ગુજરાતનું ઐતિહાસિક, આધુનિક અને સુંદર શહેર સુરત

એક કહેવત છે ——–
સુરતનું જમણ અને કાશીનું મરણ
આ કહેવત સોએ સો ટકા સાચી છે

  • સુરત એટલે દિવસેને દિવસે આધુનિક અને સતત વિકસતું શહેર
  • સુરત એટલે સુરતીઓનું પોતીકું શહેર
  • સુરત એટલે સુરતી મીઠી બોલીનું જન્મ સ્થાન
  • સુરત એટલે હીરાઘસુઓનું આગવું શહેર
  • સુરત એટલે સાડીઓના ધંધાને દીપાવતું શહેર
  • સુરતમાં ઘણા કાઠીયાવાડી લોકો પણ આવીને વસ્યાં છે
  • સુરત એટલે શહેરોમાં એક આગવી ભાત પાડતું શહેર
  • સુરત એટલે સતત કિલ્લોલતું શહેર

સુરતનો ઈતિહાસ  ——-

સુર્યપુર નામથી આદિકાળમાં તાપી નદી કિનારે વસેલું આ શહેર પહેલા મુઘલો ત્યાર બાદ પોર્ટુગીઝો અને પછી અંગ્રેજો માટે મુખ્ય બંદર બની રહ્યું. ઐતિહાસીક સંશોધનોને આધારે જાણવા મળ્યું છે કે શ્રી કૃષ્ણ જ્યારે મથુરા થી દ્વારકા જતાં હતાં ત્યારે તેમણે સુરતમાં આગમન કર્યું હતું. તેનો બીજો ઉલ્લેખ સમ્રાટ અશોકનાં સોપારા (મુંબઇ) અને સૌરાષ્ટ્રનાં શીલાલેખોમાં મળી આવે છે. જેમાં સુર્યપુર ને લાટ પ્રદેશનું મુખ્ય નગર ગણવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાતવાહનનું સામ્રાજ્ય દખ્ખણ પ્રદેશ થી લાટ તરફ વિસ્તર્યુ હતુ, પણ તે ફક્ત દમણની આસપાસ ના મહાળ ક્ષેત્ર પુરતુ સીમીત હતું. તેમની ઇચ્છા સુર્યપુરને મેળવવાની હતી પણ તે થઇ શક્યું નહીં.

ત્યાર બાદ સોલંકીકાળ દરમિયાન તે ગુજરાતનું એક મહત્વનું બંદર બની રહ્યું. ૧૬ મી સદી દરમ્યાન મુઘલકાળમાં સુરત તો ભારતનું એક સમૃદ્ધ શહેર અને બંદર બની ગયું, તેથી તેની સુરક્ષા માટે સમગ્ર શહેરની ફરતે એક મજબુત અને ઊંચો કોટ બાંધવામાં આવ્યો જેનું નામ આપવામાં આવ્યું “શેહરે પનાહ” જેને સ્થાનિક લોકો નાનાં કોટ તરીકે પણ ઓળખતા હતાં. વખત જતાં શહેર વિસ્તરતું ગયું અને તે “શેહેરે પનાહ”ની બહાર નીકળી ગયું, સુરતની સમૃદ્ધિ દિન-પ્રતિદિન વધી રહી હતી તેથી શહેરની સુરક્ષાનો પ્રશ્ન ફરી ઉદભવ્યો, તેથી ફરી એક વખત નવા શહેરને સુરક્ષા આપવા એક નવા કોટનું નિર્માણ થયું, જેને નામ આપવામાં આવ્યું, આલમ પનાહ જેને સ્થાનિક લોકો “મોટા કોટ” તરીકે ઓળખતાં હતાં.

સુર્યપુત્રી તાપી નદીના કિનારે વિકસેલ સુરત શહેરનો ઇતિહાસ અતિ ભવ્ય છે.. સુરત શહેરની સમૃદ્ધિથી આકર્ષાઇને છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઇ.સ. ૧૬૦૦ના અરસામાં સુરત શહેરમાં બે વખત લૂંટ કરવામાં આવેલ. સુરત શહેરમાં ચોર્યોસી બંદરના વાવટા ફરકતા હોવાથી ચોર્યોસી નામ પડેલું. આમ ભુતકાળમાં સુરત એક અગત્‍યનું બંદર હતું. વલંદાઓએ સુરત શહેરમાં કોઠી પણ સ્થાપેલી. ઇ.સ. ૧૬૧રમાં અંગ્રેજોએ ભારતભરમાં સૌ પ્રથમ સુરતમાં વ્‍યાપારી કોઠી સ્થાપી અને ઇ.સ. ૧૬૧૪માં ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે વેપારના હક્કો મેળવેલ.

