આલમભાઈ પરમાર -સૌરાષ્ટ્રની રસધાર

રાણપુરને ટીંબે આશરે બસો વરસ પૂર્વે સાહેબજી નામે હાલાજીનાં વંશજ હતા. સાહેબજી ખુદાના બંદા હતા. આ દુનિયાની મારામારીને એમને મોહ નહોતો. તેથી જ એમના પિતરાઈ રહીમજી, સાહેબજીના ઊભા મોલમાં પોતાના ઘેાડા ચરાવી દેવા લાગ્યા અને ધીરે ધીરે તે એમણે સાહેબજીન ગામડાં પણ દબાવવાનું શરૂ કર્યું. સાહેબજી પરમાર કંટાળીને પાંચાળમાં દતા ભગતની મેલડી નામે ગામમાં પોતાના દોસ્તો કાઠી દરબારોને ઘેર જઈ રહ્યા.

એક દિવસ એ ભલા સાહેબજીને વાવડ મળ્યા કે દરબાર રહીમજી ગામને પાદર થઈને નીકળવાના છે. એમના દિલમાં થયું કે ‘મારો ભાઈ નીકળે છે !’ દૂધના કેસરિયા કઢા લઈને, સાકર અને બદામ લઈને, રહીમજીની બરદાસ્ત કરવા પાદર જઈ ઊભા.

રાતી આંખવાળા રહીમજી ઘેાડા ઉપર બેસી પોતાના ઘોડેસવારોની સાથે નીકળ્યા. સાહેબજી અને આખો કાઠી ડાયરો આડો ફર્યો, ને ભાઈના ઘોડાની લગામ ઝાલી સાહબજી વીનવવા લાગ્યા : “ભાઈ ! ઊતરો, સાથે બેસીને રોટલા ખાઈએ.”

“એલા, તું હજી મરી નથી ગયો ?” એમ બોલીને રહીમજીએ પાતાના હાથમાં ભરેલી બંદૂક હતી તે સાહેબજીની છાતીમાં ચાંપી દીધી. વીંધાઈને સાહેબજી ભોંય પર પડ્યા. એ પળ પહેલાંની પ્રીતિભરી આજીજી એમના ભક્તિમય, ભોળા મોં ઉપર એમ ને એમ છવાયેલી રહી ગઈ. લાગણી બદલવાનો વખત જ ક્યાં હતો ?

“દગો ! દગો ! દગો ” કરતા કાઠીઓ એ ખૂની ઉપર હાથ ઉગામવા તૈયાર થયા, ત્યાં તે હસતે મુખે મરતા સાહેબજીએ તરફડતી જીભે સમજાવ્યું : “ના, મારી છેલ્લી ઘડી બગાડશો મા.”

મારતે ઘોડે રહીમજી રાણપુર પહોંચી ગયા.
સાહેબજીના મુડદાને દફનાવવા માટે એનાં ઠકરાણી ગાડાં જોડાવીને રાતોરાત રાણપુર આવ્યાં. પણ રહીમજી કહે કે એની કબર અમારા રાજવંશી કબ્રસ્તાનમાં ન હોય. આખરે એમને નેાખી જગાએ દફનાવવામાં આવ્યા. રહીમજીના ઝેરની સાક્ષી પૂરતી એ આરામગાહ હજુ પણ જુદી પડેલી મોજૂદ છે.

સાહેબજીના કુલ ગરાસ પર રહીમજીની આણ વર્તી ગઈ. સાહેબજીના એકના એક બેટા આલમભાઈ નો જીવ જેખમમાં છે એવો વહેમ એની નિરાધાર વિધવા માતાને પડ્યો. આલમભાઈને કયાંય બહાર કાઢવામાં આવતો નથી.

માં એ પુત્રને પૂછ્યું : “બેટા, આપણી બહેન માણેકબાઈ ને ઘેર વીરમગામ જઈશ ?”

