પુજય બજરંગદાસ બાપા ની સંપૂર્ણ જીવન કથા

ગુજરાતની એક એવી પવિત્ર ભુમી છે કે જે ભુમિમાં અનેક સંતો થઈ ગયા છે. જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતી થાય. મારે પણ આજે એક એવા જ સંત ની વાત કરવી છે કે જેમને “રાષ્ટ્રિય સંત” નુ બિરૂદ મળેલ છે. જેમને ભક્તિ ના પંથની સાથે-સાથે દેશની સેવા પણ કરેલી છે. એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલ છે. જેમને ફકત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધેજ બગદાણા એક ધામ બની ગયું છે. જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા, શ્રદ્ધા લઇને આવે છે. બાપા બજરંગ બધાનાં જ દુખ મટાડે છે. જેમને લોકો “બાપા સીતારામ” નાં હુલામણા નામથી ઓળખે છે.

ઈ.સ. ૧૯૦૬ (ચોક્કસ તારીખ ની માહિતી નથી) નું વર્ષ હતું. ભાવનગરનાં અધેવાડા ગામમાં હિરદાસજી અને શીવકુંવરબા નામે રામાનન્દી કુટુંબ રહેતું હતું. શીવકુંવરબા સગર્ભા હતાં ત્યારે તેઓ પિયર જતાં હતાં અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી. ત્યાં બાજુમાં જ ઝાંઝરીયા હનુમાનજી નું મન્દીર હતું. આજુબાજુની બહેનો એમને લઇને મન્દીરની ઝુંપડીમાં લઈ ગયાં અને મંદીરમાં હનુમાનજી ની આરતી નાં ઝાલર રણકવા મંડ્યા અને એવા શુભ દી એ એક બાળકનો જનમ થયો.

રામાનન્દી સાધુ હોવાના કારણે નામ રાખ્યું, “ભક્તીરામ”. નાનપણથી જ ભક્તીરામનાં મનમાં માતા-પિતાનાં સંસ્કાર હતાં ખરેખર તેમનામાં નામ પ્રમાણેજ ગુણ પણ હતાં. એક સવારે ભક્તીરામ મોડે સુધી સુઈ રહ્યાં તો પિતા હિરદાસ અને માતા શીવકુંવરબા એ આવીને જગાડ્યા અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો. પછી એમને થયું કે જરુર ભક્તીરામ શેષ નારાયણનાં અવતાર હોવો જોઈએ. ભક્તીરામને ભક્તી ની એવી તો માયા લાગી ગઈ તી કે તેઓ ૨ ધોરણ સુધી જ ભણ્યા હતાં અને ૧૧ વરસની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમનાં ગુરુ હતાં સીતારામ બાપુ એમની પાસેથી દિક્ષા લઈને સમાધીમાં લીન થઈ ગયાં.

પરમતત્વ અને યોગસિદ્ધીનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણાં આપવા ગયાં. ગુરુ શ્રી સીતારામ ભક્તીરામને ઓળખી ગયાં અને કહ્યું કે ખરાં ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવાનું હોય. ત્યારે ભક્તીરામ બોલ્યાં કે ખરેખર જો તમે મને કઈંક આપવા જ ઈચ્છતા હોય તો એવું કઈક આપો કે મારા રુવે-રુવે રામનું રટણ ચાલું જ રે. ત્યારથી સીતારામજી એ એમને નવું નામ આપ્યું “બજરંગી” અને કહ્યું કે જાવ બજરંગી હવે તમે દુનીયામાં ભ્રમણ કરો અને દીન દુખીયાં ની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો.

ભક્તીરામ આખા જગતમાં “બાપા બજરંગદાસ” અને “બાપા સીતારામ” ના નામથી ઓળખાવા લાગ્યાં. એક વાર ભ્રમણ કરતાં-કરતાં બાપા મુંમ્બઈ આવી પહોચ્યાં. ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો. બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નિકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગુ કરતા હતા. તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો. બાપા એ જ વખતે જ્યાં ઉભા તાં ત્યાં જ પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યાં. અને જોત જોતાંમાં ત્યાં લોકોનું ટોળું આ કુત્તુહલ જોવા ભેગુ થઈ ગયું અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું તે જોઇને ગોરો અમલદાર પણ બાપાના પગમા પડી ગયો હતો.

