ચાવડાવંશની ઉત્પત્તિ અને વંશાવલી: ભાગ – ૧

(ઇસવીસન ૭૪૬થી ઇસવીસન ૯૪૨)

હવે જ્યારથી રાજપૂત વંશ ગુજરાતમાં શરુ થયો તેની વાત એટલે કે ગુજરાત પર રાજ કરનાર સૌપ્રથમ વંશ –ચાવડા વંશ. આ એક એવો કાળ હતો કે જે સમયમાં મુસ્લિમ ધર્મ અસ્તિત્વમાં જ નહોતો આવ્યો પણ એમનાં શાસનના મધ્યસમયથી એટલે મુસ્લિમ આક્રમણો ગુજરાત પર તો શું ભારતમાં થવાની જ કોઈ સંભાવના નથી. પણ આ એક એવો સમય હતો જયારે ગુજરાતમાં રજપૂતો મૈત્રકકાળનાં અંત સમયથી જ ગુજરાતમાં ઠેર ઠેર પોતાનાં રાજ્યો સ્થાપતાં થઇ ગયેલા જેની શરુઆત ચાવડાવંશ શરુ થયો ત્યાર પછી જ થઇ હતી. સૌરાષ્ટ અને કચ્છમાં પણ રાજપૂત યુગ શરુ થઇ ગયો હતો. જૂનાગઢમાં પણ ચુડાસમા વંશના પાયા નંખાયા હતાં આ ચાવડા વંશના શાસનમાં ઈસવીસનની નવમી સદીમાં. ચાવડા વંશ વનરાજે સ્થાપ્યો અને હા એ વખતે અણહિલવાડ પાટણની સ્થાપના પણ નહોતી થઇ. તે સમયે સૌરાષ્ટ્રનું વલ્લભી જ ગુજરાતની રાજધાની હતું. પણ બનાસકાંઠા જિલ્લામાં રાધનપુર પાસે તે સમયે આ રાધનપુર પણ પાટણ જીલ્લાનો જ એક ભાગ હતું. આ રાધનપુરની પાસે સ્થિત પંચાસરમાં એક નાનકડું રજવાડું ઉભું થઇ રહ્યું હતું જે પાછળથી ચાવડા વંશની રાજધાની બનવાનું હતું. ચાવડા વંશમાં સ્થાપના પછી કોઈ યુધ્ધો નહોતાં થયાં કારણકે એની જરૂર જ નહોતી. કહેવાનો મતલબ એ છે કે ગુજરાતમાં તો કોઈ વિદેશી આક્રમણનો ભય નહોતો પણ ગુજરાતનાં અન્ય રાજ્યો અને ગુજરાતની બાહરનાં રાજ્યોનો ભય જરૂર સતાવતો હતો એટલે ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં રજપૂતોએ પોતાની અલગ સત્તા સ્થાપવાનું શરુ કરેલું. સૌરાષ્ટ્ર પણ આમાંથી બાકાત નહોતું રહેલું અને કચ્છ પણ.

ભિન્નમાલમાં ગુર્જર પ્રતિહારવંશનું શાસન હતું.તેનો પ્રથમ રાજા નાગભટ્ટપ્રથમ હતો. ઈસવીસન ૭૫૦ની આસપાસ રાષ્ટ્ર્કૂટરાજા દંતિદુર્ગે દક્ષિણ ગુજરાત પર અને આ ગુર્જરપ્રતિહાર રાજા નાગભટ્ટ પ્રથમે ઇસવીસન ૭૫૭ની આસપાસ ભરૂચનાં ઉત્તરભાગ ઉપર પોતાની સત્તા સ્થાપી હતી. ઉત્તર ગુજરાતમાં ગુર્જરપ્રતિહાર વંશનો અંત આવતાં ચાવડાવંશનું શાસન સ્થપાયું હતું. આ વિષે આપણે આગળ જતાં વિગતે વાત કરશું. જે લોચો છે એ સાલવારીનો છે પણ એની ચર્ચા આપણે આગળ જતાં કરીશું. ગુર્જરપ્રતિહાર વંશ ભરૂચમાં ચાલુ રહ્યો હતો કે નહીં તે વિષે આપણે પણ આપણે પછી ચર્ચા કરવાનાં જ છીએ. અત્યારે એનો ખાલી ઉલ્લેખ જ કાફી છે.

