નાગવાળો – નાગમતી

ગોહિલવાડમાં ગીરકાંઠાનું રાજુલા ગામ છે . ત્યાં ત્રણ – ચાર ગાઉ ઉપર સરોવરડું નામે નાનું ગામડું છે. અસલના કાળમાં ત્યાં આ સવિયાણા નામનું નાનું શહેર હતું. વાળા રજપૂતોનાં ત્યાં રાજ હતાં. ગામધણીનું નામ ધમળ વાળો બોલાય છે . એને ઘેર નાગ વાળો નામે જુવાન દીકરો હતો. નાગનાં રૂપગુણ અને વીરત્વ વિખ્યાત હતાં .

સવિયાણાથી એકાદ ગાઉ આધે એક ડુંગરાની ધાર પડી છે . અત્યારે એ ધારને સરધાર નામે ઓળખે છે. પૂર્વે એને શ્રીધાર કહેતા. ત્યાં મલાધારીઓના નેસ પડતા. એને શ્રીધારના નેસ કહેતા. નેસવાસીઓ ઢોરને પાણી પાવા માટે સવિયાણા શહેરના મોટા તળાવ ઉપર હાંકી જતા.

એક વખત એ શ્રીધારની તળેટીમાં એકસામટા નવ નેસ પડ્યા. એક નેસ ભેડા શાખાના આહીરનો હતો. ભેડા આહીરને ઘેર નાગમદે નામની ભરજુવાન દીકરી હતી. નાગમદે પોતાના બાપના નેસડામાં રોજ પ્રભાતે ભેંસોનાં મહીનું વલોણું ઘુમાવે, નેતરાં તાણતી તાણતી પ્રભાતિયાં ગાય, શ્રીધારથી છેટે સવિયાણાની નજીક વડલા હેઠે આવેલી વાવમાંથી પાણીનાં બેડાં ખેંચી લાવે, એ વાવના થડમાં તળાવ હતું. ત્યાં નહાવા – ધોવા જાય , અને બે – ત્રણ દિવસે માખણ ભેળું થાય તેનું ધી ઉતારી , તાવણ ભરી સવિયાણા શહેરમાં વેચી આવે. સાથે સાથે ભેંસો સારુ કપાસિયાં, ઘર સારુ દાણા, ગોળ , તેલ કે મસાલા લેતી આવે.

એક દિવસ એ નવ નેસની બીજી કેટલીક બાઈઓની સાથે આ આહીર – બાળ નાગમદે પણ પોતાની તાવણ વેચવા સવિયાણા શહેરમાં આવે છે અને એક વાણિયાને હાટડે સહું નેસડીઓ એક પછી એક પોતાની તાવણનાં તોલ કરાવે છે . કુમારિકા નાગમદેનો વારો આવે છે . વાણિયાનાં ત્રાજવાં માંહેના વાસણમાં પોતાની તાવણમાંથી પાર કરીને પોતે ઘી રેડી રહી છે તે જ ઘડીએ બજારે અવાજ પડ્યો કે નાગ વાળો આવે છે . પવિત્ર રાજપૂત જુવાન નાગ સહુ ગામલોકોના રામરામ ઝીલતો ઝીલતો બજાર સોંસરો ઘોડે ચડીને નીકળે છે , અને એક દુકાને જુવાન વહુદીકરીઓનું જૂથ બેઠેલું જોઈ પરનારી સામે ન જોવાય એ ભાવે એ બાજુએ પોતાના મોં આડે ઢાલ ઢાંકી દે છે .

નાગમદેએ કચ્છમાંથી આવતાં આવતાં માર્ગે અનેક ઠેકાણે તેમ જ આંહીં નેસડામાં આ નાગ વાળા વિશે મીઠી મીઠી વાતો સાંભળી હતી. જોવાની ઇચ્છા ઝાઝા દિવસની હતી . આજ મીટ માંડીને નિહાળવા રહી ત્યાં પેલું પોતે રેડતી હતી તે તાવણનું ઘી ઠામમાં પડવાને બદલે ભોંય ઉપર ઢોળાયું . પલકમાં પ્રેમ પ્રગટ્યો. ફરી વાર તળાવ કાંઠે મળ્યાં. નાગનું અંતર પણ અર્પણ થયું .

