સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -2)

જગ્યામાં અમરમાંનું આગમન

શોભાવડલા ગામના પાદરમાંથી લોકો ગામમાં પાછાં વળતાં હતાં. પણ સવારનો પહોર હોવા છતાં કોઈને કેમ જાણે કશી ઉતાવળ જ ન હોય તેવી સહેલાણી રીતે સહુ થોડું થોડું ચાલીને પાછાં થોભી જતાં હતાં. એ સવારનો બનાવ એવો હતો કે કોઈનો, ખાસ કરીને સ્ત્રીઓનો રસ તો એકસો વર્ષો સુધીય ન ખૂટે, ઊલટાનો વધે.

એ રસ ત્યાંથી હજુ તાજેતરમાં જ ચાલી નીકળેલ વે’લડાને લગતો હતો. વે’લડાના લાલ માફાનું ટોપકું દેખાતું બંધ પડ્યું હતું. હવે તો સીમાડા ઉપર ફક્ત ધૂળનો જ થાંભલો દેખાતો હતો. છતાં કેડ્યે બાળકો તેડીને ઊભી ઊભી ગ્રામવનિતાઓ તે તરફ તાકતી હતી. મોં આડે ઓઢણામાં છેડા કરી કરી સહુ હસતી હતી:

‘આજ પહેલો જ બનાવ, કે સાસરે જાનારી દીકરી ધરાર ન રોઈ.’ ‘માવતરના વછા પડ્યે દીકરી જેવી દીકરીનું હૈયું રોયા વિના શે રહી શકે?’

‘અરે બાઈ, એટલું અલેણું. આટલી માયામમતા સુકાઈ ગઈ.’

‘હા જ તો. નવાણે નીર સૂક્યાં ને દલડાના નેહ સૂક્યા, એવો કળિકાળ આવ્યો હવે તો.’

‘કોણ જાણે, અમરબાઈને સાસરે તે કેવુંય સુખ મળવાનું હશે!’

‘સુખસા’યબી છે એ વાત તો સાચી. અમારી જાણની જ વાત છે. એની સાસુ તો પેટે અવતાર લઈએ એવી ને જુવાન ભારી રંગીલો.’

‘અમે દીઠેલો ને! આંહી આવેલો ત્યારે આંખોમાંથી શાં અમી ઝરે ઈ તો!’

‘બસ બાઈ, કે’નારા કહી રિયા તો પછી અમરબાઈ સાસરે જતાં શા સારુ રોવે?’

‘રોવે નહીં! શું બોલો છો તમે!’

‘પણ રોવું આવે નહીં ને!’

‘તોય રોવું જોવે. ગલઢાંએ કરી મૂક્યું છે. કોઈ કરતાં કોઈ છોકરી મોટે રાગે રોયા વિના સહિયરનું પાદર છોડે છે કે દી?’

‘અરે, મારા અમરબાઈ ગઈ ત્યારે કેવા સાદ કાઢીને મારી છાતીએ ઢળીને રોઈ’તી! જાણો છો ને, ફુઈજી?’

‘અરે બાઈ! અમારાં ટાણાંમાં અમારાં રોણાં કેવાં હતાં એની શી વાત કરીએ? ઈ તો ટાણાં જ ગયાં ને! ઈ વેળાયું ને ઈ વાતું!’

એવા વાર્તાલાપના ધ્વનિ-પ્રતિધ્વનિ પણ જ્યારે પાદરનાં ઝાડવાંની ઘટા નીચેથી વિલય પામી ગયા, ત્યારે અમરબાઈનું ઓઝતું બેક કોસને પંથ કાપી ચૂક્યું હતું. ગ્રામવધૂઓની ફરિયાદ સોએ સો ટકા સાચી હતી કે સાસરે જતી અમરબાઈ નહોતી રડી. સાચું કે જુઠું એકેય જાતનું એ નહોતી રડી શકી. ને તેના પરિણામે અમરબાઈની માતાને ઘણું ઓછું આવ્યું હતું. પોતાની દીકરી સ્વર્ગની સુખસમૃદ્ધિ વાંછનારી માતા પણ એટલી ઈર્ષ્યાળુ તો બેલાશક હોય છે કે પુત્રી તરફના માતૃનેહના એકાદ આંસુ ઊભરાની અને ગામ ભાગોળ ગજવતા એકાદ ઉચ્ચ સુરીલા આક્રંદની અપેક્ષા તો એ રાખે જ રાખે.

માવતરને સંભારી સંભારી આંસુ વહાવવાને બદલે ઓગણીસ વીસ વર્ષની દીકરી અમરબાઈ ત્યારે લહેરમાં હતી. એનું અંત:કરણ વે’લડાના વઢિયારા બળદની ઝડપને પણ નહોતું સાંખી શકતું. એની ભરાવદાર છાતી વે’લડાની ગતિને તાલ દેતી ઉછાળા મારતી હતી. એના જોબનમાં કેવડાની ફોરમ હતી. નઘેરનાં સભર નીરમાં પાંગરેલી કેળને નિહાળી હોય તો તમે અમરબાઈના એ દિવસના યૌવનનો મર્મ બરાબર પારખી શકો.

‘કેમ તું મારા સામે તાકી રહી છો, બેટા?’ વે’લડામાં બેઠેલી બીજી આઘેડ સ્ત્રીએ એને પૂછ્યું. એ અમરબાઈના સાસુ હતાં.

‘હું શું જોઈ રહી છું એની મને પોતાને જ ખબર નથી ફુઈ!’ અમરબાઈએ જવાબ દીધો.

