ધૂંધળીનાથ અને સિદ્ધનાથ -સૌરાષ્ટ્રની રસધાર

“તેં દુ’ની વાતું હાલી આવે છે, ભાઇ ! અરધી સાચી ને અરધી ખોટી. હજાર વરસની જૂનિયું વાતું! કોણ જાણે શી બાબત હશે ?”

એટલું બોલીને એ બુઢ્ઢા માલધારીએ દિશાઓને છેડે મીટ માંડી. એક હજાર વર્ષપહેલાંના અક્ષરો વાંચ્યા. થોડુંક હસ્યો. ડાંગને ટેકે ઊભાં ઊભાં એણે ચલમ સળગાવી. એની ધોળી દાઢીમાંથી ધુમાડા નીતરવા લાગ્યા. ગોટેગોટા ઊંચે ચડવા લાગ્યા. મોં મલકાવી એણે કહ્યું:

“ઇ બધું આવું, ભાઇ !આ ધુમાડા જેવું. અમારા સોરઠમાં તો કૈંક ટાઢા પૉ’રના ગપાટા હાલે છે; પણ હું તો ઢાંકને ડુંગરે ડાંગનો ટેકો લઇ ને જ્યારે ચલમ ચેતવું છું, ત્યારે મને ધૂંધળીનાથ-સિદ્ધનાથની જોડી જીવતીજાગતી લાગે છે.હજાર વરસ તો મારી આંખના પલકારા જેટલાં જ બની જાય છે. આ ધૂંવાડાની ફૂંક જેવો ધૂંધળીંનાથ અને આ આગની ઝાળ જેવો હેમવરણો રૂડો સિદ્ધનાથ હાજરાહજૂર લાગે છે.”

“વાત તો કહો !”
‘અરે વાત કેવી ? ઇ તો ટાઢા પો’રના ! બે ઘડી ગપાટા હાંકીને ડોબાં ચારીએ. થોડીક રાત ખૂટે ! આ તો વે’લાંની વાતું, મોઢામોઢ હાલી આવે, એના કંઇ આંકડા થોડા માંડેલ છે ?”
એટલું બોલતાં એની આંખમાં ચલમનો કેફ ચડતો ગયો. આંખના ખૂણા લાલચટક વ્બન્યા, એને ડાંગને ટેકે અજવાળી રાતે વાત માંડી…

ધૂંધળીનાથનું અસલ નામ તો ધૂંધો: જાતનો કોળી. આ વાંસાવડ દીમનો રે’તો. હું પીઉં છું એવી બજરના વાડા વાવતો. જલમ કોળીને પેટ પણ જીવ પરોવાણો દયાદાનમાં. હિંસા નામ ન કરે. વરસોવરસ બજરનાં પડતલ વેચીને જાય ગિરનારને મેળે. નાણું હોય એટલું ગરીબગરબાંને ખવરાવી દ્યે. પાછો આવીને બજર વાવવા માંડે.

ધીરે ધીરે તે ધૂંધો ને ગિરનાર બેય એકાકાર થાવા માંડ્યા. જેવું ધ્યાનતેવું દિલનું ગજું: જેવું અન્ન તેવો ઓડકાર: ધૂંધાનેતો ગિરનારનું જ ધ્યાનરાત ને દી લાગી ગયું. એનો આતમો વધવા માંડ્યો. સંસારની ગાંઠ વછૂટીગઇ. બજરના વાડા ગાયું પાસે ભેળાવીને એ તો ગિરનારમાં ચાલ્યો ગયો.કોઇક ટૂક ઉપર બેસીને ધૂણી ધખાવીતપસ્યા આદરી દીધી. એમ બાર વરસે ગિરનારની ગુફાઓમાંથી ગેબના શબ્દ સંભળાણા કે : “ધૂંધળીનાથ ! ધૂંધળીનાથ !નવ નાથ ભેળો દસમો નાથ તું ધૂંધો.”

‘અહાલેક !’ શબ્દની સાથે ગુરુ દત્તે ધ્યાન ધર્યું અને નવ નાથોનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં તો જોગસિદ્ધ મછેન્દરનાથ, જલંધરનથ, શાંતિનાથ,એવા નવ નાથો ગુરુની સન્મુખ હાજર થઇ ગયા. ગુરુ બોલ્યા:”જોગંદરો, આપણી જમાતમાં આજ નવો સિદ્ધ આવ્યો છે. તમે નવ નાથ ભેળા એ દસમો ધૂંધળીનાથ તમારી પંગતમાં જગમાં પૂજાશે. મારો આશીર્વાદ છે. તમારી ચલમ સાફી એને આપો. “(ગાંજો પીવા માટે ચલમની સાથે લૂગડાનો ટૂકડો રાખવામાં આવે છે તેને ‘સાફી’ કહે છે.)

