પાટણ ના સહસ્ત્રલીંગ તળાવ નો ઈતિહાસ

અણહિલપુર પાટણની સ્થાપના વીર વનરાજે વિ.સં. ૮૦૨માં કરી હતી. અણહિલપુર પાટણનો ઘેરાવો બાર કોષમાં હતો અને તેમાં ચોર્યાસી ચૌટા અને બાવન બજાર હતા. એની દરરોજની એક લાખ ટંકાની આવક હતી. આવું પ્રાચીન ભવ્ય નગર કુદરતના કોપના કારણે નામશેષ થઈ ગયું એને યાદ કરતા શ્રી નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા લખે છે :

‘અહીંયા સહસ્રલિંગ તળાવ વિશાળ હતું
અહીંયા પાટણ જુનું અહીં આ લાંબુ સૂતું.
અહીંયા રાણીવાવતણાં હાડ પડેલા
મોટા આ અહીં બૂરજ મળ્યા માટીના ભેળા’

વર્તમાન પાટણ તો નવું વસેલું નગર છે. જૂના નગરની ભેળા ધરતીના પેટાળમાં સૂઈ ગયેલાં સ્થાપત્યોમાં રાણકી વાવની સાથે સહસ્રલિંગ સરોવર પણ છે. આ સરોવરનું પેટાળ ફંફોસતાં તેની સાથે જોડાયેલી સિદ્ધરાજ, રાણકદેવી, જસમા ઓડણ, બાબરો ભૂત અને વીર માયાની અનેક કથાઓ, દંતકથાઓ, અનુશ્રુતિઓ, ઇતિહાસ અને અર્ધઇતિહાસ કથાઓ લોકગીતોમાં, લોકકથાઓમાં, ભવાઈ વેશોમાં અને લોકકંઠે આજે ય રમતી જોવા મળે છે. ‘પાટણની શ્રી અને સંસ્કૃતિ’માં શ્રી મુકુંદભાઈ બ્રહ્મક્ષત્રિયએ બે દંતકથાઓ નોંધી છે.

સિદ્ધરાજનું રાજ અમર તપતું હતું. એણે પ્રજાને ઉપયોગી થાય એવા અનેક કાર્યો પ્રજાહિતમાં કર્યા હતા. એ વખતની આ વાત છે. એક વેપારી અને શાહુકાર બંનેના દીકરાઓ સિદ્ધરાજ પાસે ન્યાય કરાવવા આવ્યા. શાહુકારનો દીકરો કહે : ‘મારા પિતાશ્રીના ચોપડે આ ભાઈના પિતાશ્રીએ નવ લાખ રૂપિયા અમને આપ્યાની નોંધ છે. હું એમને આ રૂપિયા પાછા આપું છું પણ તે લેતા નથી.’ જ્યારે વેપારીના દીકરાએ વિનમ્રતાપૂર્વક કહ્યું : ‘બાપુ ! અમારા હિસાબી ચોપડામાં આવી નવ લાખની રકમ તેમના ખાતે ઉધાર્યાની કોઈ નોંધ નથી. તેમજ મારા પિતાએ મરતા અગાઉ પણ રકમ ઉછીની આપ્યાની વાત મને કરી નથી, તેથી મારાથી આ રકમ લેવાય નહીં.’ પાટણના બે પ્રામાણિક યુવાનોના મીઠા ઝઘડાનો તોડ કાઢતાં સિદ્ધરાજે વચલો રસ્તો કાઢતાં તેમને કહ્યું :

‘આ નવ લાખની રકમ જનસમાજને ઉપયોગી થાય તેવા કોઈ ધાર્મિક કાર્યમાં વાપરો જેથી તેનું પુણ્ય તે રૂપિયાના સાચા માલિકને મળે.'(આપણા શિલ્પશાસ્ત્રોએ વાવ, કૂવા, તળાવ, જળાશય બાંધવાથી પૂણ્ય મળે છે એ વાત લખી છે. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે.) આથી તે બંને જણાએ તે રકમ આવા કાર્યમાં વાપરવાની સંમતિ આપી. સિદ્ધરાજે તે નવ લાખ રૂપિયા ખર્ચી નવલખી તળાવ બંધાવ્યું. આ નવલખી તે જ સહસ્રલિંગ હશે ! કારણ કે સિદ્ધરાજે સહસ્રલિંગ સિવાય પાટણમાં અન્ય કોઈ તળાવ બંધાવ્યાની ઐતિહાસિક નોંધ મળતી નથી.

