કાળો મરમલ – સૌરાષ્ટ્રની રસધાર

“હમીરજીએ સોમનાથ સાટું શીશ કપાવ્યું, ચાંપરાજે પોતાના ગામ જેતપુર સાટુ મોત મીઠું કર્યું, એભલના દીકરા અણાએ સતીને કાજે લોહી દીધાં, એમ કોઈ ધરમ સારુ, કોઈ ધેન સારુ, તો કોઈ સતી બહેન સારુ પોતપોતાના પ્રાણ દેતા આવ્યા છે. દેનારની બલિહારી છે, બાપ કાળા! પોતાના નાનકડા ગામટીંબાની લાજ કારણ પણ જે દેહ ખપાવે, એણેય જીવી જાણ્યું. નાનાં કે મોટાં — પરાક્રમ તો જેટલાં પરમાર્થે, એટલાં સહુ સરખાં જ વદે.”

આવી આવી કંઈ કંઈ શૂરકથાઓ રામ ગઢવી સંભળાવતા અને જુવાન કાળો મરમલ ભાંગતી રાતના એ કવિમુખના પડતા બોલ ઝીલ્યા કરતો. ગીરકાંઠાનું પીપરિયું ગામ જ્યારે ભરનિદ્રામાં જંપી જતું, ત્યારે આ ચારણને અને કાઠીને જાણે કે દિવસ ઊગતો. કસુંબાની કટોરી ભરીને પોતાની તથા કાળા મરમલની વચ્ચે મૂકી, ગઢવી ઉપર રંગ દેતા કે

રંગ રંગીલા ઠાકરા, કુંવર દશરથરા,
ભુજ રાવણરા ભંજિયા, આલી જા ભમરા!
[હે રંગીલા ઠાકર, હે દશરથના કુંવર રામચંદ્રજી, પહેલા રંગ છે તમને કે તમે રાવણની ભુજાઓ ભાંગી.]

વળી ઝાઝા રંગ તો તમને એટલા માટે છે, હે નાથ! કે તમે તો —

રામા, રજપૂતી તણો, આડો વાળ્યો આંક,
લીધા પે’લી લાંક, (તમે) દીધી દશરથરાઉત!
[તમે તો રજપૂતાઈનો આડો આંક વાળ્યો, કેમ કે હજુ તો લંકા તમે હાથ કરી નહોતી, તે પૂર્વેથી જ વિભીષણને તમે એનું દાન પણ કરી નાખેલું.]
વળી, હે રઘુવીર!

અનેક ભગત ઓધારિયા, નકળંક લેતાં નામ,
તું તારે દશરથ તણા, (તુંને) રંગ હો સીતારામ!
[હે નિષ્કલંક નરોત્તમ, તારાં તો નામ લેતાં તેં અનેક ભક્તોનો ઉદ્ધાર કર્યો. હે સીતારામ, રંગ હો બાપ! રંગ હો તમને! રંગ હો ઝાઝા!]

એમ કહીને પછી ગઢવી કટોરી હોઠે માંડતા. કટોરી લીધા પછી ધીરે ધીરે ચડતા કેફમાં ગઢવીની આંખો લાલચટક બનતી, હોકાની ઘૂંટો ટૌકા કરતી, ચલમના અંગારાયે જાણે કે જામીને વાતો સાંભળતા. વાતોની વચ્ચે વચ્ચે ગઢવી ખાનદાનીના બોધ દેતા — મા છોકરાને મીઠપથી પંપાળીને દવા પાય તે રીતે જ્ઞાન પાતા, શૂરવીરતાના મર્મો સમજાવતા કે

ધનકું ઊંડા નહ ધરે, રણમેં ખેલે દાવ,
ભાગી ફોજાં ભેડવે, તાકું રંગ ચડાવ!

[હે બાપ કાળા, ઝાઝા રંગ દઈએ એવા વીરને કે જે સૂમની માફક ધનને ઊંડાં ન સંઘરી રાખે, પણ છૂટે હાથે વાપરે; રણમાં દાવ ખેલે, ને જે ભાગતાં દળકટકને પણ પડકારી, પાણી ચડાવી ધીંગાણામાં ઓરે. વળી ભાઈ!]

તન ચોખાં મન ઊજળાં, ભીતર રખ્ખે ભાવ,
કિનકા બૂરા નહ કહે, તાકું રંગ ચડાવ!

[ઝાઝા રંગ હોજો એવા શૂરવીરોને કે જેના દેહ પવિત્ર છે, દિલ ઉજ્જ્વળ છે, ને જે કોઈનું બૂરું બોલે નહિ, કે ચિંતવે નહિ. એમ છે, બાપ કાળા, એકલું ભુજબળ તો પલીતનેયે હોય. પણ વીરતા કોનું નામ!]

