લોકજીવનની આરોગ્યવર્ધક કહેવતો

લોકસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે. કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે, એમ લોકસાહિત્ય પાસે જે માગો મળે. એમાંથી અર્થસભર દુહા મળે. હૈયામાં સ્પંદનો પ્રગટાવતાં ગીતો મળે, બુઘ્ધિચાતુર્ય વધારતાં ઉખાણાં મળે. કવિત્વ શક્તિ ખીલવતાં જોડકણાં મળે. માનવીની કોઠાસૂઝમાંથી પ્રગટેલી મોતીના દાણા જેવી કહેવતો અને કથાઓ મળે. જૂના કાળે આજના જેવી શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓ નહોતી ત્યારે કંઠસ્થ લોકસાહિત્ય દ્વારા લોકજીવનનાં શિક્ષણનું કામ સુપેરે થતું. આરોગ્ય જાળવવા અંગેની વાત હોય તો કહેવતો દ્વારા આ રીતે લોકજીભે રજૂ થતી ઃ

ધાતુ વધારણ બળકરણ, જો પિયા પૂછો મોય,
દૂધ સમાન ત્રિલોકને અવર ન ઔષધ કોય.

શ્રાવણની તો કાકડી, ભાદરવાની છાશ,
તાવ સંદેશો મોકલે, આજ આવું કે કાલ.

દાંતે લૂણ જે વાપરે, કવળે ઊનું ખાય,
ડાબું પડખું દાબી સૂએ, તે ઘેર વૈદ્ય ન જાય.

ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય,
દૂધે વાળું જે કરે, તે ઘેર વૈદ્ય ન જાય.

દૂધ, અનાજ અને કઠોળ માણસમાત્રનો રોજિંદો આહાર છે. આ આહાર કેમ લેવો, કેટલો લેવો, ક્યારે લેવો એનું જ્ઞાન જૂના કાળે આરોગ્ય સાથે જોડાયેલી કહેવતો આપતી. કોઠાસૂઝવાળા લોકકવિઓના અનુભવ અર્ક સમી આરોગ્યરક્ષક અનાજ- કઠોળની કહેવતોની આજે વાત કરવી છે. અહીં લોકકવિનો અનુભવ જે તે અનાજને મોઢે બોલાવ્યો છે, છે તો નાનકડી જ વાત પણ અહીં લોકકવિની જે તે વિષયની સૂક્ષ્મ સૂઝ તરી આવે છે.

ઘઊં કહે મારો મોટો દાણો, મારા માથે લીટો;
જો ખાવામાં સ્વાદ કરો, તો ઘી ને ગોળમાં ધૂંટો.
ઘઊં કહે હું લાંબો દાણો, વચમાં પડી લી,
મારી મજા લેવી હોય તો, લાવો ગોળ ને ઘી.
ઘઊંની પોળી નીપજે, ઘઊંના ઘેબર થાય,
જેવા ઘઊં કેળવે, તેવાં ભોજન થાય.

ઘઊં એ અનાજનો રાજા છે. ઘઊંમાંથી થુલી, ઘઊંના લોટમાંથી રાબ, સુખડી, શીરો, લાડવા, રોટલી, ભાખરી, પુરી, થેપલાં, પરોઠા, સેવ, હલવો, બરફી-ચુરમુ, ઘઊંના મેંદામાંથી સુવાળી, ઘારી, ઘઊંના પોંકનું જાદરિયું, ઠોર, સાટી, જલેબી, સત્તુ, માલપુવા, ઘેબર, ઘેંસ, લાપસી વગેરે બને છે. ઘઊંની પણ કેટકેટલી જાતો! ભાલિયા, (ચાસિયા), બંસી, કાઠા, પુનમિયા, પંજાબી, દાઉદખાની, વાજિયા, અમેરિકન, રાતા ઘઊં વગેરે. ઘઊં સ્નિગ્ધ, મઘુર, બળકર, ધાતુવર્ધક, સારક, વાયુ કરનાર અને કફનાશક મનાય છે. લોકસમાજે ભાવતાં ભોજન સાથે ભગવાનને ય કેવા જોડી દીધા છે?

