મહાન સંત નામદેવ

નામદેવ મહારાજ ભારતના પ્રથમ પંકિતના સંત ગણાય છે. તેઓશ્રીના જીવનની મુખ્ય ઘટનાઓ વિશે ખૂબ જ ઓછી જાણકારી લોકોમાં છે. મરાઠી, પંજાબ, હિંદી અને અંગ્રેજીમાં એમની કેટલીય જીવનકથાઓ પ્રસ્તુત થયેલી છે. તેઓશ્રીના જીવન વિષેની અન્ય માહિતી અંભંગો તેમજ ભજનો દ્વારા “જનાબાઇ’ જેઓ નામદેવ મહારાજના પરિવારમાં સેવિકા હતાં તેમના દ્વારા મળી રહે છે.

સંત શિરોમણિ શ્રી નામદેવજીનો જન્મ નરસી બ્રાહ્મણી નામના સ્થાનમાં સંવત ૧૩૨૭માં કાર્તિક સુદ ૧૧ને રવિવારે થયો હતો. સંત નામદેવ મહારાજશ્રીનો જન્મ મહારાષ્ટ્રના પરભની જિલ્લાના નરસીબામણી ગામમાં શિંપી (દરજી) પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ ગોણાબાઇ હતું તથા પિતાનું નામ દામાશેઠ હતું. દામાશેઠ પંઢરપુર સ્થિત વિઠ્ઠલજીની મૂર્તિના ઉપાસક હતા. નામદેવ મહારાજ બાળપણથી જ ધર્મમાં રુચિ ધરાવતા હતા. તે બાળપણથી જ વિઠ્ઠલ ભક્ત હતા. એમના હાથમાં સ્લેટ-પેન આવ્યા અને અક્ષરજ્ઞાન થયું ત્યારે હંમેશાં એમાં વિઠ્ઠલ વિઠ્ઠલ લખ્યા કરતા.

ગૃહસ્થ બન્યા પછી પણ એમની ભક્તિ નિરંતર વધતી જ ગઈ. ગોરોબા, સૉંવતા વગરે અનેક સંતો સાથે ભજન કીર્તન કરતા. પછી તો ઘણો બધો વખત પંઢરપુરમાં રહ્યા. શ્રી વિઠ્ઠલમાં એમની એવી અનન્ય નિષ્ઠા હતી કે પંઢરપુરને જ એ સર્વશ્રેષ્ઠ ક્ષેત્ર, ચંદ્રભાગા નદીના કિનારાને જ પવિત્રતમ તીર્થ અને પંઢરપુરના દ્વારિકાધીશ શ્રી વિઠ્ઠલને જ સર્વોત્તમ દેવ માનતા હતા. એમની અનન્ય ભક્તિથી ભગવાન પણ એમના પર સદા પ્રસન્ન રહી એમને આધીન રહેતા.

એકવાર નામદેવ શિવરાત્રિના અવસરે ઔઢિયા નામના સ્થાને નાગનાથ મહાદેવના દર્શન કરવા ગયા. ભગવાન શંકરના દર્શન-પૂજન કરી એમની સન્મુખ હાથ જોડી ત્યાં ઊભા રહી કીર્તન ગાવા લાગ્યા. એ સમયે ભગવાન શિવ પર અભિષેક કરી રહેલા બ્રાહ્મણોએ નામદેવજીની કીર્તન ભક્તિનો તિરસ્કાર કરી એમને ત્યાંથી ખસેડી દીધા. નામદેવ એટલી જ તન્મયતાથી ગર્ભમંદિરની પાછળ ઊભા રહી કીર્તન ગાતા રહ્યા. ત્યારે કહેવાય છે કે ભોળાનાથ ભગવાન શંકરે અભિષેક કરનારા બ્રાહ્મણો તરફ પીઠ કરી દીધી અને નામદેવ તરફ પોતાનું મોં ફેરવી દીઘું. એનો પુરાવો એ છે કે અત્યારે પણ ત્યાં નંદી શિવજીની સામે નહીં પણ પાછળની તરફ છે !

