કરણ ઘેલો: પ્રકરણ- 12

અરે ભગવાન ! તું કીડીને કુંજર, તથા તરણાનો મેરુ કરી શકે છે, તારી ગતિનો પાર કોઈ પામી શકતું નથી.” એ પ્રમાણે દિલ્હીના સરિયામ રસ્તા ઉપર એક મોટા મહેલ આગળ કોઈ હિન્દુ નામે બિહારીલાલ ઘોડા ઉપર બેસીને આવ્યો તે તે મહેલ જોઈને બોલ્યો. તે બીચારો મહાસંકટમાં આવી પડ્યો હતો, અને તેમાંથી છૂટવાનો ઉપાય કરવાને ત્યાં આવ્યો હતો. સઘળા કાફર હિન્દુઓ મુસલમાન ધર્મ ન માને તો શરેહ પ્રમાણે તેઓની પાસેથી જઝીઓ કર લેવામાં આવતો હતો. એ કર આપવામાં જેઓ હરકત કરતા, અથવા કાંઈ દગો કરી તે જેટલો જોઈએ તે કરતાં ઓછો આપતા, તેઓને ભારેમાં ભારે દેહાંતદંડની શિક્ષા કરવામાં આવતી હતી. બિહારીલાલે ઘરમાંનું એક માણસ છૂપાવી ઓછો જઝીઓ આપ્યો એવું તેના ઉપર તોહમત આવ્યું હતું, અને અગરજો તે બિલકુલ પાયા વગરનું હતું, અગરજો તે નિરપરાધી હતો, તથા એ સઘળું કામ જઝીઆના ઉઘરાતદારની દુશ્મનીને લીધે ઉઠ્યું હતું, તો પણ જે રાજ્યમાં હિંદુઓ ઉપર દ્વેષ, જ્યાં ઈનસાફનો કાંટો પૈસાવડે ગમે તેણી ગમ નમે, અને જ્યાં સરકારને જે વાતથી નુકશાન થાય એવી વાતમાં ન્યાયાધીશો રૈયતની વિરૂદ્ધમાં ફેંસલો કરે એ નિશ્ચય, ત્યાં બિહારીલાલ પોતે નિર્દોષ છતાં પોતાના જાનમાલની મોટી ધાસ્તીમાં રહે એમા કાંઈ આશ્ચર્ય ન હતું. ધાસ્તી તો શું પણ તેના મનમાં નક્કી હતું કે જો આ પ્રસંગે ઘટતા ઉપાય કરવામાં આવશે નહી તો વધારે દહાડા જીવવાની આશા જ રાખવી નહી. પણ પરમેશ્વરની મેહેરબાનીથી એવા અન્યાયી, જુલમી રાજ્યમાં શિક્ષામાંથી બચવાનો એક મોટો ઉપાય હોય છે, અને જ્યાં સુધી તે ઉપાય કરવો આપણા અખતિયારમાં હોય છે ત્યાં સુધી જીન્દગી સલામત છે એમ કહી શકાય છે. એ ઉપાય પૈસા છે, ‘જર ચાહે સો કર,” એ કહેવત કેટલીએક વાતોમાં ખરી પડે છે. જરવાળો માણસ ખરા અથવા ખોટા ગુનાહમાંથી એ સાધનથી બચી શકે છે, એટલું જ નહી પણ તે ગુનાહ કોઈ બીજા ઉપર ઢોળી શકે છે, એવે ઠેકાણે જેઓ ગરીબ એટલે અશક્તિમાન, સાધનરહિત, હોય તેઓની ખરેખરી કમબખતી થાય છે. તેઓ પોતાના ઉપરના ખરા અથવા ખોટા અપરાધની શિક્ષા ભોગવે છે એટલું જ નહી પણ બીજા શ્રીમંત લોકોના અપરાધની સજા ઘણી વખતે તેઓને ખમવી પડે છે. તેઓનો બેલી તો પરમેશ્વર જ છે, અને તેઓ જીવતા રહે એ જ આ જગતના તથા તેમના દેશના પાદશાહનો મોટો પાડ એમ તેઓએ માનવું જોઈએ. બિહારીલાલ મોટો વ્યાપારી હતો, અને તેણે થોડાંએક વર્ષમાં ઘણું દ્રવ્ય મેળવ્યું હતું,

પણ રાજ્યના જુલમને લીધે તેનાથી તે દ્રવ્યનો ઉપભેાગ થઈ શકતો ન હતો. સરકારનાં માણસોની ગીધ જેવી નજર તેના ઉપર ન પડે માટે તે એક ખુણામાં એક નાના સરખા ઘરમાં રહેતો હતો. ખાવા જેટલો પૈસો બહાર રાખી તેણે પોતાની સઘળી દોલત ભોંયમાં દાટી મૂકી હતી; અને એવાં નઠારાં લુગડાં પહેરીને તે ફરતો તથા ઘરમાં એવો થોડો ખરચ રાખતો હતો કે તેની પાસે પૈસો છે એવો શક કોઈને ઘણી જ મુશ્કેલીથી આવે, પણ પૈસાની બાબતમાં જુલમી સરકારની ઘ્રાણેન્દ્રિય ઘણીજ તીક્ષ્ણ હોય છે. જેમ કેટલાએક શિકારી કૂતરા ભોંયમાં દર કરી ભરાયલાં સસલાંને સુંઘવાથી બહારથી પારખે છે, જેમ મુડદાંની વાસ ગીધ તથા સમડીને ઘણે દૂરથી લાગે છે, તથા જેમ મંકોડા સાકરની પીમળ ગમે ત્યાંથી એાળખી કાઢે છે, તેમ તેના દાટેલા ધનની ગંધ સરકારના નાકમાં પહોંચી, હરેક માણસને કોઈ પણ શત્રુ હોય છે, અને વળી જો તેની અવસ્થા સારી હોય તો કેટલાએક તેની અદેખાઈ કરનાર હોય છે, તેઓને પોતાનું વેર લેવાને, અથવા અદેખાઈના તાપ હોલવવાને, બીજો કાંઈ ઉપાય જડતો નથી, ત્યારે તેની પાસે અખૂટ દોલત છે એવી સરકારમાં ખબર આપે છે. પછી તે ખબર ખરી હોય કે ખોટી તેપણ તેના ઘર ઉપર બીજે દહાડે પેહેરો આવવાનો, તેના માલની જપ્તિ થવાની, તે કોઈ અન્યાયને માટે સરકારમાં ઘસડાવાનો, તોહમત તેના ઉપર સાબિત થવાનું, સજા કરતી વેળા જાણી જોઈને ભાંજગડ કરવા કેટલાએક પડવાના, તેની પાસે વધારે દોલત છે એ જ તેનો મોટો દોષ એમ તેની ખાતરી થવાની, તથા અન્તે તેની દોલતનો અર્ધો ભાગ અથવા વખતે તેથી પણ વધારે ઘણીએક રકજક તથા તકરાર પછી તેને આપવો પડવાનો. એમાં કાંઈ સંશય જેવું નથી. આવા ખાનગી દુશ્મનો તથા અદેખા લોકો એ કામને વાસ્તે જાણે બસ ન હોય તેમ સરકારના તરફથી ગુપ્ત જાસુસો પણ શહેરમાં ફર્યા કરતા હતા. તેઓ દિલ્હીના હરેક ભાગની, હરેક મમોહલ્લાની, તથા હરેક ઘરની બાતમી રાખતા હતા, અને કોઈ પણ શિકાર તેઓને મળ્યો એટલે તુરત તેના ઉપર પંઝા લાંબા કરી તેઓ તલપ મારતા હતા. એવે વખતે જે માણસ તે જાસુસને રાજી રાખવાને તથા તેનું ગજવું ભરવાને આનાકાની કરે તેની ખરેખરી કમબખ્તી જાણવી. તે હોલામાંથી બચવા જતાં ચુલામાં પડે છે, તેને બકરી કાઢતાં ઉંટ પેસે છે; અને આખરે તેને સરકાર તથા જાસુસ એ બંનેને ટાઢા પાડવા પડે છે. બિહારીલાલની દોલતની વાસ સરકારને પડી હતી, અને તે ખબર કરનાર જઝીયાનો ઉઘરાતદાર હતો. પોતાની સાચવટ ઉપર ભરોસો રાખી, તથા એવા લોકોનો જુલમ અટકાવવાના હેતુથી, તેણે ઉઘરાતદારને ખુશ કીધો નહી, અને તેનું પરિણામ એ થયું કે, થોડા દહાડામાં તેના ઘર ઉપર જપ્તિ બેઠી, તેનાં બઈરીછેકરાંને એક એરડામાં ગોંધ્યાં, તથા તેને ગુનાહગારની પેઠે બાંધીને સરકારમાં લઈ ગયા. તે દહાડે તો તે હાજર જામિન આપીને છૂટ્યો; પણ હવે શું થશે એ વાતની તેના મનમાં ઘણી જ ચિન્તા રહી. તેને પોતાની જાતને વાસ્તે એટલી બધી ફિકર હતી એમ કાંઈ ન હતું. પોતાનો વહાલો પૈસો જે તેણે ઘણે શ્રમે, ઘણાં સંકટ ભોગવીને, તથા મોટાં જોખમ માથે લઈને મેળવ્યો હતો તે સઘળો એક પળમાં ઉડી જશે. અને તેનાં બઈરાંને માથે પણ મહાભારત દુઃખ આવી પડશે, અને તેના આવા કામને લીધે તેઓને પણ સજા થશે, એ વિચારથી તેનાં અન્તઃકરણને તીક્ષ્ણ બાણ વાગતાં હતાં. જે પ્રમાણે માબાપના રોગ છોકરાંને વખતે ઉતરે છે; તથા જે પ્રમાણે માબાપનાં કીધેલાં કામોનાં ફળ દુનિયામાં વખતે છોકરાંને ચાખવાં પડે છે તે પ્રમાણે અન્યાયી, જુલમી, તથા આપ અખતિયારી રાજાના હાથ નીચે માબાપના ગુનાહની સજા છોકરાંને ભોગવવી પડે છે એટલું જ નહીં, પણ તેઓનાં છોકરાં તથા નિકટના સંબંધીઓને પણ તેમાં વખતે સામેલ કરવામાં આવે છે.

