમર પરસાળ પર ચડી ગઈ. પ્રશ્નમાળા ખંડિત બની. પોતે ઓરડે જઈને સંત દેવીદાસના શરીરે ભસ્મ ઘસવાલાગી.

પરોઢિયું હજુ નહોતું થયું. પરોઢ જ્યારે નજીક હોય છે ત્યારે અંધકાર ઘાટો ઘૂંટાય છે. એવી કાળી ઘાટમાં દેવીદાસે શુદ્ધિમાં આવી નેત્રો ખોલ્યાં. પહેલો જ પ્રશ્ન એણે એવો કર્યો, ‘સંત ન રોકાણા?’

‘કોણ સંતો?’

‘બે જણા મને મૂકવા આવેલા ને?’

‘હા, એમણે નામઠામ આપવાની ના કહી.’

‘તેં ન ઓળખ્યા, બેટા?’

‘હું કેમ, કરીને ઓળખું?’

દેવીદાસે મોં મલકાવ્યું: ‘અમરબાઈ, એક હતો ઈસ્લામી સાંઈ નૂરશાહ અને બીજા હતા હિંદુ જોગી જયરામશાહ, રામનામની જગ્યાવાળા.’

‘તમને એ ક્યાંથી ઉપાડી લાવ્યા?’

‘ઠેઠ ગિરનારમાંથી. કઈ જગ્યાએ હું પડ્યો હોઈશ તેની તો ખબર નથી, કેમ કે મને લઈ જનારાઓએ મારી આંખે પાટા બાંધ્યા હતા.’

‘તમને કોણ લઈ ગયેલા? શા માટે લઈ ગયેલા? ને આ આખે શરીરે કોણે કાળો કોપ કર્યો?’

‘દીકરી!’ દેવીદાસે અપાર વેદનાઓની વચ્ચે શાંત મલકાટ કરીને જવાબ દીધો, ‘દુ:ખ દેનારાઓના ચહેરાને ભૂલી જવાય છે. એનાં નામઠામ યાદ રહેતાં નથી. મારી યાદશક્તિ બુઠ્ઠી બની ગઈ છે. અને વળી, બેટા! મને મરેલ જેવાને ખોળી કાઢી આંહીં સુધી ઉપાડી લાવનારાં એવા બે મંગળમય નામોને યાદ કરું છું, એટલે તો સંતાપનારાઓને આશિષો દેવાનું મન થઈ જાય છે. સતસાંઈ નૂરશાહ! સત જયરામશાહ!’

‘પણ આપણો ગુનો શો છે તે લોકો સંતાપે છે?’

‘લોકો જે કરવા તલસે છે, પણ બીકના માર્યા કરી શકતા નથી, તેવું કાંઈ આપણે કરીયે તો એ આપણો ગુનોજ લેખાય ને, બાઈ! પારકાની વહુબેટીની અંતરિયાળ રોકી રાખવી એ કાંઈ જેવા તેવો અપવાદ છે, બે’ન! દેવતાની આંખમાંય ખૂન આવી જાય, સમજી બચ્ચા?’

‘થોડું થોડું સમજી, શાદુળ ખુમાણ પણ મને એવો જ માર્મિક બોલ કહી ગયેલા.’

થોડીવાર બેઉ ચૂપ રહ્યાં. અમરની વેદના વધતી હતી, કેમ કે પોતાની સામે એક પ્રચંડકાય સત્યપુરુષનાં છૂંદાયેલાં હાડમાંસનો માળખો પડ્યો હતો. એની આંખોમાં લાલપના દોરિયા ફૂટ્યા: એ બોલી ઊઠી, ‘ત્યારે તો તમને ઉપાડી જનારા જૂનાગઢના સિપાહી નહોતા, પણ મારા દેહના લોચાના ભૂખ્યા મારા સાસરિયાવાળા હતા, એમ?’

‘શાંતિ હારે એ જોદ્ધો નહીં બેટા!’ દેવીદાસે ટૂંકું જ વાક્ય કહ્યું. પાસું ફેરવતાં ફેરવતાં એનાં મોંમાંથી અરેરાટીછૂટી ગઈ.

એ અરેરાટી – શબ્દોએ અમરબાઈને ઉશ્કેરી, ‘હું – હું – હું જાઉં છું. જૂનાગઢને સિપાહી – થાણે ખબર કરુંછું. એ પાપિયાઓના હાથમાં કડીઓ જડાશે.’