તેઓશ્રીના વિષે એક કથા પ્રસિદ્ધ છે – પૂજા સમયે તેમના પિતા દામાશેઠ વિઠ્ઠલજીની મૂર્તિને દૂધ ધરાવતા હતા. એક દિવસ તેઓને પોતાના વ્યવસાય અર્થે બહારગામ જવાનું થયું. તેઓએ તેમના પાંચ વર્ષના પુત્ર નામદેવને ભોગ લગાવવા તથા પૂજા કરવાની જવાબદારી સોંપી. પોતાની બાળબુદ્ધિ અનુસાર નામદેવ એવું સમજયા હતા કે મૂર્તિ રોજ પિતાજી દ્વારા ધરાવવામાં આવતું દૂધ પી લેતી હશે. જયારે નામદેવે દૂધનો ભોગ લગાવ્યો અને મૂર્તિ એ દૂધને અડી પણ નહીં ત્યારે તેમને ખૂબ જ ખોટું લાગ્યું. એમણે વિચાર્યું કે એમની પૂજામાં કયાંક ત્રુટિ રહી ગઇ છે, જેના કારણે વિઠ્ઠલજીની મૂર્તિએ ધરાવેલ દૂધનો સ્વીકાર કર્યો નહીં. તેઓ ખૂબ જ રડયા અને હઠ લીધી કે જયાં સુધી વિઠ્ઠલજીની મૂર્તિ દૂધ ન પીએ ત્યાં સુધી અહીંથી ખસવું નહીં. બાળકના દૃઢ વિશ્વાસ અને ભકિતથી પ્રેરિત થઇને મૂર્તિએ દૂધ પી લીધું.

કહેવાય છે કે એક સમયે તેમની માતાને ખૂબ જ વધુ પડતી ખાંસી થઇ ગઇ. ગામના વૈધે ઉકાળો બતાવ્યો જેમાં કોઇ એક ઝાડની છાલ પણ ઉમેરવાની હતી. નામદેવને છાલ લેવા માટે મોકલવામાં આવ્યા. છાલ કાઢવા માટે જયારે નામદેવે તેમનું ચાકુ વૃક્ષમાં લગાવ્યું ત્યારે વૃક્ષમાંથી પાણી નીકળ્યું. એમને મહેસૂસ થયું કે વૃક્ષમાંથી લોહી વહી રહ્યું છે. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) તેઓથી આ સહન ન થયું અને છાલ લીધા વગર તેઓ પરત આવ્યા.

નામદેવ મહારાજનો લગાવ પ્રભુ ભકિત અને પરમેશ્વરની પ્રાપ્તિ તરફ હતો. છતાં પણ તેઓને યુવાવસ્થા સુધી કોઇ ગુરુ મળ્યા નહીં. ગુરુ ખૂબ જ જરૂરી છે તે એમને ખ્યાલ આવી ગયો હતો. જ્ઞાનેશ્વર, નિવૃત્તિનાથ અને અન્ય કેટલાય ભકતોને મળ્યા બાદ ખ્યાલ આવી ગયો હતો. ભકત ગોરા કુંભારે નામદેવને કાચી માટીનું પાત્ર આપી કહ્યું, જે નાની સરખી ચોટ લાગવાથી તૂટીને વેરાઇ શકે છે. આ સાંભળી પહેલાં તો એમને ખૂબ જ ખોટું લાગ્યું પણ ત્યાર બાદ સત્યને સમજી શકયા.