બહેનને ઘેર જવાની હોંશમાં ને હોંશમાં આલમભાઈ ભૂલી ગયા કે પોતાની ઉમ્મર હજુ અગિયાર જ વરસની છે. એ બોલ્યો : “માડી, ખુશીથી. ઘોડો આપો, હું જઈશ.”

અગિયાર વરસના એકના એક દીકરાને અંધારી રાતે માએ મીઠડાં લઈને પરગામ વળાવ્યા. સાથે માણસ મોકલે તો શત્રુ ઓળખી જાય, એટલે આલમભાઈ રાતદિવસ એકલો જ પંથ કાપવા લાગ્યો. અને બહેનને ગામ પહોંચે, ત્યાં તો રાજબાળની એકેય એંધાણી એના દીદાર ઉપર ન રહી.

બનેવી સાલેભાઈ વીરમગામના અમીર હતા. ડેલીએ આરબોની એવી ચેાકી હતી કે અંદર પંખી પણ પેસી ન શકે. ચીંથરેહાલ આલમભાઈ ડેલીના ઓટા ઉપર બેઠા. જે અંદર જાય તેની સાથે કહેવરાવે : “બહેનને મળવા હું એનો ભાઈ રાણપુરથી આવ્યો છું.” સાંભળીને લેાંડાં હસતાં જાય.

પણ બહેનની સાથે રાણપુરથી બે વડારણ ગઈ હતી. એણે આલમભાઈને ઓળખ્યો. સોનાની હીંડોળાખાટે હીંચકતી બહેનોએ ખબર આપ્યા : “બા, ભાઈ આવ્યા છે. પણ બહુ બૂરે હાલે બેથા છે.”

બીજા ગેલાં હસીને બોલી ઊઠયાં : “ઓલ્યો રાંકો ડેલીએ બેઠો છે એ બેગમસાહેબનો ભાઈ?”

બહેનને લાગ્યું કે મારા ભાઈ એ મારી હાંસી કરાવી. ભાઈને મળવાની એણે ના કહી. ખાવા માટે શકેારામાં કઢી અને જુવારને રેાટલો મોકલ્યાં. આલમભાઈએ આંખનાં પાણી લુછીને રોટલાને પગે લાગી કહ્યું : “ અન્નદેવ ! બાપુએ મને શીખવ્યું હતું કે તમને ન તરછોડાય.” બટકું રોટલે ખાધો, બાકીનો ત્યાં જ દાટયો, અને ઘેાડે ચડી પાછો ચાલી નીકળ્યો.

પાછળથી બનેવી ગામતરેથી આવ્યા. એણે પોતાના સાળાને જાકારો મળ્યાની વાત સાંભળી. રાણીને ધિક્કાર દીધો. આલમભાઈની પાછળ સવારો દોડાવ્યા, પણ આલમભાઈ પાછો ફર્યો નહિ.

રાણપુર પહોંચીને માના હૈયા ઉપર માથું રાખીને દીકરો ખૂબ રોયો

–2–

“અમ્મા, આમ બીતાં બીતાં ઘરને ખૂણે કયાં સુધી સંતાઈ રહું? આજે તો ચારે જવા દે, ખુદા જે કરે તે ખરું , મારી નાખશે તો છુટકારો થશે.”

એ રીતે પોતાની માને મનાવીને આલમભાઈ આંબલિયાળ ચોરે ડાયરામાં આવ્યા. એ ચેારાને બે પરસાળ છે. એક પરસાળમાં રહીમભાઈનો ડાયરો બસતો, અને બીજામાં અભુભાઈ કુરેશીનો. બુઢ્ઢા અભુભાઈનું કુટુંબ પેઢી-દર-પેઢીથી આલમભાઈના કુળમાં દોઢ સો દોઢ સો ઘોડેસવાર રાખીને ચાકરી કરતું. આજ રાણપુર તાલુકા રહીમભાઈના હાથમાં ગયા છે, પણ અમુભાઈ એ રહીમ ભાઈની તાબેદારી સ્વીકારી નથી. પાણીડાં પાડે છે : “ શું કરું ? મારી પાસે માણસો નથી. બુઢાપાએ મારું બધું કૌવત હરી લીધું છે, નહિ તો મારા બાળ ધણી કાંઈ આમ રઝળે ?”

