સંત શ્રી મેકરણ દાદા-જીનામ

સંત મેકરણ દાદા-જીનામ
આહિર શિષ્યા અન્નપુર્ણા લીરલ માં-જીનામ

૧૭મી સદી
સવંત ૧૭૮૬ માં ધ્રંગલોડાઈ સ્થળે
! કચ્છ સૌરાષ્ટ્ર ના કાવડિયા સંતવર્ય મેકરણ દાદા !

।। જીયો ત ઝેર ન થિયો સક્ક થિયો મુંજા સેણ
મરી વેંધા માડુઆ પણ સેંધા ભલેંજા થેણ।।

કચ્છ સૌરાષ્ટ્ર સંતસભર પુણ્યભૂમિ છે. કચ્છના કાવડિયા સંત કચ્છ સૌરાષ્ટ્ર માં દાદા મેકરણ તરીકે સુવિખ્યાત છે. તેઓની તપશ્વર્યા અને અનેકવિધ ઐશ્વર્યોની વાતો આજે પણ લોકોના હૈયામાં ધરબાયેલી છે. સામાન્ય રીતે સંતોનું અવતરણ લોકહિતાર્થો થતું હોય છે. મેકણ દાદા માનવ સેવાને પ્રભુ સેવા જ માનતા.

કચ્છમાં નાની ખોંભડી ગામે તેમનો જન્મ ભાટ્ટી રાજપૂત માતા પંબાબાઈની કુખે થયો. પિતાનું નામ હરઘોળજી, માતાએ પુત્રનું નામ મેકોજી રાખ્યું. મેકોજી લગભગ બાર વરસના થયા ત્યારે પિતાએ તેમને ગાયોને ચરાવવાનું કામ સોંપ્યું. બીજી તરફ પોતાના મકાનને રિપેર કરાવવા માટે જ્યારે મજૂરો દ્વારા ખોદકામ કરાવી રહ્યા હતા ત્યારે જમીનમાંથી વસ્તુઓ ભરેલી પોટલી નીકળી.આ પોટલીમાં તુંબડી, પતર, ચાખડી, પાવડી, ટોપી, ચુંદડીને જોઇ હળદોરજી આશ્ચર્ય પામ્યા. તેમણે આ બધી વસ્તુઓ કોઇ સંતને આપી દેવા વિચાર્યું. પરંતુ જ્યારે મેકોજીએ આ વસ્તુઓ નિહાળી ત્યારે આ વસ્તુઓ પોતાની જ છે એવો દાવો કર્યો.

બાલ્યાવસ્થાથી જ તેમનો વૈરાગ્યવાન સ્વભાવ હતો. બાળપણથી જ ભજન ભકિત કરવાનું તેમનું સવિશેષ અંગ હતું. તેઓએ કચ્છમાં અનેકાઅનેક ઉત્કૃષ્ટ પદોની રચના કરી છે તેઓ લખે છે કે –

પીર પીર કુરો કર્યોતા, નાંય પીરેજી ખાણ
પંજ ઈન્દ્રિયું વસ કર્યો ત પીર થીંઓ પાણ

પીર જન્મતા નથી, પીરોની કોઇ ખાણ નથી કે જેમાંથી પીર નીકળે પરંતુ કોઇપણ માનવી પોતાની પાંચ ઈન્દ્રિયને વશમાં રાખે તો પીર કે પછી યોગી બની શકે. તેમણે સાંસારિક જીવનનો ત્યાગ કરી કચ્છના માતાના મઢના મહંત કાપડી સાધુ ગંગારામ પાસે દિક્ષા લીધી. ત્યારબાદ તેઓ સિંધમાં તથા ખાસ તો સૌરાષ્ટ્રમાં તીર્થ સ્થાનોમાં ઘૂમ્યા. ગીરનારમાં ૧૨ વર્ષ ઉગ્ર તપશ્વર્યા આદરી માત્ર કંદમુળ અને ઝરણાના પાણી પર દેહ નિભાવ કરતા. ગિરનારની પરિક્રમા સમયે તેમને ગુરૂ દત્તાત્રેયે એક કાવડ આપી. ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપતા રહે તેવા આશીર્વાદ આપ્યા. તેમને કાવડવાળા કાપડીની ઉપમા મળી.

