ગુર્જર પ્રતિહાર વંશ ભાગ -૧

ஜ۩۞۩ஜ ગુર્જર પ્રતિહાર વંશ ஜ۩۞۩ஜ
(ઇસવીસન ૭૩૦ – ઇસવીસન ૧૦૩૬)

ઈતિહાસ જ્યારે આળસ મરડીને બેઠો થાય છે ત્યારે ત્યારે શું ગુજરાત કે શું ભારત કોઈ એક રાજ વંશ કે કોઈ એક શક્તિશાળી રાજા ઉત્પન્ન થતો જ હોય છે. એટલાન જ માટે ઈતિહાસ ભલે સફળ ના કહેવતો હોય પણ એ અકળ તો છે જ ! “ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે ?” આ પંક્તિ ઈતિહાસ માટે સોએ સો ટકા સાચી પડે છે. આપણે જે ઈતિહાસ જાણીએ છીએ કે જે આપણી સમક્ષ મુકવામાં આવે છે તે અભિલેખો, સિક્કા, દાનશાસનો અને ગ્રંથિત સાહિત્ય દ્વારા જ રજૂ કરાતો હોય છે જે આમતો સત્ય જ હોય છે પણ ક્યારેક ક્યારેક તેના પર પ્રશસ્તિનો વરખ જરૂર ચડાવાયેલો હોય છે. ઈતિહાસ આ જ રીતે આપણી સમક્ષ રજૂ થતો હોય છે. ઇતિહાસમાં હરખપદુડા થઈને કોઈ અનુમાન ના બંધાય કે કોઇપણ જાતનું કશું સમજ્યા કર્યા વગર એકદમ કૂદી ના પડાય ! ઈતિહાસને ઇતિહાસની દ્રષ્ટિએ જ જોવો જોઈએ કે જાણવો જોઈએ એને મુલવવાની ગુસ્તાખી ન જ કરાય !

ગુજરાતના ઇતિહાસમાં છઠ્ઠી સદીથી દસમી સદી સુધીમાં ઘણાં નવાં રાજ્યો ઊભાં થયાં હતાં. જ્યારે ચાવડા વંશ રાજ કરતો હતો ત્યારે અનુ મૈત્રકકાલીન ગુજરાતમાં ઘણા રજવાડાઓ સ્વતંત્ર થઇ રાજ કરતાં હતાં એ પણ એક ઠેકાણે નહીં પણ ઠેરઠેર. પણ આ ચાવડાવંશની મર્યાદિત સત્તા હોવાં છતાં અને સૈન્ધવંશની સાથેસાથે ગુજરાત પર એક એવાં રાજવંશે ગુજરાત પર પોતાની સત્તા જમાવી હતી જે મૂળે ગુજરાતી નહોતો એ ભારતના પશ્ચિમ ક્ષેત્ર એટલે કે રાજસ્થાનના જોધપુરનો રાજવંશ હતો. નામ છે એનું —- ગુર્જર પ્રતિહાર વંશ !

ગુર્જર પ્રતિહાર વંશ જયારે ગુજરાત પર રાજ કરતો હતો ત્યારે તે શક્તિશાળી હતો. કારણકે ભારતનાં પ્રાચીન સમ્રાટ હર્ષવર્ધનના અંત પછી દરેકની ઈચ્છા ભારતના ચક્રવર્તિ સમ્રાટ બનવાની હતી. ભારતના જો ચક્રવર્તિ સમ્રાટ બનવું હોય તો મગધ પર પોતાનું અધિપત્ય જમાવવું પડે . પણ સમ્રાટ હર્ષવર્ધનના સમયથી જ મગધને બદલે એનું કેન્દ્રસ્થાન બદલાયું હતું અને એ કનોજ થયું હતું. આ કનોજ પર પોતાની સાત્તાનો કબજો મેળવવા ભારતમાં રીતસરની હોડ લાગી હતી જેમાં એક નહીં પણ ત્રણ શક્તિશાળી રાજવંશો સામેલ હતાં.

