કરણ ઘેલો: પ્રકરણ- 15

બીજે દહાડે સાંજ પડવાની વખતે એક નાના ગામમાં ગડબડ થઈ રહી હતી, ઠેકાણે ઠેકાણેથી ઘોડાનો હણહણાટ સંભળાતો હતો, તથા ચેારા ઉપર ઘણાએક સવારો તથા સીપાઈઓ એકઠા થઈ બેઠા હતા. કેટલાએક નકામા ગામમાં આણીમેર તેણીમેર ફર્યા કરતા હતા. કેટલાએક ગામની બહાર સીમમાં પોતાના ઘોડાઓને વાસ્તે ચારો શોધતા હતા, ગાયો તથા ગોધા ચરીને મસ્તી કરતાં તથા રસ્તામાં કોટેકોટ ધુળ ઉડાવતાં પાછાં ગામ તરફ આવતાં હતાં. ખેડુતો પોતાનાં ખેતરોથી થાકેલા પાકેલા ધીમે ધીમે ઘર તરફ આવતા હતા, તથા તેઓના બળદો રાતનો વિસામો ખાવાને ઘણા આનંદથી સિગડાં ડોલાવતા તથા તેઓને ગળે બાંધેલા ઘુઘરાનો અવાજ કરતા ચાલતા હતા. વખત ઘણો રળિયામણો લાગતો હતો. સૂર્યનારાયણ પશ્ચિમને દરવાજેથી જતા રહેવાની તૈયારીમાં હતા, અને આકાશનો તે ભાગ નાના પ્રકારના રંગથી શોભાયમાન દીસતો હતો, આસપાસનાં ઝાડો તથા ફુલોનો મંદમંદ સુવાસ સઘળે પથરાઈ રહ્યો હતો, તેમાં માત્ર માણસની બેફિકરાઈથી તથા ફુવડાઈથી જ ઉત્પન્ન થતી દુર્ગંધ કોઈ વેળા ભળતી હતી. ગામમાં હરેક ઘરની સામાં એકેક ઉકરડો હતો તેમાં વર્ષોનાં વર્ષ થયા છાણ વગેરે ઘણીએક ગલીચી એકઠી થયાં કરતી હતી, એ ઝેરના ઢગલામાં સડેલી વનસ્પતિ તથા બીજા પદાર્થ કોહ્યાં કરતા, અને તેમાથી જે નાશકારક રજકણો હવામાં ઉડતાં હતાં તેથી લોકોમાં અનેક તરેહના રોગો પથરાતા હતા, તથા તેઓના આવર્દામાં ઘણો ઘટાડો થતો હતો. પણ તે બીચારાં પશુતુલ્ય પ્રાણીઓને એ વાતનું કાંઈ પણ ભાન ન હતું, પોતાના દૈવ ઉપર પાકો ભરોસો રાખીને, જે થાય છે તે ઈશ્વરની તરફથી બને છે એમ સમજીને, તથા તેઓનાં માબાપ છોકરાં, ધણીધણિયાણી, સગાંવહાલાં, વગેરે જેઓ મોતના સપાટામાં તેઓના યોગ્ય વખત પેહેલાં આવી પડેલાં તેનું કારણ કેટલેક દરજજે એ ઉકરડા જ હતા, તથા એ મૃત્યુને કાંઈક હદમાં રાખવું એ તેઓના હાથમાં હતું એ વાત જાણ્યા સિવાય, તેઓ સુખી અજ્ઞાન અવસ્થામાં પોતાના દહાડા કાઢતા હતા.

તે ગામના એક નીચા ઘરમાં એક ઓરડામાં તે સાંજરે બે માણસ બેસી ધીમે ધીમે વાતચિત કરતાં હતાં, તેઓમાંથી એક પુરૂષ તથા બીજી સ્ત્રી હતી. પુરૂષની વય આસરે ૪૦ વર્ષની દેખાતી હતી; પણ કેટલાંક કારણોને લીધે તે વૃદ્ધાવસ્થામાં વેહેલો આવી પડયો હોય એમ લાગતું હતું, તેનું શરીર સુકાઈ ગયેલું તથા ચામડીનો રંગ છેક કાળો પડી ગયલો હતો, આખા શરીરે તે ખંજવાળ્યાં કરતો હતો. તેની આંખ લાલચોળ તથા ઉંડી પેસી ગયલી હતી, માથા ઉપર તાલ પડ્યાથી તે કાચના જેવું ચળકતું હતું; અને તે ઉપર આફ્રિકા મહારણમાં લિલોતરીની કોઈ નાની જગા માલમ પડે છે તેમ સફેદ થોડાએક નિમાળા ઉડતા હતા, તેના આખા દેખાવ ઉપરથી જણાતું હતું કે તે કોઈ નઠારા વ્યસનમાં ગરક થવાથી અશક્ત થઈ ગયલો હતો; અને ખરી વાત પણ તેમ જ હતી. તે ભાંગનો પૂરો ગરાડી હતો. આખા દહાડામાં જો તેને આશરે ચાર અથવા પાંચ શેર ભાંગ ન મળે તો તે મરવાતોલ થઈ જાય, પણ એટલી ભાંગથી તે ધરાતો ન હતો. અફીણ, ગાંજો તથા બીજી કેફી વસ્તુઓ પણ રોજ તેના ખપમાં આવતી હતી તેથી આખો દહાડો અમલ કરવા સિવાય તેનાથી બીજું કાંઈ કામ થઈ શકતું ન હતું. આ સઘળાનું પરિણામ એ થયું કે તેનાથી કાંઈ ધંધો રોજગાર થઈ શકતો નહી. ગામમાં ઘામોટપણું કરવામાં જે કાંઈ થોડી ઉપજ આવે તેમાંથી તેની તરફથી કામ કરનાર બ્રાહ્મણને અધોઅર્ધ આપવું પડતું હતું, અને બાકીના અર્ધામાંથી પોતાની સ્ત્રી અને પાંચ છોકરાંનું ગુજરાન કરવું પડતું હતું, તે બીચારો ઘણી કંગાલ અવસ્થામાં હતો, પણ જો તે એકલો હોત તો ગમે તેવી દુર્દશાથી તે સંતોષ પામી પોતાના કાળનો નિર્વાહ કરત, પણ તેની સ્ત્રી ઘણા જ જુદા સ્વભાવની હતી, અને તેના ઠોક તથા ધાકથી નિરન્તર તેને ઉપદ્રવ થયાં કરતો, અને જો કેફના અમલથી તે નિશ્ચિન્ત, તથા સદા આનંદી રહેતો ન હોત તો તેની સ્ત્રીના પૈસાના લોભથી તેનો જલદી અંત આવત, પણ હવે તો તેની બાયડીના ઠોક પણ પવનમાં ઉડી જતા હતા. તેની ગાળ ઘરની ભીંત માને તો તે માને, અને તેના વજ્ર જેવા બોલ તેની હાથી જેવી ચામડી ઉપર અથડાઈને પાછા પડતા હતા. તે સઘળાં કારણોને લીધે તેની બઈરીનો જીવ ઘણો ઉકળી જતો વખતે તેને ક્રોધ એટલો બધો ચઢતો કે પોતાના શરીરને ભારે દુઃખ પહોંચાડતી; ઘણીવાર તે પોતે ભુખી રહેતી; તથા પોતાના ધણીને ભુખ્યો રાખતી, એ વગેરે ઘણેક રસ્તે તેની રીસ ઉભરાઈ જતી. પણ શાંતિ, એ અમૂલ્ય ગુણ તેના સ્વામીમાં જોઈએ તે કરતાં વધારે હતો તેથી આખરે તેનો જ પરાજય થતો. એ ક્રોધાંધ સ્ત્રી શરીરે ઘણી કદાવર હતી. તેના દેખાવ ઉપરથી જ કોઈને ભય ઉત્પન્ન થાય, તેની ઉમર આસરે બત્રીશ વર્ષની હતી. આવી સ્ત્રી જેને હોય તેની ખરેખરી કમબખ્તી જાણવી. જેટલા ગુણો નઠારા ગણાય છે તેઓમાંના ઘણાખરા તેનામાં હતા, ક્રોધ, અદેખાઈ, નિર્દયતા, આદિ બીજા દુર્ગુણોનું તેના મન ઉપર ઘણું પ્રબળ હતું. પણ સૌથી વધારે તેનામાં પૈસાનો લોભ હતો. પૈસાને વાસ્તે તે શું નહી કરે, એ કહી શકાય નહીં. પૈસાને વાસ્તે રાતદહાડો તેનો જીવ બળ્યાં કરતો હતો. પણ ઈશ્વરનો બનાવ એવો બન્યો કે જેટલો તેનો લોભ વધારે તેટલી તેની દરિદ્રતા વધારે હતી. પોતાની અગણિત તૃષ્ણાઓને શાંત કરવાને જોઈએ તેટલા પૈસા તેને મળતા ન હતા એટલું જ નહી, પણ તેને ખાવાપીવાનાં તથા બીજી જીન્દગીને અવશ્ય વસ્તુઓના વાંધા પડતા. એ જ તેને ઘણું ભારે દુ:ખ હતું, અને તેથી જે રીસ તેના મનમાં ઉત્પન્ન થતી તે સઘળી તેના ધણી ઉપર તે કાઢતી. તે દહાડે તેને ઘેર મોટા શ્રીમંત પરોણા આવેલા હતા. ભીમદેવ તથા દેવળદેવી તેઓને ઘેર ઉતરેલાં હતાં. તેઓના દરજજા પ્રમાણે તેઓનું સન્માન કરવું, તેઓને કોઈ પણ પ્રકારે રાજી રાખવાં, એ વિષે તેને ઘણી ચિંંતા થતી હતી. તેને એવી આશા હતી કે જો તેઓ પોતાના રાજકુંવરને ખુશ કરશે તો તેઓ તેને ન્યાહાલ કરી નાંખશે, તથા તેઓનો દહાડો ફેરવી નાંખશે. એ મતલબસર તેણે ઘણીએક ગોઠવણ કીધી; પણ તેટલા ઉપરથી પોતાની ધારેલી મતલબ પાર પડશે, એ બાબત તેને ઘણો શક હતો. માટે આ વખતે કાંઈ તદબીર કરવી જોઈએ. તે શું કરવી એ વિષે તે ઉંડા વિચારમાં પડી હતી. દેવળદેવીના અંગ ઉપર ઘણું કીમતી ઘરેણું હતું તેટલું જ જો હાથ આવે તો જન્મ સુધી પાર પડી જવાય. પણ તે શી રીતે મળે ? મધ્ય રાત્રે તે જ્યારે ભર ઉંઘમાં હોય તે વખત તેને ગુંગળાવી મારી નાંખીને તમામ ઘરેણું ઉતારી લઈ રાતે ને રાતે નાશી જવું અને મુસલમાનોનું લશ્કર પાસે હતું તેથી તેને આશા હતી કે ભીમદેવ તેની શોધ કરવા પાછળ આવશે નહીં. એ વાત ઉપર જેમ જેમ તે દુષ્ટ ચંડાળે વધારે વાર વિચાર કીધો તેમ તેમ તેનું અંત:કરણ વધારે વજ્ર તથા નિર્દય થતું ગયું અને પૈસાના લોભથી તેના મનમાં સઘળા કોમળ વિચાર દબાઈ ગયા.

