કરણ ઘેલો: પ્રકરણ- 9

ગુજરાતની સરહદ ઉપર અલાઉદ્દિન ખિલજીનું લશ્કર છાવણી નાંખીને પડ્યું હતું. લશ્કરની સંખ્યા, તથા તેના મુખ્ય સરદારના અધિકાર, જે દેશ જીતવાનો હતો તેના મહત્વને લાયક જ હતા. છાવણીમાં એક લાખ સવાર, પંદરસેં હાથી, વીસ હજાર પાયદળ, તથા પીસતાળીસ મોટા સરદારો હતા. ગુજરાત જો જીતાય તો તેનું રાજ્ય ચલાવવાનું કામ અલફખાં જે પાદશાહનો ભાઈ હતો, અને આ સઘળા લશ્કરનો મુખ્ય સરદાર હતો તેને સોંપેલું હતું. તેના હાથ નીચે સઘળો કારભાર માધવને સોંપવો એવો બંદોબસ્ત કીધેલા હતો, અને પાદશાહનો વજીર નુસરતખાં લશ્કરની સાથે આવેલો હતો, પણ દેશ સર થયો એટલે તેને દિલ્હી પાછા જવાનો હુકમ હતો. છાવણી એક મોટા શેહેર જેવડી હતી, જેટલાં લડનારાં માણસો ઉપર ગણાવ્યાં, તે સિવાય બઈરાં, છોકરાં, દુકાનદાર, ચાકરો તથા બીજાં ઘણાંએક નકામાં માણસો છાવણીમાં રહેતાં હતાં. વળી ઘોડા, હાથી, ઉંટ, વગેરે લડાઈમાં તથા ભાર વહેવામાં ઉપયોગી જાનવરો લાખો હતાં, તેમાં ઘરોને બદલે તંબુ, ડેરા, રાવટી, વગેરે એક ઠેકાણેથી બીજે ઠેકાણે લેઈ જવાય એવી રહેવાની જગા હતી. મોટા સરદારો તથા અમીરોના તંબુઓ કિનખાબના, ઝરીના, તથા બીજાં કિમતી લુગડાંના હતા, અને તેઓ પણ શોભાયમાન દેખાતા હતા, ઠેકાણે ઠેકાણે બજાર ભરાતી, તેમાં માંડવા નાંખી દુકાનદારો જુદી જુદી જાતનો માલ વેચતા હતા, છાવણીમાં હમેશાં લોકોની ભીડાભીડ રહેતી, અને રાતને વખતે રોશનીથી ત્યાં મોટી આગ લાગી હોય એમ દેખાતું હતું, થોડી રાત વહી ગયા પછી સઘળા દીવા ઘેર કરવામાં આવતા, તથા છાવણીની આસપાસ મોટાં મોટાં બળતાં કરી ચોકીદાર લોકો જાગતો પહેરો રાખતા હતા. એવી રીતે અલાઉદ્દીનનું લશ્કર ગુજરાત તથા મેવાડની સરહદ ઉપર પડેલું હતું. છાવણીની વચ્ચોવચ જે ભભકાદાર તંબુઓ હતા તેમાંથી એક ઝરીના મોટા તંબુમાં ત્રણ માણસ ઘણા ઉંડા વિચારમાં બેઠેલા હતા, તેઓ પાટણના રસ્તામાં જે જે ગામ, નદી, વગેરે આવે તે એક કાગળ ઉપર માંડતા હતા, તથા મુખ્ય રાજ્યધાનીના શેહેરમાં કયે રસ્તે જવું, તથા ક્યાં ક્યાં મુકામ કરવો તેની તે નકશા ઉપર તેમણે નિશાની કીધી હતી.

માધવે ગુજરાતના મંડળેશ્વર તથા મોટા સામંતોને ફોડવાને ગુપ્ત જાસુસો મોકલ્યા, લોકોની પ્રીતિ રાજા ઉપરથી ઉઠાવીને પોતાની તરફ તેઓને ખેંચી લેવાની ઘણી મહેનત કીધી, તથા મુસલમાન લોકો કરણ રાજાને ગાદી ઉપરથી ઉઠાડી મુકી બીજો નવો રાજા નીમી સઘળો રાજ્યકારભાર મને સોંપશે, અને તેઓ પાછા પોતાને દેશ જશે, ને પછી હું મારા મદદગાર લોકોને ઘણો જ લાભ કરી આપીશ એમ લોકને સમજાવવાને ઘણા પ્રયત્ન કીધા, પણ તે સઘળા નિષ્ફળ ગયા, માત્ર ત્રણસેં ને સાઠ સ્વાર તેને આવી મળ્યા પણ તે ઉપરથી માધવ અથવા અલફખાં બેમાંથી કોઈ નિરાશ થયો નહી. તેઓએ ગુજરાતના લોકોની સહાયતા ઉપર ભરોસો રાખ્યો ન હતો, એટલું જ નહી પણ માધવના કહ્યા છતાં પણ કોઈ મદદ કરશે નહી એમ આગળથી જ ધારીને તેઓએ બોહોળું લશ્કર તથા લડાઈનો સઘળો સામાન સાથે રાખ્યો હતો. ગુજરાત જીતવામાં જુદા જુદા માણસોનો જુદો જુદો સ્વાર્થ હતો, પાદશાહી રાજ્યમાં વધારો થાય, અને પોતાના ભાઈ અલાઉદ્દીનનું રાજ્ય વિસ્તાર પામે, અને તે સઘળું કદાચ કોઈ દહાડો પોતાના હાથમાં આવે એટલો અલફખાંને ફાયદો હતો. નુસરતખાને લાભ એટલો જ હતો કે પોતાની બહાદુરી તથા હોશિયારી વડે ગુજરાત સરખો મોટો ફળવાન પ્રાંત જીતાય તો પાદશાહ ઘણો ખુશ થાય, તેના ઉપર મેહેરબાની વધે, તેની વજીરાતનો પાયો વધારે મજબુત થાય, અને પોતાની કીર્તિ જો દેશમાં ફેલાય તો કોઈ વખત રાજ્યની ઉથલપાથલમાં તેને તખ્ત મળવાનો લાગ આવે, માધવની મુખ્ય મતલબ કરણ રાજા ઉપર વેર લેવાની હતી, અને તેમ કરતા કદાપિ ગુજરાતનું રાજ્ય ઉંધું વળે, ને રાજા પદભ્રષ્ટ થાય, અથવા લડાઈમાં માર્યો જાય, અને તેની પછી ગમે તે પોતાના દેશ ઉપર રાજ્ય ચલાવે તોપણ તેની મુખ્ય મતબલ પાર પડે એટલી જ તેને ખુશી હતી. વળી તેને રાજ્યકારભાર મળવાની પણ ઉમેદ હતી, તેથી તે ઘણીએક વખતે ઉમંગમાં દેખાતો હતો. છાવણી બીજે દહાડે સવારે ઉઠવાની હતી તેથી અલફખાં, નુસરતખાં, તથા માધવ એ ત્રણે રાત્રે નવ કલાકે મસલત કરવા બેઠા હતા.

અલફખાં – માધવજી, તમારા ધાર્યા પ્રમાણે કરણ રાજા કેટલું લશ્કર એકઠું કરશે ? પાટણ જતાં સુધી રસ્તામાં કાંઈ અડચણ નડશે કે નહીં ? તે બહાર નીકળીને લડાઈ કરશે કે શેહેરના દરવાજા બંધ કરી કિલ્લામાં ભરાઈ બેશી રહી શેહેર આગળ આપણને રાહ જોવડાવશે ? તમે રાજાની ચાલથી, કિલ્લાની મજબુતીથી, ઈહાંના લોકોની બહાદુરીથી, તથા રાજાના લશ્કર તરફનું કેટલું જોર છે એ સઘળાથી વાકેફ છો, માટે તમારાથી એ ખબર પાકી મળશે.

માધવ – કરણ રાજા મારો કટ્ટો વેરી છે, તેણે મને બધી રીતે પાયમાલ કરી નાંખ્યો છે; તોપણ તે બહાદુર નથી એમ મારાથી કહી શકાતું નથી. રજપૂત લોકોમાં શૂરાતનની કાંઈ કસર હોતી નથી, તે પ્રમાણે કરણમાં પણ શૌર્ય ઘણું છે. તેનામાં ભયનું તો નામ જ નથી, તે ભયને ઓળખતો જ નથી; લડાઈથી તે ઘણો આનંદ પામે છે, અને અગરજો હજુ સુધી તેની હિમ્મત કોઈ પણ લડાઈમાં કસાયલી નથી, અગરજો તેની સઘળી બહાદુરી હજૂ સુધી તેના શબ્દોમાં જ રહેલી છે, કંઈ કામમાં વપરાયલી નથી, તોપણ જ્યારે પ્રસંગ પડશે ત્યારે તે નામરદ ઠરવાનો નથી, તેની બહાદુરીનાં આપણને પણ વખાણ કરવા પડશે. પણ પરમેશ્વરની મેહેરબાનીથી તેનામાં જોઈએ તે કરતાં પણ વધારે શૂરાતન છે તેથી જ્યારે આપણું લશ્કર ગુજરાતમાં પેંસશે, તથા પાટણથી થોડેએક દૂર આવી પહોંચશે, એટલે તે લડાઈ કરવાને એટલો બધો આતુર થઈ જશે કે પાટણનો મજબુત કિલ્લો મૂકી બહાર મેદાનમાં યુદ્ધ કરવાને નીકળશે, એટલે કિલ્લાને ઘેરો ઘાલવાની મહેનત આપણને કરવી પડશે નહી. શેહેર આગળ જરા પણ ખોટી થવું પડશે નહી, તથા અનાજ પાણીની તંગી વેઠવી પડશે નહીં, જે થશે તે લડાઈમાં થશે, જો ઈશ્વરની કૃપાથી લડાઈમાં ફતેહ મળી તો આખો ગુજરાત દેશ જીતાયો એમ જાણવું. લડાઈના કામમાં તે બીજા લોકોની સલાહ માનશે નહીં, તે પોતાના જુસ્સાથી ઘસડાયો જશે, અને અંતે રણસંગ્રામમાં તે માર્યો જશે; અથવા મરણતોલ જખમી થશે ત્યાંસુધી તે લડાઈ બંધ પાડશે નહી. પાટણમાં ઘણાએક શુરા અને શાણા સામંતો છે, વળી તેનો વાણિયો મંત્રી પણ ધૈર્યવાળો તથા અગમ બુદ્ધિમાન છે. તેઓની શિખામણ જો રાજા સાંભળશે તો તે પાટણના કિલ્લામાં જઈને ભરાશે, અને તે કિલ્લો ઘણો જ મજબુત છે, તથા કિલ્લો લેવાનો સામાન આપણી પાસે જોઈએ તેટલો નથી, અને એ રીતે ગુજરાતના સઘળા કિલ્લા એક પછી એક લેવા પડે તો આપણી કમબખ્તી જાણવી; અન્નપાણીની ઘણી ખોટ પડશે, આપણી સાથે જે બોહોળું લશ્કર છે તેને જોઈએ તેટલો ખોરાક પૂરો પડશે નહી, ત્યારે તેઓમાંથી ઘણાએક ભૂખે મરી જશે, અને બીજાઓ એટલા તો નારાજ થઈ જશે કે તેઓને ઈહાં રાખવા ઘણું મુશ્કેલ થઈ પડશે, અને રહ્યા તોપણ તેમનું લઢવા તરફ ઘણું દિલ રહેશે નહી. ગામના લોકો તથા રાજાનું લશ્કર તેઓને હેરાન કર્યા કરશે, અને અંતે કાયર થઈ આપણને ગુજરાત છોડી જવું પડશે,

