શ્રી મેલડી માતાજીની પ્રાગટ્ય કથા

માતા મેલડી ની ઘણી લોક કથા છે એ પ્રમાણે અલગ અલગ ઉત્પતિ જાણવા મળે છે. પણ પ્રથમ જ્યારે મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનુ નામ ન હતુ. ત્યારે નનામી ના નામ થી જાણતા (ન નામી) એટલે (નામ વગરની) પ્રથમ માં નનામી ના નામ થી પ્રખ્યાત થયા…

ઘણા વષોઁ પહેલાની આ વાત છે જયારે દાનવો દેવોની અપાર પૂજા અને ભકિત તેમજ તપ કરીને ભગવાન જોડે વરદાન મેળવી શકિતશાળી વીદ્યાઓ પ્રાપ્ત કરીને પોતાને મહાન સમજતા અને રાક્ષસો બહુ શકિતશાળી બની જતા અને દેવતાઓને પરેશાન કરી મુકતા તેવા સમયમાં દેવતાઓને આઘશકિત માતાના શરણમાં આવીને તેમને વિનંતી કરવી પડેલી છે. આવા દુષ્ટ રાક્ષસોથી અમારી રક્ષા કરો. જગતમાં તમારા જેવી આધશકિત માતા વગર અમારો કોઈ ઉધ્ધાર કરી શકવાનુ નથી. જગતમાં તમારાથી કોઈ મોટુ નથી. આમ રાક્ષસોનો સંહાર કરવા માટે આધશકિત માં સ્વંયમ નવદુર્ગાઓ રૂપે આ ઘરતી લોકમાં રાક્ષસોનો સંહાર કરવા બધી નવદુર્ગા દેવીઓ ભેગા મળીને દેવતાઓના કહેવા મુજબ પૃથ્વી લોકોના મનુષ્યનો રાક્ષસોના ત્રાસથી રક્ષા કરવા લાગયા.

જેમાં એક રાક્ષસ અમરૈયા દૈત્યના ત્રાસથી છુટકારો અપાવવા માટે જયારે નવદુર્ગા આ દૈત્યને મારવા માટે ગયા ત્યારે એ દૈત્ય ઘણો શક્તિશાળી હતો. તેણે નવદુર્ગા સાથે ઘણા વષોઁ સુધી યુધ્ધ કયુઁ. છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા માંડયો. ભાગતા ભાગતા તેણે પૃથ્વીલોક પર સાયલા ગામના સરોવરમાં છુપાઈ ગયો ત્યારે નવદુર્ગા બહેનોએ સરોવરનુ પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી પડેલી ગાયને જોઈ તેમા તે છુપાઈને બેસી ગયો ત્યારે છેવટે નવદુર્ગાએ ભેગા મળીને આ અમરૈયા દૈત્યને મારવા માટે એક યુકિત વિચારીને એક શક્તિરૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાયુઁ.

meladi ma

તે સમયે નવદુર્ગા ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પૂતળી બનાવીને તેમાં પ્રથમ પ્રાણ પુયાઁ અને તેમને દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિ રૂપે શસ્ત્ર વિધા આપીને આ અમરૈયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો. આમ, પૂતળીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુધ્ધ કયુઁ. તે વખતે પૂતળી અમરૈયા દૈત્યને મારવા માટે નીચે ઉતર્યા હતા. તે એક ગાયના શબમાં છુપાઇને બેઠો હતો ત્યારે આ પૂતળીએ પોતાની શક્તિ દ્વારા દૈત્યને બહાર કાઢીને તેને મારી નાખ્યો.