સંભવ છે કે પોતાના મનોભાવને પોતે જ ન પિછાની શકનાર અનેક આત્મલુબ્ધોની પેઠે અમરબાઈને પોતાની ઊર્મીઓની ખબર ન પડી હોય. પણ આપણે કલ્પી શકીએ કે અમરબાઈ સાસુના ચહેરા મોહરામાંથી પોતાના સ્વામીની મુખ મુદ્રાને મીંડાવતી હતી. સાસુની એક્કેક રેખા ઉઠાવીને પતિની અણસાર ઘડતી હતી.

એમ કરતાં અમરબાઈ જોલાં ખાવા લાગી. સાસુએ તેને પોતાના ખોળા તરફ ખેંચીને કહ્યું : ‘અહીં આવ, મારાં ફૂલ! આંહી આવ. મારાં ખોળામાં એક નીંદર કરી લે ત્યાં હમણાં જ આપણે દત્તાત્રયને ધૂણે પોગી જશું.’

અમરબાઈએ અતિ ઉલ્લાસભેર સાસુના ખોળા પર માથુ ઢાળી દીધું. સાસુના શરીરમાંથી એક બીજા દેહની છાયા છુપાઈ હતી. તેનો સ્પર્શ કલ્પતી અમરબાઈ નવીન રોમાંચ અનુભવતી રહી.

એનાં પોપચાં હજુ અરધાં ઉઘાડાં જ હતાં. સાસુએ તેને ટાપલી લગાવી ને કહ્યું : ‘સુઈ જા, પાછું જાગરણ ભારી પડી જશે, ડાહી!’

એ અર્ધસ્પષ્ટ બોલના માદક ઘેને અમારબાઈની આંખો પૂરેપૂરી ઢાળી દીધી.

પારણાના હિચોલાટ બંધ પડતાં જેમ બાળક જાગી જાય છે તેમ અમરબાઈની નીંદ પણ ઊડી ગઈ. વે’લડું ઊભું રહ્યું હતું.

આખે માર્ગે વગડાની ગરમ લૂ વાતી હતી, તેને બદલે વે’લડું ઊભું રહ્યાની જગ્યાનો વાયરો શીતળ શીતળ લાગ્યો. પડદો ઊંચો કરીને અમરબાઈએ દ્રષ્ટી ફેરવી. વે’લડું લીલાં લીલાં ઝાડની ઘટા નીચે ઊભું હતું. ચૈત્ર મહિનાની નવી કૂંપળોએ કોળેલા લીમડા વીંઝણો વાઈ રહ્યા હતા. એ કડવાં ઝાડોનો મોર મીઠી ફોરમોને ભારે પવનની પાંખોને નમાવતો હતો. પીપરોનીં પાંદ ઘીમાં જબોળ્યા જેવાં ચમકતાં હતાં. એક નાની પરબની ઝૂંપડી બાંધેલી હતી. એક નાની કૂઈ અને અવેડો હતાં. અવેડો ભરતો એક આદમી ઢેકવાને નમાવતી વખત હર વેળા ‘સંત દત્તાત્રય’ બોલતો હતો.

છાંયડામાં અમરબાઈની સાસુ ઊભાં ઊભાં એક-બે જણાઓની સાથે વાતો કરતાં હતાં. સાસુના કદાવર ઘાટીલા આહીરદેહ ઉપર ગૂઢા રંગનું મલીર છૂટે છેડે લહેરાતું હતું. સાસુનું ગરવું સ્વરૂપ નીરખ્યા જ કરીએ છતાં ન ધરાઈએ એવી મીઠાશે નીતરતું હતું.

સાસુની વાતોના બોલ અમરબાઈએ ભાંગ્યા તૂટ્યા પકડ્યા:

‘આવ્યો છે? ભાઈ અહીં સુધી સામો અવ્યો છે?’

‘હા, આઈ. કહે છે કે આઈને એક વાતની ચેતવણી આપવા માટે આંહી સુધી પહોંચવાની જરૂર પડી છે.’

‘શેની ચેતવણી? ભાઈ ક્યાં છે? આંહીં બોલાવોને!’

‘આંહી તો નહીં આવે, શરમાય છે. કેમ કે અમરબાઈ બોન ભેગાં છે.’

‘દુત્તો ! આવ્યો તો હશે એટલા જ માટે, ને વળી શરમનું પૂતળું થઈ માને બનાવે છે !’ આઈએ રમૂજ કરી, ‘ને ચેતવણી શેની?’

‘કે જગ્યાની અંદર આઈયે ન જાય. અમરબાઈ બે’નનેય ન જાવા દે.’

‘કાં?’

‘દેવીદાસ બાપુએ થોડા દિવસથી જગ્યાને ગંધવી મૂકી છે.’

‘શાથી?’

‘પતિયાંને ભેગાં કરવા મંડેલ છે. પોતે હાથે જ નવરાવે-ધોવરાવે છે, ને હાથે જ ખવરાવે છે, હમણાં તો એક પતણી ડોશીને ઝોળીએ નાખીને પીઠ ઉપર લાદી લાવ્યા છે.’

એ જ વખતે એક ઝાડ-ઘટાની નીચે એક ચોગાનની વચ્ચે ચણેલા ઓરડા તરફથી કોઈ દુઃખભરી ચીસો આવતી હતી.’

‘આ કોણ ગોકીરા કરે છે?’ આઈએ પૂછ્યું.

‘એ જ – એ પતણી ડોશી જ. દેવીદાસ મા’રાજ એનાં સડેલાં આંગળા ધોવા બેઠાં છે.’

આહીરાણી થોડી વાર ઉંડા વિચારમાં પડી ગયાં, પછી એમણે કહ્યું, ‘ભાઈ ગાડાખેડુ, ઝટઝટ ઢાંઢાને નીરણ કરાવી લે. ત્યાં હું આંહી કૂઈ ઉપર નાહીને બે માળા ફેરવી લઉં. ભાઈને આ ભાતોડિયામાંથી ઢેબરાં પહોંચઆડે જ્યાં બેઠા હોય ત્યાં, ને અમરબાઈ, બચ્ચા, તારે જંગલ પાણી જઈ આવવું હોય તો જઈ આવ. આપણે આંહી ઝાઝું રોકાવું નથી. અરેરે, આવી દેવી જગ્યા ! આવું થાનક ! થાક્યા પાક્યાનો વિસામો ! એની જ હવા બગડી હવે તો !’