જોગંદરનાથ બધા ભેળા થાય ત્યારે એક સાફીએ ચલમ પીએ. બીજાને ચલમ આપે.પણ સાફી ન આપે. ધૂંધળીનાથને ચલમ આપી. સાફી આપતાં નવે સિદ્ધો કચવાણા. ગુરુદેવે કારણ પૂછ્યું. નવનાથોએ ખુલાસો કર્યો :”ગુરુદેવ, ધૂંધો નાથ ખરો, પણ એનું દૂધ હલકું છે; એ દૂધ કોક દી એને હાથે કોક કાળો કામ કરાવશે. એટલે ધૂંધળીનાથજી હજી વધારે તપ કરે, વધારે શુદ્ધિ કરે, પછી અમે સાફી આપીએ.”

અને ગુરુ દત્તનો બોલ પડ્યો કે “ધૂંધળીનાથ ! બાર વરસ બીજાં: આબુમાં જઇ ધૂણી પ્રગટો ! જાવ બાપ ! ચોરાસી સિદ્ધને પંગતમાં તમારી વાટ જોવાશે.”

આબુની અવધિ પણ પૂરી થઇ અને તપ કરી ધૂંધળીનાથ પાછા ગુરુ પાસે આવ્યા. ફરી ગુરુએ નવ નાથને હાજર કર્યાં. અને બધાએ સાથે મળી એક સાફીએ ચલમ પીધી.પણ નવેય નાથ અંદરોઅંદર કહેવા લાગ્યા કે :

”આનાથી તપ જીરવાશે નહિ. એ હલકું દૂધ છે;

કોક દી ને કોક દી એ ન કરવાનો કામો કરી બેસશે.”

તેજની જીવતજ્યોત જેવા ધૂંધળીનાથ જગતમાં ઘૂમવા લાગ્યા. ઘૂમતાં ઘૂમતાં અરવલ્લીને ડુંગરે ચિતોડગઢમાં એમનું આવવું થયું.

ચિતોડના રાણાએ ગુરુને ઝાઝાં માન દીધાં.ગુરુના ચરણમાં પડીને રાણો રાતે પાણીએ રોયો. રાણાના અભરભ્ર્યા રાજમાં સવાશેર માટીની ખોટ હતી. મરણ ટાણે બાપની આગ લઇને મોઢા આગળ હાલનારો દીકરો નહોતો.

ધૂંધળીનાથે ધ્યાન ધર્યું. રાણાના ભાગ્યમાં એણે બે દીકરા લખેલા વાંચ્ય; પણ એક જોગી, ને એક સંસારી. એણે કહ્યું:”રાણાજી ! બાર વરસે પાછો આવું છું. બે કુંવર તારે ઘરે રમતા હશે. ગુરુની આજ્ઞા છે કે આમાંથી એક તારો ને એક મારો. તૈયાર રાખજે. તે દી આંસુ પાડવા બેસીશ મા. બાર વરસે પાછો આવું છું.”

બાર વરસને જાતાં શી વાર ? જટાધારી જોગીએ ચિતોડને પાદર અહાલેક જગાવ્યો. એટલે રાજારાણી બેય રાજકુંવરને આંગળીએ લઇબહાર નીકળ્યાં. બેમાંથી એક ઘરાણેલૂગડે ભાંગી પડતો, અને બીજો મેલેઘેલે પહેરવેશે. રાજારાણી કૂડ કરીને તેજીલો દીકરો રાખવા માગતાં હતાં પણ તેજની વિભૂતિ કાંઇ મેલે લૂગડે ઢાંકી રહે ? ને એય ધૂંધળીનાથની નજર બહાર રહે ?મેલાઘેલાને જ જોગીએ ઉપાડી લીધો.બાર વરસનો બાળકો દોટ દઇને ગુરુને કાંડે બાઝી પડ્યો. માતાપિતા નજરે દેખે તેમ એ બાર વરસના બાળકે માથું મૂંડાવી ભગવા પહેરાવ્યાં. ભભૂત ધરી ચાલી નીકળ્યા. રાજારાણી ખોબો ખોબો આંસુ પાડતાં ચિતોડગઢ પાછં વળ્યાં.

