કરણ ઘેલો: પ્રકરણ- 16

જીજુવાડાના પાટડી ગામમાં એક મોટો મેહેલ બાંધેલો હતો. તેની એક બારીએ કોઈ સ્ત્રીપુરૂષ બેઠેલાં હતાં. તેઓ બંને પુખ્ત ઉમરે પોંહોંચેલા હતા. તેમાંથી પુરુષનું મ્હોડું ચિન્તાતુર દેખાતું હતું. જ્યારથી અણહિલપુર મુસલમાન લોકોના હાથમાં આવ્યું ત્યારથી ગુજરાતનો પાદશાહી સુબો આસપાસના રજપૂત તથા બીજા હિન્દુ રાજા, ઠાકોર, તથા ગરાસીયાને તાબે કરી તેઓનાં રાજ્ય જપ્ત કરતો હતો, તથા તેઓ ઉપર ભારે ખંડણી બેસાડવાને ચડાઈઓ કરતો હતો. એ લડાઈઓમાં કેટલાંએક નાનાં રાજ્યો ડુબી ગયાં; કેટલાએક રાજાએાએ ખંડણી આપવી કબુલ કીધી; પણ હજી કેટલાએક પોતાના શૂરાતનથી કિલ્લાની મજબુતી વડે તથા લશ્કરના જોરે કરીને એ સુબાની સામે ટકી રહ્યા હતા. પાટડીનો ઠાકોર જે તે મેહેલની બારીએ બેઠો હતો તેણે પણ અત્યાર સુધી પોતાનો બચાવ ઘણી બહાદૂરીથી કીધો હતો પણ હમેશાં સુધી એ પ્રમાણે તેનાથી લડાઈ થઈ શકશે નહી એ બાબત તેને ઘણી ચિન્તા થતી, અને તેથી જ તે મહાભારત ફિકરમાં પડ્યો હતો. તેની સ્ત્રી પણ તેવી જ બહાદૂર હતી, અને તે પોતાના સ્વામીની હિંમત લેશ માત્ર પણ નરમ પડવા દેતી ન હતી. જે ચમત્કારિક રીતે પાટડી તથા બીજાં ગામો કરણ વાઘેલા પાસેથી તેને મળ્યાં હતાં તેમાં કાંઈ દેવતાઈ અંશ હતો. એક રાતમાં બે હજાર ગામને તોરણ કોઈ પણ માણસથી એકલી પોતાની જ શક્તિવડે બંધાઈ શકે નહી, માટે જે અદ્દભુત શક્તિથી એટલાં બધાં ગામો તેને મળ્યાં તે જ શક્તિ તેની તથા તેના વંશની પાસે કાયમ રહેશે, એ પ્રમાણે તેની સ્ત્રી તેને ધીરજ આપતી હતી. એ પ્રમાણે જ્યારે તે બે વાતચિત કરતાં હતાં તે વખતે બહાર ચોગાનમાં કાંઈ ગડબડ થઈ, અને તેઓ બહાર જુવે છે તો એક હાથી છુટો પડી મદોન્મત્ત થઈ, દોડતો તેમણે જોયો, આ વખતે બારી આગળના ચોગાનમાં તેઓના શેડો, માંગુ, શેકડો, એ નામના ત્રણ છોકરા તથા ઉમાદેવી નામની છોકરી રમતાં હતાં, મસ્ત થયેલો હાથી રસ્તામાં જે વસ્તુઓ આવતી તે સઘળીને છુંદતો છુંદતો તે છોકરાં પાસે આવ્યો, અને એકને સુંઢમાં પકડી ઉછાળવાની તથા બીજાને પગતળે ચગદી નાંખવાની તૈયારીમાં હતો, એટલામાં તુરત તે સ્ત્રીએ, એટલે તેઓની માએ, બારીએથી જ પોતાનો એક હાથ એટલો તો લાંબો કીધો કે તેઓ સઘળાંને ઝાલી લીધાં અને મોતના સપાટામાંથી તેઓને તુરત ઉગારી દીધાં. હરપાળ (તે પુરૂષ હરપાળ મકવાણો કરણ રાજાનો માશીનો છોકરો તથા બાબરા ભૂતનો જીતનાર હતો, એ વાંચનારાઓએ જાણી લીધું હશે ) આ તેની સ્ત્રીનું દેવતાઈ પરાક્રમ જોઈને ઘણો જ આશ્ચર્ય તથા આનંદ પામ્યો, અને આ વાતનું હમેશાં સ્મરણ રહેવાને તે ત્રણે છોકરાઓનું નામ ઝાલા (પકડયા) પાડ્યું. એ નામ હજી સુધી તેના વંશના ઝાલા રજપૂતોએ રાખ્યું છે.

જ્યારે તે ગાડા હાથીને ચોગાનમાં નુકસાન કરવાનું કાંઈ મળ્યું નહી ત્યારે તે બહાર દોડ્યો, અને તે રસ્તે એક ગાડું જતું હતું તેને પોતાની સુંઢના એક સપાટાથી ઉડાવી દીધું. ગાડું પડતાં જ ભાંગી ગયું હાંકનાર એક તરફ પડ્યો, અને માંહે બેઠેલો એક પુરૂષ તથા એક સ્ત્રી એક બાજુએ પડ્યા. તે વખતે બળદો ચોંક્યા તેથી તેઓએ એ ગાડાને આગળ ઘસડ્યું, અને તેમ કરતાં તેનું એક પૈડું તે સ્ત્રીપુરૂષના શરીર ઉપરથી ફરી ગયું. પુરૂષનો પગ આ ઘાથી ભાંગી ગયો, તથા સ્ત્રીને સખત વાગ્યું. ઘાના દરદથી તેઓ બંને બેભાન થઈ પડી રહ્યાં. તેઓ મરી ગયાં એમ જાણી ગાડીના હાંકનારે મોટેથી ચીસ પાડી તે ઠેઠ મેહેલનાં માણસોએ સાંભળી. હરપાળે એ દુઃખભરેલી બૂમ સાંભળી શું બન્યું તે જોવાને પોતાનાં માણસો મોકલ્યાં. થોડી વારમાં તેઓ બે માણસોને એક ખાટલા ઉપર સુવાડીને મેહેલમાં લાવ્યાં. આ ભાગ્યહીન અજાણ્યાં વટેમાર્ગુઓને તેઓની આવી અવસ્થામાં આશ્રય આપવો, તથા તેઓની સારાં કરવાની તજવીજ કરવી, તથા જ્યાંસુધી તેઓ આવી અવસ્થામાં રહે ત્યાંસુધી તેઓની ઘટતી બરદાસ્ત લેવી, એ પોતાનો ખરો ધર્મ છે, એમ જાણી હરપાળે તેઓને પોતાના મેહેલમાંના એક એારડામાં સુવડાવ્યાં, તથા ગામના વૈદ તથા મલમપટા કરનાર હજામને બોલાવી મંગાવ્યા. તેઓના ઉપચારથી તેઓને કેટલીએક વારે ભાન આવ્યું, અને જ્યારે તેઓને માલમ પડ્યું કે તેઓ કોઈ અજાણ્યા માણસના ઘરમાં હતાં, તથા તેમને વાસ્તે તે માણસે ઘણી મહેનત કીધી હતી, ત્યારે તેઓના અંત:કરણમાં ઉપકારવૃત્તિ પ્રકટ થઈ, અને ઘરધણીને જોઈએ તેટલો પાડ માનવાને તેઓ ઘણાં અધીરાં થયાં, જ્યારે રાત પડી ત્યારે હરપાળ તેઓના ઓરડામાં આવ્યો, અને તે ઘાયલ માણસ જોડે તેણે વાતચિત કરવા માંડી. ઘાનું દરદ હમણાં ઓછું થયું હતું તેથી તેનામાં બોલવાની શક્તિ આવી હતી. પોતે કોણ હતો, શાં શાં પરાક્રમ કીધાં હતાં, તથા હાલ તેની સ્થિતિ કેવી થઈ ગઈ હતી તે સઘળી વાતથી વાકેફ કરવાને તેણે પોતાની સઘળી જીન્દગીનું વૃત્તાંત હરપાળ આગળ ઘણે વિસ્તારે કહીં સંભળાવ્યું, પોતાના પરોણાને હવે તેણે સારી પેઠે ઓળખ્યો તેથી તેને ઘણી જ નવાઈ લાગી, અને ગુજરાતનો કટ્ટો શત્રુ પોતાના રાજાને પાયમાલ કરનાર, લોકોને મ્લેચ્છ લોકોના હાથમાં આપનાર, તથા પોતાની સઘળી ફિકર તથા દુઃખનું કારણ, પોતાના ઘરમાં આમ દેવયોગે આવી મળ્યો તે જોઈને તેને પગથી માથા સુધી ક્રોધની જ્વાળા ચઢી. તે ઘણો ચીઢીને પગ ઠોકી ઘણા આવેશથી બોલ્યોઃ- “અરે દુષ્ટ ! અરે ચંડાળ ! અરે રાજદ્રોહી ! અરે મહા પાપી ! તેં જે કામ કીધું તેનાં ફળ તેં હવે ચાખ્યાં ! અરે નાગરા ! છેક નફટ નિર્લજ થઈને તારાં અધમ તથા કપટનાં કર્મો તું મારી આગળ કહેવામાં પ્રતિષ્ઠા માને છે ? ધિ:ક તારી દેહને ? ધુળ પડી તારા નામ ઉપર? તું હિંદુ જન્મી તારી જન્મભૂમિ પરદેશી પરધર્મના મ્લેચ્છ દુષ્ટ લેાકેાને તેં વેચી ! અરે શરમ છે તને ! તું તારી માના ગર્ભમાં જ કાં ન મુઓ ? તારો ગર્ભપાત કાં ન થયો ! અથવા તું તારી કુમળી વયમાં શા માટે મરણ ન પામ્યો ! તેં તારી સાત પહેડીનું નામ ડુબાવ્યું ! તેં તારી જાતને એબ લગાડી, તે હિન્દુના નામને શરમ પોંહોંચાડી, તું પથ્થર કાં ન પડ્યો !” એ પ્રમાણે ઘણા આવેશમાં હરપાળે તેના ઉપર ગાળોનો વરસાદ વરસાવ્યો, અને એથી પણ વધારે અપશબ્દો તે વાપરત, અથવા કદાપિ તે તેના ઉપર હાથ પણ ચલાવત, પણ એટલામાં તે ઘાયલ માણસ વચમાં બોલી ઉઠ્યોઃ–

