જેસલ જગનો ચોરટો – ભાગ 1

એ જી જેસલ! ગળતી એ માઝમ રાત:

એ….જાડેજા હો, ગળતી એ માઝમ રાત;

લાલ રે લુંગીની વાળેલ

કાળી રે કામળીની ભીડેલ ગાતરી હો જી;

એ જી જેસલ! ખડગ ખતરીસો લીધો હાથ,

એ….જાડેજા હો ! ખડગ ખતરીસો લીધો હાથ;

ખાતર દીધાં હરિને ઓરડે રે જી;

એ જી જેસલ! તોળી રે ઘોડી ને તલવાર,

એ….જાડેજાહો તોળી રે ઘોડી ને તલવાર;

ત્રીજી રે તોળાંદે કેરી લોબડી હો જી.

એ જી જેસલ ! તમે રે ચંપો ને અમે કેળ,

એ…. જાડેજા હો, તમે રે ચંપો ને અમે કેળ,

એકી એ દોરામાં દોનું રોપિયાં હો જી.

એ જી જેસલ ! તમે રે હીરો ને અમે લાલ,

એ…જાડેજા હો, તમે રે હીરો ને અમે લાલ;

એકી એ દોરામાં દોનું પ્રોવિયાં હો જી.

એ જી જેસલ, તમે રે પાણી ને અમે પાળ,

એ….જાડેજા હો, તમે રે પાણી ને અમે પાળ;

એકી એ આરામાં દોનું ઝીલતાં હો જી.

એ જી જેસલ, ગાયો રે તોળાંદે સતી નાર,

એ….જાડેજા હો, ગાયો રે સતી તોળાંદે નાર;

સતીએ ગાયો રે હરિનો ઝૂલણો હો જી.

ગળતી એ માઝમ રાત: મધરાત ગળતી હતી. ગગનના મધપૂડામાંથી ઘાટાં અંધારાં ગળતાં હતાં. અજવાળી બીજનું બાંકું નેણ ઘડીભર બતાવીને સાંજ , કોઈક બીકણ છોકરી જેવી, ઝટપટ ભાગી ગઈ હતી. મધરાત ગળતી હતી.

એવા અંધારવીંટ્યા નેસડામાં એક માટીના મકાનની પછીતે (પાછલી ભીંતે) એક આદમી ઊભો હતો. કમર પર લાલ લૂંગી લપેટી હતી. અંગ ઉપર કાળી કામળ ઓઢી હતી. અંધારા જોડે એકરસ બનતો એ લેબાસ હતો. કાળી માઝમ રાતનો એ કસબી હતો. અંદર્ અને બહાર, બધેય કાળાશ ધારણ કરીને માનવી કાળી રાતનો ગોઠિયો બન્યો હતો.

એના એક હાથમાં ઉઘાડું ખડગ હતું. બીજા હાથમાં ગણેશિયો.(ચોરી કરવાનું ઓજાર) હતો. ખડગનો ખપ હતો માનવીને મારવા માટે; ખતરીસાની જરૂર હતી દિવાલ ખોદવા માટે.

ખતરીસો કામે લાગ્યો. મકાનની દીવાલ ખોતરાવા લાગી. ધીરે ધીરે માટી ઝરવા લાગી. ધીરે ધીરે –કોઈને કાને ન પડીવો એ ખોતરકામનો અવાજ હતો.

થોડી વારે એ દીવાલની અંદર બાકોરું પડ્યું,જીવતા શરીરને કરકોલી ને કીડા એ જાણે ઘારું પાડ્યું,માનવી એ ખાતર દીધું ( બાકોરું પાડ્યું). કોને ઘેર? હરિ ને ઓરડે.

