|| અઢાર પુરાણ ||

પુરાણોને મનુષ્યના ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું દર્પણ પણ કહેવામાં આવે છે જેમાં મનુષ્ય પોતાના દરેક યુગનો ચહેરો જોઈ શકે છે. આ દર્પણ થકી મનુષ્ય પોતાનો વર્તમાન સુધારીને ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે.

ત્રિકાળનો સમાવેશ પુરાણોમાં છે એટલે કે ભૂતકાળમાં જે થયું, વર્તમાનમાં જે થઇ રહ્યું છે અને ભવિષ્યમાં જે થશે તે જાણવા મળે છે. પુરાણોમાં હિન્દુ દેવી-દેવતાઓનું વિસ્તૃત વર્ણન છે. તેની ભાષા સરળ હોવાની સાથે કથા-વાર્તા સ્વરૂપે છે. છતાં પણ પુરાણોને વેદો અને ઉપનિષદો જેટલી પ્રતિષ્ઠા મળી નથી.

પુરાણ વેદોનો જ વિસ્તાર છે. વેદોની ભાષા અઘરી અને ગૂંચવણભરી હતી. વેદની રચના કરનાર વેદવ્યાસજીએ જ પુરાણોની રચના અને પુનર્રચના કરી. વેદોની અઘરી ભાષાને પુરાણોમાં સરળ કરીને સમજાવવામાં આવી છે. પુરાણોમાં અવતારવાદ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં જુદાં-જુદાં દેવી દેવતાઓને આધારે ધર્મ-અધર્મ, પાપ-પુણ્યની કથા-વાર્તાઓ આપવામાં આવી છે.

પુરાણનો અર્થ : પુરાણની સંધિ છૂટી પાડીએ તો પુરા+અણ=પુરાણ થાય. જેનો શાબ્દિક અર્થ પ્રાચીન અથવા પુરાણું થાય છે. અહીં સંધિના શબ્દો જોઇએ જેમાં પુરા શબ્દનો અર્થ વીતેલું અથવા ભૂતકાળ થાય છે. જ્યારે અણ શબ્દનો અર્થ થાય છે કહેવું કે જણાવવું એટલે કે જે ભૂતકાળના સિદ્ધાંતો, શિક્ષાઓ, નીતિ-નિયમો અને ઘટનાઓને દર્શાવે તે. એવું માનવામાં આવે છે કે સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીએ સૌથી પહેલાં જે પ્રાચીનતમ ગ્રંથની રચના કરી તેને પુરાણના નામે ઓળખવામાં આવે છે. જ્યારે હિન્દુ સનાતન ધર્મમાં પુરાણ સૃષ્ટિની શરૂઆતથી જ માનવામાં આવે છે. પુરાણોને જ્ઞાનનો સ્ત્રોત માનવામાં આવે છે.

પુરાણ અઢાર શા માટે? :

સૃષ્ટિના પ્રારંભમાં જ બ્રહ્માજીએ માત્ર એક જ પુરાણની રચના કરી હતી. જેમાં એક અરબ શ્લોકોનો સમાવેશ થતો હતો. આથી પુરાણ એકદમ વિશાળ અને દુષ્કર હતા. પુરાણોમાં વર્ણવેલું જ્ઞાન અને પ્રાચીન આખ્યાન દેવતાઓ સિવાય સાધારણ મનુષ્યોને પણ સહજ અને સરળ રીતે પ્રાપ્ત થાય તેમ વિચારી મર્હિષ વેદ વ્યાસે આ પુરાણને અઢાર ભાગોમાં વહેંચી દીધું. આ બધાં જ પુરાણોમાં શ્લોકોની સંખ્યા ચાર લાખ છે.

મર્હિષ વેદવ્યાસજીએ અઢાર પુરાણો સિવાય કેટલાંક ઉપ પુરાણોની રચના પણ કરી છે. તેને પુરાણોનો સાર પણ કહેવામાં આવે છે. ઉપપુરાણ સોળ છે. પુરાણો અંગે એક ધારણા એવી છે કે બધાં જ મન્વંતરો (કાળ)ના દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુ જ વ્યાસ સ્વરૂપે પ્રગટ થઇને મનુષ્યોના કલ્યાણ માટે આ અઢાર પુરાણોની રચના કરે છે. આ અઢાર પુરાણોના શ્રવણ અને પઠન (વાંચવું)થી પાપી મનુષ્ય પણ પાપરહિત થઇને પુણ્યના હક્કદાર બને છે.