“ખમા બાપજી ! ખમા, જેટલી મને ગાળ દીધી, તથા એથી પણ વધારે દેશો, એ સર્વને હું પાત્ર થયો છું, જેટલા આરોપ તમે મારા ઉપર મૂક્યા છે તેટલા મેં કીધા છે, તથા જે જે બદકામોનો કરનાર તમે મને કહ્યો તેટલાં મારાથી થયાં છે. હું ખરેખર દુષ્ટ, પાપી, ચંડાળ છું. હું વધારે વાર આ લોકમાં જીવવાને લાયક નથી. અને પરલોકમાં પણ ઘણી માઠી સ્થિતિને હું નક્કી પામીશ; પણ હવે હું શું કરૂં ? ભાવિ વાત બની છે. જે થનાર તે થઈ છે, હવે તે ન થયું એમ થનાર નથી પણ તે વખતની મારી સ્થિતિ ઉપર પણ તમારે વિચાર કરવો જોઈએ. મારા ઉપર કેવો ને કેટલો ગજબ પડ્યો હતો તે ધ્યાનમા લેવું જોઈએ. તે વખતે વેરે મને ઉશ્કેર્યો, વેરે મને ગોદા માર્યા, અને આ સઘળાં કામ તે દુષ્ટ વિકારે મારી પાસે કરાવ્યાં. પણ મેં જેવું કીધું છે તેવું જ મારી અવસ્થામાં આવી પડવા છતાં ન કરે એવો કોણ છે? જવલ્લે જ કોઈ નીકળે. પણ મેં મોટી ભૂલ કીધી એ હું કબુલ કરું છું મેં જાતે કરણ ઉપર વેર લીધું હોત તો હું મારી જાતને ગુનાહગાર ન ઠેરવત. પણ મેં કરણ રાજા ઉપર વેર પારકા પાસે લેવડાવ્યું એ ઘણું ખોટું કીધું. અને તેથી આ સઘળી ખરાબી થઈ; અને મને પણ શો ફાયદો થયો છે? જ્યાં સુધી અલફખાં ગુજરાતનો સુબો રહ્યો ત્યાં સુધી તો મેં કારભાર ભોગવ્યો, પણ તે વખતે મારી ખરેખરી સત્તા પહેલાંના જેટલી ન હતી. હું હમેશાં ફિકર ચિન્તામાં રહેતો હતો. અદેખાઈને દુશ્મનીનો તો પાર જ ન હતો, મારે તલવારની ધાર ઉપર ચાલવું પડતું. મારૂં આવર્દા કાચા સુતરે લટકાવેલું હતું; અને તે મારી સઘળી દહેશત અંતે ખરી ઠરી. અલફખાં ગયા પછી નવા સુબાએ મારો કારભાર છીનવી લીધો; મારાં ઘરબાર, માલમિલકત સરકારમાં જપ્ત કીધાં; મારી સ્ત્રી થોડું ઘણું દ્રવ્ય લઈને નાસી ગઈ, અને મને એક સાધારણ ગુનાહગારની પેઠે બંધીખાનામાં નાંખ્યો. મેં છૂટવાને ઘણાએ પ્રયત્ન કીધા, તથા મારી હાલતની ખબર પાદશાહને કાને પહોંચાડવાને ઘણીએ તદબીર કીધી, પણ નગારખાનામાં તતુડીનો અવાજ કોણ સાંભળે ? મારી ફરિયાદ કોઈએ સાંભળી નહી; અને છેલ્લે જ્યારે અમલ બદલાયો ત્યારે ખુશામત તથા કાલાવાલા કર્યાથી મારો છૂટકો થયો. મેં ઘેર જઈ પાટણ શહેર છોડી દીધું અને સિદ્ધપુરમાં મારી સ્ત્રી સંતાઈ રહી હતી તેને સાથે લઈ સોમનાથનાં દર્શન કરી હાલ પાછો આવું છું. એ અઘોર પાપ કીધાં તેનો મને હમણાં ઘણો જ પસ્તાવો થાય છે. રાત દહાડો જરા ચેહેન પડતું નથી; માટે હવે કાશીક્ષેત્રમાં જઈ વિશ્વેશ્વરનું રોજ પૂજન કરી ભાગીરથીમાં સ્નાન કરી ત્યાં બાકી રહેલું આવર્દા પૂરું કરવું, એવો મારો મનસુબો છે, એ કામ પરમેશ્વર પાર પાડે, એને હવે પછીના મારા પશ્ચાત્તાપથી તથા તપશ્ચર્યાથી મારૂં સઘળું પા૫ ધોવાઈ જાય. મને ઈશ્વર તરફથી ઘટતી શિક્ષા થઈ છે, તેથી હું જરા પણ તેની સામે ફરિયાદ કરતો નથી. પરમ દયાળુ ઈશ્વર મને ક્ષમા કરે, રામરામ દાદા! કાલ સવારે હું ઈહાંથી જઈશ માટે તમને જે મારે વાસ્તે શ્રમ થયો છે તે માફ કરજો.”

માધવ અને રૂપસુંદરી ત્યાંથી નીકળી મોઢેરા ગયાં અને ત્યાં સાંજરે ધર્મશાળામાં તેઓએ મુકામ કીધો. વાળું કીધા પછી તેઓ ઘાટ ઉપર જઈ ઉભાં રહ્યાં. તે વખતે આશ્વિન મહીનાની ચાંદણી રાત ખીલી રહી હતી, અને ત્યાં એક માણસ ધીમે ધીમે અને નીચું માથું રાખીને ફરતો હતો; તે વખતે ચાંદરણું રૂપાના પતરાં સરખું પડ્યું હતું; કુંડના સ્થિર પાણી ઉપર અતિશય ચળકાટ પડતો; અને તેમાં બાજુએ પગથીયાં ઉપરનાં નાનાં મોટાં દેહેરાંની છાયા પડતી તેથી તે કુંડ ઘણો રળિયામણો દેખાતો હતો. કુંડ ઉપર એક મહાદેવનું મોટું દેવાલય હતું તેને બે રંગમંડપ હતા; એક દેહેરા સાથે વળગેલો તથા બીજો છુટો હતો, આજુબાજુએ કીર્તિસ્તંભ હતા. આખા દેહેરાની લંબાઈ પોણોસો ગજ તથા પહોળાઈ પચીસ ગજ હતી. અને તેથી ચારગણી લંબાઈ પહોળાઈનો કુંડ હતો.

અગર જો તે વખતે પેહેલી રાત હતી તોપણ સઘળું ચુપાચુપ હતું. પવન પણ પડી ગયલો હતો, અને ઝાડનાં પાતરાંનો જરા પણ ખડખડાટ સંભળાતો ન હતો. ધર્મશાળામાં એક વેરાગી મોટી ધુણી સળગાવીને બેઠો હતો, અને તેની પાસે એક બ્રાહ્મણ હતો, તે બંને ગાંજો ફુંકવાની તૈયારીમાં પડેલા હતા. આ એકાંત સ્થળે જે માણસને તેઓએ ફરતો જોયો તેનો દેખાવ જોઈ લેવા સરખો હતો. તેના માથાના નિમાળા સફેદ બરફના જેવા થઈ ગયા હતા. તેની આંખ ખાડામાં પેસી ગયલી હતી, તથા મુએલા માણસ જેવી થઈ ગયલી હતી. તેમાં કાંઈ પણ તેજ જણાતું ન હતું, તથા તેમાં બુદ્ધિની કાંઈ પણ નિશાની માલમ પડતી ન હતી. તેના ગાલ પણ બેસી ગયલા હતા. આખા ચહેરાનું લોહી પણ ઉડી ગયલું હતું, તેથી તે ફિક્કા રંગનો દેખાતો હતો. આખું શરીર ગળાઈ ગયલું હતું, તેથી તેને વખતે કોઈ નરમ હૈયાનો માણસ જોય તો તેને બીહીક લાગ્યા વગર રહે નહી તે આ લોકનો માણસ હોય એમ લાગતું ન હતું. તે કોઈ કબરમાંથી બહાર નીકળેલો હોય એમ જણાતું હતું. જેવું તેનું શરીર તેવું જ તેનું મન હતું. તેનું માથું ફરી ગયેલું હતું. તેની અક્કલ પોતાનું કામ બરોબર કરી શકતી હોય એમ જણાતું ન હતું. તેની શિકલ તથા ચાલવાની રીત ઉપરથી એવું સહેજે અનુમાન થઈ શકતું હતું કે તે માણસ અસલથી આવો ન હતો. તેણે ઘણો સારો વખત કોઈ વાર જોયો હોય પણ તેના ઉપર કોઈ મોટી આફત આવી પડ્યાથી અથવા, દૈવકોપ થવાથી તેની અવસ્થા આવી બદલાઈ ગઈ હશે, એમ ધરાતું હતું. તે આ વખતે ઉંડા વિચારમાં પડ્યો હતો, અને તે વિચારનો વિષય તેના નિકટના સંબંધનું જ માણસ હતું, તેના કલેજામાં કારી ઘા લાગ્યો હતો, અને તે કાંઈ મહા દુઃખથી તે વખતે પીડાતો હતો.

આ માણસ કોણ છે તે વાંચનારાઓએ ઓળખ્યો હશે, અથવા તેઓએ અટકળ કરી હશે. જો એ બેમાંથી કાંઈ પણ થતું ન હોય તો અમે તેઓને જણાવીએ છીએ કે તે માણસ કરણ ઘેલો હતો. જ્યારે તેણે દેવગઢમાં સાંભળ્યું કે ભીમદેવનું સઘળું લશકર કપાઈ ગયું, તથા દેવળદેવી મુસલમાનોના હાથમાં પકડાઈ, ત્યારે જે દુ:ખ તેને થયું તેનું વર્ણન થઈ શકતું નથી. તેણે કેટલાએક દહાડા સુધી તો અન્ન ચાખ્યું નહી, તથા પાણીનું ટીપું પણ ઓઠે અડકાડ્યું નહી. જે બનાવ અટકાવવાને માટે, તેણે આટલું કષ્ટ સહ્યું, જેને વાસ્તે તે આટલી મુદત સુધી લડાઈ લડ્યો, તથા બેહદ સંકટ વેઠ્યું જેને વાસ્તે તેણે પોતાનો પ્રાણ જોખમમાં નાંખ્યો તથા પોતાનાં ઘણાંએક વહાલાં માણસોને પોતાની નજર આગળ મરતાં દીઠાં, તે જ બનાવ આખરે બન્યો એ કાંઈ થોડી સંતાપ ઉપજાવનારી વાત ન હતી, જે અમૂલ્ય રત્ન તેણે મહા જતનથી ઘરમાં રાખી મૂક્યું, જેને જોવાથી તેને અતિ આનંદ થતો, તથા જે વડે તેને આટલાં મહાભારત દુઃખમાં પણ જીવવું ગમતું હતું, તે રત્ન તેના હાથમાંથી જતું રહ્યું અને તે કોના હાથમાં પડ્યું ? પોતાના ઉંચા કુળનું અભિમાન રાખી તેણે દેવગઢના રાજા સાથે સંબંધ કરવાની ના કહેલી, તથા મ્લેચ્છ લોકોના હાથમાં જાય એ ભયથી જ શંકળદેવને, પોતાનો જમાઈ કરવાને છેલ્લે તેણે ઘણી આનાકાની સાથે કબુલ કરેલું, તે સઘળું વ્યર્થ ગયું તેને જે મોટામાં મોટી દેહેશત હતી તે જ આડે આવી. હવે જીવવું શા સારૂ ? જીવવું કોને વાસ્તે ? અને શું કરવા ? તેણે આપઘાત કરવાને ઘણીએક વાર પ્રયત્ન કીધા, પણ તેને સઘળી વખત કોઈએ રોક્યો. તેને દેવગઢના રાજા રામદેવે ઘણો દિલાસો તથા ધીરજ આપી; તેને અન્ન ખવડાવ્યું, તથા કેટલીએક તદબીરથી તેનું મન પોતાની છોકરી ઉપરથી કઢાવ્યું પણ તે વખતથી તેની અક્કલને નુકસાન લાગ્યું, તે ઉદાસીની પેઠે આખો દહાડો બેસી રહેતો, અને તે વખતથી તે કોઈ દહાડો જરા પણ હસ્યો નહી. આવી અવસ્થામાં તે કેટલીએક મુદત સુધી દેવગઢમાં રહ્યો; પણ એટલામાં મલેક કાફુરનું લશ્કર શહેર આગળ આવ્યું; અને તેને ઘેરો ઘાલ્યો. રામદેવ શંકળદેવને કિલ્લામાં રાખી પોતે ઘણાંએક નજરાણાં લેઈ મલેક કાફુર પાસે ગયો, અને તેને શરણ થયો. પછી રામદેવ કાફુરની સાથે દિલ્હી ગયો. ત્યાં તેને રાયારાયનો ઈલ્કાબ મળ્યો. દિલ્હીના પાદશાહે તેને તેનું રાજ્ય પાછું સોંપ્યું એટલું જ નહી, પણ તેમાં વધારો કરી આપ્યો. તેને નવસારી પરગણું ઈનામ દાખલ આપ્યું, અને તેને ઘેર જવાને લાખ તનખા ખરચને માટે આપ્યા.

એ સઘળો બનાવ જયારે બન્યો ત્યારે કરણ ગુસ્સે થઈને તથા રામદેવ ઉપર કંટાળી જઈને દેવગઢથી ચુપકીથી નાસી ગયો, અને પાંચ વર્ષ સુધી આખા ગુજરાતમાં જુદો જુદો વેશ લઈને ભટક્યો. છેલ્લે તે મોઢેરા ગામમાં આવી પહોંચ્યોં, અને ત્યાંના દેહેરાની એક ધર્મશાળામાં તેણે ઉતારો કીધો.