ધૂંધળીનાથે ચેલાને સિદ્ધનાથ કરી થાપ્યો. એના કાનમાં ગુરુમંત્ર ફૂંક્યો અને ભેખના પાઠ ભણાવતા ભણાવતા આ આપણે ઊભા છીએ ત્યાં આવી પહોંચ્યા. આ ઢાંક તે દી નહોતું. આંહીં તો પ્રેહપાટણ નગરી હતી. ચેલાઓને ગુરુએ કહ્યું:”બાપ, હું આ ડુંગરમાં બાર વરસની સમાધિ લગાવું છું. તમે સૌ ઘરોઘર ઝોળી ફેરવીને આંહીં સદાવ્રત રખજો. ભૂખ્યાંદુખ્યાં અને અપંગોને પોતાનાં ગણી પાળજો. મારી તપસ્યામાં પુન્યાઇ પૂરજો.” એમ બોલીને ધૂંધળીનાથે આસન વાળ્યું.

વાંસેથી ચેલાઓની કેવી ગતિ થઇ ગઇ ? નગરીમાં ઝોળી ફેરવે, પન કોઇએ ચપટી લોટ ન દીધો. દયામાનનો છાંટોય ન મળે એવાં લોક વસતાં’તાં.પણ સત્તર-અઢાર વરસનો સિદ્ધનાથ તો રાજનું બીજ હતો: સમજુ હતો: એણે એક્કેક ચેલાને એક્કેક કુહાડો પકડાવી કહ્યું કે પહાડમાં લાકડાં વાઢી નગરમાં જઇ ભારીઓ વેચો અને આપમહેનતથી ઉદર ભરો ! જોગીનો ધરમ હરામનું ખાવાનો ન હોય. કોઠામાં જરે નહિ. જાઓ જંગલમાં

બીજો દી, ત્રીજો દી, અને ચોથો દી થતાં તો કુહાડા મેલી-મેલીને બધાચેલાએ મારગ માપ્યા. બાકી રહ્યો એક બાળો સિદ્ધનાથ. રાણાકુળનું બીજ,એમાં ફેર ન પડે. પ્રભાતને પહોર પ્રાગડના દોરા ફૂટ્યા પહેલાં તો આશ્રમ વાળીચોળી, ઝાડવાને પાણી પાઇ, સિદ્ધનાથ વનમાં ઊપડી જાય. સાંજે બળતણની બારી બાંધી શહેરમાં વેચી આવે. નાણું નહિ જેવું નીપજે. તેનો લોટ લે. આખા ગામમાં એક જ ડોશી એવી નીકળી કે જે એને રોટલા ટીપી આપે. એ હતી કુંભારની ડોશી. અઢાર વરસના સુંવાળા રૂપાળા બાળા જોગીને જોઇ ડોશી લળી લળી હેત ઢોળે છે.

આમ બાર વરસ સુધી બાળ સિદ્ધનાથે ભારી ઉપાડી સદાવ્રત ચલાવ્યાં. માથું છોલાઇને જીવાત પડી. સુંવાળી કાયા ખરીને ! કેટલુંક સહેવાય ? દુ:ખ તો ચિત્તોડની મોલાતમાં કોઇદિવસ દીઠું નહોતું. અને આંહીં એના એકલાના ઉપર જ ભાર આવી પડ્યો. સિદ્ધનાથ મૂંગો મૂંગો આ પીડા વેઠતો અનાથની સેવા કર્યે ગયો. બાર વરસે ધૂંધળીનાથનું ધ્યાન પૂરું થયું. આંખો ઉઘાડીને ગુરુએ આશ્રમ નીરખ્યો. આટલા બધા ચેલકામાંથી એક સિદ્ધનાથને જ હાજર દેખ્યો. પૂછ્યું કે બીજા બધા ક્યાં છે ? ચતુર સિદ્ધનાથે મોટું પેટ રાખીને ખોટો જવાબ વાળ્યો; ગુરુંર પટાવી લીધા.

ઘણાં વરસનો થાક્યો સિદ્ધનાથ તે દિવસે બપોરે ઝાડવાને છાંયડે જંપી ગયો છે. શીળા વાતરાની લે’રેલે’રે એની ઉજાગરભરી આંખો મળી ગઇ છે. ગુરુજી ચેલાનાં અઢળક રૂપ નીરખી રહ્ય છે. શિષ્યના રૂડા ભેખ ઉપર અંતર ઠલવાય છે. તે વખતે સિદ્ધનાથે પડખું ફેરવ્યું. માથા ઉપરનું ઓઢણ સરી પડ્યું. માથે એક માખી બેઠી. ગુરુને વહેમ આવ્યો. પાસે જઇને જોયું, માથામાં ખોબો મીઠું સમાય એવડું ઘારું પડ્યું છે. ગંધ વછૂટે છે.

