રાજા અજયપાલ અને નાયકીદેવી – મહમદ ઘોરીને પરાજિત કરનાર મહારાણી

ગુજરાતનો ઈતિહાસ અને સોલંકીયુગ ગાથામાં આ રાજાને પ્રથમ લેવાનું પ્રયોજન એ છે કે ગુજરાતમાં નારીગૌરવની વાતો ઓછી છે. એમાંય જ્યારે વાત પૃથ્વીરાજ ચૌહાણની અને એનાં કટ્ટર દુશ્મન મહંમદ ઘોરીની હોય, એમાંય જયારે એક રાણીએ મહંમદ ઘોરીને પરાજય આપી એને પાછો કાઢ્યો હોય ગુજરાતમાંથી….. ત્યારે એ વાત સૌ પ્રથમ કરવાનું મેં મુનાસીબ સમજયું છે !!! એટલે તબક્કાવાર જવા કરતાં આ રાજા અને એ રાણીને હું પ્રથમ મહત્વ આપું છું. આમેય આ રાજા વિષે બહુજ ઓછી માહિતી ઉપલબ્ધ છે. એટલે એને જ મહત્વ આપીએ એ વધારે સારું ગણાશે!!

મહમંદ ઘોરીને હરાવનાર મહાન પૃથ્વીરાજ ચૌહાણ એકમાત્ર રાજા નહોતો…… કેટલાંય રાજાઓ અને કેટલાંય સેનાપતિઓ અને કેટલાંય લડવૈયાઓએ મહંમદ ઘોરીને પરાજય આપ્યો છે અથવા એનું માથું ઝુકાવ્યું છે પોતાની વીરતા આગળ. ઈતિહાસ આવી વાતોને મહત્વ નથી આપતો. પણ એક વાર્તા તરીકે અને શૌર્યગાથા તરીકે આપણે એને બિરદાવવી અવશ્ય જોઈએ !!!

શૌર્યગાથાઓથી જ ઈતિહાસ ઉજવળ બનતો હોય છે – ઉજાગર થતો હોય છે. તથ્યાતથ્યની પળોજણમાં ન પડયા વગર એક વીરરસની વાર્તા તરીકે આપણે એને અવશ્ય જોવી જોઈએ…. કદાચ અને કદાચ એ વાત સાચી પણ હોય! ભગવાન જાણે એ સમયે ખરેખર શું બન્યું હતું તે !!!

પણ જો એવું બન્યું હોય તો કેવું સારું આપણા મનને અને આપણું મન કેવું પ્રફુલ્લિત બની જાય. મન આપણું બાગ બાગ થઇ ખીલવા લાગે એટલું તો નિશ્ચિત છે ! ઇતિહાસની એવી કેટલીય વાતો છે જે હજી લોકો સમક્ષ સરખી રીતે જે છે એ જ રીતે પહોંચી જ નથી.એ પહોંચાડવાનું કામ આપણું જ છે જે આપણે બાખૂબી નિભાવવું જોઈએ ખરું કે નહીં !!!

વાત જો ગુજરાતની આવે તો એમાં ચાર ચાંદ લાગી જાય. એમાય જો સોલંકીયુગની વાત આવે તો તો સોનામાં સુગંધ ભળી જાય. અત્તરની સુગંધ હંમેશા મનને તરબતર કરનારી જ હોય. સોલંકીયુગની સ્થાપનાનાં ૨૩૦ વર્ષ પછી એટલેકે સોલંકીયુગના અસ્ત સમય પહેલાં થોડાંક જ વર્ષો પૂર્વે !!! સોલંકીયુગનો સાતમો રાજા એ રાજા અજયપાલ થયો હતો જે રાજા સિદ્ધરાજ પછી રાજગાદીપર બેઠેલાં રાજા કુમારપાળનો ભત્રીજો થાય

જેઓ સન ૧૧૭૨-૭૩માં રાજગાદી પર બેઠાં. ગુજરાતી અનુશ્રુતીઓ તથા કેટલાંક મુસ્લિમ સ્રોતોના જણાવ્યા પ્રમાણે એમણે રાજા કુમારપાળની વિશ આપી દઈને હત્યા કરાવી દીધી હતી. જોકે આ વાતને અનુમોદન મળતું નથી પણ એવું બન્યું હોઈ શકે એમ માનીને ચાલીએ એજ હિતાવહ ગણાશે !!!આ રાજા અજયપાલનો શાસનકાળ અલ્પ છે …. માત્ર ૪ જ વર્ષ એટલે કે સન ૧૧૭૬ સુધી એમને રાજ્ય કર્યું હતું એમના કાળમાં શિવ પ્રતિક્રિયાઓ અને શૈવધર્મનું મહત્વ વધ્યું હતું …..

