જગતમાંહિ સંત પરમહિતકારી

જગતમાં જો કોઈ પરોપકારી હોય તો એ છે વૃક્ષ, નદી અને સંત કે જેઓ કોઈ પાસે અપેક્ષા રાખતા નથી. પોતે દુઃખ સહન કરે પણ બીજાને તો સુખ જ આપે, ચંદનની જેમ પોતે ઘસાય પણ બીજાને તો સુવાસ જ આપે.

સહનશીલતા એ સંતનું સાચું ઘરેણું છે.

સદ્ગુરુ શાસ્ત્ર શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી કહે છે કે, વૃક્ષને પથ્થર મારો પણ તે તો ફળ જ આપશે. નદીમાં ગમે તેટલો કચરો નાંખો પણ ક્યારેય ફરિયાદ નહિ કરે પણ શુદ્ધ મીઠું પીવાનું પાણી જ આપશે. તેમ સંત પણ સહન કરશે અને પરોપકાર જ કરશે માટે જ કહ્યું છે કે,

સરોવર તરુવર સંતજન, ઔચોથા વરસે મેહ;

પરમાર્થને કારણે, ચારુ ઘરીયા દેહ.

શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના સંતો અને હરિભકતોને ક્ષમાનો પાઠ બહુ જ પાકો કરાવ્યો છે અને તેના કારણે જ આજે સ્વામિનારાયણ સંપ્રદાય દેશ અને વિદેશમાં ફાલ્યો ફૂલ્યો છે.

પ્રસંગ છે સૌરાષ્ટ્રની ધરતી ઉપર આવેલા સારંગપુર ગામનો. આ ગામ નજીક નદી બંને કાંઠે વહેતી હતી. નદીના કિનારે એક વૃક્ષ નીચે શ્રી સ્વામિનારાયણ ભગવાને જેમને પોતાના કારણ સત્સંગની ધર્મધુરા સોંપી હતી તેવા સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી સંતો સાથે સભા ભરીને બેઠા હતા.

જે કોઈ મુમુક્ષુ આવે તેને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરાવતા અને સદાચારના પાઠ ભણાવતા હતા.

એજ સમયે વૈરાગી બાવાઓને ખબર પડી કે સ્વામિનારાયણના સાધુ ગામની સીમમાં નદી કિનારે આવીને સભા ભરીને બેઠા છે.તેથી તેઓએ નક્કી કર્યું કે આપણે સ્વામિનારાયણના સાધુઓને ગામમાં પેસવા દેવા નથી.

જો તે લોકોને ઉપદેશ આપશે. વ્યસનો છોડવશે તો આપણને મળતાં બીડી, તમાકુ, ગાંજો પણ બંધ થશે.

આથી વૈરાગીઓએ નિર્ણય કર્યો કે આ સાધુઓને માર-મારી ગામમાંથી વહેલી તકે જ તગેડી મૂક્વા.

વૈરાગી બાવાઓનું મોટું ટોળું હાથમાં પથ્થરો અને લાકડી લઈને ઉપડયું નદી તરફ અને નિર્દય રીતે પથ્થરો સભા તરફ ફેંકવા માંડયું.

સંતો ઘવાયા, ભાગ્યા અને નદી કાંઠે આવેલી ઘાટી બાવળીમાં સંતાઈ ગયા. છેવટે બાવાઓ થાકીને ગામમાં જતા રહ્યા.

સંતોને લાગ્યું કે હવે નીકળવામાં વાંધો નથી તેથી તેઓ બાવળીમાંથી બહાર નીકળ્યાં. પરંતુ તેમના શરીરમાં કાંટા પેસી ગયા હતા તેથી જમીન ઉપર પગ મૂકી શકાય તેમ ન હતું.

સદ્ગુરુ ગોપાળનંદ સ્વામીએ ગામમાંથી સત્સંગીઓ પાસેથી ચીપિયા મંગાવી બધા સંતોના કાંટા ખેંચાવી કાઢયા અને તેની ઉપર રાખ અને રૂ ભભરાવી દબાવી દીધું. ધીમે-ધીમે સૌ ગઢડે શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે પહોંચ્યા.