“કાંઇ નહિ, બાપુ ! ગૂમડું થયું છે.” સમદરપેટા સિદ્ધનાથે સાચું ન કહ્યું.

“સિદ્ધનાથ !” ગુરુની ભ્રૂકુટિ ચડી: “જોગ પહેર્યો છે એ ભૂલીશ મા.અસતથી તારી જીભ તૂટી પડશે. બોલ સાચું, ગુરુદુહાઇ છે.”

સિદ્ધનાથ ધીરો રહીને વાતો કહેતો ગયો. તેમ તેમ ધૂંધળીનાથની આંખમાંથી ધુમાડા છૂટતા ગયા. તપસીનું અંતર ખદખદી ઊઠ્યું. અડતાળીસ

વરસની તપસ્યાનો ઢગલો સળગીને ભડકા નાખતો હોય તેવું રૂપ બંધાઇ ગયું. હૈયામાંથી ‘હાય !હાય !’એમ હાહાકાર નીકળી આભને અડવા માંડ્યા: ‘અરે હાય હાય ! જગતનાં માનવી ! દયા પરવારી રહ્યાં ! મારો બાલ સિદ્ધનાથ માથાની મૂંડમાં કીડા પડે ત્યાં સુધીયે ભારિયું ખેંચે ! અને મારી તપસ્યા ! ભડકે ભડકે પ્રલેકાર મચાવીદઉં ! મારે તપસ્યાને શું કરવી છે ! સિદ્ધનાથ !બચ્ચા ! દોડ, ઓલી કુંભારણને ચેતાવ. માંડ ભાગવા. પાછું વાળીને ન જોવે હો : આજ હું પ્રેહપાટણને પલટાવું છું.”

એટલું કહેતાં તો આશ્રમ કાંપ્યો. ઝાડવાં ધૂણ્યાં. અને ત્રાહિ !ત્રાહિ ! પોકારતો સિદ્ધનાથ હાથ જોડીને કરગરે છે કે “ગુરુદેવ !ગુરુદેવ ! તપસ્યનાં પુણ્ય એમ નથી ખોવાં. અરે બાપુ! માનવીઓ તો બધાંય માટીનાં. એનાં પેટ છીછરાં જ હોય. એની સામું ન જોવાય. આપણા ભેખ સામે જુઓ.ગજબ કરો મા! લાખ્ખોની હત્યા, નિસાસા, કલ્પાંત: કેમ જોયાં ને સાંભળ્યાં જાશે, ગુરુદેવ ?”

પણ ગુરુ વાર્યા ન રહ્યા. તપસ્યાને મંડ્યા હોમવા. હાથમાં ખપ્પર ઉપાડ્યું:ધરતી રોતી હોય એવું ધીરું ધણેણવા લાગી. ડુંગર ડોલ્યા.દિશાના પડદા ફાડીને પવન વછૂટવા લાગ્યા. છેલ્લી વાર ગુરુએ કહ્યું:”સિદ્ધનાથ ! હવે કમાનમાંથી તીર છૂટે છે. દોડ; દોડ, કુંભારણને ચેતાવ, માંડે ભાગવા, પાછું ન જુએ, નહિ તો સૂકાં ભેળાં લીલાંય બળશે, બચ્ચા !”

સિદ્ધનાથે દોટ દીધી, પોતાને રોજ રોટલા ઘડી દેનારી માડીને ચેતાવી, છોકરાંને આંગળીએ લઇ ડોસી ભાગે છે, અને આંહીં પાછળ ધૂંધવાયેલો ધૂંધળીનાથ હાથમાં ખપ્પર ઉપાડી પોતાની તમામ તપસ્યાને પોકારે છે :”ઓ ધરતી મૈયા !

પટ્ટણ સો દટ્ટણ ! અને માયા, સો મિટ્ટી !”

એમ પોકારીને એણે ખપ્પર ઊંધું વાળ્યું. વાળતાં જ વાયરા વછૂટ્યા, આંધી ચડી, વાદળાં તૂટી પડ્યાં. મોટા પહાડ મૂળમાંથી ઊપડી-ઊપડીને ઊંધા પટકાણા. પ્રેહપાટણ નગરી જીવતજાગત પૃથ્વીના પેટાળમાં દટાઇ ગઇ.એક પ્રેહપાટણ નહિ, પણ એવાં ચોરાસી પાટણ તે દી ધૂંધળીનાથે પોતાના ખપ્પર હેઠ ઢાંક્યાં અને એના મહાકંપમાં માયા તમામ મિટ્ટી બનીને ગારદ થઇ ગઇ.