જૈન ગ્રંથો પ્રમાણે એમણે કપર્દિન નામના બ્રાહ્મણજે માં દુર્ગાનો પરમ ભક્ત હતો એને પોતાનાં મુખ્ય મંત્રી તરીકે નિયુક્ત કર્યો એમને અન્ય બીજાં શિવ ભક્તોને પણ અન્ય મહત્વના પદ પર નિયુક્ત કર્યા !!!

રાજા અજયપાલની ઉપાધિ “પરમમાહેશ્વર”ની મળી છે. આ નામ પરથી એક પ્રખ્યાત સાહિત્ય કૃતિ કોઈને યાદ આવે છે ખરી !!! કોણે તે રચી છે એ તમને ખબર જ છે એટલે હું એનો નામોલ્લેખ અહીં નથી કરતો

મેરા નામનો એક ઇતિહાસકાર એમની હિંસક પ્રવૃત્તિનો ઉલ્લેખ કરીને એમ પ્રતિપાદિત કરે છે કે કપર્દિન તથા જૈન આચાર્ય રામચંદ્રની હત્યા કરી દીધી હતી ….. આ માત્ર એક જ જણે આવું લખ્યું છે બીજાં કોઈ આ વાતને અનુમોદન આપતાં નથી જ. એનું કારણ એ છે કે સોલંકીયુગની શરૂઆતથી જ આ વંશના રાજાઓ શૈવોની સાથે જૈનોને પણ બહુ જ મહત્વ આપતાં હતાં !! એમ અવશ્ય પણે કહી શકાય કે સોલંકી યુગમાં ગુજરાતમાં એ સમયગાળા દરમિયાન ફૂલ્યોફાલ્યો હતો !!! આ સિવાય આ માણસ એવું પણ લખે છે કે એમણે ઘણા સાધુઓની હત્યા કરી દીધી હતી તથા ઘણા જૈન મંદિરોનો નાશ કર્યો હતો …. જો નાશ કર્યો હોય તો એના ખંડેરો પણ હોય ને ….આમેય લગભગ ૧૦૦૦ વર્ષ પછી તો ઘણું બધું ખંડેર અવસ્થામાં જ હોય! એવું રાખે માની લેવાય કે આ મંદિર એ અજયપાલે જ તોડ્યાં હશે ! જે તૂટ્યાં છે એ આ પહેલાં મહમૂદ ગઝનીના સમયમાં તૂટ્યા છે પછી ઘોરી અને ખીલજીના સમયમાં !!! તાત્પર્ય એ કે રાજા અજયપાલે જ આ તોડ્યાં હશે એવો કોઈ દાર્શનિક પુરાવો મળતો જ નથી !!!

એમના રાજકીય સમયગાળામાં એક જ ઉપલબ્ધિ છે અલબત્ત સૈન્ય અભિયાનની અને એ એછે કે એમને સપાદલક્ષનાં ચાહમાન શાસક રાજા સોમેશ્વ્રને પરાજિત કર્યો હતો ! પછી એમ કહેવાય છે કે —– કોઈ એમના વિશ્વાસુ નોકરે એમની હત્યા કરી દીધી હતી !

રાજા અજયપાલની હત્યા કહો કે મૃત્યુ કહો કે અપમૃત્યુ કહો તેમના પછી રાજા મુલરાજ સોલંકી બીજો રાજગાદીએ બેઠો જેમનો શાસનકાળ માત્ર ૨ થી અઢી વર્ષનો હતો

