14. પૂજારીનું માનસ – રા’ ગંગાજળિયો

“મેદની વિખરાયા પછી રા’એ મંદિરના મુખ્ય પુરોહિત સાથે એકાંતે મેળાપ કર્યો. પુરોહિત કનોજિયા બ્રાહ્મણ હતા. એમની અટક ગૌડ હતી. રાજા કુમારપાળના કાળમાં જે વિહસપત્તી ગૌડ હતા તેમના વંશજ થતા હતા. દેખાવે રૂપાળા હતા.

રા’ની ને પુરોહિતની વચ્ચે નીચે મુજબ વાત ચાલી :-

‘વીજલ વાજાને સોમનાથના દર્શને આવતા અટકાયત કરવાનું શું કારણ ?’ રા’એ પૂછ્યું.

‘એક કારણ તો એ છે કે એ શાપિત છે, ભયંકર રોગના ભાગ થઇ પડેલા છે.’ બોલતા ગૌડના તાંબુલ રંગ્યા દાત દેખાયા.

રા હસ્યા : ‘પણ મૂળ આ મંદિરની પ્રતિષ્ઠા જ ચંદ્રદેવે પોતાના ક્ષય રોગની શાંતિ કરવા અર્થે કરેલી છે. એને માથે પણ એના સસરા પ્રજાપતિનો શાપ હતો. સતાવીસમાંથી એક રોહિણી રાણી પ્રત્યેના એના પક્ષપાતને પરિણામે મળેલો એ શાપ હતો. એ શાપનું શમન જ ચંદ્રદેવે આ મંદિર સ્થાપીને મેળવ્યું હતું.’

‘દેવો તો ચાહે તે કરે. અમે માનવીઓ છીએ.’

‘માનવીઓ છો, છતાં અધિકારો તો દેવોના જ તમે ભોગવો છો ને ? હમણાં જ મેં વારાંગનાઓને નાચતી દીઠી.’

‘કોઈની વહુ બેટીઓ ક્યાં ઉપાડી લાવ્યા છીએ ? દેવની સેવિકાઓ છે.’ ગૌડના શબ્દોમાં છુપા ભાલાં હતાં.

‘મારે તમને કહેવું જોઈએ ગૌડજી ! કે આ બધા નાટારંભે જ મંદિરનો ચાર વાર નાશ કરાવ્યો છે. કેમેકે એણે આપની માણસાઇનો નાશ કર્યો હતો.’

‘એ બાત છોડ દીજીએ રાજન.’ પુરોહિતનો સ્વર દુભાએલો હતો. ‘વીજલ વાજાના નિષેધનું બીજું કારણ તો એ હતું કે એણે બ્રાહ્મણ-રાજ ચન્દ્રભાલ ઓઝાનો વધ કરી, સેંકડો બ્રહ્મહત્યાઓ કરી ઊનાનું રાજ લીધેલું તેની આ યોગ્ય સજા છે.’

‘તો પછી ત્રિવેણીના સૂર્યકુંડના દર્શને જતાં એનાં ઠકરાણાંની વેલ્યના પડદા ઊંચા ચડાવીને બે અદબી કરનારા બ્રાહ્મણોને દેવે કેમ કાંઈ સજા ન કરી ? તમે પણ કેમ કશો દંડ ન દીધો ?’

‘બ્રાહ્મણોનો વાદ કોઇએ શા માટે કરવો જોઇએ? જો કે મારે તમને આ કરતાં વિશેષ ઠપકો દેવો રહે છે. તમે તો ઝુદ સોમૈયાનો જ વાદ કરેલ છે.’

શો વાદ ? ‘ રા’ ચમક્યા.

‘રોજ ગંગાજળે સ્નાન કરો છો, ને પોતાને ગંગાજળિયા કહાવી રક્તપીતના શાપ ટાળવાનો દાવો ધરાવો છો.’

‘મેં શાપ ટાળવાનો દાવો કર્યો નથી.’

‘પ્રજામાં તો એમ જ બોલાય છે, ને અજ્ઞાનીઓની એ માન્યતા બંધાઈ છે. દેવનો કોપ શા માટે પ્રજ્જવલાવો છો રાજન !’

‘દેવ નો કોપ !’

‘ને પ્રજાનો પણ કોપ. સોરઠભરમાં તમારી સામે એ લાગણી પ્રસરી રહી છે. એ લાગણી લઇને દેશભરના યાત્રિકો પણ આંહીથી જઇ રહેલ છે. તમે શું ન સાંભળ્યો એ અવાજ ! શુદ્રોને ફટવી મૂકેલા છે : એ લોકલાગણી તમારે માટે જોર પકડતી જાય છે.’

રા’ના મોં પરની લાલી સૂકાતી હતી.. એણે કહ્યું : ‘શૂદ્રો શૂદ્રો કહી ક્યાં સુધી આપણું બળ ક્ષીણ કરવું છે ગૌડજી ! આ પાદશાહી હવે તો દરવાજે આવીને ઊભી છે.’

