સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -1)

મહાશિવરાત્રીનો મોટો તહેવાર હતો. ભક્તિના નશામાં મસ્તાન બનેલો દરિયો રત્નેશ્વર મહાદેવની ગુફામાં કેમ જાણે લીલાગર ઘૂંટતો હોય તેવી ખુમારીથી ભીતરનાં જળ એ સાંકડા ભોંયરામાં પેસતાં હતાં ને પાછા ઘુમ્મરો ખાઈ ખાઈ બહાર ધસી આવતા હતાં. કોઈ બરકંદાજની નજરથી નિહાળીએ તો જાણે કે રત્નાકર એક પ્રચંડ તોપની અંદર દારૂગોળો ઠાંસી રહ્યો હતો.

સોરઠને ઉગમણે કિનારે એક એકાન્ત સ્થાનમાં અરબી સાગરનું એ અંતર્ગત નાનું તીર્થ આવેલું છે. પૃથ્વીનું પેટાળ ભેદી ભેદીને રત્નાકરે એ ભોંયરું રચ્યું, ને માનવીઓએ કોણ જાણે કયા અકળ કાળમાં એ ભોંયરાને ઊંડે છેડે શિવલિંગ બેસાડ્યું. માનવજાતિનો હરેક મહાન સંસ્કાર જમાને ભયાનકતાનું શરણ લેતો આવ્યો છે. એ જ અવસ્થા ધર્મ નામના માનવસંસ્કારની થતી આવી છે. ધર્મના મૂળીયાં ઢીલાં પડ્યાં ત્યારે એણે ભીષણતાને પોતાની બહેન બનાવી લીધી.
રત્નેશ્વર મહાદેવની એ ગુફામાં ધસતાં ને પાછાં ઉલેચાતાં સાગર જળ નિહાળતાં કાચાં હૈયાં થરથરી ઊઠે.

પ્રભાતનો પહોર ચડતો હતો ત્યાં જ પાસેના દિયાળ ગામમાંથી બ્રાહ્મણોના જૂથ ઉમટવા લાગ્યા. તેઓની જોડે લીલાગર ઘૂંટવાનો ખરલો, છીપરો, ઉપરવટણા, ભાંગનો મસાલો ને મોટાં રંગાડાં પણ આવી પહોંચ્યા.

ભરતી પાછી વળી ત્યારે રત્નાકરે રત્નેશ્વરનું ભોંયરૂ ખાલી કરી દીધું, ભયાનકતા દૂર ચાલી ગઈ. બ્રાહ્મણો અંદર ઊતરીને ભોંયરામાં પેઠા ને પાણી પાછું કદાપિ ચડવાનું જ નથી એવા પ્રકારની વિશ્વાસભરી લહેર કરતા સહુએ શિવલિંગ સમક્ષ સુખડ ઘસીને લલાટૉ પર સુંદર ત્રિપુંડો ખેંચ્યા. ગુફાનું પોલાણ ‘બમબમ ભોળા’ના ઘેરા અવાજોથી ભરપૂર બની ગયું.

‘કેદાર !’ બેઠેલા જૂથોમાંથી એક ત્રિપુંડધારીની હાક પડી, ‘તું અહીંથી બહાર નીકળ.’

‘કોણ? કેદારીયો આવ્યો છે? માર્યા રે માર્યા’ એવું બોલતાં બીજાઓએ પણ એક માણસને નિહાળી પોતાનાં આસનો જરા છેટાં જમાવ્યા.

‘બહાર નીકળ આ તીર્થમાંથી !’ પ્રથમ વારનો અવાજ ફરીથી વધુ જોરાવર બની વછૂટ્યો.

‘પણ મારો વાંક શો છે?’ કેદારે દૂબળો સવાલ કર્યો.

‘વાંક?’ બે વાર બોલેલા એ ભવ્ય પુરુષે ફરીથી ગુફાને ગુંજાવી, ‘હજુય તું હાથે ખેડ કરતો અટક્યો છો? તમામ બ્રાહ્મણોએ પોતાની જમીનો કોળીઓને ખેડવા દીધી, તે છતાં તેં હજુ તારી હઠીલાઈ છોડી છે? તારા દેદાર તો જો ! તારું ધરતીનાં ઠેફાં સાથેનું જીવતર, તારા સ્નાન શૌચનાં ઠેકાણાં ન મળે, તારાં લૂગડાં આ ગુફાને ગંધાવી મૂકે તેવાં, તું મનુષ્ય છે? વિપ્ર છે? મહારાજ સિદ્ધરાજે વિપ્રોને આ જમીન આપી તે પશુ જોડે પશુ બનવા માટે? કે ધર્મની રખેવાળી માટે?’

‘પણ પૂજારીજી !’ સુખડ ઘસતા બ્રાહ્મણોમાંથી એક બોલી ઉઠ્યો, ‘તમે એ બધી વાતો કરો છો ને મુદ્દાની વાત પર તો આવતા જ નથી.’

‘શી, શી છે મુદ્દાની વાત?’ બીજાઓએ પૂછ્યું.

‘હા, હું જાણું છું, હું હમણાં જ એ કહેવાનો હતો. કેદાર, તારી માને રક્તપિત્ત છે, છતાં તેં હજુ એને ઘરમાં સંઘરી મૂકી છે. રત્નાકર રોજ રાતે મારા સપનામાં આવીને જવાબ માંગે છે, મને આજ્ઞા કરે છે કે મારો ભોગ મને હજુ સુધી કાં નથી અર્પણ કરી દેતા?’

