વણજારાઓની રસપ્રદ વાતો

હું એક જૂની વારતા વાંચી રહ્યો હતો. ઝરૂખામાં બેઠેલી રાણીએ જોયું. વણજારાના વિરાટ કાફલાના ચાલવાથી ઉડતી ધૂળના ગોટા આકાશને આંબી રહ્યા હતા. એની આંખો ઘડીભર તો વિશ્વાસ ન કરી શકી. આનંદના અતિરેકથી એ નીચે દોડી આવી અને ચિંતાગ્રસ્ત રાજાને હાંફતાં હાંફતાં વધામણી આપીઃ ‘મહારાજ, મેં હમણાં જ ઝરૂખામાંથી જોયું તો વણજારાનાં અનાજ લાદેલાં ગાડાં અને પોઠિયાઓને આવતાં જોયા. હવે આપણે દુષ્કાળના દારૂણ દુઃખથી પીડાતી પ્રજાને ભૂખમરાથી અવશ્ય બચાવી શકીશું.’ રાજાને રાણીની વાત માથે વિશ્વાસ ન બેઠો. એ હડી કાઢીને ઝરૂખામાં ગયો. ત્યાં જઈને જોયું તો સાચે જ વણજારાઓની વણજાર રાજમહેલ તરફ આવી રહી હતી. રાજાની ચિંતા દૂર થઈ ગઈ. એ સોળે કળાનો થઈ ગયો. ઈતિહાસનાં પાનાં બોલે છે કે જૂના જમાનામાં જ્યારે આજના જેવાં વાહન વ્યવહારનાં સાધનો નહોતાં ત્યારે વણજારાની અનાજ ભરેલી પોઠો દુષ્કાળગ્રસ્ત રાજ્યોની પ્રજાને માટે વરદાનરૂપ બની રહેતી એમ ડૉ. ઉષા બાલા નોંધે છે.

ભારતભરમાં ભટકનારી વણજારા જાતિની ઓળખ, ભગવદ્‌ગોમંડલમાં આ મુજબ મળેછે. વણજારો એટલે દેશપરદેશ માલ લાવઆણ કરવાનો વેપાર ખેડનાર માણસ. પરદેશી માલનો આબરૂદાર વેપારી, બળદોની પીઠ પર માલ લાદી પરદેશ લઈ જનાર વેપારી, પોઠવાળો, વણજારા નામનો એક રાગ પણ છે. વણજારા પરથી ઊતરી આવેલા શબ્દો જોઈએ તો વણજાર એટલે એક સામટો આવેલ માલનો જથ્થો, વણજારાનું માલ ભરેલું બળદનું ટાંઠું. માલ ભરેલ પોઠની લંગર. વણજારડો એટલે પોઠ હાંકનાર માણસ, વણજારો. વણજારું અર્થાત્‌ વણજારાનો ધંધો. વણજાતરો એટલે કણબણોને પહેરવાનો લાલપોત વાળો એક જાતનો સાડલો.

ગુજરાતમાં આપણે જેને વણજારા કહીએ છીએ એ મહારાષ્ટ્રમાં લમાણ કે લમાણી તરીકે જાણીતા છે. ભારતભરમાં એમની સંખ્યા એક કરોડની હોવાનું કહેવાય છે. તેઓ કાળિકા માતાને અને રામદેવ પીરને -પૂજે છે. તેમનામાં પુનર્લગ્નનો રિવાજ છે. શબને તેઓ બાળે છે. કેટલાક વણજારા મુસ્લીમો હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં દંતકથારૂપ બની ગયેલ લાખો વણજારો લાખ પોઠિયાનો માલિક હોવાનું કહેવાય છે. પાંચસો હજાર પોઠિયાની વજારાના માલિક માત્ર માલવાહક મજૂરો નહોતા પણ વેપારી હતા. છતવાળા પ્રાંતોમાંથી અનાજ, તમાકુ, મીઠું, સૂકોમેવો, કરિયાણું વગેરે ભરીને અછતવાળા વિસ્તારોમાં પહોંચાડતા. વણજારાની પોઠો ભારતભરમાં ખૂણેખૂણે ફરતી. કન્યાકુમારીથી કાશ્મીર અને આસામથી લઈને ઓખા સુધી તેઓ ભ્રમણ કરતાં. વણજારા માલિકની શાખ ઉજળી હતી. આબરૂ અને આંટ ઉંચા હતાં. રાજપૂત દરબારો અને રાજવીઓમાં એમનો માનમરતબો હતો. ખમતીધર વણજારા દુષ્કાળગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને અનાજ અને બળદો પૂરા પાડતા. નાના શેઠિયાના હામી થતા. જરૂરતવાળા ખેડૂતો વણજારા પાસેથી કઢારે-ઉછીનું અનાજ લેતાં મોસમમાં સવાયું કરીને પાછું આપતા. પન્નાલાલ પટેલના ભાંગ્યાના ભેરું નવલ કથામાં વણજારાની વાત આવે છે.

