શ્રી જહુ માતાજી ની પ્રાગટ્ય કથા

વરસો પહેલાની આ વાત છે. પાટણ જીલ્લામાં ધાયણોજ કરીને એક ગામ છે. આ ધાયણોજ ગામની પરવાડે એક દરબારોનું ગામ હતું. જેમાં એક દરબારના ઘરે દેવી શક્તી માં જહુએ અવતાર લીધો. આ દરબારે ત્યારે આ દીકરીનું નામ જસી રાખ્યું. જસી 15-16 વરસના થયા, ત્યારે બન્યું એવું કે, ધાયણોજ ગામમાં એક ધૂળીયો ઢોલી કરીને નામચીન ઢોલી હતો. આ ધૂળીયો ઢોલ વગાડે એટલે હૈયાના હાલ ખોલી દે તેવો હતો આ ધૂળીયાનો ઢોલ.

એક વખત નવરાત્રીના દીવસે ધૂળીયો ગામની પરવાડે આ દરબારોના ગામમાં ઢોલ વગાડવા આવ્યો. રાતના 9-10 વાગ્યે ધૂળીયે ઢોલ વગાડ્યો અને ગામની દીકરીઓએ ગરબા ચાલુ કરીયા. આ દીકરીઓમાં જસી પણ ગરબે રમવા આવી હતી. ગરબે રમતા રમતા રાતના 2 વાગ્યા. એક બાજુ આ ધૂળીયો ઢોલી વગાડતા થાકતો નથી અને આ બાજુ જસી ગરબે રમતા થાકતા નથી. ગામના ચોકમાં રાતે 2 વાગ્યે ધૂળીયાની અને જસીની હળા-સળી ચાલુ થઇ.

આમ કરતા કરતા રાતના 3 વાગ્યે જસીના બાપાએ કીધું કે, જસી હવે ઘરે ચાલો 3 વાગ્યા છે. પણ ગરબાના તાનમાં જસીને કાંઇ સંભળાયું નહી. થોડીવાર પછી ફરીથી કીધું કે, જસી ચાલો ઘરે બઉ મોડું થઇ ગયું છે, પણ જસી તો બસ ગરબામાં જ મગ્ન છે.

Jahu maa history

પરોડીયાના ચાર વાગ્યા એટલે જસીની માંએ કીધું જસી પરોડીયું થયું ચાલો ઘરે. પણ જસીએ સાંભળ્યું નહીં. એટલે જસીની માં એ જસીને મેણું મારીયું કે, “જસી ઘરે ના આવવું હોય તો જાવ ધૂળીયા ઢોલીની સાથે”, અને જસી આ “મેણું” ખમી ના સકી.

સવારે 6 વાગ્યે ધૂળીયો પોતાના ગામ ધાયણોજ બાજુ રવાના થયો અને જસી ધૂળીયાની પાછળ – પાછળ ચાલી આવે છે. ધૂળીયે થોડે દૂર જઇને પાછળ જોયું તો જસી આવતાંતા. એટલે ધૂળીયા ઢોલીએ ઉભા રહીને પૂછ્યું કે, “બુન જસી કેમ મારી પાછળ પાછળ ચાલ્યા આવો છો?, એટલે જસી બોલી કે, ધૂળીયો હું મેણાની મારી છું, મારી માંએ મેણું મારીયું છે કે, ઘરે ના આવો તો જાવ જો ધૂળીયા ઢોલી સાથે. એટલી હું તારી સાથે આવું છું.

એટલે ધૂળીયો બોલ્યો કે, જસી તમે મારી સાથે આવો એમાં મને કાંઇ વાંધો નથી પણ હું જાતનો ઓરગાણો છું અને તમે દરબારની દીકરી છો. એટલે જસી બોલી કે, ધૂળીયા હું ધાયણોજ ગામની આ આંબલી આસન વાળું છું તું કાલે અહીં મારૂં ડેરૂ (મંદીર) બનાવશે અને જો જગતમાં ધૂળીયાની જહુ ગુજરાતભરમાં ડંકો ના વગડાવું તો મારૂં જહુનું વેણ છે.

બીજા દીવસે ધૂળીયે ધાયણોજની આંબલીએ પાંચ ઇટનું દેરૂ બનાવ્યું અને અબીલ- ગુલાલથી જહુનું મંડાણ માંડ્યું. આમ કરતા કરતા એકાદ વરસનો સમય વીતી ગયો.