‘હું શું કરું?’ કેદાર નામનો ચૂપ બેઠેલો ખેડુ બ્રાહ્મણ બીતો બીતો બોલ્યો. એના શરીર પર કંગાલી છવાઈ ગઈ હતી, એના માથામાં ઉંદરીની રસી વહેતી હતી ને એને ગળે, હાથે, પગે છારી વળી ગઈ હતી. આસપાસ બેઠેલા તમામ ઘાટીલા, નાજુક, સ્વચ્છ ને રંગીલા દેખાતા વિપ્રો વચ્ચેથી કેદારની શિકલ બહાર તરી નીકળતી હતી.

‘શું કરું એટલે, ભાઈ?’ પૂજારીનો સૂર જરા નરમ પડ્યો. ‘રક્તપિત્ત એ રોગ નથી, બાપા ! એ તો પાપ છે, મહાપાપ છે. એ પાપ પૃથ્વી ઉપર સમાય નહીં. એ પાપ તો એકલી તારી માને જ નહીં, પણ તારા કુળને, તારાં બાળબચ્ચાંને, તારા વંશવેલાને, અરે, આખા ગામને ભરખી જશે. એ પાપને તો સંઘરે છે એક મારો નાથ રત્નાકરદેવ. હવે સમજ પડી?’

કેદાર આ બધું સાંભળતો હતો, ત્યારે એનું મોં એનાં બે ઘૂંટણોની વચ્ચે દટાયું હતું. પોતાની આંખોને એણે બે હાથની અદબની પાછળ છુપાવી દીધી હતી.

‘સમજ પડી કે, બાપા?’ એ સવાલ ફરીથી સંભળાયો.

કેદારે માથું ઊંચું કરીને પૂજારી સામે ડોકું હલાવ્યું ત્યારે એની પાંપણો ભીની હતી.

‘જા, ઉઠ ત્યારે, તારી માં પાસે સંકલ્પ કરાવ. આવતી પૂનમનું પ્રભાત અતિમંગલ છે. હું મધુવન, મેથળા, કોટડા, કળસાર, ગોપનાથ, તળાજું વગેરે સ્થાનોમાંથી વેદવાન વિપ્રોને તેડાવું છું. જા, તું તારી માને મનાવ. કહેજે કે આમાં તો મહાપાપનું નિવારણ રહ્યું છે. ને જન્મ્યું તેને એક વાર મરવું તો છે જ ને?’

‘ને વળી પૂજારીજી !’ બીજા વિપ્ર બોલી ઊઠ્યા, ‘આ રોગ લઈને જીવવું એ તો મરવા કરતાંય વધુ ભયાનક નરકવાસ જ છે ને?’

‘ને આપણે આંગણે રત્નેશ્વર બિરાજેલ છે. આપણું ગામ તો અનેક આવાં મહાપાપીઓનું, અશરણોનું શરણ છે. આ ટીંબે તો ગામેગામથી પતિયાં, કોઢિયાં રત્નાકરને ખોળે બેસવા ચાલ્યાં આવે છે. તો પછી તીર્થ જ જેઓનું છે તેઓના જ શા ભોગ કે તેમને લાભ લેવાનું સૂઝતું નથી?’

કેદાર ત્યાંથી ઉઠ્યો.
* * * * * * * * * * * * * * *

‘મને કોઈ લોટો પાણી દેશો?’

એ ક્ષીણ અવાજ ઢોરની નીરણ ભરવાના ઓરડાના ઉંડાણમાંથી આવતો હતો. બાજુના ઓરડામાંથી કોઈ જવાબ દેતું નહોતું. ફરીથી એનો એ જ સાદ નીકળ્યો, ‘વહુ બેટા, મને એક લોટૉ પાણી રેડશો? તરસ બહુ લાગી છે.’

ફળીમાં બીજા ત્રણચાર ઘર હતાં, ત્યાંના રહીશો આ પાણીની માંગણી સાંભળતા હતા; ને અંદરઅંદર વાતો કરતાં હતાં કે ‘કોઢણી બોકાસા નાંખે છે, વહુ ઘરમાં લાગતી નથી. શું કરવું બાઈ? રોજનું થિયું, એનો ઓછાયોય ભેંકાર કે’વાય, માડી !’

આટલી વાતો પતાવીને પછી પાછા પડોશીઓ પોતપોતાને કામે લાગતાં હતાં, કોઈક સ્ત્રી બોલી ઊઠતી, ‘ઠીક સાંભર્યું, મારી વાછડી ક્યારની ભાંભરડા દિયે છે, તરસી થઈ હશે, લે પાણી પાઉં.’ એમ બોલીને એ પોતાની વાછડીને પાણી પાવા દોડતી હતી.

પરસાળ ઉપરના પાણીયારા નીચે ત્રણ ચાર સડેલા તેમ જ સાજાંતાજાં કૂતરાં આવી કુંડામાંથી પાણી પી જતાં હતાં, નીચે પડેલ હાંડાની અંદર પણ જીભ નાંખતા હતાં. એ સહુને પાણી મળી રહેતું, પણ ઘાસના અંધારા ઓરડામાંથી ‘કોઈ પાણી દેશો?’ ના અવાજની સંભાળ લેવા ત્યાં કોઈ નહોતું ડોકાતું.

