લોકસાહિત્યમાં દુહા અને કહેવતોમાં સચવાયેલાં નગરો અને સ્થળનામો

સૌરાષ્ટ્ર, કચ્છની પથરાળ ભોમકાનું લોકસાહિત્ય પણ ત્યાંના મનેખ જેવું પાણીદાર છે. ભાતીગળ છે. અનેક પ્રકારો અને વિશેષતાઓથી વીંટળાયેલું છે. ચાર ચરણના પાંખાળા દૂહા કે પછી સોરઠા, છકડિયા ને સમસ્યાઓ હોય, આ બધામાં જુદાજુદા પંથકોનાં ભૌગોલિક નામો, શહેરોનાં નામો, એની પ્રાદેશિક વિશેષતાઓ અને લક્ષણો, ધીંગી ધરાના વૃક્ષો-વનરાજિ, અઢાર ભાર વનસ્પતિ, એનાં ડુંગરા, ફૂલવાડીઓ, નદીઓ, સરોવરો, રસાળ ધરતી પરનું ઋતુ સૌદર્ય, પાકતાં ધનધાન્ય, પટાધર પુરુષો, શીલ અને સૌંદર્યથી શોભતી પદણિનારીઓ, જે તે નગરની વખણાતી ચીજ-જણસો, એ મુલકના માયાળુ માનવીઓની ભક્તિ, શક્તિ, નેકી, દિલાવરી, દાતારી, વીરતા, દેગતેગની વાતું, ઉમદા આતિથ્ય સત્કાર, માનવ સ્વભાવ, એના લક્ષણો, અપલક્ષણો પર ઠીકઠીક પ્રકાશ પાડે છે. લોકસંસ્કૃતિને સમજવા મથનારે એનો ઊંડો અભ્યાસ કરવો જોઇએ. અહીં લોકસ્મૃતિમાં દૂહા-સમસ્યા રૂપે સચવાયેલાં ગુજરાત અને રાજસ્થાનનાં સ્થળનામો જોઇએ.

ગોહિલવાડ (જિ. ભાવનગર) પંથકમાં આવેલા શિહોરના ડુંગરા અને વરતેજનાં વન જાણીતાં છે. વેપાર માટે ભાવનગરના વાણીઆ જાણીતા છે પણ વેપાર આડ્યો વખતસર જમી શકતા નથી એ વાત આ દૂહામાં કહેવાઈ છે. (વરતેજમાં આજે વન નથી. ભાવનગરમાં દુકાનો બંધ રાખીને બપોરે વેપારીઓ જમવા જાય છે.).

ધન્ય શિહોરા ડુંગરા, ધન્ય વરતેજનાં વન;
ધન્ય ભાવનગરના વાણિયા, કે રાતે પામે અન્ન.

દ્વારિકા સૌરાષ્ટ્રનું જાણીતું તીર્થયાત્રાનું ધામ છે. આ મહાધરમના તીર્થમાં ભગવાન શામળિયા-શ્રીકૃષ્ણ, રંગીલા રણછોડ રાજ કરે છે: વળતા રસ્તામાં અશ્વોના દાતાર રાવળ જામનું જામનગર આવે છે.

ચાલો જઇએ દ્વારિકા, મહાધરમનું ધામ;
જાતા ભેટિયે જાદવો, વળતા રાવળ જામ.

ઊંચેરો ગઢ દ્વારિકા, પથરા લાખકરોડ;
સામો સાગર ગડગડે, (ત્યાં) રાજ કરે રણછોડ.

ધન ધન ગામ દ્વારકા, બેટ જ શંખોદ્વાર
હીરામોતી નીપજે, રમે જ્યાં રાસમુરાર.

ભરુચ ગુજરાતનું અત્યંત પ્રાચીન નગર ગણાય છે. ભૃગુકચ્છ નામે ઓળખાતા ભરુચે અનેક ધરતીકંપ અને પુરપ્રલય જોયાં છે. આ કુદરતી કોપ સામે બાથ ભીડીને ત્યાંની ભડપ્રજાએ પુરુષાર્થ વડે ભરૂચને બેઠું કર્યું છે. આવી કપરી સ્થિતિની વચ્ચે ય લોકોએ પોતાની ખુમારીને જાળવી રાખી છે. એમાંથી તો કહેવત જન્મી કે “ભાંગ્યું ભાંગ્યું તોયે ભરુચ.’ લોકકંઠે ભરુચના ભડવીરપણાના દુહા સાંપડે છે :

ઝાંખી તોયે દેવની, મૂર્ખ તોયે ગુચ્છે;
ફાટેલ તોયે ખાસડા, ભાંગી તોયે ભરુચ.