માધવ તથા તેની સ્ત્રી ઉભાં ઉભાં પોતાના ગયલા વખતની વાત કરતાં હતાં, તથા માણસની જીન્દગીમાં કેટલા બધા ફેરફાર થાય છે તે ઉપર વિચાર કરતાં હતાં. વાતમાં ને વાતમાં કરણનો વિષય નીકળ્યો ત્યારે એ દુર્ભાગ્ય રાજાને વાસ્તે તેઓને ઘણી દયા આવી. “અરે અરે ! જો કરણ રાજા આ વખતે જીવતા હોય અને તેના સાંભળવામાં આવે કે તેની દેવળદેવી તેને વિસરી જઈ પોતાની મા સાથે ઘણા આનંદમાં રહે છે, તથા તેણે પાદશાહના શાહજાદા ખિઝરખાં સાથે લગ્ન કીધું છે તો તેને કેટલું બધું દુ:ખ ઉપજે ? પણ તે બીચારો આ પૃથ્વી ઉપર જ કદાપિ નહી હોય, જ્યાં હોય ત્યાં તેનો સ્વર્ગવાસ થજો.” એ પ્રમાણે માધવ મોટેથી બોલ્યો, તે સઘળા શબ્દ કરણે સ્પષ્ટ સાંભળી લીધા. આ દુ:ખદાયક વાત કરણને કાને પડતાં જ તે બેશુદ્ધ થઈ ભોંય ઉપર પડ્યો, પડવાનો અવાજ સાંભળી માધવ તેની તરફ દોડ્યો, અને જ્યારે તેણે પડેલા માણસનું મ્હોંડું કેટલીક વાર જોયું ત્યારે તે એવો તો ભય પામ્યો કે એક છલંગ મારી પોતાની સ્ત્રીને ઘસડીને ધર્મશાળામાં જતો રહ્યો, અને સઘળો સામાન બાંધી રાતની રાત ત્યાંથી બીજે ગામ જવાને નીકળી પડ્યો.

થોડી વાર પછી જ્યારે કરણને ભાન આવ્યું ત્યારે તેની આંખ લાલચોળ તથા ચેહેરો ગાંડા જેવો થઈ ગયો; અને તેના અંત:કરણમાં સખત ઘા લાગ્યો. દુષ્ટ ચંડાળ છોકરી તેના બાપના કીધેલા ઉપકાર ભુલી જાય, અને તેને કોઈ વાર પણ સંભારે નહી એ કાંઈ જેવું તેવું દુઃખ ન હતું. તેને વાસ્તે તેના આવા હાલ થયા હતા, અને તે વન વન ભટકતે। હતો, અને દેવળદેવી સુખમાં પાદશાહના મહેલમાં રહે, અને જરા પણ ઉદ્વેગ ધરે નહીં; વળી તેની માની સાથે વટલી જાય; અને છેલ્લે તેને ભૂલી જઈને, શંકળદેવનો પ્યાર અંત:કરણમાંથી ભુસી નાંખીને મ્લેચ્છ પાદશાહ, તેના બાપનું રાજ્ય લેનાર, તેના ઘરનું સુખ હરનાર, તેને આટલી બધી વિપત્તિમાં નાંખનારના જ છોકરા સાથે પરણે એ કાંઈ નાનીસુની વાત ન હતી. કૃતઘ્ની છોકરી ! આ દુનિયામાં કોઈ કોઈનું નથી, સઘળાં સ્વાર્થી છે, પ્યાર ફોકટ છે; સંસાર દગલબાજ છે, તથા માયા સઘળી ખોટી છે, એ વાતનો તેને હમણાં નિશ્ચય થયો, જેને વાસ્તે આટલી વાર જીવવું પ્રમાણ હતું તે સઘળાં દગો કરી ચાલ્યાં ગયાં, ત્યારે હવે દુનિયામાં દુઃખે દહાડા કાઢવામાં શું ફળ? માટે હવે નક્કી મરવું જોઈએ. એવો વિચાર કરતો કરતો તે કુંડની પાળ ઉપર ફરતો હતો. પણ મરવું એ કાંઈ સેહેલું નથી. જીન્દગીથી ગમે તેટલા કંટાળી ગયા હોઈએ અને મોત વારે વારે માગતા હોઈએ તો પણ જ્યારે યમરાજાના દૂત ખરેખર આવે ત્યારે આ દેહ કોઈને છોડવો ગમતો નથી. ત્યારે આપઘાત શી રીતે થાય ! પોતાનો જીવ પોતાને હાથે શી રીતે કઢાય ? એજ સંદેહને લીધે તે કુંડમાં એકદમ પડવાને બદલે આણીગમ તેણીગમ ફર્યા કરતો હતો. તેના મનમાં તોફાન અને શાંતિ વારાફરતી થતી હતી. જીવ જ્યારે ઉકળી આવતો ત્યારે તે પડવાની તૈયારી કરતો, પણ એટલામાં મન પાછું શાંત થતું, એટલે પાછો ફરવા માંડતો, એ પ્રમાણે કેટલીએક વાર સુધી ચાલ્યા પછી તેને એકદમ આવેશ ચઢી આવ્યો. અને તે નરમ પડે તેની અગાઉ તે કુંડમાં ભુસકો મારી ઝંપલાવી પડ્યો. પાણીમાં એક મોટો ધબાકો થયો તે રાતની વખતે અને આસપાસ બંધિયાર જગા એટલે તેને પડઘા પડવાથી અવાજ ઘણો મોટો સંભળાયો.

પાસેની ધર્મશાળામાં જે વેરાગી તથા બ્રાહ્મણ ગાંજો ફૂંકતા હતા તેઓ બંનેએ આ ધબાકો સાંભળ્યો, અને તે સાંભળીને તેઓ ચમક્યા. વેરાગી ચલમ પીતાં પીતાં અટક્યો, તે તેને કડવું ઝેર જેવું લાગ્યું તે ગુસ્સામાં આવી બોલી ઉઠયો:–“આવી રાતની વખતે કોણ અભાગિયો પાણીમાં પડ્યો?” કોઈ કુતરો અથવા બીજું કોઇ જનાવર હશે. આ વખતે માણસ તો કોઈ નહીં હોય. ગમે તે હો તો પણ તેણે મારી ચલમનો તાલ ખોવડાવ્યો હવે નિશો ચઢવાનો નથી. આ ઢોરે બધો દહાડો ખરાબ કીધો. આજે સવારે કોઈ ચંડાળનું મ્હોં જોયું હશે કે અમલ કરવામાં આવો એક અટકાવ થયો. એને મરવા દો. હું એને બચાવવા જવાનો નથી.” એવું કહી તેણે પછી ચલમ ભરવા માંડી. પણ જે બ્રાહ્મણ તેની સાથે હતો તે વધારે કોમળ અન્તઃકરણવાળો હતો. તેણે દુ:ખનો સ્વાદ ચાખ્યો હતો. જે દહાડાથી તેની સ્ત્રી દેવળદેવીની સાથે તુરકડાઓના હાથમાં ગઈ તે દહાડેથી તેને ચેહેન પડતું ન હતું. તેણે ઘણોક પ્રવાસ કીધો હતો, અને છેલ્લે થાકી આ ઠેકાણે આવી રહ્યો હતો. તેને પાક્કી ખાતરી થઇ કે કોઈ માણસ પડ્યો હશે અને પોતે બેસી રહે અને એક મનુષ્ય દેહનો નાશ થાય એ ઘોર પાપ પોતાને માથે ન આવે માટે તે ચલમને પડતી મૂકીને ઉઠ્યો, અને કુંડ આગળ ગયો, પાણીમાં જુવે છે તે કોઈ માણસને તરફડીયાં મારતો તેણે જોયો, તેનું માથું માત્ર ઉઘાડું દેખાતું હતું. કરણ પડતાંને વાર નીચે ગયો, પણ તે તુરત ઉપર તરી આવ્યો. તે વખતે સ્વરક્ષણની સ્વાભાવિક પ્રેરણાએ જોર પકડ્યું તે વખતે તે પોતાનો જીવ બચાવવાની આતુરતામાં પોતાનું સઘળું દુઃખ ભુલી ગયો. તેણે પછાડા મારવા માંડ્યા, અને એ પ્રમાણે જોર કરી તે કટલીએક વાર સુધી પાણી ઉપર રહ્યો, પણ તેનું જોર ધીમે ધીમે કમ થતું ગયું; તેના પગમાં ગોટલા ભરાઇ ગયા; તથા તેના હાથ રહી ગયા. તે નીચે પડવા લાગ્યો અને જે વખતે તે બ્રાહ્મણ કુંડની પાળ ઉપર ગયો, ત્યારે તેની ચોટલી માત્ર બહાર દેખાતી હતી. આવી વખતે બ્રાહ્મણને પાણીમાં ભુસકો મારતાં કાંઈ વાર લાગી નહીં. તેની પાસે વધારે લુગડાંની કાંઇ ખટપટ ન હતી. માથે એક ટોપી હતી તે પાળ ઉપર મૂકી દીધી, અને જે ધોતીયું પહેરેલું હતું તે સાથે તે પાણીમાં પડ્યો. સારા ભાગ્યે કરણ અજવાળામાં હતો તેથી તુરત તે બ્રાહ્મણે તેની ચોટલી પકડી અને તેને પોતાની પાછળ ઘસડ્યો. પણ ડુબતા માણસને કાઢવાનું કામ કાંઇ થોડું જોખમ ભરેલું નથી. તેના મનને તો આખું જગત ડુબી જાય છે અને તે પોતાનો જીવ બચાવવાની મહેનતમાં તેના બચાવનારના જીવને જોખમમાં નાંખે છે. કરણે પાણીમાંથી બહાર નીકળતાં બ્રાહ્મણને ચુડ ભેરવી; ને ભટજી જો સારો તરનાર ન હોત તો તેઓ બંનેનું સમચરી એક જ દહાડે આવત. પણ ભટજી આટલા બોજા સાથે પણ થોડુંએક તર્યા અને જ્યારે વધારે વાર ઉપર ટકાયું નહી ત્યારે કરણના હાથને તેણે એવા જોરથી બચકું ભર્યું કે તેણે તુરત પોતાના હાથ છોડી દીધા, પછી એક આચકાની સાથે કરણને ઓવારા ઉપર નાંખ્યો. બ્રાહ્મણે બહાર નીકળી કરણને ઉંચકી લીધો અને વેરાગીની પાસે લાવીને નાંખ્યો. વેરાગી તે વખતે બીજી ચલમ ફૂંકતો હતો તેણે ઘણી બેપરવાઈથી કરણના બેભાન મુડદા જેવા શરીર તરફ જોયું, અને તે પુરો મરી ગયલો છે એમ જાણીને તે બ્રાહ્મણ ઉપર ક્રોધે ભરાઈને બોલ્યો: “અલ્યા બમન ! આ પ્રેતને ઈહાં ક્યાં લાવ્યો ? આ કુંડ તથા ધર્મશાળા ગોજારાં થયાં. એવી પીડાનું ઈહાં શું કામ છે? તેને કોઈ ખુણામાં નાખી આવ, કાલે સવારે ગામમાં ખબર આપીશું એટલે તેનાં કોઈ વહાલાં અથવા એાળખીતાં લઈ જશે; નહી તો તેને અવલ મંજલ પહોંચાડવાનો મહાજન લોકો કાંઈ પણ બંદોબસ્ત કરશે. આ મહાદેવના દેવાલયમાં મુડદાને રાખવું ન જોઈએ. આખું દેહેરૂં અપવિત્ર થાય, અને તેને શુદ્ધ કરવાને ઘણા પૈસા ખરચ લાગશે, અને બીજા લોકો આપણને ઠપકો દેશે. વળી આપણને રાજા પાસે જવું પડશે. ત્યાં કોણ જાણે શું થાય ? તે કુંડમાં શા સારૂં પડ્યો તે આપણને પૂછશે ત્યારે આપણે શો જવાબ દઈશું ? અને જવાબ બરોબર દેવાશે નહી તો રાજાને આપણા ઉપર વેહેમ આવશે. રાજા ગંડુ છે, તેનો શો ભરોસો ? વખતે આપણે કુતરાને મોતે માર્યા જઈએ, અથવા ગામમાંથી બહાર જવું પડે, એટલે આપણી પેદાશ જતી રહે ને આપણે ભુખે મરીએ, માટે એ બલાને તું ઈહાંથી ખસેડ, અને બહાર કોઈ ખુણામાં નાંખી આવ, તું તારું ભીનું ધોતીયું બદલી નાંખ, અને તને સરદી ચઢી ગઈ હશે માટે આ ચલમ તૈયાર છે તે લઇ ગરમ અને તાજો થઇ જા. ચાલ બચ્ચા, વેહેલો થા.”