એટલું કહીને સાસુ સ્નાનાદિકમાં પરોવાયાં. બીજા સાથીઓ પોતપોતાના બંદોબસ્તમાં પડ્યા. ચકમક ઝગાવીને ભૂંગળી પીવામાં સહુ મસ્ત બન્યા. તે વખતે જુવાન અમરબાઈ ધીરે ધીરે ઝાડની ઘટા નીચે ચક્કર દેવા લાગી.

પોતાનો સ્વામી સામે લેવા આવેલ છે, એ પોતે જાણ્યું હતું. એની આંખો દૂરદૂરના એક વડલાની છાયામાં વડના થડનું ઓશીકું કરી પડેલા જુવાન આહીરને શોધતી હતી પણ એના કાન બીજે સ્થળે મંડાયા હતા. પેલી દયામણી ચીસો એને ખેંચતી હતી.

ખેંચાતી ખેંચાતી અમરબાઈ દૂર સરી ગઈ. ઓરડાના ચોગાન ફરતી ડીંડલા થોરની લીલી વાડ હતી. વાડની પછવાડે એ ફરવા લાગી. બૂમો વાડની અંદરથી આવતી હતી. વાડની આરપાર એણે નજર કરી. બિહામણું એ દ્રશ્ય હતું, રત્નેશ્વરના દરિયામાંથી બચાવીને આણેલી ડોશીની રક્તપિત્તની રસીને દેવીદાસ ધોતા હતા. પ્રભુએ દીધેલ સાદા પાણીમાં લીમડાનાં પાંદ નાખીને એ દરદીને નવરાવતા હતા.

દુખાવાને લીધે બૂમો પાડતી ડોશીને દેવીદાસ દિલાસા દેતા હતા – ‘નહિં, નહિં મારી માં, અમ પુરુષોના ગર્ભ વેઠનારી ને અનોધાં દુઃખો સહેનારી જનની ! નહિં દુખાવું તમને, તમમાં તો હું જોગમાયાનું, અખિલ વિશ્વની ઈશ્વરીનું રૂપ જોઈ રહેલ છું, મા !’

ડોશીનું અર્ધમૃત્યુ પામેલું ક્લેવર એક જ ઉચ્ચાર કરતું હતું, મારો કેદાર ! મારો લાલીયો !’

‘અરેરે ! કેવાં સ્વાર્થી છો, મા!’ કહીને દેવીદાસ હસતા હતા – ‘મને તમારો કેદાર નહીં કરો શું ? ને હું તમારા ખોળામાં આળોટું તો તમારો લાલિયો ન કહેવાઉં, હેં મા? જોજે, તમે સાજાં થાવ કે તરત જ હું તમારા ખોળામાં સૂઈશ. જોજે ને પછી લાલિયાની જ માફક તોતડી બોલી કરીશ. પછી કાંઈ કહેવું છે મા?’

ધાસ્તી અને ગભરાટનાં વાદળાં અમરબાઈના હ્રદય ઉપરથી ઊડી ગયાં, આગના ભડકાં કરતાંયે વધુ વિકરાળ એક રોગની સામે અમરબાઈએ એક જીવતા માનવીને ગેલ કરતો જોયો.

ડોશી પોતાની સારવાર કરનારને ચેતવતી હતી, ‘અરે દીકરા ! તારી ફૂલેલ કાયાનું શું થશે?’

‘હેં મા ! કહો જોઉં, તમારી જુવાનીમાં તમારી કાયા કેવી હતી?’

‘અરે બેટા, બબે હેલ્યે હું વાવના પાણી ભરતી, મને ગામલોકો હોથલ પદમણીનો અવતાર માનતા.’

‘ત્યારે બસ ! મા ! તમામ દેહીના એ જ હવાલ છે. જુવાનીના મદ ક્યારે ગંધાઈ ઉઠશે એની કોને ખબર છે ? માનવદેહને તો રોમે રોમ રોગ ભર્યા છે; એને હું ક્યાં સુધી દાટી રાખીશ ?’ કહેતા કહેતા દેવીદાસ ડોશીના શરીરને લૂછતા હતા. લૂછેલા દેહ ઉપર નવેસર રક્તની રસીના ટશિયા ઊઠતા હતા.

‘ને હું તો એ જ વિચારી રહ્યો છું મા, કે સ્ત્રીનો દેહ શી શી નરકવેદના સહે છે ! સ્ત્રીના શરીરને ચૂંથાવાનું – ચૂંથાવાનું – અરે ભોગની ભરપૂર મોજ મંડાતાની ઘડીથી જ સ્ત્રીના ખોળિયાને ટીપે ટીપે ખપી જવાનું. હું પુરુષ તમને ધોઉં છું ત્યારે, મા, મને એમ જ લાગે છે કે હું અમારી પુરુષજાતનાં પાપ ધોઉં છું.’

એવા એવા બોલનું વશીકરણ અનુભવતી અમરબાઈને બહારનાં જગતનું કંઈક એવું વિસ્મરણ થયું, કે પોતે એ જગ્યાના ચોગાનમાં ક્યારે પેસી ગઈ તેનું એને ભાન નહોતું રહ્યું. ચોગાન ઓળંગીને એ ઓરડામાં પહોંચી, ને ત્યાંથી પાછલી પરસાળમાં.

