નાવલી અવતરણ

આજે પણ દર ત્રણ ચાર વર્ષે એકાદ વરસ તો કચ્છ કાઠીયાવાડ માં એવુ જાય છે કે જ્યારે ‘પાણી પાણી‘ ના પોકાર સંભળાય છે. કાઠીયાવાડ ની શોર્ય થી ભીની ધરતી પણ પાણી ની આસ માં ગમગીન થયેલી જણાય છે. સાવરકુંડલા ને પાદરે થી વહેતી નાવલી નદી પણ, એક વખત એવો હતો કે, જ્યારે ચૈત્ર વૈશાખ માં કોરી કડાક થઇ જતી. લુખ્ખા સૂક્કા કાળમીંઢ પથ્થરો માનવીઓ ની નજર સામે ભોંકાતા.

આમ એક વખત ઉનાળા ના વૈશાખ-જેઠ ના કડકડતા તાપ માં સાવરકુંડલા ને પાદર એક સાથે અગિયાર જાનો પરગામ થી આવી પહોંચી. પાણી વિના ત્રાસદી ભોગવતી પ્રજા અને જાન નુ સામૈયુ કરવા કોઇ જાય નહિ..

માંડવા સૂના, માર્ગો વેરાન, અને લોકો ત્રાહિમામ.,!

લોકો એ એકઠા થઇ પોતાના રાજા સોમેશ્વર કોટીલા ને અરજ કરી. પ્રજાપાલક રાજવી સોમેશ્વર મુંજાયા. પાણી લાવવુ જ ક્યાથી? કોઇ સ્ત્રોત તો છે નહિ.. કૂવા અને વાવનાં તળિયાં દાણા ભરવાની કોઠીઓ જેવાં સુકકાંભઠ્ઠ છે. કુંટિયા ગાળી ગાળીને ગોરમટીના ઢગલા કર્યા, વીરડા ગાળી ગાળીને વેકરાના ગંજ ખડકાયા પણ ટિપોય પાણી નથી. ધિંગાણાની તોપો સામે માથું ધરી દેતા આંચકો ન ખાય એવા ભીડવીર આદમીનુ હ્રદય ટળવળતી પ્રજા ને જોઇ ભીતર હચમચી ગયુ, રાજા ઉભા થયા અને માં ખોડીયાર ને સંભાર્યા.

Navli Avataran

ઘોડી પલાણી ને ખુલ્લી તરવારે સાવરકુંડલા ની દક્ષીણ માં એકાદ ગાઉ(૨ માઇલ) છેટે દેવી ખોડીયાર ના થાનકે આવી પહોચ્યા. સૂરજ આથમી ગયો, કાળી ડિબાંગ રાત ના અંધારા ધરતી પર પથરાઇ ગયા. “માં! મા! મા!” કહેતા’ ક સોમેશ્વર કોટીલાએ આઇ ખોડિયાર ને અરજ કરી. હે મગરવાહિની મારી નાવલી માં જળ ભરી દે. અને હે નાવલી નદિ અમારા ગામ ની ગંગા સમાન છો, તુ અમને તારુ અમૃત જળ નુ પાન કરાવ.

આફત વેળા આવતાં
(મેં તો) અવર માગ્યું ના;
(આજ) તરસ્યાને જળ પા,
તું ગંગા અમારા ગામની.

મન મહેરામણ, દલ દધિ,”
(નારી) નજરું મેરુ પાર;
અમ જીવતરનો આધાર,
તુ ગંગા અમારા ગામની!

આવ્યા તારે આશરે,
અમે આશા લઇ ને કોઇ;
તારા ઉર ને ઉજળાં જોઇએ
નામે તારા નાવલી!

નાવલી મા જળ ભરી રૈયત ને સુખી કરવી કા’તો પોતાના લોહિ થી માં ખોડીયાર ને અંજલી આપવા નો નિશ્ચય કરી આવેલ કોટીલા એ તલવાર પોતાના માથા પર ઉગામી. તલવાર ની ધાર ના તેજીલા કિરણો અંધારી રાત ને પણ અજવાળી રહ્યા હતા. વાતાવરણ ભયંકર બનઈ ગયુ. અને આકાશવાણી થઇ કે “સબુર! સુમરા-સબુર! તારા જેવા પ્રજા ના પાલનહાર ને મરવા દેવાય નહિ.! ઉભો થા ! ઉઠ! ઘોડી પલાણ, દોડાવી જા, જ્યા સુધી તારી ઘોડી દોડશે ત્યા સુધી નાવલી મા બારે માસ પાણી છલકાશે, કોઇ તાપ સુકવી શકશે નહિ. ! પણ હા પાછુ વળી ને જોઇશ નહિ..!