સૌરાષ્ટ્રમાં બિલખા મધ્યે તપ કર્યું. ત્યારબાદ કચ્છ અને વાગડમાં જંગી અને પાવર પટ્ટીના લોડાઇ ગામે પધાર્યા. ત્યારે તેમને સંત નિર્મલગિરિનો ભેટો થયો. આ ધ્રંગ ગામે પધાર્યા. સંત મેકણ દાદાની જીવનકાર્યની કર્મભૂમિ તે ધ્રંગ. ભુજ તાલુકાનું આ ગામ ભુજથી ૪૦ કિ.મી. ના અંતરે છે. ધ્રંગ આવતી વખતે દશનામી સંત માયાગિરિજી સ્વામી તથા માતાજી વીરબાઇનો પરિચય થયો. કચ્છના રાજવી મહારાવ દેશળજીએ દાદા મેકણનું ગુરૂપદ સ્વીકારેલું. ‘‘જીનામ-જીનામ’’નો આલેખ જગાવનાર કચ્છના કબીરનું ઉપનામ દાદાને મળેલું છે. તેઓ સાિત્વક પદાવલિ માનવતાની શીખ આપે છે –

જીયો ત ઝેર ન થિયો સક્ક થિયો મુંજા સેણ
મરી વેંધા માડુઆ પણ સેંધા ભલેંજા થેણ

એક વખત તીર્થ યાત્રા દરમિયાન હરિદ્વારમાં પવિત્ર ગંગામાં સ્નાન કર્યા પછી કાવડમાં ગંગાજળ ભરીને દાદા સાધુ-સંતોની જમાત સાથે જતા હતા. તે વખતે માર્ગમાં કોઈ જંગલી પ્રાણીએ એક ગધેડા પર હિંસક હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો અને ગધેડો જીવવા માટે તરફડતો હતો. દાદા મેંકરણથી આ કરુણતા જોવાઈ નહીં આથી તેમણે તરત જ પોતાની કાવડમાં ભરેલું થોડું ગંગાજળ ગધેડા પર છાંટયું અને થોડું ગધેડાને પીવડાવ્યું તથા તેના ઘાવ સાફ કર્યાં. આમ કરવાથી ગધેડાને થોડી પીડામાં રાહત થઈ. આ જોઈને જમાતના સાધુ-સંતો દાદા પર ફિટકાર વરસાવવા, તિરસ્કારવા લાગ્યા અને બોલવા લાગ્યા કે તમે આ શું કર્યું ? પવિત્ર ગંગાજળ ગધેડાને પાઈને તમે ગંગાજીનું અપમાન કર્યું છે.

Mekaran-dada-jinaam

સમર્થ દાદા મેંકરણ જરાય વિચલિત થયા વગર સાધુઓને કહ્યું. “પીપરમેં પણ પ્રાણ નાય, બાવરમેં બ્યોં, નીમમેં ઉ નારાયણ તો કંઢેમેં (ગધેડામાં) ક્યોં?” અર્થાત જો પીપળામાં જે પ્રાણ છે તે બાવાળમાં પણ છે, જો લીમડામાં નારાયણ હોય તો આ પ્રાણીમાં કેમ નહી” આ સાંભળી જમાતના સાધુઓ અવાક થઈ ગયાં અને દાદાના ચરણે પડી ગયા. આપછી ગધેડો દાદા સાથે રહેવા લાગ્યો જેનું નામ દાદાએ ‘લાલીયો’ રાખ્યું હતું સમય જતા એક કુતરો પણ દાદા સાથે રહેવા લાગ્યો તેનું નામ દાદાએ ‘મોતીયો’ રાખ્યું હતું. આમ લાલિયા તથા મોતિયાની જોડી જામી ગઈ અને આ શ્વાન અને ગધેડો દાદાની સાથે સેવાકાર્યમાં જોડાય ગયા હતાં. દાદાની ઉંમર થતા લાલીઓ પાણી, રોટલા નો ભાર વાહન કરતો અને મોતીયો ગંધ પારખવાની શક્તિ દ્વારા લાલિયાને માર્ગ નિર્દેશન કરી રણમાં અટવાયેલા, ભૂખ્યા તરસ્યા લોકોને શોધી ભોજન તથા પાણી આપતા, આમ દાદા અને તેના બે વફાદાર સાથીદારો સાથે સમગ્ર જીવન ક્ચ્છના રણમાં લોકોની સેવામાં વિતાવ્યું હતું. અને અબોલ પ્રાણીઓ માં પણ સમજદારી અને વફાદારી હોય છે તે દાદાએ દુનિયાને પ્રમાણ આપી દીધું હતું.