ઓલી કુંભારણ જાતી હતી ભાગતી, પણ સીમાડે જાતાં એની ધીરજ ખૂટી. પ્રલયની ચીસો સાંભળીને એણે પાછળ જોયું. મા ને છોકરાં ત્યાં ને ત્યાં પાણકા બની ગયાં. એ હજી ઊભાં, ઢાંકને સીમાડે !

આવું મહાપાપ કરનાર એ જોગીને માટે આબુ અને ગિરનાર માથે પણ હાહાકાર બોલીગયો. નવ નાથ અને ચોરાસી સિદ્ધોએ અવાજ દીધો કે “આજથી એની ચલમસાફી બંધ કરો !” કંઇક વર્ષોની કમાણી વેચીને ધૂંધળીનાથ સમાધિમાં બેઠો. સિદ્ધિઓ વિના એ-નો એ રાંક ધૂંધો કોળી થઇ ગયો. “ભાઇ ! ગમે તેવો તોય કોળીનું દૂધ ના ?”

આં અહીં બાળા જોગી સિદ્ધનાથનું શું બન્યું? ડુંગરે ઊભીને એણે પ્રેહપાટણ દટાતું દીઠું. દટ્ટણ પૂરું થયા પછી એનો જીવ જંપ્યો નહિ. ગુરુએ કરેલા કાળા કામનું પ્રાછત શી રીતે થાયએ વિચારે એને ત્યાંથી ખસવા દીધો નહિ. અરેરે !ઘડી પહેલાં જ્યાં હજારો નરનારી ને નાનાં છોકરાં કલ્લોલ કરતાં હતાં ત્યાં અત્યારે કોઇ હોંકારો દેવા પણ હાજર નહિ? હું સિદ્ધનાથ: ગુરુએ ઉથાપ્યું તે હું થાપું તો જ મારી સિદ્ધિ સાચી. કોઇક આ નગરીનો અધિકારી આવશે. હું વાટ જોઇશ, મારાં તપ સંઘરીશ:ને એવું વિચારીને એ કંકુવરણા બાળાજોગીએ આસન ભીડ્યું. નાશ પામેલા એ થાનક ઉપર એનાં નેત્રોની અમૃતધારાઓ છંટાવા લાગી, બળેલું હતું તે બધું તેના પુણ્યને નીરે ઠરવા લાગ્યું.

એ…દિવસ સાંજ નમતી હતી. ઓછાયા લાંબા થયા હતા. પ્રેહપાટણનું ખંડેર ખાવા ધાતું. એમાં બે જીવતાં માનવી ભટકે છે.ધૂળ ઉખેળી ઉખેળી ગોતે છે.અંદર ઊંધા વળી ગયેલાં પાણિયારાં, ખારણિયા ને મિટ્ટી થઇ ગયેલ ધાતુનાં વાસણો નીરખે છે. માને ધાવતાં બચ્ચાંનાં મડદાં એમ ને એમ જામી ગયેલાં જુએ છે. જોઇ જોઇને બેય માનવી રોવે છે. જોગી સિદ્ધનાથે બેયને જોયાં,બોલાવ્યાં, પૂછ્યું:”કોણ છો?”

“આ અભાગી નગરીની હું રાજરાણી. આ મારો બેટો નાગજણ જેઠવો.”

“કેમ કરીને બચી નીકળ્યાં ?”

“રાજાથી રિસામણે હું મારે પિયર તળાજે ગયેલી. કુંવર મારી ભેળો હ્તો.”

“બચ્ચા નાગજણ !હું તારી જ વાત જોતો હતો. તું આવ્યો, બાપ? મારી દુવા છે તને કે :

જેસો લંકેશ તેસો ઢંકેશ,
દુશ્મન માર વસાવ દેશ.

[જેવો લંકાનો સ્વામી રાવણ હતો તેવો જ તું આ ઢંક—આ ઢંકાયેલી નગરીનો સ્વામી બનીશ. તારી ઢંક(ઢાંક)લંકા નગરીને તોલે આવશે. માટે, બેટા, ફરી વાર આંહીં આપણે નગર વસાવીએ.]