વેરાગીનું આ બોલવું સાંભળીને બ્રાહ્મણના દિલ ઉપર ઘણી અસર થઈ, જેટલી જેટલી વાત બાવાજીએ બતલાવી તે સઘળી તેને ખરી લાગી, અને તેણે જે કામ કીધું તેનો તેને ઘણો પસ્તાવો થવા લાગ્યો. પણ હવે લાચાર; જે થયું તે થયું. તેના શરીરમાં ટાઢ ઘણી ચઢી ગઈ હતી. ટાઢાં પાણીમાં પડવાથી તેનો સઘળો નીશો ઉતરી ગયો હતો તેથી તેને જરા પણ ચેહેન પડતું ન હતું. ભટજી એક ઘડી પણ અમલના સુમાર વિના કોઈ દહાડે રહ્યા ન હતા, તેથી આવી વખતે બાવાજીને ચલમ ફુંકતાં તથા તેમાંથી તથા પોતાના મ્હોંડામાંથી ધુમાડા કાઢતાં તેણે જોયા ત્યારે તેનો જીવ આકુળવ્યાકુળ થઈ ગયો, તેની આંખે અંધારાં આવ્યાં, અને તેને કાંઈ પણ કામ સૂઝ્યું નહી. જયારે ભટજીને એવું થયું ત્યારે કરણની શી અવસ્થા થઈ હતી તે ઉપર જરા પણ નજર કીધા વિના તેણે કોરૂં ધોતીયું પહેર્યું, અને લાગલો જ ચલમનો એક જોરથી સપાટો માર્યો, અને તે સપાટાની સાથે જ જાગૃત થયો. પછી તેણે દીવો લાવીને કરણને તપાસ્યો તો તેનું શરીર તમામ મરી ગયલા જેવું લાગ્યું પણ હજુ જીવની નિશાની એટલી હતી કે તેની છાતી ધડકતી હતી, અને તેના નાકમાંથી ઉનો શ્વાસ નીકળતો હાથને લાગતો હતો. એટલા ઉપરથી તેને આશા આવી, અને કાંઈ ઉપાયથી તે હોંશીયાર થાય એવી તદબીર તેણે કરવા માંડી, તેણે પહેલાં તો તેના પેટ ઉપર ભાર મૂક્યો, એટલે સુધી કે તે તેના ઉપર બેઠો, એટલે તેના ભારથી આસરે ચાર પાંચ શેર પાણી તેના મ્હોંમાંથી નીકળી પડ્યું. જયારે વધારે પાણી નીકળ્યું નહી ત્યારે તેને પગે દોરી બાંધી અને તેને ઉંધે માથે લટકાવ્યો. એમ કરવાથી પણ કેટલુંએક પાણી તેના શરીરમાંથી નીકળી ગયું. કલાકેક સુધી તેને એ પ્રમાણે ટાંગી રાખ્યા પછી તેને નીચે ઉતાર્યો, અને એક ધાબળીમાં લપેટી ધુણી આગળ રાખમાં સુવાડ્યો.

થોડીએક વારમાં ગરમીની અસર તેના શરીરમાં લાગી. તેણે ધીમે ધીમે શરીર હલાવવા માંડ્યું, અને એમ કરતાં કરતાં આંખ ઉઘાડી, અને છેલ્લી વારે તેને બોલવાનું ભાન આવ્યું.આ પ્રમાણે કરણ જીવતો થયો, તે જોઈને વેરાગી તથા બ્રાહ્મણને ઘણી જ ખુશી થઈ. તેઓની સઘળી દેહેશત મટી ગઈ માટે બાવાજી આનંદભેર બોલ્યાઃ “કેમ બચ્ચા ! તું કોણ છે ? શી જાતનો છે ? શો ધંધો કરે છે? શા સારૂ આ ગામમાં આવ્યો છે? અને કુંડમાં એકાએક પડી ગયો કે જાણી જોઈને ? અને જાણી જોઈને પડ્યો તો તારા ઉપર શું દુ:ખ આવી પડ્યું છે? શું શરીરથી કંટાળી ગયો છે? શું છોકરાં તરફથી દુઃખ છે ? શું બઈરી કોઈ જોડે નીકળી ગઈ ?કે શું વ્યભિચારિણી નીકળી ? કે તારી સાથે હમેશાં લડે છે તેથી કાયર થયો ? શું કાંઈ ધંધામાં ખોટ આવી ? શું પૈસા ચોરાઈ ગયા?” એ પ્રમાણે વેરાગીએ તે ઉપરા ઉપરી કરણને પ્રશ્ન પૂછવા માંડ્યા. અને તેનો પાર ઘણો મોડો આવત, પણ કરણ ગભરાયો. આ બધી વાત એકદમ શી રીતે યાદ રહેશે, તથા તેના જવાબ શી રીતે અપાશે એ વિષે તેને ફિકર થઈ, તેથી તે વચમાં બોલી ઉઠ્યો, અને બાવાને બોલતાં અટકાવ્યા. આ સઘળા સવાલોના પૃથક પૃથક્ જવાબ તો તેણે દીધા નહીં; પણ તેણે પોતાની સઘળી વાત અથથી તે ઈતિ સુધી કહી સંભળાવી પોતાનું ખરૂં નામ તથા અવસ્થા તેણે આટલી વાર તો છુપાવી રાખી હતી; પણ હમણાં તે તેનાથી છાનું રખાયું નહી. તેના મ્હોંમાંથી સઘળી સાચી વાત નીકળી ગઈ. જ્યારે કરણ સઘળું કહી રહ્યો, ત્યારે વેરાગીને તેના ઉપર ઘણી દયા આવી, અને તેનો ઉદ્ધાર કરવાને અર્થે કાંઈ શિખામણ આપવા લાગ્યો. “આ જગત સઘળું મિથ્યા છે સુખ દુઃખ વગેરે આપણા ક્ષણભંગુર શરીરને સંબંધે માની લેવાનાં છે. આત્મા અમર છે, તેને સુખ પણ નથી તેમ દુ:ખ પણ નથી માટે જ્યાંસુધી શરીર ટકે ત્યાં સુધી ઈશ્વર તરફથી જેટલું આવી પડે તેટલું શાંત મનથી સહન કરવું.”

કરણનો અભિપ્રાય તે સંબંધી જુદો જ હતો તોપણ તેના ઉપર જે દુઃખ વિત્યું હતું તે ઉપરથી દેવમાં તેની શ્રદ્ધા દૃઢ બેઠી હતી તેથી નશીબને આધીન થઈ તે વેરાગીના આશ્રમમાં રહ્યો, અને તેની વાતો હમેશાં તેણે સાંભળ્યાં કીધી, પણ તેથી તેના મન પર કાંઈ પણ અસર થઇ નહીં, વાઘને પાંજરામાં ગોંધ્યો હોય ને તે જેમ કંઈક મુદ્દત સુધી નરમ પડેલો દેખાય છે, પણ તેને તક મળતાં, અને પાંજરામાંથી છૂટો થતાં જ તેનો જાતિસ્વભાવ જણાઈ આવે છે, તેમ કરણ પણ ધર્મશાળામાં નિરાંતે રહેતો હતો એમ બહારથી દેખાતું હતું, પણ તેના મનમાં કાંઈ સ્થિરતા ન હતી. તે તક જોતો હતો. તેને એક ઘડી પણ ચેન પડતું નહોતું, તેનું ક્ષત્રીનું લોહી શરીરમાં ઉકળ્યાં જ કરતું હતું. તેનો હાથ તલવાર પકડવાને ઘણો આતુર હતો. તેના શત્રુ મુસલમાન લોકોના ઉપર વેર લેવાને તે ટાંપી રહ્યો હતો. તેને રાત્રે જરા પણ નિદ્રા આવતી ન હતી. તે ઉંઘમાંથી વખતે વખતે ચમકી ઉઠતો હતો, અને “લાવ મારી તલવાર” અથવા “આ દુષ્ટ લોકેાને કાપી કકડા કરી નાંખો” એવી તરેહની ચીસ પાડી ઉઠતો. તેને સ્વપ્નાં પણ એ જ બાબતનાં આવતાં, અને તેમાં તે મુસલમાન સાથે યુદ્ધ કરતો હતો. જ્યારે તેના મનની સ્થિતિ એવી હતી, ત્યારે તે ધર્મશાળામાં આટલી મુદત સુધી પડી રહ્યો, એ જ આશ્ચર્યકારક હતું. પણ સવારે જ્યારે વેરાગી ઉઠયો અને રોજના ધારા પ્રમાણે કરણની સાથે વાત કરવાને તેને શોધવા લાગ્યો, ત્યારે તેને માલુમ પડ્યું કે કરણ ત્યાંથી જતો રહ્યો હતો.