આ રાજા મુળરાજ ર્સોલંકી રાજગાદીએ બેઠાં ત્યારે તેઓ નાનાં હોવાથી રાજા અજયપાલની વિધવા રાણી નાયકીદેવીએ જ રાજ્યની ધુરા સંભાળી હતી … રાજમાતાનું કર્તવ્ય તો રાજમાતા મીનળદેવીથી ચાલ્યું આવે છે ને !!! રાજા સીધ્ધરાજ જયસિંહ પછી કુમારપાળે ૨૯ વરસ સુધી રાજગાદી સંભાળી હતી પછી રાજા અજયપાલે ૪ વરસ એટલે કે મીનળદેવી કે રાજા સિદ્ધરાજ જયસિંહ પછી માત્ર 33 વરસનો અલ્પ સમય જ વીત્યો છે એટલે કે રાજામાંતાનું પ્રભુત્વ ઓસર્યું ના જ હોય એ સ્વાભાવિક છે …. નાયકી દેવી એક વીરાંગના હતાં એવું ઈતિહાસકથાઓ કહે છે ! આ મુલરાજ સોલંકી દ્વિતીએ કોઈ તુર્ક આક્રાંતાને પરાજિત કર્યો હતો એવું તે સમયમાં રચાયેલી કૃતિઓમાં ફલિત થયું છે

ત્યારપછી એમનો નાનો ભાઈ રાજા ભીમદેવ બીજો રાજગાદીએ બેઠો. તેમના સમયમાં એમને મહાન રાજા પૃથ્વીરાજ ચૌહાણ સાથે સંઘર્ષ થયો હતો

ઘોરી વંશ સાથે સંઘર્ષ – યુદ્ધ એ રાજા ભીમદેવ બીજાના સમયમાં જ થયું હતું. એ વાત આપણે રાજા ભીમદેવ બીજામાં કરીશું અત્યારે તો નહિ જ !!!

મહંમદ ઘોરીએ સન ૧૧૪૯માં જન્મ્યો હતો અને સન ૧૨૦૬માં મૃત્યુ પામ્યો. જોકે એમાંય પછી એકરૂપતા તો નથી જ. પાકિસ્તાનવાળા એને સન ૧૧૬૨માં જન્મેલો બતાવે છે. આ મહંમદ ઘોરીએ ભારતમાં ૧૧૭૩થી સન ૧૨૦૬ સુધી દિલ્હીની રાજગાદી સંભાળી હતી. ભૂલચૂક લેવીદેવી. જોકે આપણે માત્ર આ નામનો સહારો જ લેવાનો છે કારણકે જે વાત કરવાની છે સન ૧૧૯૨માં મહાન પૃથ્વીરાજ હાર્યો તે પહેલાં ૧૪ વર્ષ પૂર્વેની છે એટલે કે સન ૧૧૭૮ની ! આ સમયે ગુજરાતમાં રાજા મૂળરાજ સોલંકી બીજાના નામે રાજા અજયપાલના વિધવા રાણી નાયકીદેવી રાજ કરતાં હતાં.

મહંમદ ઘોરીએ ગાદીનશીન થયા પછી તરત જ ભારતમાં દમનનો શરુ કરેલો એમાં દિલ્હીમાં ૧૬ વખત તો એ હાર્યો હતો પણ તે હારનો બદલો એ અન્ય રાજાઓના રાજય હડપી લેવામાં કરતો હતો.એને આ સમય દરમિયાન પ્રમાણમાં ઘણું શાંત પણ વીરતાના પ્રતીકરૂપ ગણાતાં ગુજરાત પર પોતાની ધાક જમાવવાનો પ્રયત્ન કર્યો. આનું એક કારણ એ પણ છે કે ગુજરાતના ઘણા રાજાઓ દીલ્હીપતિ મહાન પૃથ્વીરાજ ચૌહાણને મદદ કરતાં હતાં એ છે. જો એમને તોડવામાં આવે તો પૃથ્વીરાજ ચૌહાણને અન્ય રાજાઓની મદદ મળતી બંધ થઇ જાય એ હતું. અ મદદકર્તાઓમાં એક નામ રાજા જયસિંહ જે ચુડાસમાવંશનો રાજા હતો એનું પણ છે. એવું સૌરાષ્ટ્રના લોકો કહે છે ઈતિહાસ એની કેટલી પૂર્તિ કરે છે એ તો ખબર નથી! આ બધાપણ એટલું તો તથ્ય છે કે આ બધા પર મહંમદ ઘોરીને વેર લેવું હતું !