હરિ ની ઉપાસનાનું અએ થાનક હતું હરિ નાં ભજનિકો અંદર ભજન ગાંતા હતાં.ખડગધારી આદમીને કાને,એ બાકોરા વાટે ગાન ના સૂર રેડાયા. શ્બ્દ તો એ સમજતો નહોતો,સુરાવળ નું એને ભાન ન હોતું.પણ કોઇક ઝીણું મીઠું ગળું ગવરાવતું હોયને પચીસ-ત્રીસ સ્ત્રી- પુરુષ – કંઠો ઝીલતા હોય,એવુ એને સમજાણું. એણે મોં મલકાવ્યું,એ મલકાટ રાત સિવાય કોણ જોઇ શકે? એના ખતરીસાએ ખોતરકામ આગળ ચલાવ્યું. એને ખબર ન હોતી રહી, પણ ખતરીસો વચ્ચે એ અંદર નાં આધા ઓરડા માંથી ઊઠતા તાલ-સૂરો ની સાથે એકલતા બની ને ખોદકામ કરતો હતો . ખતરીસો કેમ જાણે ધણીનું કામ કરવા ને બદલે વધુ …….એ ભજન માં દેતો હતો. ચોર ને ચીડ ચડતી હતી.ખતરીસાનાં ટોચા તાલબંધી પડતા તે એને ગમતુ નહોતું. ખતરીસા ને સુ કાન હતા? ભજન નાં શબ્દો એ પકડતો હતો ? કેમ કહેવાય? ભજન નાં શબ્દ તો આ હતા-

મારું મન મહ્યું રે શુરવીર સાધસેં

હાં રે હાં, જે ને રુદિયે વસ્યા લાલ ગુંસાઇ

મારા વીરા રે !

હાલો રે ભાવે તમે હુઇ મળો રે

સાચે દિલે કરોને ઓળખાણું

મારા વીરા રે !

તોળી કહે,

આંખુ નાં ઉજાગરા તમે કાં કરો ?

નયણે નીરખી નીરખી જુઓ !

મારા વીરા રે !

આંજણુંનાં આંજ્યા રે ભુલા કાં પડો કૂવે

મારા વીરા રે !

તોળી કહે ,

કાલર ભુમિ માં મત વાવીએં

અને ખાતર જોઇ જોઇ પોખીએ

મારા વીરા રે !

જોત્યુંનેં અજવાળે દાન ……દીજીએ,

માણેક નમી નમી લીજે

મારા વીરા રે !

‘જેસલ જગનો ચોરટો’

તોળી કહે ,

સ્વાંતી ન….ત્રે મહુલા વરસિયા

એની નીપજે લેજો ગોતી

મારા વીરા !

વશીયલને અંગે વખડા નીપજે

છીપ – મુખ નીપજે સાચાં મોતી

મારા વીરા રે !

તોળી કહે ,

સાધુ ને ઘેર સતગુરુ પ્રોણલા

એની શી શી વગત્યું કીજે ?

અંગ નાં ઓશીકા, દલનાં બેસણાં

પગ ધોઇ પાહોળ લીજે

મારા વીરા

તાળી કહે,

મન નાં માનેલા મુનિવર જો ,મળે

દલડા ની ગુંજ્યું કીજે

જડેજાને ધરે તોરલ બોલિયાં.

લા વ તો સવાયો લીજે

મારા વીરા રે !

અર્થ:મારું મન શૂરવીર સાધુઓ પર મોહ્યુ છે: જેના રુદિયામાં પ્રભુ વસ્યા હોય તેવા સાધુ ઉપર.

ઓ મારા વીરાઓ !આવો, ભાવથી સૌ મળો, સાચાં દિલની ઓળખાણ કરો.

સત્યની શોધમાં તમે નકામા ઉજાગરા-ઊંડા તત્ત્વાંવેષણ- શા માટે કરો છો, ઓ ભાઇઓ? નયનથી નીરખી તો જુઓ! નેત્રોમાં જ્ઞાનનુંઆંજણ આંજેલું છે તોય કાં માર્ગ ભૂલો? દીવો હાથમાં છે છતાં કાં અજ્ઞાનના કૂવામાં ડૂબો?

ઓ બાંધવો! નબળી જમીનમાં બીજ ન વાવતા. સુપાત્રો જોઈ-તપાસીને જ તેનો સત્કાર કરજો. ભક્તિની જ્યોતને અજવાળે જોઇ-સમજીને દાન દેજો અને માટીમાં વેરાયેલાં માનવ-રત્નો નીચાં નમી નમીને વીણી લેજો.

સ્વાતિ નક્ષત્રમાં વરસેલા વરસાદે બે વસ્તુઓ નિપજાવી: વશિયલ (વાસુકિ) સાપના મોંમાં પડીને એણે વિષે પેદા કર્યું, ચીપને મોંએ ટપકીને એણે મોતી મૂક્યાં: સજ્જંનોની હ્દય-સીપલીમાં શિયળનાં મોતી સંચરાવ્યાં.