પંચાસરને કેટલાંક કચ્છમાં દર્શાવે છે પણ એ કચ્છમાં નહોતું. આ પંચાસર વિષે બધી અનુશ્રુતિઓ જ પ્રાપ્ત થઇ છે પણ ઉલ્લેખિત અનુશ્રુતિતો પંચાસરને બનાસકાંઠામાં બતાવે છે. શું સાચું છે એ વિષે પછી આપણે વાત કરશું. ગુજરાતના સત્તાધીશોને આ બધાનો ભય જરૂર હતો પણ એ વિષે માત્ર અનુશ્રુતિઓજ મળી છે ઠોસ સબૂત નહીં. વલ્લભી આ પહેલાં પણ આનો ભોગ બની જ ચુક્યું હતું. હવે ગુજરાતને દીર્ઘ શાસનની જરૂર હતી. માન્યું કે બધાં ક્ષત્રિયો હતાં પણ ગુજરતના પોતીકા કહી શકાય એવાં રાજપૂતો નહોતાં. આ સમયગાળો એટલે આપણે જ્યાંથી અધૂરું છોડયુ હતું એ કર્ણદેવ વાઘેલાથી એટલે કે ઇસવીસન ૧૩૦૪થી લગભગ ૫૫૦ વરસ પૂર્વેની વાત છે. ચાવડાવંશે ગુજરાત પર રાજ્ય કર્યું હતું એટલે એનો જ ઉલ્લેખ આ લેખમાળામાં કરશું. પણ સમયગાળા દરમિયાન સાથેસથે જે વંશોએ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રાજ્ય કર્યું હતું એને અનુમૈત્રક યુગ કહેવાય છે જેને સ્પષ્ટત: રાષ્ટ્રકૂટ અને ગુર્જર પ્રતિહારવંશ એવું નામ આપવામાં આવ્યું છે. આમ તો અનુમૈત્રકયુગ તો ઇસવીસન ચાવડાવંશની શરૂઆતથી તે સોલંકીઓનાં સુવર્ણયુગની શરૂઆત રાજા મૂળદેવ સોલકીએ શરુ કરી હતી ત્યાં સુધીનો ગણાય છે. પણ ઈતિહાસ એને ગુર્જર પ્રતિહાર વંશ અને રાષ્ટ્રકૂટ વંશ અલગ ગણે છે એટલે એની વાત આપણે પછી કરશું ભલે એ સ્થાપાયા હોય આઠમી નવમી સદીમાં. ચાવડાવંશ આ દરમિયાન સમાપ્ત નહોતો થઇ ગયો હોવાં છતાં પણ.

એક નજર ચાવડાવંશની પહેલાંનાં અને એમના જ શાસનકાલ દરમિયાન શરુ થયેલાં- સ્થપાયેલાં રાજવંશો પર નાંખી લઈએ . ચાવડા વંશે ઇસવીસન ૭૪૬થી ઇસવીસન ૯૪૨ સુધી શાસન કર્યું હતું. જો કે આ તવારીખ થોડીક ભૂલભરેલી છે એની વાતો આપણે પછી કરીશું. અત્યારે આ વંશો પર નજર નાંખી લઈએ જરાં !

  • [૧] સૈધવ વંશ – ધુમલી
  • [૨] ચાપ વંશ – વઢવાણ
  •  [૩] ચૌલુક્ય વંશ – નવસારી
  •  [૪] રાષ્ટ્રકૂટ વંશ – માન્યખેટ (જીલ્લો ગુલબર્ગ, કર્ણાટક)
  •  [૫] ચાવડાવંશ – પંચાસર ( જીલ્લો બનાસકાંઠા)
  •  [૬] ગુર્જર પ્રતિહાર વંશ – ભિન્નમાલ (રાજસ્થાન)
  •  [૭] ચાહમાન વંશ – અંકલેશ્વર
  •  [૮] મૈત્રક વંશ – વલ્લભી (જીલ્લો ભાવનગર)
  •  [૯] ગારુલક વંશ – ઢાંક (જીલ્લો રાજકોટ)
  •  [૧૦] ત્રૈકુટક વંશ – અપરાંત પ્રદેશ (તાપી નદીની દક્ષિણનો પ્રદેશ)
  •  [૧૧] કરચુરી વંશ – ભૃગુકચ્છ (ભરૂચ)
  •  [૧૨] ગુર્જર નૃપતિ વંશ – નાન્દીપુર (ભરૂચ જીલ્લો)
  •  [૧૩] સેન્દ્રક વંશ – તાપીનો તટપ્રદેશ

