જન્માષ્ટમીના પવિત્ર પર્વને જુગારાષ્ટમી ન બનાવીએ

શ્રાવણમાં લોકો કેમ પત્તાં ટીંચે છે. જુગાર એ પ્રશ્ન આજદિન સુધી ગુંચવાતો રહ્યો છે. ભગવાનના જન્મ દિવસે જુગાર રમાય? કેવું પાપ? ભગવાને કહ્યું છે કે જે તમારૂં છે તે સદા તમારૂં છે. જે તમારું નથી તે તમારી પાસે ટકવાનું નથી. જે નહિ કરવું જોઇએ તે કરવાથી પાપ, ભય અને જીવનમાં આંધી આવે છે. આજે લોકોને એક જ રાતમાં કરોડપતિ થવું છે. મફત ખાવું છે. હરામનું પડાવી લેવું છે. તેથી તે જુગારના દાવ રમે છે. ગુજરાતની કમનસીબી છે કે આજે મંદિરો કરતાં ક્લબો, ફાર્મ હાઉસો ફાટી નીકળ્યાં છે. સ્ત્રીઓ ક્લબોમાં જુગાર રમે છે. કેવું આ સ્ત્રી ધન? કોઈને ઠગવામાં દોષ નથી? મફતમાં મળેલું પચતું નથી. તે પેટમાં કુદાકુદ કરાવે છે.

જુગારની રમત એ બીજાની આંખમાં ધુળ નાંખવાનો ધંધો છે એ કપટ છે. નરી છેતરપિંડી છે. જુગારીના મહેલ થયા હોય તેવું આજદિન સુધી ક્યાં બન્યું છે? જુગાર રમવું એ પાપ છે. ભગવાનને છેતરવાનો કિમિયો છે. જુગારને ત્યજીયે અને પ્રભુને ભજીયે શ્રાવણ ભક્તિનો મહિનો છે. તેને દુષિત ન કરીએ. શ્રાવણમાં જે જુગાર રમે તેનો પ્રભુ કદાપી સ્વીકાર ન કરે તે નરકમાં જ જાય.

રાજા યુધિષ્ઠિર ધર્મના પ્રેમી હતા. પાંચ પાંડવોએ જુગાર રમીને દ્રોપદીને હોડમાં મૂકી દીધી ! આ શું બતાવે છે કે જુગાર એ ઝેરી નાગ જેવું છે. તેનાથી આખરે વિનાશ છે. શ્રાવણ આવ્યો એટલે જુગારીઓ બસ પત્તાં રમવાનું સ્થળ શોધે છે. ગુજરાતમાં લોકોની માન્યતા છે કે શ્રાવણમાં જન્માષ્ટમી ઉપર જુગાર રમવો જોઇએ કૃષ્ણ ભગવાન કદાપી જુગાર રમ્યા નથી. તેમનું જીવન તો પાવન અને પવિત્ર જીવન હતું. આ જુગાર રમવાનીપધ્ધતિ ક્યાંથી આવી? આ જુગાર રમવાથી શ્રીકૃષ્ણનો આત્મા જરૂર દુઃખી થશે !

ભાયા તપ્યતે કિતવસ્ય હીના માતા પુત્રસ્ય ચરતઃ ક્વસ્વિત્ |

ઋણાવા વિભ્યદ્રનમિચ્છમાનો ડચેષાંમસ્તુમુપ નકતમેતિ || (ઋગ્વેદ ૧૦૩૪/૧૦)

ભાવાર્થ : જુગારીની સ્ત્રી ઘોર કષ્ટો ભોગવે છે. તેની માતા રડતી રહે છે. તે હંમેશા દેવામાં ડુબેલો રહે છે અને ધનની ઇચ્છાથી બીજાઓના ઘરમાં જઇને ચોરી કરે છે. જુગાર ખુબ જ અશ્લીલ વ્યસન છે. તેનાથી હંમેશાં બચીને રહેવું જોઇએ.