પોતાના પગનો સંચળ સંભળાવ્યા વગર જ એ ઊભી રહી. બહાર ઊભીને કાંટાની વાડ સોંસરું જે દ્રશ્ય અધૂરું દીઠેલું તે એણે અહીં પૂરું દીઠું.

દેવીદાસે ડોશીને એક ખાટલા ઉપર લીમડાના પાંદની પથારી કરીને સુવરાવી હતી. હવે એ પોતાના હાથને લીમડાના પાણીમાં ધોતા ધોતા કહેતા હતા – ‘હવે જુઓ માં, હું ઝોળી લઈને જઉં છું રામરોટી માંગવા, સાંજે પાછો આવીશ. પડખેના ઓરડામાં વાઘરીની દસ વરસની છોકરીને સુવરાવી છે. એ બૂમો પાડે તો તમે એને આંહીં સૂતાં સૂતાં છાની રાખજો, હો મા ! એને તો હજી ટચલી આંગળીએ જ નાનું ચાઠું છે, વધુ નથી.’

ઝોળી લઈને સન્મુખ બનતાં જ દેવીદાસે અમરબાઈને ઊભેલી, બે હાથ જોડીને પગે લાગતી દેખી.

‘અરે, અરે, આંહીં નહીં બોન ! આંહીં નહીં, બહાર, બહાર…’ કહેતાં ચમકેલા દેવીદાસે આ યુવાન રૂપસુંદરીને બહાર જવા ચેષ્ટા કરી.

અમરબાઈ ન બોલી કે ન હલીચલી.

ગિરનારનાં શિખરો પરથી સંધ્યાની લીલા ઊતરી જઈને આથમતા કાળની આસમાની ક્યારે છવાઈ જાય છે તેની જાણ પડતી નથી.અમરબઈના મોં ઉપર પણ ઊભરાતી આશાના જોબનરંગો ક્યારે નીતરી ગયા, ગમગીની ક્યારે પથરાઈ ગઈ, પરિવર્તન દેખાયું પણ — પરિવર્તન ક્યારે બની ગયું, તેની પળ ન જડી.એને પોતાને જ ન પડી. કેટલાક પલટાઓને લાંબો સમય લાગે છે. કેરીની રંગ બદલીને માટે ઋતુઓ રાહ જોઈ જોઈ ખતમ થાય છે પણ બધા જ પલટાએટલો સમય નથી લેતા. ભાદરવા માસનો પ્રાણ ઘડી તપે છે, ઘડી ભીંજાય છે.

“તમે કોણ છો બોન? ક્યાંના છો? બહાર ચાલો.” દેવીદાસનો અચંબો ઊંડો ગયો.

“આયર છીએ, મને આંહીં થોડી વાર ઊભી રહેવાદેશો? આંહીં મારું મન ઠરે છે.”

આખી દુનિયા ભાગી નીકળી છે, ત્યાં આ એક માનવીનું મન મારી પાસે આ ગંદકીની ને ભયંકર રોગની વચ્ચે ઠરે છે ! દેવીદાસની સન્મુખ એક અકળ સમસ્યા ઊભી થઈ.

“ભલે દીકરી, બેસો, અહીં આવો આ પરસાળમાં.” કહીને એણે અમરબાઈને એક કામળ પાથરીને બેસારી.

સામી ગમાણમાં આવળની સાંઠીઓને છાંયડે નાની ગાય બાંધી હતી. ગાય એના બે મહિનાના વાછરડાના શરીરે જીભથી ચાટીને ચળ કરતી હતી. દેવીદાસ ઠીકરાનું રામપાત્ર લઈને ગાય પાસે ગયા. પૂછ્યું: માતાજી, મે’માન છે. બે શેડ્ય પાડી લઉં?’

ગાયે દેવીદાસનો હાથ ચાટ્યો.

આઠદશ શેડ્યો પાડતાં તો રામપાત્ર છલકાઈ ઊઠ્યું: દેવીદાસે જઈને એ પાત્ર અમરબાઈ પાસે ધર્યું.

ધેનુના આંચળો હજુ ટપકતાં હતાં, માટીપાત્રમાં દૂધ હસતું હતું. દેવીદાસનો ચહેરો પ્રસન્નતાથી ઝલકતો હતો. અમરબાઈએ ઠેર ઠેર નિર્મળતા છલકતી દેખી. એણે રામપાત્ર પી લીધું.

“તમારી સાથે કોણ છે?” દેવીદાસે પૂછ્યું.

અમરબાઈએ જવાબ ન દીધો. એ જુદી જ ચેષ્ટાઓમાં પડી હતી. એ પોતાના કાંડાંમાંથી સોને મઢેલી ચૂડલીઓ ઉતારવા લાગી હતી. થોડી વાર થઈ ત્યાં એની સન્મુખ ચૂડલીઓની, કાનની વાળીઓ તથા નાકની ચૂંકની, કપાળ પરથી સોનાની પાંદડીઓની ને પગના અણવટ-વીંછિયાની ઢગલીઓ થઈ ગઈ.

“બોન !” દેવીદાસ ઊંધું સમજ્યા હતા : “આ જગ્યામાં એવું દાન અમે નથી લેતા. નાહક ન ઉતારો. અમે કોઈને વરદાન વેચતા નથી. આશિર્વાદ તો મારા છે જ બેટા, કે પુત્રની જનેતા થા. હું તારા દુ:ખની વાત ઉકેલી શકતો નથી. પણ દુનિયા ઝંખે છે, તેમ તુંય ઝંખતી હઈશ….”

અમરબાઈના મોં ઉપર શરમ અને આત્મધિક્કારનું રુધિર ધમપછાડા કરતું હતું. ધીરે ધીરે એનાં નેત્રોમાંથી પણી તબક્યાં.

