ગુજરાતનું અદભુત અને ઐતિહાસિક નગર વાંકાનેર 

ગુજરાતમાં જો સૌથી વધારે ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો આવેલાં હોય તો તે સૌરાષ્ટ્રમાં જ આવેલાં છે. સૌરાષ્ટ્રમાં જ કિલ્લાઓ અને મહેલો એની અદભૂતતા અને નૈસર્ગિકતાને લીધે લોકોને આકર્ષે છે. સોરઠી સાહિત્યે એમાંના મન ભરીને વખાણ કર્યા છે અને ગુણગાન ગાયાં છે. આમાં સાહિત્ય ક્ષેત્રે શ્રી ઝવેરચંદ મેઘણી અને લોક સાહિત્યમાં લોકગીતો અને લોકકથાઓ રૂપે કૃતિઓમાં સચવાયેલા છે. જે આજે પણ સ્થળની યાશોગાથા અને વિરલાઓની વીરતા આપણને યાદ હંમેશા અપાવતી જ રહે છે. આવુજ એક ઐતિહાસિક સ્થળ છે. ——- વાંકાનેર !!! વાંકાનેર એક આલીશાન રજવાડું પણ છે જ !!!

વાંકાનેર શબ્દ નગરના ભૌગોલીક સ્થાન પરથી આવ્યો છે. તે મચ્છુ નદીના તીરે વર્તુળાકાર વળાંક પર આવેલું છે, એટલે જ તેનું નામ વાંકાનેર પડ્યું છે. ‘ વાંકા’ એટલે કે ‘વળાંક’ અને ‘નેર’ એટલે નદી. અહીં ઝાલા રાજપૂત શાસકોનું વર્ચસ્વ હોવાથી વાંકાનેર સૌરાષ્ટ્રના ઝાલવાડ કહેવાતા વિસ્તારનો એક ભાગ હતું. મહારાજા અમરસિંહજી ત્યાંના શાસક હતા, જેમના કાળખંડમાં વાંકાનેર એક વ્યવસ્થિત અને વિકાસશીલ રાજ્ય બન્યું અને ત્યાં કળા અને શિલ્પના મહાન સંરક્ષક હતા.

ઈ.સ. ૧૬૦૫માં વાંકાનેરની સ્થાપના સરતાનજીએ કરી હતી. અહીંયા ૧૮ સદીમાં કિલ્લેબંધી કરવામાં આવી હતી જેથી કરીને દુશ્મનો અને લુંટારાઓ તેની પર હુમલો ન કરી શકે. વાંકાનેર પર રાજવી અમરસિંહજીએ 1947 સુધી રાજ્ય કર્યું હતું. તેમણે આ નગરને સમૃદ્ધ બનાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે પાંચ મહેલ અને કેટલીક હવેલીઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મહેલોનું કચ્છ, જામનગર, રાજકોટના રાજવીઓને નામે નામકરણ કરાયું હતુ. અમરસિંહજીએ વાંકાનેર સાનિધ્યમાં રણજીત વિલાસ મહેલનું નિર્માણ કરાવ્યુ હતું અને આ મહેલની રચના તેમણે જાતે કરી.

મહેલનું ઉદઘાટન તેમના પરમ મિત્ર જામનગરના રણજીતસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહેલનું મેદાન ૨૨૫ એકરમાં ફેલાયેલ છે. મહેલની મધ્યમાં સાત માળના ઘડિયાળ ટાવર અને પાંચ માળના વિશાળ બરૂજો તથા અષ્ટકોણીત છત્રીઓ જોવાલાયક છે. આ મહેલની વિશેષતા એ છે કે મહેલની સ્ત્રીઓ પુરૂષોને જોઈ ન શકે તેવી ચડી-ઉતેરી શકે તેવી ડબલ સીડીઓ બનાવેલી છે.

ગુજરાતની અંદર સૌથી છેલ્લી બંધાયેલી વાવ પણ વાંકાનેરમાં જ છે. અહીયા રોયલ ઓઆસીસ મહેલમાં ત્રણ માળની વાવ આવેલી છે. તેની અંદર આરસથી બનાવેલ ઓરડાઓ અને સુંદર શિલ્પો અને ફુવારા છે.

રણજીત વિલાસ પેલેસ  ———-

ઇ.સ. ૧૯૦૦ માં અમરસિંહજી દ્વારા શરૂ કરવામાં આવેલ મહેલ રણજીત વિલાસ પેલેસનું નિર્માણ ઇ.સ. ૧૯૦૭ માં પૂર્ણ થયેલું. તે ટેકરી પર આવેલું છે. તેના પરથી જોતા સંપૂર્ણ વાંકાનેર શહેર જોવા મળે છે. તેનું નામ અમરસિંહજી ના ખાસ મિત્ર જામનગરના શાસક જામ રણજીતસિંહ પરથી પાડવામાં આવેલું. આ મહેલ ૨૨૫ એકરમાં ફેલાયેલો છે. અહીં રાજ્ય અતિથિગૃહ ચેર ભવન પણ આવેલ છે.