“ આવ બાપ આલાભાઈ ! આવ, મારા ધણી !” એમ કહીને બુઢ્ઢા અભુભાઈએ આલમભાઈને ખોળામાં બેસાડી લીધો; અને માથે ને મોઢે પોતાને ધૂજતે હાથ ફેરવ્યો.

સામી પરસાળેથી રહીમભાઈ બેાલ્યા : “ત્યારે તેા તમારા ધણીને રાણપુરની ગાદીએ જ બેસાડો ને, મિયાં !”

“તમારા મોંમાં સાકર, રહીમભાઈ ! એલા કેાઈ છે ? જાઓ, ઓરડેથી એક ચાકળો લઈ આવો.”

ચાકળો આવ્યો. આલમનું કાંડું ઝાલીને અભુભાઈએ એને ચાકળે બેસાડ્યા, પોતાની તલવાર એના સામે ધરીને તાજમ કરી : “ બાપુ, સલામ.”

રહીમભાઈએ પણ સામી પરસાળે મશ્કરીમાં ઉઠીને કહ્યું : “ બાપુ ! સ… લ્લા … મ !”

અભુભાઈ બોલ્યા : “બાપુ, રહીમભાઈની સલામ લ્યો.” આલમભાઈએ સલામ લીધી. તે દિવસે અભુભાઈને ઘેર લાપસીના રંગાડા ચડયા. આખા ગામને અભુભાઈએ જમાડયું. આલમભાઈ અભુભાઈના રમકડા જેવા રાજા થયા !

તે વખતે સૌરાષ્ટ્ર ઉપર દામાજીરાવ ગાયકવાડની આણ ફરતી. દર વરસે દામાજીરાવ જમાબંધી ઉઘરાવવા આંહીં આવતા. તેમને ધોળકાથી લઈ હરીણા નીનામા ગામ સુધી પહોંચાડવાની ફરજ રાણપુર દરબાર ઉપર હતી. અભુભાઈ કુરેશી પોતાના બાળારાજાને સાથે લઈને ધોળકે ગયા. જઈને દામાજીના ખોળામાં આલમભાઈને બેસાડીને બધી કથની કહી દામાજી રાણપુર આવ્યા. એમની આજ્ઞાથી મરાઠાએ રહીમભાઈને પગે રસ્સી બાંધી ગામમાંથી ઢસડી કિલ્લામાં લાવ્યા. દામાજીએ પીઠ ફેરવી હુકમ દીધો : “ મારે એનું મોં નથી જોવું. એને કાંધ મારો.”

“ન બને, એ ન બને.” કરતો જુવાન આલમભાઈ આડો પડયો.

દામાજીએ કહ્યું : “બચ્ચા, એણે તો તારા બાપને કાપી નાખ્યો છે. એના ઉપર દયા હોય ?”

“મહારાજ, મરેલો બાપ હવે જીવતો નહીં થાય, પણ મારા કાકાના મોતથી તે અમારી સો પેઢી લગી વેર જીવતું થશે. ગમે તેવો તોયે એ મારો કાકો છે.”

રહીમભાઈને કેદી બનાવી લઈ જવામાં આવ્યા. આલમમાઈની ચોવીસી પાછી આલમભાઈને ઘેર આવી. મહારાજે આલમભાઈના રક્ષણ બદલ રાણપુર થાણું મૂકયું. એના ખર્ચા બઢલ આલમભાઈએ ગાયકવાડ સરકારને રાણપુર અાપ્યું.