એવી બારીક હાલતમાં બિહારીલાલ આવી પડ્યો હતો. વાઘ જેવાના સપાટામાંથી પણ કોઈ વાર બચાય, પણ સરકારની એવી ચુગલમાંથી સહી સલામત છુટવું, એ તો ઈશ્વરી ચમત્કાર જાણવો. કરોળિયાની જાળમાં કોઈ માખી સપડાય છે ત્યારે તે કેટલીએક વાર સુધી તરફડિયાં મારે છે, તેમાંથી જો પાંખ અથવા પગ તુટતાં પણ બહાર નીકળાય તો તેનું મોટું ભાગ્ય જાણવું, નહી તો તે કરોળિયો આઘે બેસીને તેના પછાડા તાકીને જોયાં જ કરતો હોય છે, અને જ્યારે તેનો ભક્ષ થાકીને નરમ પડે છે એટલે તે ધીમે ધીમે આવી તેની જીન્દગીનો અન્ત આણે છે. તે પ્રમાણે બિહારીલાલ બીચારો સરકારની મહાજાળમાં ફસાયો હતો, અને તેમાંથી હવે નીકળવાને પછાડા મારતો હતો. તેની ચુક માત્ર એટલી જ હતી કે તેણે જમાનો, દેશની હાલત, તથા રાજનીતિ બરાબર તપાસી નહી. સાચવટ તથા પ્રમાણિકપણા ઉપર ભરોસો રાખી, તથા તેને ખડકના જેવાં અચળ સમજીને તેઓને અઢેલીને તે ઉભો રહ્યો, પણ તે એટલું સમજ્યો નહી કે સાચવટ તથા પ્રમાણિકપણું આ દુષ્ટ જગતમાં ઘણે પ્રસંગે માણસને દુનિયા તરફના નુકશાનથી બચાવી શકતાં નથી, તથા આ તોફાની ભવસાગરમાં તો ખડકો કેટલીએક વાર ખસી જાય છે, અને તેઓના ઉપર વિશ્વાસ રાખી તેને વળગી રહેનારા માણસ ઉછળતાં મોજાંમાં ઘસડાઇ જાય છે. જો સાચવટ તથા પ્રમાણિકપણા ઉપર પાકો ભરોસો રાખવો હોય તો દુનિયા તરફની ખરાબીથી કદી પણ બીહીવું નહી. તેમણે નક્કી મનમાં સમજવું કે આ બે અમૂલ્ય ગુણ પકડી રાખ્યાથી દુનિયામાં કદાચ તેમના ઉપર ગમે તેટલી આફત પડે, તેમની પાયમાલી થઈ જાય, અથવા વખતે જાનની પણ ખુઆરી થાય, તોપણ આ પ્રપંચી દુનિયાનો ત્યાગ કીધા પછી પરલોકમાં સર્વ શક્તિમાન તથા સઘળાં સારાં કામોનો તથા સઘળા શ્રેષ્ઠ ગુણોનો બદલો આપનાર પરમેશ્વરની તરફથી અક્ષય સુખની પ્રાપ્તિ થયા વિના રહેશે નહીં, એ વાત ઉપર નજર રાખીને તથા એ ગુણો સારા જ છે માટે હમણાં તેઓથી ગમે તેવાં માઠાં પરિણામ નિપજે તેની દરકાર ન કરતાં તે ગુણો પાળવા જ એમ તેમણે મનમાં નક્કી રાખવું. એ સદ્દગુણોને લીધે દુનિયામાં પણ ઘણા લાભ થાય છે. પણ તે લાભ ઉપર એટલો વિશ્વાસ રાખવો નહી. જે માણસ આ જગતમાં ફાયદાને માટે જ સદા ચરણે વર્તે છે તેનો ટેકો ઘણો નબળો છે.

