મોત સાથે પ્રીતડી – સૌરાષ્ટ્રની રસધાર

આશરે ત્રણસો વરસ પહેલાં, પાલિતાણાની ગારિયાધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. અઢારેક વરસની અવસ્થા હતી. લોહીના ટીપેટીપામાંથી જુવાની પોકાર કરતી હતી, ‘મને મરવા દે; મોતની સાથે રમવા દે.’ જુવાનીમાં જ મોતની સાથે પ્રીતડી બાંધવાનો એ શૌર્ય-જુગ ચાલતો હતો.

એક દિવસ કચેરીમાં દરબારના વૃદ્ધ મામાને દમ ચડ્યો. ઉધરસ ખાતાં ખાતાં એના મોંમાંથી લાળ પડી ગઈ. સવાજીએ મોં મલકાવી કહ્યું : “અરે મામા, ગધપણમાંય માનસને જીવવું શે ગમતું હશે ? આ દમ ચડે, નાકે લીટું વહી જાય, મોઢે લાળું વરસે એમાં શી મઝા પડે છે ?”

મામા બોલ્યા : “ભાઈ, શું કરવું ? મોત આવે ત્યારે જ છુટકારો થાય ને ?”
“મોત તેા આપણે બોલાવીએ ત્યારે હાજર જ છે ને, મામા ! ઈશ્વર ક્યાં આડે હાથ દેવા આવે છે?”
“એ તો વાતો થાય, બાપ ! પ્રાણ કાઢી નાખવા એ કાંઈ રમત વાત છે ?”

“ના, મામા ! વાત નહિ, સાચું કરી બતાવું. લ્યો, આ પ્રતિજ્ઞા છે કે ત્રીસ વરસે મારે દેહ પાડી નાખવો.”
આખી કચેરીનાં મોં કાળાં પડી ગયાં, સહુ સમજતા હત્યા કે સવાજીની પ્રતિજ્ઞા એટલે લોઢે લીટી. મામીને મરવા જેવું થઈ પડયું સવાજીનાં બહેન સાસરે હતાં. ત્યાં એમને ખબર પડી. બહેન ગારિયાધાર આવ્યાં. ભાઈની પાસે કાપડાની માગણી કરી. ભાઈ કહે : “બોલ બહેન, જે માગે તે આપું.”

“ભાઈ, હું માગું છું કે તું પાંચ વરસ વધુ દેહ રાખ્ય.”
હસીને સવાજી બોલ્યા : “અરે બહેન! મૂરખી ! પાંચ વરસ વધારે જીવું તે તારી પાસેથી ઊલટું કાપડું લીધું કહેવાય. માટે જ, મારા ત્રીસ વરસમાંથી પાંચ વરસ તને કાપડાનાં કરું છું. એટલે હવે હું ત્રીસને બદલે પચીસ વરસ દેહ પાડીશ.”

ધ્રુસકે ને ધ્રુસકે રોતી રોતી બહેન ચાલી ગઈ. ભાઈનું બેાલ્યું કોઈથી ફરે તેમ નહોતું, બહેન, ભાઈને બરાબર ઓળખતી હતી. મોતની વાટ જોતાં જોતાં સવાજીનાં વરસ વીતવા લાગ્યાં, પણ ધીંગાણાનું ટાણું જ ન આવે. ઘણે ઘણે ઠેકાણે જઈને મસ્તી કરી આવે, પણ કોઈ એની સાથે લડવા જાય નહિ. પછી પોતાના વાવણી ગામને પાદર ડૂબાણિયા નામે એક માટે ભયંકર કૂવો છે. તેના ઉપર એક વેંત પહોળું પાટિયું મુકાવીને પોતે પાટિયા ઉપર ઘોડો હાંકયો, એમ સમજીને કે પાટિયા ઉપરથી ઘેાડે લથડે એટલે કૂવામાં ડૂબીને જીવ કાઢી શકાય, કારણ કે જુદ્ધ મળતું નથી, અને આપઘાત કરવા કરતાં આવી રમત રમવામાં જ ઊકલી જવું વધુ સારું. પણ તેમાંય ઘોડે ન લથડ્યો.

