કાઠિયાણીનો સાત પાણીનો રોટલો અને એક પાણીનું શાક

સૌરાષ્ટ્ર જૂના વખતમાં કાઠિયાવાડ તરીકે ઓળખાતું. પંજાબમાં એક કાળે વસતા કાઠીઓ ૧૧થી ૧૪મી સદી દરમ્યાન સિંધમાંથી કચ્છમાં અને કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં આવ્યા. કદાવર અને જોરૂકા ગણાતા કાઠીઓ ઘોડલા ઘુમાવતા ને હાથમાં હથિયારો રમાડતાં સૌ પ્રથમ થાનમાં આવ્યા. શ્રી પ્રધુમ્નરાય ખાચર નોંધે છે કે એ વખતે ગાયકવાડ અને મરાઠા રાજવીઓના લશ્કરો સૌરાષ્ટ્રમાં મુલકગીરી ઉઘરાવવા આવતા ત્યારે સૌ પ્રથમ કાઠીઓનો મુકાબલો કરવો પડ્યો. મરાઠાઓએ સૌરાષ્ટ્રના મધ્ય દક્ષિણ ભાગને કાઠેવાડ (કાઠીવાડ) કહ્યો. કાઠીવાડ એટલે કાઠીનો પ્રદેશ. તેના પરથી આખા દ્વિપકલ્પનું નામ કાઠિયાવાડ પડ્યું એ પછી ૧૬મી સદીથી સૌરાષ્ટ્રમાં કાઠીઓની રાજસત્તા સ્થપાવા માંડી.

આ કાઠી દરબારોની આગવી અને અનોખી સંસ્કૃતિ છે. એમનાં લગ્નપ્રસંગો, હથિયાર- પડિયાર, અશ્વો, ઓરડાના શણગારો, ખાંભી, પાળિયા, એમનું ભાતીગળ ભરત અને મોતીકામ, એમની દિલાવરી, દાતારી, મહેમાનગતિ અને ખાનપાનમાં કાઠી સંસ્કાર અને સંસ્કૃતિની કિંમતી કણો ઝબકતાં જોવા મળે છે. મહેમાનોને માનપાન આપી એમની સરભરા કેમ કરવી એ કાઠીઓની કુનેહ ગણાય છે. એમની પથારી પાગરણ, ઢોલિયા, રજાઈ, ગાદલા, ગાલમસુરિયાં, ઓશીકાં અને જમવા- જમાડવાની રસમ જ એવી હોય છે કે આવનાર મહેમાનના અંતરમાં આનંદના રંગસાથિયા પૂરાઈ જાય.

બપોરની વેળાએ ડાયરો ડેલીએથી જમવા ઊભો થાય. કાઠી- સંસ્કૃતિમાં શ્રી જીલુભાઈ ખારચે નોંધ્યું છે કે, ઓરડામાં આકળિયુ નાખવામાં આવે, વાઘનખના પાયાવાળા પિત્તળના જડતર- ઘડતરવાળા બાજોઠ મૂકાય, પિત્તળની બશેરની પડઘી મૂકાય જેની ફરતી ઝરમરની પાંદડિયું હોય. પડઘી ઉપર કાંસાની તાંસળી મૂકાય. કાંસાનું વાસણ આરોગ્ય માટે ઉપકારક મનાયું છે. જમતા હોય ને દુશ્મન આવી જાય તો પડઘીનો ઉપયોગ દુશ્મનને મારવામાં કામ લાગે. બળધુઈના દરબારગઢમાં બહારવટિયા મામંદ જામને પડઘીથી પતાવી દીધેલો. જમતા જમતા પગને આરામ મળે એ માટે ઢીંચણિયું પણ મૂકાય. ઢીંચણિયું વાપરવા પાછળ આયુર્વેદિક સમજ પણ સમાયેલી છે. જમતી વખતે ઢીચણિયું ડાબા પગના ઢીંચણ નીચે રાખો તો જમણી સૂર્યનાડી શરૂ થાય અને જમણી બાજુ મૂકો તો ચંદ્રનાડી શરૂ થાય. ઘનપદાર્થ જેમ કે દૂધપાક, બાસુંદી, લાડુ, અરીહો અને મિષ્ટાન્ન જમવામાં સૂર્યનાડીનો ઉપયોગ થાય જેથી બધું પચી જાય. ખાલી દૂધ, દહી કે પ્રવાહી પીવામાં ચંદ્ર નાડી શરૂ કરાય જેથી પ્રવાહી હજમ થઈ જાય.

