ભગવાન શિવજીનાં ૧૯ અવતારોની રસપ્રદ કથા

ભગવાન અવતાર ધારણ કરે છે કયારેક તેઓ સીધેસીધો અવતાર ધારણ કરે છે તો ક્યારેક તેઓ રૂપ બદલીને અવતાર ધારણ કરે છે. ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી ત્યારે જ એમાં સજીવો ઉત્પ્પન્ન થયાં એ પહેલાં થી જ પૃથ્વી તો હતી જ પણ સજીવો નહોતાં. પૃથ્વી તો બ્રહ્માંડ સાથે જોડાયેલી જ છે એમાં પ્રલયો કે અન્ય કોઈ કુદરતો આફતો અમુક વર્ષોનાં અંતરે આવતી જ રહેતી હોય છે પણ તેનો સંપૂર્ણ વિનાશ થયો નથી. થયો પણ હોય તો આપણે એ જોયો પણ નથી જ પણ આપણે અહીં જ વસીએ છીએ અને જગત આખું અહીં જ વસે છે એટલે એ અહીં જ હતી એમ જ મનાય. જેને આપણે પૃથ્વી ગ્રહ કહીએ છીએ. એ ગ્રહ તો ક્યારેય નષ્ટ ના જ પામે ને !!!

આ સજીવો એ ભગવાન બ્રહ્માજીની જ દેન છે. આપણી પૃથ્વી અમુક લાખો વર્ષે નાશ પામતી હતી પણ સંપૂર્ણ પણે નહીં એમાં જ્યાં મહાસાગર હતો ત્યાં પર્વતો આવી ગયાં અને જયાં પર્વતો હતાં ત્યાં મહાસાગરો બની ગયાં, રણ પણ બની ગયું ક્યારેક તો જયાં દરિયો હતો એ દૂર જતો રહ્યો. આવી આવી ઉથલપાથલો પહેલાંના સમયમાં બની હતી એ એટલું જ સાચું છે જેટલું સાચું છે આપણું અસ્તિત્વ. તે વખતે ઝાડ -પાંદડાઓ પહાડો અને રણ પણ હતાં જ હતાં. પ્રાણીઓ સૌ સંપીને રહેતાં હતાં પછી ભગવાન બ્રહ્માજીએ માનવોનું સર્જન કર્યું. માનવો જન્મ્યા એટલે નાત-જાતનાં અને ભાતભાતનાં ઝગડાઓ શરુ થઇ ગયાં. એમાં પણ દાનવોએ ઉત્પાત મચાવવા માંડયો એમાંથી જનમ લીધો દુષ્ટત્વ અને અનિષ્ટોએ.

એટલે ભગવાનને આ સૃષ્ટિની સંરચના જાળવવા અને માનવજાતનાં કલ્યાણ માટે અવતાર નહીં પણ અવતારો લેવાં પડયાં. દુષ્ટત્વનો નાશ માનવો દ્વારા થઇ નહોતો શકતો. સૂર અને અસૂરોનો ઝગડો વધતો જતો હતો. આ અસૂરોને ખતમકરવાં જ ભગવાને અવતારો લેવાં પડયાં હતાં !!! ભગવાન બ્રહ્માજીએ મન્વન્તરોની રચના કરી એમાંથી જન્મ્યા માણસો. આવા તો કૈંક કેટલાંય મન્વન્તરો છે. મન્વન્તરો માણસો હોવાથી એમને માનવોની રચના કરવાનું ફાવે જ ફાવે પણ એનાં મૂળમાં તો છે ભગવાન બ્રહ્માજી.

આપણા પૌરાણિક ગ્રંથોની પણ પહેલાં વેદોની રચના થઇ છે. એમાં ઋગ્વેદમાં એક રુચા છે કે સૃષ્ટિની રચના થઇ એ પહેલાં. સાત પણ નહોતું અને અસત પણ નહોતું ને અંતરીક્ષ પણ નહોતું. આપણું બ્રહ્માંડ એ એક મોટાં બ્રહ્માંડનો બહુજ નાનકડો ભાગ છે અને એ બ્રહ્માંડ તો આપણી આકાશગંગાની પણ પેલે પાર છે. એનો અર્થ અતિસ્પષ્ટ છે કે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે અને ત્યારે જ. આમ તો માનવોની ઉત્પત્તિને કારણે જ સત અને અસતનાં ઝગડાઓ શરુ થયાં અને એને જ કારણે માનવોએ રચેલી સામજિક વ્યવસ્થાઓ અસ્તવ્યસ્ત થઇ ગઈ. અનિષ્ટોએ માઝા મૂકી દીધી હતી. બ્રહ્માજી પણ કાળક્રમે સૃષ્ટિની સંરચના જળવાઈ રહે એમાટે અમુક વર્ણવ્યવસ્થામાં ફેરફાર કરતાં ગયાં.