સુરતના ઇતિહાસ સંદર્ભે વધુ ઉંડાણપૂર્વક અભ્‍યાસ કરીએ તો જણાય છે કે સુરતના સ્પષ્ટ ઉલ્લેખો પંદરમી સદીની શરૂઆતથી જ મળી આવ્‍યા છે. તે પૂર્વે સદીઓના ઐતિહાસિક અનુભવમાંથી સુરત જિલ્લાનો ભૂમિ વિસ્તાર પસાર થયો હતો.. આ પ્રદેશ ઉપર અનેક રાજકુલોએ શાસન કર્યુ હતું. સેંકડોની સંખ્‍યામાં મળી આવેલા તામ્રપત્રો દ્વારા રાજવીકુલો દ્વારા પ્રચલિત પ્રાંત/ધર્મની પરંપરા સ્થાપિત થઇ ચુકી હતી. સુરત વિશ્વભરના વેપારીઓ નિકાસકારો માટે વસવાટનું મુખ્‍ય આકર્ષણ બની રહ્યું હતું.

સુરત નગરનો ઐતિહાસિક ઉલ્લેખ જ્યારથી મળ્યો છે ત્‍યારથી નગરના બે નામે સુરત અને સુર્યપુરની પરંપરા જોવા મળેલ છે. સુર્યપુર શબ્દ પ્રયોગ સૌ પ્રથમ જૈન ધાતુ પ્રતિમાલેખમાં મળે છે.. સુરત નામોલ્લેખ પણ છેક પંદરમી સદીના મઘ્યભાગથી મળે છે. ઉપરાંત જૈન સાહિતકિ કૃતિઓમાં, ફારસી ઇતિહાસ ગ્રંથોમાં સુરત શબ્દ પ્રયોગ સતત થયેલો જોવા મળે છે. પંદરમી સદીના પૂર્વાધ દરમ્યાન મુસ્લિમ સલ્તનત નીચે રહેલા આ નગર બંદર માટે સુરત શબ્દ રૂઢ થઇ ગયેલો.

સુરત કયારે વસ્‍યું એ વિશે મુસ્લિમ ઇતિહાસકારો નોંધે છે કે, કુત્બુદિન અયબકે ઇ.સ. ૧૧૯૪માં અને મહંમદ તુગલકે ઇ.સ. ૧૩૪૭માં સુરતની મુલાકાત લીધી હતી. ઇ.સ. ૧૩૭૩માં સુલતાન ફિરોઝ તુગલકે સુરતના રક્ષણ માટે નાનો કિલ્લો બંધાવો હતો. અને ૧૩૯૧માં ગુજરાતના ગર્વનર ઝફરખાને એના પુત્ર મસ્તીખાનને રાંદેર તથા સુરતના ગર્વનર તરીકે નીમ્‍યો હતો. મુળ સુરત દરિયામહેલ, શાહપોર, નાણાવટ, સોદાગરવાડ વિગેરે વિસ્તાર પૂરતું મર્યાદિત હતું. પરંતુ ઇસુની પંદરમી સદીના અંતમાં મલિક ગોપી નામના શ્રીમંત અમીરે ગોપીપુરા વસાવી તથા ગોપીતળાવ બંધાવી તેનો વિસ્તાર કર્યો. તેની પત્નીની સ્મૃતિમાં તેણે રાણીતળાવ બંધાવું એ પછી સુરતના ગર્વનર તરીકે તેની નિમણૂંક થઇ હતી. પરંતુ ૧પ૧પની આસપાસ ગુજરાતના સુલતાનની ખફગીનો ભોગ બનવાથી તેને મારી નાંખવામાં આવ્‍યો.