યાદ ન રહ્યું કે એક રાજપૂત છે ને બીજું આહીર છે. એક ગામધણી છે ને બીજી ગરીબ માલધારીની દીકરી છે. બેઉનાં નોખનોખે ટેકાણે સગપણેય થઈ ચૂક્યાં છે. બેમાંથી એકેયનાં માંબાપ કબૂલે જ કેમ ? ઊલટું , આ તો અનર્થ થશે એમ સમજી નાગમદેના બાપે ત્યાંથી ઉચાળા ઉપાડ્યા. શ્રીધારનો નેસ એક દિવસ પ્રભાતે સૂમસામ પડ્યો.

અરે, રે.. વલોણા ના ઘમકાર કે પ્રભાતી ના સાદ નથી,નાગમદેમના સુના નેહ માં કાળા કાગડા બોલે છે.નદી કિનારાના નેહ માં ફક્ત માળીંગા પડ્યા છે.ચિત્તડાને પ્રિત લગાડી વાલા પરદેશ જતા રહ્યા.પણ મારુ મન તો ખણીયા(વૃક્ષ ની ડાળી) ની માફક આ ઠેકાણે ખુંતી ગયેલ પણ તેઓ તો પોઠિયા પર ઉંચાળા લાદિ રવાના થઇ ગયા લાગે છે.

આમ નાગવાળો ભારોભાર ઉદાસ છે પણ સમિયાળે ના જતા વાગડ ઉપડી ગયો.

પંડ્ય જોયો,પવંગ જોયો,વળ જોયો વાળા
ના’વે નાગસિયા, ઢાળો પાવરના ધણી.

નાગવાળા વાગડ આવી વાણીયાને ત્યા ઉતારો કરી,કાનસુવા ભેડાએ જે નાગમતી ના વિવાહ ની આકરી શરત રાખી હતી કે પ્રાજા-પારવા (આઠ એકર નો પ્રાજવો) ઓરસ ચોરસ ખેતર નક્કિ કરેલ છે તેમા દોરી માંડ્યા વિના પાહર્યા ચાહ કરવા અને સામે શેઢે ચાહ વચ્ચે સોપારી મેળવવી , ઇ સોપારી સામે શેઢે ચાહ મા નજર કરવાથી કળાય એ વ્યક્તિ જીતે.

નાગવાળાને એક ખોડો પાડો બેઠેલો દીધો. પાડાની ડોકે ચિઠ્ઠી બાંધી હતી, લખેલું કે ‘ નાગ ! હું ફલાણે દિવસે આવીને તને સરોવર – પાળે શંકરના દેવળમાં મળીશ. મારા બાપે તે દિવસે મારાં લગ્ન કરવાનું ઠરાવ્યું છે , પણ હું તો તારી થઈ ચૂકી છું.

માવતર છોડી આવેલો જુવાન નાગ વાળો રાજરિદ્ધિ અને રજપૂતાણી સાથેના ઘરસંસારની લાલચ છોડી નાગમદેની વાટ જોતો દેવળમાં બેઠો , બહુ બેઠો. વદાડ પ્રમાણે પહાડ – કન્યાં હાજર થઈ નહીં. હવે એ ક્યાંથી આવે ? નહીં આવે. બાપે પરાણે પરણાવી દીધી હશે. મારે હવે જીવીને શો સ્વાદ કાઢવો છે ? પોતે પેટમાં કટાર નાખીને દેવળમાં જ આત્મહત્યા કરી. પગથી માથા સુધી ફાળિયું ઓઢી લીધેલું. શબ પડ્યું હતું .