જમનાર મહેમાનોની જમણી બાજુ એમની નજર સામે બધી જ વસ્તુઓ મૂકવામાં આવે જેથી કોઈને માગતાં સંકોચ ન થાય. શેઢકઢા દૂધનું બોઘરણું, દહીનું તપેલું, બે શાક, તીખું અને ખાટું સાથે મિષ્ટાન્ન, અથાણાં આવે. બાજોઠ ઉપર થાળ, થાળમાં રોટલા, રોટલી, ઘીની વાઢી, ખાંડેલા મરચાં, મીઠું થાળમાં હોય, કાઠીના શાક થોડા મીઠાથી બનાવવામાં આવે. મહેમાનથી મીઠું મગાય નહીં. માગે તો રસોઈ બનાવનારનું અપમાન ગણાય. આ ભોજન બાજરાના રોટલા વગર અધૂરું ગણાય.

દરબારી રસોડે બનતા બાજરાના રોટલા માટે હોંશીલી કાઠિયાણીઓ વાળંદ કે કુંભારની સ્ત્રીઓ પાસે રસોડામાં કાટખૂણે અગ્નિખૂણામાં કાળી માટી, રેતી, કુંવળ, ઢુંહા અને લાદના મિશ્રણવાળા ખાસ ચૂલા નંખાવે છે. આ ચુલા માટે પણ કહેવત છે, ‘ચૂલા છીછરાં, આગવોણ ઊંડી અને બેડ બમણી. બેડ એટલે ચૂલાનો પાછળનો ભાગ. ઓરડામાં પંદર મહેમાન જમવા બેઠા હોય તો ય બાજરાના રોટલા ગરમ ગરમ જ આવે. કાઠિયાણીઓ બાજરાના રોટલા ચડી જાય પછી એને ચૂલાની બેડ ઉપર ઊભા મૂકી દે. ચૂલો ચાલતો હોય એટલે રોટલા ગરમ જ રહે અને ગરમ ગરમ જ પીરસાય. ચતુર કાઠિયાણીઓની આ કોઠાસૂઝ પણ કહેવાય છે એમના હાથે બનતા બાજરાના રોટલાની મીઠાશ પણ કંઈક અનોખા પ્રકારની હોય છે.’ જીલુભાઈ ખાચર એના વખાણ ને વર્ણન કરતા થાકતાં નથી.

દરબારી રસોડે બનતા બાજરાના રોટલા માટે કહેવાય છે કે સાત પાણીનો રોટલો અને એક પાણીનું શાક એ કાઠી ખાનપાનની મજા છે. શાક વઘારો પછી એક જ વાર પાણી નાખીને શેકવો એ ખૂબ જ સ્વાદિષ્ટ બને. કાયમ બનાવતા હોય એને માપનો ખ્યાલ હોય જ. બાજરાના રોટલાને ઘડતાં પહેલા કુંભારે બનાવેલી કથરોટમાં પાવલીભાર મીઠું ઓગાળે, પછી ટોયું લોટ નાખે, અને ચૂલે મૂકેલું ગરમ પાણી કથરોટમાં નાંખે જેથી ‘વક’ આવે. પછી મહળવાનું શરૂ કરે. જેમ મહળાય એમ લોટ કઠણ થાય. પછી પાણીનો છટકારો આપે. ફરી વખત મહળે એમ સાત વખત પાણી આપે પછી રોટલાને ટીપે. એક સરખો ગોળ ઘડાય પછી ઝડપથી તાવડીમાં એવી રીતે નાંખે કે એમાં હવા ન રહે. હવા રહી જાય તો ભમરા પડે. આ ભમરા માટે કણબી પટેલોમાં કહેવાય છે કે, દીકરી બાજરાના રોટલા ઘડતાં શીખતી હોય અને ભમરો પડે તો મા એને તરત જ સંભળાવે છે, ‘આ ભમરાળો રોટલો તારો બાપ ખાશે પણ તારો હહરો નંઈ ખાય.’