એક જાતિ સમાપ્ત થાય તો બીજી જાતિનું નિર્માણ કરતાં ગયાં પણ તોય સંતુલન જળવાતું નહોતું એટલે ત્રિદેવ ભગવાન બ્રહ્માજી , ભગવાન વિષ્ણુ અને ભગવાન મહેશમાંથી ભગવાન વિષ્ણુ અને ભગવાન મહેશે અવતાર ધારણ કરવાં પડયાં હતાં. ભગવાન વિષ્ણુના દશાવતાર તો જગજાહેર છે પણ ભગવાન વિષ્ણુએ બીજાં ૨૪ અવતારો પણ લીધાં હતાં. ભગવાન વિષ્ણુનાં આ ૨૪ અવતારો વિષે હું પહેલાં લખી જ ચુક્યો છું એ બધાં વાંચી લેજો હોં !!! તો ભગવાન શંકર પણ કેમ પાછળ રહી જાય એમને પણ ૧૯ અવતારો લીધાં હતાં !!! આ ૧૯ અવતારો કયાં છે એજ આજે હું તમને જણાવવાં માંગુ છું

શિવ મહા પુરાણમાં ભગવાન શિવજીના અનેક અવતારોનું વર્ણન મળે છે, પરંતુ બહુજ ઓછાં લોકો આ અવતારો વિષે જાણે છે. ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન શંકરના ૧૯ અવતાર થયાં હતાં !!!

પ્રથમ અવતાર – વીરભદ્ર અવતાર

ભગવાન શિવજીનો આ અવતાર ત્યારે થયો થયો હતો જ્યારે દક્ષ દ્વારા આયોજિત યજ્ઞમાં માતા સતી એ પોતાનો દેહ ત્યાગી દીધો હતો જયારે ભગવાન શિવજી આ વાતથી જ્ઞાત થયાં તો એમણે ક્રોધમાં પોતાના માથાં પરથી જટા ઉખાડી અને એને રોષપૂર્વક એક પર્વત પર પટકી દીધી. એ જટાનાં પુર્વભાગમાંથી મહા ભયંકર વીરભદ્ર પ્રગટ થયાં. ભગવાન શિવજીનાં આ વીરભદ્ર અવતારે દક્ષનાં યજ્ઞનો વિદ્વંસ કરી દીધો અને દક્ષનું માથું કાપી નાંખીને એને મૃત્યુ દંડ આપ્યો !!! વીરભદ્ર પર બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. તેઓ આ પાપમાંથી મુક્તિ મેળવવાં એક જગ્યાએ આવીને વર્ષો સુધી તપસ્યા કરી.આ સ્થળે એમણે એક શિવલિંગની સ્થાપના કરી એ જગ્યાએ ભગવાન શિવજીએ પ્રગટ થઈને એમને પાપમાંથી મુક્ત કર્યા એ જગ્યાને એમણે પોતાનું નામ પણ આપ્યું જાણો છો એ જગ્યા કઈ છે તે ? વિજયનગર પોળો ફોરેસ્ટ સ્થિત વિરેશ્વર મહાદેવ !!!

દ્વિતીય અવતાર – પિપ્પલાદ અવતાર

માનવજીવનમાં ભગવાન શિવજીનાં આ પિપ્પલાદ અવતારનું બહુજ મહત્વ છે. શનિદેવની પીડાનું નિવારણ આ ભગવાન શિવજીના અવતાર પિપ્પલાદની કૃપાથી જ સંભવ થઇ શક્યું. કથા એવી છે કે ——

પિપ્પલાદે દેવતાઓને પૂછ્યું કે —-
એવું તો કયું કારણ છે કે મારાં પિતા દધીચિ જન્મથી પૂર્વે મને છોડીને ચાલ્યાં ગયાં ? દેવતાગણે બતાવ્યું કે શનીગ્રહની દ્રષ્ટિને કારણે આવો કુયોગ બન્યો હતો. પિપ્પલાદ આ સાંભળીને ક્રોધિત થઇ ગયાં. એમણે શનિદેવને નક્ષત્ર મંડળમાંથી પડવાનો શ્રાપ આપી દીધો. શ્રાપના પ્રભાવથી શનિદેવ એ જ સમયે આકાશમાંથી પડવાં લાગ્યાં. દેવતાઓની પ્રાર્થના કરવાં પર પિપ્પલાદે શનિદેવને એ વાતે માફ કર્યા કે શનિ જન્મથી લઈને ૧૬ વર્ષની આયુ સુધી કોઈને નષ્ટ અહીં આપે. બસ ત્યારથી જ પિપ્પલાદનાં સ્મરણ માત્રથી શનિદેવની પીડા દૂર થઇ જાય છે. શિવ મહાપુરાણ અનુસાર સ્વયં ભગવાન બ્રહ્માજીએ આ અવતારનું નામકરણ કર્યું હતું

તૃતીય અવતાર – નંદી અવતાર

ભગવાન શંકરજી બધાં જીવોનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન શંકરનો નંદીશ્વર અવતાર પણ એ વાતનું અનુસરણ કરે છે કે બધાં જીવમાત્રને પ્રેમ સંદેશ આપે છે. નંદી (બળદ) કર્મનું પ્રતિક છે. જેનો અર્થ છે કર્મ જ જીવનનો મૂળ મંત્ર છે. આ અવતારની કથા આ પ્રકારે છે ——

શિલાદ મુનિ બ્રહ્મચારી હતાં. વંશ સમાપ્ત થતો જોઇને પિતાએ શીલાદને સંતાન પેદા કરવાનું કહ્યું. શિલાદે અયોનિજ અને મૃત્યુહીન સંતાનની કામનાથી ભગવાન શિવની તપસ્યા કરી ત્યારે ભગવાન શંકરજીએ સ્વયં શીલાદને ત્યાં પુત્રનાં રૂપમાં જન્મ લેવાનું વરદાન – વચન આપ્યું. થોડાં સમય પછી ધરતી ખેડતાં ખેડતાં શિલાદને ધરતીમાંથી જન્મેલું એક બાળક મળ્યું. શિલાદે એનું નામ નંદી રાખ્યું. ભગવાન શંકરે નંદીને પોતાનો ગણાધ્યક્ષ બનાવ્યા. આ રીતે નંદી નંદીશ્વર બની ગયાં. મરુતોની પુત્રી સુયશા સાથે નંદીનો વિવાહ થયો હતો !!!

