વિસામણ કરપડો – સૌરાષ્ટ્રની રસધાર

ધણીની ધરતી સાચવતો ફકીરો કરપડો મચ્છુને કાંઠે મર્યો, પણ પોતાની ખાનદાનીનું લોહી પોતાના વંશને વારસામાં દેતો ગયો. ફકીરાની ત્રીજી પેઢીએ ઉબરડામાં વિસામણ કરપડો થયો, અને વેળા ખાચરની ત્રીજી પેઢીએ ભોજ ખાચર થયા. છ વરસના અને એકના એક વહાલા દીકરા ભોજનું કાંડું વૃદ્ધ વિસામણને ભળાવીને ભોજના બાપ દેવ થઈ ગયા. ભોજની મા તો વહેલાં ગુજરી ગયેલાં. ભોજને સાંભરતુંયે નહિ હોય કે માનું મોં કેવું હશે.

ભોજને કમરીબાઈ નામે બહેન હતાં. તે જામનગર તાબે દહીરા ગામના દરબાર શાદૂલ ધાધલના ઘરમાં હતાં. લોકો કહેતા હતા કે કમરીબાઈ તો આઈ વરૂવડીનો અવતાર છે.

બાપુ ગુજર્યાના ખબર પડતાં કમરીબાઈએ શાદૂલ ધાધલને કહ્યું, “કાઠી, મારા બાપનું ગામતરું છે અને ભાઈ ભોજના મોઢામાં હજી દૂધિયા દાંત છે! એને મારા પિતરાઈઓ જીવતો નહિ રહેવા આપે, માટે હાલો, આપણે ઉબરડે જઈને રહીએ.”

ત્યાં તો બહેનને પણ સ્વર્ગાપરનું તેડું આવ્યું; બહેન મરવા સૂતાં; પણ જીવ કેમેય જાતો નથી. આપા વિસામણે ઢોલિયા પાસે બેસીને પૂછ્યું: “બહેન, તું તો વરૂવડીનો અવતાર: અને જીવ કેમ જાતો નથી?”

બહેને જવાબ દીધો: “કાકા, મારા ભોજનું શું થાશે?”
“કાં માડી! ભોજની ફિકર શેની! એની રખેવાળી કરનારા એના બે કાકા બેઠા છે ને!”
“વિસામણ કાકા, ભોજ મરે તો ગરાસ કોને જાય?”

“એના કાકાને.”
“બસ! સમજ્યા, બાપ?”
“સમજ્યો, બેટા! લે ત્યારે સાંભળ. ભોજ જે દી મરશે તે દી સ્વર્ગાપરને મારગે ઉબરડાનો એકેએક કરપડો બે ડગલાં ભોજની મોઢા આગળ માંડશે. માટે, મારા બાપ! તારા જીવને સદ્ગતિ કર.”

કમરીબાઈના પ્રાણ એટલું સાંભળીને છૂટી ગયા. પણ આ બધી વાતો ભોજ ખાચરના પિતરાઈઓના કાને ગઈ. એ બધાને પગથી માથા સુધી ઝાળ થઈ. ભોજને ટૂંકો જ કરવો એવો મનસૂબો ઘડાયો.

બહેન ગઈ એટલે તો દરબારગઢ ઝાંખો પડી ગયો. વિસામણ ડોસાએ ઓરડામાં આવીને જોયું તો ઓળીપો બગડી ગયેલો, ચાકળા-ચંદરવા વીંખાઈ ગયેલા અને માંડ્યનાં વાસણ કાળાં પડેલાં.

‘મારા બાળારાજાના ઓરડા આમ રઝળતા કેમ રખાય! ગઢની આબરૂના કાંકરા થઈ જાય ને!’ એમ વિચાર કરીને એણે આઠ વર્ષના ભોજનો વિવાહ કર્યો. ગોસળ ગામની ચૌદ વરસની રંભા જેવી કાઠિયાણી આણી. જુવાન કાઠિયાણી પોતાના ઘરમાં માંડછાંડ કરવામાં તલ્લીન બની ગઈ. ધણી કેવડો છે એ ધ્યાન કરવાનું ભાન એને રહ્યું નહિ.