મેકરણદાદાએ અનેક લોકો ને ઉપદેશ આપી જીવન ની સાચી સાર્થક્તા સમજાવી જીનામ જેવો દિવ્ય મંત્ર આપી અનેક લોકો ને જીનામ અટ્લે જીવ થી શીવ તરફ નુ પ્રયાણ કરી મોક્ષમાર્ગી બનાવ્યા.
************************
મેકરણ ચે જીનામે જોખો ટળે, જીનામે થીયે જય જય કાર;
જોકો નર જીનામ કે જપ્યા, વો નર થીવ્યા ભવ પાર.

મેકરણ ચે વના જીરાણમે, કરીયા મુજે શેણેકે શદ;
મીટી મે મીટી મલી વઇ, મુકે હોકારો નતાદિ હદ.

મેકરણ ચે કુરુયુ કુરુયુ કરો પ્યા કર્યો, કુરીયો મે ભર્યો પ્યો કુળ;
મરી વેધા માળુલા, પોઠીયા મો મે પીધી ધુળ.

મેકરણ ચે ભલો કરીધેં ભલો થીયેં, ભુછો કરીંધે ભુછો;
પંધ અંય બોય પંધરા,મુકે ક્રરોપ્યા પુછો ?

મેકરણ ચે જિયોં ત ઝેર મ થિયો, થીયો સક્કર જેળા શેણ;
મરી વૈધા માડુલા, પોઠીયા રોંધા ભલે જા વેણ.

મેકરણ ચે હલણ થીંધો હકેલો, છડાંધી ધુણી;
હલેયાં ન કો હલધો, મથે માલ ખણી.

મેકરણ ચે મોતી મંગયા ન દીજે, ભલે ચળે કારા કટ;
જદે મલે હનીજા પારખુ, તદે ખોલે દીજે તાળા હટ.

મેકરણ ચે ખારાયધલ ખટ્યા, ને મીડીધલ મોઠા;
સરગાપુરીજી સેરીયે મે, ગંઠડીવારા ન દઠા.

હકળા હલ્યા બ્યા હલધા, ત્રયા ભરે વઠા અઇ ભાર;
મેકરણ ચે માળુલા પા પણ, ઓનીજી લારો લાર.
*********

ભગવાન માણસની અંદર જ રહેલો છે, માનવ સેવા ના આ ભગીરથ કાર્યનો તેમના પરમ શિષ્યા લીરબાઇ માતાજીયે યોગ્ય રંગ લાગ્યો.
મેકરણ દાદાના શિષ્યા ,,,,

આહિર(ડાંગર) પરિવારના લીરબાઇ માં

કચ્છ-પ્રાથરિયા આહીર સમાજના જ્ઞાતિ રિવાજ મુજબ વૈશાખ વદ-13નારોજ વર્ષમાં લગ્નની એક જ તિથી આવતી હોય આહીરોના ગામે ગામ વિવાહનો માહોલ રચાયો હતો. કચ્છના લોડાઇ ગામમાં પણ ઝાઝા લગ્નો હોય ઘેર ઘેર ગાર ગોરમટીની તૈયારી સાથે કર્ણપ્રિય લગન ગીતો ગવાતા હતા. લોડાઇના સુખી સંપન્ન રાયમલ આહીરની લાડકોડમાં ઉછરેલી દિકરી લીરલબાઇના પણ સૌની સાથે લગ્ન લેવાયા હતા. જાનના સામૈયા થઇ ગયા હતા. વરરાજાને સાસુમાએ માંડવે પોંખતા તેણે પોતાનું માંડવાની નીચે સ્થાન ગ્રહણ કર્યું હતું. માંડવે વર અને કન્યા પક્ષની બહેનો લગ્ન ગીતોની સામસામે રમઝટ બોલાવી રહી હતી.
‘કન્યા પધરાવો, સમય વર્તે સાવધાન !’ ગોર મહારાજનો પોકાર સાંભળતા જ લીરલબાઇના મામા ભાણીને માંડવે તેડી લાવવા ઉતાવળે ઓરડામાં દાખલ થયા હતા, ઓરડામાં દાખલ થતા જ સૌની આંખો લીરલબાઇને શોધવા લાગી હતી પરંતુ ઓરડામાં લીરલબાઇ દેખાતા ન હતા. ઘરમાં શોધાશોધ શરૂ થઇ હતી,ત્યાં કોઇએ આવીને લીરલબાઇને મેકરણદાદાના ધુણા તરફ જતા જોયા હોવાની ધીમેથી વાત કરી હતી.