માવતરના પંજામાંથી છૂટતાં નાગમદેને થોડું મોડું થયું. પણ એ વેગ કરતી આવી પહોંચી. રાત હતી, મંદિરનાં બારણાં અંદરથી બંધ હતાં. બંધ કરીને જ નાગ મૂઓ હતો. નાગમદે માને છે કે હજુ નાગ આવ્યો નથી, પછી અંદર નજર કરતાં નાગને પિછોડી ઓઢીને સૂતેલો દીઠો. સમજી કે ઢોંગ કરે છે. કદાચ ફરી બેઠો થશે ! ઘણાં ઘણાં મેણાં ને વિનવણાં કર્યો. પછી લાગ્યું કે ભરનીંદરમાં પડ્યો છે, જગાડ્યો જાગતો નથી . પ્રભાતે લોહીનાં પાટોડાં સૂઝયાં. નાગમદે પણ પોતાની ખાતર પ્રાણ છોડનારની સોડ્યમાં જ સદાને માટે સૂતી.

—————- દુહા સંચય ————

સવિયાણું સરધાર , નગરામાં નેહચળ(નિશ્ચળ) ભલું ;
બવળાં હાટ બજાર , રજવાડું રધિએ ભર્યું . ( ૧ )

શ્રીધારના નેસવાળું સવિયાણું શહેર સાચેસાચ સહુ નગરોની અંદર સારું નગર હતું , એની બજારો બહોળી હતી , એનું રાજ પણ રિદ્ધિસિદ્ધિથી ભરપૂર હતું .

સવિયાણું સરધાર , બેય તરોવડ(સરખા) ટેવીએ,
એકે વણજ વેપાર , બીજે મરમાળાં માનવી . ( ૨ )

સવિયાણું શહેર અને શ્રીધારનો નેસ, એ બંનેને એકસરખાં જ સમજજો. કેમ કે એકમાં જેમ ધીકતાં વાણિજ્ય વેપાર હતાં , તોય બીજામાં એ નાનું ગામડું છતાં, મર્માળુ, રસિકડાં, હેતાળવાં ( નાગમદે સરીખા ) માનવીનો વાસ હતો . એકમાં સ્થૂળ દ્રવ્ય સંપત્તિ હતી , તો બીજામાં સૌંદર્યની ને સ્નેહની સમૃદ્ધિ હતી .

જે સવિયાણે શોખ , સરધારે નહીં શોખ તે ;
લાડકવાયાં લોક , પથારીએ ફૂલ પાથરે . ( ૩ )

સવિયાણા શહેરમાં જે મોજ અને વિલાસ છે, તે સરધારના નેસમાં નથી. સવિયાણાનાં રસિક લોકો તો ફૂલ પાથરીને સૂવે છે.

એવું એક મર્માળ માનવી માથા પર ઘીની તાવણ લઈ એક દિવસ સવિયાણાની હાટબજારે વેચવા આવ્યું . જેનાં વીરત્વ અને રૂપશીલ સાંભળ્યાં હતાં તે નવજુવાન નાગને દીઠો. આંખો ત્યાં ચોંટી રહી એટલે વાણિયાના વાસણમાં ઘી ઠલવનારા કંકુવરણા હાથ લક્ષ્ય ચૂક્યા : વાણિયો કહે કે ‘ બાઈ , સામું ધ્યાન તો રાખ! તારુ ઘી ઢોળાય છે ! ‘ મોહ પામેલી નાગમદે જવાબ વાળે છે કે

ઘોળ્યાં જાવ રે ઘી , આજૂના ઉતારનાં !
ધન્ય વારો ધન્ય દી , નીરખ્યો વાળા નાગને. ( ૪ )
.

મારી , આજના એક દિવસની છાશમાંથી ઊતરેલું ઘી ધૂળમાં મળતું હોય તો ભલે મળે, એટલું નુકસાન શી વિસાતમાં છે. કેમ કે આજ તો મેં નાગને નીરખ્યો. આજનો દિવસ અને આજનો મારો ઘી ઉતારવાનો વારો તો ધન્ય બન્યો .