ચતુર્થ અવતાર – ભૈરવ અવતાર

શિવ મહાપુરાણમાં ભૈરવને પરમાત્મા શંકરનું પૂર્ણ રૂપ બતાવાયાં છે. એક વાર ભગવાન શંકરની માયાથી પ્રભાવિત થઈને ભગવાન બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ સ્વયંને શ્રેષ્ઠ માનવાં લાગ્યાં ત્યારે ત્યાં એ તેજપુંજની મધ્યમાં એક પુરૂષાકૃતિ દેખાઈ પડી એણે જોઇને ભગવાન બ્રહ્માજીએ કહ્યું —-
ચન્દ્રશેખર તમે મારાં પુત્ર છો. અતઃ મારી શરણમાં આવો

ભગવાન બ્રહ્માજી આવી વાત સંભાળીને ભગવાન શંકરને ક્રોધ આવી ગયો એમણે એ પુરૂષાકૃતિને કહ્યું કે —- કાલની ભાંતિ શોભિત હોવાનાં કારણે તમે સાક્ષાત કાલરાજ છો, ભીષણ હોવાનાં કારણે તમે ભૈરવ છો, ભગવાન શંકર પાસે આ બધાં વરદાન પ્રાપ્ત કરીને કાળભૈરવે પોતાની આંગળીનાં નખ વડે ભગવાન બ્રહ્માજીનું પાંચમું માથું કાપી નાંખ્યું. ભગવાન બ્રહ્માજીનું પાંચમું માથું કાપી નાંખવાના કારણે ભૈરવ બ્રહ્મહત્યાના પાપથી દોષિત થઇ ગયાં. કાશીમાં ભૈરવને બ્રહ્મહત્યાનાં પાપમાંથી મુક્તિ મળી. કાશીવાસીઓ માટે ભૈરવની ભક્તિ અનિવાર્ય બતાવાઈ ગઈ છે !!!

પંચમ અવતાર – અશ્વત્થામા

મહાભારત અનુસાર પાંડવોનાં ગુરુ દ્રોણાચાર્યનાં પુત્ર અશ્વત્થામા કાલ, ક્રોધ,યમ અને ભગવાન શંકરનાં અંશાવતાર હતાં. આચાર્ય દ્રોણે ભગવાન શંકરને પુત્ર રૂપમાં પામવાં માટે ઘોર તપસ્યા કરી હતી. આનાથી ભગવાન શંકરે એમણે વરદાન આપ્યું હતું કે એમનાં પુત્રનાં રૂપમાં તેઓ અવતીર્ણ થશે !!! સમય આવ્યાં પર સવન્તિક રુદ્રએ પોતાનાં અંશથી દ્રોણનાં પુત્ર અશ્વત્થામનાં રૂપમાં અવતાર લીધો. એવી માન્યતા છે કે અશ્વત્થામા અમર છે અને આજે પણ ધરતી પર નિવાસ કરે છે. શિવ મહાપુરાણ (શતરુદ્રસંહિતા -૩૭)અનુસાર અશ્વત્થામા આજે પણ જીવિત છે અને એ ગંગા કિનારે નિવાસ કરે છે પરંતુ એમનો નિવાસ ક્યાં છે એ નથી બતાવવામાં આવ્યું !!!

છઠ્ઠો અવતાર – શરભાવતાર

ભગવાન શંકરજીનો છઠ્ઠો અવતાર છે શરભાવતાર. શરભાવતારમાં ભગવાન શંકરનું સ્વરૂપ અડધાં મૃગ(હરણ) તથા શેષ શરભ પક્ષી (પુરાણોમાં વર્ણિત આઠ પગવાળું જંતુ જે સિંહ કરતાં વધુ શક્તિશાળી)નું હતું. આ અવતારમાં ભગવાન શંકરે ભગવાન નરસિંહનાં ક્રોધાગ્નિને શાંત કર્યો હતો. લિંગ પુરાણમાં ભગવાન શિવજીનાં શરભાવતારની કથા છે. એ કથા અનુસાર ——- હિરણ્યકશિપુનો વધ કરવાં માટે ભગવાન વિષ્ણુએ નૃસિંહાવતાર લીધો હતો. હિરણ્યકશિપુનાં વધ પશ્ચાત જ્યારે ભગવાન નરસિંહનો ક્રોધ શાંત ના થયો તો દેવતાઓ ભગવાન શિવજી પાસે પહોંચ્યા ત્યારે ભગવાન શંકરે શરભાવતાર લીધો અને તેઓ આજ રૂપમાં ભગવાન નરસિંહ પાસે પહોંચ્યા અને એમની સ્તુતિ કરી !!! પરંતુ તોય ભગવાન નરસિંહનો ક્રોધાગ્નિ શાંત ના થયો તે ના જ થયો આ બધું જોઇને શરભરૂપી ભગવાન શિવ પોતાની પૂંછડીથી ભગવાન નરસિંહને લપેટી લઈને ઉડયાં. એમણે શરભાવતારની ક્ષમા યાચના કરીને અતિવિનમ્ર ભાવથી એમની સ્તુતિ કરી !!!