આમાંના કેટલાંક તો મૈત્રક કાલની પહેલાં કે એની સાથે જ સમાપ્ત થઇ ગયાં હતાં. જયારે કેટલાંક મૈત્રકકાલ પછી પણ ચાલુ રહ્યાં હતાં. જયારે કેટલાંક ચાવડાવંશ પછી સ્થપાયાં હતાં. એમાં ગુજરાતના ઇતિહાસમાં કેટલાંકનો સમાવેશ અનુમૈત્રક યુગમાં થાય છે જયારે કેટલાંકને અનુ મૈત્રકયુગ પછી ગુર્જર પ્રતિહાર વંશ અને રાષ્ટ્રુકૂટ વંશમાં સમાવિષ્ટ કરાયેલાં છે. ગુજરાતના ઇતિહાસમાં આ ગુર્જર પ્રતિહાર વંશ અને રાષ્ટ્રકૂટ વંશો પણ જાણીતાં છે જેની વાત એ સમયે કરવામાં આવશે !

હવે ચાવડા વંશ કેવી રીતે ગુજરાતની સત્તા પર આવ્યો તેની વાત કરીએ એ પહેલાં આ ચાવડા વંશની ઉત્પત્તિ વિષે થોડું જાણી લઈએ. ચાવડા વંશની ઉત્પત્તિ વિષે તો કોઈ માહિતી પ્રાપ્ત નથી થતી પણ આ ” ચાવડા ” શબ્દ વિષે જરૂર પ્રાપ્ત થાય છે.

હવે અણહિલવાડનાં ચાવડા વંશનો ઈતિહાસ તપાસીએ. અણહિલવાડનાં ચાવડા વંશ વિષે એમાં કોઈ અભિલેખો કે સિક્કા વગેરે કોઈ ચોક્કસ પુરાવાઓ મળતાં નથી. જે મળે છે એ ૨૦૦ – ૪૦૦ વર્ષ જેટલાં અનુકાલીન લખાણોમાં તથા આનુશ્રુતિક વૃત્તાંતોમાં મળે છે.

આ ચાવડાઓનો સૌ પ્રથમ ઉલ્લેખ કુમારપાળની વડનગર પ્રશસ્તિમાંથી મળી રહે છે. જે વિક્રમ સંવત ૧૨૦૮ (ઇસવીસન ૧૧૫૨) ની અર્થાત ચપોત્કટ રાજ્યના અંત બાદ ૨૦૨ વર્ષની છે. આ ઉલ્લેખ છૂટક અને પ્રાસંગિક છે અને એવાં બીજાં ઉલ્લેખો મહરાજ પરાજય (ઇસવીસન ૧૧૭૩-૧૧૭૬), વિવિધ તીર્થકલ્પ વિક્રમ સંવત ૧૩૬૪ (ઇસવીસન ૧૩૦૮) વગેરે ગ્રંથોમાંથી મળી રહે છે આપણને . આ સમયગાળા દરમિયાન લગભગ કોઈ જ સમકાલીન સાહિત્યકારો થયાં નહોતાં કે જે એનો આબેહુબ ચિતાર આપી શકે. જે સાહિત્યકારોએ આ અગાઉ સોલંકીયુગ કે વાઘેલાયુગની વંશાવલી અને તેમનો ઈતિહાસ રજુ કર્યો છે આપણી સમક્ષ તેમણે જ આ ઈતિહાસ આપણી સમક્ષ રજુ કર્યો છે. જે ખરેખર કાબિલેતારીફ છે. એમણે બહુ જ મહેનત કર્યા પછી આ માહિતી પ્રાપ્ત થઇ એવું લાગે છે. એટલે કે એસ્મમયે કોક રીતે ક્યાંકને ક્યાંક તો માહિતી ઉપલબ્ધ હશે જ હશે અને આજે એની જ રૂપરેખા પ્રમાણે ઈતિહાસ ચાલે છે. સવાલ મને એ થાય છે કે — એમને આ માહિતી એકત્ર કરી રીતે? આ ખરેખર દુષ્કર કાર્ય હતું !