અન્ય એક દંતકથામાં પાટણની વેપારી પ્રજાની રાજા પ્રત્યે કેવી પ્રીતિ હતી તેની વાત જાણવા મળે છે. સિદ્ધરાજે માળવા પર ચડાઈ કરેલી. યુદ્ધ ગણતરી કરતાં વધુ લંબાયું. રાજની તિજોરીનું ખર્ચ વધી ગયું એ અરસામાં સહસ્રલિંગ સરોવરનું કામ પૂરજોશમાં ચાલતું હતું. પણ નાણાંના અભાવે તાત્કાલિક તે અટકી પડયું. એ વખતે પાટણનો એક વેપારી ત્રણ લાખ રૂપિયા લઈ રાજના મહાઆમાત્યને આપવા ગયો. રાજાની ગેરહાજરીમાં રાજાની અનુમતિ વગર એણે આ દાન સ્વીકારવાની ના પાડી. ચતુર વણિક વેપારીએ યુક્તિ કરી. પોતાના જ પુત્ર પાસે ખજાનામાંથી સ્ત્રીનું કાનમાં પહેરવાનું લવિગિંયુ (આભૂષણ) ચોરાવ્યું. રાજાના સૈનિકો પાસે પુત્રને પકડાવ્યો. ચોરીના ગુના બદલ પુત્રને મુક્ત કરવા પ્રધાને ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. વેપારીએ રાજના ખજાનામાંથી આ રકમ ભરીને પુત્રને છોડાવી લીધો. આ રકમમાંથી સહસ્રલિંગ સરોવરનું બાકીનું કામ પૂરું થયું. સિદ્ધરાજ માળવા જીતી પાછા ફર્યા બાદ સહસ્રલિંગનો હિસાબ જોતાં વેપારીના દંડના ત્રણ લાખ રૂપિયા જમા થયેલા જોયા, એ રકમથી સરોવરનું કામ પૂર્ણ થયાનું જણાયું. તપાસ કરતાં તે વેપારીની યુક્તિ સિદ્ધરાજથી છૂપી ન રહી. સિદ્ધરાજે એને રાજની કચેરીમાં બોલાવી માનપાન સહિત વેપારીની રકમ પરત કરી દીધી.

ત્રીજી દંતકથામાં સહસ્રલિંગ સરોવર સઘરો જેસંગ (સિદ્ધરાજ) અને જસમાની દંતકથા જોડાયેલી છે, પરિણામે પાટણ અને સહસ્રલિંગ સરોવર ગુજરાત પૂરતું મર્યાદિત ન રહેતાં અન્ય રાજ્યોના સીમાડા વટાવી ચૂક્યું છે. પરંપરાથી જનસમાજના હૈયે વસતા જસમા ઓડણના રાસડાના અનેક પાઠાન્તરો ય પ્રાપ્ત થયા છે. એમાંનો એક રાસડો મેઘાણીભાઈએ આ મુજબ નોંધ્યો છે.

‘પાછલી પરોઢની રાત, રાણીએ રાજાને જગાડિયો
ઊઠ રાજા પોઢંતો જાગ, પાણી વિના પોરા મરે,
બળ્યો તારો પાટણ દેશ, પાણી વિના પોરા મરે,
રૂડો મારો સોરઠ દેશ, સાવજડાં સેજળ પીએ
તેડાવો રેઘમલ ભાણેજ, ઓડોને લખી કાગળ મોકલે.’