સપ્તમ અવતાર – ગૃહપતિ અવતાર

ભગવાન શંકરનો સાતમો અવતાર છે ગૃહપતિ અવતાર. આ અવતારની કથા આ પ્રકારે છે. નર્મદાનાં તટ પર ધર્મપુર નામનું એક નગર હતું ત્યાં વિશ્વાનર નામનાં એક મુનિ તથા એમની પત્ની શુચિષ્મતી રહેતાં હતાં. શુચિષ્મતીને બહુ લાંબા સમય સુધી નિસંતાન રહેવાને કારણે એક દિવસ એણે પોતાનાં પતિ પાસે ભગવાન શિવજી સમાન પુત્રપ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી. પત્નીની આ અભિલાષા પૂર્ણ કરવાં માટે વિશ્વાનર કાશી આવી ગયાં. અહીંયા એમણે ઘોર તપ દ્વારા ભગવાન શિવનાં વીરેશ લીંગની સ્થાપના કરી પછી એની આરાધના શરુ કરી. એક દિવસ આ મુનિને વીરેશ લિંગની મધ્યમાં એક બાળક જોવાં મળ્યો. મુનિએ આ બાળરૂપધારી ભગવાન શિવની પૂજા કરી
એમની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે શુચિષ્મતિનાં ગર્ભમાંથી અવતાર લેવાનું વરદાન આપ્યું. કાલાંતરમાં શુચિષ્મતિ ગર્ભવતી બની અને ભગવાન શુચિષ્મતીનાં ગર્ભમાંથી પુત્રરૂપે પ્રકટ થયાં. એમ કહેવાય છે કે પિતામહ ભગવાન બ્રહ્માજીએ આ બાળકનું નામ ગૃહપતિ રાખ્યું હતું !!!

અષ્ટમ અવતાર – ઋષિ દુર્વાસા

ભગવાન શંકરનાં વિભિન્ન અવતારોમાં ઋષિ દુર્વાસા અવતાર પણ પ્રમુખ છે. ધર્મ ગ્રંથો અનુસાર સતી અનુસુયાનાં પતિ મહર્ષિ અત્રિએ ભગવાન બ્રહ્માજીનાં નિર્દેશાનુસાર પત્ની સહિત રુક્ષકુલ પર્વત પર પુત્રકામનાથી ઘોર તપ કર્યું. એમનાં તપથી પ્રસન્ન થઈને ભગવાન બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને ભગવાન મહેશ એ ત્રણે એમનાં આશ્રમમાં આવ્યાં . એમણે કહ્યું —– અમારાં અંશથી તમને ત્રણ પુત્રો થશે જેઓ ત્રિલોકમાં વિખ્યાત થશે તથા માતા -પિતાનાં યશ કીર્તિ વધારનારાં થશે. સમય આવ્યે ભગવાન બ્રહ્માજીનાં અંશથી ચંદ્રમા પેદા થયાં. ભગવાન વિષ્ણુનાં અંશથી શ્રેષ્ઠ સન્યાસ પદ્ધતિને પ્રચલિત કરનાર ભગવાન દત્તાત્રેય જન્મ્યાં અને રુદ્રનાં અંશથી મુનિવર દુર્વાસાએ જન્મ લીધો !!!

નવમ અવતાર – ભગવાન હનુમાનજી અવતાર

ભગવાન શિવજીનો આ ભગવાન હનુમાનજી અવતાર એમનાં બધાં જ અવતારોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. આ અવતારમાં ભગવાન શંકરે એક વાનરનું રૂપ ધારણ કર્યું હતું. શિવ મહાપુરાણ અનુસાર દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃતની વહેંચણી અંગે બહુ મોટો ઝગડો થયો વાત લડાઈ સુધી પહોંચી ગઈ એટલે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું. આ જોઇને ભગવાન શંકરે લીલાવશ થઈને કામાતુર થઈને પોતાનો વીર્યપાત કરી દીધો !!! સપ્તર્ષિઓએ આ વીર્યને કેટલાંક પાંદડાઓમાં સંગ્રહિત કરી દીધું. સમય આવ્યે આ સપ્તર્ષિઓએ ભગવાન શિવજીના આ વીર્યને વાનરરાજ કેસરીની પત્ની અંજનીના કાનના માધ્યમ દ્વારા એનાં ગર્ભમાં પ્રસ્થાપિત કરી દીધું. જેનાંથી અત્યંત તેજસ્વી એવં પ્રબળ પરાક્રમી ભગવાન શ્રી હનુમાનજી જન્મ્યા !!!