(૧) પશ્ચિમ ભારતનો ગુર્જર પ્રતિહાર વંશ
(૨) દક્ષિણ ભારતનો રાષ્ટ્રકૂટ વંશ
(૩) પૂર્વ ભારત એટલે કે બંગાળનો પાલ વંશ

આ ત્રણે એટલાં શક્તિશાળી હતાં કે એમનું બધી શક્તિઓ આ લડાઈઓ કરવાં પાછળ જ વપરાતી હતી.અધધધ રૂપિયાનો ખર્ચ થતો હતો અને અસંખ્ય સૈન્યદળ વપરાતું હતું અને આ યુદ્ધોમાં ભારતવર્ષના કંઈ કેટલી મોટી સંખ્યામાં સૈનિકો માર્યા જતાં હતાં તે જુદાં ! નુકશાન તો બધાંને જ થતું હતું પણ આમાં ઉડીને આંખે વળગે એવી બાબત એ હતી કે ગુર્જર પ્રતિહારની લડાયક શક્તિ સામે આવી.

તે ગુજરાતનાં ઘણાં ક્ષેત્રો પર મૈત્રકવંશની સત્તા હતી પણ મૈત્રકોનો વલભીભંગ થયો મતલબ કે મૈત્રકોની સત્તાનો અંત આવતાંઉત્તર પશ્ચિમમાંથી ગુર્જર પ્રતિહારવંશ અને દક્ષિણભારતમાંથી રાષ્ટ્ર્કૂટ વંશના રાજાઓ ગુજરાતના પ્રદેશો પર પોતપોતાની સત્તા પ્રસરાવવા દોડધામ કરવાં લાગ્યાં.

આઠમી અને નવમી સદીના ગુજરાતના રાજકીય તથા સંસ્કૃતિક ઇતિહાસના ઘડતર માં ગુર્જરોનો ફાળો નોંધપાત્ર હતો.

ભારતના મહાન સામ્રાજ્ય માં પ્રતિહારો નું પણ મોટુ સામ્રાજ્ય હતું. જેની એક વિશેષતા રહી છે કે જેમ મોર્ય, નાગવંશ તથા ગુપ્તવંશ વગેરે હતા. તેમના વિરોધી દુશ્મન ઘણાં હતા. જેના કારણે ઉપરોક્ત વંશો ના શાસકો ને પોતાના રાજ્યો તથા સામ્રાજ્ય ને એક જ દિશામાં દુશ્મન નો સામનો કરવો પડતો હતો. જેમાં તે સફળ પણ થયા. પરંતુ પ્રતિહારો ને પશ્ચિમમાં ખલિફા જેવી વિશ્વવિજયી શક્તિ સાથે મુકાબલો ચાલતો હતો. દક્ષિણમાં (રાષ્ટ્રકૂટો ) રાઠોડો થી ટક્કર હતી. જે કોઈપણ હિસાબે તેમનાથી ઓછી શક્તિશાળી ન હતી. પૂર્વમાં બંગાળ ના પાલ પણ તેમના દુશ્મન હતા,તે પ્રતિહારો થી વધુ શક્તિશાળી ન હતા છતાં પ્રતિહારોએ તેમની સામે યુદ્ધ માટે વ્યસ્ત રહેવું રહેવું પડતું હતું. અરબ પણ દુશ્મન હતું. તેમના એક વેપારી એ લખ્યું હતું કે પ્રતિહારો ને પોતાના સામ્રાજ્ય ની સમસ્ત દિશાઓમાં (ચારે તરફ ) લાખોની સંખ્યામાં સૈનિકો રાખવા પડતા હતા. તે પ્રમાણે મોર્ય, નાગો, અને ગુપ્તો ના મુકાબલામાં પ્રતિહારોની શક્તિનું આકલન કરવામાં આવે તો પ્રતિહારો ની શક્તિ તેમનાથી વધારે હોવાનું સિદ્ધ થાય છે.

ગુર્જરોનો સૌ પ્રથમ ઉલ્લેખ બાણભટ્ટ રચિત “હર્ષચરિત”માં મળે છે.