રામનામ લાડવા, ગોપાળ નામ ઘી,
કૃષ્ણ નામ ખીર ખાંડ, ઘોળી ઘોળી પી.

અર્થાત્ ઃ દૂધ, ઘી, ખાંડ, દૂધની ખીર અને લાડવા રામ અને કૃષ્ણનું નામ લેતાં લેતાં ખાતાં રહો.
ઘઊં પછી બાજરી આવીને બોલે છે ઃ

કાળી છું પણ કામણગારી, લેશોના મુજબાદ;
વાદ કર્યામાં વળશે શું, પણ જોઈ લ્યો મુજસ્વાદ.

બાજરો એક એવું અનાજ છે જેને માણસો ને ઘોડા બેય ખાય છે. બેયનો આહાર છે. કહેવાય છે કે કચ્છનો રાજવી લાખો ફૂલાણી જંગલમાં શિકાર કરવા નીકળ્યો. એનો રસાલો દૂર દૂર અંધારિયા આફ્રિકા ખંડમાં નીકળી ગયો. બધા ભૂલા પડ્યા. ખાવાનું કંઈ ન મળે. એવામાં ખેતરમાં અનાજના ડુંડા જોયાં. ભૂખ્યા રાજવી, સાથીદારો અને ઘોડાએ એ ડુંડા ખાવા માંડ્યાં. થોડા દિ’માં તો ઘોડામાં તાકાત આવી અને ઊંમરલાયક બુઢ્ઢાઓને નવી જુવાની ફૂટી ઃ

બલિહારી તુજ બાજરા, જેનાં લાંબા પાન,
ઘોડાને પાંખું આવિયું, બુઢ્ઢા થયા જુવાન .

કિંવદંતિ કહે છે કે લાખો ફૂલાણી અંધારિયા ખંડમાંથી કચ્છમાં બાજરો પહેલવહેલો લાવ્યો હતો. બાજરો શક્તિપ્રદ આહાર હોવાથી રાજ-રજવાડામાં ને ગામધણી દરબારો કે ઘરધણી માણસ ઉત્તમ ઓલાદના અશ્વો રાખતા એને ચંદીમાં ભરડેલો બાજરો ખવરાવતા. મોટી ઊંમરે માણસને માથે વૃઘ્ધાવસ્થા આવીને બેસી જતી ને પાચનતંત્ર નબળું પડતું ત્યારે બાજરાનો રોટલો એના બળ ને શક્તિને ટકાવી રાખતો. એને નવી શક્તિ બક્ષતો. એટલે કહ્યું છે કે ‘બુઢ્ઢા થયા જુવાન’. બાજરીની બીજી પણ કહેવતો છે (૧) રોટલો બાજરીનો ને કજિયો વાઘરી-દેવીપૂજકનો. (૨) બાજરી કહે હું બળ વધારૂં, ઘઊં કહે હું ચોપડ માગું.

હવે લીલુડા મગની કેફિયત આવે છે. મગ શું કહે છે?

મગ કહે હું લીલો દાણો, મારા માથે ચાંદુ,
મારો ખપ ત્યારે પડે, માણસ હોય માંદું.

બધા પ્રકારના કઠોળમાં મગ ઔષધ જેવું કઠોળ છે. મગનો દાણો લીલછોયો હોય છે અને દાણા ઉપર એને કોંટો ફૂટે ઇ જગ્યાએ ટપકું-ચાંદુ હોય છે. આવા મગની જરૂર બે પ્રસંગે પડે. એક તો આપણે ત્યાં કંઈક મંગલ પ્રસંગ હોય ત્યારે લાપશી માટે મગનું શાક શુકન ગણાય છે. એથીય આગળ ચાલીએ તો માણસને મોટા મંદવાડે ઘેરી લીધો હોય ને આઠ દસ માતરાયું (લાંઘણ-ઉપવાસ) થઈ હોય ત્યારે મગના પાણીથી એના ખોરાકની શરૂઆત વૈદ્યો ને ડોક્ટરો કરાવતા હોય છે. આમ મગ પચવામાં હલકા, નિર્દોષ અને બળવર્ધક છે. આથી ગૃહસ્થોથી માંડીને જૈન મુનિઓમાં તેમજ અઠ્ઠાઈ ઉપવાસ કરતાં જૈનોમાં મગનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. મગની પણ બે જાત. એક લીલા મગ ને બીજા કાળા મગ. મગ પચવામાં હલકા, શીતળ, સ્વાદુ, સ્હેજ વાતકારક અને નેત્રો માટે હિતકારક છે એમ આયુર્વેદ કહે છે.