વનરાજનાં નામ વિશેનો પ્રથમ ઉલ્લેખ હરિભદ્રસૂરિ કૃત નેમિનાથ ચરિત (ઈસવીસન ૧૧૬૦)માં મળે છે. આ ઉલ્લેખ પણ પ્રાસંગિક છે. વનરાજ વિશેના એવાં પ્રાસંગિક ઉલ્લેખ મોહરાજપરાજય, પ્રભાવકચરિત (ઇસવીસન ૧૨૭૮), વિવિધતીર્થકલ્પ (ઈસવીસન ૧૩૦૮) વગેરે ગ્રંથોમાં પણ મળે છે. ચાવડા વંશનો સળંગ વૃત્તાંત પણ આપણને ઠેકઠેકાણેથી મળી રહે છે. તેમાનો સૌ પ્રથમ વૃત્તાંત એટલે કે ચાવડા રાજાઓની વંશાવલી અરિસિંહ કૃત “સુકૃતસંકીર્તન” સંવત ૧૨૮૫નાં ગાળામાં લગભગ એમાંથી મળી રહે છે. તેવી જ રીતની ચાવડા વંશાવલી ઉદયપ્રભસૂરીના “સુકૃતકીર્તિકલ્લોલિની” સંવત ૧૨૯૦ સુમારેમાં છે. ત્યાર બાદ પ્રબંધચિંતામણિ,વિચારશ્રેણી, ધર્મારણ્યમહાત્મ્ય, કુમારપાળ પ્રબંધ, રત્નમાલ, મિરાતે અહમદી, ગુર્જરભૂપનામાવલી વગેરેમાંથી પણ ચાવડા વંશાવલી મળી રહે છે. એમાંના કેટલાંક ગ્રંથોમાં દરેક રાજાનાં રાજ્યકાલના વર્ષ પણ જણાવ્યાં છે. વળી પ્રબંધચિંતામણિ તથા વિચારશ્રેણીમાં દરેક રાજાના રાજ્યારોહણની મિતિ તથા દરેક રાજાનો રાજ્યકાળ વિગતવાર આપેલો છે.

જેનાં પર અત્યારે અને આ પહેલાં ઈતિહાસને નામે જે ઉછળકૂદ થઇ હતી તે માત્ર અનુશ્રુતિઓ જ છે. આ અનુશ્રુતીઓ ગુજરાતનાં ઈતિહાસનાં ત્રણેય રાજપૂત વંશોમાં ભારોભાર ભરેલી છે. વનરાજ-યોગરાજ વગેરેને લગતી આનુશ્રુતિક કથાઓ પણ સૌ પ્રથમ આપણને પ્રબંધચિંતાણિમાં મળી રહે છે. આ ઉપરાંત પુરાતનપ્રબંધ સંગ્રહ (૧૪મી સદી), પદ્મપુરાણ અંતર્ગત ધર્મારણ્યમાહત્મ્ય (૧૫મો સૈકો) અને કવિ કૃષ્ણે રચેલ “રત્નમાલ”( ઇસવીસનની ૧૭મી – ૧૮મી સદી ઇત્યાદિ ગ્રંથોમાં પણ રાજા વનરાજ વગેરે રાજાઓણે લગતી વિવિધ અનુશ્રુતિઓ આપવામાં આવેલી જ છે. એટલે કોઈ પણ એને જ ઈતિહાસ માની લેવાની ભૂલ ના કરતાં. ઈતિહાસ થોડે ઘણે અંશે આ અનુશ્રુતિઓને કારણે જ ઉજાગર જરૂર થયો છે. પણ સોએ સો ટકા એ ઈતિહાસ તો નથી જ. એ સમયે કદાચ ઈતિહાસ એટલે શું એ લોકોમાં ખ્યાલ પ્રવર્તમાન નહીં હોય બીજું શું ?

ચાવડા કુલનામ ——–

ચાપોત્કટ – ચાવડાઓનાં કુલનામનાં જુદાં જુદાં રૂપ મળે છે. એમાં ખાસ કરીને અણહિલવાડનાં ચાવડાઓના કુલ વિષે બે કે ત્રણ રૂપ મળી આવે છે. તેમાં સૌ પ્રથમ રૂપ “ચાપોત્કટ”મળે છે. તેનો સૌ પ્રથમ ઉલ્લેખ કુમારપાળની વડનગર પ્રશસ્તિ (ઇસવીસન ૧૧૫૨)માં આવે છે. આ ચપોત્કટ શબ્દ ત્યારબાદ ઘણી જગ્યાએથી પ્રાપ્ત થાય છે. જેમ કે – મોહરાજ પરાજય (ઇસવીસન ૧૧૭૩), સુકૃતસંકીર્તન (ઇસવીસન ૧૨૨૯), પ્રભાવક ચરિત (ઇસવીસન ૧૨૭૮), પ્રબંધચિંતામણિ (ઇસવીસન ૧૩૦૫) વિવિધતીર્થકલ્પ (ઇસવીસન ૧૩૦૮) પ્રબંધકોશ ( ઇસવીસન ૧૩૪૯), પ્રવચનપરીક્ષા ( ઇસવીસન ૧૫૭૨) પુરાતન પ્રબંધ સંગ્રહ (૧૪મીસદી)જિનમંડનગણિ કૃત કુમારપાલ પ્રબંધ (ઇસવીસન ૧૪૩૬) વગેરેમાંથી.