ગુજર – ગુર્જર નામ —–

“ગુર્જર” અથવા “ગુજર” નામ ઉસુ પછીના પહેલાં ૫૦૦ વર્ષ દરમિયાન પશ્ચિમમાંથી ભારતમાં દાખલ થયેલી મધ્ય એશિયાની કોઈ જાતિના નામનું પાત્ર લાગે છે. એમાં મૂળમાં ગાયો ચરાવવાનો અને પછી ગાયો ચોરવાનો અર્થ છુપાયેલો રહેલો છે. મૂળ જાતિ માટે બે સૂચન જરૂર આપી શકાય.
એક તો એ કે એ જાતિ શક અથવા તુર્ક હતો અને તેનું નામ ફારસી”ગુરગ”અથવા તો તુર્કી “કુર્ત” (વરુ)ઉપરથી આવ્યું છે અને આ જાતિની એક નિશાની બ્રહૂઈ “ગુર્ગનનીસ” (વરુઓ)માં રહેલી છે. બીજું સૂચન એ છે કે “ગુર્જર” એ ઉત્તર ભારત ઉપર આક્રમણ કરનાર વધારે મહત્વની જાતિઓ -કુશાણો અથવા મોટા યુએચી (ઇસવીસન ૩૯૦), કેદાર અથવા નાના યુએચી(ઇસવીસન ૩૯૦-૫૦૦), જુએ-જુએ (ઇસવીસન ૪૦૦-૫૦૦), ખઝર અથવા સફેદ હૂણ (ઇસવીસન ૪૦૦-૫૦૦) અથવા ગઝ્ઝ-ગઝ્ઝ ( ઇસવીસનની નવમી- દસમી સદી)માંની છેવટે એકના એક નામનું પર્યાય માત્ર છે. ગુર્જરોને જ્યોર્જિયા, જેનું ફારસી નામ ગુર્જીસ્તાન છે, ત્યાંના લોકો તરીકે ઓળખવામાં આવ્યાં છે. જ્યોર્જિયાનું અરબરૂપ “ગુર્ઝ” એ મારવાડના નવમી સદીના ગુર્જર રાજવંશ માટે અરબવેપારી સુલેમાને વાપરેલા “જોર્ઝર” સાથે એટલું બધું મળતું આવે છે કે ઇસવીસન ૧૮૬૦માં આ વ્યુત્પત્તિ ડૉ. ગ્લાસગો અને ડૉ. ભાઉ દાજી એ બંનેએ સાનુકૂળ ગણી હતી. ગુર્જરોના જ્યોર્જિયન મૂળ માટેના આધારને એક જ્યોર્જિયન દંતકથાનું સમર્થન પણ મળે છે.

એ કથા કૈંક આવી છે —- એમનો મહાન રાજા વખતંગ (ઇસવીસન ૪૬૯-૫૦૦) કે જેની અટક ગોર્ગ સલ (વરુ,સિંહ)હતી અને જેણે જ્યોર્જિયાની અર્વાચીન રાજધાની ટીફલીસની સ્થાપના કરી હતી તેણે ઓસેટીઓ અને અબ્બસિયનોને નમાવી અને દક્ષિણ આર્મેનિયા ઉપર ફરી વળી ઈરાનના રાજા સાથે સંધિ કરી હતી અને ભારતવર્ષ પર આક્રમણ કર્યું હતું . જો કે જ્યોર્જિયાની અનુશ્રુતિઓ બહુ આધારભૂત ગણાતી નથી એ જુદી વાત છે જાણે! પાંચમી સદીના રાજા ભારતવર્ષમાં લશ્કર લઇ આવી શકયો હોય અથવા તો લશ્કર મોકલી શક્યો હોય એવું ધારવું મુશ્કેલ છે. આ કથા કદાચ દક્ષિણ આર્મેનિયાના અને ઉત્તર ભાગના ખઝરોએ તેઓના સંબંધી હેરત પાસેના બડેગીઝના સફેદ હુણો સાથે જોડાવા તથા તેઓની સંબંધી હેરત પાસેના બડેગીઝના હૂનો સાથે જોડાવા તથા તેઓની સાથે ભારતવર્ષ પર ચડી કરવા કરેલી હિલચાલની ઝાંખી હોઈ શકે. આ સંદર્ભમાં એટલું જરૂર કહી શકાય તેમ છે કે ખઝરો આર્મેનિયનો અને જ્યોર્જિયનોણે ઘણાં મળતાં છે. આ મતમાં લેખક અરબ ભૂગોળવેત્તાઓ, જેઓ ખઝરોને બહુ સારી રીતે જાણતાં હતાં તેઓનો પોતાને ટેકો હોવાનું જણાવે છે.