આ વખતે આખા હિંદુસ્થાનના રાજાઓ અલાઉદ્દીનનું નામ સાંભળીને થરથર કાપતા હતા. તેણે તથા તેના સરદારોએ સઘળે એવો તો ત્રાસ બેસાડ્યો હતો કે પાદશાહની સામા કોઈની માથું ઉપાડવાની હિમત ચાલતી ન હતી. મલેક કાફુરે દક્ષિણમાંના કેટલાએક રાજાઓ ઉપર ખંડણી બેસાડી હતી તે તેઓ ચુપકીથી તથા વગર હરકતે આપ્યાં જતા હતા, દેવગઢના રાજા રામદેવની જે અવસ્થા થઈ તે પાછળ બતાવ્યું છે. તેણે મરતા સુધી ખંડણી આપ્યાં કીધી, પણ તેના મુઆ પછી તેની ગાદી ઉપર શંકળદેવ બેઠો, તે અને તેનો ભાઈ ભીમદેવ બંને ઘણા શૂરા ને પરાક્રમી હતા, તથા આ ખંડણી આપવી, એ તેઓને કડવું ઝેર જેવું લાગતું હતું. ગાદી ઉપર બેઠા પછી કેટલીએક વાર સુધી તો તેણે ખંડણી મોકલ્યાં કીધી; પણ ક્ષત્રી થઈને તાબેદારીમાં રહેવું તે કરતાં મરવું સારૂ એવો તેનો અભિપ્રાય હતો, માટે લડવાની સઘળી તૈયારી કરી તેણે ખંડણી આપવી બંધ કીધી. પાદશાહનાં માણસો વર્ષોવર્ષ તે ઉઘરાવવા આવતાં હતાં તેઓને તે વાયદા અથવા અપમાન કરીને કાઢી મૂકતો. વળી પાદશાહનો વડો શાહજાદો, ખિજરખાં દક્ષિણનો સૂબેદાર હતો અને ખંડણી વસૂલ કરવાનું કામ તેનું હતું. અગર જો શંકળદેવ હમણાં બીજી સ્ત્રી પરણ્યો હતો તોપણ તે દેવળદેવીને હજી સુધી વિસર્યો ન હતો. તેની સાથે તેની પહેલી જ પ્રીતિ હતી; અને પેહેલી પ્રીતિથી મન ઉપર વધારે મજબુત અસર થાય છે, તે નિયમ પ્રમાણે તેના અંતઃકરણમાં દેવળદેવીની મૂર્તિ નિરંતર બિરાજેલી રહેતી. તેને મુસલમાન લઈ ગયા તેથી તે લોકોના ઉપર તેને ઘણો ક્રોધ ચઢેલો હતો; પણ લાચાર, તેનાથી કાંઈ થઈ શકે એમ ન હતું. પણ જ્યારે તેણે સાંભળ્યું કે દેવળદેવી સઘળું વિસરી જઈ ખિજરખાંને પરણી ત્યારે તેને ઘણો જ સંતાપ થયો, અને ત્યારથી તેના ઉપર તથા તેના સ્વામી ઉપર કોઈ પણ પ્રકારે વેર લેવાની તક તેણે શોધવા માંડી. આ વખતે જ્યારે તેણે ખંડણી આપવાની બંધ કીધી, ત્યારે તેને નક્કી હતું કે પાદશાહ ખિઝરખાંને દેવગઢ ઉપર ચઢાઈ કરવાને મોકલશે. તે વખતે તેની સાથે ઘણા જુસ્સાથી લડવું, ખિઝરખાંને હરાવવો, અને દેવળદેવીને પાછી પકડીને પોતાની પાસે રાખી લેવી, એ તેના મનની મોટી હોંસ હતી. પણ તેને પાર પાડવી, એ કાંઈ તેના હાથમાં ન હતું. માણસ તો બીચારો એક પછી એક વિચાર કરી છૂટે છે પણ તેનું ફળ હમેશાં જગન્નિયંતા પરમેશ્વરના હાથમાં છે. અલાઉદ્દીન પાદશાહનાં દરબારમાં મલેક કાફુરની કેટલી સત્તા હતી તે વાંચનારાઓના ધ્યાનમાં આવ્યું હશે. તેણે પોતાની હોશિયારી, દગા, ફટકા, તથા બહાદુરીથી સઘળાને તાબે કરી લીધા હતા, તથા પાદશાહના મન ઉપર એટલી તો સત્તા મેળવી હતી કે તેને પૂછ્યા સિવાય તે કાંઈ પણ કામ કરતો નહી, અને કાફુર જે ધારતો તે કામ પાદશાહ પાસે કરાવતો. જેમ જેમ પાદશાહ ઘરડો થતો ગયો, તથા તેના શરીરની તથા મનની શક્તિ ક્ષીણ થતી ગઈ તેમ તેમ કાફુરનું ચલણ વધતું ગયું, અને આ વખતે તો પાદશાહ કાફુરના હાથમાં પુતળા જેવો થઈ ગયો હતો. તે જેમ તેને નચાવતો તેમ તે નાચતો. ખરેખરો પાદશાહ તો મલેક કાફુર જ હતો. મલેક કાફુર પણ આટલી બધી સત્તા મળ્યા છતાં સંતોષ પામ્યો ન હતો. એ તો સ્વાભાવિક છે કે માણસને જેમ વધારે મળે છે તેમ તેને વધારે મેળવવાની ઈચ્છા થાય છે. માણસ કોઈ દહાડો ધરાતો નથી, અને તેની ઇચ્છાનો અંત આવતો નથી. એ જ મલેક કાફુર કેટલાંએક વર્ષ ઉપર ખંભાતમાં ગુલામ હતો, અને તે જ હમણાં એક મોટા, દ્રવ્યવાન અને શોભાયમાન રાજ્યના પાદશાહ જેવો થઈ પડ્યો હતો, એ કાંઈ થોડું હતું? એટલું તેના સ્વપ્નામાં પણ કોઈ દહાડો નહીં આવ્યું હોય તે છતાં પણ હજુ તેની ઉમેદ આગળ વધવાની હતી, અને તેને અલાઉદ્દીન પાદશાહના મરણ પછી તખ્તનશીન થવાની હોંસ હતી. આ ઉમેદ પાર પાડવી કાંઈ અશક્ય ન હતી. તેમાં વિશેષે કરીને પૂર્વ તરફના દેશોમાં એ વાત ઘણી સાધારણ હતી તેથી તેની ઉમેદને ઉત્તેજન મળતું પણ એક કાંટો તેને ઘણો સાલ્યાં કરતો હતો. અલાઉદ્દીનને પુત્ર હતા તે જ્યાં સુધી જીવતા રહે ત્યાં સુધી તેને તખ્ત મળવાની આશા થોડી હતી, માટે તે રાતદિવસ તેમના મોતની રાહ જોતો હતો, અને જ્યારે તેમ અત્યાર સુધી પોતાની મેળે ન બન્યું ત્યારે બળાત્કારે તેમ કરવાનો તેણે નિશ્ચય કીધો, તેના પુત્રની અભક્તિ તથા કપટની વાતોથી તે રોજ અલાઉદ્દીનના કાન ભંભેર્યા કરતો; અને તેથી થોડી ઘણી અસર પાદશાહના મન ઉપર થઈ હતી. રાજાનો શાહજાદાઓ ઉપરથી કંઈક અંશે પ્યાર ઉઠી ગયો હતો, અને જેટલો બાકી રહ્યો હતો તેનો પણ સમૂળ નાશ કરાવવાને તે હમેશાં પ્રયત્ન કરતો હતો. મલેક કાફુરને સારી પેઠે માલમ હતું કે પાદશાહને શૌર્ય ઘણું પ્રિય છે, અને જે કોઈ લડાઈમાં ફતેહ મેળવે છે તેના ઉપર તેને ઘણી મમતા રહે છે, માટે ખિજરખાંને કોઈ પણ લડાઈમાં જવા દેવો નહી અને તેના શૂરાતનની વાત પાદશાહને કાને પડવા દેવી નહી, એ જ તેની મતલબ હતી. તેને ખાતરી હતી કે જો પાદશાહને કાને તેનાં વખાણ જશે તો તેની ગયલી પ્રીતિ તેના ઉપર પાછી આવ્યા વિના રહેશે જ નહીં. એ કારણસર ખિઝરખાંને તેણે કોઈ પણ લડાઈમાં અત્યાર સુધી જવા દીધો ન હતો. અને કોઈ વાર પણ જવા ન દેવો એવો નિશ્ચય કર્યો હતો. એથી ઉલટું તેણે ઘણા એક કામોમાં પોતાનું શૂરાતન દેખાડ્યું હતું. અને તેથી પાદશાહનો પ્યાર તેના ઉપર મજબૂત થયો હતો એટલું જ નહીં, પણ લોકોમાં પણ તે શુરવીરમાં ગણાવા લાગ્યો હતો, અને તેથી કરીને તે બધાનો માનીતો થઈ પડ્યો હતો, તથા તેની સાથે પોતે વ્યંડળ હતો તે બાબતનું કલંક તેણે ધોઈ નાંખ્યું હતું. લોકો તેના સઘળા ગુણથી રાજી હતા. સીપાઈ લોકો પણ તેને ઘણું ચાહતા હતા, તેથી તેની મદદથી કોઈ દહાડો પણ તેની ઉમેદ બર આવે એવો સંભવ હતો. કાકુરે કર્નાટક તથા દ્વાર સમુદ્ર ઉપર છેલ્લી ચઢાઈ કીધી હતી, ત્યાંથી તે ફતેહ પામીને આવ્યો હતો, અને લુંટમાં તે ૩૧૨ હાથી, ૨૦,૦૦૦ ઘોડા, તથા ૯૬,૦૦૦ મણ સોનું તથા જવાહીર, અને મોતીની કેટલીએક પેટીઓ લાવ્યો હતો. પણ તે લડાઈ થયાને કેટલીએક મુદત વીતી ગઈ હતી તેથી તેની કીર્તિ ઝાંખી થવા આવી હતી, એટલામાં બીજી લડાઈ થવાનો પ્રસંગ આવ્યો. તૈલંગણના રાજાએ પાદશાહને કેટલુંએક નજરાણું તથા બસેં હાથી મોકલ્યા, અને તેની સાથે જે કાગળ મોકલ્યો તેમાં તેણે પાદશાહને જણાવ્યું કે મલેક કાફુર સાથે જે તહનામું થયું છે તેમાં ઠેરવેલી ખંડણી આપવાને હું તૈયાર છું. આ કાગળ વંચાયો એટલે મલેક કાફુરે પાદશાહની આગળ ત્યાં જવાનું બીડું ઝડપ્યું. તેણે એ તલંગણના રાજાની ખંડણી વસુલ કરવાનું તથા દેવગઢના અને બીજા રાજાઓ ખંડણી આપવી બંધ કીધી હતી તે પાછી લેવી શરૂ કરવાનું વચન આપ્યું; અને પાદશાહને અરજ કીધી કે મને એક મોટું લશ્કર આપી પાછો દક્ષિણમાં મોકલવો જોઈએ. તેને માલુમ હતું કે દક્ષિણમાં ફરીથી લડાઈ તો થવાની, ખિઝરખાંના તાબાનો મહાલ, દક્ષિણની પાસે હતો તેથી કદાપિ પાદશાહ તેને લડાઈમાં મોકલે, એવી તેને દેહેશત હતી; અને તેમ થવા ન દેવાને તેણે આ અરજ કીધી હતી. પાદશાહને લડાઈની વાત તો ગમતી જ હતી, અને લડાઈ વગર તેને ચેન પડતું ન હતું તેથી કાફુરની વાત સાંભળીને તે ઘણો ખુશ થયો, અને તુરત ત્યાં મોકલવાનું તેણે કબુલ કીધું, એક મોટું લશ્કર એક દમ તૈયાર થયું, અને તે લઈને મલેક કાફુર ઈ૦ સ૦ ૧૩૧૨ માં દિલ્હી છોડી નીકળ્યો.

હવે જ્યારે આ ચઢાઈ કરવાને લશ્કર નીકળ્યું, ત્યારે દેવગઢના દરબારમાં શી હકીકત બની તે ઉપર થોડી વાર નજર કરીએ રામદેવ મરી ગયા પછી શંકળદેવ ગાદી ઉપર બેઠો. તે જ્યારથી રાજા થયો ત્યારથી તે મુસલમાન લોકો ઉપર ઘણો દ્વેષ રાખતો તથા તેને ખંડણી આપવી એ મોટી નામોશી છે, એમ તે સમજતો હતો, તેણે પેહેલા જ વર્ષથી ખંડણી આપવી બંધ કીધી. ભીમદેવનો વિચાર પણ તેવો જ હતો, અને તેઓની આસપાસ જે સામંતો રહેતા તેઓ પણ તેવા જ અભિપ્રાયના હતા. ક્ષત્રી થઈ મ્લેચ્છ લોકને તાબે રહેવું તે કરતાં મરવું હજાર દરજજે સારૂં, એવો વિચાર કરીને ગમે તેવાં પરિણામ થાય તો પણ સામા લડવાનો તેઓએ નિશ્ચય કીધો. એક દહાડે શંકળદેવ, ભીમદેવ તથા તેના શુરા સરદારો દરબારમાં બેઠા હતા. તે વખતે એક જાસુસ ઘણી ઝડપથી હાંફતો હાંફતો ત્યાં આવ્યો, અને રાજાને પગે પડી બોલ્યોઃ “મહારાજ ! દિલ્હીપતિ સુલતાને એક મોટું લશ્કર તૈયાર કીધું છે અને તે લઈને ખેાજો કાફુર આપણી તરફ આવે છે. તેઓની મતલબ તૈલંગણના રાજા પાસે ખંડણી વસુલ કરવાની તથા આપે અને બીજા રાજાઓએ ખંડણી બંધ કીધી છે તે જારી કરવાની છે. મેં તે લશ્કર આવતું જોયું, તે મહારાજને ખબર કરવાને હું દોડતો આવ્યો છું; માટે સાવચેત રહેવું અને તૈયારી કરવી હોય તે કરી મૂકવી.” આ વાત સાંભળીને રાજાના ચેહેરા ઉપર કાંઈ પણ ફેરફાર થયો નહીં, તેને એ પ્રમાણે થશે એવી આશા જ હતી, અને એમ થવાથી તે ઉલટો ખુશ દેખાયો. તે જાણતો હતો કે અત્યાર સુધી જે તેઓની હાર થઈ છે તેનું મુખ્ય કારણ તેના બાપ રામદેવની નામરદાઈ હતી; પણ હમણાં જ્યારે સઘળો અધિકાર તેના હાથમાં આવ્યો છે, અને નામરદાઈની સલાહ આપનાર કોઈ રહ્યું નથી, ત્યારે જય થશે જ એવો તેને પાકો ભરોંસો હતો. વળી તેને લડાઈમાં કીર્તિ મેળવવાની ઘણી હોંસ હતી, તેથી આવો વખત આવેલો જોઈને તેને ઘણો હર્ષ થયો. તેણે તે જાસુસને કેટલુંએક ઈનામ આપવા માંડ્યું, પણ તે હાથ જોડીને બોલ્યોઃ “મહારાજ ! મેં એ કામ ઈનામને વાસ્તે કીધું નથી. હું તમારું શુભ ઇચ્છનાર છું, હું તમારું તેજ વધારે જોવાને ચાહું છું, અને એ મ્લેચ્છ લોકોનો નાશ થાય તે જોવાને હું ઘણો આતુર છું. માટે મહારાજ ! એક મારી વિનંતિ કબુલ રાખવી જોઈએ. મને શસ્ત્ર વાપરવાનો મહાવરો છે. હું ઘણીએક વાર એ દુષ્ટ લોકો સાથે લડ્યો છું, અને હજી વધારે તેઓની સાથે લડવાની મને ઘણી હોંસ છે. એ ચંડાળ લોકોએ મારૂં ઘર પાયમાલ કીધું છે. તેનું તેઓના ઉપર મારે સખ્ત વેર લેવું છે, માટે જો કૃપા કરીને મને થોડાં માણસોની સરદારી સોંપશો, તો હું કેવી રીતનો માણસ છું, તથા કેવી રીતે લડી શકું છું, તે હું બતાવી આપીશ. “મહારાજ ! કાંઈ આચકો ખાતા ના. હું ઘરડો દેખાઉં છું; મારૂં શરીર ગળી ગયલું છે; તથા મારામાં ઘણો દમ જણાતો નથી, પણ એ સઘળું મારા ઉપર પડેલી વિપત્તિને લીધે થયું છે. મારો બહારનો દેખાવ ગમે તેવો હોય તોપણ મારું મન હજી અશક્ત થયું નથી. મારામાંથી હજી શૂરાતન ગયું નથી. મારા અંત:કરણનો જુસ્સો હજી હોલવાયો નથી મેં ઘણી એક લડાઈઓ જોઈ છે, માટે મારી જો અરજ કબુલ કરશો તો મારા ઉપર કૃપા થશે.”