નાગનાથના મંદિરમાં નામદેવને ગુરુનાં દર્શન થયાં. તેઓના ગુરુનું નામ વિસોબા ખેચરે હતું. મંદિરમાં પ્રવેશતા નામદેવે જૉયું કે એ વૃદ્ધ કોઢવાળી વ્યકિત શિવજીની મૂર્તિ ઉપર પગ મૂકીને સૂઇ ગઇ છે. આ અધાર્મિકતા નામદેવને ખોટી લાગી. તેમણે પગ ખસેડી લેવા જણાવ્યું. વૃદ્ધ વ્યકિતએ કહ્યું કે તે ખૂબ જ કમજૉર છે એટલા માટે કંપા કરી. નામદેવ પોતે જ એમના પગ ત્યાં મૂકે જયાં પરમેશ્વર ન હોય. આ ઉત્તરથી નામદેવની ચેતના જાગી ઉઠી અને ખ્યાલ આવી ગયો કે પરમેશ્વર સર્વવ્યાપી છે અને મૂર્તિ પરમેશ્વર નથી. નામ પૂછવાથી ખબર પડી કે તેઓ મહાત્મા વિસોબા ખેચરે હતા. નામદેવ મહારાજે તેમના ચરણમાં માથું ઝુકાવી દીધું અને પરમેશ્વર માટે જ્ઞાન મેળવવા અને માર્ગ સુઝાડવાની પ્રાર્થના કરી. તેઓને ગુરુ તરીકે માનવા લાગ્યા.

પરમેશ્વરનો અંતરમાં સાક્ષાત્કાર કર્યા બાદ નામદેવ એ શકિત દરેકમાં જોતા હતા. કહેવાય છે કે યાત્રામાં એક વાર નામદેવે એક ઝાડ નીચે બેસીને જમવા માટે રોટલીઓ બનાવી અને રોટલી એક બાજુ મૂકીને તેની ઉપર ઘી લગાવવા માટે નાના વાસણમાં ઘી કાઢવા લાગ્યા, એ દરમિયાન એક કૂતરો આવીને બધી જ રોટલીઓ મોંમાં લઇને ભાગ્યો, ઘીનું પાત્ર લઇને નામદેવ તેમની પાછળ દોડતા જાય અને બોલ્યા.  “રૂખી રોટલી ન ખાતો, મને એમાં ઘી લગાવવા દો.” આ ઘટનાને નામદેવ મહારાજે એક અંભંગમાં વર્ણવી છે.

સંત નામદેવ મહારાજની ૨૭ વર્ષની ઉંમરે તેઓ ઉત્તર ભારતની યાત્રાએ નીકળી પડયા હતા, આ સાધારણ યાત્રા ન હતી એની પાછળ એક દૃઢ ઘ્યેય હતો. સંતોના સંદેશ દેશના ખૂણે-ખૂણે ફેલાવતા તેઓ સતત ૨૫ વર્ષથી વધારે સમય પદયાત્રા કરતા રહ્યા.

તેઓની પદયાત્રામાં ગુજરાત, કાઠિયાવાડ, મઘ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર અને પંજાબમાં ફર્યા. આ જગ્યાઓમાં કેટલીયે જગ્યાએ નામદેવજીનું નામ લોકકથાઓ દ્વારા જૉડાયેલું છે, એના કારણે એવા કેટલાય સમુદાયો છે જેઓ પોતાને નામદેવ મહારાજના શિષ્ય કહેવડાવે છે. ઉત્તર ભારતમાં ૫૦ વર્ષ સુધી ફર્યા અને અંતમાં પંજાબના ગુરદાસપુર જિલ્લાના એક નિર્જન સ્થાનમાં પહોંચ્યા. એ સમયે એમના ભકત અને ચાહકો આવીને વસવા લાગ્યા. ધીરે ધીરે આ જગ્યાએ એક ગામ વસ્યું. એ ગામનું નામ ગુમાત છે.