એંશી-એંશી વરસના બે કરપડાને આપા વિસામણે ડેલીએ ચોકી કરવા બેસાડ્યા. રોજ સવારે ગઢમાંથી વડારણ આવીને લોટના બે શગભર્યા સૂંડા ડેલીએ મૂકી જાય, ને બેય કરપડા આખો દિવસ સાધુ-બ્રાહ્મણને છાલિયું લોટ આપે. ગઢમાં એક કૂતરું પણ બે બુઢ્ઢા કરપડાની રજા વગર પેસી ન શકે.

વિસામણ કરપડાને જીવો નામે એક દીકરો હતો. એ જીવો અને કરપડાના બીજા સત્તર તેવતેવડા જુવાનો સવાર પડે ત્યારથી ભોજભાઈને વીંટી લ્યે, તે રાતે સૂવાટાણે નોખા પડે.

પિતરાઈઓને તો હજાર વાતે પણ વેર કરવું હતું. પોતાનાં ઘોડાં લઈને ભોજની સીમ એ ભેળવવા મંડ્યા, એટલે એક દિવસ વિસામણ કરપડાએ એ બધાં ઘોડાં બાંધી દીધાં.

પિતરાઈઓએ ધ્રાંગધ્રાના રાજસાહેબ પાસે જઈને લાલચ દીધી કે ‘જો ભોજને ઠેકાણે કરો, તો અમારો અરધો ગરાસ તમને આપીએ.’

રાજ મનુભા વિસામણ કરપડાને ‘વિસામણ કાકા’ કહી બોલાવતા. મોરબી અને ધ્રાંગધ્રા વચ્ચે મીઠાના અગર માટે જ્યારે તકરાર પડી હતી ત્યારે રાજસાહેબને જો કોઈએ જિતાવ્યા હોય તો તે વિસામણ કાકાએ. વિસામણ કાકા કરપડાઓનાં માથાં લઈને રાજસાહેબની વહારે ગયેલા. પણ ગરાસની લાલચે બધા ગુણ ભુલાવી દીધા.

રાજસાહેબે વિસામણ કાકાને ધ્રાંગધ્રે તેડાવી લીધા. કાકાની ઘોડીને ગઢની માંહ્યલી ઘોડારમાં બંધાવી દીધી. ડેલીની મેડી ઉપર જ કાકાને સીસમનો ઢોલિયો ઢળાવી દીધો. પોતાની થાળીમાં જ કાકાને જમાડવા મંડ્યા. કોઈ રાજાના જેવી કાકાની ચાકરી થવા લાગી. પણ કાકાને ક્યાંય રેઢા ન મૂકે. કાકા કેદી બન્યા.

બીજી તરફથી રાજસાહેબે ત્રણસો બંદૂકદારોને તૈયાર કરી, એક દિવસ સોપો પડ્યે ઉબરડામાં પેસાડી દીધા. બંદૂકદારો ભોજના પિતરાઈની ડેલીમાં સંતાઈ ગયા.

સવાર પડ્યું. ખળાવાડમાં તલનાં ઓથડાં ખંખેરવાનાં હતાં તેથી ભોજભાઈને પટેલ ખળાવાડે પધારવાનું કહી ગયો. અઢાર જુવાનજોધ કરપડાની વચ્ચે વીંટાઈને ભોજ ખળાવાડે ગયો. ગામ ખાલી થયું. દૈવને કરવું હશે તે સવારે વહેલો એક બાવો ભોજના પિતરાઈઓની ડેલીએ લોટ માગવા ગયો. ત્યાં એણે દાઢીવાળા ત્રણસો બંદૂકદાર દેખ્યા. ખળાવાડે જઈને એણે બાતમી દીધી.

વિસામણ કાકાનો સપૂત જીવો કરપડો આખી રમત કળી ગયો. ભોજ ખાચરના માગણિયાત ખોડા રાસળિયાને બોલાવ્યો. બે ઘોડાં મંગાવ્યાં. રાસળિયાને કહ્યું: “ભોજભાઈને તાબડતોબ ગોસળ પહોંચાડી એના સસરાને સોંપી આવ. જોજે હો, તારો ધણી છે.”

ખોડો ભોજ બાપુને લઈ ગોસળ ચાલ્યો. ગોસળ સાયલાનું ગામ હતું.