તે વખત પાદશાહના અધીરા તથા ઉતાવળીયા સ્વભાવથી, તેનું ધારેલું કામ પાર પડ્યું નહી તેની નાઉમેદીને લીધે તેને જેટલો ક્રોધ ચડશે તેથી, લશ્કરમાં માણસ તથા પૈસા તરફથી ખરાબી થવાને લીધે પાદશાહના મન ઉપર જે અસર થશે તેથી, તથા પાદશાહનો કોઈ વખત પણ પરાજય થયો નથી, તથા ધારેલું કામ નિષ્ફળ ગયું નથી, છતાં આ વખતે જો તેની હાર થાય તો તેનું નામ તુટી જાય, તેની આબરૂમાં ખલેલ પહોંચે, તેની શક્તિ વિષે તેના તાબાના રાજા ઓના મનમાં હલકા વિચાર આવે, અને તેમ થવાથી રાજ્યમાં સઘળે ઠેકાણે બંડ થાય, અને તે જોઈને કોઈ અમીર અથવા બીજો શખ્સ ઉભો થઈ પાદશાહની ગાદી છીનવી લે, બલકે તેની જીંદગીને પણ નુકસાન લાગે, એ સઘળાં પરિણામો પર નજર પહોંચાડી પાદશાહને કેટલી દિલગીરી થાય તથા તે દુ:ખના આવેશમાં તે જે કરે તેથી આપણને કેટલો ભય લાગવાનું કારણ થઈ પડે તેનો ખ્યાલ માત્ર કરવો. પણ એ સઘળું મારી અલ્પ બુદ્ધિ તથા ટુંકા અનુભવ પ્રમાણે બનવાનું નથી. રાજાનો સ્વભાવ ઘણો હઠીલો છે તેથી તેણે જો એક વાર લડાઈ કરવાનો અને તેમાં પોતાનું શૌર્ય દેખાડવાનો ઠરાવ કીધો તો ગમે તે થશે તોપણ તેમાંથી તે ફરવાનો નથી અને જો એકવાર મેદાનમાં યુદ્ધ થાય તો જય મળવાનો વધારે સંભવ છે, અને તેમ જ થશે તેવી આશા પણ રાખવામાં આવે છે. રાજા જો લશ્કર એકઠું કરવાની ધીરજ રાખે તો ઘણું મોટું જોરાવર સૈન્ય તેની પાસે થાય. બધા મંડળિક રાજાઓ પોતપોતાનાં માણસો લેઈને આવે, પણ હવે આપણે કરણને વખત આપીશું નહીં. આપણે જલદી જલદી કુચ કરી રાજ્યધાનીના શેહેર ઉપર જવું, એટલે તે મંડળિક રાજાઓથી પોતાના સીપાઈઓ એકઠા કરી રાજાને મદદ કરવાનું બની આવશે નહી. કરણ તેઓની રાહ જોવાનો નથી, પોતાની શક્તિ ઉપર તેને એટલો બધો વિશ્વાસ છે તથા આપણા ઉપર તેને એટલો તો ધિક્કાર છે કે તે મદદની રાહ ન જોતાં લડાઈ કરવાને તૈયાર થશે, તેના ઘણાએક મંડળેશ્વર છે તેઓ પોતાના તાબાનાં માણસોને લઈને આવશે, તેમને તથા પોતાના ખાસ લશ્કરને લઈ રાજા લડાઈમાં આવશે. લશ્કરની બહાદુરી વિષે કહેવાની જરૂર નથી. આપણા લશ્કરે રજપૂત સીપાઈઓની સાથે ઘણીએક વખતે યુદ્ધ કીધેલું છે. તેઓની હિંમત, લડવાની રીત વગેરેથી તે સારી પેઠે વાકેફ હશે. બહારથી સહાયતા મેળવવાનો તેને સંભવ નથી. દેવગઢનો રાજા આપણાથી એટલો તો ત્રાસ પામ્યો છે, તથા તેનો એટલી બધી વાર પરાજય થયલો છે કે તે આ વખત માથું ઉઠાવવાની હિમ્મત ચલાવશે નહી. વળી તે આપણા પાદશાહનો ખંડીયો રાજા છે એટલે આપણી સામે થવાનો તેનો ધર્મ નથી. રાજ્યસ્થાનમાંના ઉદેપુર, જોધપુર, અજમેર, ઈત્યાદિ સંસ્થાનોના રાણા, રાજાઓ પોતાના જાતભાઈને મદદ કરવાને આવશે નહીં, જ્યારે ઘોરીશાહે દિલ્હીના પૃથુરાજ ઉપર ચઢાઈ કીધી તે વખતે જેમ બીજા રજપૂત રાજાઓ તેને સહાય થયા હતા તેમ આ વખતે કરણને મેવાડ, મારવાડ અથવા બીજા કોઈ રજપૂત સંસ્થાનના રાજા તરફથી પૈસા અથવા લશ્કરની મદદ મળશે, એવો સંભવ નથી. તે રાજાઓએ સુંઠનો સ્વાદ ચાખ્યો છે. આજ ઘણાંએક વર્ષ થયાં પાદશાહે પોતે જાતે તેઓની સાથે લડાઈ ચલાવી છે, તેમાં તેઓની ઘણી ખરાબી થઈ છે. તેઓ આપણા લશ્કરનું બળ અનુભવથી જાણે છે, તથા તેથી તેઓ ઘણું બીહે છે. વળી કરણને મદદ કરી તેઓ પાદશાહની ઈતરાજી કરાવશે નહી. કરણ પણ એટલો અહંકારી છે, તથા તેને પોતાના બળ ઉપર એટલો વિશ્વાસ છે કે તેઓની સહાયતા માગશે નહી. માગશે તો પણ તે મળવા જેટલો હવે વખત રહ્યો નથી. વળી જો તેઓની મદદથી કરણ જય પામે તો પ્રતિષ્ઠા સઘળામાં વહેંચાઈ જાય, અને થોડો ભાગ જ કરણને મળે. પણ તેમ થાય તેમાં કરણ નાખુશ છે, તેને સઘળી આબરૂ પોતાને જોઈએ છીએ, તેથી તે પોતે એકલો જ વગર મદદે લડશે એવો સંભવ છે. પછી તો શિવજી જાણે, પાટણ જવાના રસ્તામાં કાંઈ હરકત નડે એવું નથી, વચ્ચે કાંઈ મોટા પહાડ અથવા મજબુત કિલ્લા આવતા નથી. દેશ સઘળો પાધર છે. ગામ ઘણાં મોટાં તથા પૈસાવાળાં છે; તથા અન્ન પાણી પણ પુષ્કળ મળશે તેથી રસ્તામાં આપણને કશી વાતની આપદા પડવાની નથી.

માધવની આટલી વાત સાંભળીને અલફખાંનું મન સંતોષ પામ્યું, અને રાત વધારે વહી ગઈ, એમ જાણી માધવને પોતાના તંબુ ઉપર જવાની રજા આપી, તે વખતે છાવણીમાં સઘળું ચુપાચુપ હતું. બીજે દહાડેથી કુચ થવાની હતી, તથા લડાઈનો સમય પણ પાસે આવ્યો હતો એમ જાણીને આગળથી થાક ખાઈ લેવાને ઘણાએક તે દહાડે રોજ કરતાં વહેલા સુઈ ગયા હતા. તો પણ ઠેકાણે ઠેકાણે ચોકીદાર સીપાઈ તાપણાની આસપાસ ઘણાએક ટોળાં વળીને તાપવા તથા વાતચીત કરવા બેઠા હતા, તેઓ સઘળાની વાતનો વિષય ગુજરાત જ હતો. તેઓ જ્યાં જ્યાં ગયલાં ત્યાં ત્યાં જય મેળવેલો, અને કોઈ વખત પણ પોતાનું કામ સિદ્ધ કીધા વિના આવેલા નહીં તેથી તેઓને પોતાના બળ ઉપર જોઈએ તે કરતાં વધારે ભરોસો હતો. માટે આ વખતે ગુજરાત જીતાશે એ વિષે તેઓને જરા પણ શંકા નહોતી. તેઓમાંથી જેઓ ઘણા નિમાજી તથા ધર્માંધ હતા તેઓ ગુજરાત જીત્યા પછી ત્યાંના સઘળા લોકોની પાસે બર હક્ક મનાવવાને એટલા તો આતુર હતા કે તેઓ રાત દહાડો પરમેશ્વરની પ્રાર્થના કર્યા કરતા કે તે સર્વ શક્તિમાન આ કાફર દેશને પાકદીનવાળાના હાથમાં આપે, તેઓના મનનો અંધકાર દૂર કરે, અને તેમાં મુસલમાની ધર્મનું તેજસ્વી કિરણ પ્રકટ કરે, તથા સઘળી મૂર્તિઓ, અને લોકોને અલ્લાતાલાથી દૂર કરવાને સેતાને જે જે તદબીર કીધેલી છે તે સઘળી પાયમાલ થઈ જાય. તેઓના મનમાં દૃઢ વિશ્વાસ હતો કે આ ઉંચી તથા ઉમદા મતલબ પાર પાડવાને જ માટે પરમેશ્વર આપણને ફતેહ આપશે, તથા કાફર લોકોનું જોર તોડી પાડશે, પણ લશ્કરમાં સઘળા લોકો એવા ન હતા. ઘણાએક તો ઘેર ભૂખે મરતા હતા, અને પૈસા લુંટવાના હેતુથી જ તેઓ પોતાનાં બઈરાં છોકરાંને છોડીને આટલે દૂર પોતાનો જાન જોખમમાં નાંખી આવ્યા હતા. તેઓનો વિચાર પૈસા ઉપર જ હતો. રાત્રે તેઓ સુતા ત્યારે સ્વપ્નામાં ગુજરાતના રાજા, વ્યાપારી, તથા બીજા લોકોની અગણિત દોલત તેઓના જોવામાં આવતી. અને સોના, રૂપા, મોતી, તથા જવાહેરના ઢગલામાં તેઓ પોતાના હાથ ઘાલી જેટલું જોઈએ તેટલું તેમાંથી લીધા પછી પાછા દેશ જઈને મોટી હવેલીઓ બાંધવામાં, ગુલામો વેચાતા લેવામાં, ઝનાનામાં ઘણો વધારો કરવામાં, તથા બીજી રસાયત ભોગવવામાં સઘળી દોલત ખરચીશું, એમ તેઓ ઉંઘમાં પણ વિચાર ક૨તા હતા.