દેવીદાસ ઊઠ્યા. દીવાલની ખીંટી પર એકતારો લટકતો હતો. પિતા પુત્રને લે તે રીતે એકતારાને ખોળામાં બેસારી દેવીદાસે બીજા હાથમાં મંજીરા વીંટાળ્યા. ઘેરા અને ગંભીર સ્વરે એણે ભજન ઉપાડ્યું:

ગોધન હાલ્યાં જય,
આ નવલખ તારાસૂરજ કેરાં ગોધન હાલ્યાં જાય.

એકલ ધરતી ઊભી ભાંભરે
વાછરડાં ખોવાય.
સુનમાં ધરતી શોધ કરે રે
વાછરડાં ખોવાય.
પ્રથમીનાં વાછરડાં ખોવાય,
માતનાં બાળકડાં ખોવાય.

ઊઠો ગોવાલા ! નંદદુલારા
રજની ખાવા ધાય;
કાળી રજનીમાં તમ વિણ કાના,
કોણ શોધવા જાય?
ધરતીનાં વાછરડાં ખોવાય — સુનમાં

લીલી એક ડાંખળનું લોભી
ભેખડ ચડી ઊભું બાળ :
ઊતરી ન શકે, પગલું ન ઠરે,
હેઠળ જળ ભેંકાર
ઊઠો હો ધરતીના મતવાલ ! – સુનમાં

અમરબાઈ એકધ્યાને સાંભળી રહી. એને લાગ્યું કે : જાણે પોતે જ પૃથ્વીમાતાનું ભૂલું પડેલું વાછરડું છે: પોતે જ કોઈ વિકટ ભેખડ ઉપર ચડીને નીચે ઊતરવાના રસ્તા વગર ઊભેલ છે. એનું અંત:કરણ પણ કોઈ ગોપાલનું આરાધન કરે છે, એવામાં — “આ બેઠી એ તો આંહીં !” એકાએક બોલ સંભળાયો.
છ આઠ જણા અંદર ધસી આવ્યા. મોખરે સાસુ હતાં. પછવાડે એક જુવાન હતો. બીજા છ હથિયારબંધ સાથીઓ હતા.

સહુ અમરબાઈના દીદાર દેખી ચમકી ઊઠ્યા. દેહ પરના દાગીનાની ઢગલીઓ થઈ ગઈ હતી. ચૂંદડી માથા પરથી ને ખભા પરથી ક્યારે સરી ગઈ તેનું અમરબાઈને ભાન નહોતું .

“આવો મા ! તમે હતા માં ?” દેવીદાસે એકતારાને દીવાલ પર ટેકવતે ટેકવતે હસી આદર દીધા.

એ આદરના શબ્દોએ આયરાણીનાં નેત્રોમાંથી જવાબ તો જ્વાલાઓનો જ દીઠો: “આ શું માંડ્યું છે તમે મા’રાજ?” એટલું બોલીને સાસુ અમરબાઈ તરફ ફરી.

“અમર..”

એણે કરડો અવાજ કાઢ્યો : “માથું તો ઢાંક ! તારો ધણી આવીને ઊભો છે તેટલું તો વિચાર.”

અમરબાઈ સાસુની સામે જોઈને હસવા લાગી.

“ને આ દાગીના કેમ ઊતાર્યા છે વેરાગણ?”

સાસુના એ સખ્ત પ્રશ્નનો ઉત્તર પણ અમરબાઈએ હસીને આપ્યો:

“મા, તમને સોંપવા માટે જ.”

“માં માં કોને કરછ? ને સોંપવા છે શા સારુ? ”

“માં, મારા અંતરમાંના તમામ બોલ એક જ બોલમાં સમાઈ ગયા છે. મને મારી માં — મારી ધરતીમાતા ગોતે છે. ગોવાળ મને લેવા આવ્યો છે.”

“આ તને શું થઈ ગયું?” કહીને સાસુએ અમરબાઈનું શિર ઢંઢોળ્યું. “તમે આ શું કરી નાખ્યું દેવીદાસજી?”

“કાંઈ નહીં માં ! હુંય નથી સમજી શકતો કે આ શું થઈ ગયું. આ તમારી દીકરા-વહુ છે માં?”

“આઈ” દૂરથી બૂમ પડી. એ બૂમ અમરબાઈના વરની હતી : “તમે ત્યાંથી ખસી જાવ. હું એ વેરાગણને અને આ ત્યાગીને પાધરાંદોર કરું છું.”

અમરબાઈએ આ વચનો ઉચ્ચારનારની સામે મીટ માંડી. એણે કહ્યું : “આવા રૂડા મોઢામાં એવા બોલ ન સામે, આયર ! ને મારો વાંક તો એટલો બધો વળી ગયો કે હવે હું પાધરી નહીં થઈ શકું. લ્યો આયર, આ તમારા શણગાર ; સુખેથી બીજે ચડાવજો.”

નાકની ચૂંક અને સૌભાગ્યની બે ચૂડીઓ અમરબાઈએ જુદી પાડીને પોતાના પતિની સામે ધરી.

“અરે ઊઠ ઊઠ હવે ભગતડી !” કહીને જુવાને અમરબાઈના છૂટી ગયેલ ચોટલાના કેશ ખેંચ્યા.

“હા, હા, એ ચોટલો પણ તમારો ખરો હો આયર ! લાવો છરી.” કહીને અમરબાઈએ એ જુવાનના કમરબંધમાંથી છરી ખેંચી લીધી. એ છરીથી પોતે પોતાનો ચોટલો કાપવા લાગી.