કનિગહમ ગુજરોને પાછળથી યુએચી તરફ લે છે જેઓ કાંતો કુશાણો અથવા ગુશાણો તરીકે ઓળખાતા મોટા યુએચીઓ હતા જેઓ લગભગ ઇસવીસન પૂર્વે ૧૨૦માં કાબુલ ખીણમાં આવ્યા હતાં જેઓ કેદારો તરીકે ઓળખાતા હતા.

કુશાણ અથવા ગુશાણને “ગુર્જર”ના મૂળરૂપ તરીકે સ્વીકારવાની મુશ્કેલી ફક્ત “શ:માંથી “ર” અને અંત્ય “ણ”માંથી “ર”ના ફેરફારોમાં જ નહિ પણ કુશાણોની સત્તાનો અંત ઇસવીસન ૪૦૦મ આવી ગયો ત્યાં સુધી ભારતવર્ષમાં ગુર્જર અથવા ગુર્જરોનો ક્યાંય ઉલ્લેખ આવતો નથી એમાં રહેલી છે.

ગુર્જરોની સિંધુ અને જમુના નદી પરણી એક કુષાણ શાખાએ અને રામનો પુત્ર કુશ એમનો સ્થાપક હતો એ ગુર્જર દંતકથા પરથી કુશાણોના પરાભવ પછી તેઓના એક વિભાગે ગુર્જરોનાં આશ્રય નીચે શરણું શોધ્યું એનાથી કંઈ વિશેષ સૂચિત થતું નથી. એમ જોવાં જઈએ તો અનેક વાંધો એમને ખઝરો અને સફેદ હૂણો સાથે જોડવામાં પણ રહેલાં જ છે. આપણે આ “ગુર્જર ” શબ્દનું ઉત્ખનન કરવાં તો નથી જ બેઠાં પણ થોડીક માહિતી મેળવવી- જાણવી અત્યંત જરૂરી હોવાથી તે અહીં પ્રસ્તુત કરી છે.

બાજપુરાણનાં આધારે અલ – બરુની પલ્લવો, શકો, મલેચ્છો અને ગુર્જરોને ઉત્તરના હોવાનું જણાવે છે. બોમ્બે ગેઝેટીયરમાં પ્રાચીન ગુર્જર પાટનગર ભીન્ન્માલનાં આપેલાં વૃત્તાંતમાં જણાવેલો ગુર્જરોનો ભારતીય ઈતિહાસનો સાર એવું દર્શાવે છે કે ગુર્જરો પ્રાય : ભારતવર્ષમાં લગભગ પાંચમી સદીના મધ્યમાં દાખલ થયા . ડૉ. ભગવાનલાલે પોતાના પ્રાચીન ગુજરાતના ઈતિહાસમાં અપનાવેલો મત એવો છે કે વલભીઓ જે લગભગ ઇસવીસન ૪૯૦માં કે ૫૨૫માં સત્તારૂઢ થયા તે ગુર્જરો હતા.