પોતાના સત્તરેય ભેરુબંધોને ખબરદાર કરીને જીવો પાછલી બારીએથી પોતાના ફળિયે આવ્યો. પોતાની ફળી અને ભોજ ખાચરની ફળી વચ્ચે એક બારી હતી. તેમાં થઈને ભોજભાઈની ડેલીએ આવ્યો. આવીને એંસી વરસના બેય કરપડાના કાનમાં વાત કહી: “ત્રણસો બરકંદાજ આવી પહોંચ્યા છે. ભોજભાઈને તો ગોસળ ભેગા કર્યા, પણ આઈનું શું થશે? આઈને મારે ઓરડે લઈ જઈને ગોસળ મોકલાવી દઉં? ભલે પછી એ કમજાતો આવીને ગઢના ગાભા વીંખવા હોય તો વીંખી જાય.”

બેય બુઢ્ઢાઓએ ધોળાં ધોળાં માથાં ધુણાવ્યાં. બેય જણા બોલ્યા: “ના રે, બાપ! બાપડી આઈએ આટઆટલી મહેનતે ઓરડા શણગાર્યા એ કાંઈ રેઢા મેલાય? આઈ બાપડી આંસુડાં પાડી પાડીને અરધી થઈ જાય ને!”

“પણ હું છું ને! આઈને હું લઈ જાઉં છું.”

તરવાર ખેંચી લાલચોળ આંખ કરી એંશી વરસના બે ડોસા બોલ્યા: “જીવા, અમને આંહીં તેં નથી બેસાડ્યા; તારે બાપે બેસાડ્યા છે. એ આવશે ને કહેશે તો ઊઠશું. બાકી તો આંહીં જ મરશું. ગઢમાંથી એક માટલું પણ બીજે ક્યાંય નહિ ફેરવવા દઈએ. એંશી વરસે શું અમે દાઢીમાં ધૂળ ઘાલશું?”

જીવો ચાલ્યો ગયો. હવે ધીંગાણા વિના બીજો ઉપાય ન રહ્યો. અઢારે જણા વરરાજા બનીને ઉઘાડી તરવારે ગામમાં ચાલ્યા. મોખરે જીવો ચાલતો હતો ત્યાં તો સત્તર જણામાંથી એક સાવજ જેવો જુવાન દોડીને મોઢા આગળ થયો. જીવો કહે: “કેમ, ભાઈ?”

“કેમ શું વળી? તું મોટો ને હું શું નાનો છું? પહેલી ગોળી તો હું જ ઝીલીશ.”

ત્યાં તો ધડિંગ ધડિંગ ધડિંગ કરતી ત્રણસો ગોળીઓ સામેથી વછૂટી. પણ રામ રાખે એને કોણ ચાખે? અઢાર જણામાંથી એક લાખાને પગે જ જખમ થયો. એક ગાય અને એક પનિહારી ઘવાયાં, બાકીના સત્તરેય મરદોએ એ ધુમાડાના ગોટેગોટની અંદર ઉઘાડી તરવારે દોટ મૂકી. ત્રણસો બરકંદાજોને ડેલીએ દાબી દીધા. ફરી વાર બંદૂકો ભરાય ત્યાં તો અઢારેય તરવારો પાકલ શેરડી જેવા વેરીઓને વાઢવા મંડી. ડેલીમાં એક સીદી ને જીવો કરપડો મંડાણા ને ડેલી બહાર લાખો એક સિપાઈને પછાડી માથે ચડી બેઠો. દુશ્મનોનો સોથ વળી ગયો. બચ્યા તે ભાગી છૂટ્યા.

ઘવાયેલો વાઘ જેમ વકરી જાય, તેમ લાખો પણ ઝનૂને ચડ્યો. એ દોડ્યો દુશ્મનોના ઓરડા ઉપર. ઓરડાની ઓસરીમાં દુશ્મનોનાં બે છોકરાં કિનખાબનાં ઘોડિયાંમાં સૂતાં હતાં. બીજાં સાદાં, મેલાં ઘોડિયાંમાં વડારણોનાં બે છોકરાં સૂતેલાં. લાખાની ત્રાડ સાંભળીને કાઠિયાણીઓ તો ઓરડામાં ભરાઈ ગઈ, પણ રંગ છે દાસીઓને! એમણે તરત જ પોતાના છોકરાઓને કિનખાબનાં ઘોડિયાંમાં સુવાડી દીધા, અને દરબારના કુંવરોને પોતાના છોકરાની જગ્યાએ સુવાડ્યા.