પરનારીઓને દેખીને પવિત્ર શીલનો પુરુષ નાગ એ બાજુ પોતાના મોં આડે ઢાલ ઢાંકે છે. નાગમદે એથી નાગનું મોં જોઈ શકતી નથી. એટલે પોતે મનમાં ને મનમાં લવે છે.

બાધી જોવે બજાર , પ્રીતમ ! તમણી પાઘને ,
અમણી કીં અભાગ ! ધમળના ! ’ ઢાલું દિયો ! (૫)

હે પ્રિયતમ ! બધી યે બજાર – તમામ લોકો – તમારી પાઘડીને જોઈ શકે છે ; તો પછી મારાં શાં દુર્ભાગ્ય , કે ઓ ધમળ વાળાના પુત્ર ! તમે મારા આડે ઢાલનો અંતરપટ કરો છો !

——— જળાશય પર મેળાપ

વડલા હેઠળ વાવ , હાલે ને હિલોળા કરે ;
નાગમદે નાની બાળ , ભેડાની પાણી ભરે. (૬)

સવિયાણાને પાદર વડલાની ઘટામાં વાવ આવેલી છે. વાવનું ભરપૂર પાણી દિવસરાત હિલોળે ચડી રહ્યું છે . ( કારણ કે ત્યાં થોકેથોકે પનિયારીઓ બેડાં બોળી બોળી પાણી ભરે છે . ) એ પનીયારીઓના મેળામાં શ્રીધાર નેસથી ભેડા આહીરની નાની પુત્રી નાગમદે પણ હેલ્યો ભરવા આવે છે.

નાગ ત્યાં થઈને શંકરને દેવળ જવા નીકળે છે. નાગમદે નીરખી રહે છે. સભ્યતા સાચવી શકાતી નથી . ભલે , લોકો હીણું ભાખે! હું શું કરું ? અંતરમાં લવે છે :

પાગે બેડી પેરીએ , હાથે ડહકલાં હોય ;
( પણ ) નાગડા! નેવળ નો’ય , આખું કેરે ઓડડે . ( ૭ )

પગને તો બેડી પહેરાવીને રોકી રાખી શકાય છે : હાથ કશું તોફાન કરતા હોય તો તેને પણ હાથકડી જડીને કાબૂમાં રખાય. પરંતુ ઓ નાગ ! આ આંખોને માટે તો કોઈ બેડી કે કડી ક્યાં છે ! હું શી રીતે મારી દૃષ્ટિ દબાવી રાખું !

નાગ તો જળાશય ઉપર ગામની બહેન – દીકરીઓનાં જૂથ હોવાથી નજર કર્યા વિના જ સીધો ચાલ્યો જાય છે ; એટલે પ્રેમમાં પાગલ બનેલી નાગમદે મનમાં ને મનમાં બોલે છે :

સામસામીયું સગા ! મીટું કાં માંડો નહીં ?
વઢીએ તો વાળા ! નેણઝડાકે નાગડા ! ( ૮ )

હે સ્વજન ! સામસામી મીટ કાં નથી માંડતા ? માંડો , તો નયનેનયનનું પ્રેમ – દ્વંદ્વ રચી શકીએ .

ત્રાંબાવરણું તળાવ , પદમણીયું પાણી ભરે ;
નજર કરોને નાગ ! ધમળ સરધારા – ધણી ! ( ૯ )

એ ત્રાંબા સરીખા ઉજ્જવળ ને નિર્મળ તળાવની અંદર સુંદરીઓ પાણી ભરે છે. નાગમદે નહાય છે. ઓ શ્રીધારના ધણી નાગ! નજર તો કરો !

નાગડા! નાગરવેલ્ય, થડમાંથી લઈ થુંણીયે ;
કાંક કાંક કૂંપળ મેલ્ય, ( અમે ) આશા ભરિયાં આવિયાં. ( ૧૦)

(નવુ પાંઠતર)

નાગડા નાગરવેલ્ય, કાંઇ સુગટી ઊખણે
કયુ મ્હાંહી મેલ્હિ, વરતણ જોગી વલ્લહા.