મગ સાથે કેટકેટલી કહેવતો જોડાયેલી છે! ૧. મગના ભાવે મરી વેચાય. ૨. મોંમાં કંઈ મગ ઓર્યા છે? ૩. મગમાંથી પગ ફૂટ્યા. ૪. દેરાણી- જેઠાણીના મગ ભેગા ચડે પણ શોક્યોના મગ ભેગા ન ચડે. ૫. હજુ ક્યાં ચોખા-મગ ભેગા મળી ગયા છે? ૬. વાણીયાભૈ મગનું નામ મરી નો પાડે. ૭. એક મગની બે ફાડ્ય. ૮. જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવવા.

ગરીબડી ગણાતી જુવાર આવીને કહે છે ઃ

જુવાર કહે હું રાતીધોળી, કોઠીની છું રાણી,
ગરીબોનું હું ખાણું છું ને મારી થાયે ધાણી.
જુવાર કહે હું ગોળ દાણો, ને મારા માથે ટોપી,
મારો ફાલ ખરો લેવાને, કાળી ભોંયમાં રોપી.

જુવાર કહે છે કે હું સુખિયા નહીં પણ દુઃખિયા-ગરીબ લોકોનું ખાણું ગણાઉ છું. જુવાર પૌષ્ટિક ગણાય છે. સુરતી જુવારનો પોંક છેક મુંબઈ સુધી જાય છે. જુવાર ખાવામાં મીઠી, પચવામાં હલકી છે. જુવારના રોટલા, ઢોકળાં બને છે. ગામડામાં ગરીબ ગુરબા જુવારનો બોળો કે ઘેંસ બનાવીને પેટ ભરી લ્યે છે. હુતાસણીના પર્વ પ્રસંગે જુવારની ધાણી ખાવાનો રિવાજ છે. બદલાતી ઋતુમાં આ ધાણી કફ દૂર કરનારી છે એમ વૈદ્યો કહે છે. આજે કબૂતરોને નાખવામાં આવતી જુવાર તો બાપા જગનું ઢાંકણ છે. માનવી પ્રભુને પ્રાર્થના કરતો કહે છે ‘હે પ્રભુ! આછુંપાતળું જુવાર બાજરાનું ઢેબરું મળે તોય ઘણું.’

લોકકવિ ચોખાની ઓળખ આ રીતે આપે છે ઃ

ચોખો કહે હું ધોળો દાણો, મારા માથે અણી;
મારી મજા લેવી હોય તો દાળ નાખજો ઘણી .

ભારતમાં ચોખાની પ્રાંતવાર જુદી જુદી જાતો જોવા મળે છે. સંસ્કૃતમાં ચોખાને ‘શાલિ’ કહે છે. કાળા ચોખાને કૃષ્ણવીહી, ગુજરાતીમાં એને કાળી કમોદ કહે છે. ચોખાની બાસમતી, સુરતી, કોલમ, લાલ ચોખા અને સાઠી ચાવલ જેવી અનેક જાતો છે. સાઠી અર્થાત્ સાઈઠ દિવસે પાકતી કમોદ-ચોખા ખાવા મળે એ ચારમાંનું એક સુખ ગણાતું ઃ

સાઠી ચાવલ ભેંસ દુધ, ઘેર શીલવતી નાર,
ચોથો ચડવા રેવતો (અશ્વ) ઈ સરગ નીસરણી ચાર.