ત્યાર પછી પાછા નવદુર્ગા સમક્ષ આવ્યા ત્યારે તેમને આ પ્રભાવ જાણવા મળ્યો કે તેઓ કેટલા શક્તિશાળી છે. આમ, નવદુર્ગાઓ ભેગા મળીને પોતાના મેલમાંથી પૂતળી બનાવી અને દરેકે તેમની શક્તિ આપીને જે દેવીને પ્રગટ કર્યા છે અને તેમને પોતે યુધ્ધ કરીને રાક્ષસને મારીને આવ્યા ત્યારે નવદુર્ગાને પુછ્યુ કે હવે મારે કયુ કાર્ય કરવાનુ છે ત્યારે આવા પાપી રાક્ષસને મારીને આવેલ દેવીને જોઇને તેમણે આ દેવીની અવગણના કરીને તેમને દુર જતા રહેવા જણાવ્યુ. તે સાંભળીને માતાજીને બહુ ખોટુ લાગ્યુ. તેથી તેઓ પોતાને શુધ્ધ કરવા સ્વયંમ્ ભગવાન ભોલેનાથની પાસે ગયા અને તેમણે ભોલેનાથને વિનંતી કરીને સઘળી હકીકત જણાવી કે પોતે એક રાક્ષસનો સંહાર કરીને આવ્યા છે.

જેથી તેમને પોતાના શરીરને શુધ્ધ કરવા માટે ભોલેનાથને જણાવ્યુ એટલે ભોલેનાથે સ્વયંમ્ પોતાની જટામાંથી ગંગાજીને પ્રગટ કરીને સીધુ માતાજી ઊપર ગંગાજીના શુધ્ધ જળની ધારા વહેવડાવી માતાજીને સ્નાન કરાવીને પવિત્ર કરી દીધા. ત્યારબાદ હવે મારૂ નામ શું રાખવાનુ છે? ત્યારે ભોલેનાથે કહયું કે તમે નવદુર્ગાને જઇને પુછી આવો ત્યારે માતાજીએ જણાવ્યુ કે નવદુર્ગાઓએ મને છોડી દીધી છે. હવે તેઓ મને અડવાની ના પાડે છે તેથી મારે શું કરવુ. જોઇએ. ત્યારે ભગવાન ભોલેનાથે તેને આર્શીવાદ આપતા જણાવ્યુ કે તમારે પોતાના નામ અને હક્ક માટે નવદુર્ગા જોડે યુધ્ધ કરવા આદેશ કર્યો ત્યારે ત્રણેય દેવતાઓ ભેગા મળીને બ્રહ્યા, વિષ્ણુ અને મહેશ ભગવાને તેમને પોતાના શસ્ત્ર રૂપે બ્રહ્યાજીએ પોતાની ગદા આપી અને વિષ્ણુ ભગવાને પોતાનુ ચક્ર આપ્યું. ત્યારબાદ શંકર ભગવાને પોતાનુ ત્રિશુલ આપ્યુ. આમ ત્રણેય દેવોએ આશીર્વાદ આપીને માતાજીને લડવા મોકલ્યા.

તેઓ નવદુર્ગા જોડે લડીને પોતાના નામ અને હક્ક માટે સ્વયંમ લડ્યા અને તેઓ વિજયી બની ગયા ત્યારે તેમની શક્તિઓ સામે નવદુર્ગાઓને પણ ઝુકવુ પડ્યુ અને આમ નવદુર્ગાનો પરાજય થયો. આમ માતાજી પોતાના નામ અને હક્ક નાટે નવદુર્ગા સાથે યુધ્ધ કરીને જીતી ગયા. તેથી તેમના પિતાજી ભોલેનાથે તેમને કહ્યુ કે આજથી તમે તમારા માટે લડ્યા એટલે તમારૂ નામ “શ્રી મેલડી માઁ” રાખવામાં આવેલ છે. “મે” “લડી” એટલે કે હું પોતાના માટે લડી, જેથી તેમનું નામ “મેલડી માઁ” રાખવામાં આવ્યું છે.

જે પોતાના નામ માટે નવદુર્ગા જોડે લડી શકે છે તે પોતાના ભક્તોને કોઇ તકલીફ પડવા દે ખરી? અને જો કોઇ તકલીફ પડે તો તે લેખને મેખ મારીને લડીને તેમને સહાય કરે છે. આમ, મેલડી માઁ પોતાના ભક્તોને માટે લડીને તેમના દુ:ખ, દર્દ, તકલીફ જે કોઇ હોય તે દુર કરે છે.