પણ તે કામ હવે કોણે કરવું ? તેણે પોતાના ધણીને પાસે બોલાવ્યો, અને તેની આગળ સઘળી હકીકત ઘણી અસરકારક રીતે કહી, અને છેલ્લે પોતાનું ધારેલું દુષ્ટ કામ તેની પાસે કરાવવાને તેણે હુકમ કીધો, પોતાની ધણીયાણીમાં પૈસાનો આટલો બધો લોભ હશે, તથા તેને લીધે આવું પાપી કર્મ કરવાને તે કહેશે, એવું હજી લગી તેના મનમાં ન હતું. તેથી આ ધારણા સાંભળીને તેને ઘણું જ આશ્ચર્ય લાગ્યું એટલું જ નહી, પણ તેને ઘણો ક્રોધ ચઢયો, તે બોલ્યો, “અરે! દુષ્ટ ચંડાળણી ! અરે શંખણી ! યુગના માહાત્મયને લીધે તારામાં કેટલું પાપ ભરાયું છે? અરે કસાઈ ! તને આ વિચાર તે કેમ સૂઝ્યો હશે ? અરે મારી પાસે સ્ત્રીહત્યા કરાવવી ? અને તે સ્ત્રી પણ રાજકન્યા, અને આપણા રાજાના પુત્રની સ્ત્રી ? અરરર ! હવે કલિયુગની ભર જુવાની બેઠી. આ કાળમાં પુરૂષો તો દુષ્ટ થઈ ગયા છે; તેઓએ તો સત્ય મૂક્યું; તેઓ પ્રપંચના ઉંડા કુવામાં પડ્યા, તેઓ માયાની મોહજાળમાં ફસાઈ પડ્યા છે; તેઓ પરમેશ્વરનો ભય જરા પણ રાખતા નથી; એ સઘળું તો જોયું છે. પણ સ્ત્રીઓ ! કોમળ હૃદયની સ્ત્રીઓ જેઓ અંધારામાં જતાં બીહે, જેઓ માખી મરતી જોઈને કમકમાટ પામે, જેઓના મનમાં દયા વધારે હોવી જોઈએ, તે સ્ત્રીઓ જ્યારે નિરપરાધી પ્રાણીની હિંસા કરવાનો વિચાર કરે, એથી તો સીમા વળી, અરે ભગવાન! આગળ કેવો કાળ આવવાને છે! તે હું ન જાઉં તો સારૂં. તેની અગાઉ, અરે ભગવાન ! તું મને ઉઠાવી લેજે. રાજદ્રોહ ! સ્ત્રીહત્યા શાસ્ત્રમાં મોટામાં મોટી કહેલી છે. અરે લક્ષ્મીબાઈ ! તેં, જગતમાં સઘળાને વશ કીધાં છે, બીજા બધા દેવો તથા દેવીને મુકીને તારા સેવકો સઘળા થઈ પડ્યા છે. તારે વાસ્તે લોકો ઘણા અધર્મ કરે છે. અરે ! એક સ્ત્રી, વળી તે રાજકન્યા અને તે પણ પરોણાગતના આશ્રયમાં રહેલી, તેની હત્યા કરવાનો વિચાર મારી દુષ્ટ સ્ત્રીને સૂઝ્યો, અને તે ઘોર પાપ મારી પાસે કરાવવાને ધારે છે એથી તો આડો અાંક વળ્યો, હવે જગતમાં રેહેવામાં કાંઈ સાર નથી, હવે તો મારે સંન્યસ્ત ગ્રહણ કરવું જોઈએ, અને આ પાપી પ્રપંચી દુનીઆનો ત્યાગ કરવો જોઈએ, હું એક ગરીબ બ્રાહ્મણ છું, મને મારી ધણીયાણી તરફથી મહા સંતાપ છે, મારું ભરણ પોષણ પણ મુશ્કેલીથી થાય છે; તો પણ આટલાં બધાં દુ:ખની સાથે હું મારા કાળનો નિર્વાહ કરૂં છું. જગતની જંજાળ તથા કલિયુગના દુષ્ટ વિચારોથી વિરક્ત રહેવાને હું રંગપાણી લઉં છું હમેશાં નિશાની લેહેરમાં રહીને સંસારનો મહાસાગર ચેહેનથી તરી જાઉં છું. ભલે આકાશ તૂટી પડે તોપણ આ દુષ્ટ કર્મ, આ ઘોર પાપ હું કદી કરવાનો નથી મારે કાંઈ પૈસાનું કામ નથી, અને મારાથી એ કામ બને એવું નથી.”

રંગમાં ચકચૂર થયલા ભટ આ પ્રમાણે પહેલી જ વાર પોતાની ધણીઆણીની સામું બોલ્યા. ભટે પહેલી જ વાર પોતાની ભટાણીની મર્યાદા તોડવાને હિમ્મત ચલાવી. તે એ પ્રમાણે પોતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે એવી ભટાણીને આશા ન હતી. અને તેની સાથે તે આવી રીતે ચાલશે એવો તેને વિચાર જ આવ્યો ન હતો. તેને એ વાતની તો પક્કી ખાતરી હતી કે એ કામ તેનાથી થવાનું નથી. તેને તો માત્ર તેની મદદ જોઈતી હતી પણ ઉપર પ્રમાણેનું બોલવું સાંભળીને તેનામાં સુતેલો સેતાન જાગ્યો, તેનામાં નખથી શીખ સુધી ક્રોધની જવાળા ઉઠી; તેનું મ્હોં રીસથી લોહીવર્ણ થઈ ગયું; તેના ડોળા લાલચોળ થયા, તથા આખા શરીર ઉપર તેનાં રૂઆં ઉભાં થયાં. આટલી બધી વાત સાંભળવાની તેનામાં ધીરજ રહો એ જ મોટું આશ્ચર્ય હતું, પણ ક્રોધને લીધે તેની છાતી બંધ થઈ ગઈ અને તેનાથી બોલી શકાયું નહી. પણ જ્યારે ભટ ઉપર પ્રમાણેનું ભાષણ કરી ચુપ બેઠા, ત્યારે ભટાણીનો સઘળો અગ્નિ પ્રદીપ્ત થયો; અને પેહેલો જુસ્સો તો તેણે ગાળ દેવામાં જ ખાલી કીધો, તે બોલી: “અરે ભંગી ! અફીણી ! ગાંજાખેર !અરે દુષ્ટ વ્યસની ! અરે બાયલા! તું પુરૂષને રૂપે સ્ત્રી છે, તને પુરૂષ બનાવવામાં બ્રહ્માની ભૂલ થઈ છે. મારાં કયા જન્મનાં પાપ નડ્યા કે હું તારે પાલવે પડી. મારાં માબાપ આંધળાં હશે કે મારે વાસ્તે આવો ધણી શોધી કાઢ્યો. તને તે મશાલ લઈને શોધી કાઢ્યો હશે. અરે, બીજા મરી ગયા હશે, કે તારે કર્મે હું પડી ? બળતી મશાલે ખરે બપોરે મને કુવામાં નાંખી. તને પરણીને હું શું સુખ પામી છું ? તું તો નિશામાં અાંધળો થઈને પડી રહે છે તે તેં કાંઈ જોયું છે ? બીજાં આપણી ન્યાતમાં બઈરાં કેવાં ફરે છે? લુગડાં ઘરેણાંથી તેઓ ભરપૂર રહે છે. તેઓના સઘળા કોડ તેઓના ધણી પૂરા પાડે છે. તેઓનાં મન રાજી રાખવાને તેઓ સવારથી સાંજ સુધી ગદ્ધાવહિતરૂં કરે છે. તેઓની મરજી સંભાળે છે. તેઓની સાથે હેતથી રહે છે. પણ હું અભાગણી કેવી ? એવું સુખ મારા જન્મારામાં ભોગવ્યું નથી. મારો અવતાર છેક એળે ગયો. મારાં સુખ તો સ્વપ્નામાં જ વહી ગયાં. મારી ઉમેદ તો ઉગતી જ દબાઈ ગઈ. અરે દૈવ ! મારા ઉપર આટલી આફત, આટલું દુ:ખ શા માટે નાંખ્યું ? ધણીધણીયાણીના સુખનો સ્વાદ તો મેં કોઈ દિવસ ચાખ્યો જ નથી; અરે, લુંગડાં, ઘરેણાં તો ક્યાંથી જ ? મુઆનામાં રળવાની શક્તિ નથી; પીટ્યાથી પોતાના પેટનું તે ભરણપોષણ થતું નથી; એ તો મારે લીધે તને, મને, તથા આ મુઅાં નાનાં નાનાં છોકરાંના ભુડકસને કકડો રોટલો મળે છે, તો પછી બીજું શું તું આપવાનો છે? જો હું બેસી રહું, જો હું રાત દહાડો ફીકરમાં રહેતી ન હોઉં, જો હું પેટને સારૂં ફાંફાં મારતી ન હોઉં, તો આપણે સઘળાં ભુખે મરી જઈએ, એ સઘળું એ મુઓ ભૂલી ગયો ? અને આજે મને શીખામણ દેવા બેઠો છે ! કળજુગ ને સતજુગ, બ્રહ્મા ને વિષ્ણુ ! બોલતાં જ આવડે છે ! એ કરતા તું પથ્થર થયો હોત તો હજારો લોકોને ધોવાને કામ લાગત. તેં મનખાદેહ ધરીને શું સાર્થક કર્યું ? પહેલાં પોતાના કુટુંબનું પોષણ તો થતું નથી. ધિક પડી તારા દેહને ! ધુળ પડી તારા અવતાર ઉપર ! અરે, બળ્યું તારું જીવતર કે બઈરીને લીધે તારૂં પેટ ભરે છે. તારા જેવા માણસ જીવતા અને મુએલ બંને સરખા. તું જીવીને શું ઉકાળે છે? આખો દહાડો નિશો કરીને ગધેડાની પેઠે પડી રહે છે. એવા વર કરતાં રંડાપો પણ હજાર ગણો સારો કે દેખવું એ નહી અને દાઝવું એ નહી, તું ખરેખરો મુએલા જેવો છે. તારા ગયા પછી આ ચુડો ફોડી નાખવો, અને આ ચોટલો બોડાવવો તેમાં દુઃખ શું છે? હું તે જીવતા ધણીએ રંડાપો ભોગવું છું. જે કામ તારે કરવાનું છે તે હું કરૂં છું.