ઉપર થયલી સઘળી વાત ઉપર વિચાર કરતો ઘણી ઉદાસ વૃત્તિમાં માધવ પોતાના તંબુ ઉપર જતો હતો. તેણે ત્યાં જઈ સુવાને ઘણાં ફાંફાં માર્યા, પણ નિદ્રા દેવીએ તેના ઉપર મેહેરબાની કીધી નહી. તે બિછાના ઉપર પછાડા મારવા લાગ્યો, અને તેની આખી જીન્દગીનું ચિત્ર એક તખ્તા ઉપર ચીતરાઈને તેની આંખ આગળ આવ્યું, તેને પોતાનાં માબાપ યાદ આવ્યાં, તેની નાનપણની રમત તથા સોબતીઓ અાંખ આગળ આવ્યા; તેની જુવાની થતાં જે જે ઉમેદ તેના મનમાં આવી હતી, તથા જે જે શેખશલ્લીના વિચાર તેણે કીધા હતા તે સઘળા એક પછી એક તેના સ્મરણસ્થાનમાંથી નીકળતા ગયા. તે પાટણમાં આવ્યો તે વખતે નિર્દોષ હતો, અને આ વખતે તેના મનમાં કેટલા ઉલટા સુલટા વિચાર હારબન્ધ આવતા, તથા કેવું ભયંકર તોફાન થઈ રહેલું હતું ? જુવાનીનો રમણિક તથા આશાથી ભરપૂર વખત ગયો તે ફરીથી આવવાનો નથી. પાટણમાં થોડી વાર રહ્યા પછી તેની આશા સફળ થતી ગઈ, તે દરજ્જે ચઢતો ગયો, અને છેલ્લી વારે કરણને ગાદીએ બેસાડીને તેનો મંત્રી થયો, એ સઘળું હમણાં જ બન્યું હોય એમ તેને જણાયું. પછી આફતો આવી પડી, પોતાની પદ્મિની જેવી સ્ત્રી રૂપસુન્દરીને રાજા લઈ ગયો; તેનો નાનો ભાઈ કેશવ તે ગડબડાટમાં માર્યો ગયો; તેની ભાભી ગુણસુંદરી સતી થઈ તથા તે પોતે પોતાનો હોદ્દો છોડી એક ચોરની પેઠે સંતાતો રાજ્ય છોડી ઘણાંએક સંકટ ભોગવી દિલ્હીમાં આવ્યો. દિલ્હીમાં જે બનાવ બન્યો તે, તેની પાદશાહ સાથે મુલાકાત, પાદશાહની ગુજરાત જીતવાની કબુલાત, એ સઘળું તેને એકદમ યાદ આવ્યું ત્યારે તેની છાતી ભરાઈ આવી, અને મનમાં એટલે તે ઉકળાટ થઈ આવ્યો કે તે આ વખતે એક નાના છોકરાની પેઠે મોટે અવાજે પુષ્કળ રડ્યો, પોતાના દેશ ઉપર મ્લેચ્છ લોકોને લઈ આવ્યો તેથી તેના મનમાંનું વેર તો તૃપ્ત થયું, પણ તેના અંત:કરણમાં તેના આવા કામથી ઘણો પસ્તાવો થયાં કરતો, તથા ઘણી જ શરમ લાગ્યાં કરતી હતી. જગતના ઇતિહાસ ઉપરથી જણાય છે કે એ પ્રમાણે કરવામાં માધવ કાંઈ એકલો નહતો. અસલના વખતમાં બ્રિટન દેશમાં વારટિજર્ને જર્મનીથી સાકસન લોકોને, અને સ્પેનમાં કાઉંટ જુલિયને આફ્રિકાથી મુસલમાન સરદાર મુસાને પોતાના રાજા ઉપર માધવન જેવા જ કારણને વાસ્તે વેર લેવાને તેડાવ્યા હતા. તે સિવાય સ્ત્રીહરણને લીધે ઘણાએક માણસોએ, રાજાની ખરાબી કરવા, પોતાના દેહને તથા લોકોને પરાયા લોકોને હાથ તાબે થવા દીધા હતા, પોતાની સ્ત્રીના પતિવ્રતાપણાનું અભિમાન એવું જ હોય છે; તે ભંગ કરનાર ઉપર જુસ્સો પણ એવા જ પ્રકારનો હોય છે, તથા વેર પણ માણસના અંતઃકરણ ઉપર એટલા જ જોરથી અમલ ચલાવે છે. એ સઘળા માણસો પોતાનું વેર લીધા પછી પસ્તાય છે, ત્યારે માધવને ઉપર પ્રમાણે પશ્ચાત્તાપ થાય એમાં શું આશ્ચર્ય ? માણસના મનના બંધારણનો સ્વાભાવિક ધર્મ છે કે જ્યારે કોઈપણ એક વિચાર ઘણો પ્રબળ થાય છે ત્યારે તે બીજી સઘળી વૃત્તિઓને નિર્બળ કરી નાંખે છે. એ વખતે બીજી વૃત્તિઓનું કંઈ ચાલતું નથી, પણ જ્યારે તે બળવાન વિકાર શાંત થાય છે ત્યારે તેનું જોર નરમ પડે છે, અને તેથી તે નીચે બેસે છે, અને બીજા જે વિકારો દબાયેલા હતા તેઓ સઘળા જોર પકડી ઉપર આવે છે, તેણે કરીને તે માણસને પાછળથી ઘણું દુ:ખ થાય છે. એ પ્રમાણે માધવને બન્યું. અને સિદ્ધપુરના રૂદ્રમાળાની પગથાર ઉપર તે રાત્રે ફરતો હતો તે વખત વેરે તેનું મન વશ કીધું હતું અને તેના મનની આંખ આંધળી થઈ હતી, પણ હવે તેની મતલબ પાર પડી, અને રાજા કરણ ઉપર મનમાનતી રીતે વેર લેવાનો સમય પાસે આવ્યો ત્યારે ડાહ્યા વિચારો આવવા લાગ્યા. તેમાનાં આટલી વાર સુધી દેશાભિમાન તથા ધર્માભિમાન દબાઈ ગયાં હતાં, પણ તેઓનો બિલકુલ નાશ થયો ન હતો. હવે જે ગુજરાત દેશમાં તેનો જન્મ થયો, જે દેશમાં તેની બાલ્યાવસ્થા ખુશી તથા આનંદમાં ગઈ, જે દેશમાં તેની જુવાનીમાં તેની ઉગતી આશાની કળીઓ ફુટી, અંતે ફાટીને તે ઉપર ફુલ આવ્યાં, જે દેશમાં તેની ન્યાતજાત, સગાંવહાલાં, એાળખીતા, મિત્રો રહેતા હતા, જે દેશમાં તેણે રાજ્યનો કારભાર ચલાવ્યો હતો, જ્યાંના રહેવાશી પોતાના સ્વદેશી કહેવાતા, જેઓ તેને એક વાર પોતાના પિતા સમાન ગણતા હતા, જેઓનું રક્ષણ કરવું તથા જેઓના સુખમાં વૃદ્ધિ કરવી એ તેનો મુખ્ય ધર્મ છે એમ તે જાણતો, તે દેશ તથા તે રહેવાશીઓનું સ્વતંત્રપણું હરી લેવા, દેશી રાજાને ઉઠાડી મૂકી પારકા રાજાનું રાજ્ય સ્થાપન કરવા, પોતાના દેશીઓને પગે બેડી પહેરાવવા, તથા હમેશ સુધી ગુજરાતને ગુલામગીરીની હાલતમાં નાંખવાનો તેણે ઉપાય કીધો તે વિચારથી તેને મહા કષ્ટ થતું વળી ધર્મ તરફથી પણ તેને થોડો પશ્ચાત્તા૫ નહતો, અગર જો શૈવમાર્ગી તથા જૈનમાર્ગીઓ નિરન્તર લઢી મરતા હતા, અગર જો હિંદુ તથા જૈન લોકોના જુદા જુદા પંથો, ઉંદર-બીલાડીની પેઠે એકેક ઉપર વૈરભાવ રાખતા, તથા જે જોરાવર હોય તે કમજોરને મારવાને પ્રયત્ન કરતા, અગર જો રાજાઓ પોતપોતાના મતથી વિરુદ્ધ માનનારા સઘળા લોકોને ઉપદ્રવ કરતા, તથા જુલમ કરી તેઓને તોડી પાડવાને મહેનત કરતા હતા, તો પણ તે સઘળી જુદી જ વાત હતી. તેઓ સઘળી એક ઝાડની શાખાઓ હતી. પણ હમણાં તો હિન્દુઓના કટ્ટા શત્રુ તુરક લોકો ગુજરાત ઉપર આવેલા હતા, તેઓના ધર્મને ઉપર કહેલા સઘળા ધર્મ સાથે કાંઈ પણ સંબંધ ન હતો; બલકે હરેક ધર્મસંબંધી તથા વ્યાવહારિક બાબતોમાં હિન્દુ તથા મુસલમાન ઉલટા જ ચાલતા હતા. મૂર્તિના નામ ઉપર તેઓને ઘણો દ્વેષ હતો, શિવનું લિંગ, માતાની પ્રતિમા, તથા બીજા હિન્દુ દેવની મૂર્તિઓ, તથા આદિનાથ તથા પારસનાથની મૂર્તિ, એ સર્વે તેઓની નજરમાં સરખી જ હતી તેઓનો મત કુરાન કે તલવાર; અથવા દયા લાવે તો સુન્નત કે જઝિયો. ધર્મ ઉપર તો જુલમ થવાનો જ, અને કોઈ દહાડો તેનો લય પણ થાય. દેવસ્થાનની મસજિદ થઈ જાય; જ્યાં હમણાં ઘંટ વાગતા તથા શંખનાદ થતા ત્યાં કોઈ વખત મુલ્લાં બાંગ પોકારે જે અધિકાર હમણાં બ્રાહ્મણો ભોગવતા તે હવે પછી મુલ્લાં તથા સૈયદ ભોગવે; તથા જ્યાં હમણાં “રામરામ” તથા “શિવશિવ” એ શબ્દ સંભળાતા ત્યાં “ અલ્લા અલ્લા” તથા પેગંબરનું નામ સંભળાય, એ કાંઈ થોડી વાત ન હતી. જે ધર્મમાં માણસ જન્મ્યો હોય, જેમાં તે ઉછર્યો હોય, જેનો ઉપદેશ નાનપણથી તેના કાનમાં પડ્યો હોય, જેમાં તેણે આ લોકની આશા બાંધી હોય, સારાંશ કે જે ધર્મની સત્યતા ઉપર તેને દૃઢ વિશ્વાસ હોય, તે ધર્મ ઉપર તેને પોતાના દેહ જેટલી પ્રીતિ બંધાય છે તે ધર્મને નુકસાન લાગે તો પોતાના શરીરને તેટલું લાગ્યું એમ તે માને છે, અને ઘણેક પ્રસંગે તે ધર્મને વાસ્તે મહાભારત દુઃખ વેઠવાને તત્પર થાય છે, અને કોઈ વાર તે ધર્મને અર્થે પોતાનો પ્રાણત્યાગ કરવાને પણ આચકો ખાતો નથી. માણસના અન્તઃકરણ ઉપર ધર્મની આટલી સત્તા છે ત્યારે માધવને તે વખતે જે કષ્ટ થતું હતું તે કેવળ સ્વાભાવિક જ હતું. વળી લડાઈની આફત તથા ખરાબી સઘળા જાણતા હશે જેઓને તે વીતી નહી હોય તેઓએ તે બાબે સાંભળ્યું હશે, અથવા તેઓ કલ્પના કરી શકતા હશે. આવા સુંદર રળિયામણા તથા ફળવાન ગુજરાતને ઉજજડ કરી નંખાવવું, તેના રહેવાશીએાને કતલ કરાવવા, તથા લોકોનું જે દ્રવ્ય તથા મૂલ્યવાન વસ્તુઓ તેઓએ શ્રમ કરી મેળવ્યાં હોય તથા ઘણું જતન કરી જાળવ્યાં હોય તે સઘળાં પારકે હાથે લુંટાવા દેવાં, તથા તે સિવાય બીજી ઘણીક આફતો જે લડાઈથી દેશ ઉપર પડ્યા વિના રહેતી નથી તે સઘળી ગુજરાત ઉપર લાવવામાં સાધન થવું, એ વિચારથી જ માધવને ઘણી બેચેહેની થતી હતી, તથા તેની નિદ્રાનો અટકાવ થતો હતો.