કાળભૈરવ જેવો લાખો ત્યાં પહોંચ્યો, જઈને કિનખાબનાં ઘોડિયાંમાં પોઢેલાં બાળકોને છેદી નાખ્યાં. કાઠિયાણીઓ અને દાસીઓની રડારોળ થઈ રહી. એ કાળી કિકિયારી સાંભળીને જીવો કરપડો દોડતો આવ્યો. છોકરાને હણાયેલ જોઈને જીવાએ કહ્યું: “ધિક્, લાખા! લોહીનો આટલો બધો તરસ્યો? આ આપણી માયું નથી? એનાં છોકરાં આપણા ભાંડું નહિ? આ તેં કોને મારી નાખ્યા? ભાગી જા, પાપિયા!”

લાખાને બહાર કાઢ્યો ત્યાં સુધી દાસીઓએ આંસુ રોકી રાખ્યાં હતાં, પણ પછી ન રહેવાયું. પોતાનાં બે ગભુડાંને મરેલાં ભાળીને એમણે છાનું રોઈ લીધું.

જીવો કહે: “રંગ છે તમને! તમે જ સાચી ક્ષત્રી જનેતા. બહેનો, હવે ફડકો રાખશો મા. હું ઊભો છું.”

એ જ વખતે વેલડાં જોડાવીને જીવાએ એ બધી બાઈઓને બગડ મોકલી દીધી. ત્યાર પછી આ વંશ બગડમાં જ ચાલ્યો છે, પાછા ઉબરડે આવ્યા જ નથી.

ધ્રાંગધ્રાના બરકંદાજો ભાગી નીકળ્યા, પછી કરપડાઓને બીક લાગી કે હમણાં ધ્રાંગધ્રાની તોપો આવી પહોંચશે; તેથી ઉબરડું છોડી અઢારેય જણા ગોસળ ચાલ્યા ગયા.

*
હવે, જે રાત્રે ધ્રાંગધ્રાના બરકંદાજો ઉબરડામાં દાખલ થયા તે રાત્રે ધ્રાંગધ્રામાં શું બન્યું? ડેલીને માથે મેડી ઉપર મખમલના ગાદલામાં વિસામણ કરપડો સૂતેલ છે; પણ એને ઊંઘ આવતી નથી. એના મનમાં આફરડા આફરડા થડકારા થવા લાગ્યા. મનમાં થયું કે અત્યારે ને અત્યારે ચડી નીકળું.

પણ એની ઘોડી ક્યાં? દરવાજે દરબારના જીવા જમાદારની ચોકી હતી. જીવાને એણે કહ્યું: “મારી ઘોડી લાવો.”

“વિસામણ કાકા, હવે રામરામ કરો.”

“કાં, બાપ?”

“ઘોડીયે મળે નહિ, ને તમારાથીયે નીકળાય નહિ. મારો રોટલો તૂટે, મારા હાથમાં બેડી પડે.”

વિસામણ કરપડાએ જીવાને મોંએથી બધી વાત જાણી. અત્યાર લગીમાં તો ઉબરડાનો બાળધણી જમદ્વારે પહોંચ્યો હશે, એવી ગણતરી એણે કરી લીધી. બુઢ્ઢાની આંખમાં ઝળઝળિયાં આવ્યાં. કપાળમાં મૉતની કરચલીઓ પડી ગઈ.

“એ જીવા! એ બાપ! કેમેય કરીને મને જાવા દે. મારું જીવ્યું ધૂળ થઈ જાય છે!”

“બને જ નહિ.”

ડોસો કરગરવા લાગ્યો. એના હૈયામાં નિમકહલાલી રોતી હતી. જીવાએ નિમકહલાલી અનુભવી હતી. ડોસાના કાલાવાલાએ એની છાતી પણ પિગળાવી. પોતાના ભાણેજને બોલાવીને એણે પોતાનો ઘોડો મંગાવ્યો. વિસામણ કરપડાને ઘોડે બેસાડી, લગામ ભાણેજના હાથમાં સોંપી. જ્યાં સવાર પડે ત્યાં કરપડાને નીચે ઉતારી તાબડતોબ પાછા આવવાની ભાણેજને ભલામણ કરી.

“કાકા, જોજો હો, મારાં છોકરાં ન રઝળાવતા.”

“હો બાપ!”