આંહીં આલમભાઈને દિવસ ચડયો, ને વીરમગામમાં બહેનનો દિવસ આથમ્યો. સોનાની હીંડોળાખાટના મીઠા મીઠા કિચૂડાટ બંધ પડયા. લાજીને બહેનબનેવીએ રાણપુર આશરો લીધો. પોતાને મળેલા જાકારાનું એક પણ વેણ સંભાર્યા વિના આલમમાઈ એ બહેનને ગઢિયું નામનું ગામ આપ્યું, જે હજુ એના વંશજે ખાય છે.

— 3 —

છૂટા થયેલ રહીમભાઈ કિલ્લો લેવાની તજવીજ કરતો હતો. એના હાથમાં વઢવાણના ઝાલા રાજા સબળસિંહ આવી પડ્યો. સબળસિંહને અણે સમજાવ્યું કે તને હું એક પહોરમાં રાણપુર જિતાડું. સબળસિંહની સવારી ચડી. સીમાડે બુંબાડ પડયા.

આલમભાઈ કિલ્લો છેડી ગામમાં આવ્યા. વસ્તીને કહ્યું : “પોતપોતાની પ્યારી વસ્તુ હોય તે લઈને કિલ્લામાં પેસી જાઓ.” વસ્તી કિલ્લામાં પેસવા લાગી. આલમભાઈ ગામના ચોકમાં અભય બનીને ઊભા રહ્યા. સબળસિંહની સેનાનો ડમ્મર ચડયો તેય આલમભાઈ ન ખસ્યા, ઘોડાના ડાબલા ગાજ્યા તેાય આલમભાઈ કોઈ ઓલિયા જેવી શાંતિથી ઊભા જ રહ્યા. એ કોની વાટ જોતા હતા ? એક ડેાશીની ! ડેાશી પોતાના ઘરમાં કોઈ કુલડીમાં પૈસા મૂકેલા તે ગોતતી હતી, ને કહેતી હતી : “ એ બાપુ, જરા ઊભા રહેજો ! જરા ખમજો !” આખરે સેના ગામમાં આવી પહોંચી ત્યારે જ ડેાશી ગામમાંથી ખસી.

આલમભાઈને અને સેનાને ભેટંભેટા થઈ. સૈન્યને મોખરે અગરસિંગ નામને સરદાર ચાલતો હતો, તેને જોઈને આલમભાઈ એ પોતાના મછા નામના યોદ્ધાને કહ્યું : “ હે મછા ! તારી બરછી ફરી કયારે કામ આવશે ? માર અમરસિંગને.” પોતાના ધણીની છેલ્લી આજ્ઞા પાળીને મછે રાણપુરની બજારમાં જ મોતની રાતીચોળ પથારીમાં સૂતો. આલમભાઈ અને એના સાથીઓએ કિલ્લાનું શરણુ લીધું. ધબોધબ દરવાજા બંધ થયા.

સબળસિંહે રાણપુર ગામમાં જ માટીને કિલ્લેા કરી મોરચા બાંધ્યાં. આલમનાઈના કિલ્લાને તેડવાનું એનું ગજું નહોતું. એક દિવસ આલમભાઈ નાઠાબારીએ થઈને ધોળકા પહોંચ્યા. દામાજી ગાયકવાડને વાત સંભળાવી. દામાજીનું સૈન્ય ચડયું એ સાંભળીને સબળસિંહ રાણપુરથી બે ગાઉ દૂર પોતાના નાગનેશ ગામના કિલ્લામાં જઈને ભરાયો. દામાજીરાવે નાગનેશને ઘેરો ઘાલ્યો અને ગઢ તોડવા માટે અમદાવાદથી મહાકાળી ને મહાલક્ષમી નામની બે તોપો મંગાવી. બળદનાં સો સો તરેલાં જોડાય ત્યારે જ તાણી શકાય એવી એ બે તાપે નાગનેશની નદીમાં આવીને અટકી ગઈ. પછી દામાજીરાવે બન્નેની પૂજા કરી. સિંદૂર અને ફૂલ ચડાવ્યાં. તેાપો સડેડાટ સામે કાંઠે ચડી.