સવાર પડી એટલે છાવણીમાં ગરબડાટ થઈ રહ્યો. સઘળાં કુચ કરવાને તૈયાર થયા, અને સૂર્ય ઉગ્યા પછી તુરત લશ્કર આગળ ચાલ્યું. શત્રુનાં લાખો માણસો એ પ્રમાણે ગુજરાત ઉપર તીડનાં ટોળાંની પેઠે પડ્યાં, અને તે નુકશાનકારક જીવડાંની પેઠે તેઓના રસ્તામાં જે કાંઈ આવ્યું તેને ખરાબ તથા પાયમાલ કરતા ગયા. તે વખતે હોળીના દહાડા હતા. શિયાળો અને ઉનાળો દેશપર સત્તા ચલાવવાને લડી મરતા હતા, અને લડી લડીને થાકીને તેઓએ સમાધાન કીધું હોય એમ જણાતું હતું. દિવસે ઉનાળાનો તથા રાતે શિયાળાનો અમલ ચાલતો હતો. ખેતરમાં રવી, એટલે શિયાળાનો પાક હતો તેની કાપણી કરવામાં આવી હતી, અને તેથી તેમાં ખુંપરા સિવાય બીજું કાંઈ જોવામાં આવતું ન હતું. ખેડુત લોકો પોતાની મેહેનતથી પરવારેલા હતા, તથા ખળીમાંના અનાજની પણ ધારાપ્રમાણે વહેંચણ થઈ હતી. આંબાના ઝાડો ઉપર મોર આવેલા હતા, તથા તે ઉપર કોયલ મધુરા સ્વરથી વસંતઋતુને આદરમાન આપતી હતી. ગામોમાં છોકરાં મોટેથી અપશબ્દો બોલીને તથા નિર્લજ ચાળા કરીને હોળી માતાને પ્રસન્ન કરવાનો યત્ન કરતાં હતાં, તથા મોટી ઉમરના માણસો પણ ઘણીવાર તે છોકરાએાની સાથે હોળીની બેશરમ રમતમાં સામેલ થતા હતા. ઘણે ઠેકાણે ફાગ ખેલવાને કેસુડીના ફુલનો રંગ, ગલાલ, અબીલ, ઈત્યાદિ તૈયાર કરી રાખ્યાં હતાં. પણ તે વર્ષે ગુજરાતમાં તેના એક બાળકના કૃત્યથી જુદી જ રીતની હોળી ખેલાવાની હતી. હોળી માતાને આ વખતે ઘણી ભૂખ લાગી હતી, અને તે શાંત કરવાને હજારો માણસનો ભક્ષ લેવાનો મનસુબો તેણે કીધો હતો. જ્યાં લોહી જેવા રાતા રંગના પ્રવાહની રેલ ચાલવાની ત્યાં કેસુડીના રંગની શી જરૂર ? તથા ગુલાલ અબીલ શા કામનાં ! આ વર્ષે કાંઈ સ્ત્રીપુરૂષ હેતથી ફાગ ખેલવાનાં ન હતાં, તેને બદલે લાખો હિન્દુ તથા મુસલમાન સામસામા આવી એક ભયંકર હોળી રમવાના હતા. તેમાં પ્યારને બદલે દ્વેષ, તથા મોહને ઠેકાણે વેર હતું. હોળીના ઉત્સવના દિવસ આવ્યા જાણી લોકોમાં જે આનંદ ઉપજવો જોઈએ તેને બદલે આ વખતે તે તેઓના હૈયામાં ભડભડ હોળી બળવા લાગી હતી. શત્રુનું લશ્કર પાસે આવતું સાંભળીને, તથા કરણ રાજાએ પોતાનું સૈન્ય તૈયાર કરવા માંડ્યું તે જોઈને, જ્યાં ત્યાં સઘળે ઠેકાણે હાહાકાર થઈ રહ્યો હતો. શહેરના તથા ગામોના દરવાજા દિવસને વખતે પણ બંધ રાખવામાં આવતા હતા; ઢોરોને શેહેર તથા ગામોની માંહે ચરાવવા માંડ્યાં હતાં; સઘળા મરદો લડવાને અથવા ન્હાસી જવાને તૈયાર થઈ રહી બુકાની બાંધીને ફરવા લાગ્યા હતા; સઘળાં સ્ત્રીપુરૂષો ઘણાં દુ:ખી તથા ચિન્તાતુર દેખાવા લાગ્યાં હતાં. ગામડાંના લોકો પોતાનું અનાજ તથા જે થોડા ઘણા પૈસા હતા તે સઘળા દાટીને, તથા કુવા અને વાવો બની શકે તેટલાં પુરી નાંખીને, પોતાનાં ગામ ઉજડ કરી આગળ ચાલ્યા જતા હતા. એ રીતે જેમ જેમ પાદશાહી લશ્કર આવતું ગયું તેમ તેમ નાસતા લોકોનો સમુદાય વધતો ગયો. બાળક, જુવાન, અને ઘરડા, સ્ત્રીઓ, તેમ જ પુરૂષો, પોતાનાં પ્યારાં ગામોને બળતાં જોતાં, રડતાં તથા શોક કરતાં આગળ ચાલતાં. તેઓમાંથી ભુખ, તરસ તથા પૈસાની તંગી અને એવાં બીજાં કારણેથી રસ્તામાં સેંકડો મુડદાં થઈ અથવા માંદાં થઈ પડતાં, અને પાછળ શત્રુ પાસે જ હોવાથી તેઓને તેમનાં તેમ મુકી બીજાં પાટણમાં જલદીથી જઇ પહોંચવાને દોડાદોડ કરી રહ્યાં હતાં. જેઓ રાજાના લશ્કરમાં લડવાને ગયા હતા તેઓ પણ ઘણા જ દુઃખનું કારણ થઇ પડ્યા હતા. કોઇ ઘરડી ડોશી જેનો એકનોને એક છોકરો લડાઈ ઉપર ગયો હતો તે જીવતો પાછો આવશે કે નહીં એ શંકાથી તે બિચારી નિરંતર રડ્યાં જ કરતી, તથા તે મરશે તો તેનું આવી દુર્બળ અવસ્થામાં કોણ ગુજરાન કરશે; એ દુઃખથી તેનું અન્તઃકરણ વીંધાઈ જતું હતું. કેટલાએક તે ડોસાડોશીઓની ઘડપણની લાકડી તથા આંધળાની આંખ જેવા છોકરા લડવા ગયેલા તેથી તેઓ બિચારાં ઘણાંજ શોકાતુર દેખાતાં હતાં. કેટલીએક સ્ત્રી પોતાના ભાઇભત્રીજા વગેરેને વાસ્તે દુઃખ કરતી હતી. કેટલીએક જુવાન સ્ત્રીઓ જેઓ તુરત પરણી હતી, જેઓએ સંસારનું સુખ માત્ર ચાખવા માંડ્યું હતું, જેઓ ધણીધણીઆણીને સાંકળી દેનાર છોકરાંરૂપી બંધનથી બંધાયાં ન હતાં, જેઓની દુનિયાની ખુશી હજી ઉગતા સૂરજની પેઠે ક્ષિતિજમાં જ હતી, જેઓની સંસારને લગતી હજારો આશાઓ મનમાં જ ફક્ત રહેલી હતી, તે સ્ત્રીઓના ભર્તાર લડાઈ ઉપર ગયેલા તેથી તેઓના ભવિષ્ય ઉપર એક અન્ધારો પડદો વળ્યો, તેઓની આશા મનમાં ને મનમાં જ રહી ગઈ, તથા તેએાના સુખના સૂરજ ઉપર એક મોટું વાદળું ફરી વળ્યું હતું. બીજી કેટલીએક કન્યાઓ જેઓ હજી પરણેલી ન હતી, પણ જેઓના ધણી નક્કી થયલા હતા, તેઓ જ્યારે હસ્તમેળાપ કીધા વિના મ્લેચ્છ તુરકડા સાથે તલવારની રમત રમવા ગયા, ત્યારે તે બિચારી અબળાના દુઃખનો કાંઈ કાંઠો જ ન હતો. તેઓનું સંસારી સુખ તો સ્વપ્નામાં જ આવ્યું અને ગયું; તેઓની પ્રીતિની ઉગતી કળીઓ લડાઇરૂપી હિમ પડવાથી બળી ગઈ; તેઓની આગળની આશા તો ભવિષ્ય ઉપર રહી, અને હવે પછી તેઓનું શું થશે તેની વાંચનારાઓએ જ કલ્પના કરી લેવી. સુખમાં એ પ્રમાણે ભંગાણ પડ્યું, સુખદાયક તડકામાં એકાએક વાદળ ચઢી આવ્યું, અને ભયાનક વીજળી તથા ગડગડાટ સહિત વરસાદનું એક મોટું ઝાપટું આવવાનો સમય આવ્યો.