સાસુ અને પતિ : અમરબાઈની નજરમાં દુનિયાનાં એ સુંદરમાં સુંદર માનવીઓ; એ બેઉનાં રૂપ આટલાં બધાં બગડી ગયાં છે કે અમરબાઈને પહેલી જ વાર જ્ઞાન મળ્યું. જ્ઞાન એ મળ્યું કે બેઉનો સ્નેહ, એ ફક્ત માલિકીનો સ્નેહ હતો. થોડી વાર પહેલાં મને ખોળામાં સુવાડનારી વત્સલ સાસુ અત્યારે મને ગળાટૂંપો દેવાનો હોય તો દેવા તૈયાર છે ! થોડી વાર પહેલાં મને ઝંખતો દોડ્યો આવેલ જુવાન મારા ખોળિયાને આ રક્તપિત્તના ચેપમાંથી બચાવવા માગતો હતો તે તો આ શરીર પોતાને ભોગ ભોગવવાનું સાધન હતું તેટલા સારુ જ ને ! હું અમરબાઈ તરીકે અને દુનિયાના એક માનવી તરીકે તો પ્રેમ કરવા લાયક નહોતી, ખરું ને?

ચમકતી વીજળીના સળાવા જેવા આ વિચારોએ અમરબાઈને વિશેષ દૃઢ કરી. એણે પોતાની ચૂંદડી ખેંચવા માંડી.

“કજાત ! બસ થયું કજાત !” કહેતાં આ નફટાઈ ન જોઈ શકાયાથી મા ને પુત્ર મોઢું ફેરવી ગયાં. પુત્રે કહ્યું : “માં, ભલે રહી એ આ બાવાને; હવે તો એ ઊતરેલ ધાનનું હાંડલું છે.”

વેગીલી પગલે એ જગ્યાની બહાર નીકળી ગયો. સાસુ પણ “તને મૂઈ સમજું છું.” એટલા બોલ બોલી છાતી પર ત્રણ વાર હાય, હાય, હાય, એ શબ્દે હાથ પટકતી બહાર નીકળી ગઈ.

થોડી વાર પછી જગ્યાનાં ઝાડની ઘટામાં લક્કડખોદ પક્ષીના કડકડાટ સિવાય બીજો કોઈ બોલાશ નહોતો રહ્યો.

દેવીદાસ હજુ વિમાસણમાં મગ્ન હતા. અમરબાઈ હજુ એ ને એ હાલતમાં બેઠી હતી. દેવીદાસે એક જ વચન કહ્યું:

“મા, આ તેં શું કર્યું?”

“સંતજી, મેં શોધી લીધું, કે માનવીને રોમે રોમે રક્તપીત ગંધાય છે.”

લાંબી વાર સુધી બેઉ જણા ચુપચાપ બેસી રહ્યાં. દેવીદાસે જોયું કે અમરબાઈની દૃષ્ટિ ધરતી સામે સ્થિરતાથી મંડાઈ ગઈ હતી. ભયનું તો એના રૂંવાડામાં પણ કોઈ નામ-નિશાન નહોતું.

આખરે દેવીદાસ ઊઠ્યા ને એમણે ઝોળી લઈ જોડા પહેર્યા.

“મને કાંઈ સતવચન સંભળાવશો?” અમરબાઈએ પહેલી વાર પ્રશ્ન કર્યો.

જવાબમાં એ સાદા પુરુષે સાદી વાણી સંભળાવી: “શું સંભળાવું બાઈ ! શાસ્તર હું ભણ્યો નથી. હું ય રઝળતો રખડતો આવ્યો છું. એક વાત જાણું છું કે હું રબારી છું. આયરો ને રબારી આદુ કાળથી ગોધન ચારતાં આવેલ છે. તાજા જણેલા વાછરુને, થાક્યાપાક્યા વાછરુને અને રોગી વાછરુને ગોવાળ ખંભે નાખી ઘેરે લાવે છે. એ જ ધંધો હું આંહીં કરી રહેલ છું. રબારીનો એ ભગવાને ભળાવ્યો કસબ છે બાઈ ! મને ઢોર ચારનારાને બીજી કશી જ ગતાગમ નથી. વધુ શું સંભળાવું? મેં જ કદી સતવચન સાંભળ્યા નથી ને!”

ઝોળી ખંભે લટકાવીને દરવાજા સુધી ગયા પછી પોતાને કશુંક સાંભર્યું. પાછા ફરીને એણે અમરબાઈને કહ્યું: “બેન, એક વચન માગી લઉં છું.”

“શું?”

“સાંજે હું રામરોટલા ભીખીને પાછો આવું, ત્યાં સુધી તું આ જગ્યામાં બીજું બધું કામ કરજે, ગા દોજે, પાણી ભરજે, વાસીદું કરજે, પણ કોઈ રોગીને અડીશ નહીં. ”

“કારણ ?”

“કારણ હું તને આવીને સમજાવીશ.”

મોટી ડાંફો ભરતા દેવીદાસ ચાલ્યા. મધ્યાહ્ન ની અણી ઉપરથી સૂરજ સહેજ આથમણો ઝૂક્યો હતો. તીરછાં થવા લાગેલાં એનાં વૈશાખી કિરણો કુટિલ માણસની ત્રાંસી નજરની પેઠે વધુ ને વધુ દાઝથી આગ ફૂંકતાં હતાં.ચારે દિશાનાં ગામડાં ફરતી લૂ વીંટળાઈ વળી હતી. એક બિન્દુ પણ પાણી વગરની એ સોરઠી ધરતી ઉપર ઝાંઝવાનાં મોટાં સરોવરો લહેરાતાં હતાં, ને સરોવરોમાં મહાન અલકાનગરીઓના મિનારા, ઘુમ્મટો ને અટારીઓ કોણ જાણે ક્યા ભૂતકાળમાંથી પોતાના પડછાયા પાડતાં હતાં.