(પ્રાચિન)

હે નાગ ! માળી જેમ નાગરવેલ્યને થડની આસપાન ખોદીને ધરતી પોચી બનાવે છે . તેને પરિણામે એ વૃક્ષ સહેલાયથી પોષણ શોષીને ફાલે છે તે રીતે તું પણ તારી પ્રીતિરૂપ વેલડીને પોચી બનાવ ! એમાંથી સ્નેહનાં કુંપળ ફૂટાવ . સખત ને અક્કડ ન રહે , કેમ કે હું આશાભરી આવી છું .

નાગ નિસરણી નાખ , કયે ઓવારે ઊતરીએ!
આમાંથી ઉગાર , ( તો ) વરીએ વાલા નાગને ! ( ૧૧ )

( ઓ નાગ ! હું તળાવમાં નહાઈ રહી છું . પણ કયે આરેથી હું બહાર નીકળું ? ડૂબી મરાય તેટલું ઊંડું આ તળાવે છે. માટે તું જો અંદર નીસરણી નાખે , તો હું નીકળીને તને વરું . ( આંહીં , મર્મમાં , વ્યંગમાં નાગમદે સમજાવે છે કે જીવનના – માબાપ , સગાં , સંસારવ્યવહારનાં – ઊંડા નીરમાં હું ડૂબી રહી છું . તારા પ્રેમની નીસરણી વડે તું મને કિનારે ઉતાર . )

નાગ નજર કર્યે, ( મારા ) પંડ માથે પાલવ નહીં ;
અછતનાં અમે, દુબળ ક્યાં જઈ દાખીએ ! ( ૧૨ )

ઓ નાગ ! નજર તો કર ! મારા દેહ ઉપર વસ્ત્રો નથી . હું આ મારી રંક દશા ક્યાં જઈને દેખાડું ? – આંહીં પણ એ જ મર્માર્થ ચાલુ રહે છે.

આવ્યાં ઊભે દેશ , ગાંજ કોઈ ગમિયલ નહીં ;
નાગ ! તમારે નેસ , બાંધલ મન બચળાં જી . ( ૧૩ )

આખો પ્રદેશ જોતી જોતી હું ચાલી આવું છું . પણ બીજું કોઈ ગામ મને ગમ્યું નથી , પણ ઓ નાગ ! આંહીં તારા નેસમાં મારું મન નાનાં બચ્ચાંની જેમ મમતા વડે બંધાઈ ગયું .

——– વિદાય

બંનેના સ્નેહ – સંબંધની જાણ થયે ચેતી જઈને નાગમદેનો બાપ પોતાનો પડાવ ઉપાડી ચાલી નીકળે છે . કદાચ સવિયાણાના ગામધણી ધમળ વાળાએ પણ ધમકી આપીને ચાલ્યા જવા કહ્યું હશે.

જાતાના જુવાર ! વળતાનાં વોળામણાં
વાળા ! બીજી વાર , અવાશે તો આવશું. ( ૧૪ )

નાગમદે મળી શકતી નથી . સંદેશો કહાવે છે : ઓ નાગ વાળા ! ચાલ્યાં જનાર પ્રિયજનના પ્રણામ સ્વીકારજે , બીજી વાર : હવે અવાશે તો આવીશ .

રાતમાં નેસ ઊપડી ગયો છે . પ્રભાતે નાગ નિત્યની પેઠે મળવા આવે છે . શું જુએ છે :

નહીં વલોણું વાસમાં , નહીં પરભાતી રાગ ;
નાગમદેના નેસમાં , કાળા કળેળે કાગ. ( ૧૫ )

પ્રિયજનના નિવાસમાં વલોણાનો ઘેરો નાદ નથી સંભળાતો . પ્રભાતિયાં ગીતોના રાગ પણ કોઈ ગાતું નથી . નાગદેના સૂમસામ નેસડામાં કાળા કાગડા જ બોલી રહ્યા છે .