ઢંકાયેલા પ્રેહપાટણને ટીંબે નવું નગર બંધાવા લાગ્યું. ઢાંકે તો બીજાં નગરોને પોતાની રિદ્ધિસિદ્ધિમાં ઢાંકી દીધાં. સિદ્ધનાથે પોતાની કરણીના જોરે વસ્તીની વેલડી કોળાવી મૂકી. નાગાજણ ચેલો અને સિદ્ધનાથ ગુરુ: બે જણાની જોડલીએ બળેલી વાડીને સજીવન કરી. ઓલ્યોય જોગી અને આય જોગી, પણ બેમાં કેટલું અંતર! ગુરુના મહાદોહ્યલા દંડ ભરતો ભરતો જુવાન જોગી રાજી થાતો હતો. પોતાનું જીવ્યું એને લેખે લાગતું હતું. દુનિયામાં સંહાર સહેલો છે; સરજવું દોહ્યલું છે, બાપ ! સિદ્ધનાથએ સરજી જાણ્યું.

પણ કાળનો આવવો છે ના ! એક દી નાગાજણ જેઠવે આવીને હાથ જોડ્યા.

“કેમ, બચ્ચા ?” જોગીએ પૂછ્યું.

“શી”

“આપે કહેલું કે જેસો લંકેશ તેસો ઢંકેશ !”

“હા.”

“તો બસ, મારી ઢાંક લંકા સરખી સોનાની બની જાય એટલું કરી આપો.”

“નાગાજણ !” ગુરુએ નિસાસો નાખ્યો :”એવો અરથ લીધો ?આ સમૃદ્ધિ ઓછી લાગી, તે સોને લોભાણા, રાજ ?”

“આપનું વેણ છે.”

“વેણેવેણ સાચું કરવું છે ?”

“હા.”

“તો પછી ઢાંકની ગતિ પૂરેપૂરી લંકા સરખી સમજજે, રાજા ! સોનાની લંકા રોળાણી હતી.”

“ફિકર નહિ.”

“તને ભાગ્ય ભુલાવે છે, રાજા ! પણ ખેર, હવે પૂરું કરીશ. નાગાજણ !ઉગમણું મુંગીપુર પાટણ છે. ત્યાંનો રાજા શારવણ(શાલિવાહન) ગોહિલ: એને ઘેર સોનદેવ સતી : એ જોગમાયા આવીને જેટલી ગાર કરે, એટલું સોનું થઇ જાય, બોલાવું?”

“બોલાવો.”

“અધર્મ નહિ કર્ય ને ?”

“મા-જણી બોન માનીશ.”

“શાલિવાહન સાથે વેર પાલવશે ?”

“રે ગુરુદેવ !હું નાગાજણ: હું જેઠવો :ઝૂઝી જાણું છું.”

પછી તો સિદ્ધનાથે તપોબળ છોડ્યાં. મુંગીપુરને મહેલેથી સતી સોનરાણીનો પલંગ રાતમાં ઢાંકને ગઢે ઊતર્યો. સતી જાગી, જોગી આઘેરો ઊભો રહ્યો. નાગાજણે હાથ જોડ્યા: “બોન, મને તારો મા-જણ્યો ભાઇ માનજે.

અધરમ કાજે નથી આણી તને. મારી ઢાંક સોનાની કરવી છે, તું જોગમાયાને હાથે જરા પોતું ફેરવાવવું છે. મારે કોટકાંગરે તારા હાથ ફેરવ, બાપ !”

રોજ બોલાવે. રોજ ઓળીપો કરાવે,પાછી પહોંચાડે. છેલ્લે દિવસે નાગાજણ હાથ જોડીને ઊભો રહ્યો:”બોન, કંઇક કાપડાની કોર માગી લે.”

“ટાણે માગીશ, ભાઇ !”

કહીને રાણી ચાલી ગઇ. આખી વાત રાજા શાલિવાહનને કહી. રાજા રૂઠ્યો. રૂઠેલ રાજાએ સોરઠની ભોમ ઉપર સેન હાંક્યાં. કોઇ કહે કે એ તો શાલિવાહન :એટલે કે શાળને દાણે દાણે એકેક ઘોડેસવાર ઊઠે એવો મંત્ર જાણનારો. કોથળા ને કોથળા શાળ ભરીને રાજા નાગાજણને દંડવા હાલ્યા આવે છે.

આંહીં તો ઢાંક લંકા જેવા ઝગરા કરે છે. છત્રીસ-છત્રીસ તો એના કનકકોટ શોભે છે. ગુરુ સિદ્ધનાથ એ અક્કેક કોઠા ઉપર નાગાજણને લઇને ચડતો ગયો. ચડીચડીને એણે આગમ ભાખ્યાં. જુગજુગની ભવિષ્યવાણી કાઢી, ક્યારે શું શું બનશે, જેઠવા કુળની કેવી ચડતીપડતી થાશે એનો કાળલેખ ઉકેલી-ઉકેલી સિદ્ધનાથે કહી સંભળાવ્યા. પછી રજા માગી.