હવે પાટણ શહેરમાં કેવી ગડમથલ થઈ રહી હતી તે ઉપર આપણે નજર કરીએ. લશ્કરમાં જેઓ ગયા હતા તેઓનાં માબાપ, છોકરાં, ધણિયાણી તથા બીજાં સગાં સમ્બન્ધીએાને ઉપર બતાવ્યા પ્રમાણે દુ:ખ થયું હતું. મોટા મોટા વેપારીઓ જેએાએ છળભેદથી તથા હિમ્મત ચલાવી સાત પેહેડી સુધી પહોંચે એટલું ધન ચાંચવે પાવડે ઉસેડ્યું હતું, તે ધન જોઈને તેઓની આંખમાંથી આંસુની ધાર ચાલતી, અને તેનું શું થશે તે બાબત તેઓ મહા ફિકરમાં પડ્યા હતા. તેઓએ ભોંયમાં મોટા ખાડા ખોદીને સઘળી તેઓની દોલત દાટી, અને આગળ શું થાય છે તેની રાહ જોતા બેઠા. સઘળા નાના વેપારીઓએ પણ એ જ પ્રમાણે કીધું. દુકાનદારો પોતપોતાના દેવની ભક્તિ કરવા લાગ્યા, અને મ્લેચ્છ શત્રુનો એકદમ નાશ થાય, રાજાનો જય થાય, ધર્મનું રક્ષણ થાય, અને ગુજરાતનું દેશી રાજ્ય કાયમ રહે, તેને માટે ધર્મને લગતા હજારો ઉપાયો સઘળા કરવા મંડી પડ્યા હતા. એ પ્રમાણે સઘળા લોકોમાં ચિન્તા પથરાયલી હતી, તોપણ શેહેરમાં કેટલાએક લોકો ઘણા આનંદમાં દેખાતા હતા. જેઓની પાસે કાંઈ નહતું, એટલે જેઓને લુંટાવાનો કંઈ ભય નહતો, જેઓને આવી ઉથલપાથલમાં ઘણો લાભ મળવાની ઉમેદ હતી, તથા જેઓ દેશની દોલત સામાન્ય મિલકત માનતા, અને પારકા તથા પોતાનામાં કાંઈ ભેદ ન ગણતા, જેઓ વગર મહેનતે પોતાનું ગુજરાન ચલાવતા, તથા મધપુડારૂપી જગતમાં આળસુ મધમાખીઓની પેઠે બીજાનું મેળવેલું મધ પોતે ખાઈ જતા, તેઓને આ વખતે ખુશીનો કંઈ પાર જ ન હતો. તેઓની તો ખરી મોસમ આવી હતી, અને તેનો લાભ લેવાને તેઓ તૈયાર થઈ બેઠા હતા. શહેરમાં આસપાસનાં ગામોના લોકો આવી ભરાયા હતા, તથા સઘળું લશ્કર પડ્યું હતું તેથી તેમાં તલ પડે એટલી જગા રહેલી નહતી. ઘણાએક લોકો મેદાનમાં પડ્યા હતા, કેટલાએક લોકો માંડવા બાંધીને તેમાં રહ્યા હતા, અને કેટલાએકે ઘણાં ભારે ભાડાં આપી ઘરો લીધાં હતાં. સઘળા લશ્કરને ડેરાતંબુઓ તાણીને તેમાં રાખેલું હતું. એ પ્રમાણે પાટણ સઘળું ખીચોખીચ ભરાઈ ગયું હતું. તે સઘળાઓને ખાવાનું જોઇએ તેથી સઘળી ખાવાની જણસોનો ભાવ ઘણો જ વધી ગયો હતો, અને તેને લીધે બીજી સઘળી વસ્તુઓ પણ તેવી જ મોંઘી વેચાવા માંડી હતી. એવી મોંઘવારીને લીધે ગરીબ લોકો ઘણું દુઃખ પામવા લાગ્યા, અને કેટલાએક ભુખથી મરવા જેવા થયા. દુઃખના ઢગલા ઉપર ઢગલા વળ્યા, તેથી સઘળા લોકો લડાઈનો જેમ બને તેમ જલદીથી અંત આવે તે જોવાને ઘણા આતુર હતા.

દરબારમાં પણ ખળભળાટ થઈ રહ્યો હતો. સઘળા મંડળેશ્વરો પોતપોતાના તાબાનાં માણસો લઇને આવ્યા હતા. મંડળીક રાજાઓને મદદ લઇ આવવાને જાસુસો મોકલ્યા હતા; પણ તેઓને આવતાં વાર લાગશે એમ જાણીને તેઓની તરફથી રાજાએ ઘણો ભરોસો રાખ્યો ન હતો. બહારના જુદા જુદા સ્વતંત્ર રાજાઓના સંધિવિગ્રહિક લોકોએ પોતાના રાજાઓને લખવાને કબુલાત આપી હતી; પણ એવા સાતપાંચની મદદથી લડાઈમાં જય મેળવવો એમાં કાંઈ પ્રતિષ્ઠા નહી, તેમ જ લડાઈમાં બહાદુરી બતાવી પોતાનું નામ અમર કરી લેવાની કરણ રાજાની ઇચ્છા હતી, અને જો બહારથી સહાયતા આવે તો તે ઇચ્છા પાર પડે નહી, તેથી તે સંધિવિગ્રહિક લોકોનો ઉપકાર માની તેઓની તરફની મદદ લેવાની તેણે ના કહી હતી. રાજા કરણ ઘણા જ ઉમંગમાં હતો. તેની સર્વ શક્તિઓ જે આજલગી વાપરવામાં ન આવ્યાથી નિદ્રાવશ થઈ ગઈ હતી, તે સઘળી હવે જાગૃત થઈ. રાજ્યકારભારમાં તેની સુસ્તી જણાતી હતી તે હવે ઉડી ગઈ. જેમ માછલી પાણીમાં, પક્ષી હવામાં, તથા ભૂચર પ્રાણીઓ જમીન ઉપર જ પોતપોતાનું બળ બતાવી શકે છે, પણ તેઓને તેમની નીમેલી જગામાંથી બહાર કાઢ્યાં એટલે તેઓ નિર્બલ દેખાય છે, તેમ જ્યારે હમણાં લડાઈનો પ્રસંગ આવ્યો ત્યારે જ કરણ રાજાનું ખરું રૂપ પ્રકાશી નીકળ્યું. તેણે લડાઈની સર્વ તૈયારી ધમધોકારે કરવા માંડી, અને તે કામમાં તેણે આખો દહાડો અને રાતનો ઘણોએક ભાગ જાતે મહેનત કીધી, પછી મુસલમાન લોકોનું લશ્કર પાટણની પાસે આવતું જાય છે એમ જાણી તેઓની સાથે લડવા જવાને શહેરમાંથી જલદી કુચ કરવી એવો તેણે ઠરાવ કીધો, પોતાનો મનસુબો અમલમાં લાવતાં પહેલાં તેણે પોતાના સઘળા મંડળેશ્વર તથા મુખ્ય સામંત સરદારોની એક સભા કીધી, તેમાં કેવી રીતે લડાઈ કરવી, તથા રાજ્યનો બચાવ શી રીતે કરવો તે વિષેનો પ્રશ્ન કીધો. તે વખતે સઘળા વૃદ્ધ અને શાણા સરદારોએ તેને સલાહ આપી કે મંડળીક રાજાઓ પોતપોતાનાં લશ્કર લઈને આવે ત્યાં સુધી આપણે પાટણના કિલ્લામાંથી બહાર જવું નહી; એટલા વખતમાં મુસલમાનોનું લશ્કર આવશે; અને શેહેરને ઘેરો ઘાલશે, તો તેઓનો નિશ્ચય નાશ થયો એમ જાણવું. જ્યારે મંડળીક રાજાઓ આવી પહોંચશે ત્યારે તેઓ પાછળથી તેઓના ઉપર હુમલો કરશે, તે જ વખતે આપણે પણ કિલ્લામાંથી નીકળીને આગળથી તેમના ઉપર હુમલો કરીશું, જ્યારે એ પ્રમાણે તેઓ બન્ને તરફથી સપડાશે ત્યારે તેમને બચવું ઘણું મુશ્કેલ થઈ પડશે, અને તેઓ સઘળા નક્કી માર્યા જશે. જો કદાચ આપણી તેમાં હાર થઈ તોપણ પાછાં કિલ્લામાં ભરાઈ જવું બની આવશે. અને ત્યાં રહી આપણે તેઓને થકવી નાંખીશું. તેઓનું લશ્કર મોટું છે ખરૂં, પણ તેઓની પાસે મજબુત તથા મોટા કિલ્લા લેવાનો જોઈએ તેવો તથા તેટલો સામાન નહીં હશે, તેમ એટલા બધા માણસોને ઘણા દહાડા સુધી ખોરાક પણ પુરો પાડી શકાશે નહી, તેથી તેઓના માણસોમાંથી કેટલાએક ભુખે મરી જશે, અને બીજાએ નાહિંમત થઈ જશે, અને અંતે નિરાશ થઈ તેઓને દેશ છોડી જતાં રહેવું પડશે, એવી અમારી સઘળાની સલાહ છે.

આ વિચાર કરણ રાજાને જરા પણ ગમ્યો નહી, તે બોલ્યોઃ “તમારી સલાહ ઘણી ડહાપણ ભરેલી તથા ફાયદામંદ છે ખરી, પણ તે પ્રમાણે ચાલવું આપણા લોકને યોગ્ય નથી. શું આપણે બાયડીઓની પેઠે ઘરમાં ભરાઈ બેસીએ ? શું લડાઈમાં જીતવા જેટલું આપણામાં સામર્થ્ય નથી? જો કદાપિ આપણો એક લડાઈમાં પરાજય થાય તો પણ શું આપણે એવા નિર્બળ થઈ જઈશું કે તેઓની સાથે બીજી લડાઈ કરી શકીશું નહી ? શું રજપૂતોમાંથી પાણી ગયું ? શું તેઓનું શૂરાતન ડુબી ગયું ? શું તેઓ ઘાસ ખાય છે? શું આપણે આળસમાં પડી વાણિયાવેપારીએ જેવા કાયર થઈ ગયા ? આપણી આગળના રાજાએાએ જે શૌર્ય દેખાડ્યું છે તે સઘળું શું વ્યર્થ સમજવું? જો આપણે ક્ષત્રી થઈને રાંડીરાંડ ડોશીની પેઠે ખુણો પકડી બેસીએ તો આપણે પુરૂષ નહી પણ વ્યંડળ જાણવા. રજપૂતોએ શત્રુથી બીહીવું ! એમ કદી થાય નહી, શુર સામંત સરદારો ! આજ તમારી અક્કલ ઠેકાણે નથી, તમે તમારી સ્ત્રીઓની મસલત લીધી હશે, નહી તો રજપૂત થઈ આવાં વચન તમે બોલો નહીં. એ ચંડાળ લોકો એ વગર કારણે એક બ્રાહ્મણના કહેવાથી સુતો સિંહ જગાડ્યો છે, તેઓએ સાપના મ્હોંમાં હાથ ઘાલ્યો છે, કાળને ખીજવી બોલાવ્યો છે, અને મોત પિતાને હાથે માગી લીધું છે, તેઓને દટાવાને પોતાના દેશમાં જગા ન મળવાથી આપણે ઈહાં આવ્યા છે, માટે હવે કાગડા, સમડી, તથા ગીધને મોટી ઉજાણી મળશે, તેઓનું આપંણાં ખેતરો તથા વાડીઓમાં સારૂં ખાતર બનશે, અને વળી આવતે સાલ જ્યારે પાક સારો થશે, ત્યારે તેઓને મારવાને જ જાણે પરમેશ્વરે મોકલ્યા એમ માની ખેડુતે ભગવાનને પાડ માનશે. માટે લડવું ને લડવું. કિલ્લામાં ભરાઈ બેસવું નહી, પણ આપણી તલવાર ઉપર તથા સત્યતા ઉપર ભરોસો રાખી રણસંગ્રામમાં ઉતરવું, પછી જે થાય તે ખરું. બાયડીઓની રીત પકડી જીતવું તે કરતાં લડાઈમાં પડવું એ લાખ દરજજે સારૂં છે.”

