શ્રી રવેચી માતાજી રાપર- કચ્છ નો સંપૂર્ણ ઇતિહાસ

કચ્છની ઐતિહાસિક ભૂમિ પર રાપર તાલુકાના રણ કાંઠા પર રવ ગામે પાસે સુંદર પુરાણ પ્રસિદ્ધ રવેચી માતાજીનું મંદિર આવેલું છે. અહીંનું વાતાવરણ ખુશનુમા મનોહર પ્રકૃતીવાળું અને શીતળતા જો યાત્રાળુઓ મુગ્ધ થઇ જાય છે. ઘટાદાર ઝાડ, તળાવ કિનારાની શીતળ હવા અને કુદરત સૌંદર્ય જોઈ મન નાચી ઉઠે છે. માતાજીના સ્થાનકે આવતા મુસાફરોના હૈયા પ્રફુલિત બને છે. સંકટો વિસરાઈ જાય છે. અહીં કચ્છ સૌરાષ્ટ્ર અને મુંબઈ વિગેરે દુર દુરના સ્થળેથી અનેક ભક્તો માતાજીના દર્શન આવે છે. અને યાત્રા પૂરી કરે છે. આવનાર પ્રવાસી તંદુરસ્તી મેળવે છે.

મંદિર તરફથી આવનાર યાત્રાળુઓને મફત સાદું અને સાત્વિક ભોજન આપવામાં આવે છે. મીઠી છાસથી યાત્રાળુઓ શાંતિ અનુભવે છે. આવનાર યાત્રાળુઓની મહંતશ્રી સુખ સગવડની ભોજનની પુરતી વ્યવસ્થા કરી આપે છે.

મંદિર પાસે ૨૫૦૦ ગાયો છે. જે ખીરામાં કહેવાય છે. ગાયોનું દૂધ વાલોવવામાં આવતું નથી માતાજીની ગાયોને અનેક ભક્તો ઘાસ અને ગોવાર ચારી માનતા પૂરી કરે છે. અહીં વિશાળ ગૌશાળા જોવાલાયક છે.

અહીં ચાર ગામના પંથકમાં રવ, ડાવરી, ત્રંબૌ, અને જેસડા વિસ્તારમાં શિયાળુ પવન રાત્રીના વાતો નથી. માતાજીએ ચાર ગામના રક્ષણ માટે વચન આપેલું છે. માતાજીની કૃપા પણ અપરંપાર છે. ભાવિક ભક્તોને હાજર હજુર છે. માતાજી પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા ધરાવનાર અનેક ભક્તો પર માની કૃપાના પ્રત્યક્ષ પરચા મળ્યાના અનેક દાખલા મોજુદ છે.

Ravechi mataji

પ્રવેશદ્વારમાં દાખલ થતાં શીતળા માતા, ગણપતિ,હનુમાનજી, વાસંગી ખેતરપાળની મૂર્તિઓ છે. પાસે ધર્મશાળા છે. પંચમુખા મહાદેવજીનું મંદિર છે. બાજુમાં મહંતશ્રી અમરજતી કેશવગીરીજી ગણેશગીરીજીની દેરીઓ છે. અર્જુનદેવનો શીલાલેખ છે. બાજુમાં વિશાળ દેવીસર તળાવ છે.

મંદિર બહાર રવેચી માતાની કામધેનું ગાયની દેરી છે. તે દેરી સ્વ. મહેતા પોપટલાલ નારાણજીના સ્મરણાર્થે તેમના સુપુત્રોએ બંધાવેલ છે. બાજુમાં ચબુતરો છે. અહીં ૩૦૦ જેટલા મોરલા અને પંખીઓને નિયમિત દાણા નખાય છે. અસલ મંદિર પાંડવોએ નવ શિખર અને ઘૂમટો સહીત બનાવેલું હતું વચ્ચે બાબી સુલતાને તોડી પાડ્યું હોવાનું કહેવાય છે.

વિક્રમ સંવત ૧૮૭૮ ની સાલે સામબાઈ માતાએ ૨૬૦૦૦ કોરીના ખર્ચે વિશાળ પાકી બાંધણી વાળું મંદિર ચણાવ્યું લગભગ ૫૪ ફૂટ ઊંચા ઘુમટવાળું ૧૪ ફૂટ લાંબુ અને ૧૩ ફુટ પહોળું છે. મંદિરના મધ્ય ભાગે રવેચી માતાજીની, ખોડીયાર માતાજીની, આશાપુરા માતાજીની અને બાજુમાં સામબાઈ માતાની મૂર્તિ બાજુમાં વિભુજાવાળા અંબામાની મૂર્તિ રવના ગરાશીયાઓની મૂળ પુરુષ મુરવાજી જાડેજાને રવનું રાજ્ય અપાવ્યું તેમની યાદગીરીમાં મૂર્તિ પધરાવેલી છે. રવરાયની મૂર્તિ સામે ત્રણ પગે ઉભેલ નકલંકી ઘોડાની મૂર્તિ છે. મંદિરની અંદર રામદેવજી ભગવાનનું નાનું મંદિર છે. બટુક ખેતરપાળ મંદિરની જયોત અખંડ બળે છે તેમને ખોળામાં લઇને બિરાજે છે. અહીં શુદ્ધ ઘીની અખંડ જ્યોત જલે છે.