વિસામણ કરપડો ચાલ્યો. સવાર પડ્યું એટલે ડોસાને નીચે ઉતારીને ઘોડો પાછો વળી નીકળ્યો. પણ હજી તો ઉબરડું ક્યાંય આઘું રહ્યું. એંશી વરસનો ડોસો આજ આફતના ખબર સાંભળીને જ અરધો તો મરી ગયો છે, ફડકો પડવાથી એની કેડ ભાંગી ગઈ છે. વળી ઉપર ભાલું, તરવાર અને અફીણના ખડિયાનો ભાર છે. હાલતો જાય છે, નિસાસો નાખતો જાય છે, ને ઘડી ઘડી પોરો ખાતો જાય છે,

વચમાં સુંદરી ગામ આવ્યું. સુંદરીમાં પોતાનો ઓળખીતો એક ચારણ રહેતો હતો. ચારણને એણે ખૂબ ખવરાવેલું. ત્યાં એ ઘોડું માગવા ગયો. ચારણે ઘોડું તો ન દીધું, પણ ઊલટો જાકારો દીધો. દુ:ખી કાઠી ચાલી નીકળ્યો.

રસ્તામાં એક વાણિયો ને એક ગરાસિયો મળ્યા. વાણિયાની રાંગમાં ગરાસિયાની ઘોડી રમતી આવતી હતી. ગરાસિયે કહ્યું: “અરે વિસામણ કાકા! આમ પગપાળા કાં?”

“બાપ, ઘોડી મને પાડીને ભાગી ગઈ. મને વાગ્યું છે. ચલાતું નથી. સામે ગામ પહોંચાય તો ઘોડું લઈ લઉં.”

ઘોડી ગરાસિયાની હતી. ગરાસિયો કહે: “શેઠ, ઊતરો; કાકાને સામે ગામ પહોંચાડવા પડશે.”

ઘોડી ઉપર રાંગ વાળીને વિસામણે ઘોડીના ડેબામાં એડી મારી. ઘોડી ચાલી નીકળી. રજપૂતનું મોં ફાટ્યું રહ્યું; એ બોલ્યો: “કાકા, દગો?”

ચાલતી ઘોડીએ ડોસો કહેતો ગયો: “બા, ફિકર કરશો મા. કાલ સવારે તમારી ઘોડી પાછી પહોંચાડીશ. આ તો દગો કહો, તો દગો!”

એમ કહીને વિસામણ કરપડે ઘોડી વહેતી મૂકી. બપોરે ઉબરડે આવ્યો. બધા સમાચાર લઈને ગોસળ ગયો. ત્યાંથી અઢારેય જુવાનોને લઈ ગીરમાં ગયો. ત્યાંથી જેતપુર દરબાર મૂળુ વાળાની મદદથી ધ્રાંગધ્રા સામે બહારવટું માંડ્યું.

*
કરપડાના બહારવટાએ ધ્રાંગધ્રાને ડોલાવી નાખ્યું. આખરે જીવા જમાદારે વિચાર કર્યો: ‘આ પાપ મારે માથે છે. મેં એને જીવતો જાવા દીધો ત્યારે આમ બન્યું ને! એની વાંસે મારે જ મરવું જોઈએ.’

જીવો જમાદાર ઘોડે ચડ્યો. રાજસાહેબે ઘણો સમજાવ્યો, પણ જીવો માન્યો નહિ. પોતાની ફોજ સાથે એ ઉબરડે જઈ રાત રહ્યો. સવારમાં પડાવ ઊપડ્યો ત્યારે ગાયોનું ધણ પહર ચરીને ઝાંપામાં દાખલ થતું હતું. ગાયોની ધકબકને લીધે ઘોડેસવારોનાં ઘોડાં થંભી રહ્યાં. ગાયો ઘોડાંને શિંગડે મારવા લાગી એટલે સવારો ભાલાં લઈને ગાયોને મારવા લાગ્યા. આ નિર્દયતા જોઈ ગોવાળની આંખમાં લોહી વરસ્યું. એ બોલ્યો: “ગાયનાં શીંગ નથી ખમાતાં, તો કરપડાનાં ભાલાં શૅ ખમાશે? આ પડ્યા તમારા કાકાઓ — આ સીમાડાની તળાવડીએ. જાઓ ને મરદ હો તો!”

ગોવાળને ખૂબ માર મારીને ફોજ તળાવડી તરફ ચાલી નીકળી. રાતે માવઠું થયેલું, એટલે બહારવટિયાના સગડ તો ચોખ્ખા હતા. તળાવડીએથી એ ટુકડી નીકળીને ગઈ હતી. નીકળીને સુદામડાને પડખે ભમરના ડુંગરામાં આશરો લઈ લીધો હતો.