કાળો મરમલ કવિના મુખ સામે તાકી રહેતો, એના મનમાં સરસિયાના કાઠી ગાંગા વાળા ઉપર વેર ખદબદતું હતું. તેની સમસ્યા શમતી નહોતી. એના દિલમાં ઉધામા ઊઠે છે: “મારો ગરીબ બાપ મને નાનો મૂકીને એક દિવસ મરી ગયો. મરતાં મરતાં કહેતો ગયો કે ‘મારો કાળિયો આપા ગાંગાને ભળે છે!’ ત્યાર પછી પડખે સરસિયા ગામના ગલઢેરા ગાંગા વાળાને આશરે હું ઊછર્યો, પણ એક દિવસ ગાંગા વાળાએ મને ભૂંડે હાલે જાકારો દીધો. એના વેરનું શું? ગઢવી તો મને ગોટાળે ચડાવે છે!”

એમ કરતાં કાળો જુવાન થયો. રામ ગઢવીને મુખેથી એણે શૂરવીરનાં ધીંગાણાંની ઘણી ઘણી વાતો સાંભળી. ગામને પાદર એણે કેટલાય પાળિયા જોયા. પછી રાતે રાતે ઊંઘમાં એને યુદ્ધનાં સ્વપ્નાં આવતાં. ‘મારી તરવાર! મારો મલિયો!’ એવા એવા હાકલા કરીને એ ભરનીંદરમાંથી ઝબકી ઊઠતો.

રામ ગઢવી ઊઠીને એને ટાઢો પાડતા ને એને શરીરે હાથ ફેરવતા. સાંજે કાળાને આવતાં અસૂર થઈ જાય તો બુઢ્ઢા રામ ગઢવી એને ગોતવા નીકળતા. એને મન તો કાળિયો મરમલ એના અંધાપાની લાકડી જેવો હતો.

એક દિવસ રામ ગઢવી પાસેથી અફીણ ખૂટી ગયું. બરાબર ઉતાર આવ્યો એ ટાણે જ ડાબલી ખાલી નીકળી. “બાપ કાળા! દોડ્ય દોડ્ય સરસિયે. મારું મોત આવ્યું. ઝટ અફીણ લઈને પાછો આવજે.”

પોતાના મલિયા વછેરા ઉપર ચડીને કાળો અફીણ લેવા સરસિયે ગયો.

વેપારીની દુકાને ઊભો ઊભો કાળો અફીણ જોખાવે છે. તે ટાણે ઓચિંતા ગામમાં હોકારા-પડકારા સંભળાયા. કાળો પૂછે છે: “શેઠ, આ શું છે?”

વાણિયો કહે: “ભાઈ, આપણે એની શી પંચાત! દરબાર ગાંગા વાળાના બે ભત્રીજા એને મારી ગરાસ લેવા આવ્યા છે તે વઢે છે. એમાં આપણે શું? ડાહ્યા થઈને દુકાન વાસી દઈએ, ને માલીપા બેઠા બેઠા સાંભળીએ; તરડમાંથી તાલ જોઈએ!”

ત્યાં તરવારોના ખણખણાટ અને બંદૂકોના ધડાકા સંભળાવા મંડ્યા. કાળાનું શરીર કાંપવા લાગ્યું. એનો હાથ તરવારની મૂઠ ઉપર ગયો. વાણિયો કહે: “એલા, તને એમાં શેનું શૂરાતન ચડે છે? તને તો ઊલટો ગાંગા વાળાએ જાકારો દીધો હતો!”

“વાણિયા! તું શું સમજ? મારા દાંતમાં હજી આપા ગાંગા વાળાનું અન્ન ચોંટ્યું છે. હું આંહીં જ મરીશ.”

“મર ત્યારે, મૂરખા!”

ત્યાં તો ધીંગાણું બજારમાં આવી પહોંચ્યું. વાણિયાએ દુકાનનાં કમાડ અંદરથી વાસી દીધાં. કાળાએ જોયું કે ગાંગો વાળો મરાયો. એટલે તરવાર કાઢીને એણે દોટ દીધી. બેમાંથી એક ભત્રીજાને માર્યો, ત્યાં તો એનું માથું પણ પડ્યું. ગામના ઝાંપા બહાર જે રાવણાનું ઝાડ છે, ત્યાં સુધી લડીને એનું ધડ પડ્યું. અત્યારે ત્યાં એની ખાંભી છે.

અફીણની વાટ જોઈને બેહોશ બની બેઠેલા રામ ગઢવીએ સાંજે જ્યારે ખબર સાંભળ્યા કે કાળો તો કામ આવ્યો, ત્યારે અફીણ લીધા વિના જ ગઢવીએ મોં ઢાંકીને મરસિયા ઉપાડ્યા:

વરસ દસ વીસે, મરમલ વાંછીતો મરણ,
પૂગ્યો પચવીસે, ક્યાંથી આવે કાળિયો?

[કાળો મરમલ તો દસ-વીસ વરસની ઉંમરે જ મરણ માગતો હતો. આ તો પચીસ વરસે મરણનો મિલાપ થયો. પાંચ વરસનું મોડું થઈ ગયું. હવે એ પાછો ક્યાંથી આવે?]

પછેડા પાંખે, મરમલ વાંછીતો મરણ,
જોવણ અંગ જડતે, કીં કરી આવે કાળિયો?