“ચાપોત્કટ”નો અર્થ ઉત્કટ (ઉત્તમ) રીતે રીતે ચાપ (ધનુષ) ચડાવનાર એવો કરવામાં આવે છે.

ચાઉડા શબ્દ ——–

ચાવડાઓનાં કુળનામ વિશેનો “ચાઉડા”સૌ પ્રથમ મેરુતુંગે વિચારશ્રેણી (ઇસવીસન ૧૩૪૪)નો મળે છે. ત્યારબાદ તેનો બીજો ઉલ્લેખ “મિરાતે અહમદી” (૧૮માં સૈકા)ની મધ્યમાં મળે છે. પદ્મપુરાણ અંતર્ગત ધર્મારણ્યમહાત્મ્યઅને રાસમાળામાં આપેલી દંતકથાઓ વગેરેમાં “ચાવડા”શબ્દ પણ મળે છે.આમાં “ચાઉડા”કે ચાવડા એ મૂળ નામ હોય એવું લાગે છેઅને “ચાપોત્કટ” એ તેનું સંસ્કૃતકૃત રૂપ લાગે છે.

ભિન્નમાલ અને વઢવાણનાં રાજકુલ સંબંધી આવતું “ચાપ”નામ એ “ચપોત્કટ”માનો મુખ્ય શબ્દનો સૂચક છે. જો કે ચાવડાનો મુખ્ય શબ્દ એ ખરેખર “ચાપ” હશે કે કેમ એ શંકાસ્પદ છે. “ચાવડા” એ ચોર કે ચોરટાનાં પર્યાય જે વોશાબ્દ હોવાનું વિશેષ સંભવ છે એવું કેટલાંકનું મંતવ્ય છે . જો કે આવાં તારણો અને આવી ધારણાઓ સામે મારો વિરોધ છે જ. આવો શબ્દ કોઈ પણ જ્ઞાતિ માટે ન જ વપરાય. આવું અર્થઘટન માટે મારે એમ કહેવું પડે છે કે — “કુછ ભી !” આવું અનુમાન કરવાં પાછળનો એમનો આશય એ છે કે વનરાજ ચાવડા શરૂઆતમાં જંગલમાં ચોરીઓ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતાં હતાં. પણ તોય આવો શબ્દપ્રયોગ આ કહેવાતાં સાહિત્યકારો-ઈતિહાસકારોએ નહોતો કરવો જોઈતો હતો. બીજો એક આર્થ પણ એમણે શોધ્યો છે એ વધારે યોગ્ય લાગે છે. તેઓ બીજો અર્થ પણ કાઢે છે — “ચલ્કય” કે “ચલુકય”જેવું કોઈ દેશ્ય વિશેશ્નામ હોય અને આગળ જતાંઅગલ જતા ચાવડાઓની વ્યાપક રહેણીકરણી પરથી “ચોરટા”જેવો અર્થ આરોપાયો હોય. જો કે એ સમયે “ચાવડા એટલે ચોર” એવી એક કહેવત જરૂર પ્રચલિત બની હતી.