નદી કિનારે નેસ , માળીંગાં માંડ્યાં રિયાં ,
વાલાં વળ્યાં વિદેશ , ચાળો લગાડી ચિત્તને . ( ૧૬ )

નદીકાંઠાના આ નેસ ( ઝૂંપડા ) માં , ભીંતડાં ને માંડછાંડ એમનાં એમ રહી ગયાં છે . એટલી બધી ઉતાવળથી , ઓચિંતાં અમારા પ્રિયજન , દિલને માયા લગાડીને વિદેશ ચાલ્યાં ગયાં .

નાગમદેને નેસ , ( મન ) ખૂતલ ખરણ વારે ,
પરદેશી ગ્યાં પરદેશ , પોઠીડા પલાણે . ( ૧૭ )

એ પરદેશી તો પોઠિયા પલાણીને પરદેશ ચાલ્યાં ગયા . પણ મારું અંતર આંહીં નાગદેના નેસમાં લાકડાંની માફક ખૂંતી રહેલું છે.

નાગમદેને નેસ , ભાંગલા પગ ભીંસા તણો ;
વાલા ગિયાં વિદેશ , અવધે આવાણું નહીં . (૧૮)

આ એક ભાંગેલ પગવાળો ભેંસો ( પાડો ) આંહી પડ્યો છે. વહાલાં વિદેશે ચાલ્યાં ગયાં છે . અવધિ નક્કી કરી તે મુજબ વેળાસર મારાથી અવાયું નહીં .

વારા સારુ વઢતિયું , દીમાં દસ દસ વારે ;
વઢી ક્યાં વઢનાર , નીંઘા નીંઘલિયાળિયું? ( ૧૯ )

ધાન ખાંડવાનો એક ખારણીઓ ( નીંધો ) ત્યાં પડ્યો છે. નાગ એને પૂછે છે : ઓ નીંધા ! પોતપોતાનું ધાન ખાંડવાના વારા માટે તારા સારુ દિવસમાં દસ દસ વાર લડી પડનારી એ નીંધલેલ – નવજોબન ઊઘડેલ સ્ત્રીઓ ક્યાં વહી ગઈ ?

———–મંદિર મા મૃત્યુ

માબાપથી તજાયેલો ને હણાયેલો નાગ પરદેશવાસી નાગદેએ મોકલેલા સંદેશા મુજબ શંકરના મંદિરમાં વાટ જુએ છે . પણ એ રાત્રિના મુકરર સમયે નાગમદે આવી પહોંચી નથી , અધીરો નાગ આશા છોડીને આત્મઘાત કરે છે . નાગમદે મોડી મોડી આવી પહોંચે છે. દેવાલયમાં બિડાયેલાં દ્વારની જાળી સોંસરવું જોતાં , ચંદ્રમાના અજવાળામાં એ નાગને અંદર સૂતેલો દેખે છે :

સૂતો સોડ્ય કરે , પાંઢેરી પછેડીએ ;
બોલાવ્યો ન બોલે , નીંભર કાં થ્યો નાગડો ! ( ૨૦ )

(નવા પાઠાંતરનો દુહો)

સૂતો સોડ ધરેહ, પ્રીઉ પાંડુરે પછેડી
સાદે સાદ ના દેય, આજ નિંહેજો નાગડા

(પ્રાચિન દુહો)

સફેદ પિછોડીનું પગથી માથા સુધીનું ઓઢણ કરીને પિયુ સૂતો છે , ઘણુંય બોલાવું છું , પણ બોલતો નથી , મારો નાગ આવો નઠોર કાં બની ગયો છે !

નાગ નામધારીએ પુરુષને નાગ ( સાપ ) પ્રાણીનું રૂપક આપે છે, પોતે જાણે કે વાદળ ( ગારુડણ ) બની સ્નેહની મોરલી બજાવે છે.

નીકળ વાલા નાગ! રાફડ કાં રૂંધાઈ રિયો!
( માથે ) મોરલીયુંના માર , ( તોય ) નીંભર કાં થ્થો નાગડો ( ૨૧ )

હે વહાલા નાગ ! ( ઊંચી જાતના સાપ ! ) તારા ઉપર હું મારી પ્રમ – મોરલીના સંગીત – પ્રહારો કરી રહી છું તોયે તું રાફડામાં ( ભોંણમાં ) કેમ રોકાઈ રહ્યો છે ? તું મોરલીને સ્વરે તો મોહમાયા વિના કેમ રહી શકે ?