“લાલા, બેટા, વહુ ક્યાં ગઈ છે? કોણ પાણી દેશે?” એવા ચોથી વારના અવાજે જુના ઓરડાનું ઘોડિયું સળવળાવ્યું. અંદરથી એક ત્રણેક વર્ષનો છોકરો મહેનત કરીને નીચે ઊતર્યો. સાદ જ્યાંથી આવતો હતો તે ઓરડાની બહાર ઊભો રહ્યો. પૂછ્યું: “કોણ છે?”

“લાલા, બેટા, હું છું.”

“મા છે?”

“હા બેટા.”

“મા, શું છે?”

“મારે પાણી પીવું છે; કોઈ ઘરમાં નથી?”

“હું છું.”

“બહાર કૂંડમાં પાણી છે?”

“નથી.”

“ઠીક ત્યારે, કંઈ નહીં બેટા ! તારી બાને આવવા દે.”

“મા, તમે અંધારે અંધારે કેમ બેઠાં છો? તમે ખડ ખાવા બેઠાં છો મા? તમે બહાર આવોને મા !”

“લાલા, બેટા, મારાથી બહાર અવાય નહીં. કોઈને મોં દેખાડાય નહીં.”

“મા, મારે તમારું મોં જોવું છે.”

“ના બેટા, મારું મોં બહુ વહરું છે. મારું નાક ને મારા હોઠ ખવાઈ ગયા છે. તું મને ભાળીને બી જા, બેટા !”

“નહીં બીઉં મા. તમને અહીં કોણે રાખ્યાં છે મા? બાએ? બાપુએ? બાને હું મારું? બાપુને હું મારું? મા તમે મને રમાડો. તમે મને વાર્તા કહો, તમે મને હીંચોળો, મને હાલાં કરો.”

જવાબમાં કશો અવાજ આવ્યો નહીં. ફક્ત એક નિ:શ્વાસ સંભળાયો.

“મા, તમારું નાક ખવાઈ ગયું છે? મારે જોવું છે. કોણ ખાઈ ગયું?”

“નહીં બેટા, ન જોવાય. આવતો ના, હોં.”

નાનો બાલક આ નકારને ગણકાર્યા વગર અંદર ચાલ્યો. એની ઝાંઝરી ખખડી એટલે અંદરથી અવાજ થયો :

“ન અવાય બેટા, લાલા ! બહાર રે’જે ! બહાર રે’જે ! મને ન અડાય.”

આટલું કહેતાં તો નાનો બાળક છેક પાસે પહોંકી ગયો. જ્યાં પહોંચ્યો ત્યાં અસ્પષ્ટ અજવાસ હતો. જઈને એ ત્યાં બેઠેલાં દાદીમાના ખોળામાં ચડી બેસી ગયો.
દાદીમએ મોં ઉપર ઓઢી લીધું. હાથનાં આંગળાં છુપાવી દીધાં. ઉપરાઉપરી પોકાર કરવા લાગી: “તને વળગશે ! બેટા, તને વળગશે! તું ન અડતો મને.”

“હી-હી-હી-હી મા, ” નાના બાળકને જાણે કે ઘણદિવસ પછી પોતાનું કોઈ ગુમ થયેલું રમકડું જડી ગયું. દાદીમાનો ઘૂમટો પણ ખોલાવવા એ ખેંચાખેંચ કરવા લાગ્યો: “ઉઘાડો, મા, ઉઘાડો. મોઢું ઉઘાડો!”

“લાલા, બેટા, કોઈને કહી ન દે તો ઉઘાડું.”

નહીં કહી દઉં. ઉઘાડો.”

દાદીમાએ ઘૂમટો ખોલ્યો. એ મોં ઉપરથી મૃત્યુએ બટકાં ભરી લીધાં હતાં. રસી અને લોહી ટપકતાં હતાં. દુર્ગંધની મિજબાની ઉડાવતી માખીઓ બણબણવા લાગી.

બાળકે એક નવીન જ ચહેરો દીઠો. એણે દાદીમાને વેશપલટો કરીને બેઠેલ દીઠાં. મા, મા કરતો એ ભેટી પડ્યો.

બરાબર એ જ વખતે રત્નેશ્વરની ગુફાએથી કેદાર આવી પહોંચ્યો, ને કોઢણી માતાના ઓરડા પાસે જતાં જ એણે ભયાનક દૃશ્ય જોયું: પોતાના એકના એક પુત્ર લાલાને જ એ ડાકિની જાણે ખાઈ જઈ રહી હતી.

“ડોકરી !” એણે બૂમ પાડી : “મારો છોકરો ભરખવો છે? હજુય તને જીવવાનું ગમે છે? રત્નાકર તારી વાટ જુએ છે. હવે તો ભલી થઈને જા !”

છોકરાને ખેંચી લઈને છાણ વતી સ્નાન કરાવ્યું, ખૂબ માર માર્યો. છોકરો ઊંઘી ગયો ત્યારે એ ઊંડા ઘરમાંથી ડોશીએ પૂછ્યું : “ભાઈ, મુરત જોવરાવીશ, બેટા?”

=========

પૂનમની આગલી રાતે રત્નાકરને ભોગ ચડાવવાનું નક્કી થઈ ચૂક્યું હતું. અને એ પતી ગયે કેદાર પાસેથી ચોર્યાશીનું જમણ ક્યારે લેવું તેની ચર્ચા ચાલતી હતી. મોડી રાતે ગામલોક નીંદમાં જંપી ગયા પછી એક સ્ત્રી ડગુમગુ પગલાં ભરતી બહાર નીકળી. એની ચાલ્ય ચોરના જેવી હતી. કેમ કે એ માનવસમાજ પાસેથી અક્કેક દિવસ ચોરીને લઈને જીવતી હતી. એ કેદારની મા હતી.