દસમ અવતાર – વૃષભ અવતાર

ભગવાન શંકરે વિશેષ પરિસ્થિતિઓમાં વૃષભ અવતાર લીધો હતો. આ અવતારમાં ભગવાન શંકરે ભગવાન વિષ્ણુનાં પુત્રોનો સંહાર કર્યો હતો !!! ધર્મ ગ્રંથો અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુ દૈત્યોને મારવાં માટે પાતાળલોકમાં ગયાં તો ત્યાં એમને બહુ જ બધી ચંદ્રમુખી સ્ત્રીઓ જોવાં મળી. ભગવાન વિષ્ણુએ એમની સાથે પ્રણયફાગ ખેલીને બહુજ બધાં પુત્રોને જન્મ આપ્યો. ભગવાન વિષ્ણુનાં આ પુત્રો એ પાતાળલોકથી માંડીને પૃથ્વીલોક સુધી બહુજ વધારે પડતો ઉપદ્રવ ફેલાવ્યો. આનાંથી ગભરાઈ જઈને ભગવાન બ્રહ્માજી ઋષિમુનિઓને લઈને ભગવાન શિવજી પાસે ગયાં અને એમની રક્ષા માટે પ્રાર્થના કરવાં લાગ્યાં. ત્યારે ભગવાન શંકરે વૃષભ રૂપ ધારણ કરીને ભગવાન વિષ્ણુનાં આ પુત્રોનો સંહાર કર્યો હતો !!!

અગિયારમો અવતાર – યતિનાથ અવતાર

ભગવાન શંકરે યતિનાથ અવતાર લઈને અતિથિનાં મહત્વનું પ્રતિપાદન કર્યું હતું. એમણે આ અવતારમાં અતિથિ બનીને ભીલ દંપતીની પરીક્ષા લીધી હતી. જેના કારણે આ ભીલ દંપતિએ પોતાનાં પ્રાણ ગુમાવવાં પડયાં હતાં !!! ધર્મ ગ્રંથો અનુસાર અર્બુદાચલ પર્વતની સમીપ શિવભક્ત આહુક -આહુકા ભીલ દંપતિ રહેતાં હતાં. એક વાર ભગવાન શંકર યતિનાથનાં વેશમાં એમનાં ઘરે આવ્યાં . એમણે આ ભીલ દંપતિનાં ઘરમાં રાત વિતાવવાંની ઈચ્છા વ્યક્ત કરી. આહુકાએ પોતાનાં પતિને ગૃહસ્થીની મર્યાદાનું સ્મરણ કરાવતાં એણે સ્વયં ધનુષબાન લઈને બહાર રાત વિતાવવાની અને યતિને ઘરમાં વિશ્રામ કરવાંદેવાનો પ્રસ્તાવ મુક્યો !!! આ રીતે આહુક ધનુષબાણ લઈને બહાર જતો રહ્યો. પ્રાતઃકાલ અહુકા અને યતિએ જોયું કે વન્ય પ્રાણીઓએ એને મારી નાંખ્યો છે. આનાં પર યતિનાથ બહુ જ દુખી થયાં ત્યારે આહુકાએ એમને શાંત કરતાં કહ્યું કે આપ શોક ના કરશો. અતિથિ સેવામાં પ્રાણ ત્યાગવો એ ધર્મ છે અને એનું પાલન કરીને અમે ધન્ય થઇ ગયાં છીએ. જ્યારે આહુકા પોતાનાં પતિની ચિતાગ્નિમાં જલવા લાગી તો ભગવાન શિવજીએ એને દર્શન આપીને આગલા જન્મમાં પુનઃ પોતાનાં પતિને મળવાનું વરદાન આપ્યું !!!

બારમો અવતાર – કૃષ્ણદર્શન અવતાર

ભગવાન શિવજીએ આ અવતારમાં યજ્ઞ આદિ ધાર્મિક કાર્યોનું મહત્વ બતાવ્યું છે. આ પ્રકારે આ અવતાર પૂર્ણતઃ ધર્મનું પ્રતિક છે !!! ધર્મ ગ્રંથો અનુસાર ઈશ્વાકુવંશીય શ્રાદ્ધદેવની નવમી પેઢીમાં રાજા નભગનો જન્મ થયો હતો. વિદ્યા અધ્યયન માટે ગુરુકુલ ગયેલાં નભગ જ્યારે ઘણાં દિવસો સુધી પાછાં ના ફર્યા તો એમનાં ભાઈઓએ રાજ્યનું વિભાજન કરીને પરસ્પરમાં વહેંચી લીધું . નભગને જ્યારે આ વાતની ખબર પડી તો એ સીધાં પોતાનાં પિતા પાસે પહોંચ્યા. પિતાએ નભગને કહ્યું કે એ યજ્ઞ પારાયણ બ્રાહ્મણોનાં મોહને દુર કરીને એમનાં યજ્ઞને સંપન્ન કરીને એમનાં ધનને પ્રાપ્ત કરે ત્યારે નભગે યજ્ઞભૂમિમાં પહોંચીને વૈશ્ય દેવ સૂક્તનાં સ્પષ્ટ મંત્રોચ્ચાર દ્વારા યજ્ઞ સંપન્ન કરાવ્યો. અંગારિક બ્રાહ્મણ યજ્ઞ અવશિષ્ટ ધન નભગને આપીને સ્વર્ગમાં જતાં રહ્યાં બરોબર એજ સમયે ભગવાન શિવજીએ કૃષ્ણદર્શન રૂપમાં પ્રગટ થઈને બોલ્યાં કે ” અવશિષ્ટ ધન પર તો એમનો જ અધિકાર છે !!!” વાદવિવાદ વધતાં કૃષ્ણદર્શન રૂપધારી ભગવાન શિવજીએ પોતાનાં પિતાને જ આનો નિર્ણય કરવાં કહ્યું નભગનાં પૂછવાં પર શ્રાદ્ધદેવે કહ્યું કે —- ” આ મહાપુરુષ પોતે જ શંકર ભગવાન છે ……. યજ્ઞમાં અવશિષ્ટ વસ્તુઓ એમની જ છે !!!” પિતાની વાતોને માનીને રાજા નભગે ભગવાન શિવજીની સ્તુતિ કરી !!!