આજે ગરીબાઈમાં જીવન બસર કરતાં વણજારા મજબૂત બાંધાના, નમ્ર, વિવેકી આતિથ્યની ભાવનાવાળા અને ઉત્સવપ્રિય પ્રજા છે. હોળી પર ચંગ વગાડી ને નાચે છે. દિવાળીના અવસરે પોઠિયાને ગધેડાંને લીલા-ગુલાબી રંગે રંગે છે. લગ્નપ્રસંગે નૃત્ય કરીને આનંદ માણે છે. દેવશંકર મહેતા વણજારાનું રેખાચિત્ર આલેખતાં લખે છે કે વણજારા જેટલા કામઢા, ખડતલ અને જવામર્દ છે એટલા જ રંગીલા, રંગબેરંગી, વસ્ત્રાભૂષણો પહેરવાના શોખીન છે. દિલના દુલા વણજારા ક્યારેય મોતથી ડરતાં નથી. મારવાડ છોડ્યે એમને સેંકડો વર્ષો વીતી ગયાં છતાં વણજારાઓએ પોતાની ભાષા, પહેરવેશ અને રીતરિવાજો ત્યજ્યા નથી. આંટ, આબરૂને ચારિત્રય ગુમાવ્યા નથી.

માલવહન કરનાર વેપારી વણજારા ભૌગોલિક સ્થિતિ અને મોસમની સારી જાણકારી ધરાવતા. દુષ્કાળગ્રસ્ત વિસ્તારો પર એમની નજર રહેતી. તેઓ પોઠો પર અનાજ ભરીને ત્યાં પહોંચી જતા અને લાખો ભૂખ્યા લોકોના જીવ બચાવતા. અકબરના રાજ્યકાળમાં ભારે દુષ્કાળના ઓળા ઊતર્યા ત્યારે વણજારાઓએ પડોશી દેશો નેપાળ, ચીન, તિબેટ, બ્રહ્મદેશ, ઈરાન અને કાબૂલથી અનાજ લાવીને પૂરું પાડ્યું હતું. આથી કાળદુકાળે રાજાથી માંડીને રંક સુધી સૌ કોઈ ઉચાટભર્યા શ્વાસે વણજારાના આવવાની વાટ જોતા. એમને આવવામાં વહેલુંમોડું થાય તો રાજવીઓ દૂત મોકલીને તપાસ કરાવતા. આ વ્યાપાર સેવા માટે સન્માનિત કરવામાં આવતા. ઇનામમાં રાજ્ય તરફથી એમને જરઝવેરાત અપાતું. વણજારા વેપારીઓની અનાજ લાદેલી પોઠોના કાફલા દુષ્કાળપીડિત પ્રજા માટે વરદાનરૂપ બની રહેતા. આમ પ્રજાને ભૂખમરામાંથી બચાવનાર વણજારાના સમૂહને ‘ટાંડા’ અને ‘સાર્થ’ ને નામે ઓળખાતા. ઉત્તર ભારતના ગાઢ જંગલો પર એમનો એકાધિકાર હતો. ત્યાંથી તેઓ વનસંપત્તિ, જંગલની જડીબુટ્ટીઓ અને અનાજની પોઠો લઈને દેશભરમાં ફરતા.

ફ્રાંસ નિવાસી ડ્યુબોસે દ. ભારતની યાત્રા દરમ્યાન કેટલોક સમય વણજારા ‘ટાંડા’ સાથે ગાળ્યો હતો. એણે એમના વ્યાપાર સંબંધમાં સવિસ્તાર માહિતી આપતાં નોંધ્યું છે કે વણજારાના નાયક પાસે મોટી સંખ્યામાં બળદ, ભેંસ અને ગધેડાં રહેતાં. ૩૦-૪૦ થી વધુ પરિવારો એક સાથે માલ ભરીને સમૂહમાં નીકળતાં તેઓ રાત્રી રોકાણ કરતાં ત્યાં સાદડી વડે ઝૂંપડી બનાવી દેતા. આ દંગામાં માણસો સાથે મરઘાં અને સુવર પણ સૂઈ રહેતાં. નાના ગરીબ વણજારા પાસે બળદ ન હોય તેઓ માથે સામાન મૂકીને ચાલતા. વણજારણો પીઠ પર નાનાં છોકરાં બાંધી, માથા પર માલસામાન લઈને ચાલતી. યુરોપના યાત્રીઓએ વણજારાના દસ હજાર બળદોના ટાંડાને પરિવહન કરતાં નજરે જોયાં છે. મોટા વેપારીઓ આવા ટાંડા દ્વારા એક ખેપમાં એક લાખ મણ અનાજ ભરીને નીકળતા એવું વર્ણન કર્યું છે.