ઓ ભાઇઓ મારા: જુગતેથી ગીતો લેજો. બધેય ભક્તિરસની એક જ સરખી નીપજ ન ગણી લેતા.

સાધુજનને ઘેરે સદ્ગુરુ પરોણા બને ત્યારે એની શી શી સરભરા કરીએ, હે વીરાઓ? આ દેહનાં ઓશીકાં, દિલનાં આસન, અને કઅતિથિના પગ ધોઇને તેનું ચરણામૃત-પાન.

ને ઓ ભાઇઓ! હૈયાની ગુપ્ત વાતો(ગુંજ્યું) કોને કહેવાય? ખરેખરા મનમાન્યા ભક્તજન જડે તેને જ;જેનેતેને નહીં,

જીવનના સવાયા લહાવ તો એ રીતે જ લેવાય, હે વીરાઓ! મારું મન તો શૂરવીર સાધુઓ પર જ મોહ્યું છે.]

ત્યાં ભજન પૂરું થયું આંહીં ખાતર પૂરું દેવાઇ રહ્યું, આખું એક ઢોર સોંસરું નીકળી શકે એવડો મોટો કાપ માટીની ભીંતમાં પડી રહ્યો. અને ખડગવાળો માનવી અંદર પ્રવેશ્યો. એ ઘોડહાર હતી. અંધારામાં હીરા ઝગમગે એવી બે આંખો ચળકી. આંખોના અંગાર તાકી રહ્યા. એક જ પશુ: એક ઘોડી: એની લાદની પણ મીઠી સોડમ વાઈ. એ તો કાઠીની ઘોડી: પરગંધીલું જાનવર: જાનવરને પરાયા નરની બૂરી ધ્રાણ આવી. ઘોડીઓ ફરડકા નાખ્યા. એ જ ઘોડી-

એ જી જેસલ! તોળી રે ઘોડી ને તલવાર

એ…જાડેજા હો! તોળી રે ઘોડી ને તલવાર,

ત્રીજી એ તોળાંદે કેરી લોબડી હો જી!

ચોર જે ત્રણ વાનાંની ચોરી કરવા આવ્યો હતો એ જ માંયલું આ એક રત્ન: પોતાનો ને એક કાઠિયાણીનો બોજ ઉપાડીને ગામ ગામના સીમાડા લોપે તેવી અજાજૂડ ઘોડી! કામ પાકી ગયું,પ્રથમ તો એને છોડને બહાર કાઢી બાંધી દઉં.

ચોર નજીક ચાલ્યો ઘોડીએ ડાબલા પછાડ્યા. ઘોડી હીંહોટા ઉપર હીંહોટા મારવા મંડી.

આઘેરે ઓરડે, હરિને ઓરડે, એક દીપક જલતો હતો. બીજદિન અને થાવરવાર (શનિવાર)ની રાતના પાટની અખંડ ઘીની જ્યોતની આસપાસ કૂંડાળે બેઠેલાં ઉપાસકો એક ભજન પૂરું કરીને બીજા ભજનનો આદર કરવા પહેલા વિરામ લેતાં હતાં.

“એલા, ગ્જોડી કેમ ફરકડા નાખે ચે? કોઈ એરુઝાંઝરું, જીવજંત તો નથી ના? જઈને જુવો ને!”

ઓરડામાં કોઇક બોલ્યું. એક આદમી ઊઠ્યો . ચોરે જાણ્યુ કે ભોગ લાગ્યા. સંતાવાનું સ્થાન નહોતું. ઘોડીને માટે ઘાસની પાથરેલી પથારી હતી. પથારીના ઘાસના પોલ નીચે આદમી લાંબો થઈને સૂઇ ગયો.

ઘોડીએ ઝોંટ મારી હતી. કાઠીની ઘોડીની ગરદનમાં કૌવતનો પાર નહોતો. એક –બે ઝોટે ઘોડીએ પોતાને જ્યાં બાંધી હતી તે ખીલો જ ભોંયમાંથી ઊંચકાવી કાઢ્યો હતો. ખીલો લોઢાનો હતો.

માણસે આવીને આજુબાજુ નજર કરી. કોઇ નહોતું. ઘોડી ટાઢી પડતી હતી. એના અંગ પર પંપાળીને માણસે ઘોડીનો ખીલો ફરી વાર ભોંયમાં ધરબ્યો. એક મોટો પથ્થર લઈને ખીલા ઉપર ઠોક્યો. ખીલો ઊંડો ઊતરીને જડબેસલાક થઈ ગયો. માણસ ‘હરિને ઓરડે’ પાછો ગયો ને ત્યાં બીજું ભજન ઊપાડ્યું:

હે વીરા! નર સતિયારા તમે સાચું વોરો જી:

એવાં કૂડ ને કપટ મનનાં મેલો રે!