તેરમો અવતાર – અવધૂત અવતાર

ભગવાન શંકરે અવધૂત અવતાર લઈને દેવરાજ ઇન્દ્રનો અહંકાર ચકનાચુર કર્યો હતો. ધર્મ ગ્રંથો અનુસાર એક વખત બૃહસ્પતિ અને અન્ય દેવતાઓને સાથે લઈને દેવરાજ ઇન્દ્ર ભગવાન શંકરજીનાં દર્શન માટે કૈલાસ પર્વત પર ગયાં હતાં. દેવરાજ ઇન્દ્રની પરીક્ષા કરવાં ભગવાન શંકરે અવધૂત સ્વરૂપ ધારણ કરીને એમનો માર્ગ રોકી દીધો હતો. દેવરાજ ઇન્દ્રે એ પુરુષને અવજ્ઞાપૂર્વક વારંવાર એમનો પરિચય પૂછ્યો તો પણ તેઓ મૌન જ રહ્યાં. આનાં પર કૃદ્ધ થઈને દેવરાજ ઇન્દ્રે જ્યારે અવધૂત પર પ્રહાર કરવાં માટે વજ્ર છોડયુંતો એમનો હાથ જ સ્તંભિત થઇ ગયો એ ત્યાંથી જરાય હાલ્યો પણ નહીં !!! આ જોઇને બૃહસ્પતિએ ભગવાન શિવજીને ઓળખી જઈને અવધૂતની બહુવિધિ સ્તુતિ કરી જેનાંથી પ્રસન્ન થઈને ભગવાન શિવજીએ દેવારાજ ઇન્દ્રને ક્ષમા આપી દીધી !!!

ચૌદમો અવતાર – ભિક્ષુવર્ય અવતાર

ભગવાન શંકર તો દેવાધિદેવ છે. સંસારમાં જન્મ લેવાંવાળાં દરેક સજીવોનાં જીવન રક્ષક પણ છે !!! ભગવાન શંકરજીનો ભિક્ષુવર્ય અવતાર પણ આ જ સંદેશ આપે છે. ધર્મ ગ્રંથો અનુસાર વિદર્ભ નરેશ સત્યરથને શત્રુઓએ મારી નાંખ્યા એમની ગર્ભવતી પત્નીએ છુપાઈ જઈને પોતાનાં પ્રાણ બચાવ્યાં. સમય આવ્યે એણે એક પુત્રરત્નને જન્મ આપ્યો. રાણી જયારે જળ પીવાં માટે સરોવરમાં ગઈ તો ઘડિયાળે (મગરની એક જાત ) એણે પોતાનો આહાર બનાવી દીધી ત્યારે એ બાળક ભૂખ -પ્યાસથી તડપવા લાગ્યો. એટલામાં જ ભગવાન શિવજીની પ્રેરણાથી એક ભિખારણ ત્યાં પહોંચી ત્યારે ભગવાન શિવજીએ ભિક્ષુકનું રૂપ ધારણ કરીને એ ભિખારણને એ બાળકનો પરિચય આપ્યો અને એ બાળકનાં પાલન-પોષણનો નિર્દેશ આપ્યો તથા એ પણ કહ્યું કે આ બાળક વિદર્ભ નરેશ સત્યરથનો પુત્ર છે. આ બધું કહીને ભિક્ષુક રૂપધારી ભગવાન શિવજીએ એ ભિખારણને પોતાનું વાસ્તવિક રૂપ બતાવ્યું. ભગવાન શિવજીનાં આદેશ અનુસાર અ ભિખારણેએ બાળકનું પાલનપોષણ કર્યું. મોટો થઈને એ બાળક ભગવાન શિવજીની કૃપાથી પોતાનાં દુશ્મનોને હરાવીને પુનઃ પોતાનું રાજ્ય કરવાં માટે સમર્થ બન્યો !!!

પંદરમો અવતાર – સુરેશ્વર અવતાર

ભગવાન શિવજીનો આ સુરેશ્વર (ઇન્દ્ર) અવતાર ભક્તો પ્રતિ પ્રેમ ભાવનાને પ્રદર્શિત કરનારો છે. આ અવતારમાં ભગવાન શંકરે એક નાનાં બાળક ઉપમન્યુની ભક્તિથી પ્રસન્ન થઈને એને પોતાની પરમ ભક્તિ અને અમરપદનું વરદાન આપ્યું. ધર્મ ગ્રંથો અનુસાર વ્યાઘ્રપદનો આ પુત્ર ઉપમન્યુ પોતાનાં મામાનાં ઘરે પલતો હતો. એ સદાય દુધ પીવાની ઇચ્છાથી વ્યાકુળ રહેતો હતો એની માંએ એણે પોતાની અભિલાષા પૂર્ણ કરવાં માટે ભગવાન શિવજીની શરણમાં જવાનું કહ્યું. આનાથી પ્રેરિત થઈને ઉપમન્યુ વનમાં જઈને ઓમ નમઃ શિવાયનો જાપ કરવાં લાગ્યાં. ભગવાન શિવજીએ આ સુરેશ્વર (ઇન્દ્ર)નું રૂપ ધારણ કરીને એણે દર્શન આપ્યું અને ભગવાન શિવજીની અનેક પ્રકારે નિંદા કરી. આનાં પર ઉપમન્યુએ ક્રોધિત થઈને ઇન્દ્રને મારવાં માટે ઉભા થયાં. ઉપમન્યુને પોતાનામાં દ્રઢ શક્તિ અને અટલ વિશ્વાસ જોઇને ભગવાન શિવજી પોતાનાં વાસ્તવિક રૂપનાં દર્શન કરાવ્યાં તથા ક્ષીરસાગર સમાન એક અનશ્વર સાગર એને પ્રદાન કર્યું. એમની પ્રાથના કરવાંથી પરમ કૃપાળુ ભગવાન શિવજીએ એને પરમ ભક્તનું પદ પણ આપ્યું !!!