ગુર્જરો સંબંધી એક રસપ્રદ મુદ્દો એ છે કે — આબુ પર્વત પરના અગ્નિકુંડમાં પુનર્ભવવડે રાજપૂત તરીકે ઊંચું સ્થાન પામેલી અગ્નિકૂલ જાતિઓ તે કાં તો ગુર્જરો હતી અથવા મહાન સમૂહનાં સભ્ય હતી કે જેનું ગુર્જરો એક તત્વ હતા. સાબિતી પણ ઘણી મળે છે અને દ્રષ્ટાંતો પણ ઘણાં મળે છે અને એ વિષે હજી પણ ઘણું બધું લખી જ શકાય છે પણ આપણે ગુજરાતમાં રાજ કરી ગયેલા ગુર્જર પ્રતિહાર વંશને મહત્વ આપવાનું હોવાથી આ આટલું જ પુરતું છે એમ કહી છોડી દઈ બીજી અને મૂળ વાત પર આવી જવું હિતાવહ ગણાય !

તો પણ કેટલીક ઐતિહાસિક વિગતો અહી પ્રસ્તુત કરવી જરૂરી હોવાથી તે કરું છું. શ્રીમાલ એટલે કે પ્રાચીન ભીન્ન્માલ એ લાંબો સમય ઉત્તર-પશ્ચિમની મહાન ગુર્જર પ્રજાની મુખ્ય શાખાની રાજધાની હતું. અભિલેખો અને ઐતિહાસિક કૃતિઓમાં આવતા ગુર્જરોના અને એમના પ્રદેશના અનિક ઉલ્લેખો અણહિલવાડના ચૌલુક્ય કે સોલંકી રાજ્યને અથવા તો એના અનુયાયી વાઘેલા રાજ્યને લાગુ પડે છે. પણ દસમી સદી કરતાં વધારે પ્રાચીન એવાં અનેક લખાણોમાં પણ “ગુર્જર” નામ મળે છે અને એને ખુબ જુદી જુદી રીતે પણ અસંગત રીતે સમજાવવામાં આવ્યું છે. કેટલાક આ નામ અણહિલવાડના ચાવડાઓને, તો કેટલાક ભરૂચના ગુર્જરો (ઇસવીસન ૫૮૦-૮૦૮)ણે અને બીજાં કેટલાંક જેમાંના એક ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજી છે તેઓ વલભીઓ (ઇસવીસન ૫૦૯-૭૦૬}ને પણ લાગુ પાડે છે. પરંતુ આમાંનું એક પણ અભિજ્ઞાન બધાં કિસ્સાઓને લાગુ પાડી શકાય તેમ નથી. વલભીઓ ગુર્જર મૂળના હોય તો પણ એમણે કદી પોતાને ગુર્જર કહેવડાવ્યા હોવાનું કે એમના પાડોશીઓ તેઓ એ નામે જાણીતા હોવાનું જાણવા મળ્યું નથી. પ્રથમ નજરે ભરૂચના ગુર્જરો સાથેનું અભિજ્ઞાન વધારે ગ્રાહ્ય છે કારણકે સાતમી સદીના મધ્યભાગ જેટલાં મોડા સમયે એમણે પોતાનું ગુર્જર મૂળ કબુલ્યું છે. પરંતુ ભરૂચની શાખાને ગુર્જરોના અગ્રણી કૂલ તરીકે ઓળખવા સામે પ્રબળ કારણો છે.

ઇસવીસન ૬૩૪ના ઐહોલ અભિલેખમાં સમ્રાટ પુલકેશી (પુલકેશીન) બીજાએ પોતાનાં સામર્થ્ય વડે લાટો, માલવો અને ગુર્જરોને વશ કર્યાનો દાવો કર્યો છે. જે હકીકત છે કે નહીં એની તો કોઈને ય ખબર નથી. એ દર્શાવે છે કે ગુર્જરોનો પ્રદેશ ભરૂચ જે પ્રાંતમાં હતું તે લાટ પ્રદેશથી જુદો હતો. એ જ પ્રમાણે હ્યુ-એન -ત્સંગ (લગભગ ઇસવીસન ૬૪૦) ભરૂચ રાજ્યનો (ભરૂચ) નગરના નામથી નિર્દેશ કરે છે નહિ કે ગુર્જર કે ગુર્જર પ્રદેશ તરીકે. પછીની સદીમાં અરબ આક્રમણોનાં ઈતિહાસકારોએ બરુસ (ભરૂચ)ને જુર્ઝ અથવા ગુર્જરથી જુદું નોંધ્યું છે