હે વીરા! મનની માંડવીએ રૂડાં દાન ચુકાવો જી;

એવા જમને દાણ દઈ પાછા ઠેલો રે!

હે વીરા!વણજું કરોને વણજારા

મારા વીરાજી!

વીરા માળાની જપતી વેપારી રે!

હે વીરા, ધરમ તણી તમે ધારણ બાંધો જી;

એવો શેર સવાયો લીજે રે !

હે વીરા, ખમૈયાનો ખડિયો ને લોહની લેખણ રે,

એવાં પુન્યનાં પાનાં ભરીએં જી

-હે વીરા.

હે વીરા, મહાવ્રતીમાં મોટા સંત જી રે

એની પેઢીએ બેસીને પુન કીજિયેં રે !

હે વીરા, નિજિયારાં દાન અભિયાગતને દીજિયેં રે

એવા લા’વ સવાયા લીજિયેં રે જી !

હે વીરા, એના ધરમે અનેક નર ઓધરિયા જી,

ક્રોડ તેત્રીશ એણી પેરે સીધ્યા રે.

હે વીરા , પાંચ સાત ક્રોડ નવ બારા જી,

મોટા મુનિવર મહાવ્રત લીધાં જી.

હે વીરા, જ્યોતુંને અજવાળે દાન રૂડાં દીજિયેં રે

એવી સફળ કમાયું કીજે રે;

હે વીરા, જાડેજાને ઘેરે સતી તોળલદે બોલિયાં રે;

આપણે લા’વ સવાયો લીજિયેં રે.

એક નારી ગવરાવે છે, ને અનેક નરનારીઓનું મંડળ ઝીલે છે. ગવરાવનારું ગળું જ્યોતમાં પણ જાણે પોતાના સૂરનું ઘી સીંચી રહ્યું છે. આંતરે ને આંતરે એના બોલ પડે છે-

હે વીરા મારા!

એ બોલ પાણીની ધાર સરીખા પડે છે. સાંભળનાર પુરુષોનાં કલેજાં ધોવાઈને પાવન થઈ રહ્યાં છે. નર તમામ વીરા છે નારીના: ને નારીનું સગપણ જાણે કે પુરુષની મોટેરી બહેનનું છે: બહેનના બોલ ભાઈઓને ચેતાવે છે. કેવા ચિત-ચેતાવણ શબ્દો!-

[અર્થ: ઓ ભાઇઓ મારા, સંસારમાં આતમ-ધનનુંઉપાર્જન કરનારા તમે ચતુર વેપારી બનજો. વણજનો સાચો વ્યવહાર ચૂકશો મા.નફા રળજો, પણ સવાયા જ; નહીંઝાઝેરા કે નહીં ખોટનો વેપાર. સાચા ઇમાનથી વસ્તુઓ ખરીદજો. નામાં તમારે આતમ-ચોપડે સચાં માંડજો .ક્ષમાનો ખડિયો ને લોખંડી મનોબળની લેખણ કરજો. પુન્યને પને હિસાબ નોંધજો. તમારી કમાઇઓને સફળ કરજો]

ઘોડીની ઘાસ-પથારી નીચે લપાયેલો તસ્કર આ શબ્દો સાંભળતો હશે? સમજતો હશે? નહીં,નહીં, એની સુરતા તો બીજી જ વાતમાં લાગી રહે છે, એનું શરીર બીજી જ સમાધિમાં સ્થિર બની રહ્યું છે. એ હલતો કે ચલતો નથી. એને જાણે કોઇ ભયાનક સંકલ્પે જકડી લીધો છે. એનાં રોમરોમ કોઇ વેદનાથી વીંધાઈ ગયાં છે. કાયા કપાઈ રહી છે. પણ કાયા બાપડી શી વિસાતમાં છે?-

એ જી જેસલ!

તોળી રે ઘોડી ને તલવાર

ત્રીજી તોળાંદે કેરી લોબડી હો જી.