સામંતોએ રાજાની સઘળી વાત સાંભળી લીધી, તેઓ પણ રજપૂત હતા, તથા તેઓમાં હિંમતની કાંઈ કસર ન હતી, તેથી તેઓનું લોહી પણ લડાઈની વાત સાંભળીને ઉકળી આવ્યું, અને તેએાની તરફથી હરપાળ ઘણા જુસ્સામાં બોલી ઉઠયો: “રાજાધિરાજ ! તમારી સાથે રણસંગ્રામમાં આવવાને અમને જરા પણ ડર નથી, તેમ કરવામાં અમને ઘણી ખુશી છે, પણ જે કામ કરવું તેમાં પાછળથી દુનિયા આપણ સઘળાને મૂર્ખ કહે એ વાતનો વિચાર કરવો જોઈએ. શત્રુની સામે વર્તવાને હિંમતની સાથે ડહાપણ પણ જોઈએ. લડાઈ કરવામાં કાંઈ હરકત નથી; પણ ન કરે નારાયણ ને જો તેમાં આપણે હાર્યા, અને બીજી વાર લડવાની આપણામાં શક્તિ રહી નહી, તો એક સપાટામાં આખું રાજ્ય આપણા હાથમાંથી જતું રહે, અને પછી ગુજરાતના લોકો સદા આપણી કસુર કાઢે, તથા નિરન્તર આપણી નિંદા કર્યા કરે તે ઉપર વિચાર કરી અમે સલાહ આપી. પણ જો તમને તે પસંદ ન હોય, જો તમારી મરજી મેદાનમાં તેઓની સાથે યુદ્ધ કરવાની હોય, તો અમે સઘળા તૈયાર છીએ. જોશીઓને બોલાવી મુહૂર્ત પૂછવું, અને શુભ દિવસે અત્રેથી કુચ કરવી. અંબામા તથા તેત્રીશ કરોડ દેવતાઓ આપણને સહાય થશે.” એમ કહી તે જોરથી ખંખાર્યો તથા સઘળાએાએ પોતપોતાની મુછ ઉપર તાલ દીધી.

જે દહાડાનું જોશીએાએ મુહૂર્ત આપેલું હતું તે દહાડે સવારે રાજા ટોપ તથા બખતર સજીને તથા લડાઈનાં સઘળાં શસ્ત્ર બાંધીને તૈયાર થયો. સઘળા સરદાર તે જ પ્રમાણે તૈયાર થઈ ઉભા રહ્યા. રાજ્યગોરે રાજાને કપાળે ટીલું કીધું, તથા આશીર્વાદ દીધો. ભાટ લોકો રાજાના મનમાં શૂર ચઢાવવાને કવિત બોલવા લાગ્યા. બારણા આગળ મોતીના સાથિયા પુરાયા ચોગાનમાં સઘળું લશ્કર તૈયાર થઈ ઉભું રહ્યું, દશ હજાર સવાર, પાંચસે હાથી, વીશ હજાર પાયદળ, પાંચસે રથ, એટલાં લડવાનાં સાધન હતાં. કરણ રાજા જ્યારે પોતાના કવચવાળા હાથી ઉપર સવાર થયો, ત્યારે જયજયકારનો નાદ થઈ રહ્યો, શંખનાદ જોરથી થયો; નોબત ગરગડી તથા બીજાં રણસંગ્રામનાં વાજીંત્રો વાગ્યાં. રાજા તથા લશ્કરને જોવાને શેહેરમાં લોકોની અથાગ ભીડ થઈ હતી. તેઓ સઘળા લડાઈના પરિણામને વાસ્તે ઘણા ચિન્તાતુર દેખાતા હતા. રાજાનું સૈન્ય આટલું થોડું જોઈને તેઓને ઘણો ભય લાગતો હતો, અને જેમ હાથીઓના ટોળામાં એક વાઘના બચ્ચાનું અંતે કાંઈ ચાલે નહી, તેમ એ સૈન્ય આખરે કપાઈ જશે, એવી દહેશત લોકોને રહેતી હતી. તો પણ શુરા કરણ રાજાને જોઈને તેઓને ઘણો ઉમંગ આવ્યો. તેનો સાદો લડાઈનો પોશાક તથા શૂરથી ભરપૂર આંખ જોઈને તેઓ સઘળા ઈન્દ્રજીત અથવા અર્જુન જોડે તેનો મુકાબલો કરવા લાગ્યા. રસ્તામાં તેના ઉપર ફુલ તથા ફળની વૃષ્ટિ તેએાએ કીધી. તેના હાથી આગળ ફુલ વેરાતાં ગયાં, તથા તેના જયને વાસ્તે સઘળા લોકોના આશીર્વાદ સહિત, કરણ રાજા શેહેરની બહાર નીકળ્યો. એ પ્રમાણે રાજાએ એક દહાડામાં ઘણા દહાડાનાં તેનાં કામોથી થયલી લોકોની અપ્રીતિ દૂર કીધી. શૌર્ય એ ઘણો વિચક્ષણ ગુણ છે. હજારો અવગુણને ઢાંકી નાંખે છે. અંગબળ તથા હિમ્મતથી લોકો એટલા સાનંદાશ્ચર્ય પામે છે કે એ ગુણ સિવાય બીજા તેઓની નજરમાં આવતા જ નથી. જગતમાં જે જે શૂરા પુરૂશોએ પોતાની બહાદુરીથી દુનિયામાં માત્ર ખરાબી જ કીધી છે તેઓનાં નામનો નાશ થવાને બદલે તેઓ અમર રહી ગયા છે, અને જગતના મહાન ખુનીઓ કેટલાએક દેવની પેઠે પૂજાય છે, અને કેટલાએકનાં નામ દુનિયામાં દીવા જેવાં થઈ પડ્યાં છે. કરણ રાજાએ પોતાના લશ્કર સહિત છાવણી કીધી, તેની બે બાજુએ પહાડ હતા, અને પાછળથી નદી વહેતી હતી. એવે ઠેકાણે સઘળું લશ્કર ગોઠવીને લડાઈની રાહ જોતો તે ત્યાં રહ્યો. ત્રીજે દહાડે મુસલમાન લશ્કર આવી પહોંચ્યું, અને કરણનું લશ્કર ક્યાં પડયું છે તેની અલફખાંને આગળથી ખબર મળી હતી તેથી તે પણ પોતાના લશ્કરની ગોઠવણ કરી લડવાની તૈયારી કરી આવેલો હતો. બપોરની વખતે બંને લશ્કર સામસામાં થયાં. મલેચ્છનું લશ્કર દશગણું મોટું જોઈને રજપૂત સિપાઈએ જરા નાહિંમત થયા, અને એ ભય તેઓમાં કાયમ રહેશે તો લડાઈમાં ઘણાં માઠાં પરિણામ થશે એમ જાણી કરણ આગળ નીકળ્યો, અને સઘળા સિપાઈઓની આગળ તેણે નીચે પ્રમાણે ભાષણ કીધું –

“આજે દાનવો તથા માનવોની વચ્ચે યુદ્ધ થવાનો પ્રસંગ આવ્યો છે, તેમાં દાનવો બળવાન દેખાય છે, તથા તેઓની સંખ્યા ઘણી જ વધારે છે; તો પણ તે દુષ્ટ લોકોને ભગવાન સહાય થશે, એમ તમારે કદી ધારવું નહી. જગતમાં સત્ય છે તે જ ઈશ્વર છે, અને સત્ય આખરે જય પામ્યા વગર રહેતું નથી. એ મ્લેચ્છ તુરકડા લોકોનાં આયુષ્યની દોરી તુટવાનો વખત આવ્યો હશે ત્યારે જ તેઓ ન્યાયાન્યાય વિચાર્યા વિના પારકા દેશને ઉજડ કરવાને મોટું લશ્કર લઈને આવ્યા છે, પણ પરમેશ્વરની કૃપાથી તેઓમાંનો એક પણ તેના સોબતીએાના સમાચાર કહેવાને પાછો પોતાને દેશ જનાર નથી. સત્ય આપણી તરફ છે તેથી પરમેશ્વર પણ આપણા જ પક્ષમાં છે, એમ જાણવું. રણસંગ્રામમાં કેમ લડવું એ રજપૂતોને કહેવાની જરૂર નથી. આપણે સઘળા ક્ષત્રીવંશના છીએ. આપણા વૃદ્ધોએ મોટાં મોટાં યુદ્ધો કીધેલાં છે. કુરૂક્ષેત્રની લડાઈમાં અઢાર દિવસ સુધી લઢ્યા છે તેઓના શુરાતનની કીર્તિ આખા જગતમાં પથરાયેલી છે. તે રજપૂતો પોતાના બાપદાદાનાં નામ બોળી આવા રાની સિપાઈઓથી બીહીશે, એવો જરા પણ સંભવ નથી. આપણે આ સમયે આપણા વહાલા દેશને સારુ લડીએ છીએ, આપણી જાતને વાસ્તે, આપણા ઘરને વાસ્તે, આપણાં બઈરાંછોકરાંને વાસ્તે, આપણી સ્ત્રીઓના પતિવ્રતપણાના રક્ષણને અર્થે, આપણા અનાદિ ધર્મના બચાવને સારુ, આપણને જે જગતમાં વહાલામાં વહાલું છે તેને વાસ્તે યુદ્ધ કરીએ છીએ. એ વાત લડતી વખતે સઘળા મનમાં રાખજો. મરવું તો એક વાર છે જ, માટે રણસંગ્રામમાં શા માટે મોતથી બીહીવું? હું આકાશ તરફ જોઉં છું ત્યારે અપ્સરાઓ શૂરા રજપૂતોને વરવાને ફુલની વરમાળા હાથમાં લઈ તૈયાર થયલી મારી નજરે પડે છે. ખોપરીઓનો હાર કરવાને શિવજી પોતે પધારેલા છે, તથા તેના અગણિત ગણો, ભૂત, પિશાચ, વગેરે મોટી ઉજાણી કરવાને આવેલા છે. જોગણીઓ લોહી પીવાને ઉભી રહેલી છે. દેવતાઓ લઢાઈનું પરિણામ જોવાને તત્પર થઈ રહેલા છે. એ સઘળાઓની સમક્ષ આપણે લડીએ છીએ, તેઓની આંખ આપણી ઉપર છે; માટે રે શૂરા રજપૂતો ! તમારા ક્ષત્રી નામનું આજ સાર્થક કરો. કોઈ વખતે કુતરાએ વાઘને હરાવ્યા હશે, પણ તે તો ચમત્કાર જાણવો, એવું કાંઇ હમેશાં બનતું નથી. માટે ધૈર્ય ધરીને આજ એ ચંડાળ શત્રુઓના કાપી કકડે કકડા કરો; અને તેમ કરી આખા ભરતખંડમાંથી એ તુરકડાઓનો ભય મટાડો.