શંકળદેવને તેનો ચેહેરો જોઈને અને તેને આવું બોલતાં સાંભળીને ઘણું આશ્ચર્ય લાગ્યું અને તે ખરેખરો બહાદૂર માણસ હશે એમ જાણીને તેને એક હજાર સવારની સરદારી આપી, પછી તેણે લડાઈ કરવાની તૈયારી કરવા માંડી. પોતાના રાજ્યમાંથી લડનારાં માણસો એકઠા કીધાં. લઢવાનાં શસ્ત્રો તૈયાર કીધાં. શેહેરનો કોટ સમરાવ્યો. શેહેરમાં ઘણું એક અનાજ એકઠું કીધું; અને રોજરોજ સીપાઈઓને હિંમત આપવાને તથા તેઓમાં શૂર ચઢાવવાને પ્રયત્ન કરવા લાગ્યો. પણ એ સીપાઈઓએ મુસલમાનોના હાથથી ઘણીએક વાર માર ખાધેલો હતો, તેઓએ એ મ્લેચ્છ લોકો ઉપર કોઈ દહાડો પણ જય મેળવ્યો ન હતો, માટે તેઓ ઘણા ત્રાસ પામી ગયા હતા. મુસલમાનો ઉપર પરમેશ્વરની મહેરબાની છે એમ તેઓ જાણતા હતા, અને તેઓની સામા લડવું અને જીવ ખોવો, એ બે બરોબર છે એમ તેઓ સમજતા હતા, માટે આવતી લડાઈના વિચારથી તેઓ છેક કાયર થઈ ગયા હતા. પોતાનું મોત નક્કી આવ્યું એમ તેઓની ખાતરી હતી, માટે કેટલાએક સીપાઈઓની લડવાની બીલકુલ ખુશી ન હતી. પણ જ્યારે રાજાએ તેઓને લડવાને બોલાવ્યા, ત્યારે તેઓને આવ્યા વિના ચાલ્યું નહી. તેઓ આવ્યા તો ખરા, પણ લડાઈનો જલદીથી જ અંત આણવો એવો તેઓનો નિશ્ચય હતો. પણ એ વિચાર શી રીતે અમલમાં લાવવો એ મોટી મુશ્કેલી હતી. જો તેઓ લડવાની ના કહે તો તેઓ બાયલામાં ગણાય, તેઓના નામને મોટી એબ લાગે, તથા રાજાની ઈતરાજી તેઓના ઉપર થાય માટે બીજું શું કરવું એ વાતના વિચારમાં તેઓ હતા. પણ તેઓને કાંઈ સુઝ્યું નહી તેઓમાંથી એક સીપાઈ આગળ આવી બોલ્યો, કે રાજાને ઠાર મારવો એટલે લડાઈનું બી બળી જશે, અને જ્યારે મલેક કાફુર આવે ત્યારે નવા રાજા પાસે ધારા પ્રમાણે ખંડણી અપાવવી, એટલે લડાઈનું કારણ રહેશે નહી. સીપાઈની આ વાત સાંભળી પેહેલાં તો કેટલાએક ચમક્યા; કેટલાએક તો સ્થિર ઉભા રહ્યા, કેટલાએકે તે વાત તેઓને પસંદ પડી હોય તેમ ખુશી બતાવી, અને કેટલાએક તે દુષ્ટ વાત સાંભળીને એવા તો ગુસ્સે થયા કે તેઓ તે સીપાઈનું માથું એકદમ કાપી નાંખવા જતા હતા, પણ બીજા બધાએ તેમ કરતાં તેમને રોક્યા. સઘળાઓ વિચાર કરવા લાગ્યા, અને કાંઈ પણ ઠરાવ કીધા વિના પોતપોતાને ઘેર જતા રહ્યા, અને તે છેલ્લા ઉપાય સિવાય બીજો કોઈ સારો રસ્તો નથી, એવી સઘળાએાની ખાતરી થઈ.

બીજે દહાડે સઘળું લશ્કર ધારા પ્રમાણે દરબાર આગળના ચોગાનમાં એકઠું થયું. તેઓ માંહેમાંહે જુદી જુદી જાતની યુદ્ધની તૈયારી કરવા લાગ્યા. કેટલાએક પોતાના ઘોડાને કાવો ફેરવતા હતા; કેટલાએક તેઓને આગળ પાછળ દોડતાં શીખવતા હતા; કેટલાએક બુઠ્ઠા ભાલાવડે જુઠું યુદ્ધ કરતા હતા, કેટલાએક તલવારના પટા ફેરવતા હતા અને કેટલાએક નિશાન માંડીને તે ઉપર તીર મારવાનો મુહાવરો કરતા હતા. એ પ્રમાણે ત્યાં કામ ચાલી રહ્યું હતું, તે વખતે શંકળદેવ રાજા પોતે એકલો, પગે ચાલતો ત્યાં આવ્યો. તેની પાછળ પાછળ તેનો નવો રાખેલો સરદાર ચાલ્યાં કરતો હતો. રાજાને જોઈને આગલી રાત્રે કીધેલે વિચાર તેઓને યાદ આવ્યો. પણ જ્યારે તેઓની નિમકહલાલી ઉપર પાકો ભરોસો રાખી તેને આવતો જોયો, ત્યારે તેઓના મનમાંથી સઘળો ગુસ્સો નરમ પડી ગયો, અને તેની સાથે મરવું અથવા જીવવું એવી સૌને પ્રેરણા ઉત્પન્ન થઈ, પણ એ પ્રમાણેની અસર સઘળાને સરખી થઈ નહીં, કેટલાએકનાં અંતઃકરણ વધારે ક્રૂર હતાં તેઓને જરા પણ લાગ્યું નહીં. કેટલાએક નામરદા હતા, તેઓને રાજાને આવતો જોઈને વધારે બળતું લાગ્યું અને ધારેલો વિચાર અમલમાં લાવવાનો વખત પાસે આવ્યો, એમ જાણી ઘણી ખુશી થઈ. સીપાઈઓમાં ધારા પ્રમાણે કામ ચાલ્યું. એટલો જ તફાવત દેખાયો કે તેઓ સઘળાનાં મન આકુળવ્યાકુળ દેખાયાં. તેઓ નિશાન વારેવારે ચૂકી જતા હતા. સીપાઈઓથી રાજાની સામું નજર ઠેરવીને જોઈ શકાતું ન હતું, અને રાજાએ છેવટ જતી વખત થોડુંએક ભાષણ કીધું ત્યારે હમેશની પેઠે તેઓ સઘળા જયનાદ પાડી ઉઠ્યા નહી. જેઓના મનમાં શૂર ચઢ્યું તેઓ તો બોલી ઉઠયા, પણ કેટલાએક મુંગા રહ્યા, અને નીચું જોઈ ગયા. રાજાને એ સઘળું જોઈને નવાઈ જેવું તો લાગ્યું, પણ કાંઈ બોલ્યા વગર તથા તે ઉપર કાંઈ ટીકા કીધા સિવાય તેણે પાછા ફરવાની તૈયારી કીધી. પણ એટલામાં એક સીપાઈ કાંઈ જાહેર કરવા આવતો હોય એમ ધીમેથી રાજાની પાસે આવ્યો. તેણે કેટલાંએક કારણો બતાવી પાછા ઘેર જવાની રજા માગી, અને રાજા જવાબ દેવા જાય છે એટલામાં એક કટાર તે ચંડાળ સીપાઈએ રાજાના પેટમાં મારી. સારા ભાગ્યે તે વખતે શિયાળાના દહાડા હતા, તેથી રાજાએ અંદરથી રૂદાર ડગલો પહેરેલે હતો તેથી ઘા બરાબર લાગ્યો નહી, પણ તેના આચકાથી તે ભોંય ઉપર પડયો. લશ્કરમાં હાહાકાર થઈ ગયો, પણ તેઓમાંના કેટલાએક આશ્ચર્યતાથી તથા કેટલાએક દુષ્ટ ભાવથી જડભરત જેવા ઉભા રહ્યા, અને તેથી તે ખુનીને બીજો ઘા મારવાનો વખત મળ્યો. ભોંય ઉપર પડેલા રાજા ઉપર બીજો કારી ઘા પડે છે, અને તેના આવર્દાનો અંત આવે છે, એટલામાં પાછળથી તલવારનો ઝળકાટ થયો, અને તે જ ક્ષણે તે ખુનીનું માથું ભોંય ઉપર ગબડયું “વાહ ! વાહ !” “શાબાશ ” “શાબાશ” એ અવાજ એક છેડેથી બીજા છેડા સુધી ઉઠ્યો, રાજા પણ ચમકીને બેઠો થયો, અને જોય છે તો પેલો નવો સરદાર હાથમાં તલવાર લઈને ઉભો છે, અને તેનો શત્રુ જમીન ઉપર તરફડતો પડયો છે. આ સઘળું એટલી તો ત્વરાથી બન્યું કે શંકળદેવના મનને એક સ્વપ્ન જેવું લાગ્યું. તે જીવથી બચ્યો, અને તેને બચાવનાર કોણ? જે તેને ઘરડો ચીમળાઈ ગયલો દેખાતો હતો તે હમણાં જુદી જ તરેહનો લાગ્યો. તેનું રૂપ એટલું તો બદલાઈ ગયું હતું કે તે આ પૃથ્વી ઉપરનો કોઈ માણસ નહી પણ પરલોકમાંથી તેનો જીવ બચાવવાને જ અર્થે આવ્યો હોય એમ તેને લાગ્યું.