મનની કીધી મોરલી, તન ના કીધા ત્રાગ;
જોવા જનમની જોગણી, નીકળ બારો નાગ..(૨૨)

હે નાગ ! મેં મનની મોરલી બનાવી. શરીરને તારનું વાજિંત્ર બનાવ્યું. હું જોગણ બની છું : એવો મારો જોગણવેશ જોવા તું બહાર તો નીકળ

વગાડું છત્રીસ રાગ, કાંધે જંતરડું કરી;
નીકળ બા’રો નાગ ! વેશ જોવા વાદણ તણો. (૨૩)

હે નાગ ! ખભા ઉપર જંતર (બીન) ઉઠવીને હું છત્રીશ રાગિણીઓ બજાવી રહી છે. હું વાદણનો વેશ કેવો ભજવી રહી છું તે જોવા તો બહાર નીકળ !] શું તું મારાથી ફરી બેઠો છે ? જાતવંત હોય તે શું બદલે કદી?

નવ કુળ માયલો નાગ, ફણ્ય માંડી પાછો ફરે,
જાય ભાગ્યો જળસાપ, નોળી વાટે નાગડા !(૨૪)

ઓ નાગ ! વાદી પકડશે એવા ડરથી વિમુખ થઈને ચાલ્યો જનારો સાપ જો નવ ઊંચી ઓલાદના સાપ માંહેલો કોઈ હોય, તો તો વાદીની મોરલી વાગતાંની વારે જ સંગીત ઉપર આકર્ષાઈ, ફુલાઈ, ફેણ ચડાવી, પાછો વળશે; સંગીતને ખાતર જાન ખોવા પણ તૈયાર થશે. પણ મોરલી સાંભળતાં છતાંય જો એ ભાગી જાય તો સમજવું કે એ કોઈ કુલીન સાપ નહીં, પણ પાણીનો વાસી, દેડકાં જેવાં પામર જળચરો ઉપર જ જીવનારો હલકો સાપ હશે. એ જ રીતે મારી પ્રેમ-મોરલી ઉપર તું ન આકર્ષાય તો તને હું સાચો પ્રેમીજન નહીં, પણ પામર મોડાસક્ત મનુષ્ય માની લઈશ.

પણ નાગ તો નથી જ જાગતો. નથી જવાબ દેતો. એ તો મુડદું સૂતું છે. અણજાણ નાગમદેનું દિલ દુભાય છે:

નવ કુળનો નૈ નાગ, ભારી) વિનતિયે ય વળ્યો નહીં,
સેલી નીકળ્યો સાપ, પાણીમાં પાસું દઈ.(૨૫)

ના, ના, આ ઊંચા કુળનો જાતવંત નાગ હોય; મારી આજીજી પર પણ પાછો ન વળનારો આ તો પાણીનો સાપ; પાણીમાં ડૂબકી દઈને સરી ગયો.

એમ મેણાં મારતાં તો પરોઢ થયું. ચંદ્ર આથમ્યો:

વાળા ! જોતાં વાટ, નખતરપતિ નમી ગયો; અં
તર થાય ઉચાટ, નરખું ક્યાં જઈ, નાગડા ! (૨૬)

(હે નાગ વાળા! તારી વાટ જોતા તો નક્ષત્રનો નાથ ચંદ્ર પણ આથમી ગયો,અંતરમાં ઉચાટ થાય છે તને ક્યાં જઇ નિહાળુ?)