સોળમી સદીના શરૂઆતમાં પોર્ટુગીઝોને સુરતના બંદર ઉપર કબજો જમાવ્‍યો. એમણે શહેર લૂંટાયું તથા જાહોજલાલીનો નાશ કર્યો. પોર્ટુગીઝોના હુમલાથી બચવા સુરતના નાઝીમ ખ્વાજા સફર સલમાનીએ ઇ.સ. ૧પ૪૦માં જુના નાના કિલ્લાને સ્થાને નવો મજબૂત ઉંચો અને વિશાળ કિલ્લો બંધાવો. જે આજે પણ તાપી નદીના હોપપુલ પાસે મોજુદ છે. સુરત જીતવા મોગલ બાદશાહ અકબર પોતે અહીં આવી અને દોઢ માસના ઘેરા પછી ફેબ્રુઆરી-૧પ૭૩માં એણે સુરતના કિલ્લા ઉપર કબજો મેળવ્યો હતો.

મોગલ યુગ દરમાન સુરતની વસ્તી વિસ્તાર વેપાર સંબંધી અને જાહોજલાલીમાં ખૂબવધારો થયો. પશ્ચિમ ભારતનું એ મુખ્ય આંતરરાષ્ટ્રીય બંદર બનું. મક્કા જવા માટેના વહાણો સુરતથી જ ઉપડતા. આજે એ સ્થળ મક્કાઇપુલ તરીકે ઓળખાય છે. અંગ્રેજોએ એમની સૌ પ્રથમ કોઠી ઇ.સ. ૧૬૧૩માં સુરતમાં નાખી. એ પછી ડચ લોકો, ફ્રેન્ચ લોકો અને આર્મેનિયનો પણ આવ્‍યા. એના કબ્રસ્તાનો કતારગામ દરવાજા પાસે છે. ૧૬૪૪માં મક્કા જતા આવતા મુસ્લિમોની સગવડ માટે એક ભવ્ય અને વિશાળ મોગલસરાઇ (મુસ્લિમોની ધર્મશાળા) બાંધવામાં આવી. જેનો ઉ૫યોગ આજે સુરત મુનિસિપલ કોર્પોરેશનના મુખ્‍ય કાર્યાલય તરીકે થાય છે અને એની આસપાસનો વિસ્તાર મુગલીસરા તરીકે ઓળખાય છે.

મોગલ યુગ દરમાન વીરજી વોરા, કૃષ્ણ અર્જુન ત્રવાદી, આત્મારામ ભૂખણ વિગેરે કરોડપતિઓ સુરતમાં હતા. અહીં વેપાર માટે દેશ-પરદેશના અનેક વહાણો આવતા તેથી ચૌર્યાસી બંદરના વાવટા અહીં ઉડતા એમ કહેવાતું. કુરજા સામે એક ટંકશાળ હતી. જયાં સોનાચાંદીના સિક્કા પાડવામાં આવતા. ઔરંગઝેબના સમયમાં તેની બહેન જહાન આરાને સુરતની જાગીર આપવામાં આવી હતી. તે જ્યાં રહેતી તે વિસ્તાર આજે બેગમવાડી અને બેગમપુરા તરીકે ઓળખાય છે.

મોગલ યુગમાં સુરતની જે સમૃદ્ધિને જાહોજલાલી હતી તેમાં મરાઠા યુગ દરમ્‍યાન ઓટ આવી. સુરત ઉપર મરાઠાઓનું વિધિસરનું વર્ચસ્વ સ્થપાયું ન હતું પણ શિવાજીએ ચોથ ઉઘરાવવા સુરતને ૧૬૪૪માં અને ૧૬૭૮માં એમ બે વખત લૂંટ્યું. અંગ્રેજોને સુરત અસલામત લાગતાં તેમણે એમનું મુખ્‍ય મથક સુરતથી મુંબઇ ખસેડાયું. તે પછી મુંબઇનો વિકાસ થયો. સુરતના ઘણા વેપારીઓ પણ મુંબઇ જઇ વસ્યા.