મંદિરની બાજુમાં ઠાકર મંદિર છે. ત્યાં કૌરવનું સ્થાનક છે. પહેલે માનવનું બલિદાન અપાતું હશે ત્યાં આખા શ્રીફળનો ભોગ ધરાય છે. અહીં ત્રીકમજીનો ઓરડો છે. ગરુડ ભગવાન, ભૈરવ, ખેતરપાળ, લક્ષ્મીનારાયણ ભગવાન, હનુમાનજી તથા ગણપતિ બિરાજે છે. મંદિરમાં ત્રણ વખત સવારે ૪ વાગ્યે મંગળ આરતી, સવારે ૭ વાગ્યે શણગાર આરતી અને સાંજે ૭ વાગ્યે સંધ્યા આરતી થાય છે.

મસાલી ગામના મુરવાજી રવેચી માતાના પરમ ભક્ત હતા, માતાજી તેમને પ્રસન્ન થયા રવ, ડાવરી, ત્રંબૌમાં દેદાઓનો અંત આવ્યો બાદ રાજ ચલાવવામાં આવ્યું માતાજી મુરવાજીની પેઢીએ એક એક શંખ બહાર કાઢતાં રહ્યાં છે. છ શંખ બહાર કાઢ્યા છે. જે માતાજીની મૂર્તિ પાસે મોજુદ છે. સાતમો શંખ હજુ નીકળેલ નથી.

અર્જુન દેવનો શિલાલેખ

અહીં અર્જુન દેવનો ઐતિહાસિક શિલાલેખ નીચે મુજબ હોવાનું જણાય છે. મહારાજા ધિરાજ અર્જુન દેવ અણહિલવાડ પાટણ તેમના કાર્યકર્તા કારભારી ધાન દલીયાણ બાઈથી થરીયા સુતરસિંહજી ધૃત વાટિકા તાલુકામાં આવેલા રવ ગામે માતાજી મંદિરે પોતાના આત્માના કલ્યાણ અર્થે વાવ ગળાવી તેમાં સોળસો દ્રવ્ય પરહર્યા તે વિક્રમ સંવત ૧૩૨૮ શ્રાવણ સૂદ ૨ શુક્રવારના લેખથી સાબિત થાય છે. એમ રવિસિંહજીને માતાજીને પ્રસન્ન થયેલ છે.

સામબાઈ માતા

સામબાઈ માતાનો જન્મ ઈ.સ. ૧૮૫૦ માં થયો હતો. ભટી ખેંગાર ભોપાની પુત્રી હતાં. નાનપણથી ગુણોવાળા અને દેવ કન્યા જેવા રૂપાળા હતા. ૧૫ વર્ષ ના થતાં ભટી ખેંગારને તેમને પરણાવવાની ચિંતા થવા લાગી પરંતુ સામબાઈ માતાતો કહે પુરુષ માત્ર મારે પેટના પોત્રા સમાન છે. મારે તો રવેચી માતની સેવા ભક્તિ કરવી છે.

છેવટે ખેંગારજી પોતાની પુત્રીને કંથકોટના મુરવાજી જોડે લગ્ન નક્કી કરે છે. બે ફેરા ખાંડાના કંથકોટ ફરીને આવ્યા. રસ્તામાં બહારવટીયા સાથેના ધીંગાણામાં મુરવાજી ખપી ગયા. સામબાઈ માતા વિધવા કન્યા રવેચી માતની ભક્તિમાં મન પરોવી દીધું.

રાપરના કલ્યાણેશ્વરના મહંત મસ્તગીરી પાસે આવી સામબાઈએ સન્યાસ લીધો સન્યાસ બાદ તેમનું નામ રામસાગરજી પાડ્યું. રવેચી માતની પુજા પાઠમાં જીવન વિતાવ્યું. મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ચાર ધામ અડસઠ તિરથ કર્યા હતા.