ધાર્મીક સંસ્કારો વચ્ચે ઉછરેલી લીરલબાઇને મેકરણદાદા પર અપાર શ્રધ્ધા હતી. તેઓ મેકરણદાદાના આશ્રમમાં પોતાના મા-બાપ સાથે બચપનથી આવતા હતા, એટલે સૌ સમજયા કે લીરલબાઇ લગ્ન પહેલા આશીર્વાદ લેવા મેકરણદાદાના ધુણે પહોંચી ગયા લાગે છે. લગ્નનું મુહુર્ત વિતતું જોઇ રાયમલ આહીરે પોતાના દિકરાને દિકરીને તરત લેવા મોકલ્યો હતો.. દિકરાને આવતા મોડું થતા બીજા સગા વહાલાઓ પણ લીરલબાઇને તેડવા દોડ્યા હતા. વેવાઇ વેલા લગ્નના ચોઘડીયા વિતતાહોય ઉતાવળ કરી રહ્યા હતા. મધુર લગ્ન ગીતોની જગ્યાએ માંડવે કાનાફુસી શરૂ થઇ ગઇ હતી. રાયમલ આહીર મુંઝાતા તે જાતે મેકરણદાદાના આશ્રમે પહોંચ્યા હતા.

રાયમલ આહીર આશ્રમે આવીને જુએ છે તો પોતાની વહાલસોય દિકરી સોળે શણગાર ત્યજીને લીરલબાઇ બે હાથ જોડી અશ્રુભરી આંખે પોતાનો શિષ્યા તરીકે સ્વીકાર કરવા મેકરણદાદાને વિનવી રહ્યા હતા. મેકરણદાદાએ સંન્યાસી જીવનની મુશ્કેલીઓ, કઠોર સાધના અને ભિક્ષાવૃત્તિ સાથે જીવન જીવવાના લીરલબાઇને ભય સ્થાન બતાવ્યા હતા. પણ આ તો આહીર કન્યા હતી એ પારોઠ નાપગલા કેમ ભરે ? લીરલબાઇના દ્રઢ નિર્ધાર સામે રાયમલ આહીર અને સૌ સગા સબંધીઓએ નમતું જોખી લગ્નના શૃંગારની જગ્યાએ તેમને ભગવો ભેખ ધરવાની મંજુરી આપી હતી.

લગ્નના દિવસે સંસારનો ત્યાગ કરી સંન્યાસીનીનો ભેખ ધરનાર લીરલબાઇએ બીજા દિવસે મેકરણદાદાની કાવડ ખંભે નાખી ગરીબ-ગુરબા અને ભુખ્યા માટે ચાલતા સદાવ્રતમાં મદદરૂપ થવા ગઇકાલ સુધી ગરીબોને ભિક્ષા આપનારઆજ પોતે ભિક્ષાવૃત્તિ માટે નીકળી પડ્યા હતા. મેકરણદાદાના આશ્રમના સેવા કાર્યોની જવાબદારી માથે લેવા સાથે લીરલમા ઈશ્વર ભજનમાં લીન રહેતા હોય તેમની ભક્તિની સુવાસ ચારેબાજુ ફેલાય હતી. લીરલમાના સદાવ્રતની વાત સાંભળી એક વખત હિંગળાજમાતાની યાત્રાએ નીકળેલા સાતસો સાધુઓની જમાતે લીરલમાના પારખા લેવા મેકરણદાદાના ધુણાએ અર્ધીરાતે આવી ધોળીદાળ અને કાળીરોટીની રસોઇમાંગતા જોગમાયા સ્વરૂપ લીરલમાએ થોડા સમયમાં જ ભોજન તૈયાર કરી સૌના આશ્વર્ય વચ્ચે સાતસો સાધુઓને એક જ પંગતમાં બેસાડી માલપુઆ અને ખીરની રસોઇ ભરપેટ જમાડી ચમત્કાર સર્જ્યો હતો.