‘ફોગટ છે, બેટા! એ બધું.’

‘કેમ?’

‘હું પોતે જ નામુકર જાઈશ.’

‘મને ખોટી પાડશો? સંત દેવીદાસ ઊથીને જૂઠ વચન બોલશે?’

‘આવરદાભરમાં એકેય વાર જૂઠ નથી બોલ્યો, એટલે ઈ એક જૂઠની શું પ્રભુ મને ક્ષમા નહીં આપે?’

અમરબાઈના કાંપતા હોઠ ઉપર દડ દડ દડ આંસુઓ દડી ગયાં. ‘પાપીઓનો આટલો બધો ત્રાસ! ગુનેગાર હું હતી. મારા કટકા કરવા’તા ને? પણ મારા બાપને, અરે આટલા નિરાધારોના આધારને શા માટે સંતાપ્યા? એ દુષ્ટોનીકોઈ ખબર લેનાર નથી શું?’

‘અમર! બેટા! કોઈની ખબર લેવાનો કોઈને કોઈ હક્ક નથી. ખબર લેવી હોત તો હું રબારણ માતાનું દૂધ ધાવ્યો છું ના!’ બોલતાં બોલાતાં સંતે પોતાના બાહુઓ લાંબા કર્યા.

ખુલ્લો દેહ પહાડ સમ પડ્યો હતો. બાહુઓ લોઢાની અડીઓ જેવા પ્રચંડ હતા. ટટ્ટાર બનેલી ભુજાઓ ઉપરમાંસની પેશીઓ મઢેલી દેખાતી હતી. ઘડીભર આ દેહછટા દેખીને અમરબાઈને દિલમાં ઓરતો થયો, કે આવાવજ્રપંજામાં પકડીને સંતે શા માટે એ શત્રુઓની ગરદનો ચેપી ન નાખી?

દેવીદાસના હાથ ફરીથી પોચા પડીને ઢળ્યા.

‘અરે ઈશ્વર!’ એણે એક નિશ્વાસ નાખ્યો: ‘હજી કાયાનો મદ બાકી રહી ગયો છે ને શું! શી પામરતા! મેં મારા ભુજબળનો દેખાડો કર્યો. ગુરુદત્ત ! મને, મૂરખા રબારડાને ક્ષમા કરજો.’

ભડકાડના તિમિર વીખરાતાં હતાં. સંતે કહ્યું : ‘હવે ઉઠીયે , દીકરી. ને હરિનાં બાળને દાતણપાણી કરાવીએ.”

“તમે ઉઠી શકશો ?”

“હવે મને શું છે ? દેહ તો હઠીલો બળદિયો છે. એને ખીલો ન છંડાવીએ તો તો વકરી જાય. એ બાબરાભૂતને કામે જ વળગાડવો સારો .”

લાકડીને ટેકે ટેકે પોતે ઉઠ્યા અને તે જ વેળા બહાર ઝાંપા ઉપર અવાજ સંભળાયો : “અમરબાઈ, બોન ! બાપુના કંઈ સમાચાર ?”

“આ સાદ તો શાદુળનો -” સંત ચમક્યા.

“હા, હું ઉઘાડું છું.”

“સાંભળ, અમર”

“કહો.”

“એક પ્રતિજ્ઞા લો.”

“શાની ?”

“મારા માથે મારપીટ થયાનો એક બોલ પણ શાદુળને કાને નથી નાખવાનો.”

“શા માટે ?”

“આયરોનાં માથાં ઉતાર્યા વિના એ ઘેર નહીં આવે અથવા તો ત્યાં જઈ પોતે કટકા થઇ પડશે . મને ભયંકરમાનવ હત્યા ચડશે. વચન આપ , કે તું શાદુળને નહીં કહે .”

અમરબાઈ વધુ બોલી ન શક્યા.

==================

સત દેવીદાસ                              અમર દેવીદાસ

જય પરબના પીર

આગળની વાત હવે પછીના ભાગમાં મુકવામાં આવશે ….

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી સંતો માંથી લેવામાં આવેલ છે.

જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– સંત દેવીદાસ – (ભાગ -1)

– સંત દેવીદાસ – (ભાગ -2)

– સંત દેવીદાસ – (ભાગ -3)

– સંત દેવીદાસ – (ભાગ -4)

– સંત શ્રી જલારામબાપાનો ઇતિહાસ

– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

 

error: Content is protected !!