આ મહેલ ઉત્‍કૃષ્‍ટ સ્‍થાપત્‍યનો નમૂનો છે. તેનું નિર્માણ આગળ અને પાછળના દ્રશ્‍યોને જોઇને કરવામાં આવ્‍યું છે. આ મહેલ શહેરના મુખ્‍ય આકર્ષણનું કેન્‍દ્ર છે. તેની છત સુંદર શિલ્‍પો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. તેનો વિકાસ શહેરના કેન્‍દ્રમાં રહે તે રીતે કરવામાં આવ્‍યો છે. સાત ઘડિયાળ ટાવર ડોમ દ્વારા અને તેમાં પાંચ સૌથી ઉંચી ટાવર બનાવીને તેને ષટકોણ આકાર આપવામાં આવ્‍યો છે. જે છત્રીનું ચિત્ર ઉપસાવે છે. મહેલ દ્વાર જે શિલ્‍પકલાનો ઉત્‍કૃષ્‍ટ નમૂનો છે. મહેલમાં ડચ, ઇટાલીયન, યુરોપીય શૈલીનો પ્રભાવ જોવા મળે છે.

રણજીત વિલાસ મહેલમાં યાદગાર તલવારો, ભાલાઓ, યુદ્ધના સાધનો, ૯૫ જાતના પ્રાણીઓ, પિસ્‍તોલો, ચાંદી, છાતીનું રક્ષક, પથ્‍થરો, કવિતાઓ, ચિત્રો વગેરે મૂકવામાં આવેલ છે. મહેલને સુંદર મુર્તિઓ, કોતરણીઓ દ્વારા સજાવવામાં આવેલ છે. અહીંનું અવિશિષ્‍ટ સ્‍થાપત્‍ય સૌ કોઇને મંત્ર મુગ્‍ધ કરી દે છે. મહેલના ગેરેજમાં કેટલીક વિન્‍ટેજ કારો જેવી કે ૧૯૨૧ રૉલ્‍સ રોય, સિલ્‍વર ઘોસ્‍ટ, કેટલીક અમેરિકન કારો આવેલ છે.

રણજીત વિલાસ મહેલના મહારાજા અમરસિંહજીએ બનાવ્યું હતું જે આજની તારીખમાં શાહી પરિવારને અધિકૃત છે. આ મહેલમાં અનેક પ્રકારના શિલ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગોથિક મેહરાબ અને સ્તંભ, સંગેમરમરની બાલકની, મોગલ ડોમવાળુ ક્લોક ટાવર, ફ્રાંસી અને ઇટાલિયન સ્ટાઇલની બારીના કાંચ એ જણાવવા માટે પૂરતા છે કે કેવી રીતે વિશ્વના અનેક સ્થળોની શાનદાર સ્ટાઇલને એકસાથે એક સ્થળ પર લાવી શકાય છે.

આ મહેલમાં દુર્લભ વાહનોનું કલેક્શન પણ છે. રોયલ ઓએસિસ મહારાજાનો ગરમીઓના દિવસનો મહેલ હતો. તે મચ્છુ નદી પાસે સ્થિત છે અને તેની અંદર એક પુલ પણ છે, જેને આર્ટ ડેકો સ્ટાઇલમાં સજાવવામાં આવ્યો છે. રોયલ રેસિડેન્સી અને રોયલ ઓએસિસ બન્નેને પરંપરાગત હોટલમાં બદલી નાંખવામાં આવ્યા છે અને તે ગુજરાત સરકારને આધીન છે. વાંકાનેરની આ હસ્તશિલ્પ રાજપરિવારની ધૂમ અને ભવ્યતાને દર્શાવે છે.

મહેલ, વાંકાનેરમાં એક ટેકરી પર આવેલો છે. મહેલ પર વોચ ટાવર છે. મહેલનો ઘુમ્મટ મુગલ શૈલીનો, બારીઓ વિક્ટોરિયન પ્રકારની અને આગળનો ફુવારો ઇટાલિયન સ્ટાઈલનો છે. મહેલ બનાવવામાં દુનિયાની ઉત્કૃષ્ટ ચીજોનો ઉપયોગ થયેલો છે. ફર્નીચર માટે બર્માનું લાકડું, અને બેલ્જીયમના કાચ વાપર્યા છે. મહેલનો દીવાનખંડ ખૂબ ભવ્ય છે. મહેલમાં વિશાળ કમાનો અને ઝરૂખાઓ છે. અહીં રાખેલ પ્રદર્શનમાં રાજવીઓની ઘણી એન્ટીક ચીજો મૂકેલી છે. તેમાં તલવાર, ભાલા, ઢાલ અને બખ્તરો છે, મસાલા ભરીને સાચવેલાં પ્રાણીઓનાં શરીરો છે તથા રાજાઓનાં પોર્ટ્રેઇટ ચિત્રો છે. અહીં કાઠીયાવાડી ઘોડાઓનો તબેલો પણ છે. બહાર બગીચા, વાડી અને ત્રણ માળ ઉંડી વાવ છે. ફિલ્મોના શુટિંગ માટેનું આ આદર્શ સ્થળ છે