સદ્દગુણી માણસો ઉપર ઘણી વિપત્તિઓ આવી પડે છે. તેઓને પણ જગતમાં સામાન્ય નિયમો લાગુ પડે છે, તેઓને પણ હમેશાં લાભ જ થાય એમ બનતું નથી; ત્યારે સાચવટ અને પ્રમાણિકપણે ચાલનાર એવી આશા રાખે કે એ પ્રમાણે વર્તવાથી પરમેશ્વર તેના ઉપર મહેરબાન થઈ તેને હમેશાં સુખી રાખશે, તેની ઉમેદ હમેશાં બર લાવ્યાં કરશે, તથા તેને માથે કોઈ દહાડો પણ આફત આવી પડશે નહી, તો તે ઘણો નાઉમેદ તથા નિરાશ થઈ જાય છે; અને તેનું પરિણામ એ થાય કે તેના મનમાં બેમાંથી એક વાતની શંકા ઉત્પન્ન થાય છે, એક તો એ કે પરમેશ્વર ઈનસાફી નથી; તે આંધળો થઈ બેઠો છે, તથા સારાંનઠારાં માણસોમાં કાંઈ ભેદ ગણતા નથી માટે તેના ઉપર પ્રીતિ રાખવાથી, તેના ઉપર દૃઢ વિશ્વાસ રાખવાથી, તથા સારાં કામોના બદલાની તેની તરફથી આશા રાખવાથી કાંઈ ફળ નથી; અથવા તેને એવી ખાત્રી થાય છે કે સારાંનઠારાં કામોમાં કાંઈ ભેદ નથી. નઠારાં કામનો નઠારો અને સારાં કામનો સારો બદલો મળશે એ ખોટું છે; એ એક જુઠી લાલચ અસલના વખતમાં ડાહ્યા લોકોએ આપેલી છે, તથા નઠારાં કામ કરતાં લોકોને અટકાવવાને વ્યર્થ ધમકી બતાવેલી છે; જે મૂર્ખના મનમાં એ પ્રમાણે શંકા ઉત્પન્ન થાય છે તેમાં ખરેખરો તેનો વાંક છે, પરમેશ્વરનો નથી. અગરજો જગતના નિયમ એવા બનાવેલા છે કે સદ્ગુણીને ઘણી વાર લાભ થાય છે, તોપણ તેઓનાં સારાં કામોનો બદલો આ લોકમાં મળે એવો પરમેશ્વરનો હેતુ નથી. માટે પરલોકમાં સારાં ફળ ભોગવવાની ઉમેદથી જ તથા સદ્દગુણનો બદલો સદ્દગુણ જ છે એમ જાણી જે લોકોને સદ્ગુણે આચરવું હોય તેઓએ દુનિયા તરફના લાભ ઉપર નજર રાખવી નહીં. જે દેશની સ્થિતિ એવી હોય કે સાચવટ રાખ્યાથી જાનમાલને નુકશાન પહોંચે તો તે દેશ છેડીને જતા રહેવું, અથવા ત્યાં રહી સાચવટને આપણે દેહ, માલમતા, અથવા આપણી વહાલામાં વહાલી વસ્તુઓ જરૂર પડે તો અર્પણ કરવી, પણ સાચવટ કદી છોડવી નહી એવી નીતિ છે. શું બકરી પોતાના નિર્દોષપણા ઉપર વિશ્વાસ રાખી ઉભી રહે તો વાઘ તેને માર્યા વિના રહેશે ? શું ચકલી પોતાની ગરીબાઈ તથા નિરપરાધીપણા ઉપર ભરોસો રાખી નિશ્ચિન્ત બેસે તો શકરો તેને તલ૫ મારી લઈ નહીં જાય ? એ તો સુષ્ટિના નિયમ પ્રમાણે થશે જ. બિહારીલાલને એ વાતનું જ્ઞાન ન હતું, અથવા તે વખતે તે ભુલી ગયો હતો. હવે જ્યારે તે આવી આફતમાં આવી પડ્યો, ત્યારે કેટલાએક દુનિયાદારીમાં ડાહ્યા તથા વખત પ્રમાણે ચાલનારા તેના મિત્રો તેને આવી મળ્યા, અને તેને કેહેવા લાગ્યા, “હવે બાળો તમારી સાચવટ, આવડા મોટા થયા તો પણ બરાબર અક્કલ આવી નહી, ભાઈ ! જેવો દેશ તેવો વેશ રાખવો, અને સમય પ્રમાણે વર્તવું, તે દહાડે જો અમારી સલાહ પ્રમાણે પેલા ચંડોળ ઉઘરાતદારનું મ્હોં પૂર્યું હોત તો આ દહાડો કદી આવત નહીં. પણ તે દહાડે તો સાચવટ ઉપર ગયા ! હવે તમારી સાચવટ કેમ મદદ કરી શકતી નથી ? જો તે દહાડે માન્યું હોત તે થોડે પતત. હવે પૈસા પણ વધારે ખરચવા પડશે, અને તેમ કીધા પછી પણ કામ સિદ્ધ થશે એવી પાકી આશા નથી. સાચવટ ! જો સાચવટ રાખવી હોય તો દુનિયામાં શામાટે રહો છો ? વેરાગી અથવા સંન્યાસી થઈ જાઓ. પછી તમારૂં ડહાપણ ચલાવજો.” આ બધા ઠોક બિચારા નિર્બળ મનના બિહારીલાલે સાંભળી લીધા; અને ઘણું પસ્તાઈને તેઓની સલાહ માથે ચઢાવી કેટલાક પૈસા સાથે રાખીને ઉપર કહ્યા પ્રમાણે તે એક મહેલ આગળ ઉભો રહી, આ પ્રકરણને મથાળે જે શબ્દો લખ્યા છે તે બોલ્યો.

જ્યારે અલફખાંએ પાટણ શહેર લીધું, ત્યારે તેના સંભાળવામાં આવ્યું કે ખંબાતમાં ઘણા દ્રવ્યવાન વ્યાપારીઓ છે તે ઉપરથી લુંટની આશાથી સઘળું લશ્કર તે શેહેર ઉપર ચઢ્યું. ત્યાં જઈ તે શેહેર લીધું તથા ત્યાંના તમામ ધનવાન લોકોનાં ઘરો લુંટી લીધાં. એ લુંટમાં અલફખાંએ એક ખુબસુરત ગુલામને પકડ્યો. તે એક વ્યાપારીના તાબામાં હતો, અને તેને ખેાજો કરીને તેના ઝનાનખાનાની ચોકી કરવા ઉપર રાખ્યો હતો. જ્યારે તે ખંબાતમાં હતો ત્યારે તે ખોજો કાફુર એ નામથી ઓળખાતો હતો, અને તેનામાં રૂપ સિવાય બીજા ઘણા ગુણો હતા. પોતાનો સ્વાર્થ સાધવાને તથા દુનિયામાં મોટી પદવી મેળવવાને જે જે ગુણો જરૂરના છે તે સઘળા તેનામાં હતા. તેનામાં કેટલાએક સારા તેમ કેટલાએક નઠારા પણ ગુણો હતા. જે જે કામોની સાથે તેના સ્વાર્થને સંબન્ધ ન હોય તે તે કામોમા તે સારા ગુણો વાપરતો, અને તે વખતે તેનામાં દુર્ગુણ એક પણ હોય એમ કોઈને લાગતું નહી; પણ જ્યારે તેની મતલબ પાર પાડવાની હોય, જ્યારે પોતાનો સ્વાર્થ સાધવા કાંઈ પણ કામ કરવાનું હોય અથવા પોતાને કાંઈ ફાયદો થતો હોય, ત્યારે ગમે તેવું દુષ્ટ કામ હોય તોપણ તે કરતાં જરા પણ આચકો ખાતો નહીં. એ પ્રમાણે તે બે જાતને માણસ હતો, જ્યાં સુધી તે ગુલામગીરીમાં રહ્યો ત્યાં સુધી એ સઘળા ગુણો વાપરવાને તેને પ્રસંગ આવ્યો નહી; પણ તેનું ભાગ્ય ખુલવાનું તેથી તે મુસલમાન લશ્કરના હાથમાં પડ્યો અને તે દેખીતો ખુબસુરત હતો તેથી જો તેને પાદશાહ પાસે નજર દાખલ મોકલવામાં આવે તો તે ઘણો ખુશ થાય એમ જાણી તેને દિલ્હી મોકલવાનો અલફખાંએ ઠરાવ કીધો, તેને કૌળાદેવી સાથે અલાઉદ્દીન પાસે મોકલ્યા. ત્યાં તે પાદશાહને ઘણો પસંદ પડ્યો. છેક હલકી પદવી ઉપરથી ચઢતાં ચઢતાં આ વખતે તે અલાઉદ્દીનનો માનીતો થઈ પડ્યો હતો. આપણા દેશી રાજ્યદરબારમાં જે ખટપટ, કાવતરાં, તથા દગાફટકા ચાલે છે, તે સઘળામાં તે ઘણો કુશળ હતા, અને તેણે પોતાની તદબીર તથા ચતુરાઈથી રાજાના મન ઉપર એટલી તો સત્તા મેળવી હતી કે રાજા તેને વશ થઈ ગયો હતો, તે જ જાણે પાદશાહ હતો, અને સઘળા મોટા અમીર ઉમરાવોને આ ખેાજા કાફુરને માન આપવું પડતું હતું તેથી તેઓને ઘણું માઠું લાગતું હતું, તથા તેઓ તેની ઘણી અદેખાઈ કરતા હતા. દ્વેષમાં સઘળા તેને “હજાર દીનારી ” કહેતા હતા, કેમકે અસલ તેને હજાર દીનાર આપીને વેચાતો લીધો હતો. તેનું ચલણ એટલું તે હતું કે કેટલાંએક કામ તે પોતે પાદશાહને પૂછ્યા સિવાય પણ કરતો, અને આવી તેની ચઢતી કળાથી તેના મનમાં એટલો લોભ ઉત્પન્ન થયો હતો કે શાહના મુઆ પછી પોતે તખ્ત ઉપર બેસવા સારૂ ઉમેદ રાખતો હતો બલકે તે પોતાના સ્વાર્થ આગળ એટલો અાંધળો થઈ ગયો હતો કે જેણે તેના ઉપર આટલા બધા ઉપકાર કીધા હતા, તથા જેણે તેને ધુળમાંથી ઉઠાવી લઈને એક મહેલમાં બેસાડ્યો હતો, તેની જ તરફ અપકાર કરીને જીવતાં પણ પોતે તખ્તનશીન થવાને ઉદ્યોગ કર્યા કરતો હતો. તે ખોજા કાફુર હજાર દીનારીના મેહેલ આગળ બિહારીલાલ ઉભો હતો અને તેને દ્રવ્ય આપી સંતોષીને આવી પડેલી આફતમાંથી બચવાની તે ઉમેદ રાખતો હતો.