આ પણ વાંચજો- બજરંગ દાસ બાપાના જીવન નો સત્ય ઘટના નો પ્રસંગ

બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત, જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણનાં મન્દીરમાં રહ્યાં ત્યાંથી તેઓ ચાલતાં ચાલતાં હણોલ ગામે રણજીત હનુમાનજીનાં મન્દીરમાં સાત વરસ રહ્યાં. તેમનાં ભ્રમણ દરમ્યાન તેઓ ભાવનગર જાડેજા ને ત્યાં પણ ગયાં હતાં ત્યાંથી તેઓ પાલીતાણા, જેસર અને કલમોદર ગયાં અને કળમોદર બાપા ત્રણ વરસ રહ્યાં. બાપાનાં ભ્રમણ દરમ્યાન એમનાં હાથે ઘણાં ચમત્કાર થયાં પણ બાપાતો ફકત એક જ વાકય બોલતાં જેવી મારાં વ્હાલાની મરજી. ભ્રમણ કરતાં-કરતાં બાપા બગદાણા આવ્યાં ત્યારે એમની ઉંમર હતી ૪૧ વરસ. ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો. બગદાણામાં બાપાને ૫ મુળતત્વો જોવા મળ્યાં:

બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ, બજરંગદાસ બાપા પછી બાપા કાયમને માટે બગદાણામાં જ રહ્યાં. બાપાએ બગદાણામાં પણ ઘણો વિસ્તાર કર્યો.

બાપા ૧૯૪૧ માં બગદાણા આવ્યાં.
૧૯૫૧ માં આશ્રમની સ્થાપના કરી.
૧૯૫૯ માં અન્નક્ષેત્ર ચાલું કર્યુ.
૧૯૬૦ માં ભુદાન હવન કર્યો.
૧૯૬૨ માં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.
૧૯૬૫ માં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.
૧૯૭૧ માં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.

સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડું બગદાણા ગામ,
બાપા બજરંગદાસ બિરાજતા અને રટતા સીતારામ.

બગદાણા જવા માટે અમદાવાદથી ડાયરેકટ એસ.ટી. બસ મળે છે તેમજ ભાવનગર અને તળાજા વગેરે સ્થળેથી પણ બસની સગવડ છે. બગદાણા ખાતે દર વરસે અત્રે બે ઉત્સવ ઉજવાય છે જેમાં એક બજરંગદાસબાપાની પુણ્યતિથિ, જે પોષ વદ ૪નાં દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ ૧૫ એટલે કે ગુરુ પૂર્ણિમાનાં દિવસે ધામધુમથી ઉજવાય છે. આ ઉત્સવો દરમિયાન બજરંગદાસ બાપના લાખો શ્રધાળું ભક્તો ઉમટી પડે છે પણ બાપા નો કોઈપણ ભક્ત પ્રસાદી નો લાભ લીધા વગર પાછો ફરતો નથી. હાલ માં બગદાણા આશ્રમનું સંચાલન બાપાશ્રીના પરમ શિષ્ય મનજીબાપાની દેખરેખ થઇ રહ્યું છે. સૌ ભકતો ત્યાં બાપાનો મહાપ્રસાદ પણ લે છે અને આ મહાપ્રસાદ રોજ આખો દિવસ ચાલુ રહે છે

આમ, ભારતનાં ઈતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મુકીને પોષ વદ ચોથનાં દિવસે દેવ થઈ ગયાં અને બાપાની મઢુલી બાપા વગર સુની થઈ ગઈ અને એ દિવસે તો આખું બગદાણા ગામ, બગડ નદી, વનની વનરાઈ પણ શાંત થઈ ગઈ હતી. પશું પંખીઓએ પણ પોતાનો કિલ્લોલ છોડી દીધો હતો..!! બગદાણા ધામ ધીરે ધીરે પ્રખ્યાત થતું જાય છે. ભકતો માનતા લઇને જાય છે અને ખરેખર બાપા પણ ભકતોની માનતા પૂરી કરે છે અને હું તો કહું છું કે એક વખત બગદાણા જાજો તમારો ભવનો ફેરો પલટાઇ જશે. બાપા સીતારામ.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –

error: Content is protected !!