૧૮ વર્ષ સુધી આ જગ્યાએ નામદેવ મહારાજ પરમેશ્વરનું ઘ્યાન અને ભજન કરતા શબ્દ-માર્ગનો ઉપદેશ આપતા રહ્યા. અષાઢ વદ-૧૩ સન-૧૩૫૦માં તેઓની ૮૦ વર્ષની ઉંમરે પંઢરપુર ગયા અને અથાગ ભકિત, શ્રદ્ધાને કારણે તેઓ વિઠોબાને શરણે પહોંચ્યા. આજે પણ પંઢરપુર વિઠ્ઠલજીના દરબારમાં પ્રથમ પગથિયું નામદેવ પગથિયું તરીકે ઓળખાય છે.

નામદેવ મહારાજ જ્યારે પંઢરપુર ગયા ત્યારે પ્રથમ પગથિયે વિઠ્ઠલ વિઠ્ઠલ જયહરી વિઠ્ઠલની ધૂન સાથે પહોંરયા. વિઠ્ઠલજીનો સાક્ષાત્કાર કર્યો અને તેઓ વિઠ્ઠલજીની મૂર્તિમાં સમાઇ ગયા. ભગવાન વિઠ્ઠલજીએ કહ્યું કે મારા દરબારમાં આવનાર દરેક ભકત પ્રથમ તને નમન કરશે અને ત્યાર બાદ મારા દર્શન કરી શકશે. આમ આજે પણ પંઢરપુરના પવિત્ર ધામમાં નામદેવ મહારાજની સમાધી જે મંદિરનું પ્રથમ પગથિયું છે તે નામદેવ પગથિયા તરીકે ઓળખાય છે.

સંત નામદેવના  પ્રેરક પ્રસંગો  ————

ચામડીઃ માનવીની અને ઝાડની ———

મહારાષ્ટના સંત નામદેવ. એમના બચપણની આ કહાની છે.
એમનાં માતા માંદાં પડયાં હતાં. દવા માટે પલાશ નામના ઝાડની છાલની જરૂર પડી. માતાએ નામદેવના હાથમાં કુહાડી મૂકીને કહ્યું : “જા, દીકરા, પલાશની થોડી છાલ ઉતારી લાવ.” નામદેવ ગયો અને છાલ લઈ આવ્યો. પણ એનો ચહેરો ઉદાસ ઉદાસ થઈ ગયો. ત્રણ-ચાર દિવસ એ ઉદાસ ચહેરે ફરતો રહ્યો. પાંચમે દિવસે અચાનક માતા ગભરાઈ ઊઠયાં. એમણે નામદેવની ધોતલી ઉપર લોહીના ડાઘા જોયા. માતા હબકી ગયાં. નામદેવ કદાચ તે દિવસે ઝાડ ઉપર ચડયો હશે અને પડી ગયો હશે એવો એમને ડર લાગ્યો.

માતાએ નામદેવને નજીક બોલાવીને પૂછયું,

“દીકરા, આ લોહીના ડાઘ કયાંથી આવ્યા ? તને કયાંય વાગ્યું કર્યું તો નથી ને ?”

નામદેવે શાંતિથી કહ્યું,”ના, આઈ ! વાગ્યું નથી. એ તો મેં જ જરા કુહાડીથી..”

“કુહાડીથી શું ?” માતાની રાડ ફાડી ગઈ.

નામદેવ કહે “કુહાડીથી જરા ચામડી ઉતારી છે.”

માતાએ એકદમ નામદેવને પોતાની પાસે ખેંચી લીધો. એની ધોતલી આઘી કરીને જોયું તો સાથળ ઉપર મોટી હથેળી જેટલી જગા પરથી ચામડી ઊતરી ગયેલી છે. માંસ તગતગે છે અને લોહીના રેલા ઊતરે છે. માતા બોલી ઊઠયાં, “તેં જાતે આ ચામડી ઉતારી ? કેમ ?”

નામદેવ એક સિસકારો પણ કર્યા વગર બોલ્યા, “આઈ ! તે દિવસે તેં પલાશની છાલ લાવવાનું કહ્યું હતું ને ?