આ કૂલનામનું મૂળરૂપ “ચાઉડા” હશે એ સ્પષ્ટ છે. પરંતુ એ શબ્દનું મૂળ હાલપૂરતું તો અકળ રહ્યું લાગે છે. કોઈ વર્તમાન ચાવડાઓ ગુર્જર કે શ્વેતહૂણ જાતિનાં હોવાનું ધારે છે, પરંતુ તેણે માટે કોઈ સબળ આધાર ઉપલબ્ધ નથી. છત્રીસ રાજકૂળોની યાદીમાં “ચાવડા” કે “ચાપોત્કટ”નો સમાવેશ થાય છે, પણ તે તો તેઓ સમય જતાં રાજસત્તા પામ્યાનું દર્શાવે છે. આ યાદીઓ લગભગ ૧૨થી ૧૪મી સદીની પ્રચલિત થઇ લાગે છે. સુર્યવંશ અને ચન્દ્રવંશના ગણાતાં કુળોમાં આ કૂલનો સમાવેશ થતો નથી. આથી ચાવડા મૂળ શક જાતિનાં હોવાનો સંભવ કલ્પાયો છે. પરંતુ એ સંભવના સમર્થન માટે સંગીન પ્રમાણની અપેક્ષા રહે છે. ચાવડા એ કોઈ ઐતિહાસિક કૂલ હશે પણ એ કૂલને રાજસત્તા મળી હશે ત્યારે તેની ગણતરી છત્રીસ (૩૬) રાજકૂલોમાં થી પરંતુ સુર્યવંશ અને ચંદ્રવંશનાં કૂલોમાં ન થઇ એ સમસ્ત વાતનો સાર છે.

વનરાજના પૂર્વજોની વાત આપણે પછી કરશું. પણ સાથી મોટો પ્રશ્ન એ છે કે વનરાજે ચાવડા વંશની સ્થાપના કરી પછી એમની કે એમનાં પછીના રજાઓની કોઈ ચોક્કસ સાલવારી પ્રાપ્ત થતી નથી. એટલે સુધી કે એમાં કેટલાં રાજાઓ થયાં તે વિષે પણ જાતજાતનાં મતમતાંતર જ પ્રવર્તે છે. રાજાઓનાં નામમાં પણ કેટલાક ગોટાળાઓ ઉભા થયાં છે એટલે પહેલાં રાજા વનરાજના વંશજોની વશાવલી જ તપાસવી જોઈએ.

રાજા વનરાજ ચાવડાનાં વંશજોની વંશાવલીઓ ——–

રાજા વનરાજે સ્થાપેલા રાજવંશની વંશાવલી વસ્તુપાળનાં સમયમાં લખાયેલ “સુકૃતસંકીર્તન” અને “સુકૃતકીર્તિકલ્લોલિની”માં આપવામાં આવેલ છે. ત્યાર બાદ પ્રબોધ ચિંતામણિથી માંડી રત્નમાળા સુધીનાં ઘણાં ગ્રંથોમાં એમની વંશાવલી મળે છે.

પરંતુ આમાં બે ભિન્ન ભિન્ન પરંપરાઓ જોવાં મળે છે. એક પરંપરા સુકૃતસંકીર્તન અને સુકૃતકીર્તિકલ્લોલિનીમાં આપેલી છે. તેમાં આ વંશના આઠ રાજાઓ ગણાવ્યાં છે. આ પરંપરામાં પ્રબંધચિંતામણિની એક પરંપરામાં, વિચારશ્રેણીમાં, પદ્મપુરાણ અંતર્ગત ધર્મારણ્યમાહાત્મ્યમાં તથા બીજી કેટલીક વંશાવલીઓમાં પણ મળે છે. સુકૃતસંકીર્તન અને સુકૃતકીર્તિકલ્લોલિની એ માત્ર કાવ્યો હોઈ તેમાં માત્ર નામ અને પ્રશસ્તિ આપેલ છે. પરંતુ પછીના આ સાધનોમાં નામો ઉપરાંત તેમનાં રાજ્યકાળનાં વર્ષો પણ આપવામાં આવ્યાં છે તથા તેમને કુલ ૧૯૦,૧૯૩ કે ૧૯૬ વર્ષ રાજ્ય કર્યું હોવાની હકીકત આપી છે. પરંતુ તેમાં વર્ષોની વિગતોમાં કેટલીક ગરબડ રહેલી છે. પ્રબંધ ચિંતામણિની બીજી બધી પાઠ પરંપરાઓઓમાં એને બદલે જુદી વંશાવલી મળે છે. એ વંશાવલી મુજબ આ ચાવડા વંશમાં ૭ રાજાઓ થયાં હોવાનું માલૂમ પડે છે. તેને અનુસરતાં કુમારપાલ પ્રબંધ, પ્રવચનપરીક્ષા, મિરાતે અહમદી, ગુર્જરભૂપનામાવલી તથા રત્નમાલામાં પણ આ વંશવળીઓ મળે છે. આ સર્વમાં રાજાનાંનામ તથા રાજ્યકાલના વર્ષો આપેલ છે. તેમાં રાજાઓના રાજ્યકાળની વિગતો લગભગ એકસરખી છે. આમાં પણ આ રાજાઓનો રાજ્યકાળ ૧૯૬ વર્ષનો આપેલો છે.