વાયુ પુરાણ : વાયુ પુરાણને વિદ્વાન લોકો શિવ પુરાણ અને બ્રહ્માંડ પુરાણનો જ એક ભાગ માને છે. જોકે નારદ પુરાણમાં જે અઢાર પુરાણો દર્શાવ્યા છે તેમાં વાયુ પુરાણને સ્વતંત્ર પુરાણ માનવામાં આવે છે. તેમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ-નક્ષત્ર, જ્યોતિષ, આયુર્વેદ વગેરેનું વર્ણન જોવા મળે છે.

અઢાર પુરાણ કયા છે ?

અઢાર પુરાણોને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. વિષ્ણુ પુરાણ, બ્રહ્મા પુરાણ અને શિવ પુરાણ એમ ત્રણેમાં છ-છ પુરાણોનો સમાવેશ થાય છે.

૧. વિષ્ણુ પુરાણ

અઢાર પુરાણોમાં વિષ્ણુ પુરાણનો આકાર સૌથી નાનો છે. જોકે તેનું મહત્ત્વ પ્રાચીન સમયથી છે. આ પુરાણના શ્લોકોની સંખ્યા આજે સાત હજાર છે. ઘણાં ગ્રંથોમાં શ્લોકની સંખ્યા તેવીસ હજાર કહેવામાં આવે છે. આ પુરાણ છ ભાગમાં વહેંચાયેલ છે. આ પુરાણમાં પૃથુ, પ્રહ્લાદ અને ધ્રુવની વાર્તાના પ્રસંગ અત્યંત રસપ્રદ છે. વિષ્ણુ પુરાણમાં કૃષ્ણ ચરિત્રનું વર્ણન છે. જોકે તેમાં સંક્ષિપ્તમાં રામકથાનો ઉલ્લેખ પણ જોવા મળે છે.

૨. શ્રીમદ્ ભાગવત પુરાણ

શ્રીમદ્ ભાગવત પુરાણને હિન્દુ ધર્મનું સૌથી વધારે આદરણીય પુરાણ માનવામાં આવે છે. તે વૈષ્ણવ સંપ્રદાયનો પ્રમુખ ગ્રંથ પણ છે. તેમાં વેદો, ઉપનિષદો અને દર્શનશાસ્ત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પુરાણમાં બાર સ્કંધ છે જેમાં વિષ્ણુ ભગવાનના અવતારોનું વર્ણન છે. તેમાં કાળગણના ખૂબ જ સૂક્ષ્મ રીતે દર્શાવવામાં આવી છે. આ પુરાણમાં શ્રીકૃષ્ણના ઈશ્વરીય અને અલૌકિક રૂપનું જ વર્ણન જોવા મળે છે.

૩. નારદ પુરાણ

નારદ પુરાણ એ વૈષ્ણવ પુરાણ છે. આ પુરાણ અંગે અવી માન્યતા છે કે તેનંુ શ્રવણ કરવાથી પાપી વ્યક્તિ પણ પાપમુક્ત થઇ જાય છે. નારદ પુરાણમાં વિષ્ણુ ભગવાનની પૂજાની સાથે શ્રીરામની પૂજાનું વિધાન પણ છે. કૃષ્ણોપાસના અને હનુમાનજીની ઉપાસનાની વિધિઓ દર્શાવી છે. કાળી અને મહેશ (શંકર)ની પૂજાના મંત્રો પણ આપવામાં આવ્યા છે. આ પુરાણના અંતમાં ગૌહત્યા અને દેવ નિંદાને પાપ ગણીને જણાવાયું છે કે નારદ પુરાણનો પાઠ આવી વ્યક્તિઓની હાજરીમાં ક્યારેય ન કરવો જોઇએ.

