ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર મત્સ્ય હતો. જેમાં તેઓ માછલી સ્વરૂપે અવતરીને ભગવાન મનુ અને અતિમૂલ્યવાન પ્રાચીન ગ્રંથો તથા પૃથ્વીને પ્રલયમાંથી બચાવે છે. માછલી એ નારીજાતિ શબ્દ છે હવે એને સંસ્કૃતમાં મત્સ્ય કહેવાય છે. ભગવાન વિષ્ણુ એ તો નારીજાતી હતાં જ નહીંને. એમનો પ્રથમ આવતર એ ઉત્ક્રાંતિવાદનો જનક છે કારણકે સમુદ્રતો એટલે કે જળ એતો પહેલેથી જ હતું સ્થળની સંરચના પછી થઇ ત્યારેજ પશુઓ અને કાળક્રમે એમાંથી મનુષ્યની ઉત્પત્તિ થઇ !!!
મનુષ્ય જન્મે એટલેજ આસ્થા,પ્રથા અને શ્રધ્ધા વધે એ સ્વાભાવિક છે. મન્વન્તરમાં એનો ઉલ્લેખ છે જ મનુષ્યને ને એક ખેવના હોય છે કૈંક નવીનતાપૂર્ણ કાર્ય કરવાની !!! ભગવાન આપણને દર્શન આપે કે આમ મારું મંદિર આવી એક જગ્યાએ બનાવો તો તમારી મનોકામનાઓ પૂર્ણ થશે !!! એની સાથે કેટલીક કથાઓ અને લોકવાયકાઓ પણ વણાયેલી હોય છે !!! દેવ એટલે પુરુષ અને દેવી એટલે સ્ત્રી એમાં તો કંઈ નવું નથી જ નથી !!! પણ ભારતમાં એટલે કે આપણા હિન્દુધર્મમાં કુલ ૩૩ કરોડ દેવી -દેવતાઓ છે એવું કહેવાય છે અને દેવસ્થાનોનું મહાત્મ્ય પણ છે.
આવીજ માન્યતાઓ અને કથાઓને આધારે બધેજ દેવ -દેવીઓના સ્થાનકો અત્યરે વિપુલમાત્રામાં જણાય છે !!! જો કે એમાં કશુજ ખોટું નથી !!!એ બહાને આપણે ઈશ્વરનું સાનિધ્ય તો માણી જ શકીએ છીએ ને !!! નયનરમ્ય જગ્યાઓને કારણે આવા સ્થાનકો એક સારાં પર્યટકસ્થળો પણ બની જ શક્યાં છે અને પવિત્ર દેવસ્થાનો પણ !!!
![1001739_226542517497416_1736668937_n](https://shareinindia.in/wp-content/uploads/2019/04/1001739_226542517497416_1736668937_n.jpg)
ગુજરાતનું એક એવું મંદિર જ્યાં થાય છે માછલીના હાડકાંની પૂજા
પણ કેટલાંક સ્થાનકો એવા પણ હોય છે જેણે વિષે આપણને પહેલાં તો ખબર હોતી જ નથી એને વિષે કયાંક વાંચીએ કે કોક ત્યાં ગયું હોય ત્યારે કે આપણે ત્યાં જઈએ ત્યારેજ એના વિષે આપણને ખબર પડે છે અને આપણે ભાવવિભોર બની જઈને નતમસ્તક થઈને ત્યાં માથું ઝુકાવીએ છીએ !!!
મત્સ્યાવતારનું કોઈ મંદિર નથી આખાં વિશ્વમાં !!! પણ શિલ્પ-સ્થાપત્યમાં એની અસંખ્ય કલાકૃતિઓ કંડારાયેલી નજરે ઠેરઠેર પડે છે. માત્ર ભારતમાં જ નહિ પણ વિદેશી સંકૃતિમાં મત્સ્યદેવીને મહત્વ આપવામાં આવ્યું જ છે. એમાં નીચેનું શરીર માછલીનું હોય અને ઉપરનું શરીર સુંદર સ્ત્રીનું હોય આવી કથાઓ અને પાત્રો એ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં છે જ આપણે ત્યાં એ નથી પણ ક્યાંક એવા શિલ્પો છે ખરાં !!! આ માયથોલોજીકલ પાત્રોનું મહત્વ જેટલું પાશ્ચાત્યમાં છે એટલું આપણે ત્યાં નથી એટલેજ મત્સ્યાવતારને કોઈ આધુનિક સ્વરૂપ નથી આપી શક્યા કે કોઈ પૌરાણિક કથા સાથે સાંકળી શક્યા !!! આપણે તો ઇતિહાસમાં અને પુરાણોમાં રાચનારી પ્રજા ખરીને !!!