ઘોડા ઉપરથી ઉતરીને દરવાજામાં બિહારીલાલ પેંસવા જાય છે એટલે દરવાને તેને રોક્યો, અને એક હડસેલો મારી તેને ફેંકી દેવાની તૈયારીમાં હતો એટલામાં તેણે તેનો જુસ્સો સોનેવતી નરમ પાડ્યો. આગળ જતાં ઘણા સિપાઈએ તેને વિંટળાઈ વળ્યા. તેઓ સઘળાને તેણે સોનાના પ્રસાદથી સંતોષ્યા. પછી કેટલાએક મેહેતાઓને પણ પાનસોપારી મળ્યાં, એટલું સોનું જ્યારે વપરાયું ત્યારે તેને બેસવાની જગા મળી, અને એક સિપાઈએ માંહેના ઓરડામાં કાફુર એક દર્વેશ સાથે વાત કરતો હતો ત્યાં જઈ બિહારીલાલ આવ્યાની વાત જાહેર કીધી. કાફુરનું નાક પણ પૈસા સુંધી સુંધીને ઘણું તીવ્ર થયલું હતું, તેથી તેણે બિહારીલાલના પૈસાની ગંધ પારખી અને દર્વેશને થોડી વાર સબુર કરવાનું કહી તે બહાર આવ્યો. બિહારીલાલને આગળથી ભણાવી મૂકયો હતો તે પ્રમાણે કાકુરને જોતાં જ તેણે પાઘડી માથા ઉપરથી ફેંકી દીધી અને લાંબે થઈ પગે લાગીને રડી પડ્યો. પણ રૂદનના શબ્દથી પિગળે એવું કાફુરનું અન્તઃકરણ કોમળ ન હતું. તેના હૈયા ઉપર તો જુદી જ રીતે અસર થતી હતી, અને જ્યારે સોનાનો ખણખણાટ તેને કાને પડતો ત્યારે જ તે ઈંદ્રિયદ્વારે તેના હૃદય પર અસર થતી. જ્યારે રડવાથી તેનું કામ થવાને બદલે ઉલટો કાફુર ગુસ્સે થયો ત્યારે તેણે પોતાની પાસે જે એકસો સોનાની અશરફીની કોથળી હતી તે તેની પાછળ ખાલી કીધી, અને “મારો જે અપરાધ થયો હોય તે ક્ષમા કરો,” એટલું જ તે બોલી શકયો. કાફુરે તે અશરફીના ઢગલા તરફ જોયું, પણ તે ઘણો નાનો લાગ્યો તેથી તે ઉપર પગની ઠેસ મારી તેને વેરી નાંખી, ક્રોધથી બોલ્યો: “ કાફર ! ચંડાળ ! હરામખોરી કરી કરોડો રૂપીઆ પચાવ્યા છે, અને નાના છોકરાને સમજાવવા આવ્યો હોય તેમ આટલી અશરફી મૂકીને પોક મૂકે છે. હું કાંઈ કરી શકતો નથી. પાદશાહ પાસે સઘળું કામ ગયલું છે જો અપરાધ સાબીત થશે તો મોત સિવાય બીજી કાંઈ શિક્ષા નથી.” બિહારીલાલે ઘણા કાલાવાલા કીધા, પણ કાંઈ પણ કામ થતું નથી એમ જોઈને તેણે તેવી જ એક બીજી કોથળી પણ ખાલી કીધી; પણ સઘળું વ્યર્થ ગયું. કાફુર તો તેના નામ પ્રમાણે ખરેખરે કાફર હતો. આવા રૂપની સાથે તેનામાં આવું દુષ્ટ અન્તઃકરણ હશે એમ કોઈના ધાર્યામાં આવે નહીં, તે તો ઇંદ્રવારણાનું ફળ. તેથી જ્યારે બિહારીલાલે એવી પાંચ કોથળી ઠાલવી ત્યારે જ તેનો ચેહેરો નરમ પડેલો દેખાયો, અને ત્યારે જ તેણે બિહારીલાલને વચન આપ્યું કે હવે તારા માથાના એક વાળને પણ નુકસાન પહોંચશે નહી. બિહારીલાલ ત્યાર પછી ઘણો હરખાતો હરખાતો બહાર ગયો, અને કાફુર પણ ખુશ થઈ ચાકરને તે થેલીઓને ખજાનામાં મૂકવાનો હુકમ કરી, દર્વેશ પાસે ગયો, દર્વશે આ સઘળું બન્યું તે છાનાંમાનાં જોઈ લીધું, અને પૈસાને વાસ્તે એક કાફર હિંદુ ઉપર દયા કીધી, જરની ખાતર પાક મઝહબનું એક ફરમાન તોડી જઝીઓ કર માફ કીધો, એ જોઈને કાફુર ઉપર તેને ઘણે ગુસ્સો ચઢ્યો.