આ પરંપરાઓ નીચે પ્રમાણે છે ——

સુકૃતસંકીર્તન અને સુકૃતકીર્તિકલ્લોલિનીમાં ખાલી નામો જ આપ્યાં છે પણ પ્રબંધચિંતામણિની એક પરંપરામાં —–

  • [૧] વનરાજ – ૫૯ વર્ષ
  • [૨] યોગરાજ – ૧૭ વર્ષ
  • [૩] રાત્નાદિત્ય – ૩ વર્ષ
  • [૪] વૈરિસિંહ – ૧૧વર્ષ (૧૬ વર્ષ)
  • [૫] ક્ષેમરાજ – ૩૮ વર્ષ (૩૭ વર્ષ)
  • [૬] ચામુંડરાજ – ૧૩ વર્ષ (૩ વર્ષ)
  • [૭] આગડ – ૨૬ વર્ષ
  • [૮] ભૂચગડ – ૨૭ વર્ષ
  • કુલ = ૧૯૦ વર્ષ

આમાં નામો સાથે તેમનાં શાસનકાળનો સમયગાળો પણ દર્શાવવામાં આવ્યો છે. પણ સુકૃતસંકીર્તન અને સુકૃતકીર્તિકલ્લોલિનીમાં છેલ્લાં બે રાજાઓનાં નામ આહડ અને ભૂભટ આપવામાં આવ્યાં છે. જયારે વિચારશ્રેણીમાં —

  • [૧] વનરાજ – ૬૦ વર્ષ
  • [૨] યોગરાજ – ૯ વર્ષ
  • [૩] રાત્નાદિત્ય – ૩ વર્ષ
  • [૪] વૈરિસિંહ – ૧૧ વર્ષ
  • [૫] ક્ષેમરાજ – ૩૯ વર્ષ
  • [૬] ચામુંડરાજ – ૨૭ વર્ષ
  • [૭] ઘાઘડ – ૨૯ વર્ષ (૨૭ વર્ષ)
  • [૮] સમાંતસિંહ – ૧૯ વર્ષ
  • કુલ = ૧૯૫ વર્ષ

જયારે ધર્મારણ્યમાહાત્મ્યમાં —-

  • [૧] વનરાજ – ૬૦ વર્ષ
  • [૨] યોગરાજ – ૯ વર્ષ
  • [૩] રાત્નાદિત્ય – ૩ વર્ષ
  • [૪] વૈરિસિંહ – ૧૦ વર્ષ
  • [૫] ક્ષેમરાજ – ૨૯ વર્ષ
  • [૬] ચામુંડરાજ – ૧૩ વર્ષ
  • [૭] ઉઘડ – ૨૭ વર્ષ
  • [૮] ભૂવડ – ?
  • કુલ = ?

જ્યારે ખતપત્રમાં ——

  • [૧] વનરાજ – ૬૦ વર્ષ
  • [૨] યોગરાજ – ૧૦ વર્ષ
  • [૩] રાત્નાદિત્ય – ૩ વર્ષ
  • [૪] વૈરિસિંહ (વીર) – ૧૧ વર્ષ
  • [૫] ક્ષેમરાજ – ૨૯ વર્ષ
  • [૬] ચામુંડિ – ૨૪ વર્ષ
  • [૭] ઉઘડિ – ૨૮ વર્ષ
  • [૮] ભૂચણિ – ૨૮ વર્ષ
  • કુલ = ૧૯૩ વર્ષ

જયારે ભૂગોળપુરાણમાં ——-

  • [૧] વણજારા
  • [૨] યોગરાજ
  • [૩] રાત્નાદિત્ય – ૩ વર્ષ
  • [૪] વીરસેન
  • [૫] ખેમક
  • [૬] ચામુંડ
  • [૭] ઉઘડદેવ
  • [૮] ભુવડદેવ

હવે બીજી એક પરંપરા વિષે પણ જાણી લઈએ – જોઈ-તપાસી લઈએ ….