એ ડુંગરમાં એક ઊંડું નેરું છે. ઉપરવાસ થઈને એ નેરામાં દાખલ થવાય છે. બીજો રસ્તો નથી. બેય કાંઠે ભયંકર ઊંચી ભેખડો ઊભી છે. નિરાધાર બહારવટિયાઓને આશરો લેવા માટે જ જાણે કુદરત માતાએ આ જગ્યા બનાવી હશે.

સત્તર જણા એ નેરામાં બેસી ગયા. અઢારમો લાખો કરપડો નેરાને કાંઠે એક ધાર ઉપર ચાડીકો બનીને બેઠો. ત્યાં તો આઘેથી ધ્રાંગધ્રાની ગિસ્તની ખેપટ ઊડતી દેખાણી. લાખાને એકલા લડીને જશ લેવો હતો તેથી એણે પોતાના સાથીને કહ્યું: “જા, નેરામાં જઈને હોકો ભરી આવ.”

ગિસ્ત આવી તેને લાખાએ કાંઠે જ થંભાવી દીધી. જીવો જમાદાર એકલો અંદર ઊતર્યો. હાથમાં ભરેલી બંદૂક હતી. જીવો કરપડો ઘોડી પર ચડીને હેઠવાશ ભાગવા મંડ્યો અને કહેવા લાગ્યો: “જીવા જમાદાર, તેં મારા બાપને તે દી બચાવ્યો છે. આજ શીદ એ ગણ ભૂલવછ? શું મોઢું લઈને હું તારા ઉપર ઘા કરું?”

જીવા જમાદારે પડકારા કર્યા: “જીવા, જે કાળે જે ધરમ! હવે ભાગ મા; હમણાં તારી ઘોડીનો ગાભ નીકળી પડશે.”

“તારી પાસે ભરી બંદૂક છે એટલે ડરાવતો હોઈશ, કાં?”

“આ લે, બંદૂક!” કહીને જીવા જમાદારે બંદૂક ફેંકી દીધી. બેય જીવા બરછીએ આવ્યા. કરપડાનો ઘા બરાબર જીવા જમાદારના પેટમાં વાગ્યો. ઘોડી ઉપરથી એ લથડ્યો, પણ એક પગ પેંગડામાં ભરાઈ રહ્યો; ઘોડી આંટા ફરવા મંડી. જમાદાર ઢસડાણો. કરપડે નીચે ઊતરીને જમાદારને છૂટો કર્યો ત્યારે જમાદાર બોલ્યો: “જીવા, હું સૈયદ છું. મારી કાયા ઢસડાણી તેમ તારું બહારવટુંયે ઢસરડાશે. હું તો મરું છું, પણ ભાઈ, મારો છોકરો હાલ્યો આવે છે, એને બચાવજે. તારા બાપને બદલે મારો દીકરો દેજે.”

જીવો જમાદાર મરી ગયો: એના દીકરાને કરપડા અડક્યા નહિ. જીવાની દફનક્રિયા કરીને કરપડા ગીરમાં ઊતરી ગયા.

આખરે જેતપુરના મૂળુ વાળાએ રાજસાહેબ સાથે વિષ્ટિ કરીને કરપડાઓનું બહારવટું પાર પડાવ્યું. કરપડાને એક સો સાંતીની જમીન મળી અને ભોજ ખાચરને પણ એનો ગરાસ પાછો સોંપાયો. અત્યારે કરપડા પોતાની જમીન ખાય છે. પણ ભોજ ખાચર બીજી પેઢીએ નિર્વંશ ગયા, એટલે ધ્રાંગધ્રાએ ઉબરડાનો ગરાસ ઊંચકાવી લીધો છે.

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સૌરાષ્ટ્રની રસધાર માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– એક તેતરને કારણે – સૌરાષ્ટ્રની રસધાર

– આહીર યુગલના કોલ – સૌરાષ્ટ્રની રસધાર

– સાંઈ નેહડી – સૌરાષ્ટ્રની રસધાર

– સિંહનું દાન – સૌરાષ્ટ્રની રસધાર

– દુશ્મનોની ખાનદાની – સૌરાષ્ટ્રની રસધાર

– આનું નામ તે ધણી- સૌરાષ્ટ્રની રસધાર

– ફકીરો કરપડો – સૌરાષ્ટ્રની રસધાર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!