ગરમ લૂની થપાટો ખાતા દેવીદાસે એક ગામ ભીખ્યું. બીજું ગામ ભીખ્યું. ત્રીજું ગામ ભીખ્યું. પણ ગામડાં નાનકડાં, વસ્તી ખેતરોમાં, ઉપરાંત દેવીદાસનો ઓછાયો લેતાંય હવે તો લોક ડરતાં, એટલે એની ઝોળી હજુ વધુ ભાર બતાવતી નહોતી. સાંજ પડી ત્યાં લગભગ બારેક ગાઉનો પંથ એણે ખેંચી નાખ્યો. સાંજે એણે ‘જગ્યા’માં પગ મૂકી ‘સત્ દત્તાત્રેય’ નો સખુન ઉચ્ચાર્યો ત્યારે દીવાની વાટ ચેતી ગઈ હતી. દીવો કરનારા હાથ અમરબાઈના હતા.

“આજ તો સરખી જ્યોતે જગ્યાનો દીવો જલે છે.”દેવીદાસે હાથપગની ધૂળ ધોતાં ને મોં પર ઝીંકાયેલી લૂને ટાઢક કરતાં કરતાં કહ્યું :

“અમરબાઈ ! દીકરી !” દેવીદાસે પંગત બિછાવતાં બિછાવતાં કહ્યું: “બહાર ત્રણ વાર સાદ નાખીશ? કોઈ મુસાફર, વટેમાર્ગુ, અભ્યાગત, ભૂખ્યું દુખ્યું કોઈ હોય તો કહો કે આવી જાઓ ભાઈ રામરોટી જમવા.”

દસબાર રઝળુ બાવાસાધુઓ અમરબાઈને બોલે હાજર થયા, ‘જયરામજીકી’ની ઘોષણા થઈ રહી. ‘બડા ભગત હે દેવીદાસ! બડા સાધુસેવક હે! ભેખમેં તલ્લીન હો ગયા હે!’ એવા એવા ધન્યવાદો તેઓ બોલતા હતા ત્યાં તો પાછલી પરસાળમાંથી દેવીદાસ દેખાયા. એમની જોડે પાંચેક બીજાં અતિથિઓ હતાં. કોઈની આંગળીઓ ખવાઈ ગયેલી, કોઈના પગ લંગડા, કોઈની આંખોને સ્થાને ખાડા જ રહ્યા હતા. પાંચેયને દેવીદાસે એક જ પંગતમાં સૌની જોડે બેસાર્યાં.

“અમરબાઈ ! બાપ, તું બહાર બેસીને રામરોટીના ટુકડા નોખાનોખા પાડી નાખીશ?”

એમ કહીને એણે બહાર જઈ, એક વસ્ત્ર ઉપર ઝોળી ઠાલવી નાખી. બન્ને જણાએ રોટલીનાં બટકાં, રોટલાનાં બટકાં, ખીચડીના લોંદા, શાકનાં ફોડવા વગેરેની અલગ અલગ ઢગલીઓ પાડી.”

“પીરસો હવે સર્વેને” સંતે હસીને કહ્યું. અમરબાઈ પીરસવા ઊઠ્યાં.

“બાવાજી, તમારામાંથી કોઇક ઊઠશો પીરસવા?” દેવીદાસે મુસાફરોને પૂછ્યું.

કોઈ ઊઠ્યું નહીં. સહુની દૃષ્ટિ દીવાની ઝાંખી જ્યોતમાં ભૂતાવળ-શાં દેખાતાં પેલા રોગિષ્ટો ઉપર હતી. દીવાલ ઉપર એ રોગિષ્ટોની કાળી છાયાઓ ભમતી હતી. મનુષ્યો ને એના પડછાયા બેઉ એકબીજાની ભયાનકતામાં પુરવણી કરતાં હતાં. સાચા કોણ, પેલા પડછાયા કે આ અર્ધજીવિત રોગીઓ, તે ત્યાં એક સમસ્યા હતી. મુસાફર સાધુ બાવાઓને શંકા પડી હતી કે આ રોગિષ્ટો અમારી સામે તીણી આંખે તાકે છે.

“ત્યારે હરિનાં બાળુડાં !” દેવીદાસે એ રોગિયલ મંડળી તરફ હસીને કહ્યું: “તમારામાંથી કોઈ ઊઠશો? આ લોંદો લોંદો ખીચડી વહેંચી દેશો?”

પતિયાંઓએ એકબીજાની સામે જોયું. સંત દેવીદાસ સાચે જ શું આપણને પીરસવા કહે છે? કોઈને શ્રદ્ધા નહોતી પડતી.

“ઊઠ ત્યારે શેખા !” સંતે વાઘરીના છોકરાને સંબોધીને કહ્યું: “તું પીરસીશ બચ્ચા?”

શેખો આઠેક વર્ષનો બાળ હતો. જગતે, સગાં માવતરે એને મૂએલો ગણી ફેંકી દીધો હતો. એને નિર્દોષને સંતના બોલમાં વ્યંગ ન લાગ્યો. એ ઊઠ્યો. પણ એનો પગ ખવાઈ ગયો હતો. ખોડંગાતો ખોડંગાતો એ ઊઠ્યો. પણ જે ક્ષણે એણે ખીચડીનો પહેલો લોંદો પીરસવા લીધો તે જ ક્ષણે પેલા મુસાફરોની પંગત ખાલી થઈ ગઈ. ઊઠીને એ ચાલ્યાં ગયાં હતાં. બહારથી શબ્દો સંભળાતા હતા: “કમજાત ! દેવ કે ધામ કો ભ્રષ્ટ કરનેવાલા !”

પંગત પર બાકી રહ્યાં આટલાં જ જણાં: દેવીદાસ અને પાંચ પતિયાં. અમરબાઈ એ પંગતમાં પોતાનું સ્થાન શોધતી હતી, પણ સ્થાન જડતું નહોતું. અમરબાઈને સંતે મૂંઝાતી જોઈ કહ્યું: “બેન, તારું ભાણું મેં પરસાળમાં પીરસી રાખ્યું છે.” અમરબાઈ પરસાળમાં ચાલી ગઈ.