જો તું ઉદ્યમ કરી કમાતો હોત તે આ દુષ્ટ કામ કદી કરવું પડત નહીં. એ કલિયુગનું પણ માહાત્મ્ય નથી અને કોઈનું પણ માહાત્મ્ય નથી, એ તે તારૂં માહાત્મ્ય છે. હું જાણું છું કે એ મહા પાપ કરવાથી આપણે કોઈ દહાડો છુટકો થવાનો નથી. એ સ્ત્રીહત્યા કરવાથી જમના માર ખાવા છે, અને નરકના કીડા થઈ અવતરવું છે. પણ શું કરવું ? પેટને અર્થે કરવું પડે છે. શું આપણે જીવતાં સુધી દુઃખમાં અને દરિદ્રતામાં દહાડા કાઢવા ? શું આપણે જીવતાં આપણાં છોકરાંને ભુખે મરવા દેવાં ? અરે ગધેડા ! એ બાળહત્યા શું નહી ? આપણાં પેટનાં છોકરાં ભુખે મરે તે આપણે જોયાં કરીએ, અને સ્ત્રીહત્યા ને ધુળહત્યા કર્યાં કરીએ ! શું પૈસા મળશે તો મારે એકલીને ખાઈ જવા છે? તે સઘળાને કામ આવશે, વળી પૈસાને સારૂ પાપ કોણ નથી કરતું? રાજાથી રંક સુધી સઘળા પૈસાને વાસ્તે પ્રપંચ કરે છે. વ્યાપારીઓ જુઠું બોલે છે તથા ઘરાકોને છેતરે છે; સરકારી કારભારીઓ રૂશવત ખાય છે; કારીગર લોકો વખત ચોરે છે તથા વખતે ખરેખરી જણસની ચોરી કરે છે. બીચારા બ્રાહ્મણોને કાંઈ ચોરવાનું નથી, ત્યારે શું કરવું? પૈસા તો જોઈએ ત્યારે આ મહા પાપ કરવાની જરૂર પડે છે. મેં તો તારું મન જોવાને તને કહ્યું. હું જાણું છું કે તારામાં એવું કામ કરવાની શક્તિ નથી. પણ તું જુઠો ઢોંગ કરે છે તે જોઈને મને ઘણો ક્રોધ ચઢે છે. કેહેવત છે કે “અશક્તિમાન ભવેત્ સાધુ ” તારામાં શક્તિ નથી ત્યારે ધર્માત્માપણું જણાવે છે. અત્યાર સુધી પુરૂષનું કામ હું જ કરતી આવી છું, તું તારી પાઘડીને એબ લગાડે છે. તારી પાઘડી ઉતારીને મને આપ, અને આ મારી કાંચળી તું પેહેર. જો એ કામ કરવાની તારી ખુશી ન હોય, તો મુગો મુગો બેસી રહે, કોઈને કહેતો ના. ભટ આ પોતાની સ્ત્રીનું ભાષણ સાંભળીને છક થઈ ગયો; અને શિવ ! શિવ ! કરી ઈશ્વરનું ધ્યાન ધરી પોતાની જગોએ બેસી રહ્યો.

હવે ભટાણીએ રાતને વાસ્તે સઘળી તદબીર ગોઠવવા માંડી; પણ એ સઘળું કરવાની અગાઉ દેવળદેવીના શરીર ઉપર કેટલું ઘરેણું છે તથા તે ક્યાં ક્યાં છે તે પહેલાં જોઈ લેવાની જરૂર હતી; માટે ભટાણી ખુશ ચહેરો રાખીને દેવળદેવીની પાસે જઈને બેઠી, અને બઈરાંની રીત પ્રમાણે વાત કરવા લાગી, કેટલાએક જુદા જુદા વિષય ઉપર વાત કરીને ઘરેણાં વિષે બોલવા માંડ્યું, અને એમ કરતાં તેનું સઘળું જવેર તેણે જોઈ લીધું, તે વખતે રાત પડેલી હતી, અને જમવાની તૈયારી કરવી હતી, માટે ભટાણીએ તુરત રસોઈ કીધી, પણ તેનું મન રાંધવામાં ન હતું, દાળ દાઝી, ભાત બળી ગયો, અને રોટલી કાચી રહી. ભટાણીને રાત્રે એક દુષ્ટ અને ભયંકર કર્મ કરવાનું હતું, તેથી તેનું મન આવું અસ્થિર થઈ ગયું હતું, એમાં કાંઈ આશ્ચર્ય ન હતું. તેના અંતઃકરણમાં જુદા જુદા વિકારોનું તોફાન થઈ રહ્યું હતું કોઈ વાર દયા જય પામે, એટલે દ્રવ્યનો લોભ જોર પકડીને દયાને દાબી નાંખે, કોઈ વાર ધર્મની વૃત્તિ જોર પકડે ત્યારે પોતાની દુર્બળ અવસ્થા તથા પોતાનાં છોકરાંનું દુઃખ યાદ આવી તે વૃત્તિને કચડી નાંખે. એ પ્રમાણે તેના મનમાં ઉથલપાથલ થઈ રહી હતી પીરસવામાં પણ ભટાણીનું ચિત્ત ઠેકાણે ન હતું તેના દુષ્ટ વિચારથી તેને દૂર કરવાને અંત:કરણ તેને ધીમે ધીમે સમજાવતું હતું, પણ તે એકલાની સામા બોલનારા શત્રુ ઘણા હતા. જમનારાઓએ તેને બેબાકળી થયલી જોઈ, તેનું કારણ શું હશે તે ન જાણ્યાથી તેઓ મુગા બેસી રહ્યા. તેઓ સમજ્યા કે એ સ્ત્રીજાત છે માટે પુરૂષને દેખી શરમાય છે; પણ તેના મનનું માપ તેઓથી થઈ શક્યું નહીં. જ્યારે જ્યારે ભટાણીનું મન સ્થિર થતું, ત્યારે ત્યારે તે બોલતી કે આવા રાજકુંવર જેવા મોટા પરોણા અમારા ગરીબ ઘરમાં આવ્યા એ અમારૂં મોટું ભાગ્ય, તથા તેથી અમારું ઝુંપડું પાવન થયું; પણ તેઓની જોઈએ તેવી પરોણાગત કરવાને અમારી પાસે કાંઈ નથી તેથી અમને ઘણી લાજ લાગે છે, અને તેથી મારું મન આકુળવ્યાકુળ થઈ ગયું છે.

ભીમદેવ તથા દેવળદેવીએ તેને મીઠાં મીઠાં વચન કહી ધીરજ આપી. આવે વખતે ને આવી જગાએ તેઓએ તેમને રાખ્યાં એ જ તેઓનો મોટો ઉપકાર થયો, અને એ ગુણનો બદલો કોઈ વાર પણ વાળવામાં આવશે, એ રીતે તેને ઘણો એક દિલાસો દીધો પણ જેને પેટમાં દુઃખે તેને માથે ઓસડ ચોપડવાથી શો ગુણ થાય ? એ પ્રમાણે તેઓ બંનેનાં વચન ભટાણીએ સાંભળી લીધાં. પણ તેને નાનપણથી કોઈએ ઉપદેશ કીધો હતો કે રાજાના બોલવા ઉપર ભરોંસો કદી રાખવો નહીં, તેઓ તો “ગરજ સરી એટલે વૈદ વેરી” એવી જાતના લોકો હોય છે માટે ભટાણીને તેઓના બેાલવા ઉપર કોઈ વિશ્વાસ આવ્યો નહી વળી તેનો વિચાર એવો હતો કે નિશ્ચિત વસ્તુ છોડીને જે અનિશ્ચિત વસ્તુ મળવા ઉપર ભરોંસો રાખે છે તેને કેવળ મૂર્ખ જાણવો તેના મનમાં તેના ધારેલા કામમાં કાંઈ મુશ્કેલી લાગતી ન હતી. અને નાસી જઈ બચવા વિષે પણ પૂરી ખાતરી હતી. અરેરે ! માણસની કેવી મૂર્ખાઈ છે ? દુનિયામાં ઘણા ખરા ગુનાહ આ જુઠા વિચારને લીધે જ થાય છે, તે પ્રમાણે ભટાણીના મનમાં આવતું હતું એમાં કાંઈ નવાઈ જેવું ન હતું. જમી રહ્યા પછી સૌ સુવાને ગયાં, અને તેઓને બીજે દહાડે સવારે જલદી કુચ કરવાની હતી તેથી તેઓ સઘળાં વહેલાં સુઈ ગયાં, અને તુરત ઉંઘવાને માટે પછાડા મારવા મંડી ગયાં. ભીમદેવનાં માણસો એકદમ નિદ્રાવશ થઈ ગયાં. ભટ પોતે પણ લાંબા થઈને સુતા, અને નિશામાં ચકચુર થયલા તથી પોતાની વહુની સાથે થયલી સઘળી વાત તેના મગજમાંથી ભુંસાઈ ગઈ અને લેહેરમાં ઉંધી ગયા. છોકરાં સઘળાં સુઈ ગયાં. માત્ર ઘરમાં ત્રણ જણ જાગતાં હતાં. એક તો ભટાણી પોતાના ઓરડામાં એક તલવાર તૈયાર રાખીને બિછાના ઉપર પછાડા મારતી હતી, અને ઘણી જ આતુરતાથી મધ્યરાત્રીના સમયની રાહ જોતી હતી. એક મિનિટ તેને કાળ જેવી લાંબી લાગતી હતી અને તેના મનની અવસ્થા એવી હતી કે તેનું યોગ્ય વર્ણન પણ થઈ શકે નહી. બીજો ભીમદેવ દુશ્મનના હાથમાંથી બચ્યો, તથા પોતાની રાજધાનીમાં બીજે દહાડે સાંજરે પોંહોંચાશે, એ વિચારથી તથા પોતાનું ધારેલું કામ સિદ્ધ થયું અને દેવળદેવીને પોતાના ભાઈ શંકળ દેવને વાસ્તે લઇ જઈશ, એ વાતથી તેને ઘણો આનંદ થતો હતો. તે છતાં પણ એક દહાડો હજી કાઢવો છે, તથા તેટલા વખતમાં કદાપિ શી શી વિપત્તિ આવી પડે તેની તેને ખબર ન હતી તેથી તેને ઉંઘ આવતાં મુશ્કેલી પડતી હતી. તોપણ થોડી વારમાં તે ભર ઉઘમાં પડ્યો. ત્રીજી દેવળદેવીની સ્થિતિ સુખદાયક તથા દુ:ખદાયક એ બંને હતી. અગર જો સાચા તથા પવિત્ર પ્યારનો રસ્તો નિર્વિઘ્ન હોતો નથી, અગર જો તે રસ્તો ઘણો વિકટ તથા ખડબચડો હોય છે, અગર જો ધારેલી ઉમેદ પાર પાડતાં ઘણો વિલંબ લાગે છે, તથા વચમાં ઘણી ઘણી અડચણો નડે છે, તોપણ અંતે સાચા સ્નેહનો જય થાય છે; અંતે વહાલાનો સંયોગ થાય છે; અને અંતે આગલાં સઘળાં દુ:ખના બદલામાં ઘણું સુખ મળે છે.