આ એ સમયગાળાની વાત છે ——–

મહંમદ ઘોરી એ ૧૧૯૨ના યુદ્ધમાં પૃથ્વીરાજને હરાવ્યો એના ૧૪ વરસ પહેલાની છે. એક હકીકત એવી પણ છે કે મહંમદ ઘોરી એ સન ૧૧૭૮માં ગોઆમાં જન્મેલી ગુજરાતની રાણી અને રાજા અજયપાલની વિધવા પત્ની સામે હારીને પાછાં દિલ્હી ભાગી જવું પડયું હતું. તેઓ કેવા દેખાતા હતાં અને કેવી રીતે લડયા હતાં તેની તો કોઈ વિગત પ્રાપ્ત નથી કે નથી પ્રાપ્ત થતું એમનું કોઈ ચિત્ર. પણ જે વાત કોઈને કોઈ રીતે ઈતિહાસ કબુલે છે એ એ છે કે રાણી નાયકીદેવીએ મહમદ ઘોરીને હરાવ્યો હતો. આ નાયકીદેવી એ કદંબ રાજા મહા મંડલેશ્વર પેર્માદી ઓફ ગોવાનાં પુત્રી થાય.

નાયકીદેવીએ મહંમદ ઘોરીને હરાવીને ભગાડી મુક્યો હતો એ વાતની સાબિત એ સમયમાં રચાયેલા કેટલાંક ગ્રંથોમાંથી આપણને મળે છે. ગુજરાતી રાજકવિ સોમેશ્વરે પોતાના પુસ્તકમાં એવો ઉલ્લેખ કર્યો છે કે નાયકીદેવી અને એમના પુત્ર મુળરાજ બીજાએ મલેચ્છો (ઘોરી)ને હરાવ્યો હતો. આ વાતને અનુમોદન આપતું બિલકુલ આબેહુબ વર્ણન એ ૧૪મી સદીમાં થઇ ગયેલા જૈન સ્નાતક મેરુતુંન્ગના રચેલા ગ્રંથોમાંથી મળે છે.
જ બિલકુલ યથાયોગ્ય જ છે.

એમણે રચેલા ગ્રંથ “પ્રબંધ ચિંતામણી”માં એમણે રાણી નાયકીદેવીએ કેવી રીતે મહંમદ ઘોરીને ગદરારઘટ્ટા કે ક્યારા જે માઉન્ટ આબુની તળેટીમાં સ્થિત છે ત્યાં હરાવ્યો હતો અને ત્યાંથી ભગાડી મુક્યો હતો એનું વર્ણન કર્યું છે.

આ સિવાય પર્સિયન ઇતિહાસકાર મિન્હાજ – ઈ – સિરાજ ના ગ્રન્થમાં પણ મળે છે. આ ઈતિહાસ્કારનો સીધો સંબંધ મહંમદ ઘોરી અને તેના સામ્રાજ્ય સાથે હતો. પાછળથી તેમણે ગુલામ વંશમાં પણ તેમની સેવાઓ આપી હતી. એમણે અતિ સ્પષ્ટપણે નોંધ્યું છે કે — મહંમદ ઘોરીએ નહરવાલા ( જેને અણહિલવાડ)કહેવાય છે ત્યાં સૈન્ય સાથે કૂચ આદરી હતી વાયા ઉચ્છા અને મુલતાન. નહરવાલામાં સોલંકીયુગનો રાજા મુળરાજ રાજ ઘણો નાનો હતો પણ એક વિશાળસેના જેમાં વિપુલ પ્રમાણમાં હાથી હતો હતાં તેનું નેતૃત્વ કરતો હતો.

એમની વચ્ચે યુદ્ધ થયું અને આખરે મહંમદ ઘોરી હાર્યો અને તેને રણમેદાન છોડીને ભાગી જવું પડયું. કોઈ પણ જાતની મુળરાજની સેનાની જાનહાની અને ખુવારી વગર જ !!! એમાં એમ પણ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાણી નાયકીદેવી એક વીરાંગનાની જેમ લડતા હતાં અને સેનાનું નેતૃત્વ કરતાં હતાં!

દુખની વાત તો એ છે કે —- જ્યાં નાયકીદેવીની વાત પૂરી થાય છે ત્યાં બીજી વીરાંગના રાણીઓની જેમ ઈતિહાસ રાહ જોઈ રહ્યો છે કે આનો સમાવિષ્ટ પણ ઇતિહાસના એક પાનામાં થાય !!!

કોણ જાણે ક્યારે થશે તો ખબર નથી પણ આપણે અહી લખી-વાંચીને ચલાવી લઈશું

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય જાય ગરવી ગુજરાતણ!!
!! હર હર મહાદેવ !!

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!