ત્રણેય ઉપાડી ક્યારે ઘોડી પલાણું? લઈને ગયા વગર કેમ રહું? અંજાર શહેરમાં ભોજાઈ મે’ણાં બોલી છે: કચ્છની વસ્તીને સંતાપછ, તે જાને સોરઠના મૂછાળા સાંસતિયા કાઠીને ઘેરે!પાંઉપાટણ ગામના એ પ્રભુભક્તને ઘેરે તોળી કાઠિયાણી છે. તોળી નામની ઘોડી છે: કાથીની તરવાર પણ ટીંગાતી હશે પરસાળમાં.જબરો છો તે જા પહોંચને! પણ કાઠીની તરવાથી ચેતજે, જાડેજા!

કાઠીની તરવાર! જોઈ લેજે, ભાભી! એને પણ ઉપાડી લાવું. એની બાયડીનેય લઈ આવું. એની ઘોડીનેય પલાણી લાવું.

કાઠીંનાં ત્રણેય નાક કાપી ન લાઉં તો હું જાડેજો જેસલ નહીં.

હરિને ઓરડે જ્યોત ને થાળ પધરાવાયો. ત્યાં મૂર્તિ નહોતી. ન કોઈ દેવની , કે ન ઈશ્વરની: હતી એકલી જ્યોત. જ્યોતનો પૂજક એ મહાપંથ ‘મોટો પંથ’હતો. પ્રત્યેક નર પોતાની નારીને ભેળી લઈ આવતો. એકલાને ત્યાં પ્રવેશ નહોતો. અતિહીણાયેલા ને આજે તો સડી ગયેલા એ ‘મોટા પંથ’ની એક વાર આ બધી ખૂબીઓ હતી.

કોળીપાવળ (પ્રસાદ) વહેંચાયો. તમામને કોળિયો પહોંચી ગયો? કોઇ બાકી ?ના ભાઈ, હવે કોઇ બાકી નથી રહ્યું. કોઇ નહીં.

“અરે હશે હશે એકાદ જણ,” કોળીપાવળ વહેંચનારે મક્કમપણે કહ્યું.”આંહીં થાળમાં એક જણનો કોળિયો હજી વધે છે.”

“તપાસી વળો”

માણસો તપાસ કરે છે. આખા વાસમં એકેય માનવી નથી. અરે પણ આ ઘોડી હજી કાં જંપતી નથી? આ ફરડકા ને હીંહોટા શાના? કોઇ ચોર તો છુપયો નથી નાં? માણસો મશાલો લઈ લઈ ને દોડ્યા, ઘોડારની અંદર આ ભીનું શું છે? આ રેલા શેના ચાલ્યા જાય છે? ગરમ ગરમ આ પાણી ક્યાંથી? પાણી નથી, આ તો લોહી લાગે છે. આ શી નવાઈ!

ઘાસ-પથારી ફેંદી નાખી. જુએ છે તો નીચે એક આદમી સૂતો છે. વિકરાળ આદમી: એનો એક પંજો ઘોડાના લોઢાના ખીલાની નીચે છે: ખીલો પંજા સોંસરવો ભોંયમાં ખૂંત્યો છે. એ પંજામાંથી લોહીનું પ્રનાળું ચાલ્યું જાય છે તોય એ પંજાનો ધણી તસ્કર નથી હલતો કે નથી ચલતો. એની આંખો ચળક ચળક સૌને નીરખી રહી.

ખીલો ખેંચી કાઢ્યો માનવી ઊભો થયો. ભક્તજનો જોઈ રહ્યા. આ કોણ બેમાથાળો? ચૂંકારોય કાં કરતો નથી? ભગત સાંસતિયા! સતી તોળલદે! આવો આવો, કોક અતિથિ છે.

કાઠી અને કાઠિયાણી કશીય ઉતાવળ કર્યા વગર શાંત પગલે આવીને ઊભાં રહ્યાં .અજાણ્યો આદમી બોલ્યાચાલ્યા વિના ઊભો છે. એની નજર કાઠિયાણી પર ઠરી છે. આ તોળી! આ પોતે જ કાઠિયાણી! આવડાં બધાં રૂપ! રૂપ માતાં નથી. રાત્રિનો ત્રીજો પહોર આ રૂપને ઝીલવા નાનો પડે છે.

“ કોણ છો, નારાયણ?” સાંસતિયે પ્રશ્ન કર્યો.

“રાજપૂત

“નામ?ધરા?”