જ્યારે મલેક કાફુર તેની પાસે આવી બેઠો ત્યારે તેણે જે કામ કીધું તે મુસલમાન ધર્મના ફરમાનની વિરૂદ્ધ કીધું એમ ઘણા ક્રોધથી જણાવ્યું, દર્વેશ સાહેબે હિન્દુધર્મની ઘણી નિન્દા કીધી અને એવા ધર્મ પાળનારા એક નાપાક માણસનો ગુન્હો માફ કરી ખુદાની નજરમાં પોતે જ ગુન્હેગાર ઠર્યો એમ સાબીત કરી આપ્યું. અનેતે કાફુરે તે ગુસ્સે થયેલા દર્વેશને પાંચશે અશરફમાંથી અડધો ભાગ આપી શાંત કર્યો. તે ધર્મગુરૂ તે અશરફી ગાંઠે બાંધી અન્તઃકરણથી કાફુરને આશીર્વાદ દેતો ત્યાંથી ચાલ્યો ગયો અને મલેક કાફુર પણ દરબારમાં જવાની તૈયારી કરવા લાગ્યો. હવે બિહારીલાલ મોતના સપાટામાંથી તથા એથી વધારે બીજી મોટી આફતમાંથી બચી ગયો તેથી તેના હૈયામાં હર્ષ માયો નહી. તે રસ્તામાં જેવો હવામાં ચાલતો હતો, પણ જ્યારે તે દિલ્હીના મોટા ચોગાનમાં આવ્યો, ત્યારે એક ભયંકર દેખાવ તેની નજરે પડ્યો. આ વખતે મોગલ લોકો હિન્દુસ્તાન ઉપર હમેશાં હુમલો કર્યા કરતા હતા, તથા રાજ્યને નિરંતર ઉપદ્રવ કરતા હતા, ઐબકખાં કરીને એક મોગલનો સરદાર, હજાર બળવાન સવાર તથા એથી વધારે બીજાં માણસો લઈને હિંદુસ્તાન ઉપર આવ્યો, અને મુલતાન શેહેર ઉજડ કરીને સિવાલિક પહાડો આગળ છાવણી નાંખીને પડ્યો. એ લોકો ઉપર પાદશાહી લશ્કરે હુમલો કીધો, અને ઘણાંએક માણસને કાપી નાંખી તેઓને હરાવ્યાં. જેઓ જીવતાં રહ્યાં તેઓ જંગલમાં તરસ તથા ઉના પવનથી મરણ પામ્યાં, અને તેઓના લશ્કરમાં ત્રણ હજાર માણસો કેદ પકડાયાં તે સિવાય એક પણ આદમી જીવતો રહ્યો નહી, ઐબકખાં અને એ ત્રણ ચાર હજાર કેદીઓને દિલ્હીમાં લઈ આવ્યા; અને તેઓ સઘળાને એકદમ મારી નાંખવાને ત્યાં તૈયારી થઈ રહી હતી. પોતાનાં માણસોની શી દશા થાય છે તે જોવાને ઐબકખાંને એક પ્રસિદ્ધ ઠેકાણે બાંધીને બેસાડેલો હતો. સઘળા મોગલ લોકોનાં બઈરાંછોકરાં જે પકડાયાં હતાં તેઓને જુદે જુદે શેહેર મોકલીને બજારમાં હરરાજ કરી ગુલામ દાખલ વેચી નાંખ્યાં હતાં; અને તેઓના મરદોને ઘણી દુષ્ટ રીતે મારી નાંખવાને પાદશાહનો હુકમ થયો હતો. તે ત્રણ હજાર માણસોની ત્રીશ ત્રીશની સો ટુકડી કીધી, અને તે ટુકડીઓને આઘે આઘે રાખી, પછી ત્યાં સો ગાડાં આણ્યાં, તથા સો જોરાવર હાથીઓને લાવી તેઓને દારૂ પાઈને ઘણા જ મસ્ત કીધા પછી સો જલ્લાદોએ આવીને તેઓએ એક એક ટુકડી તથા એકેક હાથી લઈ લીધો, અને એકેક માણસને હાથીના પગતળે છુંદાવી નાખી બધાંને મારી નાંખ્યા.

એ પ્રમાણે થોડાએક વખતમાં ત્રણ હજાર ઈશ્વરના પેદા કીધેલા માણસોના પ્રાણ આ રાક્ષસી દુષ્ટ ચંડાળ પાદશાહે લેવડાવ્યા. ત્રણ હજાર માણસને આવી ક્રૂર રીતે મારી નાંખ્યા એ વિચાર કીધાથી જ શરીરમાંનું સઘળું લોહી ઠરી જાય, એ સ્વાભાવિક છે. ગાંડા મસ્ત થયલા સો હાથીઓને આવી રમત મળી તેથી મગ્ન થઇ તેઓ વખતે વખતે બરાડ પાડતા હતા. તે અવાજો, તે બિચારા કેદીઓ તેના મોટા તથા ભારે પગના દબાણથી કચડાઈ જતા હતા તેઓનું કષ્ટ તથા તેઓની તે વખતની ચીસાચીસ, જેઓને મરવાનો વારો આવ્યો ન હોતો તેઓનાં ચિન્તાથી તથા ભયથી લોહી ઉડી ગયેલાં મ્હોડાં, તેઓનો નિરાશ દેખાવ, તથા બેબ્હાકળી આંખો, કેટલાએક નબળા મનના મોગલોની આવા દુષ્ટ મોતના ધાકથી થયલી દયામણી શિકલ, તથા પોતાનો દેશ, બઈરી, છોકરાં, સગાંવહાલાં, એ સઘળાં યાદ આવ્યાથી તેઓની આંખોમાંથી વહેતી આંસુની ધાર, તથા પોતાના મન ઉપર અખતિયાર ન રહેવાથી કેટલાકનું ડુસકાં ભરીને રડવું, એ સઘળાંની કલ્પના માત્ર કરો. પછી કોણ એવો વજ્ર હૈયાનો હશે કે તેને દયા આવ્યા વિના રહેશે ? અને કોના નિમાળા ઉભા નહી થાય ? પણ આટલી બધી ક્રુરતા એ નિર્દય પાદશાહને બસ લાગી નહી. થોડેક દૂર કેટલાએક કસાઈઓ બેઠેલા હતા, તેઓ મરી ગયલા મોગલોની ખોપરીઓ કાપીને કાઢી લેતા હતા, અને તેઓને ગાડાંમાં ભરતા હતા. આ તમાસો જોઈને બિહારીલાલને ઘણો કમકમાટ ઉપજ્યો. તોપણ એ ખોપરીઓને શું કરે છે એ જાણવાની આતુરતાથી તે સઘળાં ગાડાં ભરાયા પછી તેઓની પાછળ તે ગયો. એ સઘળાં ગાડાં દિલ્હીના બુદાયુન દરવાજા આગળ ખાલી કીધાં, અને ત્રણ હજાર ખોપરીઓને એક ઉપર એક ગોઠવીને તેઓનો એક ઉંચો સ્તંભ બનાવ્યો.