આયુર્વેદની દ્રષ્ટિએ ચોખા ઠંડા છે, તે ગરમીને મટાડનાર, વિર્ય વધારનાર, પૌષ્ટિક, મીઠા, બળ આપનાર, હલકા, રુચિકર, સ્વર સુધારનાર, મૂત્ર અને મળને કાઢનાર. કફ ઓછો કરી બુદ્ધિ વધારનાર ગણાય છે. ચોખાની પણ કહેવતો જુઓ ૧. ચોખો ચંપાય ને દાળ દબાય ૨. ચોખા ભેગી ઈયળ બફાઈ જાય. ૩. દેરાણી- જેઠાણીના ચોખા ભેગાં ચડ્યા સાંભળ્યાં નથી.

તુવેરરાણી ગુજરાતમાં ઘરોઘર માનીતાં છે. ગુજરાતણોની રસોઈમાં આ રાણી રોજ હાજર હોય છે; હવે એની વાત સાંભળો ઃ

તુવેર કહે હું તાજો દાણો, રસોઈની છું રાણી,
મારો સ્વાદ લેવો હોય તો, પ્રમાણમાં નાખો પાણી.
તુવેર કહે હું દાળ બનાવું, રસોઈનો રાખું રંગ,
જે ઘરમાં તુવેર ન હોય, તેના જોઈ લ્યો ઢંગ.

તુવેરની દાળ બને, દાળઢોકળી બને, પુરણપોળી બને, દરેક કઠોળના લોટના પાપડ બને પણ તુવેર એવું કઠોળ છે કે એનો લોટ બનતો નથી. લીલી તુવેર બાફી મીઠું નાખીને ખવાય. તુવેર દાણા-લીલવાનું સરસ શાક થાય, કચોરી બને. વૈદ્યો કહે છે કે તુવેરદાળ ભારે, લુખી અને ઠંડી છે. શરીરની કાંતિ વધારે છે. પિત્ત, વિષ, રક્તદોષ, વાયુ, પેટનો દુઃખાવો અને હરસ મટાડે છે. ઘીમાં ખાવાથી ત્રિદોષનો નાશ કરે છે. પિત્ત, કફ, મેદ અને કૃમિનો નાશ કરે છે. શિવરાતના કોઈને ભાંગ ચડી હોય તો એક ચમચો તુવેરની દાળ વાટીને તેનું પાણી પાવામાં આવે છે.

શક્તિવર્ધક ચણાની સાથે કેવી મજાની કહેવતો જોડાઇ છે ?

ચણો કહે હું ખરબચડો, ને પીળો રંગ જણાય,
રોજ પલાળી દાળ ખાય, તે ઘોડા જેવા થાય.
ચણો કહે હું ખરબચડો ને મારા માથે અણી,
ભીની દાળ ને ગોળ ખાય, તો બને મલ્લનો ધણી.

કઠોળમાં સૌથી વઘુ વપરાશ ચણાનો રહે છે. ચણાના લોટમાંથી સેવ, ગાંઠિયા, ભજિયાં, પાતરા, બુંદી, લક્કડશી લાડું, મગસ, મોહનથાળ, ખાંડવી વગેરે બને છે. ચણાના લોટમાં દૂધ કે મલાઈ ને હળદર મેળવીને સ્નાન કરવાથી શરીરનો વાન ઉઘડે છે, કાંતિ વધે છે. ગામડામાં જૂના કાળે અમુક જ્ઞાતિમાં લગ્ન પ્રસંગે જાનને મરિયા-બાફીને વઘારેલા ચણાનું શાક ને સુખડી આપવામાં આવતા. આ ચણા શીતળ, વાયુ કરનાર, પિત્તહર, રક્તદોષ હરનાર, કફહર, હલકા ને દસ્ત રોકનાર ગણાય છે. તે જવરને પણ મટાડે છે. ચણા સાથે જોડાયેલી અન્ય કહેવતો ઃ

ચણા વાળાની દીકરી, ને મમરા વાળાની વહુ,
લાડે લાડે ચાલે, તેને ટપલાં મારે સહુ.