પણ સાવ એવું નથી આપણે બહાર જવાની જરૂર જ નથી. આપણા ગુજરાતમાં વલસાડ પાસે એક “મત્સ્ય માતાજી”નું મંદિર આવેલું જ છે. જેની ગણના ભારતના અદભૂત અને અલૌકિક મંદિરોમાં માં થાય છે !!! આ મંદિર એક અનોખું મંદિર છે જ્યાં વહેલ માછલીની પૂજા થાય છે !!!આ મંદિર વલસાડ જીલ્લાના મગોદ ડુંગરી ગામમાં સ્થિત છે. આ મંદિરને મત્સ્ય માતાજીના મંદિર તરીકે ઓળખવામાં આવે છે !!! અહીંયા વહેલ માછલીના હાડકાંની પૂજા થાય છે. દધીચિ ઋષિના હાડકાંમાંથી આયુધ બનાવીને રાક્ષસોનો સંહાર કરાયો હતો એવું તો આપણને ખબર છે. હાડકાંઓ હવનમાં રોડા નાંખવા માટે કે દેવોને રીઝવવા માટે પણ વપરાતાં હતાં પણ ક્યાંય હાડકાંની પૂજા થાય એવું તો આપને સાંભળ્યું નહોતું !!!
આ મંદિર લગભગ ૩૦૦ વર્ષ પુરાણું છે. જેનું નિર્માણ તે સમયના માછીમારોએ કર્યું હતું. સમુદ્રમાં માછલી પકડવાં જતાં પહેલાં તેઓ અહીંયા માથું ટેકવતાં હતાં પછી જ તેઓ માછલીઓ પકડવાં જતાં હતાં. માન્યતા એવી છે કે અહી માથું ટેકવોને તો જ વધારે માછલીઓ પકડાય !! અરે યાર …….. આ મારી સમજની બહાર છે માછલીઓ પકડવા માટે એટલેકે એમનું જીવન સમાપ્ત કરવા માટે કોઈ દેવ કે દેવી માણસને આશીર્વાદ આપે જ શા માટે ? એમની જ જાતિ-પ્રજાતિ આનાથી તો નષ્ટ થઇ જાય. ખેર …… માનતા એટલે માનતા.. બાધા એટલે બાધા અને પૂજા એટલે પૂજા !!!
આ મંદિર સાથે એક પ્રાચીન કથા પણ સંકળાયેલી છે
લગભગ ૩૦૦ વરસ પહેલાં અહીંયા રહેનાર એક પ્રભુ ટંડેલ નામના વ્યક્તિને એક સપનું આવ્યું હતું. ટંડેલે સપનામાં જોયું કે સમુદ્ર કિનારે એક વ્હેલ માછલી મૃતપ્રાય અવસ્થામાં પડેલી છે !!! જ્યારે સવારે ઊઠીને એણે ત્યાં જઈને જોયું તો સાચેસાચ એક વહેલ માછલી ત્યાં મરેલી પડેલી હતી જેણે જોઇને આ ગ્રામીણ ચોંકી ગયો !!! ટંડેલે સપનામાં એ પણ જોયું કે દેવી માં વ્હેલ માછલીનું રૂપ ધારણ કરીને તરતાં તરતાં કિનારે આવી જાય છે પણ કિનારા પર આવતાની સાથે એમનું મૃત્યુ થઇ જાય છે. આ વાત પ્રભુ ટંડેલે ગ્રામ્યજનોને બતાવી અને વ્હેલ માછલીને દૈવી અવતાર માનીને ગામમાં એક મંદિરનું નિર્માણ કરાવ્યું !!!