આ વણજારા પ્રજા ઉપરાંત લડાઈના મોરચે સૈનિકોને પણ રેશન પહોંચાડતા. અંગ્રેજોની ઇસ્ટ ઇન્ડિયા કંપની પણ આ વણજારાની ઓશિંગણ બની રહેતી. વણજારા મુદત આપ્યા મુજબ તટસ્થપણે અનાજ પહોંચાડતા પરિણામે તેમની સામાજિક પ્રતિષ્ઠા પણ દૂધ જેવી ઊજળી હતી. વણજારા સૌના મિત્ર હોવાથી યુદ્ધ લડનાર બંને પક્ષો વણજારાની પોઠોને નુકશાન પહોંચાડતા નહીં એટલું જ નહીં પણ એનું રક્ષણ કરતા. એમનું માનસન્માન કરતા. તેઓ દર કલાકે બે માઈલથી લાંબી મુસાફરી કરતાં નહીં. અનાજના કોથળા ફરતી દોરીથી વાડ કરતા. એની ચોતરફ સશસ્ત્ર સૈનિકો જેવા ખૂંખાર શિકારી કૂતરાની ચૉકી રહેતી. આવી ૫૦ હજાર પોઠોને મેં નજરે નિહાળી છે એમ ઇર્વિન લખે છે. વણજારા જ્યારે યુદ્ધમાં રોકાયેલા સૈનિકો માટે રેશન લઈને નીકળતા ત્યારે ઓળખ આપવા માટે પોતાની પાઘડીમાં લીંમડાની ડાળખી ખોસતા. એ જોઈને લોકો એમને માર્ગ કરી આપતા. શ્રી ગ્રિયર્સન લખે છે કે વિચરતી જાતિ વણજારા આ રીતે અનાજની પોઠો લઈને પશ્ચિમથી દ.ભારત સુધીની ખેપો કરતાં.

ગોલકુંડાના કિલ્લાની ચાર દિવાલોમાં આઠ દરવાજા આવેલા છે. એમાંનો એક ૧૫૦ ફૂટ ઊંચો દરવાજો વણજારા દરવાજા તરીકે ઓળખાય છે. ટીપુ સુલતાનના પરાજયનું કારણ વણજારા હોવાનું કહેવાય છે. મૈસૂરની ત્રીજી ચોથી લડાઈ (૧૭૯૩-૧૭૯૯)માં જો વણજારાઓએ અંગ્રેજોને અનાજ પુરવઠો ન પહોંચાડ્યો હોત તો ટીપુનો વિજય નિશ્ચિત હતો. ટીપુએ વણજારાને પોતાના લશ્કરમાં રોકયા હતા, પણ તેમનામાં શિસ્ત નહોતી. તેઓ લડવાને બદલે લૂંટફાટમાં વધુ ધ્યાન આપતા. એ એક અવગુણ પણ હતો.

વણજારા એ વિચરતી જાતિ હોવાથી એમની જરૂરિયાતો માટે ઠેકઠેકાણે વાવ, કૂવા, સરોવર, તળાવો અને વાવડિયોનું નિર્માણ કરાવતાં. જેથી પીવાનું પાણી મળી રહેતું. એટલું જ નહીં પણ રાતવાસો કે આરામ કરવા માટે રસ્તામાં અનેક ધર્મશાળાઓ અને ઊતારાગૃહો પણ બનાવતાં. સમગ્ર ભારતવર્ષમાં વણજારાઓએ નિર્મિત કરાવેલા વાવ, કૂવા, સરોવરો અને ધર્મશાળાઓ જોવા મળે છે. જોધપુરનું વણજારા સરોવર તો આજેય વિખ્યાત છે.

વણજારા વરસના આઠ મહિના દેશભરમાં અનેક રાજ્યોમાં ફરતા રહેતા હોવાથી તેમને વિધવિધ રાજ્યોની ગુપ્ત માહિતીની જાણકારી રહેતી. એમની આ જાણકારીનો લાભ રાજા-રજવાડા ભરપેટે લેતા. તેઓ તેમને ક્યારેક રાજ્યના ગુપ્તચર તરીકે નિયુક્ત કરી દેતા અને અન્ય રાજ્યોની ગુપ્ત માહિતી મેળવી લેતા. ટીપુ સુલતાને અને અંગ્રેજોએ વણજારાનો આ રીત ઉપયોગ કર્યો હતો. ડ્યુક ઑફ વિલિંગ્ટને લખ્યું છે કે વણજારાના સમૂહોએ તેમને અનાજનો પુરવઠો પૂરો પાડીને મહામૂલી સેવાઓ આપી હતી.