એ વાત ઉપર વિચાર કીધાથી દેવળદેવીના મનને ઘણો દીલાસો મળતો હતો, તથા તેનો જીવ ઘણો ઉલ્લાસમાં હતો. પણ તે બીચારી હજી બાળક હતી, તેને હજી કાંઈ અનુભવ ન હતો. તેણે માત્ર તડકો જ જોયો હતો, છાંયડાનો તો તેને અનુભવ જ ન હતો. દુનિયામાં કેટલી હરકતો નડે છે તે તે જાણતી ન હતી, માટે જેની છબી તેના અંતઃકરણમાં રહી હતી, જેનું તે નિરંતર મનન કર્યા કરતી હતી, જેની સાથે તેણે પહેલે જ પ્યાર બાંધ્યો હતો, તથા જેને તેણે પોતાનું તન, મન, અને ધન અર્પણ કીધેલું હતું તેનો કાલે મેળાપ થશે, એ આતુરતાથી જ તેના જીવને અત્યારે જરા પણ ચેહેન પડતું ન હતું. તે બીચારી દેવળદેવીને કાલે શું થવાનું છે તેની ખબર ન હતી. તે આસપાસની હકીકત પ્રમાણે પોતાના મનની સ્થિતિ રાખતી. ભીમદેવ તથા તેનાં માણસો બહારથી ચિંતા વિનાનાં દેખાતાં હતાં, તેને લીધે તેના મનમાં ધીરજ રહેતી હતી, તથા તેઓની ખુશીની સાથે તેને ખુશી થતી હતી. પોતાના પરમ પ્રિયનું દર્શન, તેની સાથે પેહેલી મુલાકાત, પરસ્પરનો હેતનો ઉભરો, પ્રેમસહિત વાતચીત, તથા આગળ કેવાં સુખ ભોગવવાં છે, તે સઘળું તેની આંખ આગળ રમી રહ્યું હતું. કલ્પનાશક્તિ જોરાવર હોવાને લીધે તેને અતિ સુખ પ્રાપ્ત થતું. પણ અફસોસ ! ભવિષ્ય ઉપર એક ભયંકર કાળો પડદો પડેલો હતો અને પરમ દયાળુ પરમેશ્વરની કૃપાથી તે પડદાની આરપાર તેનાથી જોઈ શકાતું ન હતું, તેથી તેની પેલી ગમ સઘળું સુખરૂપ છે, એવી કલ્પનાથી તે બીચારી પોતાનો કાળનિર્વાહ કરતી, અને આ પ્રમાણે કલ્પેલું સુખ ભોગવવામાં જ તે નિદ્રાને વશ થઈ.

રાતના બે વાગ્યા. રાતનો ભરપૂર અમલ બેઠેલો હતો. ચન્દ્રમા અસ્ત પામ્યો હતો, અને સઘળે ઠેકાણે અંધકાર વ્યાપી ગયો હતો. આખી સૃષ્ટિમાં ચુપાચુપ હતું. માત્ર વખતે વખતે ઘુડ અથવા ચિબડીનો કઠોર શબ્દ કાને પડતો હતો. આ વખત ચોરોને ઘણો અનુકુળ પડે એવો હતો. એ વખત ભૂત, પિશાચ વગેરે મલીન પ્રાણીઓને બહાર ફરવા નીકળવાનો ગણાતો હતો. આ વખતે સદ્દગુણ આરામ પામતો હતો, અને દુર્ગુણ જ માત્ર જાગી ઘડી ગણતો હતો. એવે વખતે ભટાણી જાગૃત થઈને ઉઠી, અને ખુણામાં જે તલવાર સંતાડેલી હતી તે પકડી. તે ધીમે ધીમે જે ઠેકાણે દેવળદેવી સુતી હતી ત્યા ગઇ, અને પોતાના ધારેલા કામને પાર પાડવાની તૈયારી તેણે કીધી. ઓરડામાં સઘળાં ભર ઉંઘમાં હતાં, તેઓની ઘોરથી ઘણો મોટો તથા ભયંકર શબ્દ થઈ રહ્યો હતો, દીવો ઝાંખો ઝાંખો બળતો હતો તે પણ જેટલાં પ્રકાશનાં કિરણ તેમાંથી નીકળતાં હતાં, તેઓમાંથી ઘણાં દેવળદેવીના રૂપવંતા વદન ઉપર પડતા હતાં. આ અંધકાર અને અજવાળાની મર્યાદા ઉપર દેવળદેવી સુતી હતી, અને તેની પાસે ભટાણી હાથમાં નાગી તલવાર લઈને ઉભી હતી. આ કેવો દેખાવ ! આ વખતે કોઈ ચતુર ચિતારો હોય તો તેને પોતાના ચિત્રને માટે એક વિચિત્ર પણ ભયાનક વિષય મળી આવે. એક તરફ એક ભરજુવાનીમાં ફુટતી, રૂપાળી, નિર્દોષ સ્ત્રી ભરનિદ્રામાં ગર્ક થયલી હતી; અને બીજી તરફ એક મધ્યમ અવસ્થાની, ક્રૂર, ચંડાળ સ્ત્રી મહા પાપ કરવાને તત્પર થઇ હાથમાં પ્રાણઘાતક શસ્ત્ર લઈ ઉભી હતી. એક તરફ ઈદ્રની રંભા, અને બીજી તરફ એક શંખણી. એક તરફ કમળલોચની પોતાનાં નેત્રકમળની પાંદડી બીડીને વિશ્રાંતિ લેતી હતી; અને બીજી તરફ લોહીવર્ણ, ફાટેલા ખુની ડોળાવાળી રાક્ષસી દુષ્ટ, વાઘની પેઠે પોતાના શિકાર તરફ તાકતી હતી. એક તરફ સદ્દગુણી, શાંત મનની અબળા નિદ્રાદેવીની બાથમાં ભરાયલી હતી; અને બીજી તરફ સ્ત્રીના નામને એબ લગાડનાર બાયડી અતિ દુષ્ટ કર્મ કરવાને તત્પર થયલી હતી; તેના મનમાં જેમ વાવાઝરડાંથી સાગરનું પાણી ઉછળે છે તેમ ઉથલપાથલ થઈ રહી હતી. આ ભયંકર વખતે તેણે તલવાર ઉગામી તો ખરી, પણ તે નીચે પડતાં વચમાં અટકી ગઈ. ખરે કોઈ સત્યની, કોઈ સદ્ગુણની, કોઈ નિર્દોષપણાની રક્ષણ કરનાર દેવીએ તે શસ્ત્ર પકડી રાખ્યું. ભટાણીનો હાથ નિર્બળ થઇ ગયો, તલવાર હાથમાંથી પડી ગઈ, તેની કાયા શિથિલ થઈ થરથર કાંપવા લાગી; તેને સર્વાંગે પરસેવો છૂટ્યો; અને કપાળ ઉપર પાણીનાં ટીપાં બંધાયાં, તેના મ્હેાં ઉપરથી લોહી ઉડી ગયું, અને જેવો શરીરના બહારના ભાગમાં મોટો ફેરફાર થયો તેવો માંહે પણ થયો. પ્રિય વાંચનાર ! આ ઠેકાણે સવાલ ઉઠશે કે આ શાથી થયું ? અન્ત:કરણના પશ્ચાત્તાપથી જ. ભટાણીએ જો જતાં વાર જ ઘા માર્યો હોત, તો તે દુષ્ટ કામ થઈ ગયું હોત, પણ તેણે આવીને દેવળદેવીનું મ્હેાં કેટલીએક વાર જોયાં કીધું, તેથી ઉંચી વૃત્તિઓને જોર પકડવાને વખત મળ્યો; અન્તઃકરણે પાછો પોકાર કીધો. દેવળદેવીના સુંદર તથા નિર્દોષ મુખમાંથી જે શીતળ કિરણો નીકળ્યાં તેથી ભટાણીના મનની આગ હોલવાઈ ગઈ, અને એ વખત દયા તથા બીજા કોમળ વિકારો મદદે આવ્યા, તેથી ભટાણી બદલાઇ ગયાં. લાગલો જ પશ્ચાત્તાપ ઉત્પન્ન થયો. આ સુંદર કોમળ કાયા ઉપર કઠણ લોઢાનો ઘા કોણ કરી શકે ? આ રૂપાળા ફુલની કળી કોનાથી તોડાય ? આ શોભાયમાન વૃક્ષ ઉપર કુહાડો કેમ મરાય ? તેથી ભટાણી તલવાર પાછી લઈ પોતાની તળાઈ ઉપર સુઈ ગયાં, એમાં કાંઈ આશ્ચર્ય નથી. સદ્ગુણનું આટલું જોર છે, પશ્ચાત્તાપની એટલી અસર છે; પણ તે સઘળું થવાને માટે વખત અવશ્યનો છે. કોઇ પણ દુષ્ટ કર્મ કરવા અગાઉ જો થોડો ઘણો વખત મળે તો તે કર્મ થતું બંધ પડવાનો ઘણે સંભવ રહે છે.