એક દીવસ ધાયણોજ ગામમાં મહાદેવના મંદીરની સામે એક કુંતરું મરી ગયું. મહાદેવના મંદીરના પુજારીએ ધૂળીયાને ઘરે બે ચેલાને મોકલ્યા અને સમાચાર કહેવડાવ્યા કે, આ કુંતરૂં તાણી જાય. ત્યારે બન્યું એવું કે, ધૂળીયો તેના પરીવાર સાથે બહાર ગામ ગયો હતો. અને આ પુજારીને બે ચેલા ધૂળીયાને ઘરે આવીને ઘરનો દરવાજો ખખડાવ્યો. આ બાજુ જહુ માતાએ વીચાર કરીયો કે, મારે હવે જાગૃત થવાનો સમય થઇ ગયો છે. એટલે જહુ માતાએ 80 વરસની ડોસીનો આવતાર લઇને ધૂળીયાના ઘરનો દરવાજો ખોલ્યો અને કીધું કે, શું કામ છે ભાઇ….

એટલે આ બે જણા બોલ્યા કે, મહાદેવના મંદીરની સામે કુતરૂ મરી ગયું છે, ધૂળીયો ક્યાં છે?,
જહુ માતાએ કીધું કે, ધૂળીયો તો બહારગામ ગયો છે.
એટલે આ બે જણાએ કીધું કે, ધૂળીયો ઘરે ના હોય તો તમે કુતરૂં ખેંચી જાવને.
પણ મારી જહુ મેલડી આ વાત ખમી ના શકી અને કીધું કે, તમે જાવ હું કુંતરૂં ખેંચવા આવું છું.

આ બે જાણ મહાદેવના મંદીરના મારગે પડ્યા અને મારી જહુએ હાથમાં નાની લાકડી અને જોડા પહેરીને મહાદેવના મંદીરના મારગે પડી. મંદીર પાસે જઇને કીધું કે, પુજારી બાપા કુતરૂં ક્યાં પડ્યું છે….
એટલે મંદીરના પુજારી બોલ્યા કે, જુઓ એ સામે પડ્યું….બે દીવસથી મરેલું પડ્યું છે.

જહુ માતા કુતરાથી છેટે ઉભી રહીને હાથમાં રહેલી લાકડીથી કુતરાને ત્રણ ટપોરા મારીયા કે, કુતરુ તરત આળસ ખાઇને બેઠું થયું. પુજારીને આ દ્રશ્ય જોઇને સમજતા વાર ન લાગી. પુજારીએ વીચાર કરીયો કે, આ કોઇ જોગમાયા લાગે છે. આ પુજારીએ આ ડોસી સામે લમણો વાળ્યો તો જહુ માતા મંદીરની બાજુમાં આવેલા તળાવમાં પાણીથી એક વેત ઉપર ચાલવા માંડી અને જોત જોતામાં સામે કાંઠે આંબલીના ઝાડ ઉપર અદ્રશ્ય થઇ ગઇ. અને ત્યાંથી પુજારીને ટહૂકો કરીયો કે, હું ધૂળીયા ઢોલીની જહુ માતા છું. કાલે મને ગામમાં તેડી લાવજો, જો ઘડીવાર ગામને સુનું મુકુ તો મારૂં નામ જહુ નહીં.

બીજા દીવસે ગામ લોકોએ ભેગા થઇને જહું માતાને ગામમાં લાવ્યા. અને આજની તારીખે પણ મારી જહુના દીવા ધાયણોજ ગામમાં જળહળે છે. જહું માતા ગુજરાતના ઘણા ગામમાં પુજાય છે. પરંતુ તે બધા ગામમાં આ ધાયણોજથી ગયેલી જહુ માતા છે.

માં જહુ આપની મનોકામના પૂરી કરે…
જય જહું માં…

તો મિત્રો આ હતી શ્રી જહુજ માતાજી ની પ્રાગટ્ય કથા જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

(આ ઇતિહાસ માં કઈ ભુલચુક હોય અથવા આ શીવાયની કોઈ પણ વધારાની માહિતી તમારી પાસે હોય તો તમે અમને મેસેજ માં મોકલી આપશો અમે તેને અહીં રજુ કરીશું)

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી મોગલધામ ભગુડાનો ઇતિહાસ

– શ્રી હરસિદ્ધિ માતા મંદિર નો ઇતિહાસ

– શ્રી રાંદલ માતાજીની સંપૂર્ણ કથા

– શ્રી કરણી માતાજી નો સંપૂર્ણ ઇતિહાસ

– શ્રી હિંગળાજ માતાજી – બલૂચિસ્તાન

– શ્રી ચામુંડા માતાજી- ઉંચા કોટડાનો ઇતિહાસ

– શ્રી ચેહર માતાજીની પ્રાગટ્ય કથા

– શ્રી બુટભવાની માતાજી- અરણેજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!