* *

કાંટો તોયે થોરનો, થોડી તોયે ગુંચ;
તણખો તોયે આગનો, ભાંગી તોયે ભરૂચ.

* *

જીણી તોયે રાયડી, પાંખી તોયે મૂછ;
ઘરડો તોયે ઘરાસિયો, ભાંગી તોયે ભરુચ.

* *

નાની તોયે નાગણી, ચમરી તોયે પૂંછ;
મીણનો તોયે માટીડો, ભાંગી તોયે ભરૂચ.

* *

દુશ્મન તોયે બાંધવો, ધરમી તોયે તુચ્છે;
કણી તોયે સુલેમાની, ભાંગી તોયે ભરુચ.

કાઠિયાવાડનું લોકજીવન સાધુ-સંતો-મહંતો, પિતૃદેવો, લોકદેવદેવીઓ અને પીર પીરાણામાં અપાર આસ્થા ધરાવે છે. એ પીરોના પરચા અને ધર્મસ્થળોની માહિતી પણ દુહા દ્વારા મળે છે.

જૂનાણે જમિયલ વસે, આમરણ દાવલપીર;
શત્રુંજય અંગારશાં, એ ત્રણે મોટા વીર.

* *

જૂનાણે (જૂનાગઢ) જૂનો વસે, પીર તે હુરો પીર;
પતિયા કેરા પત હરી, સુવર્ણ કર્યા શરીર.

* *

ધન તે પુર સુદામાપુરી (પોરબંદર) જેમ શંકર કેદાર;
પ્રભાસ પ્રાચી પાટણે સોમનાથ અવતાર.

* *

ગુજરાતના કેટલાંક પંથકોના નદી કૂવાનું પાણી જ એવું છે કે એ પીનારા માણસો, પટાધર (પટા ખેલનારા) અને ચકોર બને છે. લોકવાણીમાં મચ્છુ નદીના પાણીનો આ રહ્યો મહિમા :

જેડી મચ્છુ માળિયે, એડી વાંકાનેર;
ટીંબે માડુ માડુ નીપજે, જમીનસુંદા ફેર.

જેડી મચ્છુ માળિયે, એડી નહીં લિયા;
નર પટાધર નીપજે, માણીગર મિયાં.

દીવ ઘોઘા ને પાટડી, સાચું ગામ શિહોર;
દરિયા ડુંગર ને નદી, માણસ જાત ચકોર.

* *

સૌરાષ્ટ્રમાં આ ચાર ગામોની ખ્યાતિ “લોકમાં વિશેષ જોવા મળે છે :

સોરઠમાં સુપેડી, હલારમાં હડિયાણું;
મચ્છુકાંઠે મોરબી, કચ્છમાં કરિયાણું.

* *

ગુજરાતમાં સ્થળનામોના દૂહા મળે છે એવાને એવા રાજસ્થાનની ધોરારી ધરતીના નગરોના પણ મળે છે :

ઊંટ, મિઠાઇ અસ્તરી (નારી) સોના રાહણો સાહ;
પાંચ ચીજ પિરથી સિરે, વાહ બીકણા વાહ.

અર્થાતુ: ઊંટ, મીઠાઇ, નમણી નારી, સોનાના ઘરેણાં અને શાહ-સોદાગરો જે પૃથ્વીના પટ ઉપર પ્રખ્યાત છે એવા બિકાનેર નગર તને રંગ છે.

ઊંચા પરબત શેર વન; કારીગર તલવાર;
ઈતરા વધ કા નીપજે, રંગ દેશ ઢંઢાર.

જયપુર તરફના ઢંઢાર પંથકના ઊંચા ડુંગરા, સિંહનાં વન; અને તલવારના કારીગરો વિખ્યાત છે.

વાગા વાગા વાળડિયાં, ફૂલવાં દાં ચહુફેર;
કોયલ કરે ટહૂકડાં, અઈ હો ધર આંબેર.