અંગ્રેજી શાસન સ્થપાયા પછી સુરતમાં ભૌતિક સગવડ સુધારા દાખલ થયા અને આધુનિક સંસ્થાની સ્થાપના થઇ. ઇ.સ. ૧૮પ૦માં એન્ડુસ લાયબ્રેરીની અને ૧૮પરમાં સુરત શહેર સુધરાઇની સ્થાપના થઇ. ૧૮૬૪માં સુરત રેલવે સાથે જોડાયું અને ૧૮૭૭માં હોપપુલ બંધાયો. સમય જતાં રસ્તાઓ, વીજળી, તાર-ટપાલ, શાળા કોલેજો વિગેરેના બાંધકામ થયા. દરમ્યાન સુરતને કેટલીક મોટી આગ અને રેલે ભયંકર નુકશાન કર્યુ. ૧૮૩૭ની મોટી આગમાં સુરતના મઘ્ય ભાગના ઘણાખરા મકાનો નાશ પામ્યા હતા.

આઝાદીની ચળવળમાં સુરતે મહત્વનો ફાળો નોંધાવો છે.૧૮૮પમાં કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં સુરતના છ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.. ૧૯૦૭માં કોંગ્રેસનું ઐતિહાસિક અધિવેશન સુરતના અઠવાગેટ પાસેના દિવાળીબાગ પાસેના વિસ્તારમાં યોજાયું ત્‍યારે દેશના તમામ નેતાઓ સુરત આવ્‍યા હતા. ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈએ અનેક વખત સુરતની મુલાકાત લીધી હતી. પાટીદાર આશ્રમ અને દયાળજી આશ્રમ સુરતની સ્વાતંત્ર ચળવળના બે મુખ્‍ય કેન્દ્ગો હતા.

ગુજરાતમાં સમાજ સુધારાની ચળવળની શરૂઆત સુરતથી થઇ હતી. દુર્ગારામ મહેતાજી, નર્મદાશંકર વિગેરેએ મહત્વનો ફાળો આપો હતો. સુરતે નંદશંકર, નર્મદાશંકર, નવલરામ, મહીપતરામ નીલકંઠ, રમણભાઈ નીલકંઠ, જયોતિન્દ્ગ દવે, ચં.ચી. મહેતા જેવા મકાન સાહિત્‍યકાર આપ્‍યા છે. શિક્ષણ, કલા, સંગીત, ઉદ્યોગ, વાપાર અને ધર્મના ક્ષેત્રે સુરતનું નોંધપાત્ર પ્રદાન છે. સુરતમાં આર્ટ, સિલક, જરી, હીરાના ઉદ્યોગો વિકસ્‍યા છે. હજીરા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પ્રોજેકટ શરૂ કર્યા છે. સુરતનો હાલનો વિકાસ જોતાં સુરત જાણે કે ફરીથી સોનાની મુરત બનવાની તૈયાર કરી રહ્યું હોય તેવું જણાય છે.

  • સુરત એટલે જાહોજલાલી
  • સુરત એટલે મિજબાની
  • સુરત એટલે મેઝબાની
  • સુરત એટલે કાવ્યબાની
  • સુરત એટલે મહેફિલ
  • સુરત એટલે સાકારાતમ્કતા
  • સુરત એટલે મિષ્ટાન
  • સુરત એટલે ફરસાણ
  • સુરત એટલે જમણ
  • સુરત એટલે પૌરાણિકતા
  • સુરત એટલે આધુનિકતા
  • સુરત એટલે જીવતી જાગતી કૃતિ
  • સુરત એટલે પ્રતિકૃતિ
  • સુરત એટલે પોંકની પાર્ટી
  • સુરત એટલે ગરમાગરમ રતાળુપૂરી
  • સુરત એટલે ઘારીની મીઠાશ
  • સુરત એટલે ઊંધિયાનો જલસો
  • સુરત એટલે વાટીદાળના ખમણનો સ્વાદ
  • સુરત એટલે તાપીકીનારો
  • સુરત એટલે દરિયાકિનારાની સહેલગાહ

સુરતની પડતી પર વીર નર્મદે લખેલું એક કાવ્ય યાદ આવે છે

આ તે શા તુજ હાલ,  સુરત સોનાની મૂરત;
થયા  પૂરા  બેહાલ,  સુરત  તુજ  રડતી સૂરત!

રે હસી ને હસીને રડી, ચઢી ચઢી પડી તું બાંકી;
દીપી તે  કુંદનમાં જડી, પડી  રે  કથીરે  ઝાંખી.