રાતના અજવાસમાં રેતીના પણ્યાને (ઢગલાઓને) ખૂંદતી ખૂંદતી એ દરિયાકિનારે ગઈ. આજે ત્યાં એક શિવલિંગ છે, ને ચાર ખૂણે ચાર પાયા છે. પૂર્વે તે શિવાલય હશે એમ મનાય છે. આજે એને લોકો ‘બથેશ્વર’નામે ઓળખે છે.

“હે બથેશ્વરદાદા!” કેદારની માએ પ્રાર્થના કરી : “મારા કેદારને હું તમારા વરદાનથી પામી હતી. (આજે પણ એ માન્યતા છે કે જે સ્ત્રીની બાથમાં આ બથેશ્વરનું લિંગ સમાઈ જાય તેને સંતાન જન્મે) તમે મારી બાથમાં સમાઈ ગયા’તા. આજ મારો પેટનો જણ્યો જ મને દરિયો બૂરવાનું કહે છે. પેટનો પુત્ર બદલી બેઠા પછી ધરતી ઉપર પણ જળપ્રલય થયા જેવું જ લાગે છે. તમારી રજા માગું છું મારા કેદારનો લાલો છે ને, એની રક્ષા કરજો.”

પ્રભાતે કેદારની માનો વાજતેગાજતે વરઘોડો નીકળ્યો.

ડોશીએ પોતાનું વિકૃત બનેલું મોં ઢાંકી લીધું હતું. પોતાનાં ખાવાપીવાનાં ઠામડાં એણે સાથે લીધાં હતાં. પોતાનાં લૂગડાંની પણ બચકી માથા ઉપર ચડાવી હતી.

“ભાઈ કેદાર,” ડોશીએ એક બાજુએ ઊભા રહીને કાકલૂદી કરી: “લાલો ક્યાં છે?”

“લાલાને રમવા તેડી ગયા છે.”

“લાલાને સાચવજે હો ભાઈ ! આપણી જાંબલી ગા છે ને, તેનો વેલો બીજા કોઈ બ્રાહ્મણને આંગણે નથી, માટે એને વેચી દેતો નહીં. ને તુંને પેટમાં દુખાવો ઊપડે છે માટે મઠ ખાતો નહીં, મઠ તને જરતા નથી.”

ડોશીની આખરી વેળાની આવી ભલામણો સાંભળીને બ્રાહ્મણો હાંસીની મોજ માણતા હતા. ફક્ત કેદાર જ મોં ફેરવીને ઊભો. ‘હો’ ‘હો’ જેટલો પણ એનાથી ઉચ્ચાર ન થઈ શક્યો. પેટનો દુખાવો, મઠ, જાંબલી ગાયનો વેલો, વગેરે વગેરે વાતોમાં તે એવી શી કરુણતા ભરી હતી કે જેણે કેદારને રોવરાવ્યો? કોઈ ન સમજી શક્યું. મૃત્યુના મુખમાં ઊભેલી એ ગ્રામ્ય ડોશીનાં નાક-મોંમાંથી વહેતાં લાળલીંટ અથવા એના બોખા મોં વચ્ચેથી ઊડતું થૂંક પણ સહુની હાંસીને પાત્ર બની ગયાં.

“આ રક્તપીતણીનેય સંસાર કેવો ગળે વળગી રહેલ છે !” પ્રેક્ષકોએ કુદરતની કરામતમાં અચંબો અનુભવ્યો.

તમામ સામૈયું રત્નેશ્વરના ઊંચા ભાઠા પર પહોંચ્યું. ભાઠો બરાબર રત્નેશ્વરના ભોંયરાની ઉપર ઊંચો ટેકરો છે. સુખી સહેલગાહીજનોને એ ઊંચા પૃથ્વીબિંદુ ઉપર સમુદ્ર વાદળીઓની જોડે ગેલ કરતો ભાસે છે ને જળતરંગોમાં નાગકન્યાઓ દેખાય છે. દુ:ખીને એ ભેખડની ટોચ ભયાનક લાગે છે. આ ખડકનું શિખર મરવાનો જેને ખરો મોકો આપે છે, તેને જગતમાં પાછા જઈ જીવવું ગમે છે.

ગામલોક દૂર અટકીને ઊભા. ડોશી રત્નાકરની સામે જોઈ ઊભી થઈ રહી.

“જોજે એલી, પાછું વાળીને જોતી નહીં હો, નીકર અમારું સત્યાનાશ નીકળી જશે.”“હો ભાઈ.”

ને ડોશી ચાલી. એણે પોતાના હાથ ઊંચા કરીને પછવાડે નજર કર્યા સિવાય જ સહુને છેલ્લા રામરામ કહ્યા. છેક ટોચે જઈને ડોશી ઊભી રહી. રત્નાકર હડૂડતો હતો.

“હાં, ડોશી, હવે હિંમત રાખીને કૂદી પડ.” લોકોમાંથી પૂજારીએ સાદ પાડ્યો.

“શાબાશ ડોશી.”

“જવાંમર્દ કેદારની મા.”

“દુનિયામાં કશું અચલ નથી, ડોશી.”

“જો વૈકુંઠનાં વેમાન તારે સારુ ઊતર્યાં આવે છે, ડોશી.”

એકાએક ડોશી ત્યાંથી પાછી વળી. દોટ દઈને નાઠી. ચીસો પાડી કે, “ભયંકર ! ભયંકર ! મારે નથી જવું. રત્નાકર ભયંકર દેખાય છે.” “નથી જવું?”