રાજાનું આવું ભાષણ સાંભળી સઘળા સિપાઇઓને આવેશ આવ્યો અને તેના જવાબમાં એક મોટો પોકાર કરી તેઓએ આખી રણભૂમિ ગજાવી મુકી. તે સાંભળી સઘળા તુર્ક સિપાઈઓ થરથર ધ્રુજવા લાગ્યા. આ વખતે તેઓને હિંમત આપવાને અલફખાં આગળ આવ્યો ને બોલ્યો: “પાકદીનના સિપાઈઓ ! તમે સઘળા પોતાનાં ઘર તથા કુટુમ્બીઓ મુકીને દૂર દેશ આવ્યા છો, તેમ કરવાની મુખ્ય મતલબ બે છે. પહેલી અને સઘળાથી અગત્યની તો એ કે કાફર લોકને ખરા દીનમાં લાવવા, તેઓનાં દેહેરાં તોડી પાડી ત્યાં મસજિદો બાંધવી, તેઓની મૂર્તિઓ ભાંગી નાંખવી, અને “લાઈલાહા ઈલ્ઉલ્લાહ્ મહમ્મદુર્ રસૂલ અલ્લાહ્”નો કલામ સઘળે પથરાવવો. બીજી મતલબ આપણું રાજ્ય વધારવું, આપણી કીર્તિ ફેલાવવી, આપણા પાદશાહની આબરૂ વધારવી તથા આપણી દોલતમાં વધારો કરવો. એ બે મતલબ પાર ન પડે, જો અલ્લાતાલ્લાના હુકમથી આપણી હાર થાય, તો નાસવાની કાંઈ જગા નથી એમ તમારે નક્કી જાણવું. આ ઠેકાણે જીતવું કે મરવું. નાસવાનો કાંઈ લાગ નથી, અને નાસવું શા સારૂ ? શું આપણા સિપાઈઓએ કોઈ ઠેકાણે હાર ખાધેલી છે? શું કાફરોને આપણે હજારો લઢાઈમાં હરાવ્યા નથી ? ત્યારે આ વખત શા સારૂ બીહીવું ? શું કુતરાના ભસવાથી વાઘ ડરે છે ? કદી નહી. માટે રે બહાદુર સિપાઈઓ, આ મુડદાં જેવા લોકો તમારી સામા મરવા આવ્યા છે તેઓને ભાતનાં છાલાંની પેઠે ઉડાવી દો, અને તેઓનો દેશ સર કરી તેઓની અગણિત દોલત તમારે વાસ્તે લઈ લો. જો જો સિપાઈઓ ! ઉપરથી અલ્લાતાલ્લા તથા હઝરત પેગંબર સાહેબ તમારી લડાઈ જોય છે, સઘળા ફિરસ્તાઓ આપણને મદદ કરવાને આવ્યા છે, માટે તેએાએને એબ લાગે એવું કામ આજ કરશે તો કયામતને દહાડે તમારા હાલ ઘણા જ બૂરા થશે.”

મુસલમાન સિપાઈઓનો ધર્મસમ્બન્ધી જુસ્સો બહાર નીકળ્યો તેથી તેઓ “અલ્લા હુ અકબર” એવી મોટી ભયંકર ચીસ પાડી ઉઠયા. તે વખતે કરણ રાજા મોટા આવેશથી બહાર મેદાનમાં આવ્યો, ને અલફખાં તરફ મ્હોડું ફેરવી બોલ્યો “જ્યારે હાથી હાથી લડી મરે છે ત્યારે નાનાં નાનાં ઝાડોનો વગર કારણે ક્ષય થાય છે. તમારા પાદશાહને ગુજરાત લેવું છે અને મારે તે રાખવું છે. પરિણામ જે નિપજશે તેમાં બિચારા સિપાઈઓ ને કાંઈ લાભ થવાનો નથી. ત્યારે તેઓ શા સારૂ માર્યા જાય? માટે તમારામાંથી જે કોઈની માએ શેર સુંઠ ખાધી હોય તો મેદાન પડે. હું ને તે બે એકલા યુદ્ધ કરીશું, જો હું જીતું તો તમારે દેશ છોડી ચાલ્યા જવું, અને હું મરું તો મારું લશ્કર પણ તે જ પ્રમાણે કરશે, અને ત્યારથી આખું ગુજરાત તમારૂં જાણવું.” મુસલમાન લશ્કરમાંથી કોઈએ જવાબ દીધો નહી, તેથી રજપૂત સિપાઈઓએ હર્ષની બુમ પાડી, તે સાંભળી અલફખાં બોલ્યો: “જેવી એ કાફર પોતાની જીન્દગીની કિંમત હલકી ગણે છે તેવી આપણે ગણતા નથી. આપણને આ જહાનમાં મોટાં કામો કરવાને ખુદાએ મોકલેલા છે. તે કામ પાર પાડ્યા વિના આપણે આપણી જીન્દગી વગર જરૂરે ફેંકી દેવી જોઈતી નથી. વળી રાજા મુઆ પછી તેનું લશ્કર લડશે નહી એવો કોને ભરોસો ? માટે ધારા પ્રમાણે લડવું જોઈએ, પછી જે થાય તે ખરૂં.” એટલું કહી સામા લશ્કરને તેની જગાએથી ખસેડવાને તેણે તેના માણસોને હુકમ આપ્યો.

“અલ્લા હુ અકબર’ની ચીસ પાડી મુસલમાન સિપાઇઓ આગળ ધસ્યા, અને રજપૂતોને તેઓની જગાએથી હડસેલવાને ઘણાએક પ્રયત્ન કીધા, પણ તેઓ પહાડની પેઠે જડ થઈ ઉભા રહ્યા. લડાઇ ઘણી ભારે ચાલી. ચોમાસામાં પવનના જોરથી વાદળાં સામસામાં અથડાય છે તેમ તે બંને લશ્કરો અથડાયાં. તલવારોના ખડખડાટથી કાન બેહેર મારી ગયા; તેઓના વિજળીના જેવા ચળકાટથી આંખ ઝંખવાઇ ગઇ; તીર તો આકાશમાં એટલાં ઉડી રહ્યાં હતાં કે તેમાંથી કોઈ પક્ષીથી પણ જવાતું નહી, અને વરસાદની પેઠે તેઓ નીચે પડતાં હતાં, જમીન ઉપર લોહીની રેલ ચાલી; યોદ્ધાઓની ચીસથી ત્યાં કાંઈ પણ શબ્દ સાંભળ્યામાં આવતો ન હતો. એ બધા ગડબડાટની સાથે ઘાયલ સિપાઇઓ ધુળમાં રગદોળાતા હતા, તથા તેઓને તેમના ઘાથી દરદ થતું તે સઘળાના કષ્ટથી તેઓ બુમાબુમ પાડી રહ્યા હતા; બંને તરફના માણસો સેંકડો મુઆ, પણ રજપૂત સિપાઈઓએ પોતાના ધારા પ્રમાણે તથા પોતાના ધર્મ પ્રમાણે પીઠ ફેરવી નહી. કરણમાં જાણે ભૂત ભરાયું હોય તેમ જણાતુ હતું. તેની આંખ ખુનથી ભરેલી લાલચોળ થઇ ગઇ હતી, તે પોતાની તેજસ્વી તલવાર વડે ચોતરફ ફરી વળ્યો, અને જે તેના સપાટામાં આવ્યું તેના બે કકડા કર્યા વિના રહ્યો નહી. એક વાર તેનો હાથી મરી ગયો, ત્યારે તે ઘોડા ઉપર સ્વાર થઇને લડ્યો. તે ઘોડો પણ કતલ થઈ ગયો ત્યારે તે પાયદળ સિપાઈઓમાં સામેલ થયો, અને પોતાના શરીરની કાંઈ ફિકર રાખ્યા વિના એક સાધારણ સિપાઇની પેઠે લડ્યો. જ્યારે રાજાના ઉપર ઘણાંએક તીર પડવા લાગ્યાં, જ્યારે તે એક બે ઠેકાણે ઘાયલ થયો, જ્યારે કેટલાએકે તેને ઓળખીને જાણ્યું કે તે જો વધારે વાર સુધી આ ઠેકાણે રહીને યુદ્ધ કરશે તો બેશક માર્યો જશે, ત્યારે તેને સમજાવીને તેને એક ઘોડો આપ્યો, અને સવારોની હારમાં મોકલી દીધો. રાજાની આવી બહાદુરીથી તેના સામંતો પણ તેવી જ હિંમતથી લડ્યા; અને સાધારણ સિપાઈઓ પણ મરણીયાની પેઠે મોતનો ડર જરા પણ ન રાખતાં પોતાનાં શસ્ત્ર નિર્દયપણે વાપરવા લાગ્યા. મુસલમાન લશ્કરનાં માણસો થાક્યાં; તેઓમાંનાં ઘણાંએકે ધુળ ચાટી; ઘણાંએક જખમી થયાં; પણ રજપૂતો ઉપર કાંઈ અસર થઈ નહીં, તેથી તેઓ હઠીને પાછા પોતાને ઠેકાણે ગયા. થોડી વાર સુધી થાક ખાઈ પાછો તેએાએ ધસારો કીધો, પણ રજપૂત સિપાઈઓ તેઓની ભેટ લેવાને તૈયાર થઈ રહ્યા હતા, અને સૈરન્ધ્રી જાણીને કૈયોકિચક ભીમની સોડમાં ભરાયો હતો તેમ મુસલમાન લોકોને પણ જોઈએ તેવું જ સામા પક્ષથી આદરમાન મળ્યું. પાછું યુદ્ધ પહેલાં પ્રમાણે જ જોરથી ચાલ્યું, પણ કાંઈ થાગ લાગ્યો નહી. સૂર્યદેવતા આ કાપાકાપીથી કંટાળી જઈને તથા પોતાના ભકતોનું દુ:ખ જોઈ કષ્ટ પામીને પશ્ચિમ દિશા તરફથી લાલચોળ મ્હોડું કરી ચાલ્યા ગયા; પૃથ્વી ઉપર અંધકાર પથરાવા લાગ્યો, પક્ષીઓ પોતપોતાના માળામાં જવા લાગ્યાં; તારાઓએ એક પછી એક પોતાનું મ્હોડું બતાવ્યું; કમળનાં ફુલો બંધ થઈ ગયાં, અને જે મુસાફરો ગામમાં તે વખતે આવ્યા તેઓએ ત્યાં જ રાતનો વાસો કીધો. લડનારાઓથી એક બીજાનું મ્હોં જોઇ શકાતું ન હતું;એટલામાં ચંદ્રમાનો પ્રકાશ થયો.અજવાળું તો થોડું પરમેશ્વરની તરફથી આવ્યું, પણ લડવાનું સામર્થ્ય શત્રુઓમાં હમણાં રહ્યું ન હતું તેથી તેઓ પાછા પોતપોતાને ઠામે ગયા, અને રાતે લડાઈ બંધ રાખવાનો તથા સવારે ઝળઝળું થતાં પાછો તેનો આરંભ કરવાનું અલફખાંએ કરણ રાજાને કહેણ મોકલ્યું. રજપૂતો પણ ઘણા જ થાકી ગયલા હતા, તેઓને થોડાએક આરામની ઘણી જરુર હતી તેથી એ પ્રમાણે તેઓએ કરવાનું કબૂલ કીધું.