મહારાવશ્રી દેશલજીને શરીરના પાછળના ભાગમાં ગુમડાનું દર્દ સામબાઈએ કારેંગાની કરીથી મટાડ્યું હતું આથી મહારાવશ્રી પ્રસન્ન થઇ ખુશ થયા અને તેમના પ્રત્યે શ્રદ્ધા જાગી. સામબાઈના કહેવાથી ૧૮૯૫ માં ભુજ નજીક રુદ્રાણી માતાજીનું મંદિર બંધાવ્યું. તે સમયે પાડા વગેરે ચડતા તે બંધ કરાવી મોટી જાગીર શરુ કરાવી. સામબાઈ અને દેશલજી પૂર્વ જન્મમાં ભાઈ બહેન હોવાનું કહેવાય છે. સંવત ૧૯૧૬ માં સામબાઈ માતાએ રુદ્રાણી માતાજીના મંદિરે જીવતી સમાધી લીધી હોવાનું કહેવાય છે. રુદ્રાણીના મંદિરે રવેચી, રુદ્રાણી અને આશાપુરાની મૂર્તિઓ તથા ખેતરપાળનું મંદિર છે. સામબાઈ માતાનું શિખરબંધ મંદિર છે.

રૂદ્રાણી મંદિર

ભુજથી ૨૦ કિ.મી. દૂર રૂદ્રાણી માતાજીનું મંદિર છે. તે રવેચીના શાખાની જાગીર ગણાય છે. ત્યાં મહંત શ્રી ધર્મેન્દ્રગીરીજી બિરાજે છે. શ્રાવણ સૂદ આઠમના ત્યાં મેળો ભરાય છે. યુવરાજ શ્રી પધારે છે અને આજે પણ માતાજી ફૂલની પત્રી તેમને સાક્ષાત આપે છે. તે દિવસે જાત્રા થાય છે. ભજન મંડળી થાય છે. રાજકુટુંબ રવેચીમાને, રૂદ્રાણી માને પોતાના કુળદેવી તુલ્ય માને છે. અહીં સામબાઈએ જીવતી સમાધી લીધી હતી જેથી મહારાવ શ્રી દેશલજીએ શિખરબંધ મંદિર બંધાવ્યું. અહીં લક્ષ્મીનારાયણનું મંદિર તેમજ વાસંગી ખેતરપાળ, બટુક ભૈરવ વિગેરે છે.

વિશ્રાંતિ ગૃહનું ઉદઘાટન

અહીં વિશ્રાંતિ ગૃહ નું ઉદઘાટન તેમજ દાતા તખ્તી અનાવરણ વિધિ તા. ૧૩-૯-૧૮૮૬ સંવત ૨૦૪૧, ભાદરવા સૂદ ૧૦ ના શ્રીયુત નાનજીભાઈ ખીમજીભાઈ ઠક્કરના પ્રમુખપદે યોજાયેલ જેમાં વિશ્રાંતિગૃહનું ઉદઘાટન ચરલા માલશીભાઈ મેઘજીભાઈએ કરેલ વિશ્રાંતિગૃહના મુખ્ય દાતા ત્રંબૌવાળા બૌઆ ડાયાલાલ નરશી અને અંદરના રૂમના દાતા પટેલ કાનજી વાઘજીનું નામ જોડવામાં આવેલ.

માતાજીના પરચા

જગડુશાનાં વહાણ તાર્યા :

માતાજી નોંઘાભોપા સાથે પ્રત્યક્ષ ચોપાટ રમી રહ્યાં હતાં ત્યારે માતાજીની ચુડમાંથી પાણી ટપકતાં નોંઘાભોપાએ કારણ પૂછતાં માતાજીએ જણાવ્યું કે મારા પરમ ભક્ત જગડુશાનાં વહાણો મધદરિયે તોફાનોમાં સપડાયા છે. તેમણે મારું સ્મરણ કરતાં તે વહાણો મે ઉગાર્યા છે. નોંઘાભોપાને માનવામાં ન આવ્યું ત્યાર બાદ જગડુશા સંઘ સાથે ચોથો ભાગ લઇ માતાજીના મંદિરે આવી માનતા પૂરી કરી પોતાનું દ્રવ્ય શુભ માર્ગે વાપરવા કહ્યું. નોંઘાભોપાને પસ્તાવો થયો. ત્યાર બાદ માતાજી કદી પ્રત્યક્ષ ભોપા સાથે રમત રમવા ન આવતાં.

દજીયાને ચમત્કાર :

દજીયાએ રવેચી માતાજીની આસપાસની જગ્યામાં ઊગેલ બાવળ નોંઘાભોપાએ ના કહેવા છતાં કાપવા ચાલુ રાખ્યા ત્યારે માતાજીએ પરચો બતાવ્યો જ્યાં દજીયો ઝાડ કાપતો હતો ત્યાં ઝાડો નીલા થઇ જઇ જમીનમાં ખુપી ગયા નાગે ડંખ દીધો દજીયો ત્યાંજ ઢળી પડ્યો.