૪. ગરુડ પુરાણ

ગરુડ પુરાણને મૃત્યુ પછી આત્માને સદ્ગતિ આપનાર કહેવામાં આવે છે. મનુષ્યના મૃત્યુ પછી ગરુડ પુરાણ વાંચવાનું પ્રાવધાન છે. મનુષ્યના મૃત્યુ પછી તેની શી ગતિ થાય છે, તે કયા પ્રકારની યોનિઓમાં જન્મ લે છે અને પ્રેતયોનિમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય તેની વિસ્તૃત માહિતી છે. વાસ્તવમાં આ પુરાણમાં વિષ્ણુભક્તિ અને તેમના ચોવીસ અવતારોનું જ સવિસ્તર વર્ણન છે. ગરુડ પુરાણના શ્લોકની સંખ્યા ઓગણીસ હજાર માનવામાં આવે છે જોકે વર્તમાનમાં સાત હજાર શ્લોક જ ઉપલબ્ધ છે.

૫. પદ્મ પુરાણ

પદ્મ પુરાણ ખૂબ જ વિશાળ છે. તેના શ્લોકોની સંખ્યા પચાસ હજાર છે. પદ્મ પુરાણને પાંચ ખંડોમાં વહેંચવામાં આવ્યું છે. સૃષ્ટિ ખંડ, ભૂમિ ખંડ, સ્વર્ગ ખંડ, પાતાળ ખંડ અને ઉત્તર ખંડ એમ પાંચ ખંડ છે. પદ્મ પુરાણ પણ મુખ્ય રીતે વૈષ્ણવ પુરાણ છે. તેમાં ભગવાન વિષ્ણુનું વિશેષ વર્ર્ણન છે. જોકે આ પુરાણની અંદર પ્રસંગવશ ભગવાન શિવજીનું વર્ણન પણ જોવા મળે છે.

૬. વરાહ પુરાણ

વિષ્ણુ ભગવાનના દશાવતારોમાં એક છે વરાહ અવતાર. પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે ભગવાન વિષ્ણુએ આ અવતાર લીધો હતો. આ અવતારનું વિસ્તૃત વર્ણન આ પુરાણમાં જોવા મળે છે. આ પુરાણમાં બસો સત્તર અધ્યાય અને લગભગ દસ હજાર શ્લોક છે. ભગવાન વરાહના ધર્મોપદેશને કથાના સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

૭. બ્રહ્મ પુરાણ

આ પુરાણમાં સાકાર બ્રહ્મની ઉપાસનાનું વિધાન છે. તેમાં બ્રહ્મને જ સર્વોપરિ માનવામાં આવે છે. તેને કારણે આ પુરાણને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેનો અર્થ એ નથી કે તે પ્રાચીન છે. તેની રચના ઘણાં સમય પછી થઇ છે. બ્રહ્મ પુરાણમાં બસો છેંતાલીસ અધ્યાય છે અને તેના શ્લોકની સંખ્યા લગભગ ચૌદ હજાર છે.

૮. બ્રહ્માંડ પુરાણ

સમસ્ત મહાપુરાણોમાં બ્રહ્માંડ પુરાણ છેલ્લું હોવા છતાં પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સમસ્ત બ્રહ્માંડનું વર્ણન તેમાં કરવામાં આવેલું હોવાને કારણે જ તેને બ્રહ્માંડ પુરાણ નામ આપવામાં આવ્યું છે. વિદ્વાનો આ પુરાણને વેદોના સમાન માને છે. આ પુરાણ પૂર્વ, મધ્ય અને ઉત્તર એમ ત્રણ ભાગમાં વિભાજિત છે.

૯. બ્રહ્મ વૈવર્ત પુરાણ

આ પુરાણમાં શ્રીકૃષ્ણને જ ઈષ્ટ માનીને તેમને સૃષ્ટિનું કારણ દર્શાવ્યા છે. બ્રહ્મ વૈવર્તનો અર્થ થાય છે બ્રહ્મનું વિવર્તન એટલે કે બ્રહ્મની પ્રકૃતિ. આ પુરાણ અનુસાર બ્રહ્માંડમાં અસંખ્ય વિશ્વ વિદ્યમાન છે. પ્રત્યેક વિશ્વના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. આ બધાં જ વિશ્વોથી ઉપર ગોલોકમાં ભગવાન શ્રીકૃષ્ણ નિવાસ કરે છે. આ પુરાણના ચાર ખંડ છે- બ્રહ્મ, પ્રકૃતિ, ગણપતિ અને શ્રીકૃષ્ણ જન્મ ખંડ. આ ચારેય ખંડના બસો અઢાર અધ્યાય છે.