તોપો વછોડવાનું મુરત જોવરાવ્યું. બરાબર પો ફાટવાનો સમય મુરતમાં નક્કી થયેા. દામાજીરાવે હુકમ કર્યો : “ધોળી ધજા લઈને ગામના ગઢ ઉપર ચડી ખબર આપો કે સવારે તોપ ચાલશે. ખબર આપો કે ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભ ન વછૂટી જાય માટે કાનમાં સૂંઠનાં પૂમડાં કરીને ઘાલે. ખબર આપો બાળકોને, બુઢ્ઢાંઓને કે થડકે નહિ.”

બીજી બાજુ સબળસિંહને એક વધુ ખબર પડી. ગઢના ચારે કેાઠાની અંદર, થાળીએામાં મગ મુકાવ્યા હતા તે મગના દાણા, એક દિવસ થરથરવા માંડયા. સબળસિંહ સમજયો કે દરબારગઢની નીચે સુરંગ ખોદાય છે. ઉપરથી બાકોરુ પાડી, પાણી રેડી, સુરંગને નકામી કરી નાખવા તૈયારી થઈ; પણ ગામની વસ્તીએ ખાણો કરી કરી જાર ભરી હતી તે ટળી જાય, માટે લેાકેાએ ના પાડી.

ભળકડું થયું. બધા કહે : “ મહારાજ, હવે તેાપો વછોડો. ”

મહારાજ કહે : “ના, હજુ ઝાડ ઉપર પંખી નીંદર કરે છે. એને ફડકેા નહિ પડાવું, સૂરજને ઊગવા દ્યો.”

સૂરજ ઊગ્યો ને તેાપો ગડેડી : ધુબ્બાંગ ! ધુબ્બાંગ ! ધુબ્બાંગ ! અને નાગનેશનો ગઢ ભાંગીને ભૂકો થઈ ગયો. સબળસિંહ પકડાયો. એ ટાણે બે રજપૂતાએ એને પડખે ચડીને કહી દીધું : “તમે તમારે કેદમાં જાઓ. અમે હમણાં વાણિયાને વરે આવીને દામાજીને અને આલમભાઈને રેંસી નાખશું.”

સ્નાન કરતાં કરતાં દામાજીએ હુકમ દીધો : “સબળસિંહને ઝાડ નીચે લઈ જાઓ ને ઝાટકે મારો.” આલમભાઈ એ ચીસ નાખી : “ મહારાજ, ન બને, એમ ન બને.”

“કેમ ?”

“શેતરંજની રમતમાં જે લાકડાને રાજા હોય છે એને પણ મારવાની મના છે, તો પછી આ જીવતાજાગતા મનુષ્યાવતારને, આ લાખોના પાળનારને કેમ મરાય, મહારાજ ?”

બંદીવાન સબળસિંહ જાણે પ્રભુની દયાનું અમૃત પીતો હોય તેમ આલમભાઈના મોંની સામે જેઈરહ્યો. દામાજીરાવનું દિલ પણ નરમ થયું.

ત્યાં તો બે વાણિયા એકબીજાને ગાળો દેતા, મારપીટ કરતા, બૂમબરાડા પાડતા ચાલ્યા આવે છે. મહારાજે જાણ્યું કે શેઠિયા ફરિયાદે આવે છે. લગોલગ આવી પહોંચ્યા ત્યારે કૃતજ્ઞી સબળસિંહે રાડ પાડી : “મહારાજ ! આ દગો છે, મારા રજપૂતો વાણિયાને વેશે તમને મારવા આવે છે.”