પૂજારીએ ત્રાડ પાડી : “નથી જવું એમ? અલ્યા દોડો, લાકડીઓ અને પથ્થરો મારી મારીને નાખો ડોશીને અંદર. સામૈયું શું અમથું કઢાવ્યું ત્યારે?”

બ્રાહ્મણોએ ડોશીને હડકાઈ કૂતરીની પેઠે પથ્થરો માર્યા. બુમરાણ મચી ગયું. ખીજે ભરાયેલો દરિયાવ પોતાની લાખ લાખ ફેણો પછાડીને ફૂંફાડા મારતો હતો.
પૂજારી બોલી ઊઠ્યો: “પધરાવો અંદર, નીકર ડાકણ સહુને વળગી જાણજો. રત્નાકરનો ભક્ષ છે, ભાઈઓ !”

ફરીથી બધા એને તગડીને ટોચ ઉપર લઈ ગયા. બરાબર તે જ વખતે રેતીના પણ્યાની પછવાડેથી એક માણસ દોડતો આવતો હતો ને પોકારતો હતો કે —

“ઘડીક ઊભા રે’જો. ઘડીક રોકાઈ જજો.”

“ઊભા રહો; થોડી વાર થોભી જાઓ !” એ અવાજ કાને પડતાં જ પુરોહિતને ધાસ્તી લાગી. રત્નાકરને બલિદાન નહીં ચડે તો પોતાનું ને ગામનું નિકંદન નીકળી જશે: નક્કી કોઈ આ પવિત્ર કાર્યમાં વિઘ્ન નાખવા આવી રહેલ છે.

“ઊભા રહો !” નો સાદ નજીક આવ્યો સાદ પાડનાર માનવી દરિયાકાંઠાની ઝીણી લોટ જેવી રેતીના પણ્યામાં પછડાતો આવતો હતો. આ વખતે એણે પછડાટી ખાધી, કે તત્કાલ પુરોહિતે ભાઠા પર દોટ દીધી. બીજાં સહુ માણસો સ્તબ્ધ બની ઊભાં હતાં તેની સામે લાલ આંખો બતાવતો પૂજારી ભાઠાની ટોચ ઉપર પહોંચ્યો.

ડોશીનું દયામણું મોં એની સામે તાકી રહ્યું હતું. પણ એ મોં પર દયાનો ભાવ ઊઠી જ શી રીતે શકે? એ રક્તપિત્તના રોગે મનુષ્યના મુખનો, સ્ત્રીના મુખનો સ્વચ્છ અરીસો છૂંદી નાખ્યો હતો.

ડોશીએ બે હાથ જોડવા પ્રયત્ન કર્યો, પણ એની આંગળીઓ ખવાઈ ગઈ હતી તેથીએ એની હાથજોડ પણ ભયાનક લાગી. એણે કહ્યું : “બાપુ, પૂજારી બાપા, મને જીવવા દ્યો. મારાથી રત્નાકરનું રૂપ અત્યારે જોયું જાતું નથી. બહુ ભયાનક ! બહુ ભયાનક ! મને જીવવા દ્યો. મારા લાલિયાને જોવા માટે જીવવા દ્યો.”
એ કાકલૂદી સાંભળવા જેટલો પૂજારીને સમય નહોતો. એણે ‘જય રત્નાકર !’ કહીને ડોશીને ભાઠાની કોર સુધી ધકેલી જઈ એક નાનકડો ધક્કો દીધો. ડોશી ગઈ.

ને પાછા વળતાં જ એણે પેલા દોડ્યા આવતા આદમીની પછવાડે બીજા કેટલાક લોકોને સીમાડા પર ધસ્યા આવતા જોયા.

“માનતા પહોંચી ગઈ, હવે ભાગો ભાઈઓ !” બોલીને પૂજારીએ ગામ તરફ દોડવા માંડ્યું. બ્રાહ્મણો અને બીજાં જોનારાં પણ તેતર પક્ષીના ઘેરાની પેઠે વીખરાયા.

દોડ્યા આવતા આદમીએ દરિયાનાં પરસ્પર અફળાતાં મોજાં ઉપર ડોશીના દેહને એક લાકડાના કાળા ટુકડાની પેઠે રોળાતો ને ટિપાતો જોયો. થોડી વાર ડોશીના દેહ ઉપર ને થોડી વાર નાસી જતાં મનુષ્યો ઉપર એની નજર દોડવા માંડી. એ બૂમ પાડવા પ્રયત્ન કરતો હતો કે ‘કોઈ દોડો, આ બાઈને બચાવો !’ પણ સ્વપ્નમાં બૂમ પાડવા મથનાર સૂતેલા માણસની માફક એનો અવાજ એના તાળવામાં જ ચોંટી રહ્યો. બૂમ પાડીને જેને બોલાવે એવું કોઈ કરતાં કોઈ મનુષ્ય નજીક ત્યાં નહોતું. પછવાડે દોડ્યાં આવનારાં લોકો હજુ દૂર હતાં. દરમિયાન ડોશીના શરીરને દરિયાના ગગડતા લોઢ ખેંચી જતા હતા.

ના, ના, એણે ફરીથી નજર કરી ત્યારે સમજાયું કે ડોશીને ઝડપવા માટે મોજાંઓની વચ્ચે મારામારી ચાલતી હતી. એક દળ દરિયા બાજુ ખેંચતું ને બીજો સમૂહ પૃથ્વી તરફ જ કાઢી નાખવા ઇચ્છતો હતો. ધરતી બાજુ જતાં મોજાંએ વધુ જોર કર્યું. ડોશીને મારણ મોજાંની દાઢમાંથી છોડાવી, કળસારીના નેસ તરફને કિનારે ધકેલવા માંડી.