રાસડાનું અર્થઘટન આપતાં ડો. મયંકભાઈ જોષી નોંધે છે કે, રાણી ઊંઘતા રાજાને જગાડીને તળાવ ગળાવવા કહે છે. રાજા ભાણેજ દુધમલને તેડાવી અર્ધાલાખ ઓડ અને એક લાખ ઓડણોને બોલાવવા કાગળ લખાવે છે. એ કાગળ લઈને ભાણેજ વાગડ જઈ ગોવાળો, ભાટ, ચારણોને પૂછતો પૂછતો જસમાને ઘરે આવે છે એ પછી જસમા જેઠ, સસરા વગેરેને કાગળ વંચાવે છે. કુટુંબીજનો જસમાને વારે છે છતાં જસમા પતિ સાથે ઓડોની વણઝાર લઈને પાટણ આવી પહોંચે છે. રાસડો આગળ ચાલે છે :

‘રાજાને થઈ રે વધાઈ, રાજાજી સામા આવિયા
ઓડોને ગોંદરે ઉતાર, જસમાને મહેલ મેડી તણા’

જસમાના રૂપથી મુગ્ધ થયેલા રાજાએ જસમાને મહેલમાં નિવાસ ગાદલા, હિંડોળા, ખાટ અને ખાનપાનમાં કમોદ, દહી વગેરે આપવાની તત્પરતા બતાવી પરંતુ પતિવ્રતા જસમા તેનો અસ્વીકાર કરતા આમ વડછડ ચાલે છે :

‘મહોલે તારા કુંવરને બેસાડ
અમારા ઓડોને ભલા ગોંદરા
ઓડોને સાથરા નંખાવ્ય
જસમાને હિંડોળા ખાટલા
હિંડોળે તારા કુંવરને બેસાડ
અમારે ઓડોને ભલા સાથરા’

રાજા જસમાના રૂપ પાછળ ઘેલો થયો છે. જસમા એના પ્રલોભનોને વશ થતી નથી એને રાજમહેલની સાહ્યબી જોતી નથી એ તો પતિવ્રતા છે. ગીત કહે છે કે રાજાએ તળાવ ખોદતા ઓડોને મારી નાખ્યા. જસમા બધાને અગ્નિદાહ આપે છે. અગ્નિની જ્વાળાથી આકાશના પક્ષીઓ બળતા હતા. જસમા રાજાને આકાશમાં સોનાની સમડી જોવાનું કહે છે. રાજા આકાશમાં જુએ છે એટલીવારમાં જસમા આગમાં કૂદી પડે છે અને રાજાને શાપ આપે છે ‘તું નિર્વંશિયો થઈશ. તારા તળાવમાં પાણી નહીં રહે, પાટણની પ્રજા પાણી વગર ટળવળશે.’ આમ શાપ દઈને જસમા બળી મરી. આજે ય જગબત્રીસીએ આ કથાગીત ગવાય છે.

લોકનાટય ભવાઈમાં જસમાના વેશ લખાતા આવ્યા છે. કિંવદંતીઓને ભલે આપણે જોડી કાઢેલી વાર્તાઓ માનીએ પણ કિંવદંતીઓ અને લોકકથાઓ પરથી ઇતિહાસ લખાયા છે તે આપણે ભૂલવું ન જોઈએ, પણ પૂરી ચોકસાઈ માટે એ જરૂરી ગણાય કે, ક્યારેક કોઈ એક રાજ્યના ભાટ, બારોટ દ્વારા અન્ય હરીફ રાજાને નિમાણો ચીતરવા પ્રચલિત અન્ય સ્રોતની કથાને રાજા સાથે સાંકળવામાં આવેલી પણ હોય છે જેથી રાજાની કીર્તિને કલંક લાગે.પાટણના સહસ્રલિંગ સરોવરની સાથે સધરા જેસંગના અને જસમા ઓડણની જેમ વીર માયાની કથા ૯૭૮ વર્ષથી સંકળાયેલી રહી છે. પાટણના મહાપ્રતાપી રાજવી સિદ્ધરાજને પુત્ર ન હતો આથી પંડિતોની સલાહ મુજબ એણે ભવ્ય તળાવ ગળાવી સતી રાણકે અને જસમાએ આપેલા શાપનું નિવારણ કરવાનો સંકલ્પ કર્યો. સહસ્રલિંગ સરોવરનું બાંધકામ ભવ્ય રીતે કરવામાં આવ્યું. તળાવકાંઠે એક હજાર શિવમંદિરો બનાવ્યા જેમાં એક મંદિરમાંથી દોરી ખેંચતા હજાર મંદિરોમાં એક સાથે ઘંટારવ સંભળાતો હતો પણ ઉપાધિ એ હતી કે એમાં પાણી ટકતું ન હતું. બાર બાર વર્ષના વહાણા વાયા. મનુષ્યો તો ઠીક પણ પશુઓ ને પંખીઓ પાણી વગર ટળવળવા લાગ્યા. સતીના શાપના નિવારણ માટે પંડિતોને બોલાવ્યા. રાજના ત્રિલોચન પંડિતે કુંડળી મૂકી શાપનું તારણ સૂચવ્યું : ‘સહસ્રલિંગ સરોવરમાં જો કોઈ બત્રીસ લક્ષણા પુરુષનું બલિદાન દેવામાં આવે તો પૃથ્વી તૃપ્ત થાય. પાટણની ધરતી બત્રીસ લક્ષણા માનવીનું બલિદાન માંગે છે.’