કદાચ આ દેવાલય મા સુતો છે એ નાગ નહિ હોઇ, નાગ તો હજુ આવવાનો હશે, ચાલ્યો આવતો હશેઃ

દિ’ ઊગ્યે દેવળ ચડું, જોઉં વાળા વાટ,
કાળજ મા ઠાગા કરે, નાડ્યુ માં વાળો નાગ. (૨૭)

(દિવસ ઉગ્યો. હુ દેવાલય ના ઘુમ્મટ પર ચડીને જોઉં છુ કે આઘે આઘે ક્યાંય નાગ આવતો દેખાય છે! મારા કલેજા અને મારી નસો મા વ્હાલો નાગ ઘા કરી રહ્યો છે)

(પ્રભાત ના અજવાળામાં સાચા બનાવની જાણ થઇ, અંદર જાય છે.મૃતદેહનુ માથુ ખોળામાં લઇ વિલાપ કરે છે)

તમે પાણી અમે પાળ્ય,આઠે પો’રે અટકતા
તેદુની ટાઢાળ્ય; વરવું વાળા નાગને.(૨૮)

(રે વહાલા પ્રેમરૂપી જળાશયમાં તું પાણી સ્વરૂપ હતો. હું કિનારારૂપ હતી. નિરંતર તુ ને હુ એકબીજા ને અફળાઇ,ગાઢ શીતળતા અનુભવતાં, એટલે હવે તો તને જ વરવું રહ્યું)

સવારે સૌ કોય મોકાણે આવે મલક,
(પણ) રાત્ય ન રોવે કોય, નાંધુ વણની નાગડા! (૨૯)

હે નાગ સવારે તો સહુ કોઇ સગા – આખો મુલક વિલાપ કરવા આવે. પણ પ્રિયતમના શબ ઉપર સારી રાત સાચી પ્રિયતમા સિવાય બીજું કોણ રીવા બેસે? હું આખી રાત રડી છુ.

અંગર-ચંદણનાં રૂખડાં, ચોકમાં ખડકું ચ્હે!
હું કારણ નાગડો મૂવો (હવે) બળશુ અમે બે. (૩૦)

( ઓ દુનિયાનાં લોકો ! અગરચંદનનાં કાષ્ઠ મંગાવીને ભરચૌટામાં અમારી ચિતા ખડકો. મારે કારણ નાગ મર્યો છે, માટે અમે બે જણ હવે ભેગા જ બળીશુ.)

આભામંડળ વીજળી, ધરતીમંડળ મે,
નરાંમંડળ નાગડો, (એમ) અસ્ત્રીમાં આલણદે. ૩૧

(આભમાં જેમ વીજળી શ્રેષ્ઠ, પુરુષમાં નાગ સુંદર, તેમ સ્ત્રીઓમાં આલણદે રૂપવંતી પણ નાગ એના રૂપગર્વને તિરસ્કારે છેઃ)

આલણદે ! એંકાર, કાયાનો કરીએં નહીં;
ઘડેલ કાચો ઘાટ, માટીનું જારો મળી. ૩૨

[ઓ આલણદે ! દેહના સૌંદર્યનો અહંકાર ન કરવો ઘટે. કેમ કે એ તો કાચી માટીના ઘડેલા વાસણ સમાન છે. આખરે તોએ માટીમાં જ મળી જશે.]

કથાબીજ -રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી (સોરઠી ગીતકથાઓ)

[નાગવાળા-નાગમતી ની કથા થોડા ઘણા પાંઠતરો સાથે લેખકો દ્વારા રજુ થતી રહિ છે, વાળા રાજપૂત જાગીર ના ઢાંક ગામે નવલકથાકાર સ્વ. વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી ઇતિહાસ ના શોખ માટે રોકાતા, તે વખત ના રાજવી દ.શ્રી દાનસિંહજી એ ડાયરા માં એક દલિત જ્ઞાતીના ગોરને બોલાવેલ ત્યારે તેણે આ કાઠીરાજપૂત નાગવાળાની સુંદર ગીત પ્રધાન કથા રજુ કરી હતી જે તેમણે નોંધપોથી મા ઉતારી લીધી અને તેના વર્ષો વિતી ગયા બાદ એક નવલકથા નુ સર્જન કર્યુ જેનુ નામઃ પ્રેમ નો મારગ શુરાનો’]

error: Content is protected !!