ગુર્જર અને ગુર્જરોની તો ઘણી માહિતી હજી પણ ઉપલબ્ધ છે જ જે અહી લખીએ તો ઘણું લાંબુ થઇ જાય એટલે મુકતો નથી. આમ તો આના પર આખું એક દળદાર પુસ્તક થઇ શકે એમ છે પણ આમાં ખાલી મેં મુખ્ય મુખ્ય મુદ્દાઓ જ આવરી લીધાં છે ખાલી એક ઝલકરૂપે ! હવે પ્રતિહાર શબનો શું આર્થ નીકળે છે એપણ સમજી લઈએ .પ્રતિહાર શબ્દનો અર્થ થાય છે — દ્વારપાળ અથવા રક્ષક !

દેખીતી રીતે ગુર્જરો ઇસવીસનની પંચમી સદીમાં હિંદમાં પ્રવેશ્યા એમનો વહેલામાં વહેલો નિર્દેશ ઇસવીસનની સાતમી સદીનાં આરંભકાલની કૃતિ “શ્રી હર્ષચરિત”માં મળે છે. એમાં મગધના રાજા સમ્રાટ હર્ષવર્ધનનાં પિતા પ્રભાકરવર્ધને સાતમી સદીનાં આરંભિક વર્ષોમાં ગાંધારના રાજાને, હૂણોને, સિંધના રાજાને, ગુર્જરોને, લાટોને અને માલવરાજને જીત્યાં હોવાનું જણાવ્યું છે તેમ છતાં ભિન્નમાલમાં થયેલા એમના વસવાટનો સમય અજ્ઞાત છે. એ જ્યારે આવ્યાં હોય ત્યારે આવ્યાં પણ એમણે ઇસવીસનની આઠમી સદી થી દસમી સદી સુધી ગુજરાત પર રાજ્ય કર્યું એ નક્કર હકીકત છે

કેટલીક અત્યંત જરૂરી માહિતી ———–

ડૉ. આર સી મજુમદાર અનુસાર પ્રતિહાર શબ્દનો પ્રયોગ મંડોરની પ્રતિહાર જાતિ માટે થયો છે જયારે પ્રતિહારો પોતાને ભગવાન રામના ભાઈ લક્ષ્મણજીના વંશજ માનતા હતાં

ચીની યાત્રી હ્યુ-એન ત્સંગનાં યાત્રા વૃત્તાંત સી-યૂ-કીમાં કુ-ચે-લો (ગુર્જર)દેશનો ઉલ્લેખ આવે છે જેમની રાજધાની પિ-લો-મો-લો (ભીનમાલ) માં હતી.

અરબી યાત્રીઓએ ગુર્જરોને “જુર્જ” પણ કહ્યા છે.
અલ – મસૂદી પ્રતિહારોને અલ- ગુર્જર તથા પ્રતિહાર રાજાને ‘બોરા’ કહીને બોલાવે છે – નિર્દેશ કરે છે.

ભગવાનલાલ ઇન્દ્રજીએ ગુર્જરોને “ગુજર” કહ્યાં છે જેઓ ગુજરાતમાં લાંબો સમય રહ્યાં એ કારણે તેઓ “ગુજર” કહેવાયા.

દેવલી, રાધાનપુર તથા કરડાહ અભિલેખોમાં પ્રતિહારોને “ગુર્જર પ્રતિહાર” કહેવામાં આવ્યાં છે.

ડૉ. ગૌરીશંકર ઓઝા પ્રતિહારોને ક્ષત્રિય માને છે.
જોર્જ કેનેડી ગુર્જર પ્રતિહારોને ઈરાની મૂળના બતાવે છે.
મિસ્ટર જેક્સને બોમ્બે ગેઝેટિયરમાં ગુર્જરોને વિદેશી માન્યા છે.