સોળમો અવતાર – કિરાત અવતાર

કિરાત અવતારમાં ભગવાન શંકરે પાંડુપુત્ર અર્જુનની વીરતાની પરીક્ષા લીધી હતી. મહાભારત અનુસાર કૌરવોએ છળકપટથી પાંડવોનું રાજ્ય હડપી લીધું હતું અને પાંડવોને વનવાસમાં જવું પડયું હતું. વનવાસમાં જયારે અર્જુન ભગવાન શંકરજીને પ્રસન્ન કરવાં માટે તપસ્યા કરી હતો ત્યારે દુર્યોધન દ્વારા મોકલેલો મૂડ નામનો દૈત્ય અર્જુનને મારવાં માટે સુવ્વરનું રૂપ ધારણ કરીને ત્યાં પહોંચ્યો. અર્જુને એ સુવ્વર પર પોતાનાં બાણનો પ્રહાર કર્યો બરાબર એ જ સમયે ભગવાન શંકરે પણ કિરાત વેશ ધારણ કરીને એ સુવ્વર પર પોતાનું બાણ ચલાવ્યું. ભગવાન શિવજીની માયાને કારણે અર્જુન એમણે ઓળખી જ ના શક્યો અને એ સુવ્વરનો વધ એનાં જ બાણથી થયો છે એવું કહેવાં લાગ્યો. આ માટે ઉગ્ર વાદવિવાદ થયો વાત યુદ્ધ સુધી પહોંચી ગઈ. અર્જુને કિરાત વેશધારી ભગવાન શિવ સાથે યુદ્ધ કર્યું. અર્જુનની વીરતા જોઇને ભગવાન શિવજી પ્રસન્ન થયાં અને પોતાનાં વાસ્તવિક સ્વરૂપમાં આવી જઈને અર્જુનને કૌરવો પર વિજય પ્રાપ્ત કરવાં માટે આશીર્વાદ આપ્યાં. અર્જુનની આવી વીરતા જોઇને ભગવાન શિવજીએ અર્જુનને એક દિવ્યાસ્ત્ર આપ્યું જેનું નામ છે પાશુપશાસ્ત્ર!!! ભગવાન શંકરે કહ્યું કે —— આ પાશુપશાસ્ત્રનો ઉપયોગ એક જ વખત થઇ શકશે એટલે તું યોગ્ય સમયે જ એનો ઉપયોગ કરજે !!!

સત્તરમો અવતાર – સુનટનર્તક અવતાર

માં પાર્વતીનાં પિતા હિમાલય પાસે એમની પુત્રીનો હાથ માંગવા માટે ભગવાન શિવજીએ સુનટનર્તકનો વેશ ધારણ કર્યો હતો. હાથમાં ડમરું લઈને ભગવાન શિવજી નટનાં રૂપમાં જ્યારે રાજા હિમાલયનાં ઘરે પહોંચ્યા અને ત્યાં નૃત્ય કરવાં લાગ્યાં !!! ભગવાન નટરાજ શિવજીએ એટલું સુંદર અને મનોહર નૃત્ય કર્યું કે ત્યાં હાજર રહેલાં બધાંજ પ્રસન્ન થઇ ગયાં. જ્યારે હિમાલયે નટરાજને ભિક્ષા માંગવાનું કહ્યું તો નટરાજ ભગવાન શિવજીએ ભિક્ષામાં માં પાર્વતીનો હાથ માંગી લીધો. આ વાતથી હિમાલયરાજ અતિ ક્રોધિત થયાં. થોડાં સમય પછી નટરાજ વેશ ધરી ભગવાન શિવજી માં પાર્વતીને પોતાનું અસલી રૂપ બતાવીને સ્વયં ત્યાંથી ચાલ્યાં ગયાં. એમનાં ગયાં પછી મૈના અને હિમાલયને એ દિવ્યજ્ઞાન થયું અને એમણે માં પાર્વતીનો હાથ ભગવાન શિવજીના હાથમાં સોંપવાનો નિશ્ચય કરી લીધો !!!

અઢારમો અવતાર – બ્રહ્મચારી અવતાર

દક્ષનાં યજ્ઞમાં પ્રાણ ત્યાગ્યા પછી જ્યારે દેવી સતીએ હિમાલયને ઘરે જન્મ લીધો હતો. ભગવાન શિવજીને પતિનાં રૂપમાં પામવાં માટે એમણે ઘોર તપ કર્યું. માં પાર્વતીની પરીક્ષા કરવાં માટે ભગવાન શિવજી બ્રહ્મચારીનો વેશ ધારણ કરીને એમની પાસે પહોંચ્યા. માં પાર્વતીએ બ્રહ્મચારીને જોઇને એમની વિધિવત પૂજા કરી. જ્યારે બ્રહ્મચારીએ માં પાર્વતીજીને એમનાં તપનો ઉદ્દેશ્ય પૂછ્યો અને એ જાણીનેએ તેઓ ભગવાન શિવની નિંદા કરવાં લાગ્યાં તથા એમને સ્મશાનવાસી અને કાપાલિક પણ કહ્યાં. આ સાંભળીને માં પાર્વતીજીને બહુ જ ક્રોધ આવ્યો. માં પાર્વતીની ભક્તિ અને પ્રેમભાવ જોઇને ભગવાન શિવજીએ પોતાનું વાસ્તવિક સવરૂપ એમને બતાવ્યું આ જોઇને માં પાર્વતીજી અતિપ્રસન્ન થયાં !!!