તારી ઘોડી સુકાયેલી નાવલી નદિ ના પટ પર હાંકજે! અને સોમેશ્વર તરવાર મ્યાન કરી ને ઉભા થયા, ઘોડી પર સવાર થઇ ઉપડ્યા. પાછળ પાણી ના પુર ઉમટ્યા, આગળ ઘોડી અને પાછળ જાણે સમુદ્ર ઘૂઘવતો હોય એમ નાવલી નદી ના પાણી ના પુર ના લોટ ઘસી આવ્યા! આમ ને આમ લગભગ એકાદ ગાઉ રાજા ઘોડી હાંકી ગયા..! દુર થી પોતાનુ પાદર દેખાયુ.

ગામ કુંડલા ના પાદર જાનૈયાઓ ના મોં પર તેણે હરખ પારખ્યો. ઉમટતા નદિ ના પાણી જોવા ગામ લોકો દોડી આવ્યા, ઢોલ અને ત્રાસા અને શરણાઇ ના સૂર થી વાતાવરણ ગહેંકી ઉઠ્યુ. પણ આ વાંજીત્રો ના પ્રચંડ અવાજ થી ઘોડી ભડકી અને ઉભી રહિ ગઇ, અને લોકો ને ચેતવવા સોમેશ્વરે પાછળ પીઠ ફેરવી કહ્યુઃ થોભો!” આમ કરતા પાછુ વળી ના જોવાની શરત ચુકાઇ ગઇ અને અને એજ પળે નદિના ઘૂઘવતા પાણી સર્પ ની જેમ જમીન માં ઉતરી ગયા, ગામતળ પુરુ થયુ દક્ષિણે થી હાકેલી ઘોડી ઓતરાદા પાદર માં આવી પહોંચી હતી, રાજવી ની મંશા તો નાવલી ને ગામ ની વચ્ચે થી હાંકિ પ્રજા ને પાણી થી ધરવી દેવા ની હતી.. પણ શરતચુક થઇ અને પાદર સુધી આવેલી ગંગા પાદર માં જ સમાઇ ગઇ અને આ અણધારી ભુલ થી રાજા ની આંખો વિસ્ફારિત થઇ, આંખો માંથી બોર બોર જેવડા આંસુ સરી પડ્યા,

રાજા સોમેશ્વર ને રોતા રોકિ એક ચારણ આ પ્રમાણે દુહો કિધોઃ

ભગીરથ જાચે ભોળીયો, ગંગા વહેવા કાજ;
તું તો એકલ હાથે ઝૂજીયો ‘નાવલી’ લેવા આજ!”

(રાજા ભગીરથે ગંગાને જમીન પર ઉતારવા માટે ભોળા શંભુ શંકરને રિજવ્યા, જ્યારે તું તો નાવલી નદી માં નીર લાવવા કાજે એકલે હાથે ઝઝુમ્યો..!)
હે, પ્રજા પાલનહાર તને જાજા રંગ છે. નદિ ને જોતા અંતર અને આખું આયખું રાજીપાથી ઊભરી ઊઠ્યાં. નદી જીવંત બની.)

?નોંધઃ આજે પણ સાવરકુંડલાની દક્ષિણે નાવલી નદી વહિ જાય છે. ‘નાવ’ જેવા અકારથી જેનું નામ ‘નાવલી’ પડ્યું છે. વર્ષોનો ઈતિહાસ અને ત્યાનો લોક સમુહ સાક્ષી છે કે સાવર અને કુંડલાની વચ્ચોવચ્ચ કાળદુકાળે બારેમાસ ગોઠણ સમાણા પાણીથી વહેતી હતી. તે ખોડીયારના સ્થાનકે થી નીકળે, અને કુંડલા ની ઉત્તરે એકાદ ગાઉ ના પટ સુધી નદિ ના પાણી બારે માસ સરખા ઉભરાતા વહેતા, જે કાળે ઉનાળે પણ સુકાતા નતા અને બાકી ના એકાદ ગાઉ ના પટ પર હાલ જ્યાં બંગલાવાડી છે ત્યા ભર શીયાળે પણ સુકાઇ જતા. પણ હવે પુલ બંધાયા પછી હવે સુક્કીભઠ્ઠ દેખાય છે માન્યતા એવી છે કે નાવલી બંધાઇ નતી ત્યા સુધી વરદાન અચળ રહ્યુ હતુ.

કોટીલાને વાંસે કોઠે, જળ ખળખળતા જ્યા,
સોમસરે સામું જોયુ, ત્યાં નાવલી રહી ગઇ ન્યાં,
નીરખી રુડી નાવલી, શેલાં ને ભરીયલ સીમ,
જમદઢ જોગીદાસ જ્યાં, નિરભે લિધેલ નીમ.
કુંડલપર ની કોર, મરુ તોય મેલુ નહિ
મરી ને સરજુ મોર,નાડ્યુંમા વાલી નાવલી

?સૌજન્યઃ યશવંતભાઇ વ્યાસ.
✏સંકલનઃ ☀કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન☀ ⛳જય કાઠીયાવાડ⛳
?જય સૂર્યદેવ? જય માતાજી

જો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

error: Content is protected !!