“કચ્છ ધરા, ને નામ જેસલ જાડેજા.”

“જેસલ જાડેજા!” નામ સાંભળીને સૌએ એકબીજાની સામે જોયું.

સો-સો ગાઉને સીમાડે જેનું નામ પડ્યે લીલાં ઝાડવાંય સળગી ઊઠે છે તે જ આ અંજાર શહેરનો કાળ-ડાકુ જેસલ! જગનો ચોરટો જેસલ!

“કેમ આવેલા?”

”ચોરી કરવા.”

”શેની ચોરી?”

”ત્રણ વાનાંની.”

”ગણાવશો?”

”સંસતિયા કાઠીની અસ્તરી તોળી, એની ઘોડી અને એની તરવાર.”

” હાથે આ શું થયું?”

”સંતાણો, તમારા જણે ઘોડીને ખીલો ઘરબ્યો. નીચે મારો પંજો જરા આવી ગયો.”

“તોય તમે બોલ્યા નહીં? સ|ળવળ્યા નહીં?”

“નહીં, હું ચોર છું.”

સાંસતિયાએ તોળલદેની સામે નજર કરી. નજરે નજર વચ્ચે વાતો થઈ ગઈ. વાત બે જણાં સનજ્યાં. જુઓ છો સતી? ચોરની એના કસબ સાથેની તલ્લીનતા જોઇ? આવા ટેકેલા આદમી કેટલાક દીઠા? હજારુંમાં એક? ના ,ના, લાખુંમાંય એક ગોત્યો જડે નહીં. આવા વજ્રદિલવાળાની સુરતા પોતાનું નિશાન બદલે તો? હરિને માર્ગ ચડે તો?તો કાંઈ મણા રહે ખરી? તો આભે નિસરણી માંડે ને?

જેસલ જાડેજા: કચ્છ ધરાનો કાળભૈરવ: હત્યાઓનો કરનારો: ગાભણીના ગાભ વછૂટી પડે એવી જેની દયાહીન હાક: જેસલનો રાહ પલટે, તો લાખો માનવીની દુવા જડે: જેસલનું નિશાન તકાય, તો પ્રભુનેય પૃથ્વી પર પડવું જોઇએ.

“આને કોણ પલટાવે?” તોળલે કંથને કહ્યું.

“શૂરાને કોણ બીજું પલટાવે? સતી હોય તે.”

તોળલ પતિના બોલનો મર્મ પામી ગૈ. કાઠીએ ફરીથી કહ્યું:

“સતી જેસલજી તમને તેડું કરવા આવ્યા. તમારે વાસ્તે એણે આટલો બધો દાખડો કર્યો. ને આજ તો બીજની રાત છે. આજ જ્યોતની રાત છે. આજ અભિયાગત ખલી હાથે પાછી કેમ વળશે, સતી? અરે, કોઇ મારી તરવાર લાવો.”

જેસલને ખાતરી થઈ ચૂકી. આ પહાડની ટૂક સરખોકાઠી તરવાર મગાવે છે: હમણાં મારા કટકા કરશે.

“લ્યો, જેસલ જાડેજા.” સાંસતિયે જેસલની નજીક જઈને તરવારનો પટો એને ખભે લટકાવી દીધો અને કહ્યું:”લ્યો નારાયણ!મારે તો હવે ખપની નથી રહી, પડી પડી કાટ ખાય છે. તમારી પાસે હશે તો જળવાશે. અને ઘોડી જોતી’તી તો આવીને માગવી નો’તી?બહુ મેહનત લીધી, બાપ! એલા કોઇ ઘોડીને માથે પલાણ માંડો. ને સતી! જાવ જાડેજા જેસલજી રોટલે-પાણીએ દુખી હશે. એની સાચવણ રાખજો. ને બેય જણાંને દિલ થાય તે દી પાછાં જ્યોતનાં ભજન ગાવા ચાલ્યાં આવજો.”

“ને જેસલ જાડેજા!” સાંસતિયો જેસલ પ્રત્યે ફર્યો:”એટલું એક ન ભૂલજો0 કે આંહી ઠાકરના પ્રસાદમાં તમારા ભાગનો કોળિયો વધી પડ્યો હતો. લ્યો આરોગતા જાવ!”

આગળની વાત હવે પછીના ભાગમાં મુકવામાં આવશે ….

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી સંતો માંથી લેવામાં આવેલ છે.

જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

error: Content is protected !!