એ ભયંકર કામ પૂરું થયું, એટલે લોકોનું એક મોટું ટોળું તે રસ્તે આવ્યું, તેમાં એ મોગલનો સરદાર ઐબકખાં ઘોડા ઉપર બેઠેલો હતો. તેના હાથ બાંધેલા હતા, તથા પગે ઘણી ભારે બેડીઓ જડેલી હતી. એ લોકોના ટોળામાં બિહારીલાલ પણ સામેલ થયો, અને તેઓ સઘળા નદી કીનારે ગયા, ત્યાં પહોંચ્યા પછી તમાસગીર લોકો જમુનાને કાંઠે હારબંધ ઉભા રહ્યા, અને ઐબકખાંને એક હોડીમાં બેસાડ્યો, અને તેમાં પાદશાહનાં માણસો બેઠાં. ઐબકખાંની ઉમર આશરે પાંત્રીસ વર્ષની હતી, અને તેનું શરીર પણ ઘણું જોરાવર હતું. પણ હમણાં તો તેની સઘળી ઉમેદ ભાંગી ગઈ હતી; તેનું લશ્કર હારી ગયું હતું; તેને મહા સંકટ વેઠવું પડ્યું હતું; તેનાં ઘણાંએક માણસો ભુખ તરસથી માર્યા ગયાં હતાં; તે દુશ્મનના હાથમાં પકડાયો હતો; તેને દિલ્હીમાં ઘણાં અપમાન સાથે લાવ્યા હતા, તેણે તેની નજરે પોતાના જાતભાઈઓને, પોતાના જુના તથા નિમકહલાલ સિપાઈઓને આવા દુષ્ટ મોતે મરતા જોયા હતા; પોતાને પણ મરવાની સજા થયલી હતી; અને હમણાં મોત તેની પાસે આવી ઉભું રહેલું હતું, એ સઘળાં કારણોથી તે છેક નંખાઈ ગયલો માલમ પડતો હતો. તે મરવાથી જરા પણ બીહીતો ન હતો. પણ પોતાની તથા પોતાના લશ્કરની આ દશા થઈ તેથી માવરાઉન્‌નહર, એટલે સ્વતંત્ર તાતાર દેશના પાદશાહ અમીર દાઉદખાંથી અમીર બેગ તથા ખાજા તાશના મૃત્યુનું વેર લેવાયું નહી, એ વાતથી તેને ઘણું જ દુ:ખ થતું હતું. પણ હવે તે શું કરે ? લાચાર. હોડી પવનના જોરથી જમુના નદીમાં આગળ ચાલી અને જ્યારે તે વચ્ચોવચ્ચ આવી, ત્યારે તેને અટકાવીને ત્રણ ચાર માણસોએ ઐબકખાંને ઉંચકીને નદીનાં ઉછળતાં મોજાંમાં ફેંકી દીધો. તે બીચારાના હાથ બાંધેલા, પગે બેડી, એટલે, તેનાથી તરી તો કયાંથી શકાય ? તે પછાડા પણ મારી શક્યો નહી. પોતાના અંગબળ વડે તે એક વાર ઉંચો આવ્યો, અને આ દુનિયા ઉપર છેલ્લી નજર કરી સઘળાને રામરામ કરી લીધા; પણ તુરત તે નીચે ગયો, અને તેના ઉપરનું પાણી થોડી વાર સુધી હાલ્યા પછી પાછું સ્થિર થઈ ગયું. એ પ્રમાણે આ કમનસીબ સરદાર મરણ પામ્યો. જમુના નદીનું પાણી તેની કબર થઇ. અને કાલિન્દીનું કાળું નીર તેની લાશ ઉપર ફરી વળ્યું. તેણે મરતી વખત એકપણ ચીસ પાડી નહી, પણ ચુપકીથી તેનો આત્મા તેના ક્ષણભંગુર દેહનો ત્યાગ કરી ચાલ્યો. તમાસગીર લોકોના મન ઉપર આ ભયંકર મોત જોઇને કાંઈ પણ અસર થઈ નહીં. અગર જો તેઓ એવા રાક્ષસ ન હતા કે તેઓ આ તમાસો જોઇને ખુશીની બુમ પાડે, તોપણ કસાઈને બકરું કપાતું જોવામાં જેટલી બેપરવાઈ હોય છે તેટલી જ બેપરવાઈ તેઓને હતી. પણ એમાં તેઓને કાંઈ વાંક ન હતો. જેને જે જોવાની ટેવ પડી જાય છે તે જોવાથી તેના મનપર કાંઈ પણ અસર થતી નથી. તે વખતમાં દિલ્હીમાં એવા તમાસા વારેવારે જોવામાં આવતા હતા, તેથી તેઓની દયાની વૃત્તિ બેહેર મારી ગઈ હતી, અને ભયાનક દેખાવો જોવામાં માણસના મનને જે કમકમાટ તથા આચકો લાગે છે તે મહાવરાથી બીલકુલ જતો રહ્યો હતો. સરકારનાં માણસો પોતપોતાને કામે લાગ્યાં, તથા લોકો અને તેમાં બિહારીલાલ પણ ઘેર ગયા.

આવી રીતે સખતી કીધાથી રાજ્યમાં ફાયદો થતો હશે, એમ કોઈના મનમાં આવે તો તેની મોટી ભુલ છે. દુનિયામાં જોરજુલમથી તથા સખ્તીથી લાભને બદલે હાનિ થાય છે. મોગલ લોકોએ અલાઉદ્દીન પાદશાહના વખતમાં ઘણીએક વાર હિન્દુસ્તાન ઉપર ચઢાઇ કીધી; સઘળી વાર તેઓ હાર્યા, એક કરતાં વધારે વાર તેઓ પકડાયા; તેઓના ઉપર ઘણીએક રીતે જુલમ કરવામાં આવ્યો, તેઓનાં બઈરીછેકરાંને વેચાવી નાંખ્યાં, તથા તેઓને પણ નિર્દય રીતે મારી નાંખ્યા; આ વખતે પણ આવી રીતે તેઓની દુર્દશા થઇ હવે કોઇના મનમાં આવશે કે તેઓ ફરીથી રાજ્યને ઉપદ્રવ કરશે નહીં, પણ જે વખત ઉપર લખેલો બનાવ બનતો હતે તે વખતે બાલમંદ કરી એક બીજા મોગલ સરદારે દેશ ઉપર હુમલો કીધો હતો, અને તેની સામે પાદશાહે એક બીજું લશ્કર મોકલ્યું હતું.

જ્યારે બિહારીલાલ પોતાને ઘેર જતો હતો ત્યારે કાફુર સવારી સાથે પાદશાહી દરબારમાં જતો હતો. કાફુર હમણાં રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ હતો. તે બાદશાહનો એવો તો મુછનો બાલ હતો, તથા તેના મન ઉપર તેણે એટલી બધી સત્તા મેળવી હતી કે તે ચાહે તે કરી શકતો હતો. તેણે મોટામાં મોટી પદવી મેળવી હતી, પણ તે છતાં તે સુખી ન હતો. રાજાની જે પ્રીતિ તેણે સંપાદન કીધી હતી તે કાયમ રાખવાને, તથા પાદશાહના સ્વછંદી અને ચળ સ્વભાવને લીધે તેને જે નિરંતર ચિન્તા થયાં કરતી હતી, તથા અમીર ઉમરાવોને આવા નીચ ગુલામ, આવા આજકાલના ચઢેલા શખ્સને પાદશાહ જેટલું માન આપવું પડતું હતું, તેથી તેના ઉપર જે કંટાળો, ક્રોધ તથા અદેખાઈ આવતી હતી, અને તેને લીધે તેઓ તેની ઉંચી પદવી ઉપરથી તેને ઢોળી પાડવાને તથા તેનો અન્ત આણવાને પણ હજારો યુક્તિઓ કર્યા કરતાં હતા, તેને અટકાવવાને તેને હમેશાં ચોકસી રાખવી પડતી. એથી જે તેના સુખમાં ઘટાડો થતો હતો તે એક કોરે મૂકીએ તોપણ તેને અસુખ થવાને બીજાં બે મોટાં કારણો હતાં. એક તો એ કે તેના લોભની તથા અસંતોષની વૃત્તિ ઘણી પ્રબળ થઈ ગઈ હતી. આટલી બધી વાર સુધી તેનાં ધારેલાં કામો તથા રાખેલી આશા સફળ થયાં કીધી તેથી ઇચ્છાનું જોર ઘટવાને બદલે ઉલટું વધ્યું. તેના અન્તઃકરણમાં લોભનો કીડો મોટો થયો, અને તેનું કલેજું કોતરી ખાવા લાગ્યો. તેને હવે પાદશાહ થવાનો લોભ થયો, અને તેની નજર હવે તે નિશાન ઉપર ગયાં કરતી હતી. પણ પાદશાહ થતા પહેલાં તેણે પ્રસિદ્ધ થવું જોઈયે; તેણે કોઈ પ્રકારે નામ મેળવવું જોઈએ, તેણે કોઈ પણ પરાક્રમ કરી લોકોમાં ઘણું માન મેળવવું જોઈએ; અને આવા અજ્ઞાન લોકોમાં શૂરાતન દેખાડવાથી જ તથા બહાદુરીનાં કામો કીધાથી જ પ્રસિદ્ધ થવાય, નામ મેળવાય, તથા પ્રતિષ્ઠા સંપાદન થાય. અત્યાર સુધી તેણે કાંઈ બહાદુરીનાં કામ કીધાં ન હતાં, તેણે આ માટે મરતબો ફક્ત નરમાશથી તથા કાવતરાં કરી મેળવ્યો હતો. તેનું કુળ આવું નીચું હતું, તેની અવસ્થા કનિષ્ઠમાં કનિષ્ઠ ગુલામગીરીની હતી, તે પોતાનું રૂપ સુધારવાને હમેશાં ઉપાયો કર્યા કરતો હતો; તેણે ઝનાનખાનામાં તેની જીન્દગીનો કેટલોએક ભાગ કાઢ્યો હતો, તથા તે ખોજો હતો તે ઉપરથી તેના શૂરાતન વિષે લોકોના મનમાં માટે શક હતો, અને જ્યાં સુધી તે શક કાયમ રહે ત્યાં સુધી તેની ધારેલી મતલબ પાર પાડવામાં મોટી હરકત પડે એમ સમજીને તેણે પોતાનું ખરું સ્વરૂપ લોકોને દેખાડવાને, પોતાની સ્વાભાવિક હિંમત તથા બહાદુરી પ્રકટ કરવાનો, તથા પોતાના નામ ઉપરનો આ કલંક ધોઈ નાંખવાનો ઠરાવ કીધો હતો. ઇતિહાસ ઉપરથી માલમ પડે છે કે ખેાજાઓ પુરૂષનાં લક્ષણથી રહિત હોય છે તો પણ તેઓમાં હમેશાં નામર્દાઈ હોય છે, અથવા તેઓ નાહિમ્મત હોય છે, એમ કાંઈ હોતું નથી. નારસીસ અને બીજા કેટલાએક ઝનાનખાનાના રખેવાળેાએ મોટાં શૂરાં કામો કીધેલાં છે, તેઓમાં બહાદુરીની કોઈ કસર ન હતી. તે જ પ્રમાણે કાફુરને હતું. માટે તેનામાં જે જવાહિર હતું તે દુનિયાને દેખાડી આપવાને કોઈ પણ લડાઈ ઉપર ચઢવાનો તેણે નિશ્ચય કીધો.