તે દહાડાથી રાજા નિરાશ થઈ ગયો. તેની બધી હિંમત જતી રહી, અને મલેક કાફુર આવે તેને ખંડણી આપવાનું તેને મન થયું. પણ હવે તેનો સલાહકારક જુદો હતો. જેણે તેનો જીવ બચાવ્યો તે તે દહાડાથી તેનો ઘણો માનીતો થઈ પડયો હતો. તેને પોતાથી ઉતરતો જ હોદ્દો આપ્યો હતો. તેની પાસે તે નિરન્તર રહેતો હતો અને તેના ઉપર રાજાનો એટલો બધો પ્યાર બંધાઈ ગયેા હતો, તથા તેના વિચાર તથા મસલતને તે એટલું બધું માન આપતો હતો કે તેને પૂછ્યા સિવાય તે કાંઈ પણ કામ કરતો નહી, આ નવો માનીતો પુરૂષ રાજાને લડાઈ કરવાને નિરન્તર બોધ કર્યા કરતો હતો. ક્ષત્રી થઈ મ્લેચ્છને ખંડણી આપવી એ કરતાં મરવું સારૂં, એમ તેના મનમાં રાત દહાડો ઉતાર્યા કરતો હતો અને તેથી રાજાની હિંમત ટકી રહી, તેથી રાજાનો અસલનો ઠરાવ કાયમ રહ્યો, અને તેથી તેણે ખંડણી આપવાનો વિચાર બંધ પાડ્યો, અને યુદ્ધ કરવાની તૈયારી કીધી, એક અઠવાડીયું ગયા પછી એક સવારે શેહેરમાં હાહાકાર થઈ રહ્યો. ગામડાંના લોકો રાત્રે શહેરમાં દોડતાં આવ્યાં, અને તેઓ ખબર લાવ્યાં કે મુસલમાનોનું એક ભારે લશ્કર આવે છે. દુશમન જેમ જેમ આગળ આવતા ગયા તેમ તેમ રાજાના મનમાં વધારે ત્રાસ બેસાડવાને રસ્તામાં જે જે ગામો આવ્યાં તે તે તેઓએ બાળી નાંખ્યાં. ખેતરમાંનું અનાજ બાળ્યું, કાપ્યું, છુંદી નાંખ્યું, અથવા બીજી રીતે તેમાં બગાડ કીધો. લોકોને મારી તો ન નાંખ્યાં, પણ તેઓને શેહેરમાં મોકલી દીધાં, અને એમ કીધાથી તેઓએ ધાર્યું કે જો શંકળદેવ રાજા દેવગઢમાં ભરાઈ બેસશે, તો શેહેરમાં ઘણા માણસો હોવાને લીધે અનાજ ખૂટી પડશે, અને સીપાઈઓને ભુખે મરવું પડશે, એટલે લડાઈનો જલદીથી અંત આવશે. એવી રીતે નુકસાન કરતા તેઓ દેવગઢની નજદીક આવી પહોંચ્યા. શંકળદેવ સવારમાં ઉઠ્યો, ત્યારે આ સમાચાર તેણે જાણ્યા. તેણે તુરત જ પોતાનાં સઘળાં માણસોને એકઠાં કીધાં, અને પોતે બખતર તથા શસ્ત્ર સજી પોતાના કુટુંબની રજા લઈને ઘરની બહાર નીકળ્યો. ભીમદેવ પણ તેની સાથે જ હતો અને પેલો નવો રાખેલો સરદાર અને હમણાં તો રાજાનો માનીતો નનામો પુરૂષ પણ રાજાની પાસે હતો, લશ્કર એકઠું થયા પછી લડાઈનાં વાજીંત્ર સાથે તેઓ આગળ ચાલ્યાં, પણ શેહેરના લોકો રાજાને આશીર્વાદ દેવાને થોડા જ બહાર આવ્યા હતા. તેઓ બારીબારણાં બંધ કરી ઘરમાં ભરાઈ રહ્યા. એક જાતની ઈશ્વરી પ્રેરણાથી અથવા વધારે સાચું કહીએ તો અનુભવથી તેઓને ખાતરી હતી કે શંકળદેવની હાર થશે અને તેથી લડાઈ કરવાના રાજાના આ દુરાગ્રહથી તેઓ નાખુશ હતા, શેહેરની ખરાબી થયા વિના રહેવાની નથી, એ દહેશતથી તેઓ ભયભીત તથા ઉદાસ થઈ ગયા હતા. થોડાંએક માણસોએ રાજા ઉપર ફુલ વધાવ્યાં, તથા પરમ કૃપાળુ ઈશ્વર પાસેથી માગી લીધું કે ક્ષત્રી રાજાનો જય થાઓ, અને મ્લેચ્છ, ચંડાળ લોકોનો સંહાર થાઓ, પણ એવું ઇચ્છનારા તથા એ તેઓની પ્રાર્થના ઈશ્વર માન્ય કરશે, એમ માનનારા થોડા હતા. તે જોઈને રાજાને ઘણી દિલગીરી થઈ, તથા એ વાતથી તેનું અર્ધું શૌર્ય ઓછું થયું. તોપણ તેને આશા હતી કે જે વખતે જય મેળવીશ તો કીર્તિ વધારે થશે, અને હમણાં જેટલી નાઉમેદી છે તેનો જ પ્રમાણમાં મારી પ્રતિષ્ઠા વધશે. એટલા જ ઉપરથી તેના મનને દિલાસો મળતો હતો. તેના સીપાઈઓમાં પણ જોઈએ તેટલી હોંસ ન હતી. તેઓ મરવા જતા હોય તેમ તેઓના મ્હોં ઉપરથી સ્પષ્ટ દેખાતું હતું. તેઓને જીતવાની કોઈ આશા ન હતી. તેઓએ પોતાનાં બૈરાંછોકરાને છેલ્લા રામ રામ કીધા હતા, અને પાછા ઘેર જઈશું એવા કોઈ રીતે ભરોંસો ન હતો. નીકળતાં શકુન પણ સારા થયા નહી, જેશીઓએ સારું મુહર્ત પણ આપ્યું ન હતું, અને અગર જો તેઓ રાજાને મ્હોડે સારી સારી વાતો બોલતા, તોપણ બીજાઓની આગળ રાજ્યની ખરાબી વિષે તેઓએ કહી રાખ્યું હતું. રાજાનો ચંદ્ર સારો નથી, એ પ્રમાણે વહેમ સઘળે પથરાઈ રહ્યો હતો, પણ શાંકળદેવને કાળે ઘેરેલો તેથી તેને કાંઈ સુઝ્યું નહી, અને તેથી આ સઘળી વાતની કાંઈ પણ ફિકર રાખ્યા વિના પોતાના લશ્કર સહિત આગળ ચાલ્યો, અને શેહેરથી કેટલેક દૂર જઈ એક સારી જગાએ ઉભો રહ્યો.

મુસલમાનોના લશકરને પણ આવતાં કાંઈ વાર લાગી નહી. તેઓએ જયારે રાજાનું લશ્કર લડાઈ કરવાને ગોઠવાયલું જોયું ત્યારે તેઓને ઘણો જ આનંદ થયો, અને હવે થોડી વારમાં તે લશ્કરના કડકે કડકા કરી નાંખીશું, એ ખુશીથી તેઓએ એક મોટી ચીસ પાડી. તેના જવાબમાં રજપૂતોએ પણ કિકિયારી કીધી, પણ તેમાં શત્રુના જેટલો જુસ્સો જણાયો નહી. જયારે મલેક કાફુર દુશ્મનના લશ્કરની પાસે આવ્યો, ત્યારે તેણે પોતાનાં માણસોને ઉભાં રાખ્યાં, અને એક માણસને બોલાવી તેને કાંઈ સંદેશો કહી રાજા પાસે મોકલ્યો. તેણે આવીને શંકળદેવને કહ્યું, “હે રાજા ! સઘળી જહાંનના પાદશાહ અલાઉદ્દીન ખિલજીનો મુખ્ય સરદાર નાયબ મલેક કાફુર તમને ખબર કરે છે કે, ઘણાંએક વર્ષ ઉપર તમારૂં રાજ્ય પાદશાહે જીત્યું, અને તમારા ઉપર ઘણી દયા કરી ખંડણી બેસાડી, તે ખંડણી તમારા બાપે એક વાર બંધ કીધી. ત્યારે અમારે ઈહાં ફરીથી આવવું પડયું, તે વખતે તમારો બાપ રામદેવ અમારે શરણ આવ્યો, અને અમને ખંડણી ઉપરાંત કેટલુંક નજરાણું પણ આપ્યું. તમારો બાપ રામદેવ પાદશાહની હજૂરપનાહમાં ગયો, અને તેને રાયારાયને ઈલકાબ આપ્યો, તથા તેને જાગીર પણ આપી. તમારો બાપ પાછો દેવગઢમાં આવ્યો, અને જ્યાં લગી જીવ્યો ત્યાં સુધી તેણે ધારા પ્રમાણે ખંડણી આપ્યાં કીધી. તેના મુઆ પછી તમે ખંડણી બંધ કીધી. તમે જાણો છો કે તૈલંગણના રાજાએ ખંડણી આપવાનું કબુલ કીધું છે, અને તે વસુલ કરવાને અમે જઈએ છીએ; પણ રસ્તામાં તમારી ખબર લેવી, અને તમને સારી શિખામણ આપવી, એ વિચારથી અમે ઈહાં આવ્યા છીએ. ખંડણી આપ્યા વિના તમારે છૂટકો થવાનો નથી, અમે જ્યાં જઈએ છીએ ત્યાંથી અમારી મતલબ પાર પાડ્યા વિના કદી પણ પાછા ફરતા નથી. અમારું લશ્કર કદી હારીને પાછું ફર્યું નથી. માટે હમણાં ડાહ્યા થઈને રાજીખુશીથી ચઢેલી ખંડણી, અમારે ઈહાં આવવાનો ખરચ, તથા તમારા ઉપર જે દંડ ઠેરવવામાં આવે તે સઘળું એકદમ આપો. નહી તો આ તમારૂં લશ્કર એક પલકમાં પાયમાલ કરી નાંખીશું, તમારી રાજધાની બાળી મૂકીશું; તમારા લોકોને કતલ કરી નાંખીશું; તથા બીજી જેટલી ખરાબી અમારાથી થઈ શકશે તેટલી કરીશું. માટે એ સઘળા ઉપર વિચાર કરીને મનમાં વિવેક લાવીને જવાબ આપજો. ઉન્મત્તાઈ કરવાનું કાંઈ કામ નથી. પાછળથી પસ્તાવો કરવો પડે એવું કદી કરશો નહી.” જાસુસની આ વાત સાંભળી તેનો જવાબ રાજા શો આપે છે તે જાણવાને સઘળા સીપાઈઓ તથા સરદારો ઘણા આતુર હતા. રાજાએ તુરત જવાબ દીધો નહી, તેણે વિચાર કરવા માંડ્યો. એટલામાં પેલો નવો રાખેલો સરદાર તેની પાસે ગયો, અને તેની સાથે કેટલીએક વાત કરી તેના મનમાં જે કાંઈ શંકા હતી તે તેણે કાઢી નાંખી. પછી રાજાએ તે જાસુસને જવાબ આપ્યો: “અત્યાર સુધી મારા બાપે જે ખંડણી આપી તે તેણે ઘણું ખોટું તથા નામરદાઈનું કામ કીધું. આટલી વાર સુધી અમારી હાર થઈ તે અમારા પાપને લીધે, તો પણ જ્યાં સુધી અમે ક્ષત્રી કેહેવાઈએ છીએ ત્યાં સુધી અમે કોઈને તાબે રહેવાના નથી. અમારા શરીરમાં અમારૂં શૂરૂં લોહી ઉકળી આવે છે; માટે લડાઈ કીધા વિના ખંડણી આપનાર નથી. જો લડાઈમાં જય થશે તો ઠીક છે, અને જો પરાજય થશે તો જે ઈશ્વરે ધારેલું હશે તે થશે, એટલો જવાબ તમારા સરદારને કહેજો.”

