17. નાગાજણ ગઢવી – રા’ ગંગાજળિયો

‘નાગાજણ ! ભલે નાગાજણ!’ એવી વાહ વાહ આખી નવસોરઠમાં બોલતી હતી. મેણીઆ ગામના પાંચસો ચારણોમાંથી નસીબનો બળીઓ એક નાગાજણ નીકળી પડ્યો હતો. નાગાજણનાં તકદીરની ડગળી ફાટી પડી હતી. ઓહોહો! નાગાજણના હાથનો ક્સૂંબો રા’ પીવે, ત્યારે રા’નું સાચું સવાર પડે. રોજ પ્રભાતે ઉઠીને હંસલા ઘોડા પર ચડી નાગાજણ જૂનાગઢ જાય તે છેક રાતે પાછો વળે છે.

સૌને ગમતી એ વાત એક જણને અણગમતી થઇ હતી. સૌના મોંમાં વાહ વાહ, ત્યારે એક જ માનવીના મોંમાં નિઃસાસો. સૌ નાગાજણને ખમા ખમા કરે ત્યારે એક જ જીવને ખોળીએ નાગાજણ જૂનાગઢ ગયે શ્વાસ ન રહે. એ માન્વી પણ પાછું કોઇ ત્રાહિત, ઇર્ષાળુ હરીફ નહિ, નાગાજણની જ ઉછેરણહાર ને પાલનહાર, નાગાજણનાં બાળોતીઆંથી જેણે હાથ બગાડેલ ને નાગાજણનાં જેણે ગુ મૂતર ઉપાડેલા તે દાદીમા નાગબાઇ પોતે જ.

પહેલી જ વાર જ્યારે નાગાજણે વધાઇ ખાધેલી કે ‘આઇ, સોરઠનો રા’ મારા પર સ્નેહ દાખવે છે.’ ત્યારે જ આઇ નાગબાઇનું મોં પડી ગયું હતું. એક અમંગળ વેણ એના હોઠને ફફડાવીને હૈયામાં પાછું વળી ગએલું. ને એ ખૂબ મુસીબતે એટલું જ બોલ્યાં હતાં કે ‘હોય ભા! રાજા છે ને ! ત્રૂઠે ને રૂઠે!’

તે પછી ચાર છ મહિને રા’નું તેડું આવેલ, ત્યારે પણ આઇ નાગબાઇની જમણી આંખ ફરકી હતી. નાગબાઇના જમણા અંગે ધ્રૂજારી મારી હતી. ને નાગાજણ ઘોડો સાબદો કરી ‘આઇ આશિષ દ્યો’ એમ કહેતો ઊભો રહેલ ત્યારે દાદીમાએ સામું જોઇને ફક્ત એટલું જ કહેલું કે ‘હા બાપ ! જોગમાયા તમને હીમખીમ પાછા પોગાડે.’ એથી વધુ કશું જ નહિ. સિંદૂરનો એક ચાંદલો પણ આઇએ બેટાને કપાળે ચોડ્યો નહોતો.’

ત્યાર પછી તો નાગાજણે આવી આવીને રા’નાં જ્ઞાનની, ડહાપણની, વિદ્યાની, સન્મતિની કૈં કૈં વાતો કરી. આઇ ફક્ત મૂંગે મોંયે એ વાતો સાંભળી જ રહ્યાં હતાં. ને એટલું જ કહી લેતાં કે ‘સારું બાપ ! જોગમાયા સૌની સન્મતિ સાબૂત રાખે. એની સન્મતિનો દીવો બળતો જ રહે એવી શીખસલાહનું દીવેલ રા’ના અંતરમાં પૂર્યા કરવા ચારણનો ધર્મ છે.’

‘આપણે તો આઇ! સ્વારથ થોડો છે? આપણે કાંઇ એના શીખ સરપાવ જોતા નથી. આપણું તો અજાચી વ્રત છે.’

‘સાચું બાપ!’ નાગબાઇ ધરતી ઢાળું જોઇને જવાબ દેતાં, ‘બાપ ફક્ત નાણાં ને સોનાંરૂપાનું અજાચીપણું જ બસ નથી. રાજવાળાંમાં આપણી બેઠ ઊઠ પણ આપણને બગાડનારી બને છે. રાજાનો પ્રેમ છે એપણ એક જાતનું સોનું જ છે. ને એ સોનું સાચા સોના કરતાં વધુ ચળાવે છે. એ પ્રેમ જ સાચી વાત કહેવાની વેળાએ આપણાં હૈયાં ઊપર ચડી બેસી આપણને શરમમાં નાખે છે માટે બાપ ! સાચવીને ચાલવું. વહાલાઓ વચ્ચે જ્યારે વેર થાય છે ત્યારે એ વેર તો વચ્ચેનાં વેરને ય ટપી જાય તેવું બને છે.