આમ મેલડી માં ની ઉત્પતિ થઇ જેથી “મેલડી માં” સ્વયંમ્ ભોલેનાથના પુત્રી તરીકે ગણાય છે. તેમણે આશિર્વદ આપીને જણાવ્યું કે કળિયુગમાં તમારી પૂજા આખો સંસાર કરશે. દરેક જાતના‚ દરેક ભાતના લોકો તમને પૂજશે. તેમણે વાહન સ્વરૂપે “બોકડા” ને પસંદ કર્યો. તેના પર સવાર થઇને તમે આખા જગતનો ઉધ્ધાર કરવા પ્રગટ થયા છો. જેથી આખો સંસાર તમારો જય જયકાર કરશે. ઠેર-ઠેર તમારી ડેરીઓ, મંદિરો અને મોટા મોટા સ્થાનકો બનશે. કળિયુગમાં તમે જાગતી જ્યોત સ્વરૂપે પૂજાતા થશો.

દરેક માનવી તમારી ભક્તિ કરીને તમારા ગુણ-ગાન ચારે કોર ફેલાવી તમને કળિયુગના દેવી તરીકે પૂજાતા કરશે. મહાશક્તિ મેલડી માં તરીકે પૂજાય છે. શ્રી મેલડી માં એ શંકર ભગવાનની જટામાંથી નીકળેલી ગંગાજીની ધારાથી સ્નાન કરેલુ તેથી “મેલડી માં” ચોખ્ખા ઉગતાની મેલડી માં તરીકે પૂજાય છે. તેઓ મેલા દેવી નથી. જેમ તેમના ભક્તો પૂજે તેમ પૂજાય છે. આમ, કળિયુગમાં ઉગતાની દેવી તરીકે પૂજાતા થયા છે.

માતાજી ખૂબ દયા ના સાગર છે. માનવી જે ભાવથી ભજે એવું ફળ તેને આપે છે. યુદ્ધમાં મેલડી માના સ્મરણથી, માની સહાયથી ચોક્કસ જીતાય છે.માં દરેક કાર્યમાં ભક્તોને સહાય કરે છે. જે ગામની ફરતા કોટ બાંધવામાં આવે છે, ત્યાં દરવાજા પાસે એક તરફ કાળ ભૈરવ અને એક તરફ મેલડી માતાની સ્થાપના કરવામાં આવે છે. કાળ ભૈરવ અને મેલડી માતા ગામનું રક્ષણ કરે છે. આને મેલડી માની ચોકી મૂકી કહેવાય છે. વાસના નાકે ફળિયામાં કે ઘરમાં માની સ્થાપના કરવામાં આવે છે. નાની દેરીમાં માની છબી પધરાવી અથવા નારિયેળમાં માનું સ્થાપન કરવામાં આવે છે.

મેલડી માતાજી અનેક નામે ઓળખાય છે. જેમકે મુન્જપરીની મેલડી, વાણીયાની મેલડી, હજીરાની મેલડી, શેરપરાની મેલડી, માઢની મેલડી, ઉગતી મેલડી, આથમતી મેલડી, ચોરાની મેલડી, કોઠાની મેલડી, વણજારાની મેલડી, વાઘરીની મેલડી, મડાખાઉંની મેલડી, આવા અનેક નામે મેલડી માં પ્રસિદ્ધ છે. માતાજી એ જેમને પરચાઓ આપ્યા છે તે જગ્યાએ માતાજી આ રીતે અલગ અલગ નામે પ્રસિદ્ધ થયા છે.

તો મિત્રો આ હતી શ્રી મેલડી માતાજીની પ્રાગટ્ય કથા જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

(આ ઇતિહાસ માં કઈ ભુલચુક હોય અથવા આ શીવાયની કોઈ પણ વધારાની માહિતી તમારી પાસે હોય તો તમે અમને મેસેજ માં મોકલી આપશો અમે તેને અહીં રજુ કરીશું)

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી કનકાઇ માતાજી મંદિર- ગીર નો ઇતિહાસ

– શ્રી શક્તિ માતાની પ્રાગટ્ય કથા

– શ્રી જહુ માતાજી ની પ્રાગટ્ય કથા

– શ્રી કરણી માતાજી નો સંપૂર્ણ ઇતિહાસ

– આઈ શ્રી પીઠડ માંની પ્રગટ્યા કથા

– શ્રી ચામુંડા માતાજી- ઉંચા કોટડાનો ઇતિહાસ

– શ્રી ચેહર માતાજીની પ્રાગટ્ય કથા

– શ્રી બુટભવાની માતાજી- અરણેજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!