કંચન   મણિનો   દેવ,   જેમ   વેચાયો   કડકે;
સુકુમારો   તુજ    દેહ,  તેમ   વેચાયો   ભડકે.

નૈન તણા ચળકાટ, પડ્યાં  ફૂલાં  કહાં  આજે!
ભર્યા  ગાલના  ઠાઠ, પડ્યા  કૂવા  કહાં  લાજે!

ઠર્યા  હોઠ  જે  લાલ,  ધ્રૂજે   તે  ફીકા  કાળા;
દાંત  તણાતા   હાલ,  સૂઝે   મરવાના  ચાળા.

રૂડું   અણિયાળું   નાક,  બેઠું  ચાઠાંથી  ભાસે;
ગયું   હાય  રે   નાક,   નીચું   મોઢું   નિરાશે.

તેજસ્વી   મુખ   જેહ,  સુરતનું   સૂરજ  જેવું;
ડરામણું   ફીકું   તેહ,  સુરત  તુજ  ઘુવડ જેવું.

ગોરું  કારમું   રૂપ,  ખમાં  પૂનમ  જોવા  જેવું;
થયું     વેઠતાં    ધૂપ,    અમાવાસ્યાએ   તેવું.

તન પર  સૂરખી લાલ, ઊડી  રહેતી ચઢતીમાં;
ધૂળ ઊડે  છે  હાલ,  ભૂંડી  દુઃખદા  પડતીમાં.
-નર્મદ

જોકે અત્યારે તો સુરત અત્યંત વિકસિત શહેર છે

આધુનિક સુરત

જેને આપણે હિદુ રાજા તરીકે ગર્વથી કહીએ છીએ એ શિવાજી મહારાજે સુરતને લુંટ્યું હતું એકવાર નહીં અનેકવાર સુરતની જાહોજલાલી એ જમાનામાં પણ પ્રખ્યાત હતી ભારતના કિલ્લાઓમાં જેટલી પણ તોપો છે એ સુરતના સોનીઓએ જ બનાવી હતી. સુરત એક જમાનામાં અવદશામાંથી પસાર થતું હતું અને એટલેજ વીર નર્મદે “સુરત તુજ રડતી સુરત ” લખ્યું હતું !!! પણ આજે એવુ સુરત નથી એ તો સુવિદિત જ છે

૧૯૯૪ના ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધેજ મરેલા પશુ પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનાદિના અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમતો ૨૫ લાખની વસ્તીમાં ખાલી ૪૦ જેટલાજ લોકોને રોગની અસર થઇ પણ આખા દેશમાં એના પડઘા પડ્યા હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું. સુરતથી આવેલા માણસ તેમજ વાહનોને કોઇ પણ જગ્યાએ આવવા દેવાયા નહીં. પ્લેગને લીધે આખરે શહેર, રાજ્ય તેમજ દેશની સરકારો જાગી. ત્યારના મ્યુનિસિપલ કમિશ્નર સુર્યદેવરા રામચંદ્ર રાવની બાહોશ કામગીરીથી સુરતની ગણના આજે દેશના સૌથી ચોખ્ખા શહેરોમાં થાય છે.

બીજીવાર ૧૧ ઓગસ્ટ ૨૦૦૬એ થયેલી અત્યાધિક વર્ષા અને નદીમાં આવેલા પુરને લીધે લગભગ આખું શહેર પાણીમા ડુબેલુ હતુ. આ વખતનુ પુર સુરતના ઇતિહાસનુ સૌથી વિનાશક પુર હતુ. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનુ નુક્સાન થયુ હતું. આ પુરને લીધે લગભગ આખા શહેરને ૪૦ વર્ષૉ સુઘી પહોચાડી શકાય તેટલુ પાણી દરીયા મા વહી ગયુ હતુ.