એ પ્રમાણે વિચાર કરતો કરતો કાફુર પાદશાહી મહેલમાં ગયો, અને પાદશાહ ક્યાં છે એ વાતની તેણે તજવીજ કીધી. તે વખતે અલાઉદ્દીન ઝનાનખાનામાં બેઠેલો હતો, પણ કાફુરને બેગમોને જોવાને તથા તેઓની સાથે વાતચિત કરવાને કાંઈ હરકત નહતી, તેથી તે પણ ઝનાનખાનામાં ગયો. તે જઈને જુએ છે તો અલાઉદ્દીન ભેાજન કરવાને બેઠો હતો. તેની આગળ મેજ ઉપર નાના પ્રકારના દારૂના સીસા પડેલા હતા, તથા પ્યાલાંઓ વારાફરતી ભરાતાં હતાં. તેની પાસે તેની કૌળારાણી બેઠેલી હતી, અને તેઓ બંને અતિ આનંદમાં વાતચિત કરતાં હતાં, તથા રાતા ચળકતા પ્રવાહીઓનો ઘણી છુટથી ઉપયોગ કરતાં હતાં. કૌળારાણીને આપણે છેલ્લી જોઈ તે કરતાં હમણાં કાંઈ બદલાઈ નહતી. ઉલટી રજપુતાણીનો પહેરવેશ બદલી તેણે હમણાં પઠાણની બઈરીનો પોશાક પહેર્યો હતો, તથા ઘણાં ઉમદા અને કિમતી જવાહિરો પહેરેલાં હતાં, તેથી તે વધારે ખુબસુરત દેખાતી હતી, તથા તેનું હુરીના જેવું રૂપ વધારે પ્રકાશી નીકળતું હતું. ગુજરાત છોડતી વખતે તેને જે દુ:ખ ઉપજ્યું હતું તે ધીમે ધીમે ઘસાઈ ગયું હતું. દુ:ખનું ઓસડ જે દહાડા તેણે તેના મન ઉપર મોટો ફેરફાર કર્યો હતો, અને ટેવ જે માણસને હરેક સ્થિતિ સાથે અનુકૂળ કરી આપે છે તેણે હવે તેની મદદે આવીને તેને તેની આ નવી અવસ્થાની સાથે સમાધાન કરાવ્યું હતું. એટલા ઉપરથી કોઈએ એમ ધારવું ન જોઈએ કે તેનું આગલું દુઃખ ખોટું હતું, તથા તેણે જે વિલાપ કીધો તે ઢોંગ હતો. માણસને માથે જ્યારે દુઃખ પડે છે ત્યારે ખરેખરી દિલગીરી થાય છે, પણ પરમેશ્વરે દુઃખી માણસ ઉપર દયા લાવી તેનું મન એવું તો સ્થિતિસ્થાપક કીધેલું છે કે થોડી મુદત સુધી ઘણામાં ઘણો સંતાપ ભોગવી કેટલીક વાર પછી આશાની સહાયતાથી તે પોતાની અસલ સ્થિતિ ઉપર આવી જાય છે. જો પરમ દયાળુ ઈશ્વરે એમ કીધું ન હોત, જો માણસનું દુ:ખ વખત જવાથી નરમ પડતું ન હોત, તો તે ખરેખરે દુ:ખી અભાગીયો થઈ પડત, તેનું આખું આવર્દા દિલગીરીમાં જ જાત, અને તેથી દુનિયાનો ઘણી મુદ્દત ઉપર અન્ત આવ્યો હોત. અગર જો કેટલાએકનું મન એવું જડ હોય છે કે તેમાં દિલગીરી જડમૂળ ઘાલીને વસે છે, તથા તેથી તેઓ દેહત્યાગ કરે છે, તો પણ એવા થોડા છે. તેઓ જગતના નિયમથી બહાર છે. કૌળાદેવી તેવી ન હતી, માટે તેને ઠપકો દેવો એ અયોગ્ય ગણાય. કાફુરે કેટલીએક વાત કીધા પછી ખંડિયા રાજાઓનો વિષય કાઢ્યો, અને દેવગઢનો રાજા રામદેવ પોતાના સામર્થ્ય ઉપર ભરોસો રાખીને આજ ત્રણ વર્ષ થયાં ખંડણી આપતો નથી, એ આપણું મોટું અપમાન થાય છે, માટે તેને ભારે સજા થવી જોઈએ, તેના ઉપર એક મોટું લશ્કર મોકલવું જોઈએ, અને જો આપની રજા હોય તો હું તે લશ્કર લઈને જલદીથી તેને ઠેકાણે લાવી તેની પાસેથી ચઢેલી ખંડણી વસુલ કરી લાવું, એટલું જ નહી પણ ત્યાંની અગણિત લક્ષ્મી ઘસડી લાવી આપની સેવામાં રજુ કરું. એ કામ કરવાથી બે ફળ થશે. એક તો આપણી દોલતમાં તથા સત્તામાં વધારો થશે, આપણી બહાદુરી પ્રકટ થશે, અને આપણા નામનો ત્રાસ હિન્દુસ્તાનમાં ફેલાશે. લોકો જોશે કે આપણે હજુ લડાઇથી થાકી ગયા નથી; આપણી પાસે લશ્કર, દ્રવ્ય તથા લડવાનાં બીજાં સાધનોની હજી કાંઈ ખોટ નથી, તથા આપણે હજી આપણી મેળવેલી સત્તા વધારવાનો તથા કાયમ રાખવાનો અને બળવાખોરોને ભારે સજાઓ પહોંચાડવાને સમર્થ છઈએ. બીજું ફળ મારી જાતને થશે. ઈહાંના અમીર લોકો મને ધિક્કારે છે, હું ખોજો છું તેથી તેઓ એમ સમજે છે કે હું સ્ત્રીઓનાં કામ કરવાને જ માત્ર લાયક છું, અને મારામાં કાંઇ શૂરાતન નથી. તેઓને મારે ખાતરી કરી આપવી છે કે અગર જો પરમેશ્વરે મને નીચ કુળમાં જન્મ આપ્યો છે, મારી પાસે ગુલામગીરી કરાવી છે, મારામાંથી પુરૂષાર્થ લેવડાવી લીધું છે, મને અબળાઓનું રક્ષણ કરવાનું કામ સોંપ્યું છે, તોપણ તે પરવરદિગારે જોઈએ તેટલી હિંમત તથા બહાદુરી મને બક્ષેલી છે, અને જેમ હું દરબારનું કામ હોશિયારીથી કરી શકું છું, તેમ લડાઇ ઉપર લશ્કર પણ લઇ જઇ શકું છું; માટે જહાંપનાહ ! આપના ગુલામની અરજ કબુલ રાખી એક મોટું લશ્કર તૈયાર કરાવવું જોઈએ અને તેની સરદારી મને આપીને મને દેવગઢ ઉપર મોકલવો જોઇએ.