મંદિરનું નિર્માણ કરતાં પહેલાં પ્રભુ ટંડેલે આ વ્હેલ માછલીને સમુદ્ર કિનારે દફનાવી દીધી. મંદિરનું નિર્માણ કરતાં પહેલાં એને વ્હેલ માછલીના હાડકાં બહાર કાઢયાં અને એને મંદિરમાં પ્રસ્થાપિત કરી દીધાં !!! વ્હેલ માછલી હાડકાઓની સ્થાપના કર્યા પછી એ અને અન્ય ગ્રામજનો ત્યાં રોજ જ નિયમિત પૂજા- અર્ચના કરવાં લાગ્યાં. જો કે કેટલાંક ગ્રામજનો ટંડેલના આ અતિવિશ્વાસની વિરુધ હતાં !!! એમણે ન તો મંદિર બનવવામાં ટંડેલને સાથ આપ્યો કે ન તો એની પૂજા-અર્ચના કરી !!!
ક્યારેક કયારેક એવું પણ બનતું હોય છે કે દૈવી શક્તિમાં વિશ્વાસ ન કરવાનું અને એમની ઠઠ્ઠા મશ્કરીકરી મજાકનું સાધન બનાવવાનું પરિણામ પણ ભોગવવું પડતું હોય છે !!! બરોબર કૈંક આવું જ આ ગ્રામ્યજનો સાથે પણ બન્યું !!! મંદિર બન્યાં પછી કેટલાંક જ દિવસોમાં આ ગામમાં ભયંકર બીમારી ફેલાઈ ગઈ. પ્રભુ ટંડેલના કહેવાથી લોકોએ આ મંદિરમાં મન્નત માંગી કે —– “હે દેવી માં …… આમને માફ કરી દો અને સમગ્ર ગ્રામજનોને રોગમુક્ત કરી દો !!!” ચમત્કાર કહો કે ચમત્કાર અને આસ્થા કહો તો આસ્થા તરત જ દેવી માં એ એમની વિનંતી સાંભળી અને જોત જોતામાં આ ગ્રામજનો ભયંકર બીમારીમાંથી બહુ જલ્દીથી સારાં થવાં લાગ્યાં !!! આનાં પરિણામ સ્વરૂપ આખાં ગામમાં લોકોને એ વિશ્વાસ થઇ ગયો કે લગભગ રોજ નિતનિયમિત આ મંદિરમાં પૂજા- અર્ચના કરવાં લાગ્યાં !!!
ત્યારથી લઈને તે આજ સુધી એ પ્રથા કાયમ છે કે ગામનો દરેક માણહ સમુદ્રના પાણીમાં ઉતરતાં પહેલાં આ મંદિરનમાં દર્શન જરૂર કરે છે. કેટલાંક લોકોનું તો એવું પણ માનવું છે કે જ્યારે કોઈ માછીમાર સમુદ્રમાં જતાં પહેલાં આ મંદિરમાં દર્શન નથી કરતો તો એની સાથે કોઈને કોઈ અકસ્માત કે દુર્ઘટના જરૂર ઘટે છે !!!
આમ એક માછલી પકડવાની માન્યતામાંથી શરુ થયેલી આ પ્રથા આજે એમનાં વિઘ્નો દુર કરનારી પ્રથા બની ગઈ છે. જે આસ્થા અને શ્રધ્ધાનું પ્રતિક પણ છે જ ને !! મંદિર જ્યાં પણ અને જેનું પણ હોય પણ આપણને એ દેવી દેવતામાં શ્રદ્ધા હોવી જોઈએ !!! તો જ આપણા દરેક કાર્યો નિર્વિઘ્ને પાર પડશે અને દિવસનો કેટલોક સમય તો આપણે જે ભગવાન કે માતાને માનતાં હોઈએ એમને માટે અવશ્ય જ ફાળવવો જોઈએ. પછી જુઓ કે જીવન કેવું જીવવાં જેવું લાગે છે તે.. હા ….. પણ ….. એમાં દેખાડો ના હોવો જોઈએ અને હું રોજ જ આ કરું છું એનું અભિમાન પણ !!!
આજે ૩૦૦ વર્ષ પછી પણ આ મંદિરનું સંચાલન આ પ્રભુ ટંડેલનો પરિવાર જ કરી રહ્યો છે અને એટલું જ નહીં પ્રતિવર્ષ નવરાત્રીની અષ્ટમી અહિયાં વિશાળ મેળો પણ ભરાય છે !!! ક્યારેક એ બાજુ જાઓ તો જજો ખરાં ત્યાં હોં !!!
——— જનમેજય અધ્વર્યુ..