૧૦. માર્કંડેય પુરાણ

માર્કંડેય ઋષિ દ્વારા તેનું કથન કરવામાં આવ્યું હોવાને કારણે આ પુરાણનું નામ માર્કંડેય પુરાણ પડયું છે. આ પુરાણ દુર્ગાચરિત્ર તથા દુર્ગા સપ્તશતીના વર્ણન માટે પ્રસિદ્ધ છે. તેથી તેને શાક્ત (શક્તિ) સંપ્રદાયનું પુરાણ પણ કહેવામાં આવે છે. તેના એકસો તેંતાલીસ અધ્યાયોમાં નવ હજાર શ્લોક છે.

૧૧. ભવિષ્ય પુરાણ

ભવિષ્ય પુરાણમાં સૂર્યોપાસના અને તેના મહત્ત્વનું જેટલું વિસ્તૃત વર્ણન છે તેટલું અન્ય કોઇ ગ્રંથ કે પુરાણમાં નથી. તેથી તેને સૌર ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભવિષ્ય પુરાણ અનુસાર તેમાં શ્લોકોની સંખ્યા પચાસ હજાર છે, પરંતુ હાલમાં આ સંખ્યા અઠ્ઠાવીસ હજાર છે. આ પુરાણના ચાર ભાગ છે – બ્રાહ્મ પર્વ, મધ્યમ પર્વ, પ્રતિસર્ગ પર્વ અને ઉત્તર પર્વ. આ પુરાણના વિષયવસ્તુમાં સૂર્ય દેવનો મહિમા, ઉપાસના વગેરે છે.

૧૨. વામન પુરાણ

વામન પુરાણ નામથી તો વૈષ્ણવ પુરાણ લાગે છે, કારણ કે તેનું નામકરણ ભગવાન વિષ્ણુના વામન અવતારના આધારે કરવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવમાં આ એક શૈવ પુરાણ છે. તેના શ્લોકની સંખ્યા દસ હજાર હતી જે હાલમાં છ હજાર છે. આ પુરાણની ખાસ બાબત તો એ છે કે આ પુરાણનું નામકરણ જે રાજા બલિ અને વામન ચરિત્રને આધારે કરવામાં આવ્યું છે તેનું વર્ણન માત્ર બે જ વખત અને તે પણ સંક્ષિપ્તમાં કરવામાં આવ્યું છે.

૧૩. શિવ પુરાણ

આ પુરાણમાં શિવભક્તિ અને શિવ મહિમાનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. શિવ પુરાણમાં શિવજીના જીવનચરિત્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પુરાણમાં આઠ સંહિતાઓનો ઉલ્લેખ છે. જે મોક્ષ કારક છે. આ સંહિતાઓમાં વિદ્યેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા, વાયુ સંહિતાના પૂર્વ અને ઉત્તર ભાગનો સમાવેશ થાય છે.

૧૪. લિંગ પુરાણ

લિંગ પુરાણ શૈવ સંપ્રદાયનું પુરાણ છે. અહીં લિંગનો અર્થ શિવજીનું ઓળખ ચિહ્ન છે. જે અજ્ઞાત તત્ત્વનો પરિચય આપે છે. આ પુરાણમાં લિંગનો અર્થ સવિસ્તર દર્શાવવામાં આવ્યો છે. આ પુરાણ પ્રધાન પ્રકૃતિને જ લિંગ રૂપ માને છે. અને પ્રકૃતિને જ લિંગ કહેવામાં આવ્યું છે જે ગંધ, વર્ણ, રસ, શબ્દ અને સ્પર્શથી તટસ્થ છે. આ પુરાણના કુલ એકસો ત્રેંસઠ અધ્યાય છે.