ત્યાં જઈ દંડવત્ પ્રણામ કર્યા. ભગવાને સૌ સંતોના ખબર અંતર પૂછયા ત્યારે સંતોએ સારંગપુરમાં બનેલી ઘટના વિસ્તારપૂર્વક કહી.

ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને સંતોને પૂછયું, “તમારા કાંટા ગોપાલાનંદ સ્વામીએ કાઢયા પણ તમે ગોપાળનંદ સ્વામીના કાંટા કાઢયા કે નહિ?” ત્યારે સંતોએ કહ્યું, “તેમના કાંટા તો અમે કાઢવાના ભૂલી ગયા.”

ત્યારે ભગવાને જાતે ચીપિયા વડે સ્વામીના કાંટા કાઢયા તો પોણેશેર જેટલા કાંટા થયા. પરંતુ સ્વામી કાંઈ પણ બોલ્યા નહિ.

કેવી સહનશીલતા! પોતાનાં દુઃખોની પરવા કરી નહિ. બીજા સંતોના કાટા કાઢયા પણ પોતાના કાંટાની કોઈ ફરીયાદ નહિ. તેથી જ કહેવાયું છે કે, જગતમાંહિ સંત પરમહિતકારી. સંતનું હૃદય કેટલું વિશાળ અને સહનશીલતા અને કરુણાથી ભરેલું હોય છે.

આવા શ્રીજીસંકલ્પમૂર્તિ શ્રી ગોપાળનંદ સ્વામીએ જીવન પર્યંત સત્સંગની ખૂબ જ સેવા કરી છે. ૨૨ વર્ષ સુધી શ્રીજીમહારાજની સાથે રહી સેવા કરી છે અને ૨૨ વર્ષ સુધી શ્રીજીમહારાજ અંતર્ધાન થયા પછી સત્સંગને સાચવ્યો છે. એવા શ્રીજીસંકલ્પ મૂર્તિ શ્રી ગોપાળનંદ સ્વામીને શ્રી સ્વામિનારાયણ ભગવાને મહાદીક્ષા આપી.

શ્રી સ્વામિનારાયણ ભગવાને આવા સાચા ક્ષમાવાન સંતોનું ઘડતર કરીને પછી સર્વજીવહિતાવહ શિક્ષાપત્રીમાં શ્લોક લખ્યો છે.

ગાદિદાનં તાડનં ય કૃતં કુમતિભિર્જનૈ : ।
ક્ષન્તવ્યમેવ સર્વેષાં ચિન્તનીયં હિતં ય તૈ : ।।

અમારા સાધુ કે બ્રહ્મચારી તેમણે કોઈ કુમતિવાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું પણ તેને સામી ગાળ ન દેવી ને તેને સામો મારવો નહિ અને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું પણ તેનું ભૂંડું થાય એવો સંકલ્પ પણ ન કરવો.

અંગ્રેજી લેખક બાઉલ્સે માટે જ કહ્યું કે, “શ્રી સ્વામિનારાયણ ભગવાને તેમના સંતોને” દમન કે ત્રાસ આપવામાં આવે તેમનો સામનો કર્યા વગર સહન કરવાનો અને ત્રાસ આપનારાઓ વિરુદ્ધ મનમાં જરા પણ ડંખ ન રાખવો અને ઉપરથી તેનું હિત થાય તેવું ચિંતવન કરવાનો આદેશ આપ્યો છે એ સ્વામિનારાયણ સંપ્રદાયની એક વિશેષ લાક્ષણિકતા છે.”

તો આપણે આવા સાચા સંતોનો મહિમા જાણીએ અને તેમનાં દર્શન તથા સમાગમનો લાભ લઈને ધન્યભાગી બનીએ અને તેમણે તેમના જીવન દ્વારા શીખવેલા ક્ષમારૂપી ગુણને આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ.    ?

– સાધુ હરિકૃષ્ણસ્વરૂપદાસજી

error: Content is protected !!