તે તો હું કાપી લાવ્યો. પણ પછી મને થયું કે આ છાલ તો પલાશની ચામડી કહેવાય. એ ઉતારવાથી એને દુઃખ નહિ થયું હોય ? કેવુંક દુઃખ થયું હશે ? એ જાણવા માટે મેં મારી ચામડી ઉતારી જોઈ. માળું ! ભારે વેદના કરે છે, હોં આઈ !” આઈ તો બિચારાં આ દેવ જેવા દીકરા સામે તાકી જ રહ્યાં. હસવું કે રડવું, એ પણ એમને સમજાયું નહિ. ઘણી વારે આઈ બોલ્યાં, “એક મૂંગા ઝાડની વેદના માટે આટલી ચિંતા કરનારો છોકરો સંત બની જાય. તું મારે ખોળે દેવ પાકયો છે, દીકરા !”

થોડુંક વધારે  ——–

સંત શ્રી નામદેવજી જ્યારે અજ્ઞાની અને અબોધ હતા ત્યારે ગુરુને શોધવા નીકળે છે. સૂરજ ઊગે અને આથમે એ સમયે ગુરુપ્રાપ્તિ થશે એમ વિચારે છે.

એક સવારે શંકર ભગવાનના મંદિરે પહોંચે છે, ત્યાં એક વૃદ્ધ શંકર ભગવાનના શિવલિંગને ભેટીને સૂતા છે. સંતશ્રીએ 3 દિવસ રાહ જોઇ અને ભગવદભક્તિ કરતા બેસી રહ્યા. એને ગુરુનો સત્સંગ મળે છે. ભગવત ભક્તિનો રાહ કઠિન છે. અનેકાનેક નિયમો પાળવા પડે છે. વૃત્તિ કાબૂમાં રાખવી પડે છે. જીવનમાં સદવર્તન કરવાનાં હોય છે.

સંતશ્રી નામદેવજી પોતાના અત્માના બળ વડે જ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીને ગોતવા નીકળે છે. સુંદર વાણી વડે પ્રભુભજન કરતા જાય છે. ગ્રામવાસીઓને પ્રભુભક્તિ કરાવે છે. સત્સંગ કરવા સમજાવે છે. અને સુંદર વાણી દ્વારા સત્સંગ કથાનું પાન કરાવતા જાય છે

આમ , યાત્રા કરતા કરતાં ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો સાક્ષાત્કાર થાય છે. ભગવાન તેમને આશીર્વાદ આપે છે:- ’અત્યાર સુધી તું મને ગોતતો હતો, મારા મંદિરે આવતો હતો અને સ્થૂળ મૂર્તિની પૂજા કરીને મેળવ્યાનો ખોટો મોહ રાખતો હતો, પણ હવે તને ગુરુજ્ઞાન થયેલ છે અને મારી ભક્તિ યોગ્ય વર્તન-ભજન-કીર્તન દ્વારા કરી છે. માટે હું તારા ઉપર પ્રસન્ન થયો છું અને વચન આપું છું કે હવેથી હું તારે ત્યાં આવીશ અને સ્થાન ગ્રહણ કરી તારો ભક્તિરૂપી પ્રસાદ સ્વીકારીશ.

આવી સુંદર ભક્તિ જે વાણી દ્વારા કરવામાં આવે ત્યારે સમાજ તેનો સ્વીકાર કરે છે. ધર્મ પ્રત્યે સમાજને વાળવા માટે સારાં સુંદર ભજનો, સ્તવનો તથા કોઈપણ ભાષામાં કરેલ ભગવદભક્તિનો પ્રભુ દ્વારા સ્વીકાર થાય છે. માટે જ વાણીમાં શુદ્ધતા સંવેદશીલતા તથા ભક્તિનો સમંવય કરવો યોગ્ય ગણાશે.