“નાગાજણ !હવે તો મને રજા દે, બચ્ચા ! ગુરુ મારે કારણે મહાપાપ આદર્યું. એણે તપ વેચીને હત્યા બોલાવી. એ બધા મેલ ધોઇને હું હવે મારે માર્ગે જાઉં છું. અમારા પંથ અઘોર છે,બાપ !તારી સન્મતિ થાજો ! તારો કાળ ચાલ્યો આવે છે. પણ તું સતનો પંથ ચૂકીશ મા ! બાકી તો તેં જીવી જાણ્યું. તને મોતનો ભો શો રહ્યો છે ?”

જુવાન સિદ્ધનાથ માર્ગે પડ્યા. એક તો ક્ષત્રી અને વળી ચિતોડગઢનું કુળ; તેમાં ભળ્યાં જોગનાં તેજ:વીરભદ્ર જેવો એ મહાજતિ મોકળી લટે અહાલેક !અહાલેક ! બોલતો, દુનિયાને જગાડતો, કોઇ અંધારી ગુફામાં ચાલ્યો ગયો.

નાગાજણનો કાળ નજીક ને નજીક આવતો જાય છે. શાલિવાહનની સમશેરો ઝબકે છે. કનકકોટે ચડીને રાજા મરણિયો થઇને બેસી રહ્યો.

શાલિવાહનની ફોજે ઢાંક ફરતાં દેરાતંબૂ તાણી લીધા. કોટ ઉપર મારો ચલાવવા માંડ્યો. પણ જોગીનો દીધેલ ગઢ તૂટતો નહી; એક શિલા પણ ચસ દેતી નથી.

“કોઇ નાગાજણનું મસ્તક લાવી આપે ? હું એ એક માથું લઇને પાછો જાઉં.”શાલિવાહન રાજાએ સાદ પાડ્યો.

એક ચારણને કુમત્ય સૂઝી, એણે હોકારો દીધો. ચારન ઢાંક નગરમાં ચાલ્યો. આગલા સમયમાં તો ચાહે તેવી લડાઇઓ ચાલતી હોય તોય ચારન, ફકીર કે સાધુને કોઇ અટકાવતું નહોતું. ચારણ શત્રુપક્ષનો, તોપણ એ તો ચારણ: એનો એવો ભરોસો, ભરોસે ભૂલીને દરવાને નગરમાં આવવા દીધો.

અને કાળમુખા ચારણે જઇને નાગાજણના દસોંદીને જગાડ્યો.”આવી જા, સોગઠે રમીએ. હોડમાં પોતપોતાના રાજાનું માથું મેલીએ.”

તે દિવસે તો, ભાઇ! રાજાનાં માથાં અને માન પણ ચારણને જ હાથ સચવાતાં ખરાં ને ! કમતિયા દસોંદીએ ચોપાટમાં નાગાજનનું શીશ માંડ્યું. શાલિવાહનના કૂડિયા ચારણે કૂડના પાસા ઢાળ્યા, મનમાન્યા દાવ આણ્યા, જીત્યો, માટી થયો. કહે કે “લાવ તારા રાજાનું માથું.”

દસોંદી શું મોં લઇને જાત! પણ નાગાજણને કાને વાત પહોંચી અને લલકારી ઊઠ્યો:”અરે, મારો દસોંદી ! એનાં વેણ માથી તો મારી આંટ ચાલે. હજારો લાલચો વચ્ચેય એનું પાણી ન મરે. એના ખોળામાં ક્ષત્રી માથું મેલીને નિર્ભય બની સૂઇ જાય; બોલાવો એ ચારણને.”

દસોંદી કાંપતે પગે નીચી મૂંડી ઘાલીને રાજાની પાસે આવી ઊભો રહ્યો. પણ નાગાજણની આંખમાં એને ન દેખ્યો ક્રોધ કે મોં ઉપર ન દીઠો ઉદ્વેગ. એના હોઠ તો ચારણ સામું મરક મરક હસતા હતા. એની પછવાડે શાલિવાહન રાજાનો ચારણ પણ આવી ઊભો. સોનાની થાળી મંગાવી રાજાએ ચારણને હાથમાં દીધી.”આજ મને રૂડો કરી દેખાડ્યો, ચારણ! તું મારું માથું હોડમાં હાર્યો ન હોત તો હું ગધ બારો ન નીકળત અને જગત મારું જુદ્ધ જોવા ન પામત. અને હવે ?”દુશ્મન રાજાના દસોંદી તરફ નજર કરી નાગાજણ બોલ્યો:”હવે તો માથા વગરનું ધડ ઉલ્કાપાત માંડશે. ચારણ! આ માથું લઇને તારા રાજાને આપજે અને કહેજે કે નાગાજણના ધડ સામે મરદ હો તો ઝૂઝજે અને તારી જોગમાયા રાણીમાને—મારી બોનને—કહેજે ભાઇનું જુદ્ધ જોવા બહાર નીકળે.”