[અરે ભાઈ! દસ-વીસ વરસે નહિ, એને તો એના જન્મ પછી તત્ક્ષણ કુંવરપછેડો ઓઢ્યા પહેલાં જ મરવું હતું. પણ એ ઝંખનામાં એને જુવાની આવી ગઈ. મોત સમા મિત્રનો આટલો મોડો મેળાપ થાય પછી કાંઈ એ પાછો આવે?]

ભૂખાળુ ભાલા તણો, કળકળતો કટકે,
(હવે) ભોજન ખગ ભેટ્યે, ક્યાંથી આવે કાળિયો?

[ભાલાની એને એવી ભૂખ લાગી કે ધીંગાણાને માટે એ કળકળી રહ્યો હતો. એવો ભૂખ્યો માણસ તરવારરૂપી ભોજન તૈયાર દેખ્યા પછી જમ્યા વિના શી રીતે પાછો આવે?]

કુંતારી હોળી કરી, (ઉપર) ઘરહર રંભા ઘેર,
(એમાં) નાખ્યાં વણ નાળિયેર, ક્યાંથી આવે કાળિયો?

[ધરતી ઉપર ભાલારૂપી ભડકાની હોળી પ્રગટી હતી. અને એ હોળીની ઉપર ઘેરો વળીને રંભાઓ ઊભી હતી. ધીંગાણારૂપી એવી સુંદર હોળીમાં પોતાના મસ્તકરૂપી નાળિયેર(*) નાખ્યા વિના કાંઈ કાળો પાછો આવે?]

આવે ગાતી અપસરા, સૂરા સામૈયે,
પાછો વણપરણ્યે, ક્યાંથી આવે કાળિયો?

[એ યુદ્ધ નહોતું, પણ કાળાનું લગ્ન હતું. સ્વર્ગરૂપી સાસરામાંથી અપ્સરાઓ ગીત ગાતી ગાતી આવતી હતી. અને શંકર આદિ સુર લોકો સામૈયું લઈને આવતા હતા. એવા ભભકેદાર વિવાહમાં પરણ્યા વિના કાંઈ કાળો પાછો આવે?]

ભેળ્યું ખેત્ર ભડે, રોરવતાં રાંક વારે,
નસિયર નીંઘલતે, ક્યાંથી આવે કાળિયો?

[એ યુદ્ધ નહોતું, એ દુકાળની અંદર શૂરવીરોરૂપી રાંકાઓએ ખેતર ભેળ્યું હતું. એ ખેતરની અંદર કાળા જેવો એકાદ નીંઘલેલ (પાકી ગયેલ) છોડ જોઈ ગયા પછી શૂરવીરોરૂપી રાંકાઓ એને છોડે નહિ, ને કાળો પાછો આવે નહિ.]

કાળાનું સર કોય, કાલીનો કુંભ વારે,
વણફૂટ્યે વહળોય, ક્યાંથી આવે કાળિયો!

[કાલી બાયડીને માથે પાણીનો ઘડો હોય (ગાંડીને માથે બેડું હોય) તેવું કાળાના શરીર ઉપર એનું માથું ડગમગતું હતું. ગાંડીના માથા ઉપરનો ઘડો જેમ ક્ષેમકુશળ ઘેર ન પહોંચે, તેમ કાળાનું માથું પણ હેમખેમ ઘેર ન આવે.]

પળચર, ખગ, વ્રેહમંડપતિ, (ઉપર) અપસર ઝુળ અસે,
એતાંને અવઠોર્યે, કીં કરી આવે કાળિયો?

[યુદ્ધક્ષેત્ર ઉપર કાળાની વાટ જોઈને માંસભક્ષી ગીધ પંખી બેઠાં હતાં. આકાશમાં વ્યોમપતિ ઈન્દ્ર બેઠા હતા. અરે, અપ્સરાઓનું વૃંદ ઊભું હતું. એ બધાને તરછોડીને કાળો કેવી રીતે ઘેર આવે?]

[આ વાત બીજી રીતે એમ કહેવાય છે કે કાળો સરસિયો ગાંગા વાળાને ત્યાં જ રહેતો. એક દિવસ કાળાને ખબર પડી કે પોતાના જ ગામ પીપરિયા ઉપર ધાડ આવી છે. પીપરિયામાં મરમલનો વાસ ‘મરમલનો ઝાંપો’ એ નામે ઓળખાતો. એ પીપરિયે ગયો. ‘મરમલના ઝાંપા’નું રક્ષણ કરતાં કરતાં મર્યો.]

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સૌરાષ્ટ્રની રસધાર માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– એક તેતરને કારણે – સૌરાષ્ટ્રની રસધાર

– આહીર યુગલના કોલ – સૌરાષ્ટ્રની રસધાર

– સાંઈ નેહડી – સૌરાષ્ટ્રની રસધાર

– સિંહનું દાન – સૌરાષ્ટ્રની રસધાર

– દુશ્મનોની ખાનદાની – સૌરાષ્ટ્રની રસધાર

– આનું નામ તે ધણી- સૌરાષ્ટ્રની રસધાર

– એક અબળાને કારણે – સૌરાષ્ટ્રની રસધાર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!