દામાજીરાવ નહાતા હતા. શરીરે પૂરા પોશાક પણ નહોતો. આલમભાઈ પાસે પણ એક છરીયે નહોતી. રજપૂતો પોતાની જાંઘમાં છુપાવેલી કટારે કાઢી મહારાજની સામે દોડયા. ત્યાં તે આલમભાઈએ દોટ કાઢી બેયની ગરદન અક્કેક હાથમાં ઝાલી, બેયનાં માથાં સામસામાં પટકીને ચૂરેચૂરા કરી નાખ્યાં.

મહારાજ બોલ્યા : “ રંગ છે, આલમભાઈ! અત્યાર સુધી હું માનતો હતો કે તમે ફક્ત ઓલિયા છો, પણ ના, તમે શરીર પણ સાધી જાણ્યું છે.”

આલમભાઈએ આસમાનની સામે જોઈ ને માથું નમાવ્યું.

“આલમભાઈ, મારા જીવ બચાવ્યો તેની જુગો જુગ યાદગીરી રહે એ માટે તમારા ગામ આલમપુરની જમાબંધી માફ કરું છું.”

“મહારાજ, એમ થાશે તે ભવિષ્યમાં કોઈક દિવસ આપના વારસદારો મારા વારસદારોને કહેશે કે એ તે ધર્માદાનું ગામ ખાય છે. માટે જમાબંધી કાઢી નાખવા તો નહિ દઉં.”

આખરે આલમપુરની જમાબંધી એક આંકડે રૂપિયા ચારસો બાંધી આપ્યા. તે જ જમા હજુ સુધી આબાદ છે.

આલમપુરનાં તોરણ બાંધીને આલમભાઈ ત્યાં રહેવા લાગ્યા. પણ રોજ રોજ એની મીટ એક આદમી ઉપર મંડાઈ રહે છે. અા અાદમી હતો ખોજો નામે એક હજામ. અબોલ ખેાજો મૂંગે મોઢે પોતાના માલિકની ચાકરી કર્યા જ કરતો. પથારી પાથરતા, હોકો ભરી આપતો, મશાલ પેટાવતો, વાળુ કરાવતો.

દાયરામાં આલમભાઈ કહેતા : “ આ દુનિયા ફાની છે. મારી ગરૂરીને ખાતર મેં મારા નામનું ગામડું વાસ્યું છે, પણ મારાં સુખદુ:ખોનો સાચો દોસ્ત આ હજામ શું જિંદગી ખતમ થયા બાદ ભુલાઈ જાશે? મારા ભેળો ને ભેળો મૂંગો મૂંગો તડકાછાંય વેઠનાર એ હજામ ભુલાઈ જાય તો પછી હું શા સબબથી યાદગાર રહું ? ખોજા ! તારા નામનું પણ એક ગામ વાસવું છે. આલમપર ને ખેાજાપર ભેળાં જ બોલાશે; એક જ દમમાં તારું ને મારું નામ લેવાશે, તને હું નહિ તજું.”

ડાયરાએ હાંસી કરી, “ બાપુ હજામના નામનું ગામ ! રાજરીત શું ઊંધી વળી ગઈ?”

“ખુદાની રીત જ ખરી છે, ભાઈ! ખાવંદની નજરમાં કોણ છે આલમભાઈ, કોણ છે ખોજો હજામ?”

આલમભાઈએ આલમપુરની સામે જ ખેાજાપરનાં તોરણ બાંધ્યાં.

— 4 —

“ બાપુ ! કિલ્લાની અંદર આજ ત્રણ દિવસથી કઈંક ભેદ કળાય છે. દીવાલને કાન દઈને ઊભા રહીએ તે માલીપા રોવાના અવાજ આવે છે.” સૂકભાદર અને ગોમા, એ બે નદીઓની વચ્ચેના ટેકરા ઉપર ઊભેલા, સામા કાંઠાના કિલ્લા વિશે આવી વાત થઈ.