નાગાજણને નવાઇ થતી હતી. દુઃખ પણ ઘણું લાગતું હતું. આવા દેવરાજાની મોહબ્બત પણ મા કેમ સહી નથી શકતાં ? ખરું ને!

એમ કરતે કરતે તો નાગાજણને જૂનાગઢના તેડાં મહિને , પંદર પંદર દિવસે, અઠવાડિયે અઠવાડિયે ને પછી એકાંતરે એકાંતરે થયાં. પછી તો આઇ પાસે જઇને વાતો કરવાનું નાગાજણ છોડી દીધું. આઇને ફક્ત ‘જાઈં છું’ એટલું કહીને પોતે ઘોડો પલાણતો થયો. ને આઇ નાગબાઇ, પોતાનાથી કદાચ કાંઇક હીણું વેણ ન કહેવાય જવાય તે બીકે નાગાજણભાની જવા વેળાએ એવાં કામે લાગી જતાં કે મળવું જ ન પડે. બને ત્યાં સુધી નહાઆ જ બેસી જતાં.

ઢોર ઢાંખરની સંભાળ નાગાજણના હાથમાંથી છૂટી ગઈ, ખેતરડાં પાદરડાં પણ નાગાજણના હાથની વ્યવસ્થામાંથી નીકળી ગયા આઇ નાગબાઇએ નાગાજણભાને કાંઇ કહેવું કરાવવું જ ન દીધું. એક પોતે હતી, બીજી નાગાજણની વહુ હતી. બેય ઘર વહેવાર સંભાળવા લાગ્યા.

નાગાજણ ઘેર પાછો આવે ત્યારે ઘરનાં ઢોરને ધણીની યાદ આવતી. અગાઉ તો નાગાજણ એ બધાંને જાતે સીમમાં લઇ ચારતો, ને પહર છોડતો, તે દિવસનાં હળી ગએલાં પશુ એના મુખ ચાટવાની હોંશે કોઢ્યમાં પગ પછાંડતા ને ભાં ભાં કરતાં. નાગાજણની એ ટેવ છૂટી ગઇ. જે મૂંગું દુઃખ આઇ નાગબાઇને હૈયે હતું તે જ દુઃખ હતું આ ઢોરોને હૈયે.

નાગાજણ રા’ની વતી દેશાટણે પણ ઉપડવા લાગ્યો. મોટાં રાજરજવાડાંમાં પણ એ જાણીતો ને માનીતો થઇ પડ્યે એની સલાહો પૂછાવા લાગી.

‘આઇ !’ ગામગામનાં લોક નાગબાઇ પાસે આવીને વધાઇ દેવા લાગ્યા. ‘આ તો ભારી મેળ મળ્યો: ગંગાજળિયો રાજા ને દેવી-ઘરનો ચારણ. આમાં તો દેશનું કલ્યાણ છે.

‘તો સારૂં બાપ!’ એટલું બોલીને આઇ ચૂપ રહેતાં. એને કદી આ સંબંધનો પોરસ આવ્યો નહિ. એના ઉમળકા બહાર દરશાણાં નહિ. એની આપદા પણ બહાર નીકળી નહિ. એણે અસલની રીતભાત પણ છોડી નહિ. ઢોર-માલ ઘોળીને એ પોતે જ પાણી પાઇ આવતાં. છાણ વાસીદું પણ એ જાતે જ કરી લેતાં. નાગાજણે ઘણી ઘણી માથાકૂટ કરી કે હવે આ અવસ્થાએ શા સારૂ વળગણ રાખો છો? કાં માલ ઓછો કરી નાખો, ને કાં હું માણસો રાખી દઉં.

‘ના બાપ ! એમાં ક્યાં ઘસાઇ જાયેં છયેં? ને ઢોર કાંઇ પારકાં માણસ હથુ મૂકાય ? એ તો જીવતાં જીવ છે. કુટુંબીઓ છે. છોરૂડાં છે ઘરનાં.’

‘આઇ ! એક ખાનગી વાત પૂછવાનું મને રા’એ કહ્યું છે.’ નાગાજણે એક રાતે નાગબાઇને એકાંતે જણાવ્યું.

‘પૂછોને બાપ!’

‘હાથીલાના હમીરજી ગોહિલની તો તમને સાંભરણ ને?’

‘તલે તલ યાદ. એને સોમનાથ જઇ મરશીયા સંભળાવનાર જ મારી બેન.’

‘એનો વીવા થયેલો ખરો?’

‘હા બાપ, ઈ વાત તો સૌએ ભેળા મળીને દાટી દીધા જેવી કરી છે. પણ વીવા નક્કી થયેલો.’

‘વેગડા ભીલની દીકરી સાથે?’

‘હા.’