ભાઠા ઉપર ઊભેલ આદમી કાંઠે કાંઠે દોડ્યો. એના મોં ઉપર આશા અને આસ્થાનું તેજ ચમકતું થયું. એણે દરિયાની અનંત નીલિમા સામે હાથ જોડીને આરજ ગુજારી કે, ‘હે મહેરામણ ! જીવતું માનવી પાછું પૃથ્વીને દઈ દે. ધરતીએ તારું કાંઈ બગાડ્યું નથી, ને ઓ રત્નાકર ! તારા નામનાં તો અમે અહીં ધરતી ઉપર બિરદ આપીએ છીએ. અમે મોટા મનનાં મનુષ્યોને સાગરપેટાં કહીએ છીએ. તું અગાધ દિલનો હો તો આ મનુષ્યને પાછું સોંપ. હે દાદા !’ બોલતો બોલતો એ કાંઠે દોડતો હતો. થોડી જ વારમાં એક મોજું બથેશ્વરની સપાટ રેત ઉપર આવીને ડોશીના દેહને શાંતિથી પધરાવી પાછું વળ્યું.

આદમીએ ડોશીને લાલ મડદાલના લીલા વેલા ઉપર સુવરાવી દીધી, એના બે પગ પકડીને ઊંધે મસ્તકે ઝાલી રાખી. ડોશીના મોંમંથી પાણી નીકળી પડ્યું, પછી એણે ડોશીના હાથ ઝાલીને ચક્કર ચક્કર હલાવવા માંડ્યા. થોડી વારે ડોશીનો બેભાન દેહ સચેતન બન્યો. આંખો ખોલીને એણે પોતાના ઉગારનાર તરફ જોયું ત્યારે જ એ આદમીને ડોશીના પ્રેત સ્વરૂપની પૂરેપૂરી જાણ પડી.

એકાએક દૂરથી આ અજાણ્યા માણસને સ્વર સંભળાયો : ‘મચ્છી ! મચ્છી ! મચ્છી !’

અવાજની પછવાડે જ બંદૂકધારી બે-ચાર માણસો આવી પહોંચ્યા. એમનો પોશાક યુરોપી હતો. એમના ચહેરા ગોરા હતા. એ ફિરંગીઓ હતા. કળસારની નજીક આજે પણ દરિયાની અંદરથી પાણી પાણી આવવાની સાંકડી સુકાયેલી નાળ્યો દેખાય છે; ને એ નાળ્યો ને ભેખડો ઉપર આજે પણ પાકી કોઈ ઇમારતોના પાયા પણ સાફ દેખાય છે. પૂર્વે એ પોર્ટુગીઝોનાં મોટાં ગોદામો હતાં. દરિયો છેક ત્યાં સુધી પોતાના કેડા કંડારીને નાનાં વહાણોની આવ-જા થવા દેતો. કળસાર ફિરંગીઓનું ધીકતું બારું હતું. કળસાર ગામની વચ્ચોવચ ફિરંગીઓનું પ્રાર્થના-મંદિર આજે પણ લગભગ તૈયાર ઊભું છે. પણ રત્નાકર ત્યાંથી રિસાઈને ચાલ્યો જતાં અત્યારે ત્યાં જૂની જાહોજહાલીની મિટ્ટી જ રહી છે અને દરિયાઈ નાળ્યો નીલાં જલામ્બર વિનાની નગ્ન પડી પડી ધીકે છે.

નજીક આવીને નજર કરતાં જ ફિરંગીઓ મોં ફેરવી ગયા. એમનાં મોંમાં ચીતરી ચડી ગઈ. દૂરદૂરના દેવાલય તરફ દૃષ્ટિ માંડીને બેઉ શિકારીએ છાતી ઉપર હાથ વતી ચોકડીઓ દોરી.(કોઈ પણ ભયથી રક્ષા પામવાની એ એક ખ્રિસ્તી-ધર્મી ક્રિયા છે.) એ લોકોએ માલદાર માછલીને બદલે એક સડેલું માનવી જોયું તેથી મોટી નિરાશામાં પડી ગયા.

“ઉસકો છોડ દો. તુમકો લગેગા. ઉસકે ગલેમેં ટોકરા ક્યું પહેનાતા નહીં?”

એવી શિખામણો આપતા યુરોપિયનો આઘે આઘે ભેખડ ઉપર ચડી ગયા. યુરોપમાં પણ રક્તપિત્ત અને કોઢનો રોગ એક મહાશાપ ને ભયાનક માનવશત્રુ ગણાય છે. જૂના સમયમાં રક્તપિત્તિયાને ગળે, સંધીઓ બળદોને કંઠે બાંધે છે તેવો અક્કેક ટોકરો બંધાતો, અને એના મોંને કપડાથી ઢાંકી લેવામાં આવતું, કે જેથી દૂરદૂર ચાલ્યા આવતા પતિયાની છાયા તો શું, હવા સુદ્ધાં ન લેવાઈ જાય તે રીતે લોકો ટોકરાના નાદ સાંભળી તરી જતાં.