પ્રભાતનું પહોર થવાની લગભગ વેળા થઈ. સૃષ્ટિનું રૂપ બદલાવા માંડ્યું. પક્ષીઓ તથા બીજાં પ્રાણીઓ જાગૃત થઈ પોતપોતાને કામે નીકળ્યાં. ગામનાં કુતરાંઓ ભસવા લાગ્યાં, સવારોના ઘોડાએાએ ખંખારવા માંડ્યું અને ભીમદેવનાં સઘળાં માણસો તૈયાર થઈ કુચ કરવાને નીકળ્યાં. ભીમદેવ પણ પોતાના ઘોડા ઉપર સવાર થયો. દેવળદેવી ઘરમાંથી બહાર નીકળી, અને તેને વાસ્તે જે ઘોડો તૈયાર કીધો હતો તે ઉપર તેણે બેસવા માંડ્યું તે વખતે ભટજી હાથ જોડીને ભીમદેવની આગળ ઉભા રહ્યા. આશીર્વાદના મંત્ર ભણ્યા, અને દક્ષણાને માટે આતુરતા દેખાડી. ભટાણી નીચું માથું રાખીને દેવળદેવીની સામી ઉભી રહી. રાતની વાત યાદ આવવાથી ભટાણીથી દેવળદેવીની સામું જોઈ શકાયું નહી. તેને એટલી તો શરમ લાગી કે જો તે વખતે ધરતી માર્ગ આપે તે તે માંહે પેસી જાય. દેવળદેવી તો તે સવારે ઘણી હસમુખી દેખાઇ, અને ઘણા ઉમંગથી ભટાણીને પાસે બોલાવી તેણે જે ચાકરી કીધી તથા આવે વખતે જે પરોણાગત કીધી તેને માટે તેનો ઉપકાર માન્યો, અને રાત્રે જેટલું જ્વેર તેના અંગ ઉપર હતું તે સઘળું એક દાબડામાં ભરી તેને આપી દીધું, અને તેની સાથે એવું વચન આપ્યું કે દેવગઢ પહોંચ્યા અને ત્યાં ઠરીઠામ થયા પછી તેને પણ ત્યાં બોલાવી લઈશ, અને પોતાની પાસે હમેશાં રાખીશ. ભટને પણ સો સેનાની મોહોરની દક્ષણા મળી, અને વળી રાજધાનીમાં ગયા પછી દરબારમાં બોલાવી તેનો જન્મ સુધી ન્યાહાલ કરી નાંખવાની કબુલાત આપી. આવી રીતે તે દુર્ભાગ્ય દરિદ્રી કુટુંબના સુખના સૂર્યનો ઉદય થયો, તેથી ધણીધણિયાણીને જે અતિ આનંદ થયો તેની વાંચનારાઓએ કલ્પના કરી લેવી. જો ભટજી નિશાના અમલથી સદા આનંદી ન હોત તો આ સુખની અકસ્માત રેલ આવવાથી તેનું મગજ ઘસડાઈ જાત, અને છેક ગાંડો થઈ જાત. તેમજ જો ભટાણીનું મન મજબુત ન હોત તો તે જ વખતે તે હર્ષ સનેપાતથી પડીને મરણ પામત. તેઓનાં મનમાં ઉપકાર ઉભરાઈ જવા લાગ્યો, અને આ ગુણનો કાંઈ બદલો વાળવાને તથા પશ્ચાત્તાપના કીડાને કાંઈ નરમ પાડવાને ભટાણીએ દેવળદેવીની સાથે જવાનો નિશ્ચય કીધો, અને તે બીજી દાસીઓના ટોળામાં પોતાનાં છોકરાંને સાથે લઈ સામેલ થઈ. ભટજી પણ તેની સાથે ચાલ્યા. એ પ્રમાણે સવારી ગામ બહાર નીકળી. ગામના લોકો તેએાને વળાવા આવ્યા, તથા પોતાના રાજકુંવરને વાસ્તે તથા જે તેઓની હવે પછી રાણી થનાર હતી તેના ઉપર તેઓએ ઘણે પ્યાર દેખાડ્યો; તેઓના ઉપર ફુલોની વૃષ્ટિ કીધી; અને ઘરડાથી તે બાળક સુધી સઘળાં માણસોએ પોતાના અંત:કરણથી તેઓને આશીર્વાદ દઈને પરમ કૃપાળુ ઈશ્વર પાસે એટલું માગી લીધું કે તેઓને રસ્તે દુષ્ટ મ્લેચ્છનો અથવા બીજા કોઈનો ઉપદ્રવ થાય નહીં, અને તેઓ સુખરૂપ તથા સહીસલામત રાજનગરીમાં જઈ પોંહોંચે. તેઓમાંથી આશરે સો જુવાનો હથિયારબંધ ભીમદેવની સાથે ચા૯યા અને બાકીના પોતપોતાને ઘેર ગયા.

જ્યારે ભીમદેવની સવારી દેવનગરી તરફ જતી હતી તે વખતે અલફખાં શું કરતો હતો તે ઉપર જરા આપણે નજર કરીએ. જે મેદાનમાં આવી અલફખાં અટક્યો ત્યાં જ તેણે તેના લશ્કરને માટે છાવણી કીધી. થોડી વારમાં તે ઠેકાણે એક ગામ બની રહ્યું; નાના પ્રકારના તંબુઓથી તે જગા શોભી રહી હતી. વચ્ચે એક મોટો બજાર મંડાયેલો હતો. લશ્કરને માટે જે જે અવશ્યનું હતું તે સઘળું ત્યાં આવી પહોંચ્યું હતું, અને અગર જો દુકાનદાર તથા બીજા કેટલાએક લોકોને ફાયદો હતો, અને તેથી તેઓ ઘણા આનંદમાં દેખાતા હતા તો પણ મુખ્ય સરદાર, નાના અમલદારો, તથા ઉંચા વર્ગના સીપાઈઓમાં ભારે દિલગીરી પથરાયેલી હતી. અલફખાંના દુ:ખનો તો કાંઈ પાર જ ન હતો. તેનાં કારણો એવાં તો ખુલ્લાં છે કે તે કહેવાની કાંઈ જરૂર નથી. હવે તે બિલકુલ નિરાશ થઈને બેઠો. હવે કાંઈ જ ઈલાજ રહ્યો નહી, અને હવે પછી શું થશે તેની તેને કાંઈ ખબર ન હતી. હવે આગળ જવામાં કાંઈ ફાયદો ન હતો. દેવગઢ એક મંજિલ દૂર રહ્યું હતું; પણ તે શેહેર ઉપર તેની પાસે જેટલાં માણસો હતાં તેટલાં લઈ જવામાં કાંઈ નફો ન હતો. એટલું જ નહી પણ ઘણું નુકશાન હતું, કેમકે એટલાં મુઠ્ઠીભર માણસો દેવગઢનો રાજા સહેજે કાપી નાંખશે, એમ તે સમજતો હતો, પાછું જવું એ વિના બીજો રસ્તો ન હતો, પણ એ કેવો દુ:ખદાયક વિચાર ! તેના સીપાઈઓ પણ તેવી જ દિલગીરીમાં ગિરફતાર થયા હતા. તેઓની સઘળી મહેનત છૂટી પડી, અને આટલું દુ:ખ તથા સંકટ વેઠ્યા પછી અપયશનો ગાંસડો બાંધ્યો. કાફર હિંદુઓ તેઓ ઉપર હાથ મારી ગયા એથી તેઓ ઘણા ગુસ્સે થયા. જો પોતાના દીનવાળાઓ સાથે લડતાં હાર્યા હોત તો આટલી ફજેતી ન હતી. તેઓ વારે વારે મુછ ઉપર તાલ દેતા હતા, અને તેઓની ચાલ ઉપરથી “મિયાં પડે પણ ટંગડી ખડી ” એ કેહેવત ખરી પડતી હતી. જ્યારે રાત પડી ત્યારે તેઓનાં જુદાં જુદાં ટોળાં બંધાયાં અને મોટાં મોટાં તાપણાં સળગાવી જુદે જુદે ઠેકાણે તેઓ કુંડાળાં વળીને બેઠા, તએમાંથી એક કુંડાળામાં બે સીપાઈઓ નીચે પ્રમાણે વાત કરતા હતા:–

સોભાનખાં-મિયાં ઇબ્રાહીમખાં ! અલ્લા તમને સલામત રાખે, પણ અલફખાંનું પાણી હવે ગયું, પાદશાહની હજૂરમાં તેણે વક્કર ખોયો. એ રંડી ખરેખર હાથમાંથી છટકી ગઈ, પણ અલ્લાના કસમ, એમાં અલફખાંનો કાંઈ વાંક નથી. તેનાથી જેટલી મહેનત થઈ તેટલી તેણે કીધી. સઘળી વાત ખુદાના હાથમાં છે. તેની એ પ્રમાણે જ ખુશી હશે.

ઇબ્રાહીમખાં – વાત તો સાચી કહી. રંડી હાથમાંથી છટકી તો ગઈ, અને તેમાં અલફખાંનો ઘણો કસુર નથી. પણ તેણે થોડી આપણી પણ મસલત કીધી હોત તો સારૂં. તે પોતાની જ અક્કલ પ્રમાણે ચાલ્યો તેમાં આવાં ફળ નીપજ્યાં. હવે તે પાદશાહને શી રીતે મ્હોં બતાવશે ? પણ એ સઘળું કારસ્તાન પેલા ખોજાનું છે. વધારે કહેવાની શી જરૂર છે ? થોડામાં સમજી લેવું, તેણે પોતાને આબરૂ મળવા માટે આ જંગલમાં એક ભુખડી રાજા ઉપર ચઢાઈ કીધી, અને આ જંગલમાં અને પહાડોમાં મુસલમાન લોકોને ફસાવ્યા. ખુદાને માલમ કે એનું પરિણામ શું થશે. પણ હાલ તો બીચારો અલફખાં ગરદન મરાયો. ખુદા ખેર કરે. શું થશે ?

સેાભાન – જ્યારે તમે આગળ વાત ચલાવી ત્યારે તો મારે કહેવું જોઈએ કે એ ખેાજાને તો એ રાંડ સાથે કાંઈ જ નિસબત નથી. એને તો દેવગઢના રાજાને પાધરો દોર કરવો છે, પણ પાદશાહના ઝનાનખાનામાં એક રજપૂતાણી રાંડ છે તેને પાદશાહ વશ થઈ ગયો છે. તે ખરેખરી પરીજાત છે. જેવી બેહેશ્તની હુરી. પાદશાહ તેનામાં ગુલતાન થઈ ગયો છે, એમાં કાંઈ નવાઈ જેવું પણ નથી. ઓરતની વાત જ એવી છે. તે રંડીના કહેવા ઉપરથી અલફખાંને અહીં આવવું પડ્યું. નાસી ગયલી એારત તેની દીકરી થાય છે. તેને દિલ્લીમાં પોતાની પાસે બોલાવવી છે. પાદશાહની વાતજ ન પૂછવી. અલ્લા જાણે, એ જુવાન છોકરીને પાદશાહ શું કરશે? માને પરણીને હવે છોકરી સાથે શાદી કરશે ? અગર નહીં તો શાહજાદા સાથે પરણાવશે ? કાફર લોકોમાં પણ ઘણી ખૂબસુરત ઓરતો છે તે ખુદાએ આપણે જ માટે પેદા કીધેલી છે. પણ જ્યારે પાદશાહ તે સઘળીને પોતાની પાસે ખેંચી લેશે, ત્યારે આપણા જેવા સીપાઈ બચ્ચાને ઓરતો કયાંથી મળશે ? પાદશાહનો પણ જુલમ છે.