આરોગીને સહુ ઊઠ્યાં; રોગિષ્ઠોને પાછાં પોતપોતાની પથારીઓ પર પહોંચાડી દેવીદાસ પરસાળની કોર ઉપર એક થાંભલાને ટેકે બેઠા. સામે અમરબાઈ બેઠાં.

“બે’ન !” ધીરે સ્વરે સંતે સમજ પાડી : “પુરુષનો દેહ સડે તે એક વાત થઈ. પણ સ્ત્રીનું કલેવર હરિની પરમ કૃતિ છે. તારું મન હજી હરણના બાળની પ્રથમ પહેલી ફાળ ભરે છે. કોને ખબર, પહેલી ફાળ દેતાં પગ મચકાણો ! કોને ખબર છે તારા ભાવ સંસારને માર્ગે વળ્યા ! માટે બાઈ, વધુ નહીં, છ જ મહિના ઠેરી જા. અડધી સાલ તારી શુદ્ધિ સાચવ. પછી જો આ જગ્યાની પૃથ્વી સાથે તારો જીવ પરોવાઈ જાય તો ખુશીથી રોગિયાંને ખોળામાં રમાડજે. પણ હમણાં તો છ મહિના ઠહેરી જા.”

“ત્યાં સુધી શું કરું?”

“ઝોળી લઈ ટે’લ કરીશ?”

થોડી ઘડી અમરબાઈને થડકો લાગ્યો. જગ્યાની અંદર રહી રોગીની સેવા કરવી સહેલ હતી. ગામોગામ ભિક્ષા માગવા ભટકવું કઠિન હતું. જ્યાં જઈશ ત્યાં જગત આંગળી ચીંધશે: આયરની દીકરી, આયરની કુલવહુવારુ, બાવણ બની ગઈ ! અને જોબનની ગંધ ઉપર ભમરા બની જુવાનો પીછો લેશે. વળી માથા ઉપર પિયરનો તેમ જ સાસરિયાંનો ભય તો તોળાઇ જ રહ્યો છે. પણ બાવળનું લાકડું તો છીણીના જ ઘા માગે છે. સાદા કુહાડાનું પાનું એને નહીં ચીરી શકે. અમરબાઈને પણ ત્રાજવામાં તોળાવાની ઘડી આવી પહોંચી. ઘડીકના વૈરાગ્યે તો મને રોકી નથી રાખીને? વૈરાગ્યના પણ શોખ હોય છે, વૈભવ હોય છે, વાસના હોય છે. જુવાન અમરે પોતાના આત્માનું તળિયું, દીવો ઝાલીને તપાસ્યું. ત્રણ દિવસ સુધી એના મનોભુવનમાં રસાકસી ચાલી. હારજીતની અનેક ઘડીઓ આવી અને ગઈ. મનમાં મોજાં ચડી ચડીને નીચે પછડાયાં. આ તો અગ્નિસોંસરા નીકળવાનું હતું. ‘જોગમાયા’કહીને એને પગે નાળિયેર ધરવા લોકો નહોતાં આવવાનાં.

“અમરબાઈ બેટા” સંતે પૂછી જોયું: “કેટલી અવસ્થા થઈ?”

“વરસ વીશની.”

“કદી લોકોની જીભનું માઠું વેણ સાંભળ્યું છે?”

“કદી નહીં. અમારું ખોરડું પૂજાતું.”

“એ જ વિપદની વાત બની છે દીકરી ! ઘણના ઘા ઝીલ્યા વિના શી ગમ પડે કે મોતી સાચું છે કે ફતકિયું? ને દુનિયાએ જેને એકલી સારપ જ દીધી છે તેના જેવું કોઈ દુ:ખી નથી. જગતના બોલ એની ચોગમ કાળમીંઢની દીવાલો ચણી વાળે છે. દુનિયાની ઇજ્જત-આબરૂ એટલે તો જીવતાને ગારદ કરવાની સમાત.”
મોડી રાત સુધી સંતે આ તરુણીને ટીપી ટીપી ઘડ્યા કરી.

મોડી રાતે અમરબાઈની આંખ મળી ગઈ. ચંદ્રમા આકાશની શોભા વચ્ચે બેઠો બેઠો પૃથ્વી પર સૂતેલીને એકીટશે નીરખતો હતો. ગાયના ગળા ઉપર માથું ઢાળીને વાછરડું સૂતું હતું. જાગતાં હતાં બે જ જણાં: એક ધેનુ ને બીજા દેવીદાસ. સૂતેલી અમરબાઈના મોં ઉપર લખેલા વિધિલેખ ઉકેલવા સંત મથતા હતા.
અક્ષરો ન ઉકેલી શકાયા.

સંતે ખીંટીએથી એકતારો ઉપાડ્યો. તાર ઉપર ટેરવાં ફર્યાં તે ક્ષણે પહેલું જ પદ એને ‘શબદનાં બાણ’ નું સ્ફુર્યું:

લાગ્યાં શબદનાં બાણ
હાં રે એના પ્રેમે વીંધાયેલ પ્રાણ હો!

હો… હો લાગ્યાં શબદનાં બાણ જી !

સત દેવીદાસ                              અમર દેવીદાસ

જય પરબના પીર

આગળની વાત હવે પછીના ભાગમાં મુકવામાં આવશે ….

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી સંતો માંથી લેવામાં આવેલ છે.

જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– સંત દેવીદાસ – (ભાગ -1)

– સંત શ્રી હરદ્તપરી બાવાજી

– ઝમરાળા નો જોગી ફકડાનાથ

– ગીરનારી સંત શ્રી વેલનાથ

– સંત શ્રી જલારામબાપાનો ઇતિહાસ

– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!