રાત ચાંદરણી હતી, રૂપાનાં પતરાં જેવું ચાંદરણું ખીલી રહ્યું હતું. પણ તે વેળા જમીન ઉપર કેવો ભયંકર દેખાવ જોવામાં આવતો હતો ! એક મોટા મેદાન ઉપર હજારો માણસ વિક્રાળ મ્હોંવાળાં મુએલાં પડેલાં હતાં, અને તે ઉપર જ્યારે ચાંદરણું પડતું, અને તેઓનાં મ્હોં ઉપર મૃત્યુથી ઉત્પન્ન થતા ફિકા રંગની સાથે અજવાળાનો રંગ મળતો, ત્યારે તેઓ ખરેખર ભયાનક દીસતાં હતાં. ઘાયલ લોકો ચીસાચીસ પાડતા, તેઓને પોતપોતાનાં માણસો લઈ ગયાં, અને તે ઠેકાણે જે ઓસડવેસડ થઈ શકે તે લગાડવામાં આવ્યું. લોહીની તો નીક ચાલી રહેલી હતી, અને તેનો લાલ રંગ બદલાઈને કાળો થઈ ગયો હતો. ગીધ, સમડી, કાગડા વગેરેને સારુ જે મીજબાની પાથરેલી હતી તેનો ઉપભોગ કરવાને તેઓ તે વખતે ત્યાં ન હતાં, પણ વનવાગળાં ઉંચાં ઉડ્યાં કરતાં, ઘુડો પાસેનાં ઝાડ ઉપરથી અપશકુનવાળો તથા ભયાનક શબ્દ કાઢ્યાં કરતાં, અને શિયાળવાં મુડદાંની ગંધથી ત્યાં આવીને મુએલાં માણસોનો આરામ ભંગ કરતાં હતાં. સઘળું ચુપાચુપ હતું, અને લશ્કરમાંથી કાંઇ પણ મોટો અવાજ આવતો નહતો. એટલાં બધાં માણસો એક એકનો પ્રાણ લેવાને એકઠાં થયાં હતાં, તેઓ આ રાતના દેખાવથી બીહીને, મોત તેઓની પાસે થઇને ફર્યા કરતું તેથી ડરીને, તથા આવી શાંત રાતની વખતે અવાજ કરવાથી રાત્રીના દેવોને ઉપદ્રવ થાય તે ન કરવાને સઘળાં મુગાં રહેલાં હતાં. માત્ર કંસારી બેાલ્યાં કરતી તથા શિયાળવાંને ઉજાણીનું પર્વ હાથ લાગ્યું તેથી તેઓએ બુમાબુમ પાડી મુકી હતી. મુસલમાન લોકોએ પોણી રાત નિમાજ પઢવામાં કાઢી. રજપૂત લશ્કરમાં તે વખતે મહાભારત વંચાતું હતું. અને કુરૂક્ષેત્રની લડાઇમાં જે જે શૂરાતનનાં કામો કરવામાં આવ્યાં હતાં તેમાં વિશેષે કરીને ભીમનાં પરાક્રમોની વાત વંચાવાથી સઘળા ખરા રજપૂતોનું લોહી ઉકળી આવ્યું હતું. તે સિવાય ભાટ લોકોએ આગલા ક્ષત્રી રાજાઓની લડાઈનાં કવિત કહી સંભળાવી સઘળાઓમાં શુર ઉત્પન્ન કીધું હતું. હવે એક પોહોર રાત બાકી રહી. ચંદ્રમા અસ્ત થયો, અને અંધારાનું પ્રાબલ્ય થઈ રહ્યું. મુસલમાન લોકોનાં વચન ઉપર ભરોંસો રાખી રજપૂત લોકોએ હજી લડવાની તૈયારી કીધી ન હતી. જેવા તેઓ લડાઈના કામમાં પ્રામાણિક તથા વચન પાળનારા હતા તેવા તેઓના શત્રુ હશે એવો વિશ્વાસ રાખ્યાથી તેઓ છેતરાયા. મલેચ્છ તુરકડા મતલબ ઉપર માત્ર નજર રાખતા, તે મતલબ હાંસલ કરવાને ગમે તેવા ઉપાય કરવા પડે તે વિષે તેઓને જરા પણ ફિકર નહતી. જ્યારે રજપૂત સિપાઈઓ ઉપર વર્ણવેલા કામમાં પડેલા હતા તે વખતે ખબર આપ્યા શિવાય મુકરર કરેલા વખતની પહેલાં મુસલમાન સિપાઈઓ તેઓના ઉપર તુટી પડ્યા. રજપૂતો લડવાને બિલકુલ તૈયાર નહતા તેથી તેઓમાં ભંગાણ પડ્યું લશ્કરમાં તુટ પડી; સઘળે ઠેકાણે ગરબડાટ થઈ રહ્યો, અને અંધકારમાં મિત્ર કે શત્રુ કોઈ એાળખાયા નહીં. “અલ્લા હુ અકબર” એ બુમ સંભળાય ત્યારે રજપૂત સિપાઈઓ કપાઈ જતા એમ જણાતું. એવી “અલ્લા હુ અકબર”ની બુમ ઘણી વાર સંભળાતી હતી. કરણ રાજાએ પોતાના લશ્કરને ગોઠવવાની ઘણી મહેનત કીધી, પણ વ્યર્થ ગઈ. કાપણી કરનારા ખેડુતો દાતરડાંથી જેમ અનાજ કાપે તેમ રજપૂતો તે રાતે કપાઈ ગયા.

રાજાનો ઘોડો વળી મરી ગયો એટલે રાજાએ ઉભા રહી લડવા માંડ્યું; પણ હવે જય મળે એવી આશા નહતી. એક તલવારના ઘાથી તેનાં પાંસળાં કપાયાં, અને લોહી વહેવાથી અશક્ત થઈને તે ભોંય ઉપર પડ્યો. એ અવસ્થામાં તે કપાઈ મરણ પામત, પણ દૈવયોગે તે વખતે ઝાંખું ઝાંખું અજવાળું પડયું, અને તેનું મ્હોં શ્રી હરપાળે તુરત ઓળખ્યું. રાજા જીવતો રહેશે તો ગયલું રાજ્ય કોઈ દહાડે પણ પાછું હાથ લાગશે, એવા વિચારથી તેણે બેશુદ્ધ રાજાને ઉંચકી લીધો, અને એક ઝડપદાર સાંઢણી ઉપર બેસી ચાલતો થયો. સવાર પડી એટલે રજપૂત સિપાઇની ખરેખરી અવસ્થા જણાઈ. રાતે અંધારાંમાં કેટલાએક સિપાઈઓ નાશી ગયા હતા. ઘણાએક તો માર્યા ગયા હતા; અને બાકી રહ્યા તેઓ જીવની આશા છોડી ભારે જોશથી લડતા હતા. લડાઇના આરંભની વખતે કરણે પાસેના ગામમાં થોડાએક સામંતો તથા કેટલુંએક લશ્કર રાખી મુકયું હતું, અને આખરની વખતે તેઓ ઘણું કામ લાગશે એવી તેણે આશા રાખી હતી; પણ જ્યારે તેઓએ જાણ્યું કે કરણ રાજા દેખાતા નથી, એટલે તે બેશક માર્યો ગયો હશે, લશ્કર સઘળું કપાઈ ગયું, અને જીતવાની હવે કોઈ આશા નથી, ત્યારે તેઓએ વિચાર કીધો કે હવે લડવા જવું એ તે પતંગની પેઠે દીવામાં ઝંપલાવવા બરાબર છે, માટે ખરેખર મરવા જવામાં શો ફાયદો ? જે જીવે છે તેને આશા છે; જે જીવે છે તે ફરીથી લડી શકે છે, અને જે જીવે છે તે કોઇ વખત પણ પોતાનું ધારેલું કામ સિદ્ધ કરી શકે છે, માટે નકામું શામાટે મરવું ? કોઈ પણ અનુકુળ પ્રસંગ આગળ આવશે તે વખતે જય મેળવીશું, અને ત્યાં સુધી એ તુરકડાઓને જરા પણ ચહેન વળવા દઈશું નહી, તેઓને રાત દહાડે ઉપદ્રવ કર્યા કરીશું, માટે ગુજરાતની હદ બહાર જતાં રહેવું એમાં જ ડહાપણ છે, એમ કહી તેઓ ઘોડા ઉપર સવાર થયા, અને કમનસીબ તથા રંડાયલા અણહિલપુર પાટણ ઉપર નજર કરી ઘણા જ જોશથી રડ્યા, તેઓ બોલ્યા: “રે ગુર્જરદેશ ! રે અમારી જન્મભૂમિ ! તારા ઉપર કેવી મોટી આફત આવી પડી છે? તારા છોકરાઓને પારકા લોકોએ મારી નાંખ્યા, તારા ભર્તારનો પણ એ જ દુષ્ટ લોકોએ પ્રાણ લીધો. અરે અમારી મા ! તેં અમને ઉછેરીને મોટા કીધા; તેં અમને શુરાતન આપ્યું, અને જ્યારે તારા ઉછેરીને મોટા થયલા છેકરાઓ કપાઈ ગયા, તારો લાડ લડાવનાર ધણી મરણ પામ્યો, અને તને દુષ્ટ રંડાપો આવ્યો, ત્યારે તું શા માટે પોકેપોક મુકીને રડતી નથી? તારું હૈયું શું વજ્ર સરખું થઈ ગયું છે ? તને શું રડવું આવતું નથી ? શું તારી મરજી પુનર્લગ્ન કરવાની છે ? શું આ દુષ્ટ મ્લેચ્છ તુરકડાઓનો પાદશાહ જેના હુકમથી તારું નસંતાન ગયું, તથા તને વિધવાવસ્થા પ્રાપ્ત થઈ, તે ખુની ઘોઝારા પાદશાહને તું વરવાનો મનસુબો કરે છે ? રે દુષ્ટ ! રે ચંડાળ! તું અમારી મા નથી, અમે કોઈ દહાડો પણ સાવકા બાપના હાથ નીચે રહેવાના નથી; અને તને એક ઘડી પણ વિરામ થવા દેવાના નથી, તારા નવા ધણીને જરા પણ શાતા વળવા દેઈશું નહી, તું શામાટે બોલતી નથી ? જો અમારા કહેવા પ્રમાણે તારો વિચાર નહી હોય તો તેઓ સઘળાને ગળી શામાટે જતી નથી ? હાય હાય રે હિન્દુ ધર્મ ! અને હાય હાય રે હિન્દુરાજ ! તમારા બંનેનો આજે અંત આવ્યો, દેવો સઘળા ઉંઘી ગયા. તેઓથી પોતાનું રક્ષણ થતું નથી તે આપણું શું કરવાના છે? પણ વનરાજ, મુળરાજ, સિદ્ધરાજ, કુમારપાળ, સઘળા ક્યાં ગયા ? તેઓ પોતાનાં છોકરાંની વહારે કેમ ધાતા નથી ? પણ સઘળાએાએ મળીને સંપ કીધો છે. સઘળાએાએ આ ગુજરાતનું રાજ્ય પારકે હાથ જવા દીધું છે, ઈશ્વરની એમ જ મરજી હશે, તેમાં આપણું શું ચાલવાનું છે? આપણાથી તો એટલું જ થઇ શકે છે કે દેશ મેહેલીને જતાં રહેવું. માટે ચાલો, ગુજરાતને છેલ્લા રામરામ.” એમ કહી તેઓએ પોતાના ઘોડા દોડાવી મુક્યા, અને પાયદળ સિપાઇઓ ઝડપથી કુચ કરી ચાલ્યા, અને જ્યાંસુધી તેઓએ ગુજરાતના રાજ્યની સરહદ વટાવી ત્યાંસુધી તેઓ અટક્યા નહી, તેમ રસ્તામાં અન્નજળ પણ ચાખ્યું નહી.

લેખક – નંદશંકર મહેતા
આ પોસ્ટ નંદશંકર મહેતાની ઐતિહાસિક નવલકથા કરણ ઘેલો: ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!