આલમભાઈના હાથમાં તસબી ફરતી હતી. એમનો બીજો હાથ તુરત જ સમશેરની મૂઠ ઉપર ગયો. બાતમી મળી કે કોઈક આખા કુટુંબ ઉપર – મરદ, ઓરત અને બાળ- બચ્ચાં ઉપર – મરાઠો સૂબો સિતમ ગુજારી રહ્યો છે. સૂબાની બદલી થઈ છે. ગામના વાણિયાનું મોટું દેણું ચડેલું છે. વાણિયો ઉઘરાણીએ ગયો તો સૂબાએ ખાલી ખિસ્સાં દેખાડયાં, એટલે વાણિયા એ એક બાજુથી ડારો દીધો કે : “હું ઠેઠ વડેાદરા જઈને દાદ માગીશ.” ને બીજી બાજુ તરકીબ બતાવી કે ‘અા જાય બોટાદનો લખપતિ વાણિયો : પકડ ને રસ્તામાંથી. માગીશ તેટલું મળશે !’ આ પરથી મરાઠા સૂબાએ બેાટાદના એક વેપારીને હાથ કર્યો છે. કિલ્લામાં પૂરીને મારપીટ શરૂ કરી છે, પણ વાણિયો માનતો નથી, પછી બોલાવ્યાં છે એનાં બાયડીછોકરાંને. બાયડી અને બચ્ચાં ચેાધાર પાણીડાં પાડતાં ઊભાં છે. સૂબાએ તો ધમકી બતાવી છે કે : “તારાં છોકરાંને કિલ્લા ઉપરથી નદીમાં ફગાવી દઈશ.”

આલમભાઈ ઊભા થયા. પાછળ ચારે દીકરા પણ ચાલ્યા. નદીને કાંઠે આવીને આલમભાઈએ પાછા વળી કહ્યું : “દીકરાઓ, મારો આખો વંશ ચાલ્યો જવા નહિ દઉં. માટે બે જણા પાછા વળો.”

લાખોજી અને ડોસુજી કચવાતા પાછા ગયા. તોગાજી અને બાપુજી સાથે ગયા. સૂબાને કાનજી વાણિયાએ વાત પહોંચાડી દીધી કે આલમભાઈ આવે છે. સૂબાએ ગઢ બંધ કરાવ્યો, અને આલમભાઈ પોતાના પુત્ર સાથે દોઢીમાં દાખલ થયા કે તુરત જ દોઢીના દરવાજાને બંધ કરી, આ સ્થી ખંભાતી તાળું મારી, ગઢની હૈયારખી ઉપર થઈને દરવાન અંદર ચાલ્યો ગયો. દોઢીમાં કેદ થયેલા ત્રણે પરમારો ઉપર કિલ્લાના મોરચામાંથી બંદૂકોનો મારો ચાલ્યો. ત્રણે જણા ઘાવા ખાનામાં પેસી ગયા.

બંદૂકોના ધુબાકા સાંભળતાં તે ગામમાં એક સ્વામી આવેલા તે પોતાના સાઠ ચેલા એને લઈ આલમભાઈની વહાર કરવા બહાર નીકળ્યા. એ ભગવા વસ્ત્રની પાછળ આખી વસ્તી નીકળી. કિલ્લાની બહારથી હાકલા પડકારા થવા માંડયા : “ બાપુ ! મૂંઝાશો મા. હમણાં બારણાં તોડીએ છીએ.”

પણ એ તોતિંગ બારણાં કેમ કરી તૂટે!

અંદરથી ગાળીઓને વરસાદ ઝીંકે છે તેમાં થઈને દરવાજામાં જવું શી રીતે ? આલમભાઈ મૂંઝાયા છે. તે વખતે દીકરો તોગાજી બોલ્યો : “બાપુ, હું નાનપણમાં મસ્તી કરતો ત્યારે તમે કહેતા કે બેટા, વખત આવે ત્યારે જોર બતાવજે. આજ એ વખત આવી પહોંચ્યો છે. આપને મોંએથી ‘ફતેહ’ ઉચ્ચારો. ને પછી જુઓ, હું તાળું તોડું છું કે નહિ !”