થોડી વારમાં મુસલમાન લશ્કરે હુમલો કીધો, “અલ્લાહુ અકબર ” એ બૂમ સઘળે પથરાઈ ગઈ. તેઓએ પેહેલ વેહેલાં જ તેઓનો જુસ્સો બતાવ્યો. પણ રજપૂત તથા મરાઠા હજી એવા બાયલા થઈ ગયા ન હતા કે પેહેલા જ સપાટામાં હારે. તેઓએ ઘણી જ ધીરજથી લડાઈ કરીને મુસલમાનોને પાછા હઠાવ્યા. રજપૂત સૈન્યમાં પણ રણસંગ્રામના વાજીંત્ર વાગી રહ્યાં હતાં. તેઓના ઘોડા ખંખારતા હતા. માણસોમાં ખુન ભરાઈ ગયું હતું, અને ઘણો શોરબકોર થઈ રહ્યો હતો. બીજી વાર મુસલમાન લોકોએ હુમલો કીધો અને આ વેળા તેઓએ ધસારો ઘણા જોરથી કીધો, પણ રજપૂતો એક પથ્થરના કોટની પેઠે ઉભા રહ્યા હતા તેને ભેદીને તેઓથી પાર જવાયું નહી. તીરથી વાદળ છવાઈ ગયું, તલવારને ઝળકાટ થઈ રહ્યો, અને તેઓ જ્યારે એકએકની સાથે અથડાતી ત્યારે વિજળીની પેઠે ચમકારા થતા હતા. ભાલા લશ્કરમાં ઉછળતા હતા, અને ક્ષણે ક્ષણે ઘણાએક અભાગિયા માણસો ભોંય ઉપર પડતા હતા. લડાઈનો ગડબડાટ, મરતાં માણસોની ચીસ તથા ઘાયલ માણસો રગદોળાઈ જતાં હતાં તેઓનાં દુઃખની બુમોથી તે જગા ખરેખરી ભયંકર થઈ રહી હતી, યુદ્ધ ખુબ જોસમાં મચી રહ્યું હતું. આકાશમાં ગીધ, સમડી, અને કાગડાઓ ઘણા આનંદમાં ઉડતાં હતાં, અને થોડી વાર પછી એક મોટી ઉજાણી તેઓને મળશે એવી તેઓને ખાતરી હતી. લોહીની નીક ત્યાં વેહેવા લાગી. એક તરફથી મુસલમાનોની “અલ્લાહુ અકબર” અને બીજી તરફથી હિંદુઓની “હર હર મહાદેવ” ની ચીસથી આકાશ ગાજી રહ્યું હતું; સઘળા રજપૂત સીપાઈઓ પેહેલાં નિરાશ થયલા જણાતા હતા તોપણ આ યુદ્ધપ્રસંગે તેઓ સિંહની પેઠે લડ્યા. તેઓએ પોતાના નામનું સાર્થક કીધું. તે સઘળાઓમાં ત્રણ માણસનું શૂરાતન વધારે દેખાઈ આવતું હતું. એક તો શંકળદેવ રાજા જેણે બહાદુરીનાં અનેક ચમત્કારિક કામો કીધાં; તેને મારવાને ઘણાંએક માણસોએ પ્રયત્ન કીધા પણ તે સઘળા નિષ્ફળ ગયા, અને તેઓએ પોતાને જીવ ખોયો. બીજો ભીમદેવ. તેણે પણ આ લડાઈમાં મહેનત કરવામાં કાંઈ કસર રાખી નહીં. પોતાનું શરીર અમર હોય એમ તે અગાડી ઉભો રહ્યો હતો. તેના ઉપર તીરને વરસાદ વરસતો હતો, અને તે શી રીતે જીવતો રહ્યો એ જ આશ્ચર્યકારક હતું. પણ સઘળાથી પેલા રાજાના નવા સરદારની બહાદુરી જોવા લાયક હતી. તેનો આ વખતને વાસ્તે જ નવો અવતાર થયો હોય એમ જણાતું હતું. તેનું શરીર જે પેહેલાં અશક્ત દેખાતું હતું તેમાં હમણાં જાણે રાક્ષસે પ્રવેશ કીધો હોય એટલું તેનામાં બળ આવ્યું હતું. તે દુશ્મનના લશ્કરમાં ઘણો જ સંહાર કરતો જતો હતો, અને રાજાની હમેશાં પાસે રહીને તેણે તેનો કેટલીએક વાર જીવ ઉગાર્યો હતો. તેના શરીરમાં ઘણાએક ઘા વાગ્યા હતા; પણ તેના જુસ્સાના આવેશમાં તેને કાંઈ જણાતું ન હતું. મરવું એ જ ઠરાવ કરીને તે લડતો હતો. પોતાના સરદારોને તથા રાજાને યુદ્ધ કરતા જોઈને સીપાઈઓને પણ ઘણું શૂર ચઢ્યું હતું, અને તેઓ મરણીઆ થઈને કતલ કર્યા જતા હતા.

મુસલમાન સીપાઈઓએ આગળથી એવું ધાર્યું ન હતું કે હિંદુઓ આટલી બહાદુરીથી લડશે. તેઓ સહેલથી ફતેહ મેળવવાનું ધારતા હતા, માટે તેઓનો આગ્રહ જોઈને તેઓ ઘણા નાઉમેદ અને જરા નાહિમ્મત થયા. જેમ જેમ તેઓની હિંમત ઓછી થતી ગઈ તેમ તેમ હિંદુઓને જુસ્સો વધતો ગયો, અને તેઓએ એવા જોરથી એક ધસારો કીધો કે મુસલમાનો ગભરાયા, અને તેઓમાં એકાએક ત્રાસ પેઠાથી સઘળા નાસવા લાગ્યા. મલેક કાફુરે તેઓને અટકાવવાને ઘણી મહેનત કીધી, પણ તે સઘળી વ્યર્થ ગઈ. જ્યારે તેઓ એક કોશ સુધી ગયા ત્યારે તેઓને કાફુરે ઘણી મુશ્કેલીથી અટકાવ્યા, અને તેઓની નામરદાઈ ઉપર ઘણા ઠોક પાડ્યા. પણ સીપાઈઓની હવે લડવાની હિંમત રહી નહી. તે વખતે મલેક કાફુરે એક નવી તદબીર કીધી. તેણે તેઓના ધર્મના વિચાર જાગૃત કીધા, અને એક કુરાન ફાડી નાંખીને તેની જુદી જુદી આયતો નિશાન ઉપર ચોઢી, અને એ પ્રમાણે ખુદાતાલાના રક્ષણ નીચે છીએ, અને હવે કોઈ પણ શત્રુ આપણી આગળ ટકી શકશે નહી એવું પોતાના માણસોને સમજાવીને તેણે તેઓને નવી હિંમત આપી. આ ઉપાય સફળ થયો, તેની ધારેલી અસર થઈ સીપાઈઓને પાછું શૂર ચઢ્યું; અને તેઓ પાછા ચાલ્યા. જયારે તેઓ હિંદુઓની પાસે આવ્યા, ત્યારે મલેક કાફુરે નીચા વળીને રસ્તા ઉપરથી થોડીએક ધુળ લીધી, અને એક આયત ભણીને હિંદુઓની તરફ ફેંકી તે બોલ્યો: “દુશ્મન પાયમાલ હોજો.” એટલું બસ થયું, મુસલમાનોએ ત્યાર પછી એવો તે ધસારો કીધો, તથા એવા જોરથી લડ્યા કે હિંદુઓથી ટકાયું નહીં. તેઓની હાર તુટવા માંડી, અને થોડી વારમાં તેઓમાંના એટલાં તો માણસ કપાઈ ગયાં, કે તેઓના મનમાં ત્રાસ પેંસી ગયો, અને તેઓએ પાછાં પગલાં ભરવા માંડ્યાં, તે વખતે શંકળદેવે નીકળીને બુમ પાડી કે ‘નાસશે તે બાયલો, હિંચકારો, તથા તેની સાત પેઢીને એબ લગાડનાર સમજવો, માટે આ ઠેકાણે મરવું કે જીતવું.’ પણ હવે તો માર ઘણો સખ્ત પડવા લાગ્યો, ઘણા ઘણા સરદારો પડ્યા. સીપાઈઓનો તો મરવાનો સુમાર ન રહ્યો. મલેક કાફુરનો વિચાર રાજાને મારવાનો અથવા જીવતો પકડવો એવો હતો, અને તે કારણથી રાજાના ઉપર ઘણાએક હુમલા થતા હતા પણ તેણે પોતાની તથા તેના માનીતા સરદારની બહાદુરીથી એ સઘળાને હઠાવ્યા. તેની તરફના કેટલાએક સીપાઈઓએ નાસવા માંડયું. અને તેનોન ચેપ બીજાઓને લાગ્યો. લશ્કરમાં ભંગાણ પડી ગયું. શંકળદેવ તેઓની ફરીથી વ્યવસ્થા કરવા લાગ્યો ૫ણ કાંઈ ફાવ્યું નહી. સઘળી તરફથી સીપાઈઓ નાસવા લાગ્યા. તે વખતે બે ત્રણ પઠાણો આગળ ધસ્યા, અને તેઓએ રાજાને પકડ્યો; પણ એટલામાં પાછળથી એક તલવારનો ઘા પડ્યો, અને એક પઠાણનું માથું હેઠે ભોંય ઉપર ગબડ્યું, પણ તે અરસામાં બીજા પઠાણે પાછળ ફરી એક ભાલાના ઘાથી તેના સોબતીના મારનારને ભોંકી દીધો અને તેનો અંત આણ્યો. એ પ્રમાણે રાજા જીવતો પકડાયો; ભીમદેવ ઘાયલ થઈ ભોંય ઉપર પડ્યો. બધું લશ્કર નાસવા લાગ્યું; અને રાજાનો માનીતો શૂરો સરદાર પઠાણના ભાલાના ઘાથી જમીન ઉપર તરફડતો પડ્યો.

પણ તેનાં તરફડીયાં થોડી જ વાર રહ્યાં. થોડી વારમાં આ ઘાયલ થયલા તથા કોચાઈ ગયલા શરીરમાંથી તેને અમર વસનાર ઉડી ગયો, અને તેના સર્વશક્તિમાન પેદા કરનારની હજુરમાં જઈ ઉભો રહ્યો. એ પ્રમાણે ગુર્જર દેશના છેલ્લા રજપૂત રાજા કરણ વાઘેલાનો અંત આવ્યો. વનરાજ, સિદ્ધરાજ, કુમારપાળ, અને એવા શૂરા અને નામાંકિત રજપૂત રાજાઓની ગાદીએ બેસનાર કરણ રાજા એ પ્રમાણે માર્યો ગયો, અને તેની સાથે ગુજરાતનું રજપૂત રાજ્ય ડુબી ગયું તે ફરીથી પાછું ઠેકાણે આવ્યું નહી. વાંચનારાઓ ! આ કરણના શબ ઉપર થોડાં થોડાં આંસુ પાડો, તેના મોત પછી ગુજરાત રંડાયું, તે પારકા દેશના મ્લેચ્છ લોકના હાથમાં ગયું, તેના ઉપર પરદેશી જંગલી લોકોનો જુલમ પડવા લાગ્યો. મહમ્મદ બેગડા અને એવા બીજા અમદાવાદના પાદશાહોએ તેની ઘણી ખરાબી કીધી. મરેઠા લોકોએ તેની ઉપર અતિશય લુંટફાટ કીધી, દેશમાં નાના ખંડિયા રાજાઓ થઈ ગયા, અને એ પ્રમાણે ગુજરાતની છેક દુર્દશા થઈ. ગુજરાતનું સ્વતંત્ર રજપૂત રાજ્ય આ પ્રમાણે લય પામ્યું; ગુજરાતનો મહિમાનો વખત પુરો થયો; તેની ઠેકાણે ઠેકાણે ભાંગી તુટી નિશાની માત્ર રહી ગઈ છે. હજી સિદ્ધપુરની રૂદ્રમાળા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, અને બીજી ઈમારતો, એ ગયેલા દહાડાની સાક્ષી પૂરે છે, તથા રજપૂતોની એક વાર થયલી ચઢતી કળા દેખાડી આપે છે. પણ એ વાત બન્યાને આજ લાંબી મુદત થઈ છે. કરણ વાઘેલાના મોત પછી સાડી પાંચસે વર્ષ વહી ગયાં છે. તે વખતના અને હમણાંના ગુજરાતમાં ઘણો ફેર પડી ગયો છે. તે રજપૂતો, તે મુસલમાનો, અને મરેઠાએ ક્યાં ગયા ? તેઓની હમણાંની અવસ્થા જુઓ. હમણાંના એદી, અફીણી, નિર્બળ, અક્કલહીન રજપૂતો તે વખતના શૂરા, જોરાવર ને બુદ્ધિમાન રજપૂતોના વંશના છે, એમ કોણ માનશે ? હમણાંના ભૂખે મરતા, અશક્ત, અજ્ઞાન મુસલમાનો, તે વખતના મુસલમાનોની ઓલાદના છે એ માનવું પણ કઠણ પડશે નહી ? અને મરેઠાઓનું પણ નામ જ રહી ગયું છે. તેઓ સઘળા પશ્ચિમ તરફના ગૌર વર્ણના માણસોના હાથ નીચે દબાઈ ગયા છે. ભાટ, ચારણ, અને બીજા રાજ્ય દરબારને લગતા લોકો પણ પહાડ અને જંગલમાં ભટકતા માલમ પડે છે. અંગરેજના એક છત્ર નીચે સઘળું ગુજરાત આવી રહ્યું છે, અને પરમ કૃપાળુ ઈશ્વરની ઈચ્છાથી એ પરદેશી લોકોના હાથ નીચે આ પ્રાંત પાછો મોટો થશે, પાછું કોઈ જુદી જ રીતનું નામ કહાડશે; અને વિદ્યા, કળા અને સુધારો સઘળે પથારાઈને આ રળિયામણો પ્રાંત ઈશ્વરની વાડી, લક્ષ્મીનું ધામ, તથા સદ્ગુણનું સ્થાન થઈ પડશે. અસ્તુ !

સમાપ્ત

લેખક – નંદશંકર મહેતા
આ પોસ્ટ નંદશંકર મહેતાની ઐતિહાસિક નવલકથા કરણ ઘેલો: ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!