પછી સવાજીએ એક દિવસ ભાદરને કાંઠેથી જેતપુરના કાઠીઓની કાઠિયાણીઓનું હરણ કર્યું . બાઈઓને ગારિયાધાર લાવીને સગી બહેનોની રીતે રાખી.

ગારિયાધારને પાદર એક દિવસ કાઠીઓની જંગી ફોજ આવીને ઊભી રહી. સવાજી રણસાજ સજીને હાજર થયા. સામસામી બે હાર કરીને કાઠીઓની ફેાજ ખુલ્લે શસ્ત્ર ઊભી હતી. સામે ઊભા રહીને સવાજીએ કહ્યું : “ શુરવીરો, સાંભળો ! તમે બરાબર તલવાર વાપરજો, તમારી ફોજ સોંસરવો હું મારો ઘોડો દોડાવવાનો છું. તમારી બાઈઓને મેં મન, વચન, કાયાથી મા-બહેનો ગણી છે કે નહિ તેની સાબિતી બતાવું છું.”

734951_348651165244320_2131780613_n

॥આ પાળીયો સવાજીનો છે જે ગારિયાધરમા છે ॥

એવું કહીને એણે કાઠીઓની ફોજ વચ્ચે પૂરપાટીએ ઘોડો નાખ્યો. સામે તલવારોની ઝીંક બોલી, પણ સત્યવાદી ધાડેસવાર સાવ કોરેકોરો સામે કાંઠે નીકળી ગયો, કાઠીઓની તલવારે સામસામી જ અથડાઈ.

સામે પડખેથી ફરી વાર સવાજી બેાલ્યે : “શૂરવીરો ! આખા જગતની બાઈઓને મેં મન, વચન, કાયાથી મા-બહેનો ગણી છે કે નહિ તેની સાક્ષી હવે જોજો.” એમ કહીને પાછો ફેાજ વચ્ચે ઘુસ્યો. ખડિંગ ! ખડિંગ કાઠીઓની તલવારો સામસામી અફળાઈ સવાજી સહીસલામત પાર નીકળી આવ્યો.

પછી એ બોલ્યો : “ હવે તો આવો શૂરવીરો ! સ્વર્ગને માગે મને વળાવવા આવો.”

એકલો સવાજી આખી ફોજ સાથે લડીને મરાયો. આજ એનાં બિરદ ગાય છે કે,

કાંધાઉત સવે અખીયાત કીધી,
જુગે જુગ વંચાણી ખ્યાત જાકી.
કૂવા પર હાંકિયો અસવ જીવ તરણું કરી
ભૂવો વરસ પચીસે ગોહિલ માંકી.

કાંધાજીના પુત્ર સવાજીએ એવું કામ કર્યું કે એની કીર્તિ જુગે જુગ વંચાય છે, જીવતરને તરણા જેવું ગણીને એણે કૂવા ઉપર અશ્વ હાંક્યો, અને આખરે પચીસ વરસે એ મર્યો.

લેખક – ઝવેરચંદ મેઘાણી
તસવીર સૌજન્ય – Viramdevsinh Padheriya
આ માહિતી સૌરાષ્ટ્રની રસધાર માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– એક તેતરને કારણે – સૌરાષ્ટ્રની રસધાર

– આહીર યુગલના કોલ – સૌરાષ્ટ્રની રસધાર

– સાંઈ નેહડી – સૌરાષ્ટ્રની રસધાર

– સિંહનું દાન – સૌરાષ્ટ્રની રસધાર

– દુશ્મનોની ખાનદાની – સૌરાષ્ટ્રની રસધાર

– આનું નામ તે ધણી- સૌરાષ્ટ્રની રસધાર

– એક અબળાને કારણે – સૌરાષ્ટ્રની રસધાર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!