રાજ્યમાં અમદાવાદ સૌથી મોટું શહેર હોવા છતાં માથાદીઠ આવકમાં અમદાવાદ બીજા ક્રમે આવે છે. સમગ્ર દેશમા સૌથી વધુ માથાદીઠ આવક સુરત શહેરની છે. સુરતની માથાદીઠ આવક રૂ. ૪,૫૭,૦૦૦ છે જ્યારે અમદાવાદની માથાદીઠ આવક રૂ. ૩,૨૮,૦૦૦ છે. આ ઉપરાત સુરત દેશનુ સૌથી યુવાન શહેર છે. સુરત શહેરની કુલ વસ્તીના લગભગ ૭૪ ટકા એટલે કે ૩૩ લાખ લોકો ૩૫ વર્ષથી આછી ઉમર ધરાવે છે. જેની સુરત વાસીઓ ઘણા સમયથી રાહ જોતા હતાં તેવું આંતરિક હવાઇ મથક (domestic airport) ૨૯ એપ્રિલ, ૨૦૦૭નાં ખુલ્લુ મુકવામાં આવ્યું. જ્યાંથી પ્રથમ ફ્લાઇટ ૬ મે, ૨૦૦૭નાં રોજ શરૂ કરવામાં આવી. અહિંથી ફ્કત દિલ્હીની સીધી સેવાઓ ઉપલબ્ધ છે. સુરત એ ચંડીગઢ અને મૈસુર પછી “સૌથી ચોખ્ખું” શહેર છે. સુરત એક જમાના માં ભારત દેશ નું સૌથી મોટું શહેર હતું. અને ૨૦૦૮ માં સુરત શહેર નો GDP growth rates સૌથી વધારે ૧૧.૫ % હતો. સુરતના લોકો ખાવા-પીવવા શોખીન છે. સુરત માટે કહેવત છે કે “સુરતનું જમણ અને કાશીનું મરણ” અત્યારે સુરત્ નો  હિરા ઉધ્યોગ વિશ્વ્ ભર મા જાણિતો બન્યો છે જેમા મોટા ભાગ ના સૌરાષ્ટ્ર ના લોકો નો મોટો ફાળો છે જેનાથિ સુરતનુ નામ ઓર રોશન થયુ છે.

સુરતી મીઠી બોલી અને સુરતી માંજા એ દેશ ભરમાં નામ કાઢ્યું છે. સુરતી લોકોનું કાઠું મજબુત છે. સુરતી લોકો સદા કાર્યશીલ અને જાગૃત છે. સુરત અત્યંત આધુનિક અને ચોખ્ખું શેર છે. સુરતના મોલ, સર્કલો આધુનિક શોપિંગ સેન્ટરો .અલ્ટ્રા મોર્ડન દુકાનો એ સુરતને ચાર ચાંદ લગાવી લીધા છે. અધૂરામાં પૂરું હજીરાની પેટ્રો ફેક્ટરી અને ઉધનાની ઔદ્યોગિક વસાહતે સુરતને વિકસાવવામાં કોઈ પાછી પાણી કરી નથી. વરાછા રોડ , ઘોડદોડ રોડ. અઠવા લાઈન્સ, ગોપીપુરા અને નાનપુરા એ તો બિલ્ડરોનું સ્વર્ગ છે. આ સુરતનો પોષ એરિયા છે.

આજે ફ્લાય ઓવરો અને ગૌરવપથને કારણે સુરતની ગણના પેરિસ સાથે થાય છે. એનુ એક બીજું પણ કારણ છે કે સુરતમાં એફિલ ટાવરની પ્રતિકૃતિ તૈયાર થઇ રહી છે. જલારામ બાપાની એક ઉંચી મૂર્તિ પણ બની છે અને હા ઉતરાણ ની વિદ્યુત પેદા કરતી ફેક્ટરી અને સુરતના તાપી રીવર ફ્રંટને કેમ કરીને ભૂલાય !!!! ફરત્તી પતંગ જેવી હોટેલ પણ સુરતમાં જ પહેલી શરુ થઇ હતી. ગુજરાતમાં વડાપાઉંની શરૂઆત પણ સુરતે જ કરી હતી. ગુજરાતની એક માત્ર મહાનગર પાલિકા કે જે ફૂલ લેન્ગ્થ નાટકોની સ્પર્ધા યોજતું હોય  !!!! સાહિત્ય તો સુરતમાં બેમિસાલ છે જ !!!
સુરત એટલે આનંદનો પર્યાય !!!!!

——- જનમેજય અધ્વર્યુ..

error: Content is protected !!