બીજી પરંપરા ———-

પ્રબંધ ચિંતામણિમાં ——–

  • [૧] વનરાજ – ૬૦ વર્ષ
  • [૨] યોગરાજ – ૩૫ વર્ષ
  • [૩] ક્ષેમરાજ – ૨૫ વર્ષ
  • [૪] ભુચડ – ૨૯ વર્ષ
  • [૫] વૈરસિંહ – ૨૫ વર્ષ
  • [૬] રત્નાદિત્ય – ૧૫ વર્ષ
  • [૭] સામંતસિંહ – ૭ વર્ષ
  • કુલ = ૭ રાજાઓ …. ૧૯૬ વર્ષ

જયારે કુમારપાલ ચરિતમાં ——

  • [૧] વનરાજ – ૬૦ વર્ષ
  • [૨] યોગરાજ – ૩૫ વર્ષ
  • [૩] ક્ષેમરાજ – ૨૫ વર્ષ
  • [૪] ભુચડરાજ – ૨૯ વર્ષ
  • [૫] વૈરસિંહ – ૨૫ વર્ષ
  • [૬] રત્નાદિત્ય – ૧૫ વર્ષ
  • [૭] સામંતસિંહ – ૭ વર્ષ
  • કુલ = ૭ રાજાઓ …. ૧૯૬ વર્ષ

જયારે પ્રવચન પરીક્ષામાં ——–

  • [૧] વનરાજ – ૬૦ વર્ષ
  • [૨] યોગરાજ – ૩૫ વર્ષ
  • [૩] ક્ષેમરાજ – ૨૫ વર્ષ
  • [૪] ભુચડ – ૨૯ વર્ષ
  • [૫] વૈરસિંહ – ૨૫ વર્ષ
  • [૬] રત્નાદિત્ય – ૧૫ વર્ષ
  • [૭] સામંતસિંહ – ૭ વર્ષ
  • કુલ = ૭ રાજાઓ …. ૧૯૬ વર્ષ

જયારે મિરાતે અહમદીમાં ——–

  • [૧] વનરાજ – ૬૦ વર્ષ
  • [૨] યોગરાજ – ૩૫ વર્ષ
  • [૩] ક્ષેમરાજ – ૨૫ વર્ષ
  • [૪] પૂચુરરાજ – ૨૯ વર્ષ
  • [૫] વજેસિંઘ – ૨૫ વર્ષ
  • [૬] રાવતસિંઘ – ૧૫ વર્ષ
  • [૭] સાવંતસિંઘ – ૭ વર્ષ
  • કુલ = ૭ રાજાઓ …. ૧૯૬ વર્ષ

જયારે ગુર્જરભૂપનામાવલીમાં ——–

  • [૧] વનરાજ – ૬૦ વર્ષ
  • [૨] યોગરાજ – ૩૫ વર્ષ
  • [૩] ક્ષેમરાજ – ૨૮ વર્ષ (૨૫ વર્ષ)
  • [૪] ભુહડરાજ – ૨૯ વર્ષ
  • [૫] વચરસિંહ – ૨૫ વર્ષ
  • [૬] રત્નાદિત્ય – ૧૫ વર્ષ
  • [૭] સામંતસિંહ – ૭ વર્ષ
  • કુલ = ૭ રાજાઓ …. ૧૯૬ વર્ષ

જયારે રત્નમાલામાં ———

  • [૧] વનરાજ – ૬૦ વર્ષ
  • [૨] યોગરાજ – ૩૫ વર્ષ
  • [૩] ક્ષેમરાજ – ૨૫ વર્ષ
  • [૪] ભુચડ – ૨૯ વર્ષ
  • [૫] વૈરસિંહ – ૨૫ વર્ષ
  • [૬] રત્નાદિત્ય – ૧૫ વર્ષ
  • [૭] ગચંદસિંહ – ૭ વર્ષ
  • કુલ = ૭ રાજાઓ …. ૧૯૬ વર્ષ

આમાં ૭ રાજાઓ આપેલાં છે અને દરેકે ૧૯૬વર્ષનો મેળ રાખવાં માટે એમાં જરૂરી ફેરફાર કર્યા હોય એવું ફલિત થયાં વગર રહેતું નથી. હજી આ વાતની ચર્ચા વિગતવાર કરવાની બાકી જ છે. જે બીજાં ભાગમાં આવશે. ચાવડાવંશની ઉત્પત્તિ અને એમની વંશાવલીનો ભાગ – ૧ સમાપ્ત ! ભાગ – ૨ હવે પછીનાં લેખમાં !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!

——– જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!