ડૉ. ઉષા બાલા લખે છે કે મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા શાસકોના હાથ નીચે સ્વતંત્રતા માટેના અનેક યુદ્ધોમાં પણ વણજારાઓએ ભાગ લીધો હતો. મોગલ સમ્રાટ ઔરંગજેબ સાથે લડતાં લડતાં શ્રી તેગબહાદૂર શહિદ થયા ત્યારે એમના શબને ચાંદની ચોકમાં કડક સૈનિક પહેરા નીચે રાખવામાં આવ્યું હતું. આથી શિષ્યો એમનો અંતીમ સંસ્કાર ન કરી શક્યા. એ વખતે લખી શાહ નામના વણજારાએ પોતાના બુદ્ધિચાતુર્ય વડે ગુરૂના શબને રકાબગંજમાં આવેલ પોતાના તંબુમાં લાવીને સંતાડી દીધું, જ્યાં આજે સંસદભવન અને ભારત સરકારનું સચિવાલય છે. એ દિવસોમાં વણજારા અહીં પડાવ નાખતા. ત્યાં બાદશાહના સિપાઈઓનો પહેરો રહેતો. લખી શાહે પોતાના તંબુને સળગાવી દીધો અને ગુરૂજીનો અગ્નિ સંસ્કાર કર્યો. એમાં એનો પાંચ વર્ષનો પુત્ર પણ સળગી ગયો. આમ પુત્રના બલિદાનની ભારે કિંમત ચૂકવીને લખી શાહે શીખ ધર્મની રક્ષા કરી.

૧૯મી સદીના યંત્રયુગે વણજારાઓની કમર ભાંગી નાખી. રેલ્વે અને ખટારા આવતાં વેપાર વાણિજ્ય અને પરિવહનનું સ્વરૂપ સાવ બદલાઈ ગયું. વણજારા વેપારી પરંપરાનો ધંધો ભાંગી ગયો. વણજારાની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સ્થિતિમાં ભારે પરિવર્તન આવ્યું. અધૂરામાં પૂરું અંગ્રેજ સલ્તનતે એમને હેરાનપરેશાન કરી મૂક્યા. સને ૧૮૯૬માં સરકારે વણજારાને અનુસૂચિત અપરાધી જાતિ જાહેર કરી. અંગ્રેજ લેખકોએ વણજારાને ચોર, લૂંટારા, બહારવટિયા અને ક્રૂર માનવી તરીકે ચીતર્યા. જૂનો ધંધો ભાંગી પડતા આજીવિકાનું સાધન ઝૂંટવાઈ ગયું. આથી એમણે શસ્ત્રોનો સહારો લીધો. દિનપ્રતિદિન વધતી ગરીબાઈ અને ભૂખમરાને કારણે ગુન્હા કરવા મજબૂર બન્યા. આજે વણજારામાંના ઘણાં ભણીને ઉચ્ચ હોદ્દા પર પણ પહોંચ્યા છે. બાકીના મહેનત મજૂરી કરે છે.

ગુજરાતમાં આવીને સ્થાયી થયેલા વણજારા હાથવગા ધંધા તરીકે ગધેડાં રાખીને રેતી સારવાનું, મકાનનો ઈંટ, ચૂનો વહેવાનું અને મજૂરીનું કામ કરીને ગુજરાન ચલાવે છે. આજે હવે ટ્રેકટરો રાખીને પેટિયું રળે છે. વણજારા સંસ્કૃતિની જૂની જાહોજલાલી સાવ આથમી ગઈ છે. ભાલપંથકનું લોકગીત વણજારાની વાત ને સાચવીને બેઠું છે. ગામડા ગામની વહુવારું માથે હેલ્ય લઈ પાણી ભરવા ગઈ. સરોવરકાંઠે ઊભેલા વણજારાના બેટાએ કાંકરીચાળો કર્યો. સાસુએ વહુને મહેણું માર્યું. મહેણાનો ઘા ન જીરવી શકતાં વહુ વણજારા સાથે ચાલી નીકળી.

સોના ઇંઢોણી રૂપા બેડલું નંદનો કુંવર નાનડિયો

હુંતો સરોવર પાણી ગઈ’તી નંદનો કુંવર નાનડિયો

પાળે ઊભો વણજારાનો બેટો નંદનો કુંવર નાનડિયો

પિટયે એળે કાંકણ નાખી નંદનો કુંવર નાનડિયો

મારા સોના કાંકણ નાખી કુંવર નાનડિયો

વહુ વણજારાને જાજો કુંવર નાનડિયો

બૈજી જાશું તો શું થાશે ? નંદનો કુંવર નાનડિયો

પોઢિયે બેસીને જાશું નંદનો કુંવર નાનડિયો

બૈજી હો હો કરતાં જાશું નંદનો કુંવર નાનડિયો

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!