કાફુરનું આ બોલવું સાંભળીને પાદશાહને ઘણી ખુશી થઇ, અને તેના માનીતા કાફુરની કોઈપણ નજીવી અરજ તે કદી નામંજુર કરતો ન હતો તે આવી મોટી તથા તેને ગમતી વાત શી રીતે નાપસંદ કરે ? વળી દેવગઢ ઉપર ચઢાઈ કરવાથી કાફુરે બતાવ્યા તે પ્રમાણેના ઘણા લાભ ન થાય તો પણ એકલી નકામી, વગર જરૂરની લડાઈ હોરવાનો પણ તેને ઘણો શોખ હતો; લડાઇનું નામ સાંભળીને તે જાગૃત થઈ જતો; તેની નસોમાં લોહી વધારે જુસ્સાથી વેહેતું; તથા તેમાં ઝંપલાવી પડવાને તે તુરત તૈયાર થઈ જતો. તેને લડાઈમાં જાતે જવાની મરજી થઈ, પણ કાફુરના કાલાવાલા ઉપરથી તેણે તે વિચાર છોડી દીધો અને તેને મોકલવાનું કબુલ કીધું.

કૌળાદેવીએ જ્યારે આ વાત સાંભળી, અને દેવગઢ તથા રામદેવનાં નામ તેને કાને પડ્યાં, ત્યારે તેનું આગલું સઘળું દુઃખ યાદ આવ્યું, અને તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. તેનો આગલો ધણી કરણ બાગલાણમાં છે એવી તેને ખબર હતી; તેની મોટી છોકરી કનકદેવી મરી ગઈ તે પણ તે જાણતી હતી; અને તેની નાની છોકરી દેવળદેવી તેના બાપની પાસે છે, એમ તેને માલુમ હતું. પાદશાહની પાસે રહેવામાં પોતાને ઘણી તરેહનું સુખ હતું તો પણ તેને વખતે ઘણું એકાંતપણું લાગતું, અને ઘણી વાર ઉદાસ રેહેતી. બઈરાંને છોકરાં પોતાની પાસે રાખવાં ઘણાં ગમે છે, તે પ્રમાણે કૌળાદેવીને પોતાની મોટી થયેલી, તેર વર્ષની છોકરીને બોલાવવાનું ઘણું મન હતું. માની છોકરાં ઉપર ઘણી પ્રીતિ હોય છે, તેની સાથે તેઓ એવું સમજે છે કે છોકરાં ઉપર માના જેટલું બાપનું હેત હોતું નથી, અને તેઓના ઉપર બાપના કરતાં માનોને વધારે હક્ક હોય છે. દેવળદેવીને વાસ્તે તેને જે પ્યાર હતો તેથી તે એવી તો આંધળી થઈ ગઈ કે તેને બેલાવવાથી તેના ભર્તાર કરણને જે દુ:ખ થશે, તથા તેને દીકરીના જવાથી, નિરાધાર થઇ જવાથી, અને ઘણી મુદ્દતની બાપ અને છોકરીની વચ્ચે મજબુત બન્ધાયલી પ્રીતિ તુટવાથી જે સન્તાપ થશે તે સઘળું આ વખતે તે ભુલી ગઈ. તેણે અલાઉદ્દીનને વિનંતિ કીધી કે જ્યારે કાફુર દેવગઢ સુધી જાય છે ત્યારે બાગલાણમાં મારી તેર વર્ષની એક દેવળદેવી નામની છોકરી છે તેને લઈ આવવાનો કાફુરને હુકમ આપવો જોઈએ. અલાઉદ્દીનને આ અરજ ઘણી માકુલ જણાઈ નહીં, તો પણ પોતાની વહાલી રાણીને ખુશ કરવાને તેણે કાફુરને દેવળદેવીને લાવવાનો હુકમ કીધો. કાફુરે એ હુકમ માથે ચડાવ્યો, અને તેને ન લાવું તે મારૂં માથું આપવું એવું વચન આપ્યું.

બીજે દહાડે એક મોટું દરબાર ભરી ત્યાં પાદશાહે પોતાને હાથે કાફુરને માટે શિરપાવ તથા ખિલઅત આપ્યાં, અને હવે પછી તેને નાયબ મલેક કાફુર કહેવો, તથા સઘળા અમીર ઉમરાવોએ તેને પોતાના જેટલું જ માન આપવું એવો હુકમ કીધો. પછી એક મોટું લશ્કર તૈયાર કરાવ્યું, અને થોડા દહાડામાં દિલ્હીમાં પાદશાહની રૂબરૂ એક લાખ સવાર આવી ઉભા રહ્યા. એ લશ્કરની સરદારી નાયબ મલેક કાફુરને સોંપી, અને તેના હાથ નીચે ખાજા હાજી નામના એક ઘણા સદ્ગુણી માણસને નીમ્યો. તે લશ્કર દિલ્હીથી ઈ૦ સ૦ ૧૩૦પ માં દક્ષિણ દેશ જીતવાને નીકળ્યું. આ મોટા સૈન્યની સાથે ઘણાએક નામાંકિત અમીરો હતા, તથા તેને મદદ આપવાને માળવાના સુબા અયનુલમુલ્ક મુલતાનીને હુકમ થયો હતો, તથા ગુજરાતના સુબા અલફખાંને પણ લશ્કર લઈ મલેક કાફુર જોડે એકઠા થવાનું લખ્યું હતું. કાફુરે પાદશાહની છેલ્લી રજા લીધી, અને તેના જવાથી તથા લડાઈના સપાટામાં તે કદાચ મરણ પામે એ વિચારથી પાદશાહે ઘણી દિલગીરી બતાવી. આ વખતે પણ દેવળદેવીને લાવવાનું તેણે યાદ દેવડાવ્યું, અને જો તેને નહી લાવે તો મારા ક્રોધને લીધે મારાથી જે થઈ જશે તેને હું જવાબદાર નથી, એમ કહી સંભળાવ્યું.

લેખક – નંદશંકર મહેતા
આ પોસ્ટ નંદશંકર મહેતાની ઐતિહાસિક નવલકથા કરણ ઘેલો: ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!