શ્રી મુકુંદભાઈ બ્રહ્મક્ષત્રિય લખે છે જ પાટણમાં ઢંઢેરો પીટાયો, ઢંઢેરો પીટનાર ટોળીમાં માયા નામનો દલિત હતો તે ખૂબ જ સંસ્કારી હતો. માયાનાં માતાપિતા ધાર્મિક સંસ્કારવાળા હતા. એમનો એકનો એક દીકરો માયા બલિદાન દેવા તૈયાર થયો. વીર માયાનું ભવ્ય સામૈયું કાઢવામાં આવ્યું. તેના નામનો જયજયકાર થયો સિદ્ધરાજે માયાને કંઈક માગવા માટે કહ્યું. માયાએ પોતાના દલિત સમાજ માટે શું માંગ્યું ?

અમારી વાત રાજા માનોજી, કુલડી છોડાવો ને ઝાડુ હટાવો
ગામમાં વસવાટ આપોજી રે, અમને અડે ના અભડાઈ જાયે.
વહેવાર સરીખા રાખોજી રે (વિઠ્ઠલરાય શ્રીમાળી)

કથા કહે છે કે, બત્રીસલક્ષણા વીર માયાનું બલિદાન અપાતાં આકાશમા સૂર્યદેવ થંભી ગયા, વીર માયાના બલિદાનથી તૃપ્ત થયેલ ધરતીમાંથી નીર પ્રગટયા, અને સરોવર છલકાઈ ગયું.અઘાર ગામના બારોટ શ્રી રામાભાઈ ઝાલાભાઈ પાસે માયાની વંશાવલી સચવાઈ છે. નથુરામ ભાટના ચોપડેથી લખાયેલી ‘માયાવેલ’ એક ઐતિહાસિક દસ્તાવેજ છે. માયાવેલ ૧૦૪ પંક્તિનું માયાના આત્મસમર્પણનું અમર શહીદ કાવ્ય છે. માયાનું જન્મ સ્થળ રનોડા (તા. ધોળકા) છે તેનો જન્મ વિ.સં. ૧૧૪૫ ભાદરવા સુદ નોમ અને બલિદાન વિ.સં. ૧૧૯૪ મહા સુદ સાતમ ને શનિવાર, સ્થળ પાટણ. આ વાતને આજે ૯૭૮ વર્ષ થયા ભાઈ. સહસ્રલિંગ સરોવરની રાણીના મહેલ તરીકે ઓળખાતી ટેકરી પર આજે વીર માયાનું સ્મારક બનાવવામાં આવ્યું છે. અહીં દર વર્ષે મહા સુદ સાતમે ભવ્ય ઉજાણી મેળો ભરાય છે. ખેતમજૂરો અણુજો પાળી મેળો મહાલવા એકઠા થાય છે. રાસગરબાની રમઝટ બોલે છે. વીર માયાની શહાદતની ગાથા રાસ, રાસડા, ગરબા, ભજનો, દુહા- છંદ, આરતી થાળ, તિથિઓ માયાવેલ અને વીરમાયા છવ્વીસી જેવા કાવ્યપ્રકારોમાં કંડારાઈને લોકહૈયે અમર બની છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!