સંત જ્ઞાનેશ્વર પંઢરપુરમાં આવ્યા ત્યારે નામદેવજીને મળ્યા હતા. ભગવાન વિઠ્ઠલની આજ્ઞાથી નામદેવજી જ્ઞાનેશ્વર સાથે તીર્થયાત્રા કરવા ગયા. તે વખતે પણ એક અદ્‌ભૂત ઘટના બની તીર્થયાત્રાથી તે બન્ને પાછા ફરી રહ્યા હતા. ત્યારે બીકાનેરથી થોડે દૂર આવેલ કોલાયતજી નામના ઉજ્જડ પ્રદેશમાં આવ્યા ત્યારે તે બન્નેને ખૂબ તરસ લાગી. આજુબાજુમા પાણી મળે એવી કોઈ જગ્યા ન મળી. થોડું ચાલ્યા ત્યાં એક કૂવો આવ્યો. તેમાંથી પાણી મળશે એવી આશા બંધાઈ, પણ એ તો સાવ સૂકો, પાણી વિનાનો, ખાલીખમ હતો.

આ જોઈને જ્ઞાનેશ્વરે પોતાની યોગસિદ્ધિનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) તે લધિમા નામની સિદ્ધિથી અત્યંત સૂક્ષ્મરૂપ ધારમ કરી કૂવાના તળિયે ઊતર્યા અને એની ભૂમિને ભેદીને પાતાળમાંથી પાણી પી આવ્યા. બહાર આવ્યા પછી કહેવા લાગ્યા –

“નામદેવજી, તમને આ રીતે પાણી લાવી આપું ?”

તો તે કહેવા લાગ્યા –
“પાણી મેળવવા યોગસિદ્ધિનો ઉપયોગ કરી આવો પરિશ્રમ કરવાની શી જરૂર છે ? મારો વિઠ્ઠલ તો જે માંગો તે આપે એવો છે. આપણે એકલા પાણી પી લઈએ એના કરતાં બધા પાણી પી શકે એવું કરીએ.”

નામદેવજીએ કૂવા આગળ ભગવાનના નામની ઘૂન શરૂ કરી – “વિઠ્ઠલ… વિઠ્ઠલા, પાંડુરંગ વિઠ્ઠલા…”

ઘૂન પૂરી થયાબાદ કહેવા લાગ્યા – “હે વિઠ્ઠલ, આ ખાલી કૂવાને જળથી ભરી દે.”

સંત જ્ઞાનેશ્વરે જોયું તો કૂવાના તળિયે પાણી દેખાઈ રહ્યું હતું. ધીમે ધીમે તે વધવા લાગ્યું હતું અને ઉપરની તરફ આવી રહ્યું હતું. જોતજોતામાં તો આખો કૂવો ભરાઈ ગયો અને જળ કાંઠાની પાળીને પાર કરી છલકાઈને બહાર આવવા લાગ્યું. જ્ઞાનેશ્વર નામદેવની ભક્તિનો આ પ્રતાપ જોઈ પ્રસન્ન થયા અને એમને પ્રણામ કરી કહેવા લાગ્યા – “તમારા સાંનિઘ્યનું સુખ પ્રાપ્ત કરવા જ હું તમને તીર્થયાત્રાએ લઈ ગયો હતો. તમે તો તમારી અનન્ય ભક્તિથી ભગવાનને પ્રસન્ન કરી લીધા છે. ભગવાન તમારો સાદ સાંભળે છે એ અત્યારે સ્પષ્ટ દેખાય છે. તમે તો તમારા હૃદયમાં વસતા વિઠ્ઠલ પ્રભુથી તીર્થોને પણ તીર્થરૂપતા આપો છો. તમે ધન્ય છો. તમારું કુળ ધન્ય છે.” આવા મહાન સંત હતા શ્રી નામદેવ !

પરમ વિઠ્ઠલ પ્રેમી મહાન સંત નામદેવને
શત શત નમન !!!!

error: Content is protected !!