મલેક જાફર – (વચ્ચે બોલી ઉઠયો ) કેમ છે મિયાં સાહેબો? કાંઈ અક્કલ ગીરે મૂકી છે? હજરતો ! કાંઈ જીન્દગીથી કાયર થયા છો ? નકામા મોત શા માટે માગી લો છો ? જો આ તમારી વાત પાદશાહના જાણ્યામાં આવશે તો તમારા કડકે કડકા કરી નાંખશે. તમે હજી અલાઉદ્દીન ખિલજીને ઓળખતા નથી, તે સઘળે ખાનગી જાસુસો રાખે છે અને ગમે તેવી છાની વાત થાય તો પણ તેને કાને પડ્યા વિના રહેતી નથી. માટે હમેશાં સમાલીને વાત કરવી જોઈએ. એમાં નફો નથી, ઉલટી હાનિ છે, માટે એ વાત બદલી નાંખવી જોઈએ; બીજી ઘણીએ વાત છે. સોભાન–ઇસ્‌તગ્‌ફેરૂલ્લાહ ! વાત સાચી છે. બીજા વાત કરવી જોઈએ. વારૂ આટલામાં કાંઈ જોવા લાયક જગા છે ? હવે ઈહાં નવરા પડી રહ્યા છીએ, ત્યારે કાંઈ ગમત કરવી જોઈએ.

મ. જા. – સુબાનઅલ્લાહ ! જગા તો એવી બતાવું કે તમે જોઈને ખુશ થઈ જાઓ, ઈહાંથી થોડેક દૂર કાફર લેાકેાનાં દેવળ છે. એવાં સઘળી જહાનમાં નહીં હશે. અલબત મક્કા, મદીનામાં જે આપણી મસ્જીદો છે તેની વાત તો કહેવી જ નહી. વેરૂલ કરીને એક પાસે ગામ છે તેમાં ગુફાઓ છે તેની શી તારીફ કરું ! તે ઉપરની નકશી તથા કોતરેલું કામ તો જોયાં જ કરીએ. હિન્દુ લોકોમાં પણ મોટા કારીગરો થઈ ગયલા છે. એ લોકો ઘણી વાતમાં હોશિયાર છે. એક તેઓનો દીન શેતાનનો બનાવેલ છે, અલહમદુલિલ્લાહ ! ખુદા તેએાને વધારે રોશની આપે.

સોભાન – મિયાં સાહેબ ! એ કોતરોનું થોડું બ્યાન કરો.

મ. જા. – તેઓનું બ્યાન થઈ શકે એવું નથી; જોવાથી જ તેની ખૂબી જણાય. પણ જ્યારે તમારા સઘળાની ખાહિશ છે ત્યારે તેનો એક ટુંકો અહવાલ મારી મગદુર પ્રમાણે હું આપું છું વેરૂલ ગામથી આશરે અર્ધા કોશ ઉપર એક અર્ધ ચન્દ્રાકાર પહાડ છે તેના આગલા ભાગમાં એ ગુફાઓ છે. તેઓ બ્રાહ્મણ, જૈન, તથા બૌદ્ધ લોકોની છે. જમીનની અંદરના દેવળો એટલાં બધાં છે તથા તેઓ એવાં શોભાયમાન છે, તેઓમાંનાં કેટલાંએક એટલાં તો મોટાં તથા ઉંચાં છે, બીજાં કેટલાંએકમાં એવી તો ભાતભાતની નકશી છે, અજાયબ સરખાં પાતરાં, તથા વેલ એવી તો કોતરેલી છે, થાંભલા ઉપર એવી તો બારીક તથા ખુબસુરત નકશી છે, તેઓના ઉપર દેવીની મૂર્તિ એવી તો રમણિક ખોદી કાઢી છે, તથા પૂતળાં એવાં તો મોટાં કદનાં છે કે આપણે એ સઘળું જોઈને ખરેખર તાજુબ થયા વિના રહીએ નહી. કેટલીએક ગુફાઓને બ્રાહ્મણ લોકો ધિક્કારીને ઢેડવાડો કહે છે, તેઓ ચોમાસાના દહાડામાં ઘણી જ રળિયામણિ દેખાય છે, જે કોતર છે તે ઘણું જ મોટું તથા ખૂબસુરત છે, અને તેના આગલા ભાગ આગળથી ચોમાસામાં એક નાની નદી વહે છે એ નદી જ્યાં નીચેના મેદાનમાં પડે છે ત્યાં એક સુંદર પાણીનો ધોધવો થાય છે, અને તેથી દેહેરાં આગળ એક કાચના જેવો નિર્મળ પારદર્શક પડદો થઈ રહે છે. ગુફાના મ્હોં આગળથી તે છેક છેડા સુધી જમીન ઉપર બે પથ્થરની પાટલી સામસામી સીધીને સીધી જડેલી છે તે ઉપર વિદ્યાર્થીઓ, લહીયા, તથા દુકાનદારે બેસે છે, અને વચ્ચે થઈને છેક છેડાની મૂર્તિ આગળ જવાય છે. ઘણું લંબાણ થઈ જાય માટે વધારે બોલતો નથી; પણ એટલાથી જ તે ગુફાઓ કેવી જોવા લાયક છે તેનો તમારે ખ્યાલ કરી લેવો. પણ તે ગમે તેવી સારી હોય તોપણ જોવા શી રીતે જવાય ? અલફખાંની રજા લેવી જોઈએ. હમણાં રજા માગવા કોનાથી જવાય ? અને આવી વખતે આપણે સેર કરવાનો વિચાર કરીએ એ સાંભળીને તે ઘણો ગુસ્સે થશે, અને રજા આપશે નહી એટલું જ નહી, પણ તે આપણને ઘણો સખત ઠપકો દઈ કાઢી મૂકશે. માટે શો વિચાર છે ? સોભાનખાં, ઈબ્રાહીમખાં, તથા બીજા ઘણાએક સીપાઈઓ બોલી ઊઠયા કે આપણે પણ મુસલમાન બચ્ચા છીએ.

આપણે લશ્ક૨માં આપણા પાદશાહની ખાતર લડવા આવ્યા માટે તેને કાંઈ આપણે વેચાયા નથી. રજા માગવાની કાંઈ જરૂર નથી. જો આપણે ઘણા જણ સાથે જઈશું તો અલફખાં કે તેનો બાપ શું કરનાર છે ? આપણે સઘળાંને કાંઈ ફાંસી દેવાનો નથી; અને કાઢી મૂકશે તો શી ફિકર છે ? હવે કામ સઘળું થઈ ચૂક્યું છે. આપણે ઈહાં આટલા દહાડા મોટું દુઃખ ભોગવ્યું, તથા ઘણું મુશીબતો વેઠી ત્યારે હવે એક દહાડો સેર કરવાણો નહીં મળે ? હવે જે થવાનું તે થઈ રહ્યું. અલ્લાનું નામ લઈને મોજ કરીએ, ઈહાં ફરીફરીને ક્યાં આવવાના છીએ ? જીવ્યાં કરતાં જોયું ભલું. માટે બસેં ત્રણસેં માણસો એકઠાં થઈ જઈએ; પછી જે થનાર હોય તે થાઓ. રજા લેવાની કંઈ જરૂર નથી. માટે, અત્યારે કોણ કોણ આવવાને રાજી છે તેઓને ચુપકીથી એકઠા કરવા, અને રાત્રે સઘળી તૈયારી કરી રાખી સવાર ન પડે એટલામાં બીજા કોઈ ન જાણે તેમ કુચ કરી ચાલ્યા જવું. એ સિવાય બીજો કાંઈ રસ્તો નથી. વેરૂલની ગુફા જોવા જવાને તે જ રાત્રે આસરે ત્રણસેં માણસ તૈયાર થયા, અને પાછલી રાત્રે ઉઠીને તથા સાથે હથિયાર રાખીને તેઓ સઘળા ચાલતા થયા. એ કામ તેઓએ એવું છાનામાના કીધું કે છાવણીમાંથી કોઈને કાંઈ ખબર પડી નહી, અને જે થોડાએકે જાણ્યું તેઓ કાંઈ પણ બોલ્યા નહીં. આ સેર કરવા નીકળેલી ટુકડી ઘણીએક રમણિક જગાઓમાં થઈને ચાલી. જમીન ઘણી જ ઉચી નીચી હતી. નાના પહાડો વનસ્પતિથી છવાઈ ગયલા હતા, અને ઘણા શેભાયમાન દીસતા હતા. નીચે ખીણોમાં કાચ જેવી નીતરી નાની નદીઓ વેહેતી હતી તે ઉપર જયારે સૂર્ય પ્રકાશ્યો ત્યારે તે શોભાની કાંઈ મણા રહી નહી. સ્‍હવાર કેવી રળીયામણી લાગતી હતી, તેમાં આવા જખ્ખડ સીપાઈઓ જેઓનો સઘળો અવતાર માણસોને ચીભડાંની પેઠે કાપી નાંખવામાં ગયલો, તથા જેઓ દારૂગોળાની પડોસમાં જ રહેલા, અને સૃષ્ટિની લીલા જેઓએ જોયલી જ નહી, તેઓમાંથી જે કોઈને ઈશ્વરનાં સુંદર કામ તપાસવાનો શોખ હોય તો તેને તે સ્‍હવારે અતિ આનંદ થયા વિના રહે જ નહીં, સૂર્યોદય થતાં જ પેહેલાં તો પહાડોની ટોચે ઉપર સઘળો તડકો પડ્યો, હજી બીજી નીચી જગાઓ ઉપર અન્ધારૂં હતું, પણ ધીમે ધીમે નદીઓમાં પાણી પણ ચળકવા લાગ્યાં. ઝાડોનો લીલો રંગ ભભકાદાર જણાવા માંડયો, ઝાડીઓમાંનાં પક્ષીએાએ નાના પ્રકારના મધુર સ્વર કાઢીને આખી જગા ગજાવી મૂકી. વચ્ચે વચ્ચે રાની પશુઓનો કઠોર શબ્દ સંભાળતો હતો. એવી જગામાંથી જોતા જોતા તે લોકો આગળ ચાલ્યા.

હવે ભીમદેવ, દેવળદેવી, સવારો, સીપાઈઓ, દાસ, દાસીઓ, ભટ, ભટાણી, વગેરેનું શું થાય છે તે ઉપર નજર કરીએ. ગામની બહાર નીકળ્યા પછી કેટલેએક દૂર સુધી રસ્તામાં કાંઈ પણ બનાવ બન્યો નહીં. આશાથી ભરપૂર, ભયરહિત તથા ખુશ દિલથી તેઓ ચાલ્યાં જતાં હતાં. દેવળદેવી એક સુંદર તથા જલદ ઘોડા ઉપર બેસીને ઉંડા વિચારમાં ઘોડાની મરજી પ્રમાણે આગળ જતી હતી. તે દહાડો તેની જીંદગીમાં સૌથી મોટો હતો; તે દહાડે તેની સઘળી ઇચ્છા સફળ થવાની તે આશા રાખતી હતી; તે દહાડે તેના પ્રિયતમનું મ્હોં તેને જોવું હતું; તે દહાડાથી તેના સંસારનો આરંભ થવાનો હતો; અને તે દહાડો તેના કલ્પેલા સુખી વખતનો પેહેલો જ હતો. માટે તે દહાડે તેને અતિ સુખની સાથે ઘણી જ ચિંતા મનમાં રહે તેમાં કાંઈ આશ્ચર્ય નથી.