કાઠિયાણી રોટલો સેડવે એ વખતે ચાકુથી, આંગળિયુંથી કે તાળાની પોલી ચાવીથી ભાત્ય પાડે છે અને મંઈ ઘી ભરે છે. ત્રાંબિયા જેવો સેડવેલો ગાડાના પૈડા જેવો રોટલો ભાંગવાનું મન ન થાય તેવો મનોહર હોય છે. સામે પડ્યો હોય તો મોઢામાં પાણી આવવા માંડે છે. બાજરાના રોટલા સાથે રોટલી, ભાતલા કે પરોઠા કે ભાખરી પણ બનાવે છે.

મહેમાનો જમવા બેસે એટલે વાળંદ પીરસવામાં હોય, સૌથી પહેલાં મિષ્ટાન પીરસાય, પછી શાક. કોઈ ખાટું શાક ખાતા હોય તો કોઈ તીખું શાક ખાતા હોય. કોઈ દહીં ખાતા હોય, કોઈ દૂધ ખાતા હોય. કોઈ રોટલા જમતા હોય, કોઈ રોટલી જમતા હોય ઇ બધું મેમાનની નજર સામે હાજર હોય. શાક પીરસતા પહેલાં ઘીની વાઢીમાંથી ઘી પીરસાય, પછી શાક પીરસાય જેને ‘અબગાર’ કહે છે. અબગાર પરંપરારૂપે ખમાર કાઠી દરબારો રોટલા, રોટલી ઘીએ ચોપડતા નહીં, શાકમાં ઘી નાખે છે. શાકમાં ઘી અબગારરૂપે નાખવાથી મરચાં ઘીનું મારણ છે. શાકમાં ઘી ખાવાથી યાદદાસ્ત સારી રહે છે એવી એક માન્યતા છે. ઘી કેરીમાં ખવાય, દૂધપાકમાં ખવાય, ખીરમાં ખવાય, લાપસીમાં ખવાય, કાઠીઓ દૂધ, સાકર અને ચોખામાં ઘી ખાય છે. ઘીનું મારણ ધુંગારેલું દહીનું ઘોળવું ગણાય છે. ધુંગારેલું એટલે દેવતાના જગતા કોલસા ઉપર ઘી નાંખી ધુમાડો થાય એટલે તપેલું ઢાંકી દેવામાં આવે. પછી ધુમાડો અંદર હોય એમાં દહીનું ઘોળવું નાખી દેવામાં આવે છે. વઘારેલા (શાક) અને ધુંગારેલા ભોજન તે આનું નામ. ધુંગારેલા દહીનાં ઘોળવામાં ઘીના ધુમાડાની સુગંધ આવે છે. આ ઘોળવું પાચક ગણાય છે. જમ્યા પછી ધુંગારેલું ઘોળવું એક તાંસળી પી જાવ તો ગમે તેવો ભારે ખોરાક પણ હજમ થઈ જાય છે. કાઠી જમવા બેસે ત્યારે થાળમાંનો રોટલો કે રોટલી ડાબા હાથે ભાંગી જમણા હાથે જ જમે છે.

કાઠિયાણીના હાથની રસોઈ જમવી એ પણ જીવનનો એક લ્હાવો ગણાય છે. કાઠી દરબારોના રોટલા, મિષ્ટાનો, જાતજાતના ને ભાતભાતના શાક, રાયતા, અથાણાના આગવા ખાનપાનની રસપ્રદ વાત માંડીએ એ પહેલાં કાઠિયાવાડની કાઠિયાણી સ્ત્રીઓના રસોડા ભણી પણ એક નજર નાખી લઈએ. શ્રી જીલુભા બાપુ એનું વર્ણન આ પ્રમાણે કરે છે.