જીસસ, મૅરી અને બીજા અનેક સંતોને પોતાની વહારે બોલાવતા આ ગોરાઓ પછવાડે જોવાની હામ હારીને જ્યારે બારા તરફ દોડ્યા જતા હતા; રક્તપિત્તનાં જંતુઓ એમની પાછળ પડીને ગરદનમાં છિદ્ર પાડી રહ્યાં હોય એવો ગભરાટ જ્યારે તેઓને નસાડતો હતો; ત્યારે ડોશીના લદબદ ગંધાતા ખોળિયા ઉપર એ અજાણ્યો માણસ ઝૂક્યો હતો. એ પણ રત્નાકરને આરાધતો હતો; પણ પોતાની રક્ષાને કાજે નહીં, ડોશીની શાતાને માટે.

એના મસ્તક પર મૂંડો હતો. મૂંડા ઉપર સાધુડા જેવી વાંદરા-ટોપી ઢાંકી હતી. એના અંગ ઉપર જાડા પાણકોરાની ધોળી બંડી હતી. કંઠે તુલસીના સાદા પારાની માળા હતી. કમ્મરે કાછડી ઉપર એક પછેડીની ભેટ બાંધી હતી. પૃથ્વીના ચડાણ- ઉતાર બહુબહુ ખૂંદીને એના પગના પહોંચા રાંટા થઈ ગયેલા ભાસતા હતા. પગનાં પગરખાં જૂની ઓખાઈ ઢબનાં, કોઈને માર્યાં હોય તો ગાલ ફાડી નાખે તેવાં મજબૂત ચૂંકદાર હતાં.

‘માડી !’ એણે ડોશીને દિલાસો દીધો: ‘રત્નાકરે ભોગ વાંદી લીધો. હવે ભે રાખશો મા.’

ડોશીને આ સ્વપ્ન લાગતું હતું, પોતે જીવતી પાછી નીકળી છે અને જેના ફરતી પા ગાઉની હવા પણ જીવતું માનવી ન લ્યે એવી પોતાની જાતને આ મનુષ્ય હાથોહાથ પંપાળી રહેલ છે. પછેડી વતી રક્તપિત્ત લૂછી રહેલ છે, એ ન મનાય તેવી વાત હતી. ડોશી ચમકીને ચીસો પાડવા લાગી: ‘ઓય ! ઓય ! રત્નાકર ! ઓય મને ખાધી ! એ પૂજારી આવ્યો ! મને પાછી નાખે છે !’

‘મા !’ પુરુષ એને છાતીસરસી લઈને ખાતરી આપે છે : ‘કોઈ નહીં ખાય. રત્નાકર તો રૂપાળો તમને પખાળે છે. જુઓ તો ખરાં માડી એનાં રૂપ ! ને પૂજારી હવે આવે તોય શું !’ તમને ને મને ભેળાં બુડાડે તો ભલે. બાકી હવે તમને એકલાં તો નહીં મૂકું.’

ડોશીને આ સાચી સૃષ્ટિ વધુ ને વધુ અવાસ્તવિક લાગતી ગઈ. એનાથી એક જ બોલ બોલાયો – જે બોલ જનેતાના કલેજાના હજાર હજાર ચીરા ઉપર પ્રભુની મીઠી ફૂંક સમો બનેલો છે, ‘બેટા !’

‘મા !’ પુરુષના મોં પર શ્રદ્ધાની છોળો છલકી : ‘મારનાર કરતાં જીવાડનાર મોટો છે. થોડા વખત પર સીમાડાની રેખા ઉપર જે માણસો તબકતાં હતાં તે બધાં રેતીના પણ્યાને ખૂંદતાં આવી પહોંચ્યાં. ભેખડ ઉપરથી આનંદના ધ્વનિ ઊઠ્યા કે, ‘એલા હેઈ ! આ રિયા, દેવીદાસ બાપુ આ રિયા.’

કિકિયારી પાડીને ટોળું આવી પહોંચ્યું. વિલક્ષણ લોકવૃન્દ હતું. કોઈ ખેડુ, કોઈ ગોવાળ, કોઈ ગામડિયો વેપારી, કોઈ દાતણ વેચનારો, વાઘરી; કમ્મરે પછેડીઓ બાંધેલી. કોઈના ગળામાં પખવાજ; કોઈના હાથમાં કાંસિયા, મંજીરા, એકતારો વગેરે સમૂહગાનનાં વાજિંત્રો હતાં.

‘અરે મા’રાજ !’ લોકોમાંથી એક જણે ઠપકો દીધો : ‘ભર્યા સામૈયામાંથી ભાગી નીકળ્યા? ગામ આખું કેટલું નિરાશ બનીને થંભી રિયું છે!’

‘શું કરું ભાઈ !’ ‘મહારાજ’ અને ‘દેવીદાસ બાપુ’ ના સંબોધને ઓળખ પામેલા એ પુરુષે શરમાઈને જવાબ દીધો :’મારો ધંધો જ શિકારીના જેવો થઈ પડ્યો છે ને ! કોઇ લોધીને મોટા માછલાના વાવડ દ્યો, કોઈ શિકારીને રૂડો કાળિયાર સીમમાં આવ્યાની જાણ કરો, પછી એ ઘડીભર પણ ઊભો રહી શકશે, ભાઈઓ?’

બોલતા બોલતા જુવાન દેવીદાસ ડોશીનાં લોહીપરુ લૂછતા હતા. ગામડિયા ભાવિકો હતા. છતાં તેમનાં મન પણ સુગવાતાં હતાં. શરમના માર્યા ઊભા રહ્યા, પણ મોં ફેરવીને છાનામાના થૂંકી લેતા. જરા દૂર જઈને વાતો પણ કરી લીધી કે, ‘ભગત જેવો ભગત થઈને લોહીપરુ ચૂંથવાની લતે શીદ ચડ્યો હશે! ઈશ્વરભજનમાં આત્મા લીન નથી થયો લાગતો. જગ્યાધારી બન્યો પણ સા’યબી માણતાં આવડવી જોઈએ ને ભાઈ ?’