“ જા બેટા, ફતેહ કર.”

માથા ઉપર ગેંડાના ચામડાની ઢાલ ઢાંકી, હાથમાં તરવાર લઈ તેાગોજી દરવાજામાં આવ્યો. અંદરથી ભડભડ ગેાળીએ ઢાલમાં લાગી, પણ તેાગાજીને ઈજા ન થઈ પોતાના બે પગ ભરાવીને એણે દરવાજાના ખંભાતી તાળાને બે ભુજાથી એવું મરડ્યું કે આંકડિયો નીકળી પડયો. ધબ દઈને તાળું નીચે પડયું. સાંકળ ખોલી નાખી ને આખી મેદની “મારો ! મારો !” એવા દેકારા કરતી અંદર દોડી આવી.

‘રંગ તોગુભા ! રંગ તોગુભા !’ કરતા જ્યાં બધા તોગાજી સામે જુએ ત્યાં તેા તોગાજીની આંખાનાં બેય રતન નશ્વર લબડતાં હતાં, ને એને રૂંવાડે રૂંવાડે લોહી ટપકતું હતું.

“ભાઈને ઘેર લઈ જાઓ.” એવા પોકારો સાંભળીને તેગાજી બોલ્યા : “અંદર જે નિર્દોષ પુરાણાં છે એમને છોડાવ્યા વિના હું અહીંથી નહિ ખસું. હું આલમભાઈ પરમારનો દીકરો છું, આંહીં જ મરીશ.”

અંદર શું થઈ રહ્યું છે? એક આરબ સરદાર પોતાના સો સવારે સાથે કિલ્લામાં મહેમાન આવેલો. એની એ સો સાંઢયો બહાર દોઢીમાં બાંધી રહી છે. આરબોને બીક લાગી કે ગામલોકો સાંઢ્યોને હાંકી જશે. સૂબાને એણે કહ્યું : “મારી સાંઢ્યોને અંદર લેવા દે, નહિ તો બંદૂકે હાજર છે, હું ધીંગાણું કરીશ. મારી જીવ સાટેની મોંઘી સાંઢ્યોને હું નહિ ગુમાવું.”

સૂબો ડર્યો. દરવાજા આડાં તલવારો, બંદૂકો ને ભાલાં ગેાઠવ્યાં. પછી અધું કમાડ ઉઘાડયું. જ્યાં પહેલી સાંઢયને અંદર દાખલ કરી, ત્યાં આલમભાઈ એ સાંઢયને ઓથે રહીને પોતાના માણસો સાથે ધસારો કર્યો. સાંઢય ભાલામાં વીંધાઈ ગઈ, માણસે બચ્યાં. સૂબો ભાગ્યો. આલમભાઈએ સૂબાને પકડી, પછાડી, છાતી ઉપર ચડી, તલવાર કાઢી કહ્યું : “જો. આટલી વાર લાગે. પણ જા, કમજાત ! તારે ખભે જનોઈ ભાળીને હું ભોઠો પડું છું !”

નિર્દોષ વાણિયાનાં બાળબચ્ચાંને છોડાવી પરમારો ઘેર ગયા. દીકરો તોગોજી જિંદગીભર અંધ રહ્યો.

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સૌરાષ્ટ્રની રસધાર માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– એક તેતરને કારણે – સૌરાષ્ટ્રની રસધાર

– આહીર યુગલના કોલ – સૌરાષ્ટ્રની રસધાર

– સાંઈ નેહડી – સૌરાષ્ટ્રની રસધાર

– સિંહનું દાન – સૌરાષ્ટ્રની રસધાર

– દુશ્મનોની ખાનદાની – સૌરાષ્ટ્રની રસધાર

– આનું નામ તે ધણી- સૌરાષ્ટ્રની રસધાર

– એક અબળાને કારણે – સૌરાષ્ટ્રની રસધાર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!