દહાડો ધીમે ધીમે ચઢવા લાગ્યો; અને ખરા બપોર થયા એટલે કેટલેક દૂરથી કોઈ રડતું હોય એવો અવાજ સઘળાએાએ સાંભળ્યો. બપોરની વખતે આવો ભયંકર શબ્દ કાને પડ્યો તેથી સઘળાએા ચમકયા દેવળદેવીએ જાણ્યું કે કોઈ માણસ મોટી વિપત્તિમાં આવી પડેલું છે. અને તેને મદદ કરવાની જરૂર છે, માટે સવારી અટકાવી અવાજ જ્યાંથી આવે છે ત્યાં જવું એવી તેની મરજી થઈ; અને તેણે પોતાની સાથેનાં માણસોને અટકાવ્યાં. ભીમદેવને ત્યાં જરા પણ થોભવાની ખુશી ન હતી. રસ્તામાં આગળ શું થશે તેની કાંઈ ખબર ન હતી, માટે જેમ બને તેમ જલદીથી કુચ કરી શેહેરમાં પોંહોંચી જવું એવો તેનો વિચાર હતો, પણ જ્યારે દેવળદેવી અટકી ત્યારે તેને પણ અટકવાની જરૂર પડી અને તેઓ સઘળા તે બાજુ તરફ વળ્યા. અવાજ વધારે વધારે સાફ સંભળાવા લાગ્યો, અને કેટલેક દૂર ગયા પછી તેઓએ એક ઝાડની નીચે એક બઈરીને બેઠેલી જોઈ, તે બુમ પાડીને રડતી હતી. આ બઈરી દુઃખ તથા દરિદ્રતાનું ખરેખરૂં સ્વરૂપ હતું, તેના શરીર ઉપર જે ફાટાં ચિથરાં ઢાંકેલાં હતાં તેમાંથી તેનું આખું શરીર જણાતું હતું, અને તે ચિથરાં એટલાં તો મેલાં હતાં કે અસલ તેઓ કેવા રંગનાં હશે તે હાલ કહેવું અશકય હતું, તથા તેમાં જુ વગેરે બીજાં જીવડાંઓએ વાસ કીધો હતો. તેના મ્હોં ઉપરથી દેખાતું હતું કે તે કાંઈ મહાભારત દુ:ખમાં આવી પડેલી છે. તે એવી તો બદશિકલ તથા બીહામણી હતી કે તેને જોઈને ધોળે દિવસે પણ બીહીક લાગ્યા વિના રહે નહી. દેવળદેવીનો ઘોડો પાસે આવતાં જ તે એકદમ ઉઠી, અને લગામ પકડી તેને પાછો ઘસડવા લાગી. ઘોડો તો ઘણા વેગે દોડ્યો, અને તેની સાથે પેલી બઈરી પણ દોડતી ચાલી. સઘળા સીપાઈએ તો જડભરત થઈ ઉભા રહ્યા. આ કોઈ પ્રેત, ડાકણ, કે શાકણી હશે, અને તે દેવળદેવીને ઘસડી જઈ કોઈ નદીમાં ડુબાવી દેશે, અથવા બીજી રીતે તેનો પ્રાણ લેશે એ વિષે તેઓને કાંઈ શક રહ્યો નહી, અને તેની આગળ આપણું કાંઈ ચાલવાનું નથી એવી ખાતરી થવાથી તેઓએ તેની પાછળ કાંઈ દોડ કીધી નહી, પણ મુગાં મુગાં જોયાં કીધું, દેવળદેવીનો ઘોડો જયારે ઘણે દૂર નીકળી ગયો, ત્યારે ભીમદેવે હિંમ્મત પકડી પોતાનો ઘોડો પાછળ ફેંક્યો, અને તે એવો તો વિજળીના વેગે ચાલ્યો કે તે દેવળદેવીને પકડી પાડશે એમાં કાંઈ શક રહ્યો નહી.

ભીમદેવની પાછળ કેટલાએક સવાર પણ ગયા. ભીમદેવે દેવળદેવીનો ઘોડો આઘે જોયો તેની પાછળ તે ઘણા જોરથી ઘસ્યો. આશરે એક કલાક સુધી દોડ કીધા પછી તેઓ પાસે પાસે આવી ગયા તે વખતે તે રાંડને જોઈને ભીમદેવને એટલો ક્રોધ ચઢ્યો કે પોતાની તલવાર કાઢીને તેને મારી, પણ હવામાં તલવાર મારવી અને તેને મારવી બરોબર, ઘા પડ્યો તો ખરો, પણ હવામાં બઈરી તો એક ભડકું થઈને ઉડી ગઈ, અને ત્યાંથી બે કદમને છેટે આવી પાછી ઉભી રહી, ભીમદેવ રજપૂત બચ્ચો હતો તોપણ આ તમાશો જોઈને તેનાં ગાત્ર શિથિલ થયાં, તેના મનમાં ઘણી દેહેશત ભરાઈ પણ હિંમત કદી હારવી નહીં એ રજપૂતનો પેહેલો તથા મુખ્ય ધર્મ; માટે પાછો સાવધ થઈ તેણે મોટે અવાજે પૂછ્યું – “તું કોણ છે ? તારે દેવળરાણીની સાથે શું કામ છે? તું તને ક્યાં લઈ જતી હતી ? અને તેને શું કરવાનો તારો વિચાર હતો?” બઈરી છેક બદલાઈ ગયેલી હતી, ભડકું થઈને તે ઉડી ગઈ અને પાછી આવી ત્યારે તેમાં બિલકુલ ફેરફાર થઈ ગયેલો હતો. હમણાં તો તે દેવાંગના જેવી રૂપવાળી દેખાતી હતી. તેના મ્હોંની કાન્તિ ઘણી જ સુન્દર હતી. તેણે જરીનાં વસ્ત્ર પહેરેલાં હતાં, તથા તેના અંગ ઉપર ઘણાં અમૂલ્ય તથા શોભાયમાન આભૂષણ હતાં. તેના ચહેરા ઉપર ઉદાસી જણાતી હતી, તથા તેની આંખ દયાથી ભરેલી હતી. ભીમદેવના સવાલનો જવાબ દેવા અગાઉ તેણે ઘણા પ્રેમથી દેવળદેવીના સામુ જોયું, અને જોતાં જ તેની કમળ જેવી આંખમાંથી આંસુઓની બે ધાર ચાલી. તેનું હૈયું એવું તે ભરાઈ આવ્યું કે તેનાથી તુરત બોલાયું નહી. પણ થોડી વાર પછી તેણે આંસુ પોતાનાં કીમતી લુગડાં વડે લુંછી નાંખ્યાં, અને આકાશમાંથી ઓસ જેમ ધીમે પડે છે તેમ ધીમેથી તથા મૃદુ સ્વરે બોલી:– “હું દેવળદેવીની વિધાતા છું. હું અત્યાર સુધી તેનું રક્ષણ કરતી આવી છું. હવે આગળ ભય છે માટે પાછા ફરો, કોઈ ઠેકાણે આજની રાત મુકામ કરી કાલે સવારે જાઓ. મારું કહ્યું માનવામાં જ ફાયદો છે. જો તમારા દુર્ભાગ્યને લીધે હઠ કરી તમે આગળ જશો તો શું પરિણામ નિપજશે તેનો હું જવાબ દેવાની નથી. આ મારી છેલ્લી શિખામણ છે માનવી હોય તો માનો નહી તો હું તો જાઉં છું.” એટલું કહી તે સ્ત્રી અદશ્ય થઈ.

ભીમદેવ તથા દેવળદેવી તે સ્ત્રી અલોપ થયા પછી કેટલીએક વાર સુધી ત્યાં જ ઉભાં થઈ રહ્યાં. અને એક એકની સામું ટગરમગર જોયાં કીધું. શું કરવું તે સુઝે નહીં. એટલામાં પાછળના સવારો ત્યાં આવી પહોંચ્યા તેને જોઈને તે બંનેને હિમત આવી, અને હવે કાંઈ પણ ઠરાવ કરવો જોઈએ એમ તેઓને લાગ્યું. એટલે સુધી આવ્યા પછી જો તેઓ પાછા જાય તો સીપાઈ લોકોમાં તેની બહાદુરી વિષે ઘણો હલકો વિચાર આવે માટે આગળ ચાલવું જોઈએ. વળી ક્ષત્રિયનો ધર્મ એ છે કે કશાથી બીહીવું નહી ત્યારે આ પ્રસંગે ભય શા માટે રાખવો જોઈએ ? તેમાં વળી એક બઈરીથી ડરવું ? એ તો છેક નામરદાઈ માટે દેહેશત છોડી દઈ આગળ કુચ કરવી, દેવળદેવીને પણ પોતાના શંકળદેવને મળવાની એટલી તો આતુરતા હતી કે લેશમાત્ર વિલંબ પણ તેનાથી ખમાય એવું ન હતું, વળી તેની ખીલતી જુવાની હતી, તેવે વખતે ભય મન ઉપર થોડી અસર કરે છે. તેને તે જ દહાડે પોતાના પ્રાણપ્રિયને જોવાની એટલી તો હોંસ હતી કે તે બઈરી પોતાની વિધાતા છે એમ તેણે માન્યું નહી, પણ તે કોઈ વંતરી અથવા મલીન પ્રાણી હશે અને તેણે તેને અમથી ભડકાવી હશે, એમ માનીને તેણે મનમાં સંતોષ માન્યો. એ પ્રમાણે ભીમદેવ તથા દેવળદેવી બંનેની વૃત્તિ જવા તરફ થઈ. તેઓ તુરત પોતાના લશ્કરને જઈ મળ્યાં, અને આ બનાવ જાણે બન્યો જ નથી, એમ જાણી આગળ ચાલ્યાં. કેટલીએક વાર સુધી મેદાનમાં ચાલ્યા પછી તેઓ એક સાંકડી ગલીમાં આવ્યાં. આસપાસ બે ઉંચા પહાડ આવી રહ્યા હતા. એ નાળ ઘણી જ લાંબી હતી તેમાં આગળ જતાં તેઓએ થોડેક દૂર ધુમાડો નીકળતો જોયો. પહેલ વહેલાં તો તેઓએ જાણ્યું કે તે કોઈ ગામડું અથવા ભઠ્ઠી કે પજાવો હશે; પણ જરા આગળ ચાલતાં માણસોનું એક ટોળું રસોઈ કરતું હોય એમ તેઓને લાગ્યું. તેઓની પાસે ગયા ત્યારે તેઓ મુસલમાન છે એમ માલમ પડયું. એ મુસલમાનો વેરૂલની ગુફા જોવા જનારા અલફખાંના સીપાઈઓ જ હતા, તેઓએ પણ જ્યારે કોઈ લશ્કર આવતું જોયું, ત્યારે સઘળા રસોઈનું કામ પડતું મૂકીને જાગૃત થઈ ગયા. સૌએ લુગડાં પહેરીને હથિયાર બાંધી દીધાં, અને શું કરવું તેને મનસુબો કરવા લાગ્યા. થોડી વાર તો ત્યાં ગરબડ સરબડ થઈ ગઈ. રસુલખાં, પીરમહમદ, જાફર, બેહેલીમ, વગેરે તરેહવાર નામની બુમ સંભળાવા માંડી. “અલ્લાહુ-અકબર” ની ચીસ કેટલાએકે પાડી. કેટલાએક સ્થિર ઉભા જ રહ્યા, અને કેટલાએક ફક્કડ લબાડ સીપાઈઓએ પોતાની મોટાઈની તથા બહાદુરીની મોટી વાતો કરવા માંડી. તો પણ તે તડાકા મારવાને વખત ન હતો. કાંઈ પણ દૃઢ સંકલ્પ કરવો જોઈએ. તેઓ તે ફક્ત ૩૦૯ માણસ હતાં, અને સામાવાળા તો તેઓને તેથી બમણા ત્રમણા દેખાયા ત્યારે તેઓની સાથે લડવું કે નહી એ વાતનો નિશ્ચય કરવો જોઈએ. કેટલાએકનો વિચાર લડવું નહીં એમ હતો; પણ કેટલાએક જુવાન તુરક મીરજાંઓનાં મનને હિન્દુનો કશો હિસાબ ન હતો, અને તેઓની હરેક લડાઈમાં ખુદા તેમની તરફથી લડવા આવે છે એવો તેઓનો દૃઢ વિશ્વાસ હતો તેથી તેઓના મનમાં ઘણી હિંમત હતી; વળી લડાઈમાં નાસવું એ મોટી શરમની વાત, અને તેમાં કાફર નામરદ હિન્દુઓથી ડરવું, એ તો કાયરનું કામ માટે ગમે તે થાય તોપણ એક તસુભર પાછા હઠવું નહી. “અલ્લા બેલી ને પીર મદદ ” એવું કહી તેઓ હારબંધ દુશ્મનની મુલાકાત લેવાને ઉભા રહ્યા.