‘કાંઇ મેલું તો નહિ ને?’ નાગાજણના પ્રશ્નનો મર્મ એ હતો કે રખે હમીરજીએ ફક્ત રસ્તામાં જુવાનીને સહજ એવી થોડી નબળાઇ આચરી હોય.

‘ના બાપ. જરીકે મેલું કે હીણું નહિ. સોમૈયાની સખાતે જાતાં ગોહિલજી વેગડા ભીલના મહેમાન બન્યા. વાળુ કરવા બેઠા. ઝાંખે દીવે પિરસવા આવેલી ભીલકન્યાને જોઇ. ને પછી એણે જ વેગડાજી પાસે વાત મૂકી કે મરવા જાઊં છું, પણ પાછળ વંશ નહિ રહે. વેગડાએ પોતાની દીકરીને પણ એ રાતે એકલી એકલી આંસુડાં પાડતી દીઠી. દીકરીએ તો હમીરજીને જ પોતાનો ધણી ધારી લીધેલ છે એવી એને જાણ પડી, પછી બીજે જ દિ’ ત્યાં રીતસર વીવા થયો ને હમીરજીએ એક રાતનો સંસાર ભોગવ્યો.’

‘આઇ. એ બાઇ હાથ આવેલ છે. બાઇને જુવાન બેટડો છે. એ કહે છે કે હમીરજીનું બાળ છે.’

આઇ થોડી ઘડી આંખો મીંચી ગયાં. પછી એણે જવાબ દીધો : ‘જોગમાયા કહે છે કે બેય સાચાં.’

‘પરગટ કરાય?’

‘શું કરવા?’

‘સોમનાથના રક્ષણહારનું બાળ સૌ રાજકુળો કબૂલે, કોઈક ઊંચું કુળ એને કન્યા આપે. ને એ રીતે રાજકુળો એક થાય.’

‘આશા નથી બાપ ! કરી જુવો. પણ અમદાવાદમાં કોક ચાડી ખાશે તો?’

‘હા, એ વિચારવા જેવું.’ થોડીવાર રહીને નાગાજણે બીજી વાત પૂછી: ‘આઇ, રા’ને વરસ ઊતરતાં જાય છે.’

‘હા બાપ, આયખું તો કોનું બેઠું રહે છે?’

‘વાંસે પીંડ દેતલ કે વંશ રાખતલ કોઇ નથી.’

‘બાપ,’ આઇ હસ્યાં. ‘એ વાતનો ઇસારો ય આપણાથી ન કરાય. રાજાને એવું ઓસાણ દેવું ઠીક નહિ.’

‘પણ કુંતાદેએ પોતે જ કાકલૂદી મોકલી છે કે રા’ ફરી પરણે.’

‘એવી સુજાણ થઇને?’

‘સ્ત્રીનું ખોળીયું છે ના!’

‘એને આ મમત મૂકી દેવાનું મું વતી ભણજે ભા!’

‘પોતે તો મમતે ચડ્યા છે કે પોતાના પ્રારબ્ધમાં છોરૂ ન હોય તો રા’ને બીજું ઘર કરાવવું.’

‘અરે અસ્ત્રી ! અરે અભાગી જાત અસ્ત્રીની!’

નાગબાઇની નજરમાં ચાલીશ વર્ષનો ભૂતકાળ તરવરી ઊઠ્યો. એ ગંભીર સાદે બોલ્યાં, ‘તું કહેછ ને બાપ, કે રા’ તો જ્ઞાની છે!’

‘હમીરજીનો દીકરો દીઠા પછી એના અંતરમાં શેર માટીની ઝંખના ઉપડી છે.’

‘કોના સારૂ ! કયા ભવ સારૂ ! કયો વારસો સોંપી જવા સારૂ!’ નાગબાઇ વેદના-સ્વરે જાણે કોઇ ભવિષ્યવાણી બોલતાં હતાં. ‘રાજા-રાણી વચ્ચે મેં તો ભારી મનમેળ સાંભળ્યા’તા ને.’

ભેળીઆ (ઓઢણા)ની મથરાવટી કપાળ ઉપર વધુ નીચી ખેંચીને નાગબાઇએ કહ્યું ‘નાગાજણ, છોરૂની ઝંખના ઘરધણીના મનનું અમૃત છે, પણ રાજધણીના જીવતરનું હળાહળ ઝેર છે. કુંતાદે રા’નો ફરી વીવા કરાવવા માગે છે એવી વાતનો વશવાસ કોઇ ન કરજો. અસ્ત્રીની ઇચ્છા છે એવું બાનું બહુ જૂનું છે, હમેંશા અપાતું આવ્યું છે, પણ નરાતર ખોટું છે.’

નાગાજણ જવાબ દઇ ન શક્યો.

‘ને ભા ! તું આમાં જાળવીને રે’જે. વધુ શું ભણું?’

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા’ ગંગાજળિયો માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!