દેદાઓનો અંત :

વાગડમાં જ્યારે દેદાઓ નું વર્ચસ્વ હતું ત્યારે લાખાજી જામના દેદાએ ઘોડીઓના વાછેરાઓને પીવડાવવા ખીરામાં ગાયોનું દૂધ માગ્યું. ઘોડો પીરનું વાહન હતાં મુસ્લિમોને માતાજીની મનાઈ હતી જેથી ભોપાએ ના પાડી. લાખાજી છંછેડાયો. બધા દેદાઓને ભેગા કરી ગાયો લઇ જવાની ધમકી આપી. ભોપાએ માતાજીનું સ્વરૂપ ધારણ કર્યું ત્યારે માતાજીના સ્થાને પરોઢિયે ચાર વાગ્યે આપોઆપ વાજીંત્રો નગારા વાગ્યા માતાજીએ વાઘનું સ્વરૂપ ધારણ કર્યું. આ સ્વરૂપ જોઈ દેદાઓ ધ્રુજી ઉઠ્યા. માતાજી અને ભોપાની માફી માંગી બીજે દિવસે ભાગ પાડતાં દેદાઓ ઝગડી પડ્યા. અંદર અંદર ધીંગાણું થતાં કપાઈ મુઆ. દેદાઓ માતાજીના શ્રાપથી રવ, ડાવરી, જેસડા, ત્રંબૌ છોડી મોરબી તરફ ગયા. વાગડમાં દેદાઓનો અંત આવ્યો.

મંદિરે લુંટ :

સંવત ૧૯૪૫ ની સાલે રવના રાણા કોલીની મૈત્રીથી કાનડો બહારવટીયો અગિયાર સાથીઓ માળીયા મીંયાણાથી રવેચી મંદિરે આરતી ટાણે મહંત વશરામગરને દોરડાથી બાંધી ઓરડામાં પૂરી ૩૫૦૦ કોરીની મતા લુંટી. મહંત વશરામગરે માતાજીને પ્રાર્થના કરી એટલે આપોઆપ ઓરડો ખુલી ગયો દોરડા છૂટી ગયા.

બહારવટીયા લુંટ કરી મેવાસા ડુંગરમાં ચાલ્યા ગયા. રવોજી તથા મનુભાઈ ફોજદાર પગેરું લેતા મેવાસા ડુંગરમાં ગયા. સામસામી ગોળીયું છૂટી. બહારવટીયાની ગોળીઓ રવાજી અને ફોજદારને લીંડીની માફક સામાન્ય લાગતી. કાનડો અને બીજા બહારવટીયા ઢળી પડ્યા બચ્યો માત્ર એક જ બહારવટીયો જે પાણી ભરવા ગયો હતો અને માતાજીએ લુંટ કરવાની ના પાડી હતી. નારણ બહારવટીયે છુપાવેલી બધી મિલ્કત કાઢી આપી.

ભંડારો :

સંવત ૧૯૯૨ માં જાગીર તરફથી ભંડારો કરવામાં આવેલ તે વખતે ગામે ગામથી લોકો આવી પહોંચ્યા. પાણીની અસહ્ય તંગી હતી. તળાવમાં પાણી ખૂટતું હતું. આ પ્રશ્ન સૌને મૂંઝવતો હતો. રાત્રે મહંત શ્રી ભગવાનગરને સ્વપ્નામાં માતાજીના દર્શન થયાં. રવેચી માતાજીએ કહયું કે તું ચિંતા ન કર રાત્રે તળાવમાં પાણી આવી જશે.

સાચેજ બીજે દિવસે મંદિર પાસે જળાશય ઉપર કાળા વાદળો ઘેરાઈ વરસાદ પડ્યો તળાવમાં પાણી થયું.

? પ્રેષિત-ટાઇપઃ
મયુર સિધ્ધપુરા-જામનગર
9725630698

તો મિત્રો આ હતો શ્રી રવેચી માતાજી રાપર- ક્ચ્છ નો સંપૂર્ણ ઇતિહાસ જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

(આ ઇતિહાસ માં કઈ ભુલચુક હોય અથવા આ શીવાયની કોઈ પણ વધારાની માહિતી તમારી પાસે હોય તો તમે અમને મેસેજ માં મોકલી આપશો અમે તેને અહીં રજુ કરીશું)

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી હિંગળાજ માતાજી – બલૂચિસ્તાન

– શ્રી શક્તિ માતાની પ્રાગટ્ય કથા

– શ્રી જહુ માતાજી ની પ્રાગટ્ય કથા

– શ્રી કરણી માતાજી નો સંપૂર્ણ ઇતિહાસ

– આઈ શ્રી પીઠડ માંની પ્રગટ્યા કથા

– શ્રી ચામુંડા માતાજી- ઉંચા કોટડાનો ઇતિહાસ

– શ્રી ચેહર માતાજીની પ્રાગટ્ય કથા

– શ્રી બુટભવાની માતાજી- અરણેજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!