અડદ કાળા કઠોળમાં આવે. એના માટે કહેવાય છે કે ‘જે ખાય અડદ તો થાય મરદ’. એનીય કહેવતો લોકકંઠે રમતી જોવા મળે છે.

અડદ કહે હું કાળો દાણો, પૌષ્ટિકતામાં પહેલો,
માણસને હું મરદ બનાવું, જો મસાલો ભેળો.
અડદ કહે હું કાળો દાણો, માથે ધોળો છાંટો,
શિયાળામાં સેવન કરો, તો શરીરમાં આવે કાંટો.
અડદ કહે હું કઠોર દાણો, ચીકાશ મુજમાં ઝાઝો,
ખટ (છ) મહિના જો મુજને ખાઓ, બળિયા સાથે બાઝો.

સૌરાષ્ટ્રમાં અડદની દાળ બાજરાના રોટલા સાથે ખવાય છે. પટેલો અને રાજપૂતો એનો ઉપયોગ નિયમિત રીતે કરતા જોવા મળ્યા છે. અડદમાં પ્રોટીન વધારે હોવાથી તે બળવર્ધક બની રહે છે. અડદની દાળમાંથી બનતો અડદિયા પાક શિયાળામાં ખાવાથી બાર માસની શક્તિ મળે છે એમ કહેવાય છે. અડદની દાળમાંથી વડાં બને છે. લકવાના દરદીને અડદનાં વડાં ખવરાવવામાં આવે છે. અડદ વાતહર, બળ આપનાર, વીર્ય વધારનાર, પૌષ્ટિક, ધાવણ વધારનાર, રૂચિ ઉત્પન્ન કરનાર, મલમૂત્રનો ખુલાસો લાવનાર, મેદ વધારનાર, પિત્ત અને કફ વધારનાર ગણાય છે.

દિવાળીનું પરબ આવે ત્યારે બાઈયુંને મઠિયા યાદ આવે. ચણા બાજરાની જેમ મઠ માણસોય ખાય ને ઘોડાય ખાય, એટલે કહેવાય છે ઃ

મઠ કહે હું ઝીણો દાણો, મારા માથે નાકું,
મારી પરખ ક્યારે પડે, કે ઘોડું આવે થાક્યું.

મઠ સાથે ઘણી કહેવતો જોડાઈ છે ઃ

મઠને ખેતર માળો નઇં
ઊંદરને ઉચાળો નઈં
ઘેલીને ગવાળો નઇં
ને કુંભારને સાળો નંઇ.

મઠનું સંસ્કૃત નામ મુકુષ્ઠક છે. તે વાયુ કરનાર, જઠરાગ્નિને મંદ કરનાર, કૃમિ અને તાવને મટાડનાર મનાય છે.

ચોળા એ વાયડું કઠોળ ગણાય છે. એને માટે કહેવાય છે ઃ

મઠ કરે હઠ, ચોળો ચાંપ્યો ના રહે,
વાલ કહે ઢગ, સ્હેજે ઢાંક્યો ના રહે.

મગની જેમ ચોળા શુકનવંતુ કઠોળ ગણાય છે. જૈનો દિવાળી અને બેસતા વરસે શુકનમાં ચોળા ખાય છે. એથી તો કહેવત પડી કે ઃ

લોક કરે ઢોકળાં, વૈદ્ય વઘારી ખાય,
દિવાળીને પરોઢિયે, પાટણનું મહાજન મનાવવા જાય.

આ ચોળા ભારે, વાયુ કરનાર, નારીનું ધાવણ વધારનાર છે. બાળકોને ચોળા પચવામાં ભારે પડે છે એનું પણ કહેવત જોડકણું ઃ

બાળક કહેઃ મેં ખાધા ચોળા
મા કહેઃ મારા બગાડ્યા ખોળા.

આપણે કઠોળ રોજ ખાઈએ છીએ પણ એના વિષે ભાગ્યે જ કશું જાણીએ છીએ. આપણી કહેવતો કેવું મજાનું લોકશિક્ષણ આપે છે! આપણે એનો અભ્યાસ કરીએ તો ખબર પડે ને!

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!