એટલું બોલીને નાગાજણે તરવારનો ઘસરકો દીધો. માથું જઇ પદ્યું થાળીમાં. લઇને દસોંદીએ દુશ્મનના ચારણને દીધું. ચારણે દોટ દીધી. દરવાજા બહાર નીકળી ગયો.

આંહીં નાગાજણનું કબંધ(ધડ) ઊઠ્યું. બે હાથમાં બે સમશેરો લીધી, અને મસ્તક વિના માર્ગે ચાલ્યું. ઉપર રગતની શેડ્યો ફૂટતી આવે છે :માથે જાને રાતી કલગિયું રમે છે અને છાતીએ જાણે બે આંખો ફૂટી છે.

વીર ચાલ્યો, તરવારો વીંઝી, શાલિવાહનના સૈન્યમાં ત્રાટક્યો. ઘૂમવા લાગ્યો. શત્રુઓનાં માથાં છેદાવા લાગ્યાં, સૈન્ય ભાગ્યું.રાજા ભાગ્યો, પાછળ કબંધે દોટ દીધી શાલિવાહનનો કાળ આવી પહોંચ્યો, ઉગાર નહોતો.

એવી અણીને સમયે સોન રાણી નીકળી. રસ્તો રૂંધીને આડી ઊભી રહી. પાલવ પાથર્યો. તરવાર વીંઝતું કબંધ જાણે બહેનને દીઠી હોય તેમ થંભી ગયું. તરવાર ઢાળી દીધી અને હાથ જાણે કંઇ આપવા જતો હોય એમ ઊંચો ગયો. જાણે કબંધ પૂછે છે કે :”બોન, માગી લે.”

“વીરા મારા ! તે દી વેણ દીધું’તું કે કાપડની કોર આપીશ. આજ માગું છું કે મારા ચૂડાને કારણે તારાં શૂરાતન શમાવી લે, ભાઇ !”

શબ્દ સાંભળીને ધડ ટાઢું પડ્યું. સમશેરો ભોંય પર મેલી ઢળી ગયું.

હજારો લાશો રગદોળાઇ રહી હતી એવા રણથળમાં સમી સાંજે ગુરુ સિદ્ધનાથ દેખાણા, અને નાગાજણના શબ પાસે બેસીને જોગંદરે આંસુડાં તપકાવ્યાં. ત્યાં ને ત્યાં એણે સમાધિ લીધી.

“આવાં અમારાં માલધારિયુંનાં ગપ્પાં, ભાઇ! મોરુકી વાતું હાલી આવે છે. અમે તો રાતને ટાઢે પો’રે ડોબાં ચારીએ અને આવા ગપગોળા હાંકીને રાત વિતાડીએ.”

એટલું બોલીને એ બુઢ્ઢો માલધારી પાછી ચલમ પેટાવી ધુમાડાના ગોટા કાઢવા લાગ્યો, અને લાલ લાલ આંખે મીત માંડી રહ્યો. ધરતીની સીમાડા ઉપર કોઇ જોગીના જટાજૂટની લટો જેવી વાદળીઓ ઝૂલતી હતી. ઊગતો સૂરજ, કોઇ અબધૂતની લાલઘૂમ આંખ રોતી રોતી બિડાતી હોય એવો, વાદળીએ વીંટાતો હતો.

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સૌરાષ્ટ્રની રસધાર માંથી લેવામાં આવેલ છે.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– એક તેતરને કારણે – સૌરાષ્ટ્રની રસધાર

– આહીર યુગલના કોલ – સૌરાષ્ટ્રની રસધાર

– સાંઈ નેહડી – સૌરાષ્ટ્રની રસધાર

– સિંહનું દાન – સૌરાષ્ટ્રની રસધાર

– દુશ્મનોની ખાનદાની – સૌરાષ્ટ્રની રસધાર

– આનું નામ તે ધણી- સૌરાષ્ટ્રની રસધાર

– એક અબળાને કારણે – સૌરાષ્ટ્રની રસધાર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!