આણીગમ ભીમદેવ પણ મોટી ફિકરમાં પડ્યો. તેને તે રસ્તે કોઈ દુશ્મન મળશે એવું તેણે ધારેલું ન હતું તેથી લડવાની કાંઈ તૈયારી રાખી ન હતી. વળી તેની સાથે દેવળદેવી હતી તેને સહીસલામત દેવગઢ લઈ જવાની તેને ઘણી ફિકર હતી. લડાઈમાં કોણ જાણે શું થાય ? જો હાર થઈ તો આટલું કષ્ટ સહીને તથા શ્રમ કરીને લાવેલી રાણી હાથમાંથી જતી રહે એ વિષે તેને ઘણી ચિંતા હતી. તે વખતે તેને પેલી ચીથરીયા બઈરી યાદ આવી, તથા તેનું કહેલું વચન પણ સાંભરી આવ્યું તેના કહ્યા પ્રમાણે તેણે મુકામ ન કીધો તેને હમણા ઘણો પશ્ચાત્તાપ થયો, અને હવે તે વિધાતાનું ભવિષ્ય ખરું પડશે એવી તેની ખાતરી થઈ, ને તેથી જ તેની સઘળી હિંમત જતી રહી, તેના મ્હોં ઉપરથી લોહી ઉડી ગયું અને તે છેક ઉદાસ થઈ ગયો, હવે શું કરવું ? પાછું તો જવાતું નથી, તેમ દેવગઢ જવાનો બીજો રસ્તો પણ ન હતો માટે લડાઈ કીધા વગર તેને છૂટકો ન હતો. પોતાની તરફ માણસો દુશ્મન કરતાં ઘણાં વધારે છે, તથા શૂર રજપૂતોને ફાટાતુંટા તુરકડાઓને મારી હઠાવતાં કાંઈ વાર લાગવાની નથી એવું કહીને તેણે પોતાના માણસોને હિમ્મત આપવાનું કર્યું. પણ તેનું મ્હોં જ તેના આ ઉત્તેજક શબ્દોને જુઠા પાડતું હતું. તેઓએ ભીમદેવને કોઈ વાર કાયર થયલો જોયો ન હતો, અને જ્યારે તે વખતે તેઓએ તેને નિરાશ તથા હિમ્મત હારેલો દીઠો, ત્યારે તેઓ સઘળાને એકદમ લાગ્યું કે આજે કાંઈ નવતરૂં કારણ છે, અને બધાના હાંજા ગગડી ગયા. તેઓએ બહારથી તો શૂરાતન દેખાડ્યું, પણ તેઓની છાતી ધડકતી હતી, તથા પગ બરાબર ઉપડતા ન હતા. એવી સ્થિતિમાં તેઓ મુસલમાનોની સામે યુદ્ધ કરવાને આગળ ચાલ્યા.

શત્રુઓ તેઓને વાસ્તે તૈયાર જ હતા. તેઓને પાસે આવતા જોઈ મુસલમાનએ “અલ્લાહુ-અકબર” ની જોરથી બૂમ પાડી. એ બૂમ રજપૂતોએ આજ પહેલાં સેંકડો વાર સાંભળી હતી તોપણ આ વખત તેથી તેઓના મન ઉપર ઘણી જ જુદી જાતની અસર ઉત્પન્ન થઈ. બંને લશ્કર સામસામાં મળ્યાં, અને મુસલમાન લોકો થોડા હતા તેપણ કાંઈ પણ દહેશત ખાધા વિના તેઓએ ભીમદેવના માણસો ઉપર ધસારો કીધો, તીરથી વાદળ છવાઈ ગયું, ચીચાચીસ તથા બૂમાબૂમથી કાન બેહેર મારી ગયા. એક તરફ શિરોહીની તથા બીજી તરફ અરબસ્તાનની તલવાર ઉછળી રહી. જુઆરની કાપણી થતી હોય તેમ સામસામેનાં માણસો કપાયાં. તે વખત “ અલ્લાહુ-અકબર” ની બીજી ચીસ સંભળાઈ, અને મુસલમાનોએ વધારે જુસ્સાથી હુમલો કીધો. તેની સામે હિન્દુઓથી ટકાયું નહીં. તેઓમાં ભંગાણ પડયું, ઘણાખરા જુદી જુદી દિશાઓ તરફ નાસવા લાગ્યા, દેવળદેવીના ઘોડાને એક તીર એવું તો જોરથી વાગ્યું કે તે તુરત મરણ પામ્યો, તથા તે પોતે બેહોશ થઈ જમીન ઉપર પડી. તેને લઈ જવાને વાસ્તે તેની દાસીઓ ચોતરફ વિંટળાઈ વળી. એટલામાં મુસલમાન સીપાઈ એાએ આવીને તેને ઘેરી લીધી. કેટલાએક તેની ખૂબસુરતી જોઈને છક થઈ ગયા, અને આ કોઈ બેહેસ્તની હુરી છે એમ તેને માની તેની સામું કેટલીક વાર સુધી તેમણે જોયાં કીધું, કેટલાએકને તો તેને જોઈને એટલો કામવેશ આવી ગયો કે તેને લઈ જઈ પોતાના ઝનાનખાનામાં રાખવાનું મન થયું. કોઈ બુઢ્ઢા સીપાઈએ કહેવા લાગ્યા કે ખુદાએ અમારા ઉપર મહેર કરી આ રંડી ઈહાં મોકલી દીધી છે, અમને રોટલી પકવવાની ઘણી આપદા પડે છે તે આ છોકરી આવે તો મટી જાય. કેટલાએક પૈસાના લોભી એવું વિચારવા લાગ્યા કે જો આ ખૂબસુરત છોકરી અમારા હાથમાં આવે તો દિલ્હીમાં એની ઘણી કિંમત ઉપજે, અને જન્મ સુધી ન્યાહાલ થઈ જવાય. એ પ્રમાણે જુદા જુદા માણસોએ જુદા જુદા અભિપ્રાય બાંધ્યા. “ એક રાંડ અને સો, સાંઢ,” તેના જેવી વાત થઈ, બધાને જ તેને લઈ જવાની મરજી, એટલે પરિણામ એવું થયું કે તેને સઘળા ઘસડવા લાગ્યા, અને એમ કરતાં કરતાં માંહેમાંહે કાપાકાપી ઉપર આવી ગયા. જે તલવાર દુશમન ઉપર ઉછળી હતી તે હમણાં પોતાના જાતભાઈ ઉપર વપરાઈ. એ ગડબડાટમાં એકાદ ઝટકો વાગ્યાથી દેવળદેવી તો ત્યાં જ નક્કી થઈ જાત, અને એવો વખત પણ ઘણી વાર આવ્યો હતો. તેની દાસીઓ રજપૂતોમાં રહેલી તેથી તેનું નામ કહી દેવા કરતાં તેને મરવા દેવી એવું વિચારીને મુંગી મુંગી ઉભી રહી, પણ પેલી ભટાણી જે જોડે હતી તેનાથી ઘણી વાર સુધી ચુપ રહેવાયું નહીં, એક વાર જ્યારે દેવળદેવી સહેજ બચી ગઈ તે વખતે તે બોલી ઉઠી, “અરે મુઆ તુરકડાઓ ! તમે કોને વાસ્તે લડી મરો છો ? તમે આને એળખો છો ? એ તો દેવળદેવી, શંકળદેવની સાથે પરણવાની છે. પીટ્યાઓ ! તમારી લડાઈ બંધ રાખો, અને રાણીને તમારા સરદાર પાસે લઈ જાઓ. દેવળદેવી એ નામ સાંભળતાં જ સઘળાઓએ હથિયાર નાંખી દીધાં, અને આટલી મુદત થયાં જેને માટે લડતા હતા તે હાથમાં આવી એવું જાણી ઘણા રાજી થઈને આ ખુશ ખબર અલફખાંને કેહેવાને એક કાસદ મોકલ્યો. તેઓ પણ દેવળદેવીને એક ઘોડાપર બેસાડી મોટી છાવણી તરફ તાકીદથી લઈ ચાલ્યા. અલફખાંને આ સમાચાર સાંભળીને તથા થોડી વાર પછી દેવળદેવીને નજરે જોઈને જે હર્ષ થયે તેનું વર્ણન થઈ શકતું નથી. તે વખતે તેણે પરમેશ્વરના શુકરાના કીધા; પોતાની પાસે જેટલા પૈસા હતા તેટલા તે માણસોમાં વહેંચી દીધા, અને ત્યાંથી છાવણી ઉઠાવીને દેવળદેવીને સાથે લઈ ગુજરાત જવાને નીકળ્યો.

લેખક – નંદશંકર મહેતા
આ પોસ્ટ નંદશંકર મહેતાની ઐતિહાસિક નવલકથા કરણ ઘેલો: ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!