હાલ રાજાના વારસદારો આ મહેલની દેખભાળ કરે છે. અહીં રોયલ ઓએસીસ હોટેલ ઉભી કરવામાં આવી છે. મહેલ બનાવવામાં ભલે પુષ્કળ નાણાં ખર્ચાયાં હોય, પણ ભારતનાં પ્રાચીન સ્મારકોમાં આ મહેલ અગત્યનું સ્થાન ધરાવે છે. ટુરિસ્ટો માટે આ મહેલ એક અગત્યનું આકર્ષણ છે. વાંકાનેર અમદાવાદથી ૨૧૦ કી.મી. અને રાજકોટથી ૬૦ કી.મી. દૂર છે.
બોલો, ક્યારે જાઓ છો વાંકાનેરનો આ મહેલ જોવા ?

વાંકાનેર રજવાડું  ———

વાંકાનેર રજવાડું કાઠિયાવાડના ઐતહાસિક હાલાર વિસ્તારનું અને બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. તે બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ આવતી કાઠિયાવાડ એજન્સીનું ૧૧ તોપોની સલામી ધરાવતું રજવાડું હતું. તેની રાજધાની વાંકાનેર હતી, જે હાલમાં ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં આવેલી છે. રજવાડાનો મોટાભાગનો વિસ્તાર પર્વતીય હતો.

ઇતિહાસ ———

વાંકાનેર રજવાડાની સ્થાપના ઇ.સ. ૧૬૨૦માં ધ્રાંગધ્રા રજવાડાના રાય ચંદ્રસિંહજી (૧૫૮૪-૧૬૨૮)ના સૌથી મોટા પરથીરાજજીના પુત્ર સરતાનજીએ કરી હતી. રાજ્યના રાજવીઓ ઝાલા વંશના રાજપૂતો હતા. ૧૮૦૭માં મહારાજા રાય સાહિબ ચંદ્રસિંહજી પ્રથમે બ્રિટિશરો સાથે સંધિ કરી અને વાંકાનેર રજવાડું બ્રિટિશ રક્ષિત બન્યું. ૧૮૬૨માં રાજ્યને પોતાના શાસક માટે વંશજ પસંદ કરવાની સત્તા મળી હતી. વાંકાનેરના છેલ્લા શાસકે ભારતમાં ભળી જવા માટેની સંધિ પર ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮માં હસ્તાક્ષર કર્યા હતા.

મહારાજા સાહિબો

  • ૧૬૭૯ – ચંદ્રસિંહજી પ્રથમ રાયસિંહજી
  • ૧૭૨૧ – પૃથ્વીસિંહજી ચંદ્રસિંહજી
  • ૧૭૨૮ – કેસરીસિંહજી પ્રથમ ચંદ્રસિંહજી
  • ૧૭૪૯ – ૧૭૮૪ ભારોજી કેસરીસિંહજી
  • ૧૭૮૪ – ૧૭૮૭ કેસરીસિંહજી દ્વિતિય રાયસિંહજી
  • ૧૭૮૭ – ૧૮૩૯ ચંદ્રસિંહજી દ્વિતિય કેસરીસિંહજી
  • ૧૮૩૯ – ૧૮૪૨ વખતસિંહજી ચંદ્રસિંહજી
  • ૧૮૪૨ – ૧૨ જૂન ૧૮૮૧ બાનેસિંહજી જસવંતસિંહજી
  • ૧૮૪૨ – ૧૮૬૧ …. – ગાદી સંચાલક
  • ૧૨ જૂન ૧૮૮૧ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ અમરસિંહજી બાનેસિંહજી

વાંકાનેર જાઓને તો તમને પહાડીઓ અને ઐતિહાસિક સ્થાન એ બંને એક સાથે માણવા મળશે આવું અદ્ભુત સ્થાન છે એ શિલ્પ સ્થાપત્ય અને કળા-કારીગરી અને કેટલીક આગવી વિશેષતાઓનો સુભગ સમન્વય એટલે વાંકાનેર.  આમેય સૌરાષ્ટ્ર દર્શન તો એક વાર નહિ અનેકવાર કરાય એમાં આ સ્થાનને અવશ્ય પ્રાધાન્ય અપાય જ. તો જજો સૌ વાંકાનેર અને માણજો વાંકાનેરને !!!!

———- જનમેજય અધ્વર્યું.

error: Content is protected !!