‘ભાવિકો !’ દેવીદાસે મધુર વચને પૂછ્યું: “કોઈ ગાડાનો બંદોબસ્ત થઈ શકશે ?’

‘ગાડું !’ ભાવિકોમાંથી એક જણે કહ્યું: ‘ગાડું તો આંહીં અંતરિયાળ ક્યાંથી મળે મા’રાજ !’

‘..ને આ બાબતમાં ગાડું આપેય કોણ?’ બીજાએ સત્ય સુઝાડ્યું.

‘ત્યારે કાંઈ ખાટલાની જોગવાઈ કરશું?’ સંતે પૂછ્યું.

‘હા, કરીએ તમે કહેતા હો તો. પણ—માળું—ઈ બધું આંહીં – આ ધંધો !… ‘ એમ ભાવિકોની જીભો તૂટક તૂટક શબ્દોમાં એક ખાટલો લાવવાની ગહન સમસ્યા ઉપર તાર્કિક ચર્ચા ચલાવવા લાગી.

‘ત્યારે ભાવિકો ! આપણે એકાદ પછેડી લાવજો તો !’ કોઈએ એક ખેડૂતને આવી સખાવતનો અગ્ર અધિકારી ઠરાવ્યો.

‘મારી પછેડી તો ભાઈ, ફાટી ગઈ છે. ભાર નહીં ખમે.’ એમ સહુએ પોતપોતાની પછેડીની નિખાલસ નિંદા કરી નાખી.

‘કાંઈ હરકત નહીં ભાવિકો !’ કહેતાં જ દેવીદાસે પોતાની કમ્મર પરથી પનિયું છોડ્યું. જમીન પર પાથર્યું. રક્તપીતણીને એમાં હળવે હાથે સુવરાવીને કહ્યું : ‘ભાવિકો, હવે ચાર સરખા જણ આવી જાઓ. અક્કેક ખૂણો ઊંચકી લ્યો.’ ભાવિકોએ ફરીથી એકબીજાની સામે જોયું. આંખના મિચકારા કરવા માંડ્યા.

તૂટકતૂટક બોલ સંભળાયા, કે – ‘મને તો ભઈ, ત્રણ દીથી હાડકચર રે’છે.’

‘મારા પેટમાં તો બરલ વધી છે, તે પેમલા વાણંદે કાંઈ બોજ ઉપાડવાની ના કહી છે.’

‘મારાં તો આંગળાં છોલાણાં છે.’

આવી ગોળગોળ વાતોને અંતે એક ચોખ્ખાબોલો ભાવિક બહાર પડ્યો. એણે કહ્યું : ‘દેવીદાસ બાપુ, આ બધા નાહક ગોટા વાળે છે. લ્યોને હું તમને પાધરું કહી દઉં. તમે સાધુ થઈને આ નરક ચૂંથો એ અમને નથી ગમતું. ને આ ડોશીને જિવાડીને તમારે ક્યો મોટો ગઢ પાડવો છે? નાહક રત્નાગરને શીદ છંછેડો છો? અમને આવી ખબર હોત કે તમે અમારું સાચા દિલનું સામૈયું રઝળતું મેલીને કોઈના કહેવા પરથી આ ડોશીને બચાવવા દોડ્યા જાશો, તો અમે તમને અમારા ગામમાં પધરામણી જ દેત નહીં. ને આ રક્તપીતના હડકાયા રોગને અમારે અમારા ગામમાં નથી તેડી જવો. તમને ઠીક પડે તેમ કરો. અમે તો ગામડે જઈને બધી વાત કહી દઈએ છીએ.’

‘ભલે ત્યારે, ભાવિકો, પધારો. કલ્યાણ થાઓ સહુનું.’

‘ચાલો ભાઈ સહુ’ – એમ કહીને એ સ્પષ્ટવક્તા માણસે સહુને પાછા વાળ્યા. એકલા રહેલા દેવીદાસે પછેડીના બબે છેડા બાંધી લીધા. પોતાના બેઉ ખભા ઉપર ઝોળી પરોવી લીધી. અને પીઠ ઉપર પારણું વાળીને બાળકને ઊંચકી વગડા ભમતી કોઈ માતાની માફક દેવીદાસ ડોશીના દેહને લઈ ચાલી નીકળ્યા. સૂર્ય તે ટાણે માથા પર થંભીને આગના ભાલાં ફેંકતો હતો. દરિયામાં ઓટ થયો હતો. પાછાં વળેલાં પાણી આઘે આઘે કોઈ ઘેટાંનાં ટોળાંની પેઠે રમતાં હતાં. ફિરંગીઓની બંદૂકોના ગોળીબાર સંભળાતા હતા.

આગળની વાત હવે પછીના ભાગમાં મુકવામાં આવશે ….

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી સંતો માંથી લેવામાં આવેલ છે.

જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– ગંગાસતી અને પાનબાઇ

– સંત શ્રી હરદ્તપરી બાવાજી

– ઝમરાળા નો જોગી ફકડાનાથ

– ગીરનારી સંત શ્રી વેલનાથ

– સંત શ્રી જલારામબાપાનો ઇતિહાસ

– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ

– પરબધામ નો ઈતિહાસ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!