દરબારગઢમાં ઓરડાની પાછળની ઓસરીમાં આઠથી બાર હાથ લાબું પહોળું રસોડું જોવા મળે છે. જેમાં બે બારણાં તથા જાળિયા ભીંત કબાટ પાણીયારૂં ચોકડી તેમજ નાની પેડલી હોય છે. રસોડાની અંદર ઠામવાસણનો કબાટ તેમજ જૂના જમાનાનું ‘લોકફ્રીઝ’ એટલે મજુડું (મજુસ), જેમાં રોટલા, ઘી, દહીં, શાક, માખણ, દૂધ- દહીનાં ગોરહડાં મૂકવામાં આવે છે. ઉંચા પાયાવાળો અસલ બર્માટીક સાગનો ત્રણ થરા પાટિયા મારી નાનાં નાનાં ખાનાં કરેલાં હોય જેથી બહારની હવા તડકો, ટાઢ કે ભેજ લાગે નહીં. આવા મજૂસ એક એક કાઠીઓના દરબારગઢમાં રહેતા. રસોડામાં ભીંતા કબાટમાં અથાણાના બાટલા તથા તેલના કુલડાં રહેતા. કાઠિયાણી રસોડામાં બાજરાના રોટલા ઘડવા બેસે તે રસોડા બહાર રોટલાના ટપાકાનો અવાજ ન સંભળાય તેની પૂરી કાળજી રાખે છે.

કાઠી સ્ત્રીઓ બાજરાના લીલછોયા રોટલા ઉપરાંત શ્રાવણ ભાદરવા મહિનામાં મકાઈનો વિશિષ્ટ રોટલો બનાવે છે. આ રોટલો બનાવવા માટે કુણાકુણા મકાઈના ડોડા લઈ તેના દાણા કાઢીને વાટી નાખે છે અને તેમાં બાજરાનો લોટ મસળીને જે રોટલા બનાવે છે તેનો સ્વાદ રોટલો ખાનારને જીવનભર યાદ રહી જાય છે. કાઠીઓ બાજરાને ‘લાખા ધાન’ કહે છે. એમ મનાય છે કે કચ્છનો લાખો ફૂલાણી શિકારે ગયેલો. જંગલમાં ભૂલો પડ્યો ત્યાં બાજરાના ડૂંડા ઉગેલા હતા. ભૂખ્યા ઘોડાએ બાજરો ખાધો અને શક્તિશાળી બન્યો. એ બાજરો લાખા દ્વારા કચ્છમાં ને પછી કાઠિયાવાડમાં આવ્યો. લોકવાણીમાં એનો એક દૂહો પણ જાણીતો છે ઃ

બલિહારી તુજ બાજરા, જેના લાંબા પાન;
ઘોડે પાંખુ આવિયું, બુઢ્ઢા થયા જુવાન.

કાઠી દિવસમાં ત્રણ વાર ભોજન લે છે, સવારે ગરમ ગરમ ભાટલા, દહીં અને ક્યારેક દૂધ જમે છે, જેેને શિરામણ કહે છે. બપોરના ભોજનમાં રોટલા, રોટલી, શાક, અથાણાં કે છાશ કે દૂધ લ્યે છે. રાત્રિના વાળુમાં દૂધ, કઢી, લાલ મરચાની ચટણી અને ઘી હોય છે. શાક અને કઢીમાં ઘી નાંખીને ખાવાનો રિવાજ છે. અત્યારે વાસણોમાં જર્મન સિલ્વર, કાંસુ, તાંબુ અને પિત્તળનો ઉપયોગ કરે છે. જૂના કાળે તેઓ રસોઈ માટે હાંડલા, જાકરિયા, પાટિયા, તાવડી ને માટીના વાટક્યા વાપરતા. માટીના વાસણમાં રસોઈ ખૂબ જ સ્વાદિષ્ટ બનતી. ઇન્ડિયન ફૂડ ફેસ્ટીવલમાં મૂકી શકાય એવી કાઠી દરબારોની વિશિષ્ટ વાનગીઓ અને ખાનપાનની રસપ્રદ વાતો પછી ક્યારેક.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!