૧૫. સ્કંદ પુરાણ

અગ્નિ પુરાણમાં બધી જ વિદ્યાઓનું વર્ણન છે. આકારમાં નાનું હોવા છતાં પણ તેમાં બધી જ વિદ્યાઓનું વિસ્તૃત વર્ણન છે. આ પુરાણમાં ત્રણસો ત્યાંસી અધ્યાય છે. તેમાં સૃષ્ટિ વર્ણન, સ્નાન, પૂજા, હોમ (હવન), ખગોળ શાસ્ત્ર, તીર્થ મહાત્મ્ય, જ્યોતિષ શાસ્ત્ર, વશીકરણ વિદ્યા, ઔષધિ જ્ઞાન, શુકન-અપશુકન, રત્ન પરીક્ષા, સિદ્ધિ મંત્ર, અર્થ શાસ્ત્ર, ન્યાય શાસ્ત્ર વગેરેનું વર્ણન જોવા મળે છે.

૧૬. અગ્નિ પુરાણ

આ પુરાણમાં સાકાર બ્રહ્મની ઉપાસનાનું વિધાન છે. તેમાં બ્રહ્મને જ સર્વોપરિ માનવામાં આવે છે. તેને કારણે આ પુરાણને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેનો અર્થ એ નથી કે તે પ્રાચીન છે. તેની રચના ઘણાં સમય પછી થઇ છે. બ્રહ્મ પુરાણમાં બસો છેંતાલીસ અધ્યાય છે અને તેના શ્લોકની સંખ્યા લગભગ ચૌદ હજાર છે.

૧૭. મત્સ્ય પુરાણ

મત્સ્ય પુરાણ વૈષ્ણવ સંપ્રદાય સાથે સંબંધિત છે. તેને બસો એકાણું અધ્યાયોમાં વહેંચવામાં આવ્યું છે. તેમાં શ્લોકની સંખ્યા ચૌદ હજાર છે. પહેલા અધ્યાયમાં મત્સ્યાવતારની કથા છે તેને આધારે જ આ પુરાણનું નામ મત્સ્ય પુરાણ પડયું છે. વ્રત, પર્વ, તીર્થ, દાન, રાજધર્મ અને વાસ્તુકલાની દૃષ્ટિએ આ પુરાણ ઘણું મહત્ત્વનું છે.

૧૮. કૂર્મ પુરાણ

કૂર્મ પુરાણનું નામ ભગવાન વિષ્ણુના કૂર્મવતાર પરથી પડયું છે. વિષ્ણુ ભગવાન કૂર્મવતાર એટલે કે કાચબા સ્વરૂપે સમુદ્રમંથન સમયે મન્દરાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કરવાના પ્રસંગમાં રાજા ઇન્દ્રદ્યુમ્નને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ઉપદેશ આપે છે. આ પુરાણમાં ચાર સંહિતા છે- બ્રાહ્મી સંહિતા, ભાગવતી સંહિતા, શૈરી સંહિતા અને વૈષ્ણવી સંહિતા. જેમાંથી આજે માત્ર બ્રાહ્મી સંહિતા જ ઉપલબ્ધ છે.

|| પુરાણોના નામ અને શ્ર્લોકસંખ્યા ||

  1. બ્રહ્મ પુરાણ – ૧૦૦૦
  2. પદ્મ પુરાણ – ૫૫૦૦૦
  3. વિષ્ણુ પુરાણ – ૨૫૦૦૦
  4. શિવ પુરાણ – ૨૪૦૦૦
  5. લિંગ પુરાણ – ૧૧૦૦૦
  6. ગરુડ પુરાણ – ૧૯૦૦૦
  7. નારદ પુરાણ – ૨૫૦૦૦
  8. ભાગવત પુરાણ- ૧૮૦૦૦
  9. અગ્નિ પુરાણ – ૧૫૦૦૦
  10. ભવિષ્ય પુરાણ – ૮૧૧૦૦
  11. બ્રહ્મ વૈવર્ત પુરાણ- ૧૪૫૦૦
  12. માર્કડેય પુરાણ – ૧૮૦૦૦
  13. વામન પુરાણ – ૧૦૦૦૦
  14. વરાહ પુરાણ – ૨૪૦૦૦
  15. મત્સ્ય પુરાણ – ૧૪૦૦૦
  16. કૂર્મ પુરાણ –૧૭૦૦૦
  17. બ્રહ્માંડ પુરાણ –૧૨૦૦૦
  18. સ્કંદ પુરાણ

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!