ઓગણીસમો અવતાર – યક્ષ અવતાર

યક્ષ અવતાર ભગવાન શિવજીએ દેવતાઓનાં અનુચિત વર્તન અને એમનાં મિથ્યાભિમાનને દુર કરવાં માટે ધારણ કર્યો હતો. ધર્મ ગ્રંથો અનુસાર દેવતાઓ અને દૈત્યો વચ્ચે કરવામાં આવેલાં સમુદ્ર્મંથન દરમિયાન જયારે એમાંથી ભયંકર અને અતિવિનાશક વિષ નીકળ્યું તો ભગવાન શંકરે એ વિણે ગ્રહણ કરીને પોતાનાં કંઠમાં રોકી લીધું એના પછીથી અમૃતકળશ નીકળ્યો. અમૃતપાન કરવાંથી બધાં દેવતાઓ અમર તો થઇ ગયાં પણ સાથેસાથે એમને એ અભિમાન આવી ગયું કે તેઓ જ સૌથી શક્તિશાળી છે. દેવતાઓનાં આ અભિમાનને તોડવાં માટે ભગવાન શિવજીએ યક્ષનું સ્વરૂપ ધારણ કર્યું અને દેવતાઓ આગળ ઘાસનું એક તણખલું મુકીને એને તોડવાનું કહ્યું. પોતાની સમગ્ર શક્તિ કામે લગાડયાં છતાં દેવતાઓથી એ તણખલું ના તૂટી શક્યું ત્યારે આકાશવાણી થઇ કે યક્ષજી જ બધાંઓનું અભિમાન ચકનાચૂર કરનાર વિનાશક ભગવાન શંકરજી છે !!! બધાં દેવતાઓએ ભગવાન શંકરની સ્તુતિ કરી તથા પોતાનાં અપરાધ બદલ ક્ષમા માંગી !!!

આ છે ભગવાન શિવાજીનાં કુલ ૧૯ અવતારો જેમાંથી માત્ર કાળભૈરવ અને સંપૂર્ણ અને બળશાળી ભગવાન હનુમાનજીની પૂજા થાય છે. બાકી બધાં તો રૂપો અને સ્વરૂપો જ છે પણ તે પણ બધાં એક અવતાર જ છે. આ અવતારોની એક ખાસિયત એ છે કે એ બધાં અવતારોમાં કોઈ નાત-જાતનો ભેદભાવ નથી રાખ્યો સમાજનાં લગભગ દરેક લોકોનું પ્રતિનીધિત્વ કરે છે આ બધાં જ અવતારો. આ અવતારો રાજા, રાણી,ભિખારણ અને ભીલોને પણ મદદરૂપ થાય છે. આ અવતારો સંપૂર્ણતયા માનવીય છે અને એ જ એમની માનવતા છતી કરે છે. આ અવતારો એક નાનાં બાળકને પણ મદદ કરે છે તો દેવતાઓને પણ મદદ કરે છે તો ભગવાને પણ સહાયભૂત થાય છે તો ક્યારેક ત્રિદેવમાંનાં એક એવા બ્રહ્માજીનું માથું પણ ધડથી અલગ કરે છે તો ભગવાન વિષ્ણુને સહાયભૂત થાય છે ક્યારેક એમનાં અવતારોની ભક્તિ પણ કરે છે તો ક્યારેક એમનાં કુપુત્રોની હત્યા પણ કરે જ છે. આ ભગવાન શંકરજીની શક્તિ અને અને સહાનુભુતિ બતાવવાં માટે કાફી છે

એક રીતે એમણે સમાજ કલ્યાણનું જ કાર્ય કર્યું છે અને દરેક માનવોને એમને મદદ કરી છે. એટલે જ તો આજે દરેક માણસ ભગવાન શિવજી પાસે વિના સંકોચે સહાય માંગવા માટે અને તેમની મનોકામના પૂર્ણ થાય તે માટે એમનાં દ્વારે પહોંચી જાય છે. ભગવાન શિવજી પણ પરમ દયાળુ અને કલ્યાણકારી છે તે દરેક ભક્તોની ઈચ્છાપૂર્તિ કરે જ છે. ભગવાન પણ ક્યારેક પોતાના ભક્તોને પણ કહે જ છે —- ” ચિંતા ના કરો …….. હું અવતાર ધરીને આવું જ છું ” તો આપણી પણ એ ફરજ છે કે ભગવાન શંકરજી ની આસ્થાપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક પૂજા કરીએ !!! તમે નહી આપણે બધાંજ કરીએ એ જ ઉચિત છે !!! આને ત્વરિત ત અમલમાં મુકવાની જ જરૂર છે આશા છે કે બધાં કરશે જ !!!

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!