‘એ ઊભી છે તેનું કારણ જરા ઊંડું છે.’ ગૌડાચાર્યે દલીલ ચલાવી : ‘ બ્રાહ્મણોનું બળ ક્ષીણ કરવાનો પ્રયત્ન સોલંકી રાજ કુમારપાળે જ કર્યો હતો. આંહી આ મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે એમને કોઈ ન મળેલો તે જૈન સાધુ હેમચંદ્ર જડ્યો. ખેપાન હતો એ હેમચંદ્ર. ચાલતે ગાડે ચડી જનારો હતો. રૂદ્રમાળ જઇને રૂદ્રની સ્તુતિ ગાતો હતો ને સોલંકીરાજ આંહી લઇ આવ્યા તો સોમનાથને સાષ્ટાંગ કરી શ્લોકો રટેલો. એટલું જ બસ નહોતું તે રાજાના મન પર એવી ઇન્દ્રજાલ પાથરી દીધી કે સોમનાથ પોતે જ જૈન દેવતા છે. એના કહેવાથી તો સોલંકીરાજે મારા વડવા પાસેથી પુરોહિત પદ ખૂંચવી લીધેલું : એના શાપે આ નવું મંદિર પણ ત્રણ વાર ભંગાયું પરદેશીઓને હાથે.’

‘એ શાપે ? કે બ્રાહ્મણોના ભોગલાલસાભર્યા આંહીના જીવનને કારણે ?’

‘બ્રાહ્મણો ભોગવતા નથી. બ્રાહ્મણો દ્રારા દેવ જ ભોગવે છે. ને બ્રાહ્મણોનું વર્ચસ્વ ટકાવશો ત્યાં સુધી જ તમે રાજાઓ ટકી રહેશો ને શૂદ્રોને જગાડશો તો શૂદ્રો તમને જ ખાઈ જશે. ક્ષત્રિયોએ ટકવું હોય તો બ્રાહ્મણોનું વર્ચસ્વ સાચવી રાખે. ભૂવા હશે તો દેવ ટકશે.’

‘પણ ક્ષત્રિયો ખૂટી ગયા છે તે તો વિચારો. પાદશાહતનો દાવાનલ તસુએ તસુ ધરતી ભસ્મ કરતો આવે છે. તેની સામે કોણ ઊભશે દેવસ્થાનાં ટકાવવા ? બ્રાહ્મણો !’

‘બ્રાહ્મણોનો એ ધર્મ નથી. તલવાર તો બ્રાહ્મણોએ તમને સોંપી છે.’

‘અમારી સંખ્યા ખૂટી છે, દાનત બગડી છે, કહું છું ગૌડ ! કે શૂદ્રોની તલવારને તમારી રક્ષાર્થે સ્વીકારો.’

‘અબ્રહ્મણ્યં.’

‘તો બધું યાવનં યાવનં બનશે.’

‘એ ભય અમને નહી, તમને છે.’

‘તમને નહિ ?’

‘ના, અમે તો જે સત્તા આવશે તેની રક્ષા હેઠળ મૂકાઈ જશું.’

‘દ્રવ્ય દઈને ?’

‘હા, તે પણ દેવું પડે.’

‘તે લખલૂટ દ્રવ્ય દેતાં ય ગઝનવી જ્યોતીર્લિંગના ટુકડા કરતો અટક્યો હતો ?’

‘ગઝનવીની વાત તમે સમજતાં નથી. ગઝનવી તો પૂર્વાતારમાં શંભુનો ગણ હતો. શિવ તો સ્વેચ્છાથી એની સાથે ગયા છે. એની નિંદા ન કરો.’

આવી માન્યતા પૂજારીઓએ ચાલવી હતી, ને ચાર સૈકાથી લોકોને પાવામાં આવી હતી તે રા’ જાણતો હતો. છતાં અત્યારે સાંભળીને એ ખદખદી ઊઠયો : ત્યાં જ પાછું ગૌડે બળતામાં ઘી હોમ્યું:

‘દ્રવ્ય લઈને એ દૂર તો થઇ ગયો.’

‘એ દ્રવ્ય કોનું હતું ?’

‘કોનું ?’

‘દસ હજાર ગામડાની ધરતી ખેડનાર શૂદ્રોનું.’

‘હશે.’

‘માટે કહું છું કે એ જ શૂદ્રોને યજ્ઞોપવિત પહેરાવી એની સમશેર પણ તમારી કરો.’

‘દેવની ઇચ્છા હશે ત્યારે એજ કહેશે. અત્યારે દેવે મને સ્વપ્નમાં કહ્યું છે તે આ છે, કે મારી નકલ સોરઠરાજે ન કરવી.’

‘બ્રાહ્મણો, ત્યારે તો, મારાથી અસંતુષ્ઠ લાગે છે.’

‘છે જ. ને હું આપને બીજું પણ કહી દઉં, મુસ્લિમો અમારાં દેવસ્થાનાંની સંપૂર્ણ અદબ કરવાના કહેન પણ ચલાવી રહ્યા છે.’

રા’ ચમક્યો. એને સમજ પડી એનો જીવ ઊંડો ઊતરી ગયો. એને જાણ થઈ, કે મુસ્લિમો ફક્ત આંગણા બહાર જ નથી ઊભા, છેક આંતરનિવાસમાં પહોંચી ગયા છે.

આ શું બોલો છો ગૌડ ! કઈ કાળ-વિપત્તિ નોતરવા માંડી છે, મને કહો તો ખરા !’

‘આ રહ્યા સહ્યા પણ તોડાવવાં છે ?’

‘એકાદ બે મસ્જીદો બનાવશે એટલું જ ને ?’

‘હાં-હાં-ત્યારે તો આ તૂટેલા પડેલા શંકુ-શૃંગો પણ ….’

એમ કહેતા રા’ ઊભા થયા ને મંદિરની બહાર નીકળી ગયા. તે પછી સાગર-તટે ઊભા રહીને એણે સળગતા સૂર્યના તાપમાં મંદિરનાં ખંડિત શિખરો પર નેત્રો ઠેરવી રાખ્યાં. નેત્રોમાંથી અશ્રુધારા ખળખળી ગઈ.

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા’ ગંગાજળિયો માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!