પ્રતિહાર રાજવંશ મહામારુ મંદિર વાસ્તુશૈલીના સંરક્ષક હતા.
એક અતિ મહત્વની બાબત આઠમી સદીમાં આ કન્નૌજ પરના અધિપત્ય પ્રસ્થાપિત કરવાને લીધે એ થઇ હતી કે આ સમયમાં ભારતવર્ષમાં સામંતવાદનો ઉદય થયો એટલે જ ડૉ. ઈશ્વરીપ્રસાદ દ્વાર આ સમયને અને આ પરિસ્થિતિને — રાજ્યોની અંદર રાજ્યકાળ કહ્યો છે.

આ સામંતવાદની ઉત્પત્તિ કુષાણકાલમાં જ થઇ હતી. આજ સામંતવાદ એ ગુપ્તકાળનાં પતનનું કારણ પણ હતો.
ગુપ્તોના પતન પછી જ સંકૃત શબ્દ “રાજપુત્ર “માંથી “રાજપૂત” શબ્દ ઉત્પન્ન થયો અને અસ્તિત્વમાં આવ્યો જે ક્ષત્રિયોનો પર્યાય હતો ! આમ રાજકુમારો માટે વપરાતો “રાજપુત્ર” શબ્દ એ આઠમી સદીમાં એક શાસકવર્ગ માટે વપરાવા લાગ્યો.

ચંદ બરદાઇના અતિ પ્રખ્યાત ગ્રન્થ “પૃથ્વીરાજ રાસો”માં રાજપૂત શબ્દ એ અગ્નિકુંડમાંથી ઉત્પન્ન થયો છે એમ કહ્યું છે.

આ અગ્નિકુંડમાંથી કુલ ચાર રાજપૂત વંશો ઉત્પન્ન થયાં છે —-

  • [૧] ગુર્જર પ્રતિહાર વંશ
  • [૨] ચૌલુક્ય વંશ
  • [૩] પરમાર વંશ
  • [૪] ચૌહાણ વંશ

જોવાની ખૂબી એ છે કે આ ચારેય કોઈને કોઈ રીતે ગુજરાત સાથે સંકળાયેલા હતાં !

રાજપૂતોની ઉત્પત્તિ વિદેશી છે એવું કહેનારોમાં એક ચ્ચે કર્નલ ટોડ કે જેની માહિતી પર લગરિક પણ વિશ્વાસ ના કરાય. બીજાં છે જે ભારતીય છે એમનું નામ છે ડી. આર ભંડારકર તેઓ પણ રાજપૂતોને ભારતીય માનતાં નથી એનાથી ઉલટું તેમને વિદેશીકૂલના બતાવતાં જરાય અચકાતાં નથી !

ગૌરીશંકર ઓઝા અને સી. વી વૈદ્ય એ રાજપૂતોને ક્ષત્રિય જ માને છે એમનાથી જરાય જુદાં છે એવું બતાવવા તૈયાર જ નથી
કનીઘમ ગુર્જર પ્રતિહારોને કુષાણવંશી કહ્યા છે

સ્મિથ સ્ટેનફોનોએ ગુર્જર પ્રતિહારોને હૂણવંશી કહ્યાં છે
મહાન ગુર્જર સમ્રાટ રાજા મિહિર ભોજ એ પ્રતિહાર વંશના જ શાસક હતાં
ગુર્જર પ્રતિહારોનું કાર્ય ક્ષેત્ર જોધપુરની દક્ષિણમાં હતું !!!

આ બધી માહિતી ગુર્જર પ્રતિહાર વંશને લગતી હોવાથી અહીં મૂકી છે . આ હજી પૂર્વભૂમિકા જ છે એનાં વિષે હજી વધુ વાતો અને દરેક રાજાઓ વિષે વાત કરવાની બાકી જ છે. જે આવશે હવે પછીના ભાગમાં !!

ગુજરાતનો ઈતિહાસ
(ક્રમશ :}

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!

——— જનમેજય અધ્વર્યુ.

આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!