જયપુરની જુની રાજધાનીનું શહેર આંબેર. જ્યાં ખૂબ જ બાગબગીચા અને ફૂલવાડીઓ છે. આ બાગ બગીચામાં પાણીથી ભરપુર વાવો છે. ચોતરફ ફૂલોની બહાર છે, જ્યાં કોયલોના મીઠા ટહૂકા સંભળાય છે એવી ધરતી આંબેરની છે.

ઉદયાપુરરી કામણી, ગોખાં કાઢે ગાત
મન તો દેવારાડિગૈ, મિનખા કિતીક બાત.

એ જ દૂહો ગુજરાતીમાં પણ મળે છે:

ઉદેપુરની કામિનિ, ગોખેથી કાઢે ગાત્ર;
દેવોના મનડાં ડગે, મનુષ્ય કોણ માત્ર?

ઉદિયાપુર લંજા વસૈ, માણસ ધન મોલાહ;
દેઝાલા પાણી ભરે, આયાં પીછોલાહ.

ઉદેપુરમાં મોંઘામૂલના માનવી અને નમણી રૂપસુંદરી નારીઓ વસે છે. આ નમણી નારીઓ પીછૌલા તળાવે આવીને હાથની છાલકો ઉડાડતી પાણી ભરે છે. આવું અદ્ભુત દ્રશ્ય ખડું થાય છે.

જયપુરિયો જોબન ચડ્યો, ખીલ્યાં અંગ પ્રત્યંગ;
ન્યૂ ષોડષી કૈ ગાતસ્યુ, છણે ગુલાબી રંગ.

અર્થાતુ: બાગબગીચાથી શોભતા જયપુર શહેરને જાણે કે યૌવન ચડ્યું છે. તેનાં અંગઉપાંગ સોળ વરસની સુંદરીના ફુલગુલાબી રંગની જેમ ખીલી ઊઠ્યા છે. એથી તો જયપુર ગુલાબનગરી ગણાય છે.

પગ પુગળ ધડ કોટડે, બાહુ બાડમેર;
ફિરતો ધીરતો બિકપુર, ઢાવો જેસલમેર.

દુષ્કાળ કહે છે મારો પગ રાજસ્થાનના પુગળ ગામમાં, મારું ધડ કોટડામાં, હાથ બાડમેરમાં અને હું હરતો ફરતો બિકાનેરમાં મળી જાઉં છું, પણ મારું કાયમી રહેઠાણ તો જેસલમેર છે. જેસલમેર રણનો પ્રદેશ છે. ત્યાં બહુ જ ઓછો વરસાદ પડે છે.

બુધ્ધિચાતુર્યને ખીલવતી સમસ્યાઓ, ઉખાણાં અને વરત કોયડામાં પણ નગરોના નામોનો ઉલ્લેખ મળે છે. ઉ.ત.

મોહનદાસનું માથું લઇ, પેથાપુરનું પૂછડું લઈ;
સાથે મૂકો એક નામ, કહો ઢબુબહેન કયું ગામ!

(મોહનપુર ગામ)

વિરમદેવનું નામ લઈ, ગામદેવીનું ગામ લઈ;
કહો જોઇએ એક નામ, કહો ચિત્રુબેન કયું ગામ?

(વીરમગામ)

જનાવરમાં ઝુંડાળુંજી, વાડમાં તો મુખ્યજી;
બે મળીને એક નામ, કહો પંડ્યાજી કયું ગામ?

(મોરબી)

ઘંટીમાં સોહિયેજી, ગાડામાં જોઈએ જી;
બે મળીને એક નામ, કહો પંડિતજી કયું ગામ?

(પડધરી)

રાજાને જોઈએ, ગામને પણ સોહિયે
બે મળીને એક નામ, કહો પંડિત કયું ગામ?

(રાજકોટ)

કેદખાનામાં જોઇએ, ને ખેતરમાં સોહિયે
બે મળીને એક નામ; કહો મહેતાજી કયું ગામ?

(ચોરવાડ)

ચિચુડામાં સોગિયે, તરવારમાં જોઇએ;
બે મળીને એક નામ, કહો પંડિત કયું ગામ?

(સરધાર)

લોકસાહિત્યમાં સ્થળનામોનો ઈતિહાસ ભૌગોલિક વિશેષતાઓ આ રીતે કંઠોપકંઠ સચવાઇ છે. આનો અભ્યાસ સંશોધકો માટે રસપ્રદ બની રહે તેવો છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!