વિવરણ –ઋગ્વેદના આ મંત્ર દ્વારા વેદકર્તા ઋષિ જુગાર નહિ રમવા માટે શીખ આપે છે. માનવ જીવનને પાયમાલ કરવામાં જુગાર જેવું ખરાબ વ્યસન કોઇ નથી. જુગારથી કેવા મહાઅનિષ્ટો જન્મે છે. તેનું તાદ્રશ્ય ઉદાહરણ મહાભારતની કથા છે. સત્યવાદી યુધિષ્ઠિર ઘણા બધા ઉત્તમ ગુણો ધરાવતા હતા પણ જુગાર રમવાના શોખને લીધે તેઓએ રાજપાટ ગુમાવ્યું. એટલું નહિ પણ તેમના પરિવારને માથે પણ દુઃખના પહાડો તુટી પડ્યા. જુગાર માણસની વિચારશક્તિને કુંઠિત કરે છે. દારૂની જેમ જુગાર પણ માનવીમાં નશો ઉત્પન્ન કરે છે. અને નશાના કેફમાં તે સારા નરસાનો વિવેક ખોઈ બેસે છે. યુધિષ્ઠિર જેવી ઉચ્ચ કક્ષાની વ્યક્તિએ જુગારના નશામાં પોતાની પત્નીને દાવમાં મૂકી દીધી. અને દ્રૌપદીના વસ્ત્રાહરણનો નિર્લજ્જ બનાવ જન્મ્યો. આમ મહાભારતની કરૂણ કથાના મુળમાં જુગાર છે.

જુગારીનાં ઘરમાં ખાલી માટલાં ખખડે છે. ગૃહિણી જિંદગી અકારી બની જાય છે. ધણી જુગાર રમીને પૈસા ગુમાવે છે. અને ઘરનાં માણસો તેના પાપે ભૂખ્યા સૂવે છે. જુગાર માટે તે જેની તેની પાસેથી પૈસા મેળવી કરજ વધારતો રહે છે. જ્યારે સગાઓ કે મિત્રો તેને પૈસા નથી આપતા ત્યારે તે ઘરની ચીજવસ્તુઓ, સ્ત્રીના દાગીના જે હાથમાં આવે તે વેચીને પૈસા મેળવે છે અને જુગારમાં વેડફી દે છે. વિના શ્રમે પૈસા કમાવાની લાલચ તેનામાં દિનપ્રતિદિન બળવત્તર બની જાય છે. છેલ્લે તે પૈસા મેળવવા માટે ચોરીને રવાડે ચઢી જાય છે. આમ જુગારને લીધે તે એક પછી એક વધારેને વધારે હલકા કામ કરવા તરફ વળતો જાય છે. આમ જુગારી પોતાનું તથા પોતાની પત્ની અને બાળકોનું જીવન બરબાદ કરે છે.

આજના જમાનામાં ટી.વી. પર રજુ થતી ઘણી બધી સિરિયલો વૈભવશાળી વાતાવરણ બતાવીને આપણા અણસમજુ તરૂણ તરૂણીઓને જાણે અજાણે બહેકાવે છે. સતત આવી સિરિયલો જોઇને તરૂણ તરૂણીને ધનવાન બનીને જગતના એશ આરામ માણવાની તાલાવેલી લાગે છે. તે દિવાસ્વપ્નો જોવા લાગે છે.

સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ કરવાને બદલે તે સ્વરોની દુનિયામાં ચિત્ર વિચિત્ર તેની પહોંચ બહારના ખ્વાબ જોવા લાગે છે. જલ્દી પૈસાદાર થવાની અદમ્ય ઇચ્છાથી તે સારા નરસાનો વિચાર કર્યા વિના સહેલાઇથી પૈસા મળે તેવા માર્ગ ગ્રહણ કરે છે અને તે જુગારની બદીનો શિકાર બને છે.

જુગાર રમનાર પાંચ પાંડવોની હાલત કેવી થઈ? મહાભારત શીખવે છે જુગાર રમવાથી કદાચ બંગલા ગાડી કે રાજપાટ મુકવાં પડે. જુગાર એ આખરે નુકશાનીના દાવ છે

error: Content is protected !!