લીરલમાએ આહીરોને સામા મળ્યે ‘રામ રામ’ બોલવાના રીવાજ સાથે ગામોગામ ઠાકર મંદિર, ચોરો અને પીયાવા બાંધવાની હાકલ કરતા લોડાઇમાં જીવંત દેવી તરીકે પુજાતા મા જગદંબા સ્વરૂપ લીરલમાના આદેશને માન આપતા કચ્છના આહીરોએ પોતાના ગામે ગામ ઠાકર મંદિર, ચોરો ને પીયાવા બંધાવી સંગઠીત થયા હતા. મેકરણદાદાએ વિક્રમ સંવત 1786 (ઈ.સ. 1729)માં ધ્રંગમાં પોતાના અગિયાર શિષ્યો સાથે જીવતા સમાધિ લીધેલ હતી તેમાં મહાન ગુરૂ ભકત લીરલમા પણ સામેલ હતા.

ઈ.સ.૧૭૩૦,વિ.સં.૧૭૮૬– કચ્છના સંતમેકરણ દાદાએ અગિયાર ભક્તો સાથે જીવતાં સમાધિ લીધી. આસો સુદ ૧૪ શનિવાર. (૧) ગિરનારી સંત મયાગરજી (ર) માતા લીરબાઈ (૩) કાંધા આહીર (૪) વીઘા આહીર (પ) કાંથડ સુથાર (૬) સારસ્વત બ્રાહ્મણ પ્રેમજી ગણપત(ભૂજના) (૭) સાધુ સુંદરદાસજી (૮) ઠાકોર મોકાજી (બૈયાં) (૯) જાડા ખીંયરાંજી લેરિયા (૧૦) કડિયા કાનજી (નાગલપુર) (૧૧) પ્રેમાંબા, (તથા ગધેડો લાલિયો અને કૂતરો-મોતિયો પાછળથી (૧) હીરો/ગરવો હરિજન (લોડાઈમાં) (ર) વાઘોજી રામપોતરો (વિજયાસર) (અન્ય મત મુજબ વિ.સં.૧૭૮૬ચૈત્ર વદી-૧૪ શનિવાર તા.૦૧-૦૪-૧૭૩૦)

દાદા મેકરણે કુલ ચાર જગ્યાએ ધુણા ધખાવ્યા હતા,,,,,
તેઓ એક જગ્યાએ બાર વરસ સુધી રહેતા,,,બારમુઁ વરસ પુરુ થાય એટ્લે,,ત્યાઁથી જીનામ કહીને ઉભા થઈ જતા.
એમનો પહેલો ધુણો સૌરાષ્ટ્રના જુનાગઢ પાસે શરભંગ ઋષી નો આશ્રમ પરબ વાવડીમા જે પાછળથી સત દેવીદાસ બાપુયે ફરી ચેત્વયો.
બિજો ધુણો ભચાઉ તાલુકાના જઁગી ગામે,
ત્રીજો ધુણો લોડાઈ ગામે,
તથા ચોથો ધુણો ધ્રઁગ ગામે,,,જ્યાઁ દાદાની સમાધિ આવેલિ છે.

નેક ટેક વિવેક ને અબદ ભરપુર,
યાદવ આહીર વંશમાં જતી સતીને શૂર.
પૂજાતા કઈ પાળિયા, શૂરા ખેલતા જંગ,
કચ્છ તણા ઇતિહાસમાં આહીર છે અડભંગ.
જીનામ…….

પ્રેષિતઃ મયુર સિધ્ધપુરા-જામનગર
મો. 9725630698

જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– ગંગાસતી અને પાનબાઇ

– સંત શ્રી હરદ્તપરી બાવાજી

– ઝમરાળા નો જોગી ફકડાનાથ

– ગીરનારી સંત શ્રી વેલનાથ

– સંત શ્રી જલારામબાપાનો ઇતિહાસ

– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ

– પરબધામ નો ઈતિહાસ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!